બુધવાર, 29 ડિસેમ્બર, 2010

મંગળવાર, 28 ડિસેમ્બર, 2010

સુવાક્ય

પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને….
કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

રવિવાર, 26 ડિસેમ્બર, 2010

તમે : એક યાત્રા

તમે એક યાત્રા છો -
જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થ
છે કંઈક મળવું
જ્યાં દરેક થાક
એક નવી સ્ફૂર્તિ છે
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે
જ્યાં દરેક અનુભૂતિ
ઈશ્વરની મૂર્તિ છે.

- સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અમે તો સુખ દુઃખનાં બંધાણી

અમે તો સુખ દુઃખનાં બંધાણી
દરિયો ઉલેચવા ને અમને મળી હથેળી કાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

ઢગલા બાજી માથા ઉપર કાયમ રમતું કોક
તડકા ઉતરે, છાંયા ઉતરે હાથમાં મોટી થોક

સમજી લેજો જશો જીવ થી રમત ગયા જો જાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

સ્મિત અજાણ્યા પારકા આંસુ વેશ બદલતા શ્વાસ
રોજ ઠારતા ‘રોજ સળગતો’ જન્મારાનો ભાસ

રોજ-રોજ કરવાની જ્યાં-ત્યાં ‘હોવા’ની ઉઘરાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

દરિયો ઉલેચવાને અમને મળી હથેળી કાણી
અમે તો સુખ દુઃખના બંધાણી

ભાવેશ ભટ્ટ

[‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

પરિવર્તન

સાંજ ઢળતી હોય ત્યારે
માથે હાથ ફેરવતાં ફેરવતાં
સાસરેથી આવેલી દીકરી આપણને કહે –
‘તમે ખૂબ થાકી ગયા છો પપ્પા, પાણી આપું ?
થોડોક આરામ કરતા હો તો ?’
ત્યારે
આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ
ધીમે ધીમે હવે આપણી જ દીકરી
આપણી મા બનતી જાય છે.


– વિપિન પરીખ

તમારામાં દુઃખ સહન કરવાની જેટલી શક્તિ એટલા તમે સુખી

આપણે દિવસે દિવસે વધુ ને વધુ આળા થતા જઈએ છીએ. આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. અગાઉ આવી નાની નાની તકલીફોને બહુ સહજ રીતે સ્વીકારી લેવામાં આવતી હતી. કુટુંબમાં નાની મોટી બોલાચાલી થાય તો એને, ‘વાસણ સાથે પડયાં હોય તો ખખડે’, એમ કહીને સ્વીકારી લેતા. પતિ-પત્ની વચ્ચેનાં કે માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં રિસામણાં મનામણાં સામાન્ય હતાં. ભાગીદારો વચ્ચે કુમેળ થાય તો સુમેળ કરાવવાવાળા અનેક માણસો નીકળી આવતા. કોર્ટે ચડવાની સલાહ ભાગ્યે જ કોઈ આપતા. માણસ માણસ વચ્ચે મનદુઃખ થતું, પણ એથી જિંદગીનું સમગ્ર સુખ છીનવાઈ ગયું છે એવું કોઈને લાગતું નહોતું. માણસો તરફ કડવાશ થતી અને ધોવાઈ જતી, પણ જિંદગી તરફ ભાગ્યે જ કડવાશ થતી. આજના માનવીને તો જિંદગી આખી જ કડવી લાગે છે.

આજનો માણસ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે, ટેન્શન અનુભવે છે અને ન કરવાનું કરી બેસે છે. આધુનિક માનવી એ સ્વીકારવા જ તૈયાર નથી કે અમુક દુઃખો જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલાં છે. વાત વાતમાં એ કોર્ટે ચડે છે, પાડોશીઓ સાથે અને સહકાર્યકર્તાઓ સાથે ઝઘડાઓ કરે છે. ભાગીદારો સાથે વાંધાઓ પાડે છે, દુનિયા આખીને નફરત કરે છે. ટેન્શન દૂર કરવા માટે ટીકડીઓ ખાય છે, અનેક સુખ-સગવડો વચ્ચે આપઘાત પણ કરે છે.

આધુનિક માનવીમાં બીજા સાથે સહકારથી જીવવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. સહકારથી જીવવા માટે માણસે કેટલુંક જતું કરવું પડે છે. કેટલુંક ભૂલી જવું પડે છે. આજના માનવીને એ ગમતું નથી, પરંતુ બીજી બાજુ માણસ સમાજમાં જીવે છે એટલે એકબીજા સાથે સહકાર અને સમાધાનથી જીવવાનું એના માટે અનિવાર્ય હોય છે. આવી નાનીનાની વાતોમાં એને લાગી આવે છે અને પડેલા ઘાને એ સતત કોતર્યા કરે છે અને એની સીધી ખરાબ અસર એના સહજીવન ઉપર પડે છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી કટોકટીભરી સ્થિતિમાં લગ્નસંસ્થા આવી ગઈ છે. ગૃહકંકાસ અને લગ્નજીવનને લગતા અસંખ્ય કેસો કોર્ટોમાં પડયા છે. જેમાં સહકાર અને પ્રેમની જરૂર છે ત્યાં કાયદો લડાવવામાં આવે છે. લાગણી અને પ્રેમના પ્રશ્નો કાયદો ઉકેલી શકતો નથી.

અગાઉની જિંદગી અનેક અછતોથી ઘેરાયેલી હતી. સાધનોનો મોટો અભાવ હતો. પુરુષો સવારથી કામે લાગી જતા. પગે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા. અનેક હાડમારીઓ વેઠીને જીવતા, પણ જિંદગી તરફ તેમને વારંવાર કંટાળો આવી જતો નહોતો, યુવાનો અવારનવાર ડિપ્રેશનમાં ડૂબી જતા નહોતા, આજે સુખી કુટુંબના માણસો ખાલીપો અનુભવે છે એવો ખાલીપો પણ એ અનુભવતા નહોતા.

અગાઉની સ્ત્રીઓ તો કદાચ પુરુષો કરતાંય વધારે હાડમારીવાળું જીવન જીવતી હતી. સ્ત્રીઓ વહેલા ઊઠીને દળણું દળતી, છાશ કરતી, રોટલા ઘડતી, ઢોર દોહતી અને વાસીદું પણ કરતી, છતાં એનાથી દુઃખી થઈને કૂવામાં કે તળાવમાં પડતું મૂકતી નહોતી.

એ વખતે બધું સારું હતું એમ કહેવાનો આશય નથી પણ માણસો એ વખતે વધારે ખમતીધર હતા. સ્ત્રીઓ એ વખતે પણ આપઘાત કરતી, પણ એનાં કારણો વધારે વજૂદવાળાં હતાં. વાત વાતમાં એ અંતિમ પગલું લેવા ઉશ્કેરાતી નહોતી. એ લોકો આપણા જેટલી સગવડો ભોગવતા નહોતા, પણ જે કાંઈ સગવડો એમને ઉપલબ્ધ હતી તે બરાબર ભોગવવાની ક્ષમતા એમનામાં હતી.

જો જીવનની નાનકડી તકલીફોને આપણે સ્વાભાવિકતાથી સ્વીકારી લેતા નહીં શીખીએ કે જીવનનાં નાનકડાં દુઃખોનો સામનો કરવાનું પણ જો આપણે ટાળતાં રહીશું તો મોટાં દુઃખો સામે ઝઝૂમવાની શક્તિ તો આપણે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકીએ.

આપણે જાણીએ છીએ કે જીવવા માટે જીવમાત્રમાં અમુક પ્રતિકારશક્તિ જરૂરી છે અને એ શક્તિ યોગ્ય માત્રામાં દુઃખનો કે કઠિનાઈઓનો સામનો કર્યા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. એક માણસને જિંદગીનાં પચાસ વર્ષ સુધી કદી સામાન્ય તાવ કે માંદગી આવ્યાં નહોતાં. એક દિવસ ઓચિંતો જ તેને તાવ આવ્યો અને ડોક્ટર નિદાન કરે એ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું. તેની મરણોત્તર તપાસ કરતાં જાણવા મળ્યું કે તેને આવેલ તાવ તો સામાન્ય પ્રકારનો જ હતો, પરંતુ એ માણસમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ જ નહોતી.

મોજમજા પાછળ પડેલા આપણે નાનકડી અડચણો, હાડમારીઓ કે નાની મોટી તકલીફોનો વિચાર કર્યા કરીએ છીએ, પરંતુ જીવનને વધુ માતબર બનાવવા માટેની પ્રતિકાર શક્તિનો વિચાર કરતા નથી.

સુખ મેળવવા માટે માણસે અમુક મુશ્કેલીઓ સહન કરવાનું જરૂરી હોય છે. અમુક દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ એણે કેળવવી પડે છે.

જિંદગીને આપણે સંપૂર્ણ રીતે દુઃખ અને પીડારહિત બનાવવાની કોશિશમાં પડયા છીએ, પરંતુ નવજાત શિશુને જન્મ આપતી માતાએ અમુક દુઃખ સહન કરવું પડે છે અને દરેક બાળકે દરેક મનુષ્યે જન્મ સમયે દુઃખમાંથી પસાર થવું પડે છે. એ દુઃખ એને અસહ્ય લાગે એવું હોય છે, પરંતુ એમાંથી પસાર થયા વિના જીવનના સુખ સુધી એ પહોંચી જ નથી શકતો. અને દરેક નવી પરિસ્થિતિ મનુષ્ય માટે નવો જન્મ હોય છે. દરેક સાચું સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખની કઠિનાઈઓમાંથી તેણે પસાર થવું જ પડે છે.

બાળક બેસતાં શીખે, ચાલતાં શીખે ત્યારે તેના માટે પડવા-આખડવાનું સામાન્ય હોય છે, બલકે અનિવાર્ય હોય છે. તે પડે છે, આખડે છે, છોલાય છે, ઘવાય છે, રડે છે. જીવનમાં પહેલા ડગલાં માંડતી વખતની આ તેની તાલીમ હોય છે. આપણે પડવા આખડવાથી તેનો બચાવ કરવા માટે ચાલણગાડી જેવાં સાધનો તેને આપીએ તો એમાં કશું ખોટું નથી. પીડારહિત પ્રસૂતિ કે સરળતાથી ચાલતા શીખવાની ક્રિયામાં કશું ખોટું નથી. તેમ કરવું જ જોઈએ પણ તેમ કરવાથી પીડાથી દૂર ભાગવાની વૃત્તિ માણસમાં વધારે જોર કરી ન જાય તે પણ જોવું જોઈએ. બધું સરળ અને સહેલું બનાવી દેવાની આપણી ઘેલછા નવી પેઢીને સાવ પાંગળી ન બનાવી દે એ જોવું પણ જરૂરી છે.

આધુનિક મનુષ્યને ઘણું બધું પ્રાપ્ત કરવું છે પણ કસોટીમાંથી પસાર થવું નથી. કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે એના લાભોનો વિચાર કરીએ અને એની સાથેની જવાબદારીનો વિચાર જ ન કરીએ તો એ કેવું? એમાં રહેલી ફરજો અને કસોટીઓનો વિચાર જ ન કરીએ તો કેવું? કસોટીઓ અને ફરજોથી નાસતા રહેવાથી શું વળે? આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક લાભ સાથે એવડી જ જવાબદારી સંકળાયેલી હોય છે અથવા દરેક સુખ સાથે એવડી જ કસોટી જોડાયેલી હોય છે.

કાચી માટીના ઘડામાં પાણી લાંબો સમય રહી શકતું નથી. ઘડો ફસકી જાય છે. જીવનના જામને ધારણ કરવા માટે ઘડાને ટીપાવું પડે છે અને અગ્નિમાં શેકાવું પડે છે. એ એક અનિવાર્યતા છે. એનાથી દૂર ભાગવાનું નિરર્થક છે.

ઘડા જેવું જ લાકડાનું છે. લાકડાનો ઉપયોગ કરતાં પહેલાં એને તડકામાં રાખવું પડે છે. પછી જ તે સિઝન્ડ બને છે.

દિવસે દિવસે, આપણે ‘સીઝનિંગ’ની આ સહજ પ્રક્રિયાથી દૂર નાસી રહ્યા છીએ. દુઃખમાં સામેથી કૂદી પડવાની જરૂર નથી, પરંતુ જે માણસ જીવનનાં સામાન્ય દુઃખોથી નાસતો જ રહે છે એ જીવનને સારી રીતે જીવી શકતો નથી. કેટલાંક દુઃખો આપણી જિંદગીનો જ એક ભાગ હોય છે. એનાથી દૂર ભાગનાર માણસ જિંદગીનો ભાર ઉપાડવા માટે ખમતીધર બની શકતો નથી.

