શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

'વાંચો' એટલે?

             ચારેબાજુ હમણાં 'વાંચો', 'વાંચો' અને 'વાંચો'નો નારો ચાલી રહ્યો છે. સૂત્રપ્રિયોને એ સૂત્ર ગમી ગયું છે. એ નિમિત્તે નગરે નગરે ભાષણ કરવા ઉત્સુકોને મોકો મળી ગયો છે અને કેટલાક પોતે જ વાંચનવીર છે અને બીજા વાંચતા જ નથી એ ગુરુગ્રંથિ સાથે ગોષ્ઠીઓમાં પડી ગયા છે. પ્રશ્ન એ છે કે 'વાંચો' એટલે શું? કયા પ્રકારનાં પુસ્તકો વાંચવાં જોઇએ? 


         પુસ્તક વાંચી નાખ્યા પછી શું? કોરું વાંચન પરિણામગામી બની શકે? 'ના' જો ઉત્તર હોય તો પરિણામ માટે શું કરવું પડે? અંદરના બદલાવ માટે કેવા પ્રકારનું વાંચવું જોઇએ? કોઇકે નિર્ધારિત કરી આપેલાં પુસ્તકો? અન્યની રુચિને અનુકૂળ પુસ્તકો? કે પછી પોતાનાં રસ-રુચિ પ્રમાણેનાં, અંદરની અનિવાર્યતા પ્રમાણેનાં પુસ્તકો વાંચવાં જોઇએ? વળી આવાં અભિયાનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતાં હોય? જેલો પૂરતાં હોય? કે કોઇક સંસ્થાના નેજા હેઠળ થોડાક માણસો એકઠા થતાં હોય તો તેમનાં પૂરતાં હોય?

           પ્રશ્નો તો હજી આગળ પણ છે. જે ખરેખર પોતાની જાતને 'વાંચતો'માં લેખે છે એ શું વાંચે છે? કટારો લખવા? દલીલબાજી કરવા? અન્યોને થોડીક ચબરાકીભરી વાતો કરી આંજી નાખવા? શું 'વાંચવું' એવાઓને માટે સિધ્ધિ - પ્રસિધ્ધિ માટે છે? ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમવર્ગમાં પોતાની જાતને સ્થાપવા માટે? સાથે એ પણ પ્રશ્ન છે કે સાવ ઓછું વાંચનાર, નહિવત્ વાંચનાર કેટલાક ઉત્તમ પુરુષો જોવા મળે છે એ વિશે કયો ખુલાસો? વાંચે તે જ શ્રેષ્ઠ? કે વિચારે તે શ્રેષ્ઠ? બીજી તરફ ઘણું ઘણું વાંચીને બેઠેલાં હોય છતાં તેમની બદમાશીનો આંક કાઢવા બેસીએ તો ઘણો ઊંચો જાય એવાઓ માટે વાંચન વિફળ કેમ રહ્યું? આ અને આવા સંખ્યાતીત પ્રશ્નો વાંચવા વિશે કરી શકાય. આ સર્વ પ્રશ્નોના ઉત્તરો પણ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોવાના. વાંચનનું અભિયાન ચલાવનારાઓ આ બધા પ્રશ્નો નથી જાણતા તેમ નહિ પણ આપણે કહેવું જોઇએ કે આવી ચેતનાગત બાબતોને ગણિત સાથે જોડવા જેવી નથી.

      અને અભિયાન ચલાવવું જ હોય તો જેલોની સાથે મહેલોમાં પણ ચલાવો. અર્થાત્ શ્રેષ્ઠી વર્ગમાં, ઉદ્યોગપતિઓમાં, રાજકારણીઓમાં. જીવન વિશેની નાની સમજની જરૃરિયાત તો ત્યાં છે. જેલની સજા ભોગવનારાઓમાંથી કેટલાક નિર્દોષ હોય છે, કેટલાક પશ્ચાત્તાપના પાવન ઝરણામાં ઝબકોળાતા રહ્યા હોય છે પણ પેલો રાજકારણી, ઉદ્યોગપતિ કે મહેલમાં રહેનાર તો ખોટું કૃત્ય કર્યા પછી લજ્જા અનુભવતો નથી, પ્રજાની આંખે સદા પાટા જ બાંધતો રહે છે. વાચન જો માનવીમાં પરિવર્તન લાવી શકતું હોય એ માનતી હોઇએ તો 'વાંચન કે વાંચો'નું અભિયાન ત્યાંથી શરૃ કરવા જેવું છે. વાચન માણસને વિનયી, વિવેકી, શાણો અને સત્યપ્રિય બનાવે એ નેમ હોવી જોઇએ. અન્યથા ગમે તેવું વાંચન માણસને વધુ દુષ્ટ બનાવી રહે એનાં દ્રષ્ટાંતો આજના સમાજમાં બહુ દૂર ખોળવા જવું પડે તેમ નથી. વાક્વીરોની કમી નથી. સત્યને અસત્યમાં અને અસત્યને સત્યમાં ખપાવી દેનારા આપણી આસપાસ નિરંતર કસરતો કરતા હોય છે. પ્રજાના એક વર્ગનો તેવાઓને ટેકો પણ સમયે સમયે મળી રહેતો હોય છે.


           હકીકત તો એ બનવી જોઇએ કે વાંચવું એ માત્ર વાંચવું ન બનવું જોઇએ. એ નિમિત્તે આપણે ચારે તરફનું સાફસૂથરું જોતા થવું જોઇએ. વસ્તુના મર્મ સુધી પહોંચવું જોઇએ. નીતિ, ધર્મ કે સત્ય આખરે શું છે? સંસ્કાર- વિનય- સંસ્કૃતિ- પ્રેમ વગેરે શું છે? એ સર્વ વાંચનમાંથી પામતા જવાનું છે અને પામીને તે પ્રમાણે આપણા ભીતરને પણ પરિવર્તિત કરતા રહેવાનું છે. વાંચવું એટલે વિશ્વને અને એની ઘટનાઓને અંદર પ્રવેશ કરાવવો, તેના સારાસાર વિશે વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી. અને ત્રીજે તબક્કે એવી સમજ જ પછી આપણું વ્યક્તિત્વ કે અસ્તિત્વ બની રહે. કહો કે એક દીક્ષિત-શિક્ષિત વ્યક્તિ. જે પોતાને અને અન્યને પણ સમજવા સતત પ્રયત્નશીલ રહે. એવું નિરામયી વ્યક્તિત્વ અન્યોથી જુદું પડી જાય. વાંચનશીલતા એ છેવટે સંસ્કારશીલતાનો ને એમ માનવતાનો પર્યાય બની રહે એ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઇએ.


           ઉપર ઉપર વરખ લગાડવાથી કશું દળદળ ફીટાતું નથી. ઘણું વાંચીને ગમાર રહેનારા છે. સાચી વાત તો એ છે કે આપણી ચોમેર વાતાવરણ જ એવું વિધાયકરૃપે રચાતું આવે કે માણસને વાંચવાનું મન થાય, વાંચીને વિચારવાનું મન થાય, વિચારીને તેનો અમલ કરવા સંકલ્પબધ્ધ બને. આપણે ત્યાં તો પરિસ્થિતિ જ સાવ અવળી છે. મૂલ્યોનાં બધાં જ પ્રકારનાં ધોવાણોની જ્યાં હોડ બકાતી હોય ત્યાં આવો સૂત્રપ્રેમ કેટલો કારગત નીવડે? અને સૂત્ર પણ કઇ વ્યક્તિના હૈયામાંથી જન્મ્યું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે ને?
- પ્રવીણ દરજી ( ક્ષણ-ક્ષણાર્ધ, ગુજરાત સમાચાર ,૧૭/૮/૨૦૧૦ )

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન, 
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન. 
-  નિદા ફાઝલી
એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!
બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.
સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું - ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.
સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.
જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.
સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું ઈન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.
એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.
સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.
માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.
સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.
સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી ચિંતનની પળે પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે. એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને? તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.
દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા, ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે. ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
છેલ્લો સીન
મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

લિંકનના સુવિચારો


- જીવનભર કાંટા દૂર કરીને, જ્યાં પણ ફૂલ ઊગી શકે તેમ હોય ત્યાં તે છોડ વાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.
- હું કોઈનો ગુલામ થવાનું પસંદ ન કરતો હોઉં તો મારે કોઈના માલિક થવાનું પસંદ ન કરવું જોઈએ.

- જો શાંતિ ચાહતા હો તો લોકપ્રિયતાથી દૂર રહો.

- પગ મૂકતી વખતે યોગ્ય જગ્યાએ મૂકો છો કે નહીં તેની ખાતરી કરો. પછી મક્કમ થઈને ઊભા રહો.

- કોર્ટ કજિયા નિવારવાનો પ્રયત્ન કરો. પાડોશીઓ વચ્ચે સુલેહ કરાવવાનું પસંદ કરો. વકીલોએ સુલેહ કરાવીને શાંતિ સ્થાપવાનું કામ કરવું જોઈએ. તોપણ એમની વકીલાત સારી રીતે ચાલશે.

- ચારિત્ર્ય વૃક્ષ જેવું છે. પ્રતિષ્ઠા એનો પડછાયો છે. છતાં આપણે પડછાયાનો જ વિચાર કરીએ છીએ.

- પોલિટિશિયનો (રાજકારણીઓ) ધારે છે એ કરતાં લોકો સત્યની વધુ નજીક હોય છે.

- જ્યારે કોઈને હું મારો મિત્ર બનાવું ત્યારે હું શું એક શત્રુનો નાશ નથી કરતો?

- એવા નિશ્ચય સાથે આપણે ખડા છીએ કે લોકોની, લોકો દ્વારા ચાલતી, લોકો માટેની આ સરકારનું આ રાષ્ટ્ર ધરતી ઉપરથી નાશ ન પામે. (વિશ્વવિખ્યાત ગેટિસબર્ગના પ્રવચનમાંથી)

- અમેરિકા જો પોતે પોતાનો વિનાશ નહીં કરે તો બહારની કોઈ શક્તિ તેનો નાશ નહીં કરી શકે.



ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

વોરન બફેટની કીમતી સલાહ




હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
          વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

          આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

          વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

          વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

          ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે.