સુખના સાગરમાં સતત મહાલતા રહેવાની એષણા જ માણસને પલાયનવાદી અને પાંગળો બનાવી દે છે. માણસે તો જિંદગીના અનેક તડકાછાંયામાંથી પસાર થવાનું છે, એમાં ક્યારેક ચિંતા વિના, ફરિયાદ વિના, ઉશ્કેરાટ વિના થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
Dec 25,2010

ફાસ્ટ ફોરવર્ડ

‘અઢાર ભાષા આવડતી હોય તો પણ પુરૂષ એમાંની એક પણમાં સ્ત્રીને ના પાડી શકતો નથીં!’
(ડોરોથી પાર્કર)

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

થોડી યારબાઝી

કોલેજોમાં અભ્યાસ કરતાં છોકરાઓ અને છોકરીઓની પોતાની એક ભાષા હોય છે, જેને વિશે મોટી ઉંમરના માણસો અનભિજ્ઞા છે. જો કોઈ પણ વ્યક્તિ કોલેજો સાથે સંકળાયેલી નહીં હોય તો ઘણી વાર એમની ભાષા નહીં સમજે અથવા દૈનિક વ્યવહારની ભાષા કંઈક વિચિત્ર લાગશે. આ ભાષા એક જીવતી ભાષા છે. એમાં શબ્દો આવતા જાય છે. જૂના અથવા રૂઢ થતા જાય છે. ભુલાતા જાય છે. એટલે એ વસ્તુનું નામ જે પ્રથમ યુવા પેઢી કરે અને આપણે એ માટે ગાળો બોલીએ અને પછી આપણે ચૂપચાપ કરવા માંડીએ, જ્યારે આપણને સમજાય કે આપણે ખોટા હતા અને એ લોકો સાચા હતા, બેલ-બોટમ ટ્રાઉઝર્સ હોય કે લાંબા વાળ હોય, આપણને જવાનો જ ફેશન શીખવે છે, બગાડે છે. આપણે બગડવા માટે પણ પોતાનો સમય લઈએ છીએ, અને પછી ચૂપચાપ સિફતથી બગડી જઈએ છીએ!

શબ્દોનું પણ એવું જ છે. ‘લફરાં’ શબ્દ પહેલાં સભ્ય ગણાતો ન હતો. આપણને વાપરતાં હિચકિચાહટ થતી હતી. રમતાં રમતાં એ શબ્દ સંસ્કારી વાતચીતમાં પ્રવેશી ગયો, આપણે પણ નિસંકોચ વાપરતા થઈ ગયા. એ શબ્દ ક્યાંથી આવ્યો એ વિશે કોઈએ સંશોધન કર્યું હોય તો ખબર નથી પણ મને લાગે છે કે મૂળ ફ્રેંચ ‘લ અફેર’ પરથી ‘લા-ફર’ થયું છે અને ક્રમશઃ એ લફરાં બની ગયું. અફેર કોની સાથે થાય એ પણ લફરાનો જ એક પ્રકાર છે. એક અંગ્રેજી ચિત્ર વર્ષો પૂર્વે આવ્યું હતું ‘એન અફેર ટુ રિમેમ્બર’. એના પરથી એક નાના સિનેમા હાઉસની બહાર ગુજરાતીમાં રાખેલું બોર્ડ તથા એનો અનુવાદ વાંચેલાં ‘યાદગીરી કા લફરા’. વ્યુત્પત્તિશાસ્ત્રનું આ જ્ઞાન એ બોર્ડ પરથી મળેલું!

કોલેજની કેન્ટીનોમાં ઘણાં શબ્દો જન્મતા હોય છે. એવો જ એક શબ્દ હતો - ‘મેન!’ મેન બેફામ બોલીમાં વાપરવામાં આવતું. પ્રથમ છોકરાઓ વાપરતા પછી છોકરીઓ પણ આપસની વાતચીતમાં ‘મેન’ વાપરવા માંડી! સાંભળવામાં કંઈક રોમેન્ટિક પણ લાગતું હતું. કોઈ કોલેજની છોકરી જ્યારે આદતના પ્રવાહમાં અને વાતની ગતિમાં ‘મેન’ કહી દેતી ત્યારે જુવાન હોવાનો ખોટો અહસાસ પણ થઈ જતો, આપણી રુચિને માફક હોય તો ખોટી વસ્તુ પણ ગમે છે, સ્વીકાર્ય બની જાય છે. હવે એમાં થોડો ફેરફાર થયો છે. છોકરીઓ મેન તો વાપરે જ છે પણ બીજો શબ્દ જે વિશેષ પ્રચલન પામ્યો છે એ છે - ‘યાર!’ કોલેજમાં વારંવાર આ સંભળાય છે : કમ ઓન યાર! લૂક યાર! હોપ ઈન, યાર! છોકરાઓને યાર શબ્દે એકાએક એક અપનિયત આપી છે. બહુ આત્મીયતા લાગે છે. પણ હવે મેનને સ્થાને આવેલો યાર શબ્દ છોકરીઓમાં પણ આવી ગયો છે - કમ ઓન યાર! યાર શબ્દ ચલણી શબ્દ બન્યો છે. છોકરીઓ કોલેજની માત્ર નહીં, સ્કૂલની ઉચ્ચ વર્ગોની છોકરીઓ પણ એ નિઃસંકોચ સ્વાભાવિક્તાથી વાપરી નાખે છે. એ શબ્દમાં એક બિરાદારીની ખૂશ્બુ છે. યુવા કરવાની બાબતમાં ઘણી ઝડપી છે.

અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી કોલેજમાં ગયેલા વિદ્યાર્થીઓની પોતાની ભાષા છે. બાથરૂમ જવું હોય તો - ‘ટુ-પી’ વપરાય છે. એવો એક શબ્દ છે ‘લુ’. આ શાબ્દિક શોર્ટ હેન્ડ સમજવી જેવા તેવાનું કામ નથી! સંસર્ગમાં રહેતા હોય તો જ સમજાય. જેમ શરાબીઓની મહેફિલમાં એક જુદી તહઝીબી ભાષા વપરાય એવું જ આ છે. ‘બોટમ્સ અપ’ કે ‘વન ફોર ધ રોડ’ કે ‘ચિયર્સ’ વિના પીવું કંઈક જામતું નથી. આ પ્રજા પણ પોતાની અભિવ્યક્તિ માટે પોતાની ભાષા પ્રકટાવી લે છે. ‘સ્ક્વેયર’ અને ‘હિપ’ શબ્દો એમણે જ આપ્યા છે, ‘હેવિંગ અ ડીગ એટ લાઈફ’. અથવા ખુશખુશાલ થઈ ગયા હો તો કહેવાય ‘ટર્નડ ઓન!’ આ ટર્ન ઓન સમજવા માટે એ ઉંમર જોઈએ. તોફાનીમસ્તી માટે કોલેજિયનોમાં એક અન્ય શબ્દ વપરાય છે - ‘ભંકસ’ આની ઉત્પત્તિ, બિન્દાસ શબ્દની જેમ, મરાઠી લાગે છે. ‘ભંકસ કરુ નકા’ એમ વાપરી શકાય. તોફાન નહીં, યાર! યારબાઝીની દુનિયાના આ શબ્દો છે. એવો જ એક શબ્દ છે - ‘રોડા’. એનો અર્થ ‘રાયટ’ અથવા હુલ્લડ. મારામારીને માટે એ વપરાય છે.

હા, મારામારી વિના કોલેજજીવન અપૂર્ણ છે. અને ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે છે - કેટલીક કોલેજો વધારે તોફાની શા માટે હોય છે? સ્વાભાવિક રીતે, કોમર્સ કોલેજો વધારે તોફાની હોય છે. આર્ટ્સ કોલેજોમાં તોફાની તત્ત્વ ઓછું હોય છે. જે તોફાન હોય છે એ જુદા પ્રકારનું હોય છે. પણ કોમર્સ કોલેજમાં છોકરાઓનું પ્રમાણ ૬૪થી ૭૦ ટકા સામાન્યતઃ હોય છે. એ કારણ હશે? કે પછી વાણિજ્ય વિષય અત્યંત અરસિક હોવાને કારણે તોફાનનું કારણ મળી જતું હશે? માત્ર છોકરીઓની કોલેજમાં બિલકુલ તોફાન નહીં થતું હોય? કોઈ પણ છોકરીઓની કોલેજ વિશે આવો અભિપ્રાય એ કોલેજની વિદ્યાર્થિનીઓને ગમતો નથી. આજના જમાનામાં કોઈના વિશે એમ કહીએ કે એનું બિચારાનું લગ્નજીવન એકદમ સુખી છે તો એ બહુ મોડર્ન કે ગમે એવી વાત નથી હોતી. એના જેવી જ આ કંઈક સમસ્યા છે!

અને અંતે એક અત્યંત વિચિત્ર શબ્દ-’બન્ક’ છે. બન્ક એટલે ક્લાસમાં ન જવું, બહાર રખડવું. કોલેજોમાં એક બહુ મોટા સમુદાયની આ પ્રવૃત્તિ હોય છે ક્લાસ ‘બન્ક’ કરવાની. બન્ક કર્યા વિના કોલેજજીવનની મજા પણ શું? પણ અહીં બીજા એક શબ્દ વિશે નિર્દેશ કરવાનો છે અને એ શબ્દ છે ‘બોરિંગ’. આજકાલ આ શબ્દનો ઉપયોગ વધી ગયો છે. ક્લાસ બહુ બોરિંગ છે. પ્રોફેસર ‘બોર’ છે. બોરિંગ શબ્દ એના શબ્દકોશના અર્થની બહાર નીકળી ગયો છે. સવારથી સાંજ સુધી ક્યારેક દરેક લેક્ચરર બોરિંગ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે કોલેજ, અભ્યાસક્રમ, પ્રોફેસર, વર્ગો, લેક્ચરરો બધું જ બોરિંગ હોય છે. ત્યારે કદાચ એક વિચાર થઈ આવે છે, કદાચ આ પેઢીનો પણ દોષ નહીં હોય? વિદ્યાર્થી કોલેજમાં શા માટે આવતો હોય છે? ભણવા. એ એનું પહેલું અને છેલ્લું કર્તવ્ય છે. આવા વિદ્યાર્થીઓ કોલેજો છોડે છે ત્યારે એમને જીવન, પત્ની કે નોકરી કે ધંધો, સંતાનો, મિત્રો બધાં જ બોરિંગ લાગવાનો ભય છે... બોરિંગ એક રોગ બની જાય છે.

સફરનામા - ચંદ્રકાન્ત બક્ષી

શનિવાર, 27 નવેમ્બર, 2010

એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પ્હોંચતા જ પાછું વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને

– મનોજ ખંડેરિયા

સુવાક્ય

આવક પ્રમાણે નહિ,
પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.

– રત્નસુંદરવિજયજી

ઓનબીટ

બુદ્ધિ એક પ્રસાધન (કોસ્મેટિક્સ) છે અને પ્રસાધનનું કામ છે સંતાડવાનું...

- નિત્શે

ગુજરાત સમાચાર ઓફબીટ - અંકિત ત્રિવેદી માંથી

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

સુખ એટલે – મોહમ્મદ માંકડ

સુખની વ્યાખ્યા કોઇ એ આ રીતે આપી છે : “સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા.”

સુખ વિશે આવી માતબર, આવી સુદંર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી કોઇ વસ્તુ હોય તો તે આવી જ કોઇક વસ્તુ હોઇ શકે. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. છતાં જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઉંડો અનુભવ પણ થાય છે એને એ અનુભવ એટલો બધો નક્કર હોય છે કે એના માટે એ ફરી ફરી ને ઝંખ્યા કરે છે.

પરંતુ જેના માટે એ આટલું ઝંખે છે એ સુખ ખરેખર એને કોઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેમ છે ખરું ? તત્વનું ચિંતન કરનારા કેટલાક વિદ્વાનો માને છે – માનવીનું જીવન સંપૂર્ણપણે દુઃખમય જ છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.

બીજી તરફ કેટલાક ચિંતકો માને છે કે , જીવનની દરેક ક્ષણ સુખથી જ ભરેલી હોય છે, પરંતુ માનવી એનો અનુભવ કરવાને બદલે ભુતકાળનાં સ્મરણોમાં અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાઇને વર્તમાનની અમુલ્ય ક્ષણોને વેડફી નાખે છે. એટલે, જે માણસ સંપુર્ણપણે વર્તમાનની ક્ષણોમાં જ જીવે છે તે આનંદ અને સુખનો અનુભવ કરી શકે છે. તેનુ જીવન પુરી રીતે સુખમય હોય છે. જોકે, સામાન્ય રીતે કોઇ પણ માનવી માટે આ રીતે જીવવાનુ શક્ય હોતું નથી. માણસ પોતાના ભૂતકાળની પકડમાંથી અને ભવિષ્યની કલ્પનાઓમાંથી પૂરી રીતે છૂટી શકતો નથી. એટલે સામાન્ય રીતે, સામાન્ય માણસનું જીવન સુખ અને દુઃખની ઘટમાળ જેવું હોય છે.