- દેવેન્દ્ર પટેલ (રેડ રોઝ) 11/12/2011

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

મંગળવાર, 1 નવેમ્બર, 2011

આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઇ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઇ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ગિફ્ટમાં મળે છે પાછા ઢ્રોણ !
ઊધઇની સામે કાંઇ લાકડાની તલવારે લડવાની હોઇ ના લડાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


રેશનની લાઇનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દીવાસળી , ને ચાંપો.
ઇ બહાને તો ઇ બહાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


- કૃષ્ણ દવે

સોમવાર, 3 ઑક્ટોબર, 2011

વૈષ્ણવજન તો તેને રે કહીએ

યાદ  કરો, પરાણે કાનમાં પડતું હોઇને જેના શબ્દો પર ધ્યાન ન અપાતું હોય એવા આ પોપ્યુલર ભજનમાં છુપાયેલા નાગરિક ધર્મને!
* * *
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે
પીડ પરાઇ જાણવી એટલે? સાયકોલોજીની ભાષામાં 'એમ્પથી'. કેવળ અરરરની પીડાનું દર્દ થાય, એ સહાનુભૂતિ. પણ બીજાને જે પીડા થાય એ પોતે પણ એટલી જ અનુભવી શકે, એ એમ્પથી, સમાનુભૂતિ. બીમાર સંતાનને થતું દર્દ મા-બાપના પણ કાળજામાં ઉઠે, પ્રેમિકાનું ડિપ્રેશન પ્રેમીને ઉદાસ બનાવી દે તે! જાહેર જવાબદારીના કામ આવો સંવેદનશીલ માણસ જ ઉપાડી શકે, જે 'પીડ પરાઇ'ને પોતીકી કરી શકે. આવો જ માણસ પરિવારમાં પ્યારો થાય. આ વાત તો જૂગજૂની છે, પણ નવી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ ટાળવા બીજી લીટી મહત્વની છે. બીજાનું ભલું કરવા જતાં , કોઇના દર્દને જીરવવા જતાં જો મનમાં 'મેં એનું આમ કર્યું' એવો ઉપકારભાવ આવ્યો, તો ગયા કામથી! કારણ કે એક તો એમાં બીજાને બદલે ખુદ પર ફોકસ વધવાનું. અને પછી એ અભિમાનમાંથી કોઇ બદલામાં સારૃં વર્તન ન કરે તો અપેક્ષાભંગ થતાં ક્રોધ કાં હતાશામાં શેકાવું પડવાનું! બી ગુડ, ડુ ગુડ... એન્ડ ફરગેટ ઇટ. કરેલા કામોની યાદીનો બાયોડેટા જીવાતી જીંદગીની સાહજીક મોજ કરતાં મોટો નથી હોતો!
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
નો પરમેનન્ટ રિવેન્જ વિથ એનીવન. લોર્ડ વોલ્ડેમોર્ટની જેમ નફરતની આગમાં અંતે જાતે ભસ્મ ન થવું. હેરી પોટરની જેમ બધા સાથે ફ્રેન્ડલી રહેવાનો પ્રયત્ન કરવો. કોઇની પીઠ પાછળ ગાળો દેવાનું કે એની ખટપટ કરી ટાંટિયાખેંચ કરવાનું લુચ્ચાઇ ભરેલું કૃત્ય કરવા કરતાં મોંએ સ્પષ્ટ સત્ય ચોપડાવી દેવું. બધા પોતપોતાના સંજોગો - આવડત- લાયકાત મુજબ જીવે છે. સતત એમની નિંદામાં જ ખોવાયેલ રહેશો તે ખુદના સંજોગો સામે ઝઝુમવાનો, પોતાની લાયકાત કે આવડત  બહેતર બનાવવાનો સમય જ નહિં રહે. કોન્ટ્રોવર્સીમાં પડયા રહેવા કરતાં અમિતાભ જેવા મીઠાબોલા થઇ,  સહુને પ્રેમથી બોલાવવાનો પ્રયત્ન કરવો. વાચ યાને ખુદની વાત, વિચાર,  શબ્દો કોઇનાથી દોરવાયા વિના અંદરથી જે આવે એમ રાખવા. કાછનો એક અર્થ  કચ્છ યાને લંગોટ થાય. મતલબ સેકસ્યુઆલિટીના અર્થમાં પણ છે. બીજો  અર્થ કર્મ, કર્તવ્ય પણ કેટલાક વિદ્વાનો કરે છે. મતલબ અહીં એ જ  પકડવાનો છે કે આપણા શબ્દો, કર્તવ્યો, કે જાતીયતા વિશે લોકો શું  કહેશે એ ટીકાઓથી નિશ્ચલ યાને અલિપ્ત, અનટચ્ડ રહેવું. જૂના જમાનામાં  ભલે કેવળ ડાહ્યું ડાહ્યું બોલવું એવા અર્થઘટનો થતાં હોય, વાત પોલાં  પોપટિયાં બનવાની નરસિંહ નથી કરતા. 'તું રામ સુમર જંગ લડવા દે'ના  અર્થમાં આપણે કોઇના ભરમાવ્યા બોલવામાં કે કશું કરવામાં ન પડવું અને  ટીકા-પ્રશંસાથી આપણા શબ્દો કે કર્તવ્યો દૂષિત ન થાય, તેનું ધ્યાન  રાખવું. ગમે તેની ભાટાઇ કરતા કે જયાં ટેમ્પટેશન દેખાય ત્યાં લાળ  ટપકાવતાં (જેમ કે મલ્લિકાનું પોસ્ટર જોઇ ભંગાર ફિલ્મ જોવા થિયેટરમાં  જવું! કે ચળકતું રેપર જોઇ સાબુ લેવો!) ધસી જનારા નાગરિકો ન બની શકે.
સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

પર-સ્ત્રી તો મહેતાજી- ગાંધીજી પુરૃષ એટલે કહે. સ્ત્રીઓ માટે પર-પુરૃષ. હવે આનો ય પ્રાચીન અર્થ કાઢવા જાવ તો રાસલીલાના માદક વર્ણનો લખવાવાળા નરસિંહને જ ત્યારે ભ્રષ્ટ કહેવાયા હતા. એનું સમર્થન કરવું પડે. ગાંધીજીની નિખાલસ કબૂલાત મુજબ એ પણ લંડનમાં પાના રમવાથી લઇ સરલાદેવી સુધી પર-સ્ત્રીના આકર્ષણમાંથી મુક્ત નહોતા જ. સાયકોલોજીની ભાષામાં એમને ગિલ્ટ હતો એનો. એ બંને તો જવા દો. તો-તો પછી રોમેન્ટિક રાસેશ્વર કૃષ્ણ જ વૈષ્ણવજન ન કહેવાય! ન રાધા-કૃષ્ણ, કાન-ગોપી કે એક સિવાયની કોઇ શ્યામતણી રાણીની વાત કરાય! મુદ્દો કમિટમેન્ટ ફોર લવનો છે. પ્રેમ કરો, એને પરણો પછી વગર કારણે ભરોસો તોડવાનો નહિં! જાત સાથેની વફાદારીનો છે.
માટે, પર-સ્ત્રી એટલે બળાત્કાર. સુપ્રિમ કોર્ટ પણ કહે છે, તેમ પરસ્પરની સંમતિ વિના બળજબરીથી, હિંસા- ધાકધમકી, બ્લેકમેઇલિંગથી બંધાયેલો સંબંધ. પરસ્ત્રી એટલે બિપાશાના પોસ્ટરને લીધે ઘરની આશા પર પાણી ફેરવવું. પરસ્પર ભાવ હોય, એકબીજા માટે લાગણીનું બોન્ડિંગ હોય ત્યાં પરસ્ત્રી કે પરપુરૃષ નથી. કન્સેન્ટિંગ એડલ્ટસ છે. પણ વાત સેકસને નહિં, એના વળગણને છોડવાની છે. ચોવીસે કલાક સેકસ એબ્સેસ્ડ, વિકૃત એડિકટ, સાયકો બનવાની છે. માટે જ આગળની લીટી મહત્વની છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી. સહજ ઉમળકાથી પ્રેમ કરવો, પણ સતત એના જ વિચારોમાં ન રહેવું. નિર્ણયો લેતી વખતે આ મારી વ્હાલી ને આ મારો છોકરો જેવા મમત્વને આડે નહિં લઇ આવવાના. તટસ્થભાવે વિચારવું અને કોઇ બાબતની તૃષ્ણા યાને લાલચ પાછળ પાગલ નહિં બનવાનું. શેરબજારના સટ્ટાખોરો નાગરિક ન બની શકે. ચૂંટણી વખતે સમદ્રષ્ટિને બદલે જ્ઞાાતિવાદી- લાભાલાભની તૃષ્ણામાં દોરવાઇ જાય. બાકી, જૂઠાડા દંભ અને પારકા પૈસા પર નજર બગાડી છેતરપિંડી કે કૌભાંડો કરીને બીજાના હકનું ધન ટેસથી જમી જનારા અંગે ૨૧મી સદીમાં વધુ કંઇ સમજાવવાની જરૃર ખરી? ભારતમાં પરધન જમી જનારો મહાત્મા ગણાય છે, ને દુરાત્માની સઘળી ગાળો ફકત પરસ્ત્રીવાળાને જ ખાવી પડે છે! નાણાંકીય ગોબાચારી ચકચારી ગુનો જ નથી.
મોહ માયા વ્યાપે નહિં જેને, દ્દઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે
વણલોભીને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયોં તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.
તીરથ, રામનામ, કુળ તાર્યા અને એબાઉ ઓલ વૈરાગ્ય જેવો શબ્દ આવે, એટલે આપણે સીધા સંસારત્યાગી બાવા બની જવાનું જ વિચારીએ. એ તો કૃષ્ણ, નરસિંહ કે ગાંધી પણ નહોતા. જરાક, સંસારના સ્પિરિચ્યુઅલ નહિં, સોશ્યલ કોન્ટેકસ્ટમાં સમજીએ. દ્દઢ વૈરાગ્ય એટલે પૂજાપાઠ નહિં, એટલે પોતાના 'ગોલ' માટેની સ્ટેબિલિટી. એટલે રાહુલ દ્રવિડની જેમ રમતા હો ત્યારે એના સિવાય બીજા કોઇ પ્રલોભન પર ધ્યાન ન જાય, એવું અડગ ફોકસ. શાહરૃખ એકટિંગ કરતા કરતાં કેટરીનાના કપડા તરફ જુએ તો ડાયલોગ ભૂલાઇ જાય! ગુસ્સામાં આવીને તડ-ફડ કર્યા પછી ગુસ્સો ઉતરે ત્યારે સંતાપ થાય, અને પાંચ મિનિટની વાત માટે પાંચ વરસ, સોરી કહેવું પડે. કોઇ દંડો લઇને ઉભું ન હોય, માટે રસ્તા પર કચરો ફેંકી દેવો એ કપટ છે. ફકત પોતાના જ ફાયદા માટે બીજાઓને પગથિયાં બનાવી કોર્પોરેટ યુઝ કરવો એ લોભ છે. અંગત સ્વાર્થમાં આંધળાભીંત થઇ ચાલાકી કરવી, લોભ છે! કોઇને પૂરા જાણ્યા- સમજ્યા વિના એના પર જજમેન્ટલ બનીને એની જીંદગીમાં દખલગીરી કરવી એ વૈષ્ણવજનનું લક્ષણ નથી. પ્રકૃતિમાં રહેલા પ્રભુની સાથે હાથ મિલાવો પછી, બાકીના દુઃખદર્દ સહન કરવાની તાકાત આવી જશે.
ગાંધીજીના જન્મદિને આ આધુનિક નાગરિક બનવાની દિશામાં એકાદ ડગલું ય ચાલીએ, એથી મોટી ગિફટ કઇ હોય રાષ્ટ્રપિતાને?