આવી સ્થિતિમાં તે વધુમાં વધુ સુખ કઇ રીતે પ્રાપ્ત કરી શકે, સુખદુઃખની ઘટમાળમાંથી દુઃખની ક્ષણોને કઇ રીતે ઓછી કરી શકે, સુખની ક્ષણોને કઇ રીતે માણી શકે એજ વિચારવાનુ રહે છે અને એનો વિચાર કરતી વખતે સુખ એ ખરેખર શું છે,કઇ રીતે પ્રાપ્ત થઇ શકે છે, એ બાબતમાં માણસે કઇ રીતે વર્તવુ જોઇએ એનો નિર્દેશ સુખ વિશેની ઉપરની વ્યાખ્યામાં આપેલ છે.

“સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા”

આ નાનકડું વાક્ય સુખ વિશે ઘણી મહત્વની વાતો કહે છે. પહેલું તો સુખ એ પ્રાપ્ત થઇ શકે એવી વસ્તુ છે. પરંતુ એ કોઇ તૈયાર વસ્તુ નથી. તમારે એનુ સર્જન કરવું પડે છે. એનો કાચો માલ- રો મટીરિયલ- તમારી પાસે છે, પરંતુ એ ફૂલોમાંથી ગજરાનું સર્જન તમે કરો ત્યારે જ તમને સુખનો અનુભવ થાય છે અને એ સર્જન તમારે કલાત્મક રીતે કરવાનુ છે. જેટલી કલા તમે તેમાં રેડી શકો એટલું વધુ સુખ, વધુ આનંદ તમે પામી શકો. જાપાનમાં છોકરીઓને ફૂલોની ગોઠવણી શીખવવામાં આવે છે. એ જ રીતે માણસ પણ પોતાની પાસે જે હોય તેને વિવિધ પ્રકારે ગોઠવીને તેમાંથી વિવિધ પ્રકારનો આનંદ માણી શકે છે.

ઉપર્યુક્ત વ્યાખ્યા કહે છે કે, તમારે માત્ર તમારી પાસે જે ફૂલો હોય એની જ ગોઠવણ કરીને સૌંદર્ય ઉત્પન્ન કરવાનું છે અને આનંદ માણવાનો છે. આમાં ‘તમારી પાસે જે ફૂલો હોય’ એ શબ્દો બહુ અર્થસભર છે. એમાંથી મુખ્ય બે વાત આપણે શીખવાની છે. એક તો, આપણી પાસેનાં ‘ફૂલો’ નો જ વિચાર આપણે કરવાનો છે. ફૂલો સિવાય પણ આપણી પાસે ઘણું હોવાનું – કચરો હોવાનો, કાંટા હોવાના- પરંતુ તેનો ઉપયોગ આપણે કરવાનો નથી. આપણે તો માત્ર ફૂલોમાંથી જ ગજરો બનાવવાનો છે. સુખ પામવા માટે આપણે માત્ર, આપણી પાસે જે કાંઇ સારું છે, સુખ ઉત્પન્ન કરી શકે તેવું છે, એને જ અલગ તારવી લેવાનું છે અને એમાંથી જ ગજરો બનાવવાની કોશિશ કરવાની છે. આપણા દુઃખો નો, કડવાશનો, આઘાતોનો વિચાર કર્યા કરવાનો નથી. જો સુખી થવુ હોય તો માત્ર ‘ફૂલો’ નો જ વિચાર કરવાનો છે અને બીજી વાત એ છે કે એ ‘ફૂલો’ પણ ‘તમારી પાસે જે હોય’ એના ઉપર જ મદાર રાખવાનો છે.

સામાન્ય રીતે માણસ પોતાની પાસે જે નથી હોતું એના વિચારો કરીને જ દુઃખી થાય છે. દુઃખની ઉત્પત્તિમાં માણસના મનનું આ વલણ બહુ મોટો ભાગ ભજવે છે. મારી પાસે એક કાર છે, પરંતુ મારા પાડોસી પાસે ત્રણ ચાર કાર છે. મારી પાસે સરસ મકાન છે, પરંતુ મારા ભાગીદાર પાસે બે મકાન છે. પરિણામે હુ દુઃખી છું. મારી કારમાં બેસતી વખતે મારા પાડોશીની સ્થિતિ મને ખટકે છે. મારા રેડિયોગ્રામ પર હું સંગીતનો આનંદ માણી શકતો નથી. મારાં ઘરમાં મને નિરાંત મળતી નથી, કારણ કે બીજાના બે બંગલાનો ભાર મારા હૃદય પર ખડકાઇ જાય છે.

આપણી પાસે સુખી થવા માટે પૂરાં સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ કે ઉપભોગ કરવાને બદલે આપણે બીજાઓ પાસે કેટલું વધારે છે તેનો જ વિચાર કરીએ છીએ અને એ વિચારો આપણું સુખ હરી લે છે.

અને જે પાડોશી, જે સગાંવહાલાં, જે ભાગીદાર વિશે વિચારીને આપણે દુઃખી થતા હોઇએ છીએ એ લોકોને કોઇક બીજી વસ્તુઓની ખોટ પીડા આપતી હોય છે. દરેક માનવી પોતાની પાસે જે નથી હોતું તેના વિચારો કરીને જ દુઃખી થાય છે.

આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જેમાં દરેક માણસ વધુ ને વધુ ઝડપથી દોડી રહ્યો છે. બીજા કરતાં તે આગળ નીકળી જવા માગે છે, પરંતુ પોતે ક્યાં જઇ રહ્યો છે તેની તેને ખબર નથી. જીવનની એવી દોડમાં તે ફસાયો છે, જેમાં દોડ્યા વિના તેને છૂટકો જ નથી. અનેક વસ્તુઓ તે પ્રાપ્ત કરતો જાય છે અને ખડકતો જાય છે – પૈસા, આબરુ, એવૉર્ડ, સુખસગવડનાં સાધનો, પણ એનો ઉપભોગ કરવાની એને નવરાશ નથી. જે કાંઇ એ કરે છે એ દોડતાં દોડતાં જ કરે છે અને ‘દોડ’ ના એક ભાગ રૂપે જ કરે છે. પરિણામે સુખસગવડનાં જે સાધનો – જે ફૂલો – એણે એકઠાં કર્યાં હોય છે એ કરમાતાં જાય છે, વાસી થઇ જાય છે, બેકાર બની જાય છે; એમાંથી કોઇ પુષ્પગુચ્છ સર્જન થઇ શકતું નથી. અને એટલે તેને કોઇ આનંદ, કોઇ સુખ પણ મળી શકતું નથી.

કારણ કે સુખ તો એ ફૂલોમાંથી કલાત્મક રીતે પુષ્પગુચ્છ તૈયાર કરવાની ક્રિયામાં રહેલું છે. સુખ એ કોઇ નિષ્ક્રિય વસ્તુ નથી. એના માટે માણસે પોતે સક્રિય બનવું પડે છે.

‘અન્ના કેરેનીના’ માં ટૉલ્સ્ટૉયે લેવીનના સુખનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે. કિટી સાથેના એના લગ્નની વાત નક્કી થઇ છે અને લેવીન સુખી સુખી થઇ ગયો છે. જ્યાં એ નજર કરે છે ત્યાં સુખ એને ઉભરાતું દેખાય છે. આકાશ વધુ આસમાની બની ગયું છે. પક્ષીઓ વધારે મીઠાશથી ગાય છે. ઘરડો દરવાન એની સામે વધારે પ્રેમથી નજર કરે છે. બધું જ જાણે બદલાઇ ગયું છે. આખી કુદરત ઉપર બધી જગ્યાએ સુખ જાણે છાઇ ગયું છે.

રશિયન ભાષામાં એક કહેવત છે: There is no sickness in man, there is sick man. આ વાત બિમારી કરતાં સુખને વધુ લાગુ પડે છે. માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. આપણા જીવનની અમુક સ્થિતિ ચોક્કસપણે દુઃખદાયક હોય છે. પ્રિયજનનું મૃત્યુ, બિમારી, લગ્નવિચ્છેદ કે પ્રેમવિચ્છેદ, અપમાન, છળકપટ, દગો આપણને સૌને દુઃખ આપે છે; પરંતુ સ્વસ્થ પ્રકૃતિનો માણસ સમય વીતતાં તેમાંથી મુક્ત થઇ શકે છે. બાળક જન્મે છે એ સમયે માતા સાથે એને જોડતી નાળ કાપી નાખવામાં આવે છે. એ ક્રિયા એને અત્યંત પીડા આપે છે. એટલે પીડા સાથે જ માણસ જન્મે છે, છતાં સમય વીતતાં એ પીડા એ ભુલી જાય છે. સુખી થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ પોતાની ભુતકાળની પીડા ભુલી જવી જોઇએ.

સુખ ભુતકાળને યાદ કરવામાં નથી. જે કાંઇ પોતાને મળ્યું નથી એનો અફસોસ કરવો નકામો છે. સુખ ભવિષ્યની યોજનાઓમાં પણ નથી. કારણ કે ભવિષ્ય વિશે કશું જ નક્કી કહી શકાતું નથી. આપણી પાસે જે ન હોય એનો વિચાર કર્યા કરવો અથવા તો એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એમાંથી સુખ મેળવવાની ઇસ્છા કરવી એ નિરર્થક છે. ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા આપણને આપણી પાસે વર્તમાનની જે અમૂલ્ય ક્ષણો છે એનો ઉપભોગ કરતાં રોકે છે. મનનું એવું વલણ જ આપણને દુઃખી કરે છે. જે કાંઇ મેળવવાની ઇચ્છા હોય એ મળે ત્યારે એનો ઉપભોગ કરવાનું વલણ રાખવું ; પણ અત્યારે તો આપણી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની ક્રિયા ચાલુ રાખવી અને એ ક્રિયા કલાત્મક હોવી જોઇએ, અકલાત્મક નહિ. કારણ કે અકલાત્મક – નકારાત્મક ક્રિયાઓ સુખ આપી શકતી નથી અને એક વાત યાદ રાખવા જેવી છે, સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી. કારણ કે જીવન પોતે જ સતત સક્રિય છે.