ફાસ્ટ ફોરવર્ડ
'દરેક માનવી ચંદ્ર જેવો હોય છે. એની એક કાળી બાજુ હોય છે, જે એ કોઇને બતાવતો નથી!' (માર્ક ટ્વેઇન)

 - જય વસાવડા (સ્પેકટ્રોમીટર 2/10/2011)

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

પસ્તાવો વિપુલ ઝરણું ખરું પણ પછી પુણ્યશાળી બનો છો?

 
રિપેન્ટન્સ (પસ્તાવો)ને જીવનની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો, પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ. જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે.

હા! પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે...
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છુટ્યો તે ને અરર! ફાળ પડી હૈયા મહી તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
-રાજકવિ સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

લાઠીના કવિએ પસ્તાવાને વિપુલ ઝરણું કહ્યું છે. આ વિપુલ ઝરણામાં ૨૧મી સદીમાં જો ખરેખર પાપીઓ ડૂબકી મારવા માંડે તો ઝરણું જ ગંદું થઈ જાય એટલાં પાપ થાય છે. સારું છે કે પણ પાપી કરતાં દુનિયામાં પુણ્યશાળીની બહુમતી છે. ઓશો રજનીશ, ગાંધીજી સ્વિડિશ ફિલસૂફ સ્વિડન બોર્ગ અને સૌથી વધુ ઈસ્લામમાં રિપેન્ટન્સ-પસ્તાવા અને તોબાહુ ઉપર સૌથી વધુ ભાર છે.

આટલાન્ટિક મેગેઝિનમાં એડમન્ડ કેમ્ડલરે (જુલાઈ ૧૯૨૨) લખ્યું છે કે ૨૪-૧૧-૧૯૧૯ના રોજ સ્વામી શ્રદ્ધાનંદ જામા મસ્જિદના વ્યાખાન મંચ ઉપરથી ઊતર્યા અને હિન્દુ-મુસ્લિમોને સંબોધ્યા હતા. તેમણે કહેલું કે ઈસ્લામમાં પસ્તાવો કરી પાપ માટે માફી માગવાનો આદર્શ સૌથી મહત્વનો છે. સ્વામી શ્રદ્ધાનંદે આટલાન્ટિકમાં કહેવા પ્રમાણે અલ્લાહુ અકબર અને ઓમ્ એ સરખા ઉદ્ગારો છે! મહાત્મા ગાંધીજી વિશે પ્યારેલાલે ‘લાસ્ટ ફેઝ’ નામના થોથાં લખ્યાં છે તે નવજીવન પ્રેસમાંથી સાવ સસ્તા મળે છે તે વસાવવા જેવા છે. તેમાં બીજા ભાગમાં ૧૦૧મે પાને મહાત્મા ગાંધીજીએ લખેલું કે મારી અહિંસા તકલાદી નથી.

મારું મૃત્યુ જ એ વાત પુરવાર કરશે. જો કોઈ મારું ખૂન કરશે તો મરતાં મરતાં હું મારા ખૂની માટે તેને માફી બક્ષવા ઈશ્વરને પ્રાર્થના કરીશ. આ બતાવે છે કે ગાંધીજીએ નાથુરામ અને ગોપાલ ગોડસેને તેમના ખૂન પહેલાં જ માફ કરી દીધા પણ તાજેતરમાં ગોપાલ ગોડસે ૮૪ની વયે મર્યા ત્યારે તેણે કડક રીતે કહ્યું કે ‘એ કૃત્ય માટે હું રિપેન્ટન્સ-પસ્તાવો કરવા તૈયાર નથી! આવા ઘણા લોકો છે જે સભાન રીતે અમુક અનિવાર્ય પાપ’ કરે છે.

મહેરબાબાએ એક પસ્તાવા ઉપરનું જ કાવ્ય લખ્યું હતું. નવેમ્બર ૧૯૫૧માં મહેરબાબાએ ‘ઓ પરવર દિગાર-ઓહ બીલવેડ ગોર્ડ’ નામની પ્રાર્થના રચેલી. તેના અંગ્રેજી શબ્દો છે

વી રિપન્ટ ઓહ ગોડ મોસ્ટ મર્સીફુલ
ફોર ઓલ અવરસીન્સ
ફોર એવરી થોટ ધેટ ઈઝ ફોલ્સ ઓર
અનજસ્ટ ઓર અનકલીન
ફોર એવરી વર્ડ સ્પોકન ધેટ ઓટ નોટ
ટુ હેવ બીન સ્પોકન
ફોર એવરી પ્રોમિસ ગિવન બટ નોટ ફુલફીલ્ડ
વી રિપન્ટ ફોર એવરી એકશન
ધેટ હેઝ બ્રોટ રુઈન ટુ અધર્સ
ફોર એવરી વર્ડ એન્ડ ફીડ ધેટ
હેઝ ગિવન અધર્સ પેઈન
ઈન યોર અનબાઉન્ડેડ મર્સી
વી આસ્ક યુ ટુ ફરગિવ ઓ ગોડ!

ખરેખર તમે અલ્લાતાલા-ઈશ્વરની માફી માગતી આવી મહેરબાબા જેવી પ્રાર્થના ભાગ્યે જ સાંભળી હશે. બેનમૂન છે. ઈશ્વર પાસે તો દરેક ખરાબ વિચાર માટે દરેક કટુ વાક્ય માટે અને દરેક ન પાળેલા વચન માટે અને પોતાની વર્તણૂંકથી બીજાને પીડા થઈ હોય તે માટે પણ મને પસ્તાવો થાય છે. હે ઈશ્વર અલ્લા મને માફ કર. કુરાનમાં જે વાક્યો છે તેનું અંગ્રેજી એક વેબસાઈટમાં છે.

ડુ નોટ ડીસ્પેર ઓફ ગોડ્ઝ મર્સી હી વિલ ફરગિવ યુ ઓલ યોર સીન્સ (૩૯.૫૩) તાજેતરમાં લંડનના મારા વાચક મોહમ્મદભાઈનો ફોન મક્કા-મદીનાથી આવ્યો. તેમણે મારી બીમારીની વાત ત્યાં સાંભળેલી. તેમણે કહ્યું કે હું હજ પઢતી વખતે તમે સારા થઈ જાઓ તેની દુવા માગીશ. આજે હું પૂર્ણ સ્વાસ્થતાથી લખતો થયો છું આ બધા મિત્રોની દુવા અને મારી શ્રદ્ધાથી સારો થયો છું. હજ પઢીને જ્યારે પણ મુંબઈના ઈભુભાઈ ઘાંચી આવે છે ત્યારે પ્રસાદીની કાળી ખજૂર લાવે છે.

લંડન જઈને મોહમ્મદભાઈ મક્કાનું પવિત્ર જળ મોકલશે. અહીં વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે એક અતિ રોચક નવી વાત કહેવી છે. પોલ થોરો નામના વિખ્યાત ટ્રાવેલ લેખક જેણે આખી દુનિયા જોઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને હિમાલય સુધી, પણ તેને મક્કા મદીનામાં જવાની છુટ ન મળી તેનું પુસ્તક પ્રગટ થવાનું છે તેમાં તે લખવાના છે તે વાત વાંચો. આવનાર પુસ્તકનું નામ છે ‘પોલ થોરો : ધ તાઓ ઓફ ટ્રાવેલ.’

આ પુસ્તકમાં ‘પર્સનલ નેરેટીવ્ઝ ઓફ પીલગ્રીમેજ ટુ અલ-મદીના એન્ડ મક્કા’ (૧૮૫૫-૫૬)માં સર રિચાર્ડ બર્ટને લખ્યું છે કે તે એક માત્ર યુરોપિયન છે જેણે મક્કા-મદીનાની હજયાત્રા કરી છે. તેણે આખા કુરાનને કંઠસ્થ કરેલું. પોતે અફઘાન બનીને મીરઝા અબ્દુલ્લા નામ રાખેલું. આ વાત તો જાણે સમજ્યા પણ પછી તેણે કાબા પાસે શું જોયું? જગતભરના મુસ્લિમો ત્યાં માથા પછાડી પછાડીને જોર જોરથી આક્રાંત કરીને ખુદા પાસે પોતાનાં કર્મોની માફી માગતા હતા અને જે રિપેન્ટન્સ કરતા હતા તે ર્દશ્ય હૃદયદ્રાવક હતું.

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે. ઓશો રજનીશ આપણે ખોઈ નાખેલા એક કમાલના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. તેણે રિપેન્ટન્સ-પસ્તાવા ઉપર વિસ્તારથી પ્રવચન આપેલું તો તેના જ ઉદાત્ત શબ્દોમાં અહી રજૂ કરું છું.

‘રિપેન્ટન્સ તમારા જીવનની અતિ મહત્વની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો. પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર તમારી આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ.’ જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે.

યોગાનુયોગ રજનીશ ભક્તે ઓશોને સવાલ પૂછેલો ‘બીલવેડ માસ્ટર વોટ ઈઝ ટ´ રિપેન્ટન્સ.’ સાચો પસ્તાવો કોને કહેવો? ઓશો આનો બહુ ચોંકાવનારો બેધડક જવાબ આપે છે. ‘તમામ ધર્મોએ પસ્તાવા વિશે બહુ ઘોંઘાટ અને પિષ્ટપેષણ કર્યું છે. ઈસુ ખ્રિસ્ત વારંવાર આ વાત રટ્યા કરતા. રિપન્ટ, રિપન્ટ બીકોઝ ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ કલોઝ! રિપન્ટ બીકોઝ ડે ઓફ જજમેન્ટ ઈઝ કમિંગ કલોઝ... મારે કહેવું જોઈએ (રજનીશ કહે છે) કે ધર્મો જ તમને અપરાધભાવ આપે છે. રસ્તે ચાલી જતી સુંદર સ્ત્રીને જુઓ છો. તમારું હૃદય થડકવા માંડે છે પણ તમે પરણેલા છો એક ડઝન બાળકના પિતા છો. તમે ખ્રિસ્તી છો. એટલે તમને રૂપાળી સ્ત્રીની અબળખા માટે અપરાધ સાલે છે. શું આ રિપેન્ટન્સ છે? આ કોઈ પાપ પણ નથી. સુંદર ચીજ જોઈને હલબલિ જવા માટે જ છે.

‘પાપ અને પુણ્યની વાત ધર્મગુરુઓ અને ખાસ કરીને પાદરીઓએ વધુ પડતી ચગાવી છે. તેમના શિષ્યોને ગુલામ કે નમ્ર બનાવવા માટે વાપરી છે. હિન્દુઓ માટે બહુ સરળ રસ્તો છે. ઘણા પવિત્ર થવા અને પાપમુક્ત થવા ગંગામાં ડૂબકી મારવા જાય છે. શ્રદ્ધા સાથે કે તેનાં પાપ ધોવાઈ જશે. રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના યાદ આવે છે. એક ભક્ત તેની પાસે ગયો.

તેણે રામકૃષ્ણજીને પૂછ્યું ‘એ સાચું છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે?’ રામકૃષ્ણજીએ કહ્યું ‘હા સાચી વાત છે. તું ડૂબકી માર એટલે પાપ ધોવાઈ જાય છે. ભક્ત ખુશ થયો અને કહ્યું ‘હું જાઉં છું.’ રામકૃષ્ણજીએ કહ્યું ઊભો રહે! મારી વાત પૂરી થઈ નથી. તું જ્યારે ગંગામાં ડૂબકી મારીશ ત્યારે તારાં પાપ કૂદકો મારીને ગંગા નદી નજીક એક ઝાડ છે તેની ઉપર ચડી જશે. એટલે બહાર નીકળીને ધ્યાન રાખજે કે ઝાડ ઉપર ચઢેલાં પાપ પાછા તારા ખંધોલે ન આવી જાય?

કેટલી માર્મિક અને વેધક વાત છે! પસ્તાવો કરો. હૃદયથી કરો અને ફરી કદી પાપ કે ગલતી નહીં જ કરો તેનો દઢ સંકલ્પ રાખો. ખાસ કરીને કલાપીની શિખામણ માની તમે પ્રેમી કે પ્રેમિકાનું મન દુભવ્યું હોય તો દિલથી માફી માગો, હૃદયથી પસ્તાવો કરો. ‘

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ (25/9/2011)

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

વો મેરે નજદીક આતે આતે હયા સે ઇક દિન લિપટ ગયે થે મેરેં ખ્યાલો મેં આજતક વો બદન કી ડાલી લટક રહી હૈ!


ખુદા જાણે તમે કેવી જગા પર જઇને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા!
તમે પાછા કદી વળશો, એ આશામાં જ વર્ષોથી
ઉભો છું ત્યાં જ, જયાંથી આપણા રસ્તાઓ બદલાયા
સમજદારીએ શંકાઓ ઉભી એવી કરી દીધી,
હતા જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા!
જીગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તા કંઇ નથી આ રાહમાં અજવાળા પથરાયા.
કરી જોયા ઘણાં રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઇ રોકાયા!
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી'તી
અમસ્તા કંઇ નથી 'કાયમ' અમે સસ્તામાં વેંચાયા
(કાયમ હઝારી)
 