બુધવાર, 17 નવેમ્બર, 2010

પ્રાર્થના સમર્પણનું સરનામું છે

નવું વર્ષ ઊજવી રહ્યાં છીએ. જુના થઈ ગયેલાઓને આ દિવસો સાજા સમા, તાજા-માજા કરવાના દિવસો છે. આ દિવસો આત્માને ઢંઢોળવાના દિવસો છે. નવા વર્ષને વ્હાલથી વધાવવાના અને પ્રાર્થના કરીને આત્મવિશ્વાસ વધારવાના દિવસો છે. આપણે પણ એ પ્રાર્થનાઓમાં આપણા માણસપણાને મમળાવીએ...
*
જેવો છું એવો આવીને ઊભો છું. ઊભો ઊભો રાહ જોઉં છું તારી. તું આવે તો પ્રતીક્ષા પુરી થશે અને સ્મરણ શરૂ થશે. અને સ્મરણ વચ્ચેના સમયમાં તારું મળવું પાણી પર તરતા દિવડા જેવું ઝલમલ હશે તો ચાલશે... પ્રાર્થના તારા હોવાનું આશ્વાસન છે...
*
સ્તુતિ કે મંત્ર બોલીને તને લજવાનો મહાવરો આ દુનિયાને હસ્તગત છે. હું પણ એમા સામેલ છું. પણ તને કવિતા લખીને ઊજવવો છે. તું મારી પરીક્ષા કરે છે. હું તારી પ્રતિક્ષા કરું છું. આપણો પ્રાસ મળે છે એટલી જ સહજ રીતે શ્વાસ પણ મળે છે. જોને, ધબકારા મારા નામે છે અને એમાં સંભળાય છે તારો અવાજ... એ અવાજ જ પછી કવિતાનો લય બને છે... પ્રાર્થના મારું પળેપળનું ચિંતન-મનન છે...
*
તું વાયદો આપીને ફરી જાય છે ત્યારે મૃત્યુને મઝા પડે છે. વેરાઈ ગયેલી ક્ષણોને ભેગી કરીને મને સોંપવાને બદલે તું વેરણ છેરણ રાખે છે. દુઃખમાં તારું સ્મરણ તીવ્ર હોય છે એ સાચું પણ સુખમાં તારો ઉત્સવ ઊજવીને તારામાં રમમાણ રહું છું એનાથી તો તું પણ વાકેફ છે... પરીઓની કથાઓમાં જે પ્રસંગ વણવાનો બાકી રહી જાય છે એ પછી જીવન બને છે અને પ્રાર્થના અજવાળાનું અનુસંધાન સપ્રમાણ જાળવી રાખે છે. પ્રાપ્તિની ચરમસીમાએ પ્રાર્થનાનો આસ્વાદ આપણો સ્વભાવ બની જાય છે.
નવા વર્ષનો પ્રારંભ કરાવ્યો છે તે! એને કાયમ ઝગમગતું પણ તું જ રાખજે! અમારી નિષ્ફળતાઓ બીજાની સફળતા બને છે. એમાં પણ અમે ખુશ જ છીએ. ઈર્ષા કરનારાઓને અમારી માણસાઈની ખબર નથી! તારી પ્રાર્થનામાંથી અમે આ શિખ્યા છીએ. એ લોકો તારી પ્રાર્થના કરે છે પણ શિખવાનું બાકી રહી ગયું છે. ખાલી માણસ વધારે બોલતો હોય છે. ભરેલો માણસ યોગ્યતા પ્રમાણેનું બોલે છે. તારી પ્રાર્થના અમે બોલવા અને મૌન રહેવાની વચ્ચે શાંત થઈ જવા માટે કરીએ છીએ... અમારી નિખાલસતા અમારી પ્રાર્થના જ છે...
*
પાસે રહેલા બે દિવડાઓનું અજવાળું ઝઘડતું નથી. કે હું વધારે પ્રજ્ળું છે કે તું કેમ વધારે પ્રજળે છે? બે દિવાઓ આવું કરતા હોત તો ઇશ્વરનો જીવ બળતો હોત! માણસો હુંસાતુંસીના વરસાદમાં એકબીજાને કાદવ ઊડાડીને ઘૂળનું સગપણ પાકું કરતા હોય છે! પ્રાર્થના સમર્પણનું સરનામું છે. પ્રાર્થના પ્રેમનું ખ.સ્. છે.
*
તું અમને મળવા આવે ત્યારે અમારી પાસે સમય હોય એવું કરજે! અમે પ્રાર્થનામાં તને સમજાવવા માંગીએ છીએ કે અમે તને મળી શકીએ એટલો સમય અમારા કામમાંથી તું અમને આપજે. અમે અમને મળવા માંગીએ છીએ. અમારે બઘું જ તારી ઉપર થોપી દેવું નથી. કોઈ એવું જે વડીલની જેમ વ્હાલ કરે... મિત્રની જેમ ઉંમર પ્રમાણે પ્રેમ કરે... બાળકની જેમ જીદ કરીને પોતાનો હક્ક બતાવે એવા અમારા અંશને કહેવું છે. અને કહેતા કહેતા થઈ જાય છે પ્રાર્થના... મરજીવા દરિયામાંથી પાછા ફરે ત્યારે હાથમાં મોતી હોવા જ જોઈએ એવું ક્યાં જરૂરી છે. મોતી શોધવાનો આનંદ પણ ચહેરાની ચમકમાં વર્તાય ત્યારે નિસ્બતનો પરચો મળે છે... પ્રાર્થનાનું અંતઃકરણ એ સાચી દિશાનું વાતાવરણ છે.
*
હું એકલો પડવા માંગુ છું. એકલો પડીને સૌની સાથે રહેવા માંગું છું. ઘરની બારીઓએ મને શિખવાડ્યું છે કે આકાશનો ખપ પણ જરૂર પૂરતો જ કરવો. બારણું વાખેલું ન રાખવું, આપણને કહ્યાં વગર કોઈ આવી શકે ત્યારે અધખૂલેલું રાખવું...! સામેવાળાને આપણું બારણું અધખૂલેલું છે એની ખબર ક્યાંથી પડે? એણે પહેલાં તો ઉંબરા સુધી આવવું પડશે. આ ‘આવવું’ ઊત્સવ બની જાય ત્યારે પ્રાર્થના પરમતૃપ્તિનો અહેસાસ બને છે.
*
નવા વર્ષમાં એક જ પ્રાર્થના કરું છું કે મારી પ્રાર્થના માયકાંગલી કે ઓશિયાળી ન હોવી જોઈએ. એમાં તને મળવાનો મીઠો અજંપો હોવો જોઈએ. એમાં ગઝલની ખુમારી હોવી જોઈએ. પંખીઓ જે ભાષા બોલવા માટે સદીઓથી ટહુકા કરે છે એ ભાષા મારી પ્રાર્થનાને આવડવી જોઈએ. મારી પ્રાર્થના વિશ્વના મંગળ માટેના કોરસનો એક અને એકાકાર સ્વર હોવી જોઈએ. ઇશ્વરનો ફોટો હોય છે. આપણી કલ્પનાનું રેખાચિત્ર એમાં ભાગ ભજવે છે. પ્રાર્થનાનો ફોટો તો આપણા હૃદયની શાંતિ છે. પ્રાર્થનામાં તું જડી જ જાય એવું જરૂરી નથી. પ્રાર્થનામાં કોઈને જડવાનું નથી હોતું! આપણા માણસ-પણાને શોધવાનું હોય છે. પ્રાર્થના ટેરવાને ઊગેલી કૂંપળ છે.. શબ્દોમાં નદીઓનું ખળખળ છે... કાનોમાં સંભળાતું ઝળહળ છે... આપણે જેમાં ભીંજાઈ નથી શકતા એ વાદળ છે... પ્રાર્થના જીવનનું અંજળ છે... તારી ગેરહાજરી અમારી પ્રાર્થના બને એ પહેલાં તારું સ્મરણ અમારું વાતાવરણ બને એ જ અમારી ઇચ્છા... ફળિયાના દિવડાઓ રુંવાડા પરની પ્રાર્થના બને પછી તારી સાથે વાત...!

ઓનબીટ

પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી પરવરદિગાર ક્યાં?

- શાહબા

મંગળવાર, 16 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

‘ચંદ્ર સ્ત્રી જેવો છે. એ પૃથ્વીથી આવવું જોઈએ, તેથી વઘુ નજીક આવે છે- અને માણસને દીવાનો બનાવીને દૂર સરકી જાય છે!’
- વિલિયમ શેક્સપીયર

શનિવાર, 13 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

સંવત બદલાય છે,
પણ સંબંધ નહિ !
(સુરેશ કોઠારીની પંક્તિઓ સંગાથે હેપી ન્યુ ઈયર!)

આવો !

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું
તમે ધગધગ ધૂણીના અંગાર:
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

- મકરન્દ દવે

શુક્રવાર, 12 નવેમ્બર, 2010

સુવાક્ય

તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી.
બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.
-હક્સલે

બુધવાર, 10 નવેમ્બર, 2010

બુધવાર, 3 નવેમ્બર, 2010

સંઘર્ષ અને સિદ્ધિનો જીવતો જાગતો મહામાનવ

ઓબામા કહે છે ‘ખૂબ ભણો. ભણવાનો કોઈ વિકલ્પ નથી અને પછી કશું જ ઈમ્પોસિબલ નથી. હંમેશાં ઊંચી પસંદગી જ કરો. નાની વાતથી ઓડકાર ન ખાઈ જાઓ.’

રોશની રુકેગી નહીં
હર અંધેરે કી યાત્રા
રોશની કી તલાશ હૈ
કબ તક રોકોગે ધૂપ
વહ કીસી ભી મોડ સે
દરાર સે, ઝરોખે સે ઝરકર કહીં સે ભી
ભીતર આ જાએગી
કિતની રોકોગે આગ
વહ કીસી ભી કોને સે
કોઈ રાસ્તા ન હોને સે
ગાંવ સે, જમીન સે, મિટી સે, બીજ સે
જંગલ કે બીચ સે, રાખ કી દીવાર ફાડકર
ઉડતી ચલી આએગી

- કવિ ગિરિજાકુમાર માથુર

એક ઉર્દૂ શાયરી છે, હજારો સાલ નરગિસ અપની બેનુરી પર રોતી હૈ, બડી મુશકિલ સે હોતા હૈ, ચમન મેં દીદાવર પૈદા. ઉર્દૂ શાયર ઈકબાલની આ શાયરી ભારતમાં આજકાલમાં આપણા પરોણા બનવાના છે તે મહામાનવ બરાક ઓબામાને લાગુ પડે છે. લગભગ સવા બસો વર્ષના અમેરિકાની ડેમોક્રસીના ઈતિહાસમાં બરાબર બે વર્ષ પહેલાં એક કાળી ચામડીનો માણસ નામે બરાક ઓબામા પ્રમુખ તરીકે ચૂંટાયો. તેને માત્ર દસ મહિનાના શાસનમાં નોબેલ પ્રાઈઝ મળ્યું છે. તમે જો બરાક ઓબામાની જીવનકથા સાંભળો તો તમને શાયર અકબર ઈલાહાબાદીનો શેર યાદ આવશે.

સદમે ઉઠાયે, રંજ સહે, ગાલિયા સુની
લેકિન ન છોડા કૌમ કે ખાદિમને અપનાં કામ

શબ્દશ: બરાક ઓબામાએ ગોરા લોકોની ગાળો સાંભળી છે. ૨૦૦૪માં જ્યારે ઓબામાની મિત્ર અને કોંગ્રેસ વુમન જાન શાકોવસ્કી વ્હાઈટ હાઉસમાં પ્રમુખ જ્યોર્જ બુશને મળવા ગઈ ત્યારે ઓબામા અમેરિકન સેનેટના ઉમેદવાર તરીકે ઊભા હતા. જાન શાકોવસ્કીએ તેનાં ફ્રોક ઉપર ‘ઓબામા’નું પ્રચાર-બટન પહેર્યું હતું. જ્યોર્જ બુશે તે જોઈને કહ્યું ‘ઓસામા બીન લાદેન’ને છાતીએ કેમ લઈને ફરે છે? તો મેડમ જાને કહ્યું ‘ના એ ઓબામા છે-બરાક ઓબામા. તો જ્યોર્જ બુશે કહ્યું કે ‘ના હું તેને જાણતો નથી!’ તદ્દન જુઠ્ઠાડો. પણ મેડમ જાને સંભળાવી દીધું. ‘હા ભલે તમે ઓબામાને જાણતા નથી પણ થોડા વરસોમાં તેને જરૂર જાણશો...’ આજે જ્યોર્જ બુશે ઓબામાનાં ગુણગાન રોજ તેના ઘરે અખબારમાં જોવા પડે છે.

પરંતુ આપણે બરાક ઓબામા માબાપથી ત્યજાઈ ગયેલા અને કાળી ચામડીના માણસ તરીકે લગભગ ‘ઝૂંપડપટ્ટી’માંથી વ્હાઈટ હાઉસ સુધી કેમ પહોંચ્યા તેની સંઘર્ષકથા જો તમે વારંવાર કદાચ સાંભળી હશે તોય ફરી કહેવાની છે. એક પ્રસંગથી વાત શરૂ કરીએ. સ્કૂલના ગોરા છોકરા ઓબામાને ચોકલેટ બતાવતા અને ઓબામા હાથ લંબાવે તો ગોરો છોકરો તેના હાથમાં જીવતો જીંધો (શ્રીમ્પ) પકડાવતા. એક અદી નામના ગોરા મિત્રે જ ઓબામાની ટિંગાટોળી કરી અને નજીકના તળાવના કાદવમાં ખૂબ ખરડ્યા હતા.

આવા ખૂબ અનાદર અને અપમાનોનો ઓબામાએ સામનો કરેલો. પણ બરાક ઓબામા તેને ગાંઠ્યા નહોતા. તેને અફસોસ માત્ર એ વાતનો હતો કે તેને જન્મ દઈને માત્ર થોડા જ વર્ષમાં પિતાએ ત્યજી દીધા. તેના કાળા રંગના પિતા સાથે લગ્ન કરનારી અમેરિકન ગોરી છોકરી હજી ઓબામાના પિતાને પરણી નહોતી તે પહેલાં ગર્ભવતી થઈ. તે ગર્ભમાં બરાક ઓબામા હતા. એ માતાએ પણ ઓબામાના પિતા સાથે લગ્ન કરી છુટાછેડા લઈ બીજા લગ્ન કરીને ઓબામાને થોડો વખત રાખી છોડી દીધા.

માબાપ છતાં ઓબામા માબાપ વગરના બન્યા અને અમેરિકામાં તેના માતૃપક્ષનાં દાદા-દાદી સાથે ઊછર્યા. વિધાતાએ ઓબામાના કિશોરપણા ઉપર એટલો અત્યાચાર કર્યો કે ઓબામાને તરછોડ્યા છતાં ઓબામા તેમનાં માબાપને મળવા ગયા ત્યારે બન્ને યુવાનીમાં જ મરણ પામેલાં.

આમ છતાં ઓબામા ભણતા રહ્યા. ખૂબ વાંચતા રહ્યા. જ્યારે ત્રીજા ધોરણમાં ઓબામા ભણતા હતા ત્યારે ૪૧ વર્ષ પહેલાં સ્કૂલમાં તેમણે એક નિબંધ લખ્યો ત્યારે તેણે લખેલું કે હું એક દિવસ મારા દેશનો પ્રમુખ બનીશ! આટલી લાચાર હાલત, તરછોડાયેલા બાળક જ નહીં પણ સતત કાળી ચામડીના માણસ તરીકે અવહેલના પામેલા બરાક ઓબામા ઊંચી મહત્વાકાંક્ષા રાખતા હતા! ઓબામાના મિત્ર કાકુગાવા કહે છે કે તેને ગોરા છોકરા તિરસ્કારતા હતા તેનો અફસોસ નહોતો.