વિશ્વ વિખ્યાત ફ્રેન્ચ લેખક આલ્બેર કામૂ. ભારેખમ, એબ્સર્ડ, આધુનિક રચનાઓનો સર્જક. એક પત્રકારે એક વખત કામૂને પૂછયું 'તમારે સમાજ ઉપર પુસ્તક લખવાનું હોય, તો તમે લખો ખરા?'
'ચોક્કસ.' કામૂએ કહ્યું. એ કિતાબ સો પાનાની હશે. જેમાં ૯૯ પાના કોરા હશે. કારણ કે બીજું કંઇ કહેવા જેવું નથી. પણ સોમા અંતિમ પાના પર હું છેલ્લે લખીશઃ 'માનવજાતનું એકમાત્ર કર્તવ્ય છેઃ ચાહવું!'
* * *
૨૦૦૪માં અંગ્રેજી ભાષાના બીજી ભાષામાં અનુવાદ કરવામાં અઘરા પડે, એવા ટોપ ટેન શબ્દોનું એક સર્વેક્ષણ થયું હતું. એમાંનો એક શબ્દ છેઃ સેરેન્ડિપિટી. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે એ શબ્દનું કનેકશન ભારત સાથે છે! અંગ્રેજી ભાષામાં એ શબ્દ આવ્યો ઇટાલીમાં મધ્યયુગમાં થયેલા એક સંપાદનમાંથી. એ સંપાદનમાં હતી મૂળ પર્શિયન (ઇરાનિયન) પરીકથા. જેમાં 'સેરન્ડીપ' નામના ટાપુના ત્રણ રાજકુમારોના પરાક્રમોની વાર્તા હતી. આ અરેબિક શબ્દ સેરન્ડીપ શબ્દ કયાંથી આવ્યો? સંસ્કૃતમાંથી! સેરન્ડિપ એટલે સંસ્કૃત 'સિંહલદ્વીપ' યાને આજના શ્રીલંકાનું અપભ્રંશ પામેલું મૂળ નામ!
એની વે, પરીકથાના રાજકુમારો સાથે 'હેપી એકસીડેન્ટસ' યાને સુખદ અકસ્માતો થતાં. અચાનક જ કોઇ એવી અણધારી ઘટના બને કે જેનું કશુંક મીઠું પરિણામ આવે. 'પ્લેઝન્ટ સરપ્રાઇઝ' જેવા આ યોગાનુયોગ એટલે સેરેન્ડિપિટી!
આ નામથી એક સ્વીટ ફિલ્મ બનેલી. જોન કુસૈકની સેરેન્ડિપિટી! હીરો અકસ્માતો હીરોઇનને મળે છે. બંનેને કુછ કુછ થાય છે. પણ હીરોઇન ઇલુ ઇલુ કરતા વધારે ફોરચ્યુન (ભાગ્ય)ની રમતમાં ભરોસો રાખે છે. એ 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' નામનું પુસ્તક લઇ એમાં પોતાનું નામ અને નંબર લખે છે. હીરો ૫ ડોલરની એક નોટમાં પોતાનું નામ અને નંબર લખે છે. અચાનક, અકસ્માતે ભાગ્યમાં હોય તો ખોવાઇ ગયા પછી પણ જડી આવવા વિશે એને અનહદ શ્રદ્ધા છે. એ પછી કહે છે કે જો કિસ્મત કનેકશન હશે, તો એક દિવસ હીરો પાસે હીરોઇનના નામ- નંબરવાળી બુક ફરતી ફરતી આવશે, અને હીરોઇન પાસે ૫ ડોલરની નોટ! (એની નબળી નકલ જેવી હિન્દી ફિલ્મ એટલે શાહીદ- કરીનાની આખરી 'મિલેંગે મિલેંગે!')
ફિલ્મી? મેલોડ્રામામાં ન માનતા હોલીવૂડમાં ય આ થીમ પરથી 'વ્હેન હેરી મેટ શેલી' ('હમ તુમ' જેવી અનેક યશરાજ ફિલ્મોની ગંગોત્રી!) અને અદ્દભૂત રોમેન્ટિક ફિલ્મ એવી પર્સનલ ફેવરિટ 'ડેફિનેટલી, મે બી' બની ચૂકી છે. જેમાં હીરો- હીરોઇન વારંવાર અકસ્માતે ફરી ફરી અલગ અલગ સ્થળે, અવનવા અનુભવો પછી મળતા રહે છે. સેરેન્ડિપિટી, યુ નો.
ફયુચરનો આધાર ફોરચ્યુન પર? હમમમ્. સેરેન્ડિપિટીમાં એક ખૂબસુરત સંવાદ છેઃ ગ્રીક લોકો કયારેય ઓબિચ્યુરિઝ એટલે શ્રધ્ધાંજલિઓ લખતા નહિં. કોઇ ગુજરી જાય, તો બસ આટલું જ પૂછતાં- 'ડિડ હી (ઓર શી) હેવ પેશન?'
મલલબ, શું એ ઝિંદાદિલ ઝનૂનથી, ધોધમાર પ્યારથી જીવ્યા હતા? પ્રેમ એટલે પેશનના રૃંવાડે રૃંવાડે લેવાતા ચલતીના રાસડા.
* * *
અમેરિકામાં ચાર્લ્સ ફ્રેઝરે એક વિખ્યાત નવલકથા લખી, કોલ્ડ માઉન્ટન. ૨૦૦૩માં એના પરથી બનેલી અદ્દભૂત, જીગરને ખળભળાવી નાખે તેવી જયુડ લો, નિકોલ કિડમેન અભિનિત ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચેલી. આજના ફાસ્ટ કિસથી ડિચ થથાં જમાનાને બદલે અમેરિકામાં સિવિલ વોર ચાલતી એ શતાબ્દીમાં એણે કહાની સેટ કરેલી.
ગામમાં બાપ સાથે એક માસૂમ નજાકતથી ભરપૂર યુવતી આવે છે. નામ છેઃ અદા. અને એક જુવાનિયો ઇન્મેન સિટ્ટીનો હીંચકો બનાવી ઝૂલવા લાગે છે. બકૌલ રમેશ પારેખ ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે સાંજે ફુલ લઇને એવો ઉભો રહે છે કે એનું સાનભાન ચરી ગયું ઘોડું રે! હજુ ધીમે ધીમે જરા જરા અદા એની મીઠી વાતો પર યકીન કરે, ત્યાં તો યુદ્ધમાં જોડાવાનું તેડું આવે છે.
બહુ ગાઢ પરિચય નથી, પણ ઇન્મેનના હૃદયની શિરા-ધમનીઓમાં અદા ભળી જાય છે. યુદ્ધની ભીષણ હિંસા અને ક્રૂરતા વચ્ચે એ અદાનો ફોટો જોઇ લે છે, અને એને બસ શાંતિ થઇ જાય! આ બાજુ બાપ ગુજરી જતાં (અને ગામના બધા ભડભાદરો લડવા જતા) અદા મોટા ખેતર વચ્ચેના પહાડી મકાનમાં સાવ નોંધારી થઇ જાય છે. પરદેશ ગયેલા પિયુની વાટ તાકતી આંસુડા પાડે છે. માંડ એને એક ખેતમજૂરણ સ્ત્રીનો સહારો સાંપડે છે. એક દિવસે ઇન્મેન આવશે, એ આશાએ અદા ઠંડા બરફીલા પર્વતો વચ્ચે દિવસો વીતાવે છે.
અને ઇન્મેન પણ યુદ્ધ ખતમ થતાં ઘાયલ અવસ્થામાં અદાનો ફોટો લઇ અથડાતો કૂટાતો રીતસર ચાલતો સેંકડો માઇલોનો પથ કેવળ અદાને ફરી મળવાની આશાના પાતળા તંતુ પર લટકતો લટકતો કાઢે છે. મારગમાં બીજી સ્ત્રીઓ મળે છે, પણ એને અદા ખપે છે. મરણતોલ બીમાર થાય છે, પણ જરાક સાજો થતાં ફરી ડગુમગુ ચાલતો નીકળે છે.
કોચવાતી અદાને પેલી મજૂરણ મેડી કહે છે. લૂક, આ કુદરતની ડિઝાઇનમાં બધાને માટે કશોક પ્લાન છૂપાયેલો છે. પંખી પાંખો ફફડાવી કયાંક ઉડે છે. બિયું ચણે છે. હગારમાં બિયું નીકળે છે, નવો છોડ ઉગે છે. જનમ-મરણની માફક. બર્ડ હેઝ ગોટ એ જોબ. સીડ હેઝ ગોટ અ જોબ. ઇવન શીટ (હગાર) હેઝ ગોટ અ જોબ. યુ હેવ ગોટ અ જોબ.
બધાને કશુંક કર્મ કર્યા જવાનું છે. ઘટમાળમાં કશુંય નકામું ચાલતું નથી. ગ્રીક લોકો સમગ્ર બ્રહ્માંડ સાથે સંવાદિતા (હાર્મની વિથ યુનિવર્સ) સાધવા 'ફેટમ' શબ્દનો પ્રયોગ કરતાં. એમાંથી આવ્યું ફેટ. યાને ડેસ્ટિની. નિયતિ.
અંતે રઝળપાટથી થાકેલો ઇન્મેન અદાને મળવા પહોંચે છે, અને ઇન્તેઝારમાં કંતાઇ ગયેલી અદા પણ.... બંને મળે છે. કેવળ ચંદ પત્રો અને થોડી ક્ષણોના ટેકે ટકાવી રાખેલી પ્રતીક્ષાની જયોત ઝળહળે છે. ઇન્મેન કહે છે 'કેટલીયે અંધારી જગ્યાઓમાં બસ તારી મનમાં રહેલી તસ્વીરના અજવાળે   ચાલ્યો છું.'  અદા કહે છે - આપણે તો પહેલા બહું ઓછું મળેલા. અને ઈન્માન કહે છે ઃ પણ એમાં ય હજારો ક્ષણો હતી. જાણે કાળા મખમલમાં ઝગમગતા હીરા જેવી એ ક્ષણો. મનમાં તને ચૂમતો હું યુધ્ધમાંથી આ પહાડો સુધી ચાલ્યો છું રોજેરોજ... અને અદા કહે છે - અને હું બળી છું રોજેરોજ તારી રાહ તાકવામાં!
ખેતરમાં પ્રવેશેલા લૂંટારાઓનો સામનો કરતા આ મિલન પછી અદાની ગોદમાં ઈન્મેન મરે છે, અને એની યાદોના સહારે પહાડોના બરફને તાકતી અદા જીંદગી જીવે છે... યુધ્ધના જખ્મોથી દૂર રમણીય ઘાટીમાં...
કોલ્ડ માઉન્ટન, ધેટ ઈઝ.
* * *
વિલિયમ શેક્સપીઅરનું વિશ્વવિખ્યાત સોનેટ નંબર-૧૧૬ છે. શેક્સપીઅર એમાં છાતી ઠોકીને કહે છે કે, ખરેખર પેશનથી એકબીજાને ચાહતા બે મન એકબીજામાં પરોવાય નહિ, તો એમણે લગ્ન કરવા જ ન જોઈએ. બર્નિંગ ફીલિંગ વિનાના મેરેજ બોજ બની જાય છે. સાચો પ્રેમ જો મળે, તો પછી બીજા કોઈ વિકલ્પોની તલાશ હોતી નથી. એ હોય છે અડીખમ ઉભેલી દીવાદાંડી જેવો. જે પોતાના કાંઠે દરિયાના અનેક તોફાનો જોવા છતાં સ્થિર ઉભી રહે છે. દરેક ખોવાયેલી નૌકાને અંધારામાં રસ્તો બતાવતા અવિચળ ધુ્રવના તારા જેવો હોય છે એ પ્રેમ. જેની ઉંચાઈઓ જોઈ શકાય છે, પણ મૂલ્ય માપી શકાતું નથી. એ ગુલાબી ગાલો અને લાલચટ્ટક હોંઠોથી શરૃ થઈને અઠવાડિયાઓ જ નહિ, મહિનાઓ જ નહિ, પ્રલય સુધી વિસ્તરે છે. છેલ્લે આ કલમનો જાદૂગર, માણસજાતનો મરમી પડકાર ફેંકે છે ઃ ઈફ ધિસ બી એરર એન્ડ અપોન મી પ્રૂવ્ડ, આ નેવર રિટ, નોર નો મેન એવર લવ્ડ! જો કોઈ મને ખોટો પાડે કે દુનિયામાં આવા સાચા પ્રેમનું અસ્તિત્વ જ નથી, તો કાં જગતમાં કોઈ ખરો પ્રેમ કર્યો નથી, ને કાં મેં કશું જ લખ્યું નથી! (મતલબ, પ્રેમની બાબતે હું ખોટો હોઉં તો લખવાનું છોડી દઉં, ને આગલું લખ્યું તે બધું ફોક!)
આઈ લવયુ કહેવામાં બે - ચાર સેકન્ડ લાગે, પણ પુરવાર કરવામાં આખી જીંદગી! લોકો શું કહેવાયું છે એ કાળક્રમે ભૂલી જતા હોય છે, પણ કેવું કોની સાથે ફીલ થયું એ યાદ રાખતા હોય છે. ઘણા લોકોને આ ફેસબૂક અને ફેક એકાઉન્ટસથી ઉભરાતી, સ્કેન્ડલ્સ અને સ્કેમ્સથી છલકાતી, એટેન્શન સીકીંગ અને પ્રિન્ટેન્ડિંગમાં ગૂંચવાતી દુનિયામાં રિયલ લવ કોઈ એલિયન જેવો લાગે છે. પણ એમણે કોરી આંખો જોઈ છે  દિવસની. મધરાતના પલળેલા ઓશિકાં કદી જોયા છે? મહોબ્બતમાં કાળજું ચીરી નાખે એવું સૌથી કરપીણ રૃદન કયું હોય છે ખબર છે?
મૌન. ખામોશી. સાયલન્સ.
* * *
દરેક સર્જનાત્મક અને સંવેદનશીલ ઈન્સાન થોડોઘણો સનકી હોય છે. કારણ કે, એ પોતાની કળાને પેશનેટલી ચાહે છે. જયાં ઈશ્ક છે, ત્યાં ઈલ્મનું બાષ્પીભવન થઈ જાય છે. હજુ યે સાચો પ્રેમ તો હોય છે. વ્યક્તિ માટેનો પણ, અભિવ્યક્તિ માટેનો પણ.
કમનસીબે, દિવસે દિવસે આપણે આ બંને ગુમાવતા જઇએ છીએ. ફોનના જવાબો અને નફાના હિસાબોમાં! ઇન્ટરનેટ પર એટ્રેકશન, અંતરનેટમાં કેલ્કયુલેશન! આનંદ અને આવેગની ક્ષણે મુક્તવિહારી થઇને કોઇની સાથે સૂઇ જવું પાપ નથી. પણ સ્પર્શ પણ કર્યા વિના ચાહતા ન હો તો ય 'આઇ લવ યુ' એવું કમિટમેન્ટ આપી દેવું જરૃર પાપ છે. સેકસ મસ્તી છે, અને પ્રેમ ભકિત.  બંને ભળે તો શક્તિ! અને પ્રેમ કેવળ છોકરા- છોકરીનો જ નહિં. પ્રેમ જીંદગીને જાણવાનો, એના રહસ્યોને માણવાનો, મહોબ્બત સંગીત સાથેની, કવિતા સાથેની, રોમાંચક અનુભવો સાથેની, લવ ફોર એકસપ્લોરિંગ ધ ટ્રાવેલ, લવ ફોર લિટરેચર.... એટેચમેન્ટ ઓફ આર્ટ!
બિઝનેસ માઇન્ડેડ લોકો ટૂચકા સાંભળી હીંચકા ખાતા રહે છે. શ્રુડ પીપલ સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ ગણતા રહે છે. છે કોઇ પેશન? કેમ કદી કોઇ ઉમદા નજાકતવાળા મ્યુઝિકમાં, મદહોશ કરી તે તેવી આર્ટમાં, નશો ચડાવી દે તેવા લિટરેચરમાં ઇન્ટરેસ્ટ નથી પડતો? જાણે મોબાઇલના સ્મૂધ સ્ક્રીનને ટચ કરતાં જીંદગીના ઠહરાવની, શાંત સૌંદર્યના વૈભવની આપણને શરીરે લાલ ચાંઠા પાડી દેતી એલર્જી થઇ ગઇ છે! આપણું દિલ બે દિવસ ભેજમાં પડી રહેલી બળેલી રોટલી જેવું ચવ્વડ થઇ ગયું છે.
શરીર પર ઓપરેશન પછી રહી ગયેલા ઘાવ પર આવેલી ચામડી જોઇ છે. ઘણી વખત એટલો હિસ્સો હંમેશ માટે સુન્ન પડી ગયો હોય. જડ, સંવેદનહીન થઇ ગયો હોય, ત્યાં ન વાળ હોય, ન કોષ. પણ ત્યાં મરેલી ચામડી સૌથી વધુ લિસ્સી અને ચમકતી લાગે દૂરથી. પણ સ્પર્શો તો કશી ખબર જ ન પડે! બસ આવી કમ્ફર્ટેબલ ગ્લેમરસ લાઇફ જીવવી છે, જીંદગીમાં સેટલ થઇને, સલામત થઇને, પારિવારિક ખીચડીની ચમચીઓ ચાટીને! બાહરથી ચળકતી, અંદરથી બુઠ્ઠી!
અને એમાં ઉમદા અભિનેતા પંકજ કપૂર એક ફિલ્મ બનાવે છેઃ મૌસમ. દિલ સે અને સાંવરિયાની માફક માસ તો શું, કહેવાતા કલાસ ઓડિયન્સને ય બાઉન્સર જાય તેવી! ઇટ્સ રિસ્કી. ડિજીટલ ઘોંઘાટમાં વળી તે ટહૂકો કોણ સાંભળે? પબ્લિકને રીપેટેટિવ લાગે છે. બોરિંગ લાગે છે. કારણ કે, આપણે કદી લાઇફની મોમેન્ટસ માણતા શીખ્યા જ નથી. આપણે બારમાના, ડિગ્રીના, ઘરના, મેરેજના, એવોર્ડના સકસેસના સ્ટેશન ટુ સ્ટેશન ઠેકડા જ લગાવીએ છીએ. કવોલિટી લિટરેચર, સિનેમા, મ્યુઝિક કશાનો 'સત્સંગ' આપણા માળાફેરઉ મનને થયો જ નથી.
મૌસમ ઇઝ ઓલ એબાઉટ પોએટિક મોમેન્ટસ. નામ જ કેવું છે સોનમનું એમાં- આયત! (સોનમ- અઠંગ સાહિત્યરસિક છે. વાંચી વાંચીને વજન નેવું કિલો થયેલું એનું! પહેલી ફિલ્મ દોસ્તોવ્યસ્કીની કૃતિ પરથી સાંવરિયા, પછી જેન ઓસ્ટીનની કૃતિ પરથી આયેશા અને દિલ્હી સિકસ પણ પ્રયોગશીલ નાટક જેવી!) ફિલ્મની કેટકેટલી કયુટ મોમેન્ટસ છતના નેવાં પરથી મધરાતે ટપકતાં પાણીના ટીપાંની જેમ હૃદયમાં રીસતી રહે છે. દૂરબીનથી ગમતી છોકરીને તાકતા રહેવું, મેંદી અને શાહીથી લખીને થતો શાયરીના મુકાબલા જેવો સંવાદ અને પાણીમાં ઓગળતી ચિઠ્ઠીઓમાંથી લહેરાતા રંગો! ઇન્તેજારમાં બળતી મીણબત્તી સાથે ઓગળતી અને ઝાંખી થતી નાયિકાની એ રાત. વરસાદ વચ્ચે ભૂંગળામાં થતું ભીનું ચુંબન.
ભૂખરી સ્કોટિશ દીવાલો પર લાલ થાપા. નાયિકાએ જેનાથી હોંઠ લૂછયા છે, એ રૃમાલ હળવેકથી સેરવીને સુવેનિઅર બનાવી લેતો નાયક, પંજાબના ખેતરથી સ્કોટલેન્ડની ગોથિક ઇમારતો બધું જાણે બિનોદ પ્રધાનના કેમેરાના સ્પર્શે સજીવન થઇ જાય છે. પાંદડા વચ્ચે પડતાં બંધ પરબીડિયામાં અને આગ વચ્ચે ખુલતી વર્ષોની ચુપ્પી... અંબોડામાં ગૂંથાયેલું પીળું ગુલાબ અને લાલ સ્કર્ટ.... પાનખર ઓઢીને ઉભેલા વૃક્ષો અને ઇન્સાનો... આ સિનેકાવ્ય છે! જેમાં દાનવ બનતાં માનવોના ઓપરેશન બ્લુસ્ટાર, કાશ્મીરી પંડિતોની કત્લેઆમ, બાબરી ધ્વંસ પછીના બોમ્બવિસ્ફોટ, કારગીલ યુદ્ધ, નાઇન ઇલેવન, ગુજરાતના ગોધરાકાંડના રમખાણ એ બધુ જ પ્રેડિકટેબલ, રીપિટેટિવ બેકડ્રોપમાં છે.
જે યાદ દેવડાવે છે કે આપણે કેવા ભયાનક સમય વચ્ચે શ્વાસ લઇએ છીએ, આવા આ સમયમાં જયારે તમામ આસુરી અજગરો માણસને ગળી રહ્યા છે, ત્યારે શુદ્ધ પવિત્ર પ્રેમ શકય છે ખરો?
છે. નહિં તો આવી સાહિત્યકૃતિ જેવી ફિલ્મ આટલું ખર્ચીને કોણ બનાવે. ચાહત. પેશન. એમાં નબળા કલાઇમેકસ અને એડિટિંગથી લઇ કેટલીક હોરિબલ ખામીઓ છે. માફ ન થઇ શકે એવી!
પણ ખામીઓ સ્વીકારીને જ તો કોઇને સંપૂર્ણ ચાહી શકાય છેને! તેરા મેરા હોના તો ભી એક મૌસમ હૈ... પૂરે સે જરા સા કમ હૈ!
(શીર્ષક ઃ તસ્લીમ ફઝલી)
ઝિંગ થિંગ
હો રે રંગ ઝીલો લોચનિયામાં, રંગ ઝીલો રે
હો સૂર ઝીલો જોબનિયામાં, સૂર ઝીલો રે!
(વેણીભાઇ પુરોહિતની પંકિતઓ સંગ, વિશ યુ હેપ્પી ક્રેઝી વાઇલ્ડ નવરાત્રિ ધમાલ!)