માતાપિતાએ તેને ત્યજી દીધેલા તે તેના જીવનની મોટી પીડા હતી. ૧૪ની વયે તે સ્કૂલની બાસ્કેટબોલની ટીમના કેપ્ટન થયા અને જીત્યા પણ ખરા પરંતુ ત્યારે પણ તે ગોરી માતાના પુત્ર હતા અને કાળા પિતાના પુત્ર હતા એટલે તે ઘરના કે ઘાટના નહોતા. ભયંકર એકલતા ભોગવતા હતા. આવી માનસિક યંત્રણા થકી ફ્રસ્ટ્રેટ થઈ (નાસીપાસ) થઈ તે શરૂમાં સિગારેટ પીતાં થયા પછી બિયર પીતાં થયા. પછી ગાંજો પીવા માંડ્યા હતા. કમાલ જોઈ લો કે ગાંજા અને કોકેન-ચરસની લતે ચઢેલા ઓબામા વિધાતાની કૃપાથી અને આત્મબળથી વ્યસનમાંથી છુટી ગયા.

નવ વર્ષની વયે ઓબામાએ જોયું કે કાળા રંગની યુવતીઓ જે ગોરાથી તરછોડતી તે બધી અનેક રસાયણો વાપરીને ગોરી થવાના ફોગટ ફાંફાં મારતી હતી. તેની કથા ઓબામાએ પીડાસહિત ‘લાઈફ’ મેગેઝિનમાં લખેલી. ઓબામા મુસ્લિમ પિતાના પુત્ર હતા પણ જુદી જુદી સ્કૂલો બદલી તેમાં મુસ્લિમો જે મોટા ભાગે લગભગ ગોરા હતા તેની સાથે પણ ભળી શકતા નહીં. મુસ્લિમો તેને ક્રિશ્વિયન ગણતા! મુસ્લિમો તેને મુસ્લિમ ગણતા નહીં. ક્રિશ્વિયનો તેને ખ્રિસ્તી ગણતા નહીં. બરાબર છે. તે માનવધર્મી છે.

તમારા જીવનમાં તમે કેટલી સ્કૂલો બદલી છે? ગોરી માતા સાથે થોડો સમય ઈન્ડોનેશિયા રહેલા. ઓબામા ૫ અને ૬ની ઉંમરે હોનોલુલુની કિંડરગાર્ટન સ્કૂલમાં ભણ્યા. તે પછી ઈન્ડોનેશિયાના જાકાર્તાની સંત ફાન્સીસી આસીસી કેથોલિક સ્કૂલમાં ભણ્યા. પાછા હોનોલુલુ આવીને ૧૨મા સુધી અમેરિકન સ્કૂલમાં ભણ્યા. ૧૮ની ઉંમરે ઓકિસડન્ટલ કોલેજમાં (લોસ એન્જલસ) ભણ્યા પછી કોલંબિયા યુનિ. અને છેલ્લે ૧૯૯૧માં હાર્વડ લો કોલેજમાં ભણીને કાયદાના સ્નાતક થયા. આ તમામ કોલેજોમાં તેઓ સ્કોલરશિપ લઈને ભણેલા. બરાક ઓબામા માત્ર કાળા લોકો કે ગોરા લોકોને થતા સામાજિક અન્યાય માટે લડવા જ વકીલ બન્યા હતા.

ઓબામાએ તેની પીડા વ્યક્ત કરી તે તમારામાંથી ઘણાએ અનુભવી હશે. ભાઈ, માબાપ અને ખાસ કરીને પ્રેમી, પ્રેમિકા કે પતિ કે પત્ની તરફથી કોઈ તરછોડાય છે ત્યારે તેને ઓબામાએ વાપરેલાં બે વાક્યો હૈયામાં વાગે છે. ઓબામાએ કહેલું ‘હું ગરીબ હતો. કાળો હતો. તેનો અફસોસ નહોતો. ‘ઈટ વોઝ માય કવેસ્ટ ટુ બીલોંગ.’ હું કોઈનો નહોતો. મારું પોતાનું આત્મીય કહેવાય તેવું કોઈ નહોતું. મિશેલ રોબિન્સનને પરણ્યા ત્યારે તેને લાગ્યું કે જગતમાં નિયંતાએ તેને એક ચાહનારું પાત્ર આપ્યું છે.

નાઉ આઈ બીલોંગ ટુ મિશેલ. ‘એન્ડ અલ્ટિમેટલી ઓન ફિફ્થ નવેમ્બર ૨૦૦૮’ના દિવસે આખા અમેરિકાનો પ્રમુખ બન્યા અને અમેરિકાના વિરાટ લશ્કરનો કમાન્ડર ઈન ચીફ બન્યા, પણ એ પહેલાં તેમણે અનેક અપમાનો સહન કરેલાં. કદાચ તેમણે પંજાબી કવિ ‘પાશ’ની (અવતાર સિંઘ સંધુ) શાયરી વાંચી હશે:

તુફાન કભી માત નહીં ખાતે
તુફાન કા દમ કભી ભી તૂટતા નહીં
વહ ઉમસ (ઉમંગ-શક્તિ) બહુત ગહરી થી
જહાં એ તુફાનને જનમ લિયા

એક નાનકડી વાત છે પણ મજેદાર છે. પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઓબામા ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ૨૦૦૮માં તે સિગારેટ પીતા હતા. ઘણા લોકોએ તેને સિગારેટ છોડવા કહ્યું. કારણ કે અમેરિકન યુવા પ્રજાને સિગારેટ પીનારો પ્રમુખ કદાચ ખપે નહીં. ઓબામાએ સ્વીકાર કર્યો કે તેણે યુવાનીમાં સિગારેટ છોડવા ખૂબ જ મહેનત કરી, પણ પછી પત્ની મિશેલએ શરત કરી કે પ્રમુખપદની આખરી ચૂંટણી વખતે તેણે સિગારેટ છોડવી જ પડશે. ઓબામાએ વચન આપ્યું કે વ્હાઈટ હાઉસ પહોંચતા પહેલાં હું સિગારેટ છોડી દઈશ. જોકે ઓબામા કદી જ હેવી સ્મોકર નહોતા.

સિગારેટ છોડવા ‘નિકોરેટ’ નામની બનાવટી તમાકુયુક્ત દવા પણ લેતાં. આખરે તેણે ધૂમ્રપાન વિરુદ્ધ ભાષણ આપવાનું થયું. તેમાં જણાવવાનું હતું કે અમેરિકામાં દર વર્ષે ૪ લાખ અમેરિકનો ધૂમ્રપાન થકી થતાં રોગથી મરે છે. તે ભાષણ આપતા પહેલાં સિગારેટ છોડી.આજે પણ અમેરિકામાં દરરોજ (૨૪ કલાક) ૧૦૦૦ ટીનેજરો નવા સ્મોકર થાય છે અને ૮૦ લાખ અમેરિકનો ધૂમ્રપાન થકી રોગમાં જીવે છે.

આ નાનકડી ટેવને માફ કરો તો બરાક ઓબામા જીવનનાં સંઘર્ષમાંથી ઘણા ગુણો કેળવી શક્યા. તેમની સહિષ્ણુતા અપરંપાર છે. કોઈ પણ મુશ્કેલ હાલતમાં જીવવાની ટેવ છે. તેમની ચૂંટણી દરમિયાન ઘણા તેમને ઈશુનો અવતાર-મસીહા પણ કહેતા. પરંતુ ઓબામાને તો એક સામાન્ય માણસ તરીકે હજી પણ જીવવું છે. સામાન્ય બનીને એપ્રિલ ૨૦૦૯માં પ્રમુખ તરીકે લંડન ગયા ત્યારે તેમના સિનિયર સલાહકારને બોલાવીને કહ્યું આ પ્રમુખપદની સિક્યુરિટી અને ઈંગ્લેંડની રાણીનું માનપાન એ બધાથી હું કંટાળ્યો છું.

ચાલો, આપણે સિક્યુરિટી સર્વિસથી છટકીને લંડનની ગરીબ માણસોની ગલીઓમાં જઈએ! લાખ વાતો છે જેનાં ગાડાં ભરાય તેમ છે પણ દિવ્ય ભાસ્કરના યુવા વાચકો બરાક ઓબામાનાં થોડાંક જીવનસૂત્રો સાંભળો (૧) ડ્રીમ બિગ-હંમેશાં ઊંચા સપનાં રાખો. મેં બચપણમાં પ્રમુખ થવા ઈચ્છેલું (૨) રોડ્ઝ ડોન્ટ ડિફાઈન ડેસ્ટિનેશન-અર્થાત્ તમારી સામેના ખરબચડા રસ્તાને પાર કરી જાઓ. ખાડા, ટેકરા-અવરોધોને ગાંઠો નહીં (૩) ખૂબ ભણો. ભણવાનો કોઈ વિકલ્પ નથી અને પછી કશું જ ઈમ્પોસિબલ નથી. હંમેશાં ઊંચી પસંદગી જ કરો. નાની વાતથી ઓડકાર ન ખાઈ જાઓ.

દિવ્ય ભાસ્કર તા ૩૧/૧૦/૨૦૧૦
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,


બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા ?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઇ ઝંખનામાં ?
લઇ રૂપ મનનું આમ પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહીને વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.


- અશોકપુરી ગોસ્વામી

મંગળવાર, 2 નવેમ્બર, 2010

રોજ એવું થાય, એવું થાય કે

રોજ એવું થાય, એવું થાય કે

આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું

પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજજાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું

કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ
રોમેરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું... બસ ફરફરું

ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
માર નીડમાં
ક્યારે ય ના પાછો ફરું

- રમેશ પારેખ

આખા ને આખા માણસની કેળવણી

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.

એક જમાનામાં ચરખા પર સૂતર કંતાતું હતું. આજે ઘટમાળના ચરખા પર માણસ કંતાઈ રહ્યો છે. વ્યક્તિત્વના ટુકડા પડવા લાગે ત્યારે માણસ છિન્નભિન્ન થઈ જાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ‘ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા’ યુદ્ધ, પ્રદૂષણ અને ત્રાસવાદ દ્વારા માનવજાતને પજવી રહ્યા છે. દુનિયા આજે એવી કેળવણીની શોધમાં છે, જે ખંડિતને અખંડિત બનાવે, જે પૃથકને અખિલ બનાવે અને જે તૂટેલું હોય એને જોડી આપે. આજની કેળવણી કેવળ મસ્તિષ્કને ધ્યાનમાં રાખનારી છે. કેળવણીમાં અખિલાઈની આરાધના થવી જોઈએ. ગાંધીજીએ જીવનનાં અલગ ખાનાં નહોતાં પાડ્યાં. ડૉ. ઝાકિર હુસેને પોતાના રિપોર્ટમાં નઈ તાલીમને ‘સમગ્ર વ્યક્તિત્વની સાક્ષરતા’ (લિટરસી ઑફ ધ હોલ પર્સનાલિટી) તરીકે પ્રમાણી હતી. ગાંધીજીએ નઈ તાલીમને પોતાના જીવનની ‘સર્વોત્તમ ભેટ’ તરીકે ઓળખાવેલી. જીવન અને શિક્ષણ વચ્ચેના છૂટાછેડા આજની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં છે. ગ્રીક પુરાણકથામાં અડધા અશ્વ અને અડધા માનવ એવા અશ્વમાનવ (હયવદન યાને સેન્ટોર)નો ઉલ્લેખ થયો છે. આજના યંત્રારૂઢ માનવી પાસે અશ્વનું શરીર છે અને માનવીનું ડોકું છે. યંત્ર માનવવત થતું જાય છે અને માનવ યંત્રવત થતો જાય છે.

નઈ તાલીમનું ગુરુત્વમધ્યબિંદુ રેંટિયો નથી, પણ સત્ય છે. રેંટિયો ઉપકરણ છે અને આદરણીય ઉપકરણ છે. ગમે તેટલું ઉપકારક હોય તોય કોઈ ઉપકરણ શાશ્વત ન હોઈ શકે. અમુક સદીમાં એ યુગાનુકૂલ હોઈ શકે છે. સત્ય સ્વભાવે શાશ્વત છે. ગાંધીજી અમર છે કારણ કે એમને સત્યનો સથવારો હતો. શું બુનિયાદી નિશાળનો શિક્ષક મહાત્મા બની શકે ? ભલે ન બને. એનાથી જૂઠું બોલાઈ જાય ત્યારે જો એને આખો દિવસ ખટકો રહે તો પણ બસ છે. ભૂલ તો સૌ કરે છે, પરંતુ ભૂલ થઈ જાય પછીનો ખટકો બડો મૂલ્યવાન છે. ગાંધીજી જેવા સત્યવાદી ન બનાય તો તે ક્ષમ્ય છે, પરંતુ શિક્ષકને જો ‘ખટકોદીક્ષા’ પ્રાપ્ત થાય તો એનો પ્રભાવ પડશે. કવિ સુન્દરમની ક્ષમાયાચના સાથે શિક્ષકે કહેવાનું છે : ‘હું શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !’