 - જય વસાવડા  (અનાવૃત , 28/9/2011)

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

શેર

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

- ભગવતીકુમાર શર્મા

વરસાદ એટલે

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

– ગુણવંત શાહ

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો) ભાગ ૨


‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’
(ગતાંકથી)
હવે શ્રીઅરવંિદ માટે જેલ એ જેલ ન રહી. પણ એ જેલ તેમના માટે યોગાશ્રમ બની ગઈ. આ વિષે તેમણે લખ્યું છે; ‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
હવે ભગવાને પણ અંગ્રેજોની એ જેલમાં આવીને ચમત્કાર સર્જ્યો. શ્રીઅરવંિદને પોતાના ઘરેથી કપડાં અને પુસ્તકો મંગાવવાની મંજૂરી મળી. એમને પીવાના પાણી માટેનું માટલું મળ્યું. પણ આ બઘું મળ્યું ત્યારે તો તેમણે પોતાની જાત સાથે ઘોર યુદ્ધ કરીને તરસને જીતી લીધી હતી, એકાંતને પણ જીતી લીઘું હતું. જેલના ડૉક્ટર ડાલી અને સુપ્રીન્ટેન્ડન એમર્સનને પણ વગર ગુનાએ જેલનાં આકરાં કષ્ટોને ચૂપચાપ સહન કરતા અને એકાંત ઘ્યાનમાં મગ્ન રહેતા શ્રી અરવંિદ પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેઓ દરરોજ શ્રીઅરવંિદ પાસે આવતા અને વાતો કરતા. ડૉક્ટર ડાલીએ શ્રીઅરવંિદને કોટડીની બહાર ખુલ્લા ચોગાનમાં ફરવાની પરવાનગી મેળવી આપી. તેથી પછી તેઓ અર્ધા કલાકથી બે કલાક સુધી ખુલ્લામાં ફરવા લાગ્યા. ઘરેથી મંગાવેલા બે પુસ્તકો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા અને ઉપનિષદ આવી જતાં તેમનો પણ ગહન અભ્યાસ તેઓ કરવા લાગ્યા. તેઓ જ્યારે ખુલ્લામાં ચાલતા ત્યારે ગીતા અને ઉપનિષદોના મંત્રોનું સતત રટણ કરતા રહેતા. માત્ર રટણ જ નહીં, પણ એ મંત્રોના સત્યનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. અને પછી તો એમને સર્વત્ર પરમાત્માના જ દર્શન થવા લાગ્યા.
ઉત્તરપાડામાં આપેલા વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જોયું કે મારી ચોતરફ ઊભેલી જેલની ઊંચી ઊંચી દિવાલો એ કંઈ દિવાલો ન હતી. એ તો વાસુદેવ પોતે મને ઘેરીને ઊભા હતા. ચોકમાં હું જે વૃક્ષ નીચે ચાલતો હતો, તે કંઈ વૃક્ષ નહોતું, મેં જોયું કે આ વૃક્ષ વાસુદેવ પોતે જ છે અને મારા ઉપર છાયા ઢાળી રહ્યા છે. મેં કોટડીના સળિયા અને બારણાની જાળી તરફ નજર નાંખી અને ત્યાં પણ મેં વાસુદેવને જોયા. નારાયણ પોતે જ મારી રક્ષા કરતા, મારા ઉપર પહેરો ભરતા ત્યાં ઊભા હતા. હવે મને સૂવા માટે આપેલા ખરબચડા ધાબળા ઉપર હું સૂતો ત્યારેપણ હું અનુભવવા લાગ્યો કે શ્રીકૃષ્ણના બાહુઓ, મારા સુહૃદ અને પ્રિયતમના બાહુઓ મને વીંટળાઈ વળ્યા છે. પ્રભુએ મને જે ગહન દ્રષ્ટિ આપી તેનો પહેલો ઉપયોગ આ જોવાનો હતો. હું જેલના કેદીઓને, ચોરોને, ખૂનીઓને, ઉઠાઉગીરોને જોવા લાગ્યો અને મને ત્યાં સર્વત્ર વાસુદેવ દેખાવા લાગ્યા.’ હવે શ્રીઅરવંિદનું સમગ્ર જગત બદલાઈ ગયું. હવે તેમને માટે જેલ એ જેલ ન રહી. એકાંત સજા પ્રભુની સમીપ લાવનાર બની રહી. તેમને ખાતરી થઈ ગઈ કે ભગવાન એમને સાક્ષાત્કાર કરાવવા માટે જ જેલમાં લઈ આવ્યા છે.
હવે ભગવાને એમની સમક્ષ જેલજીવનના એકાંતનું રહસ્ય ખોલ્યું કે, ‘જે બંધનો તોડવાનું બળ તારામાં નહોતું, તે બંધનો તારે ખાતર અને તારે બદલે મેં તોડી આપ્યાં છે. મારી એવી ઇચ્છા નહોતી અને આશય પણ નહોતો કે તું એ બંધનમાં પડ્યો રહે. મારે તારી પાસે એક બીજું કાર્ય કરાવવાનું છે, એ માટે હું તને અહીં લાવ્યો છું. એ કાર્ય તું જાતે શીખી શકે તેમ નથી, એ હું તને શીખવીશ. મારે મારા કાર્ય માટે તને તૈયાર કરવાનો છે.’ આમ પ્રભુએ પોતે જ શ્રીઅરવંિદ સમક્ષ એમની ધરપકડ પાછળના કારણને પ્રગટ કર્યું. બધી જ બાહ્ય જંજાળોથી મુક્ત, જનસમાજથી અલિપ્ત અને બીજી કોઈપણ પ્રવૃત્તિ ન હોય એવી સંપૂર્ણ નિવૃત્તિની સ્થિતિમાં ભગવાનને શ્રી અરવંિદ જેલની એકાંત કોટડી સિવાય બીજે ક્યાં મળવાના હતા ? એ એકાંત કોટડીમાં ભગવાન હવે શ્રીઅરવંિદ સમક્ષ હંિદુ ધર્મના ગહન રહસ્યો દિનપ્રતિદિન પ્રગટ કરવા લાગ્યા. આ વિષે પણ તેમણે ઉત્તરપાડાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, ‘હવે દરરોજ મારા ચિત્તમાં, મારા હૃદયમાં, મારા દેહમાં હંિદુધર્મના સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને એ સત્યો મારા માટે જીવતા જાગતા અનુભવો બની રહ્યા. મારી સામે એવી વસ્તુઓ પ્રગટ થઇ જેના ખુલાસા ભૌતિક વિદ્યા આપી શકે નહીં.’’
શ્રીઅરવંિદ ગહન સાધનામાં ડૂબી ગયા. કોર્ટમાં મુકદમો ચાલી રહ્યો હોય, ત્યારે પણ તેઓ ઘ્યાનમાં જ ડૂબેલા રહેતા. બ્રિટિશ સરકારે તેમની વિરૂઘ્ધ ચારસો જેટલા પુરાવાઓ અને બસ્સો છ જેટલા ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હતા. શ્રીઅરવંિદનો બચાવ કરવા માટે કોઇ બાહોશ વકીલ ન હોવાથી કેસનો ચુકાદો તેમની વિરૂઘ્ધમાં જાય તેવી પૂરી શક્યતા હતી. પણ તેમના બચાવ માટે દેશબંઘુ ચિત્તરંજનદાસ આવી પહોંચ્યા. તેમણે પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રાત-દિવસ એક કરીને શ્રીઅરવંિદના કેસના કાગળિયાં તૈયાર કર્યા. શ્રીઅરવંિદને થયું કે તેઓ તેમને માહિતી આપી વાકેફ કરે તો દેશબંઘુને સરળતા રહેશે. આથી તેઓ મુદ્દાઓ લખાવવા બેઠા, ત્યારે ફરી ભગવાને એમના અંતરમાં કહ્યું ઃ ‘‘આ બધાં કાગળિયાં બાજુએ મૂકી દે. તારા વકીલને સલાહ આપવાનું કામ તારું નથી. એ હું કરીશ. આ માણસ તારી આસપાસ બિછાવાયેલી જાળમાંથી તને મુક્ત કરશે. નિર્ભય રહેજે. જે કાર્ય માટે હું તને જેલમાં લાવ્યો છું. એના તરફ જ ઘ્યાન આપ.’’ એ પછી શ્રી અરવંિદે કેસ અંગે વિચાર પણ કર્યો નહીં. અને ગહન સાધનામાં ડૂબી ગયા. એકાંત કોટડીમાં હોય કે ચોકમાં ટહેલતા હોય કે કોર્ટના કોલાહલોની વચ્ચે હોય કે પછી શક્તિથી ઉછળતા ક્રાન્તિકારી યુવાન કેદીઓની વચ્ચે હોય, પણ તેમના ઘ્યાન અને સાધના અવિરત ચાલતાં રહ્યાં.
ઘ્યાનમાં એમને અનેક સૂક્ષ્મદર્શનો થવા લાગ્યાં. ઘ્યાનમાં એમને પંદર દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો અવાજ માર્ગદર્શન આપતો રહ્યો. સ્વામી વિવેકાનંદે એમને બુઘ્ધિજન્ય વિચાર અને પ્રજ્ઞા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. જેલમાં તેમણે અગિયાર દિવસના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસથી તેમની શક્તિમાં ઘટાડો થયો ન હતો, પણ દસ પાઉન્ડ વજન ઘટી ગયુ હતું. બીજીવાર તેમણે પોંડિચેરીમાં ત્રેવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસના આ અનુભવો દ્વારા એમણે જાણી લીઘું હતું કે આઘ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસની ઉપયોગીતા ઘણી જ મર્યાદિત છે. જેલના નોકરે તેમને કોટડીમાં જમીનથી અઘ્ધર રહેલા જોયા હતા અને તેણે બધાંને વાત કરી હતી. તેથી દેશભરમાં એ વાત પ્રસરી ગઇ હતી કે ‘અરવંિદબાબુ જમીનથી અઘ્ધર રહે છે.’ પાછળથી આ વિષે પ્રશ્ન પૂછાતાં શ્રી અરવંિદે પોતે જ જણાવ્યું હતું કે, ‘‘તે વખતે મારી સાધના ખૂબ સઘનપણે પ્રાણની ભૂમિકા પર ચાલતી હતી. હું ઘ્યાનમાં બેઠો હતો. મને પ્રશ્ન થયો કે ઉત્થાપન જેવી શારીરિક સિદ્ધિઓ શક્ય છે ખરી? થોડીવારમાં મેં મારું શરીર એવી રીતે ઊંચકાયેલું જોયું કે હું મારા પોતાના સ્નાયુઓના પ્રયત્નથી એ પ્રમાણે ઊંચકી શકું નહીં. શરીરનો એક ભાગ (ધૂંટણ) જમીનને જરાક અડકેલો હતો અને બાકીનું શરીર ભીંતની સામે ઊંચકાયેલું હતું. જેલમાં એવા અસાધારણ અનુભવો મને થયા હતા.’’
શ્રીઅરવંિદને જેલમાં માનવમન અને પ્રાણમાં ઊઠતા શંકા, વિરોધ અને ઈન્કારના સઘળા પરિબળો ઉપર વિજય મેળવવો પડ્યો. તે માટે તેમને ઘણા પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર પણ થવું પડ્યું. જ્યારે તેમણે પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપી દીધી ત્યારે પ્રભુએ એમને માનવમનની સાંકડી સીમાઓમાંથી ઉપર ઉઠાવીને વૈશ્વિક ચેતનામાં તદ્રુપ કરી દીધા ને પોતાના ભાવિ કાર્ય માટે સજ્જ કરી દીધા. શ્રીઅરવંિદને જેલમાં લાવવાનો ભગવાનનો હેતુ પૂર્ણ થયો અને પછી તેમના કેસમાં બઘું જ આશ્ચર્યકારક રીતે બદલાવા લાગ્યું. ચિત્તરંજનદાસને ક્યાંય ક્યાંયથી એવી એવી માહિતીઓ મળવા લાગી કે જે શ્રીઅરવંિદની તરફેણમાં હોય. તેમનો કેસ નીચલી સેશન્સ કોર્ટમાંથી ઉપલી સેશન્સ કોર્ટમાં ગયો. અને ત્યાં ન્યાયાધીશ બ્રીચ ક્રોફ્‌ટ હતા, જેઓ કેમ્બ્રિજમાં શ્રીઅરવંિદના સહાઘ્યાયી હતા અને શ્રીઅરવંિદની બુઘ્ધિ પ્રતિભાને સારી રીતે ઓળખતા હતા. શ્રી અરવંિદનો કેસ ચાલ્યો. ચિત્તરંજનદાસ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા કેમકે તેમના મુખમાં એક પછી એક એવા શબ્દો આવતા હતા કે જેમનો તેમણે ક્યારેય વિચાર સુઘ્ધાં કર્યો ન હતો. તેઓએ ભરચક કોર્ટમાં રણકતા અવાજે, હૃદયંગમ વાણીમાં શ્રી અરવંિદ વિષે જે વાણી ઉચ્ચારેલી તેમાં શ્રીઅરવંિદના વિરાટ વ્યક્તિત્વનું સ્પષ્ટ ચિત્ર પ્રગટી રહ્યું હતું. તેમણે કહ્યું, ‘‘આથી મારે આપની સમક્ષ એ કહેવાનું છે, કે એમના જેવો પુરુષ, જેમના ઉપર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે કેવળ આ અદાલતની સમક્ષ જ નહીં, પરંતુ માનવ ઈતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. જ્યારે આ વાદવિવાદના પડઘા શમી ગયા હશે, આ ઉત્પાત અને આંદોલનો પૂરાં થઇ ગયાં હશે, તેઓ સ્વયં પણ મૃત્યુ પામીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હશે, ત્યાર પછી પણ ઘણા લાંબા સમય બાદ એમને દેશપ્રેમના કવિ તરીકે, રાષ્ટ્રવાદના પયગંબર તરીકે, અને માનવતાના ચાહક તરીકે બિરદાવવામાં આવશે. તેઓ જ્યારે આપણી વચ્ચે નહીં હોય, ત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ દૂરસુદૂરના સાગરપારના પ્રદેશોમાં પણ એમની વાણીના પડઘા પડતા હશે અને તે ફરી ફરીને સંભળાતી હશે.’’ ખીચોખીચ ભરેલી કોર્ટમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી શાંતિમાં જ્યારે આ વાણી વિરમી ગઇ ત્યારે કોર્ટમાં એક સન્નાટો છવાઇ ગયો. ન્યાયાધીશ બ્રીચક્રોફટ પણ સ્તબ્ધ બની ગયા. આ કેસમાં શ્રીઅરવંિદની વિરૂઘ્ધમાં હતું, તે બઘું તરફેણમાં પલ્ટાઇ ગયું. ન્યાયાધીશે એમના ઐતિહાસિક ચુકાદામાં શ્રીઅરવંિદને નિર્દોષ જાહેર કર્યા. ૫મી મે ૧૯૦૮ના રોજ જેલમાં ગયેલા શ્રીઅરવંિદ ૬ઠ્ઠી મે ૧૯૦૯ના રોજ પૂરા એક વરસ બાદ જેલમાંથી બહાર નીકળ્યા. જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’