વર્ગખંડમાં આખો ને આખો શિક્ષક પ્રવેશે છે ખરો ? કે પછી એના વ્યક્તિત્વનો એકાદ ટુકડો જ વર્ગખંડમાં પ્રવેશે છે ? બાળકો તો આખા ને આખા બેઠા છે ! જે ખંડિત હોય તેનો પ્રભાવ અખંડિત પર શી રીતે પડે ? કોઈ શિક્ષક પ્રશ્નપત્ર ફોડી શકે ? જે કામ માટે આપણને પગાર મળે છે તે કામ પૂરી નિષ્ઠાથી કરવું એ તો સાવ નોર્મલ બાબત ગણાય. કામચોરી એટલે જ દાણચોરી અને દાણચોરી એટલે જ દિલચોરી ! આપણે ગાંધીજી નથી બનવાનું. આપણે જે ‘છીએ’ તે જ બનવાનું છે. બધું જ ફરજિયાત હોય એવી બુનિયાદી નિશાળ પણ આદર્શ જેલ બની શકે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણના આધારે ટકેલી છે. કેળવણી શિક્ષક પ્રત્યેના આદરણીય આકર્ષણ પર નભેલી છે. એ આકર્ષણ દિવ્ય છે. રાજાજીએ કહેલું કે શિક્ષણ તો ‘ચેતનાની ખેતી’ છે. નિષ્પ્રાણ કે મંદપ્રાણ શિક્ષક સમાજનો શત્રુ છે. નિશાળ તો ‘ગ્રામમાતા’ છે. સ્મિત ગુમાવી બેઠેલો નિર્જીવ શિક્ષક ચેતનાની ખેતી કરી શકે ? સ્મિતનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જાણવું કે કોઈ આદર્શ આપણા સહજ, નિર્મળ આનંદને કચડી રહ્યો છે. સાચા શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી અંદરથી રહસ્યમય ખેંચાણ અનુભવે છે.

વર્ષો પહેલાં આચાર્ય કૃપાલાનીએ ‘બેઝિક એજ્યુકેશન : ધ લેટેસ્ટ ફેડ’ પુસ્તક લખેલું. એના મુખપૃષ્ઠ પર ટ્રેક્ટરની પાછળ દોડતા બળદનું ઠઠ્ઠાચિત્ર હતું. પુસ્તકમાં કૃપાલાનીજીએ કેળવણીમાં થતા ‘શબ્દોના જુલમ’ની વાત કરેલી. આજના માહિતીપ્રધાન શિક્ષણે એ જુલમમાં વધારો કર્યો તેથી પ્રતિક્રિયા રૂપે નવું સૂત્ર વહેતું થયું : ‘ભાર વગરનું ભણતર.’ માહિતી એ જ્ઞાન નથી અને જ્ઞાન એ શાણપણ નથી. ઈન્ટરનેટ શાણપણ ન આપી શકે. શાણપણનો સંબંધ ‘અંતરનેટ’ સાથે છે. ગુરુદેવે પ્રાર્થના કરી હતી : ‘અંતર મમ વિકસિત કરો.’ હૃદયની કેળવણી એ જ તો કેળવણીનું હૃદય છે. આજે શિક્ષણમાંથી હૃદયની બાદબાકી થઈ ગઈ છે. સન 1912માં મેડમ મેરિયા મોન્ટેસોરીએ કલાકો સુધી વર્ગમાં પાટલી પર ચોંટી રહેતાં નાનાં બાળકોને ‘ટાંકણી પર ટિંગાડી રાખેલાં પતંગિયાં.’ સાથે સરખાવેલાં. નિશાળો રળિયામણી બને તો જ શિક્ષણ આનંદમય બને. બધું જ્યાં ફરજિયાત હોય ત્યાંથી આનંદ ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સામ્યવાદી સમાજોમાં ચાલતી નિશાળોમાં કાર્લમાર્કસ વિદ્યાર્થીઓના માથા પર ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવતો. બધા વિષયોના અભ્યાસક્રમમાં માર્કસને પરાણે ઘુસાડી દેવામાં આવતો. આવું મહાત્મા ગાંધી માટે કરવાનું જરૂરી નથી. ગાંધીની સુગંધ આપણા પ્રચારની ઓશિયાળી નથી. લોકો વાતવાતમાં પૂછે છે : ‘એકવીસમી સદીમાં ખાદીનું ભવિષ્ય શું ?’ મારો જવાબ છે : ‘એકવીસમી સદીમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સાઈકલનું ઉત્પાદન વધ્યું તેનું કારણ શું ? તમે મહુડી જાવ તો ત્યાં મળતી ગરમ ગરમ ગોળપાપડી જરૂર ખાજો. શું ચોકલેટના આક્રમણ સામે આરોગ્યદાયિની ગોળપાપડી ટકી શકશે ? શું કોકાકોલાના આક્રમણ સામે છાશ ટકી શકશે ? શું એટમિક રીએક્ટર સામે ગોબરગેસ ટકી શકશે ? હા, જરૂર ટકી શકશે. એલોપથીની સાથેસાથ આયુર્વેદનો વ્યાપ પશ્ચિમના દેશોમાં ખાસો વધ્યો છે. ઈસબગૂલ, હરડે અને આમળાનું મહત્વ વધતું જ રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ વધે તેની સાથોસાથ ધ્યાન અને યોગના ઉપકારો ઝટ સમજાય છે. ખાદી ફરજિયાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સમક્ષ ખાદીનું ઈકોલોજીકલ સૌંદર્ય પ્રગટ થાય તો ખાદી પહેરવાનું કહેવું જ ન પડે. ગાંધીજીના જીવનમાં એટલાં તો આકર્ષક તત્વો પડેલાં છે કે નવી પેઢી એમના પ્રત્યે જરૂર ખેંચાય. ગાંધીજી પ્રભાવશાળી ન હતા, એમની સત્યસાધના પ્રભાવશાળી હતી. જૂઠનો જથ્થો ઘટે તો જ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય. માર્કેટ અને મેનેજમેન્ટના પાયામાં પણ જૂઠ હોય તે ન ચાલે. વકીલાતમાં પણ જૂઠ ન ચાલે. રાજકારણમાં પણ અસત્યની બોલબાલા હોય તે ન ચાલે. શિક્ષણમાં તો જૂઠ ટકી જ ન શકે. માણસે મહાત્મા નથી બનવાનું. માણસે ‘માણસ’ બનવાનું છે. માણસના ટુકડા પડે તે યોગ્ય નથી. શિક્ષણ એટલે અખિલાઈની આરાધના.


– ગુણવંત શાહ

રવિવાર, 31 ઑક્ટોબર, 2010

શુક્રવાર, 29 ઑક્ટોબર, 2010

તમારે સુખ ખરીદવું છે?



જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.
-અમૃત ઘાયલ


સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત? નાનું સુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોત? સુખની પણ સિઝન હોત? ફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેક સીઝનમાં સુખના દામ ઘટતાં હોત? સુખનું પણ સેલ નીકળત? અમારે ત્યાંથી સુખ ખરીદનાર વ્યક્તિને એક સુખ સાથે બીજું સુખ મફત મળશે, એવી જાહેરાતો થતી હોત?

જો આવું હોત તો? તો લોકો સુખના પ્રાઈઝ ટેગ જોતાં હોત! પછી ભાવ જોઈને કહેત કે, ના ના, આ સુખ આપણને પોસાય તેવું નથી. ભાવ જોઈને સુખી થવાને બદલે દુ:ખી થાત! અરછા, માણસ પોતાના દુ:ખ વેચી શકતા હોત? મારું દુ:ખ લઈ લ્યો તો તમને આટલા રુપિયા આપીશ! દુ:ખ ખરીદનારાં લોકો મન ફાવે એવા ભાવ પડાવત? અને દુ:ખ ખરીદીને મળતાં રુપિયાથી એ લોકો સુખી થઈ જાત?

દુ:ખ વેચી શકાતું હોત તો તમારું કયું દુ:ખ વેચવા કાઢત? સુખ અને દુ:ખના ધંધા પણ મોલમાં ચાલતાં હોત? સુખ અને દુ:ખના પણ સેન્સેક્સ હોત? સુખ અને દુ:ખના ભાવમાં પણ સોના-ચાંદીની જેમ દરરોજ ચડાવ-ઉતાર આવતો હોત? સુખ ખરીદવું પડતું હોત તો આપણે કેટલા દુ:ખી હોત?

ઝરણાંનું દ્રશ્ય અને ખળખળ ઘ્વનિનો ભાવ શું હોત? કોયલનો અવાજ સાંભળવાનો પણ રીંગટોનની જેમ ચાર્જ થતો હોત તો? પ્રેમ કરવાના પૈસા ચૂકવવાના થાય તો? સ્પર્શનો ખર્ચ કેટલો થાત? ટેરવું અડાડો તો એક રુપિયો અને પાંચેય આંગળીથી સ્પર્શ કરો તો પાંચ રુપિયા? હસવું પણ ચાર્જેબલ હોત! સ્મિત કરવાનો ભાવ જુદો, હાસ્ય રેલાવવાના દર અલગ અને ખડખડાટ હસવાના રેઈટ પણ જુદા!

સંપતિથી સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં. એરકન્ડીશનર ખરીદી શકો પણ એસી બેડરુમમાં ઊઘ આવશે જ એવી કોઈ ગેરન્ટી નથી. સમજવા જેવી વાત એ જ છે કે, એરકન્ડીશન એ સુખ નથી પણ ઊઘ એ સુખ છે. ઊઘ ચાર્જેબલ નથી. ઊઘનું જેને સુખ નથી એ લોકોને ઊઘની ગોળીઓ ખરીદીને ઊઘ ખરીદવી પડે છે.

ગોળીઓથી આવતી ઊઘ એ સુખ નથી, કારણ કે સુખ નેચરલ હોય છે. કુદરત કેટલી સારી છે કે નેચરલ સુખ આપતી દરેક ચીજ- વસ્તુ એ આપણને કોઈ ચાર્જ વગર આપે છે. સૂર્યના તેજ અને ચાંદનીના પ્રકાશનું લાઈટબીલ જેવું બીલ આવતું નથી. બાથરૂમમાં શાવર નખાવવો મોંઘો પડે છે અને વરસાદ તદ્દન વિનામૂલ્યે મળે છે.

કુદરતને જો ધંધો જ કરવો હોત તો એ આપણી પાસે ચાલવાનો, દોડવાનો, નાચવાનો, ગાવાનો અને ઝૂમવાનો પણ ચાર્જ લઈ શકતી હોત! કુદરત બધો જ આનંદ સાવ મફતમાં આપતી હોવા છતાં કંઈ દુ:ખ પડે એટલે આપણે તેને મનોમન કોસતા હોઈએ છીએ! એક માણસ રોજ સવારે મંદિરે જાય.
ભગવાનની સામે હાથ જોડીને પોતાની ડીમાન્ડ મૂકે, ‘હે ભગવાન! એક સારી નોકરી કે નાનકડો ધંધો, એક સરસ ઘર, કાર, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન...’ એની ઇચ્છા ક્યારેય પૂરી જ ન થતી. ધીમે ધીમે એ ભગવાન સામે જ ફરિયાદો કરવા લાગ્યો. ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી. મારે જે જોઈએ છે એ મને આપતા નથી. ભગવાન આખી દુનિયામાં મને જ અન્યાય કરે છે.

એક વખત એ માણસને એક સાધુ મળ્યા. સાધુ પાસે એ માણસે ભગવાનની ફરિયાદ કરી કે ભગવાન મારું સાંભળતા નથી. સાધુ ખડખડાટ હસવા લાગ્યા. માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે, હવે તું મારા એક સવાલનો જવાબ આપ. ભગવાને તને જે આપ્યું છે એ તે માગ્યું હતું?
આપણે કોઈ દિવસ વિચારીએ છીએ કે આપણી પાસે જે કંઈ છે અને ભગવાને આપણને જે આપ્યું છે એ બધુ આપણે માગ્યું હતું? તેનો જવાબ ના જ હશે. આપણને ભગવાને આપ્યું છે એનાથી સંતોષ નથી એટલે આપણે તેની પાસે કાયમ માગ માગ જ કરતાં રહીએ છીએ. તેનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણી જાતને કાયમ દુ:ખી જ સમજતાં રહીએ છીએ.

ભગવાન કહે છે કે, મેં તો માણસને માત્રને માત્ર સુખ જ આપ્યું છે. દુ:ખ તો માણસે પોતે પેદા કર્યું છે. સુખ માટે માણસ ચોરી કરે, પકડાય અને જેલમાં જાય પછી જેલના દુ:ખ માટે મને અને પોતાના નસીબને દોષ દે એ કેટલું વાજબી છે? સારું છે કે ભગવાન આપણી સાથે દલીલ કરવા આપણી સામે નથી આવતો, નહીંતર આપણે કદાચ તેના સવાલોના એકેય સાચા જવાબ ન આપી શકત! માણસ મોટા ભાગે પોતાના દુ:ખ પોતાની જાતે જ ઊભા કરતો હોય છે. અને હા, સુખનું પણ એવું જ છે. તમારે સુખી, મજામાં અને હસતાં રહેવું હોય તો કોઈની ત્રેવડ નથી કે તમને દુ:ખી કરી શકે.

સુખના કોઈ ભાવ નથી છતાં સુખ સસ્તું નથી. કારણ કે સુખને માણવા માટે સુખને સમજવું પડે છે. આપણે બધા જ ખૂબ સુખી છીએ, સવાલ માત્ર એટલો છે કે આપણે આપણી જાતે સુખી સમજીએ છીએ? ચલો થોડુંક હસો તો! હસ્યા? કંઈ ખર્ચ થયો? નહીંને? તો પછી હસતા રહોને! દરેક સુખનું આવું જ છે, સુખની નજીક જાવ, સુખ તો તમારી પડખે જ છે!‘

છેલ્લો સીન:
જેની પાસે ફકત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.
-એડવિન યુગ

કૃષ્ણકાંત ઉનડકટ ની કોલમ"ચિંતનની પળે"માંથી સાભાર
દિવ્ય ભાસ્કર તા ૦૩ મે ૨૦૧૦

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2010

નજરેં બદલ ગઈ…

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : 'આ બધાં નિશાન તમે લીધા છે ?' આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, 'તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?'
યુવાને કહ્યું, 'ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.'
જનરલે કહ્યું : 'હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.' માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.
વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : 'થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.' હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.
મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?
પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, 'એલા, શું સપનું જોતો હતો ?'
મથુર કહે : 'તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.'
મેં કહ્યું : 'હાલ ફરવા.'
મથુર કહે : 'ના, મારે નથી ફરવું. તું જઈ આવ.' આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.
હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. 'ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.' દા.ત. વ્યાયામ. 'ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.' દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.'
You can make your living by what you earn,
But you can make your life by what you give.
'જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.'
આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. 'જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.' 'ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.' આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, 'ચાલો ભિખુ, ચાલો.'
હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.
હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, 'ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?' મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, 'સંઘર્ષ શક્ય નથી.'
પાછળ કાકીએ મને કહ્યું, 'ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.' મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : 'અજ્ઞાનીના ઓરતા ન હોય.'
હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?
ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.
જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, 'સાહેબ, એક અડધી ચા પાવ.' હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : 'ચા સાથે નાસ્તો કરશો ?'
એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?
હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, 'મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.' ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, 'ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.'
ભિક્ષુક કહે, 'સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.'
મેં કહ્યું, 'ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.'
ભિક્ષુક કહે, 'કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?'
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, 'જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?'

– શાહબુદ્દીન રાઠોડ

પરિપક્વતા

કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે ૧૬/૧૦/૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન
પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......

હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.

ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.

યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન'તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.

- વિપિન પરીખ

બુધવાર, 27 ઑક્ટોબર, 2010

સૂફી ક્થા

બોખારા નામનો એક શ્રીમંત અને ઉદાર માણસ.અદૃશ્ય સૃષ્ટિમાં પણ એની હકૂમત ચાલે એવો. જીવનનો સાર પામી ચૂકેલો. જાણે સમગ્ર વિશ્વનો પ્રમુખ હોય એમ પ્રસિદ્ધિ પામેલો. રોજ ને રોજ એ સોનું આપે, અમુક પ્રકારન જ માણસોને. કોઇ માંદું હોય, કોઇ વિધવા હોય, કોઇને અપાર દુ:ખ હોય, પણ એની શરત એકમાત્ર એ કે કોઇએ માગવાનું નહીં અને મોઢું ખોલવાનું નહીં.You have to keep your mouth shut.

એક દિવસ વકીલોનો વારો આવ્યો. એક વકીલ પોતાની જાતને અને વાતને રોકી શક્યો નહીં અને એણે શક્ય એટલી પૂર્ણ અરજી ઘડી કાઢી. એની અરજી અને બોખારોની નામરજી. એને કશું આપવામાં આવ્યું નહીં.

વકીલ પણ હારે એવો નહોતો. એણે પ્રયત્ન છોડ્યા નહીં. બીજે દિવસે અપંગોને સોનું આપવાનું હતું. એણે એવો દેખાવ કર્યો કે એ પોતે અપંગ છે. બોખારા પામી ગયા કે આ ઢોંગ છે. ન આપ્યું કશું. વકીલ ત્રીજે દિવસે સ્ત્રી હોય એમ બુરખો ઓઢીને આવ્યા, પણ કાંઇ ન વળ્યું.છેવટે વકીલે ડાઘુઓ શોધી કાઢ્યા. એણે શબનું સ્વરૂપ લીધું. કેમ જાણે એને દાટવાનો ન હોય એ રીતે એને ઊંચકીને લઇ જતા હોય એવો દેખાવ કર્યો. ડાઘુઓને કહ્યું હતું કે મને જે કાંઇ મળશે તેમાંથી ભાગ આપીશ.

કફન ઓઢાડેલું એનું શબ બોખારા પાસેથી પસાર થયું. બોખારાએ સુવર્ણમહોર ફેંકી. વકીલને થયું કે આ ડાઘુઓમાંથી કોઇક આ સુવર્ણમહોર લઇ લેશે એટલે ભયમાં ને ભયમાં પોતાનો હાથ બહાર કાઢ્યો અને પછી એણે બોખારાને કહ્યું કે જુઓ અત્યાર સુધી તમે મને કશું જ નહોતા આપતા અને છેવટે મેં સુવર્ણમહોર મેળવી. બોખારાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તને મારી પાસેથી કશું ન મળે.માણસે મરતાં પહેલાં મરવું જોઇએ અને મરણ પછી જ સોગાત મળે અને મરણ પણ મદદ વિના મળતું નથી.દેખીતીરીતે આ કથા માત્ર આટલી જ છે.

રજનીશજી આ કથાને બહેલાવીને દોહરાવીને કહે છે. બોલ્યા વિના રહે એ વકીલ નહીં. કાવાદાવા ન કરે તો એ વકીલ નહીં. પહેલાં જ વાક્યમાં એ કટાક્ષ કરે છે. કહે છે કે શ્રીમંત અને ઉદાર માણસ બંને સાથે ન હોઇ શકે. શ્રીમંતો જેટલા લોભી કોઇ નથી હોતા અને માણસો ઉદાર રહે તો શ્રીમંતો થઇ નથી શકતા. વચ્ચે વચ્ચે કોઇ દૃષ્ટાંતો પણ ક્યારેક આપતા જાય. ક્યાંક એમણે દૃષ્ટાંત આપ્યું કે ચીનમાં એક સ્પર્ધા હતી. સ્પર્ધાનો વિષય હ્તો કે કોઇ પણ માણસ માન્યામાં ન આવે એવી વિચિત્ર વાત કહે એને મસમોટું ઇનામ મળે. એક માણસે કહ્યું કે એક બાગમાં એક બાંકડા પર બે સ્ત્રીઓ બેઠી હતી અને કલાકો સુધી કશું જ બોલી નહી .આવું કહેનારને ઇનામ મળ્યું. કારણકે એક બાંકડા પર બે સ્ત્રીઓ બેસે તે વિચિત્ર ઘટના છે અને બેસે તો બોલે નહીં તે માન્યામાં ન આવે તેવી વાત છે.

પણ આપણે મૂળકથા તર્ફ જઇએ. છેલ્લે વકીલ મરે છે કહો કે મરવાનો ઢોંગ કરે છે. આવાતને રજનીશજી કહે છે, કે મરણ તો તમારા અહમ્ નું થવું જોઇએ.

અહમ્ નું મરણ થાય તો જ સર્વસમર્પણ શક્ય છે. સર્વસમર્પણ એ બીજું કશું જ નથી પણ તમારું મરણ છે. તમારે માટે સોગાત તો તૈયાર જ છે. આ સોગાત તમારી પોતાની છે પણ એ પ્રાપ્ત ત્યારે થાય, જ્યારે તમે તમારું સારસર્વસ્વ સોંપી દો. તો જ તમે તમને પામી શકશો. તમારું મરણ—તમારું સર્વસમર્પણ એ તમારા નવા જન્મનું બીજ છે અને આ બીજમાંથી જ ચૈતન્યનો વિકાસ થશે. કુંઠિત થયેલી ચેતના કશું પામી શકતી નથી. જેની સંવેદનાને લકવો થયો છે એની બાથમાં જિંદગીનો પડછાયો આવશે, ખુદ જિંદગી કદી નહીં આવે.


ઓશોનું જીવનદર્શન/સુરેશ દલાલ/ઇમેજ/પાના:19 થી 22

સોમવાર, 25 ઑક્ટોબર, 2010

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

ધ સ્ટોરી

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?

બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે.

સમજી ગયો મારી માવડી! આપણી ખૂંધમાં પાણીનો સંગ્રહ થાય જેથી આપણે રણમાં રહી શકીએ, લાંબા અને ગોળ પંજાવાળા પગથી આપણે રણમાં ચાલી શકીએ અને લાંબી પાંપણો આપણું રણની રેતી અને પવનથી રક્ષણ કરે. આટલી વાત તો હું સમજી ગયો, પણ મા એક વાત મને ન સમજાણી…

કઇ બેટા?

તો પછી આપણે અહીં શહેરના પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ?

મોરલ ઓફ ધ સ્ટોરી: આવડત, જ્ઞાન અને અનુભવ ત્યારે જ કામના છે જ્યારે આપ યોગ્ય જગ્યાએ હો!

સુવાક્ય

(૧) કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.


(૨) કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ।

(૩) જે માણસ બૂરું કામ કરે છે, છતાં તે બહાર પડી જાય તેથી ડરે છે – તેની બુરાઈમાં પણ હજુ સારપનો અંશ છે પરંતુ જે સારું કામ કરે છે, પણ તે ચોમેર જાણીતું થાય તે માટે આતુર રહે છે – તેની તો સારપમાંયે બુરાઈનો અંશ છે.


(૪) તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો।

(૫) તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી


(૬) દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું। બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે

(૭) પુસ્તકનો એકમાત્ર સાચો ઉપયોગ માણસને જાતે વિચારતો કરવામાં રહેલો છે જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.


(૮) બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ – એ એક જ્યોત છે, જેને પેટાવવાની છે।

(૯) બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત। આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.


(૧૦) મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી;તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો !


(૧૧) રમવા જતાં બાળકોને અને ચોરે બેસવા જતાં ઘરડાંઓને રોકી રાખી શકે, એનું નામ વારતા।

(૧૨) રોટલો કેમ રળવો તે નહિ – પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો, તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે


(૧૩) વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે।’

(૧૪) શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી


(૧૫) સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં,પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે।

(૧૬) હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે;હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે


(૧૭) હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે,ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે।

[ શ્રી ગોપાલભાઈ મેઘાણી દ્વારા સંપાદિત કરેલ ખિસ્સાપોથી ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર.]

ફાસ્ટ ફોરવર્ડ

ગુજરાતી અનુવાદ થયો હોવા છતાં 'ફાઈવ પોઈન્ટ સમવન'નો ઓરિજીનલ ટેસ્ટ ઈંગ્લીશમાં જ છે। બુકનું ધ બેસ્ટ ક્વોટ અનુવાદિત થઈ શકે તેમ નથી

But that is when life really screws you। Right at moments when you feel you have got it all figured out
(મતલબ, આ છે જીંદગી... જ્યારે તમે માનો કે તમે એને કાબૂમાં કરી લીધી, ત્યારે જ એ તમારી પત્તર રગડી નાખે છે!)


(પ્રખ્યાત કટાર લેખક જય વસાવડા ના 24 June 2007 લેખ નુ ફાસ્ટ ફોરવર્ડ)

એક નાનકડી વાર્તા

એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે પડતું નહોતું. ને થયું કે આ જીવનનો અંત લાવ્યેજ છુટકો. શહેરની વચ્ચેજ રેલવે પસાર થાય ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.

પણ ઘરેથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.

…હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, એ જવા દઈએ. પણ એક સવાલ થાય છે..

એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમેજ એને સામા મળ્યા હોત તો ?બોલો , એનું શું થાત ? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત ? જરા વિચારી જોજો…


- સુમંત દેસાઈ

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

wallpaper 2




દોસ્ત, હું ગુજરાત છું.

હું ગુજરાત છું…!
મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત… ગુજરાત મોરી મોરી રે!
(ઇન્દુલાલ ગાંધી)



દોસ્ત, હું ગુજરાત છું. જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.
વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.
ડાર્લંિગ, હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.
હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે…
…ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.
બાપુ, હું ગુજરાત છું.

ફાસ્ટ ફોરવર્ડ

અર્બુદ (આબુ) અરબ સમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દૂધાળે
આવી વળગી હર્ષ ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી
વિધવિધ પ્રજા સુહાસી
હું ગુર્જર ભારતવાસી…
ઝંખે પલપલ સહુજન મંગળ
મન મારૂં ઉલ્લાસી…
(ઉમાશંકર જોશી)


- જય વસાવડા

ઓશો

યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.

બુધ્ધિશાળી વ્યક્તિ પરંપરાગત બની શકે નહિ, તે સતત ભૂતકાળની પૂજા કરી શકતી નથી, ભૂતકાળમાં પૂજવા જેવું કશું નથી. બુધ્ધિશાળી વ્યક્તિ; ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે. વર્તમાનમાં જીવવા માંગે છે. તેનું વર્તમાનમાં જીવવું એ જ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની રીત છે.

વૃધ્ધિ પામવાની ઝંખના જેટલી મોટી હશે, એટલા વધુ ને વધુ ખતરાઓ હશે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. સાચો મનુષ્ય; પોતાની જીવનશૈલીની માફક, પોતાની વૃધ્ધિની આબોહવાની માફક, ખતરાઓને સ્વીકારે છે.

સુવાક્ય

“જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન.”

— જે.એચ.ફિલ્ડ

“માણસોના મનમાં જેવા વિચાર હોય છે તેવું જ તેનાં વર્તન અને વાણીમાં પ્રતિબિંબિત થાય છે.”

— રામકૃષ્ણ પરમહંસ

“સુખ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે.”

— એસ. ભટાચાર્ય

ગુરુવાર, 21 ઑક્ટોબર, 2010

સુવાક્ય

હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું

– સુન્દરમ


પ્રિસ્ક્રિપ્શન

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.

૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી.
(નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)

૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.

૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.

૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)

૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.

૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.

૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.

૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.

૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.


સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર



- હેમેન શાહ

શેર

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?

એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

- ચિનુ મોદી "ઈર્શાદ"

બુધવાર, 20 ઑક્ટોબર, 2010

wallpaper 1




સુવાક્ય

કોઈ કોઈનો મિત્ર કે શત્રુ નથી હોતો,વ્યવહારથી જ મિત્ર કે શત્રુ બને છે.

- હિતોપદેશ

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.

[1] કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ. જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

[2] એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું : ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

[3] એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા, ‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું, ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.

[4] ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું : ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડોરેસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે, એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

[5] ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી :

(1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો.

(2) માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

(3) સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી.

(4) નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પાડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો.

(5) ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

(6) ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

(7) તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

[6] પ્રાર્થના-1

હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ. બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ. ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

[7] પ્રાર્થના-2

હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે. હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

[8] છેલ્લે…..

થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

પ્રેમ અને દોસ્તી : પુરુષની દ્રષ્ટિ

સ્ત્રી જો વર્ષોસુધી માત્ર દોસ્ત જ રહે છે તો એ સ્ત્રીમાં જરૂર કંઈક કમી છે, મનની, શરીરની, સેક્સની. અથવા એ... ગુજરાતી સ્ત્રી છે?

..........

પ્રેમમાં સફળતા એ ટ્રેજેડી છે. પડદો પડી જાય છે, બહારની દુનિયા બંધ થઈ જાય છે. સૌંદર્ય ૩ રાત અને ૨ દિવસની ચાંદની છે, માટે જ કદાચ હનીમૂનની પેકેજ-ટૂરો ૩ રાત અને ૨ દિવસની હોય છે. સૌંદર્યને જૂનું થઈ જવા માટે એટલો સમય કાફી છે. અતિપરિચય સૌંદર્યનું મૃત્યુ છે. પ્રેમમાં દરેક પુરુષ કર્મયોગી હોય છે. પ્રેમમાં નિષ્ફળતા એ સારી વસ્તુ છે, બેટરીઓ ચાર્જ થઈ જાય છે, બુસ્ટર-રોકેટ ફાટે છે, ડોકિંગ થાય છે, ડી-ડોકિંગ થાય છે, પ્રેમ ટ્રેજેક્ટરીની બહાર નીકળી જાય છે, પ્રિયનું મૃત્યુ કે ડિવોર્સ એ પ્રેમની સ્પ્લેશડાઉન છે. કેક પરના આઇસિંગની જેમ પ્રેમ પર કવિતા સ્ફુરે છે, પશ્ચાત્ સંગીતનું ફેડ-આઉટ થાય છે. કાળી મૂછો, જાડી પ્રિયાઓ, મલમલ અને મખમલ, લવન્ડર રંગછાયાઓ... એ પશ્વિમનો પ્રેમ હતો. આપણે ત્યાં મંગળ વરચે આવે છે, શનિ છે, ગુરુ નપુંસક છે, રાહુ-કેતુ છે. અહીં ગુરુ અને શનિ પ્રેમ કરે છે, મંગળ અને મંગળ પ્રેમ કરે છે, પુરુષ અને સ્ત્રી એ માત્ર અકસ્માતો છે.


ગુણવંત શાહના લેખના અંશો

આદરણીય મોરારિબાપુ રામભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે રામભક્ત નથી. મૌલાના વહિદુદ્દીન ખાન સાચા ઇસ્લામના ઉપાસક છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસ્લામના આલિમ નથી. ફાધર વાલેસ ઇસુભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસુના ભક્ત નથી. બધા રામભક્ત મોરારિબાપુ નથી હોતા. બધા મૌલવી મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. બધા પાદરી ફાધર વાલેસ નથી હોતા. ધર્મનો મર્મ ભુલાઇ જાય ત્યારે બાહ્યાચાર લોકોમાં એવી ડંફાસ મારતા ફરે છે કે પોતે જ ધર્મ છે. ધર્મના ક્ષેત્રમાં જે પિત્તળ હોય તે પોતાને સોનું ગણાવતું રહે છે. બિચારું સોનું છોભીલું પડી જાય છે, કારણ કે ઘણાખરા લોકો પિત્તળને જ સોનું માનનારા હોય છે. જલાલુદ્દીન રુમી કહે છે કે જગતમાં બનાવટી સોનું છે તે બાબત એટલું સાબિત કરે છે કે ક્યાંક અસલી સોનું હોવું જ જોઇએ.

દિવ્ય ભાસ્કર તા. ૧૦.૧૦.૨૦૧૦

કહેવત

‘તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો અને કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.’

- ચીની કહેવત

સોમવાર, 18 ઑક્ટોબર, 2010

મનનો અભિગમ

કેટલાક માણસો એવા હોય છે કે જે બગીચામાં જાય છે ત્યારે એને હર્યાભર્યા ફૂલો ન દેખાય, પણ એમની નજર પહેલી કાંટાઓ પર પડે। આવા માણસો જીવનમાં નકારાત્મક વલણ લઈને જીવતા હોય છે. આવા માણસો માટે એમ કહેવાય છે કે રડતો જાય ને મોકાણના સમાચાર લાવે. માણસ પોતે શું માને છે, જીવન પ્રત્યેનો એનો અભિગમ કેવો છે એના પર એની સફળતા, નિષ્ફળતા કે એની નિયતિનો આધાર હોય છે. મૂળ તો માણસને જીવનમાં રસ અને શ્રદ્ધા હોવી જોઈએ. આ જીવન જીવવા જેવું છે એની એને પ્રતીતિ હોવી જોઈએ.

સવારના સૂરજ ઊગે અને એ જાગે ત્યારે પહેલો વિચાર જો એમ કરે કે છેવટે તો રાત પડવાની જ છે ને, તો આ વિચાર માત્રથી એ દિવસ જેવા દિવસને, દિવસની સુષમા અને ઉષ્માને, દિવસની સક્રિયતાને ગુમાવી બેસશે। એક જણે તો એટલે સુધી કહ્યું છે કે જો તમે સતત માંદગીના વિચાર કર્યા કરો તો માંદા પડ્યા વિના રહેશો જ નહિ. તમારા શરીરની પાછળ તમારું મન છુપાયું છે. તમને પોતામાં શ્રદ્ધા હોવી જોઈએ. વિલિયમ જેમ્સે એટલે સુધી કહ્યું કે મારી પેઢીની મોટામાં મોટી શોધ એ છે કે માત્ર મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગીને બદલી શકો છો.

મનનો અભિગમ બદલવો એટલે શું ? આ દુનિયામાં બધું જ બૂરું છે અને કશું સારું જ નથી એવા વિચારથી જિવાય નહીં. દષ્ટિ એવી સૃષ્ટિ એ ઉક્તિ સાર્થક છે. હું મારી આંખ પર નેગેટિવ એટિટ્યૂડના – નકારાત્મક વલણના ગોગલ્સ પહેરું તો મને આખું જગત નકારવા જેવું લાગશે. જગત આપણે માનીએ છીએ તેવું સાંકડું અને સીમિત નથી હોતું. જગત તો અરીસા જેવું છે. અરીસા સામે તમે જીભ કાઢીને ઊભા રહો તો તમને એવું જ પ્રતિબિંબ મળશે. અરીસા સામે તમે સ્મિત સાથે ઊભા રહો તો તમારી આંખ સામે સ્મિતભર્યો ચહેરો આવશે. તમે સ્વાર્થી હો અને જગત નિ:સ્વાર્થ હોય એ કઈ રીતે બની શકે ? તમને તમારા સુખ વિશે પણ પૂરતી સ્પષ્ટતા હોવી જોઈએ. મોટા ભાગના માણસોને જીવનમાં શું જોઈએ છે એનો પણ કોઈ ખ્યાલ નથી હોતો. ખ્યાલ વિના જીવતા માણસો કાં તો સંત કે ઓલિયા હોય, પણ આવા માણસો વિરલ હોય છે. માણસો શ્વાસ લે છે, પણ જીવતા નથી. એમને ક્યાંય સૌંદર્ય લાગતું નથી. ક્યાંય સુખ નથી લાગતું. નરી બેચેનીથી જીવતા હોય છે. હોઠ પર હોય છે રાવ-ફરિયાદ, અકળામણ અને વિસામણ. એક અંગ્રેજી કહેવત છે કે જે લોકો મુસીબતોને શોધતા હોય છે એ લોકો પાસે મુસીબત આપમેળે આવે છે.

માણસ માટે કશું અશક્ય નથી। શક્ય કરવાનો એની પાસે સંકલ્પ અને પુરુષાર્થ હોવો જોઈએ. મારી પાસે પૈસા નથી. એને જ હું રડ્યા કરું તો એનો અર્થ એવો થયો કે મારી પાસે કામ કરતા બે હાથ છે એનું હું હડહડતું અપમાન કરું છું. માણસ પાસે હકારાત્મક વિચાર હોવો જોઈએ, જેને આપણે પોઝિટિવ થિન્કિંગ કહીએ છીએ. દોષદેખુઓને તો સ્વર્ગમાં પણ દોષ દેખાશે એવું ચિંતક થોરોએ કહ્યું હતું. જેની પાસે હકારાત્મક વલણ છે એ રણમાં ઝાંઝવાંને જોશે નહીં, પણ રણમાંથી પણ ક્યાંક ઝરણ શોધી કાઢશે. વિચાર એટલે માત્ર એક જ વિચાર. વિચારોનું ટોળું નહીં. એક જ વિચાર તે સ્પષ્ટ વિચાર. હું જે પરિસ્થિતિમાં મુકાયો છું એ પરિસ્થિતિને સ્વીકારીને એને કઈ રીતે બદલી શકું ? કોઈ પણ પરિસ્થિતિ બેઠાં બેઠાં બદલાતી નથી. માણસે ઊભા થવું જોઈએ. યોગ્ય દિશામાં ગતિ કરવી જોઈએ. આપણી અપેક્ષા શું છે અને કેવી છે એના વિશે જાણી લેવું જોઈએ. આ અપેક્ષાને કઈ રીતે પહોંચી વળીશ, એનો એની પાસે પોતાનો અંદાજ હોવો જોઈએ. એમ કહેવાય છે કે અંતે તો માણસ જેમ વિચારે છે એ જ થાય છે. આ વિચારો આપણા શત્રુઓ અને મિત્રો જેવા છે. જો હકારાત્મક વલણ હોય તો તે મિત્રની ગરજ સારે છે.

નિષ્ફળ થયેલો માણસ બેઠાં બેઠાં પોતાની નિષ્ફળતાને વાગોળ્યા કરે। બીજાની સફળતાની ઈર્ષ્યા કરે. એ કદી કશું કરી શકતો નથી. મારે શિલ્પ કંડારવું હોય તો મારી પાસે પથ્થર હોવો જોઈએ અને શિલ્પીની નજર હોવી જોઈએ.

જો તમે એમ જ કલ્પો કે રાતના અંધકારમાં મને ભૂત દેખાશે તો ભૂત હોય કે ન હોય, પણ તમારા મનનું ભૂત એક ભ્રમણા ઊભી કરશે અને તમે ભયભીત થઈને, ધાબળો ઓઢીને, ટૂંટિયું વાળીને સૂવા માટેનાં વલખાં માર્યા કરશો। એક બાજુથી એમ કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય છે એટલે કે મૂળભૂત માણસ કદીય બદલાતો નથી અને બીજી બાજુ એ પણ હકીકત છે કે માણસ જો પોતાના કૅમેરાનો એંગલ બદલે, એને ક્યાંક હકારાત્મક વલણ પર સ્થિર કરે તો એ ધારેલું, સુધારેલું પરિણામ અવશ્ય લાવી શકે.