- જ્યોતિબેન થાનકી
ગુજરાત સમાચાર તા.૧૪/૦૮/૨૦૧૧ 

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો)

શ્રીઅરવંિદે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા.
શ્રીઅરવંિદને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું.

૧લી મે શુક્રવારનો એ દિવસ હતો. શ્રી અરવંિદ ‘વંદે માતરમ’ના કાર્યાલયમાં બેસીને કામ કરી રહ્યા હતા, ત્યાં શ્યામસુંદર ચક્રવર્તી આવ્યા ને શ્રીઅરવંિદના હાથમાં તાર મૂકીને કહ્યું ઃ ‘‘જરા આ વાંચી જાઓ તો.’’ શ્રીઅરવંિદે એ તાર વાંચીને બાજુએ મૂકી દીધો. તેમાં મુઝફરપુરમાં બોંબ પડ્યો અને બે ગોરી મહિલાઓના મૃત્યુ થયાં એ વાત જણાવી હતી. પણ શ્રી અરવંિદને આ વાત સાથે કોઈ જ નિસ્બત નહોતી, તેથી તેઓ પોતાના કાર્યમાં પૂર્વવત્‌ મગ્ન થઈ ગયા. અંગ્રેજી વર્તમાનપત્ર એમ્પાયરમાં પણ સમાચાર આવ્યા હતા કે પોલિસ કમિશ્નર આ બોંબકેસ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ઓળખતા હતા અને તેઓને પકડીને તેમની સાથે કડક હાથે કામ લેશે તેમ જણાવ્યું હતું. શ્રીઅરવંિદને આ સમાચાર સાથે પણ કંઈ લેવાદેવા ન હતી, આથી તેમણે ઘ્યાન આપ્યું ન હતું.
તે રાત્રે તેઓ પોતાના ઘરમાં સૂતા હતા. વહેલી સવારે એમના બહેન સરોજિની હાંફળાફાંફળા એમના ઓરડામાં ધસી આવ્યાં અને બોલી ઊઠ્યા, ‘‘ઓરોદા, ઓરોદા’’ શ્રી અરવંિદ જાગીને બેઠા થયા ત્યાં તો તેમનો આખો ઓરડો સિપાહીઓ અને પોલિસ સુપ્રીટેન્ડન્ટથી ભરાઈ ગયો. તેઓ કંઈ પૂછે એ પહેલાં તો તેમના કાને કરડો અવાજ સંભળાયો ‘‘કોણ છે, અરવંિદ ઘોષ ?’’
‘‘કેમ શું છે? હું છું અરવંિદ ઘોષ.’’
‘‘પકડી લો એને અને દોરડાથી બાંધી દો. જોજો નાસી ન જાય.’’ ‘‘પણ શા માટે મને પકડવામાં આવે છે? શું તમારી પાસે કંઈ વોરંટ છે?’’ સુપ્રીન્ટેન્ડન્ટે વોરંટ બતાવ્યું. તેમાં બોંબ ફેંકવાના આરોપસર તેમની ધરપકડ કરવાની વાત હતી. આ જોઈને શ્રી અરવંિદને આગલા દિવસના તારની અને સમાચારની વાત યાદ આવી ગઈ. જેના વિષે તેઓ કશું જ જાણતા ન હતા છતાં વોરંટને તાબે થયા વગર બીજો ઉપાય પણ નહોતો. પોલીસોએ શ્રીઅરવંિદના હાથમાં લોખંડની હાથકડી પહેરાવી દીધી અને તેમને મજબુત દોરડાથી બાંધી દીધા. ગોરો સુપ્રીન્ટેન્ડન્ટ ક્રેગન જાણે કોઈ ખતરનાક ગુનેગારને પકડી લીધો હોય એમ વિજયી સ્મિત ફરકાવતો પોલિસોને ઘરની તલાશી માટેના હુકમો આપવા લાગ્યો. સાડા છ કલાક સુધી ઘરની તલાશી લેવામાં આવી. ઘરની એક એક વસ્તુને ફંફોસવામાં આવી. અસંખ્ય પત્રો, કાગળો, પેટીઓ કબજે કરવામાં આવ્યાં. એક પૂંઠાના ખોખામાં રાખેલી દક્ષિણેશ્વરની માટીને પણ બોંબ બનાવવાની સામગ્રી માનીને તે પણ લઈ લીધી!
શ્રીઅરવંિદને લાલબજારની ચોકી પર બીજા માળના એક ઓરડામાં રાખવામાં આવ્યા. ત્યાં પોલિસ કમિશ્નરે કડક સૂચના આપી કે ‘આ માણસ સાથે બીજા કોઈને રહેવા દેવા નહીં, અને તેની સાથે કોઈને વાત કરવા દેશો નહીં.’ શ્રીઅરવંિદના જેલ જીવનની કપરી સાધનાની શરૂઆત અહીંથી જ થઈ ગઈ. વંદેમાતરમમાં આવતા શ્રી અરવંિદના લેખોએ લોકોના હૃદયમાં માતૃભૂમિ માટે બલિદાન આપવાની ભાવના જાગૃત કરી હતી. આથી બ્રિટિશ સરકાર કોઈપણ ભોગે ભારતના લોકો સાથેનો એમનો સંપર્ક તોડી નાંખવા ઈચ્છતી હતી. તેમના આગ ઝરતા લખાણોનો એક એક શબ્દ બ્રિટિશ સરકારના અત્યાચારો, અન્યાયોને પ્રગટ કરતો હતો છતાં તેઓ એવી સિફતથી લખતા કે એ રાજદ્રોહી લખાણ છે, તેમ કોઈ સાબિત કરી શકે નહીં પણ આ બોંબકાંડમાં શ્રીઅરવંિદને મુખ્ય સૂત્રધાર માનીને તેમને લોકસંપર્કથી અળગા કરવાની તક બ્રિટિશ સરકારે ઝડપી લીધી અને શ્રીઅરવંિદના જીવનનો એક નવો જ અઘ્યાય શરૂ થયો. ખૂનનો આરોપ, પોલિસ કમિશ્નરોની કઠોર વર્તણૂંક, શારીરિક કષ્ટો, માનસિક યાતનાઓ, માનવમનને પાગલ કરી મૂકે તેવું ભેંકાર એકાંત, આ અઘ્યાય સાથે જોડાયેલું હતું, જે સ્પષ્ટ રીતે દેખાતું હતું અને અનુભવાતું હતું, પરંતુ આ અઘ્યાયના પેટાળમાં જે જડાયેલું હતું, તેની તો તે સમયે શ્રીઅરવંિદને પોતાને પણ કોઈ જ ખબર ન હતી.
શ્રીઅરવંિદને જેલજીવનની કઠોરતાના અનુભવો અહીંથી જ થવા લાગ્યા. માંડ માંડ હાથ-મોઢું ધોઈ શકાય એટલું જ પાણી તેમને આપવામાં આવ્યું અને ખાવામાં ઊતરી ગયેલા દાળભાત! માંડ માંડ બે કોળિયા ખાધા પણ પછી તો મોઢામાં કંઈ નાંખી શકાયું નહીં. સવારનું પેટ ખાલી હતું, તે ખાલી જ રહ્યું. આમ ત્રણ દિવસ અહીં વીતાવવા પડ્યા પણ પછી સાર્જન્ટને દયા આવતાં ચા અને રોટી ખાવા આપ્યાં, પણ એય પૂરતાં નહોતાં. ત્યાંથી તેમને અલીપુરની જેલમાં લઈ જવામાં આવ્યા. તે સમયે તેમને એક સંબંધી મળ્યા અને કહ્યું ઃ ‘‘હવે તમને કદાચ એકાંત કેદ મળે તો તમારે ઘરે કંઈ સંદેશો આપવો છે ?’’ આ સમયે પણ શ્રી અરવંિદ શાંત અને સ્થિર હતા. તેમણે કહ્યું ઃ ‘‘કહેજો, મારી કોઈ ચંિતા ન કરે, મારી નિર્દોષતા સાબિત થઈ જશે.’’
હવે શ્રીઅરવંિદને અલીપુર જેલની નવ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા. આ ઓરડીમાં એક પણ બારી ન હતી પણ લોઢાના સળિયાવાળી એક જાળી હતી. જાણે પાંજરૂ જ જોઈ લો. કોટડીની બહાર એક પાકો ચોક હતો તે પછી ઈંટોની ઊંચી ઊંચી દિવાલો હતી. કોટડીઓની હારની બહારની સામે લાકડાનો એક મોટો દરવાજો હતો એ દરવાજામાં માણસની આંખની ઊંચાઈએ નાનાં નાનાં ગોળ કાણાં હતાં, જેમાંથી પહેરાવાળા કેદીની હિલચાલ જોઈ લેતાં. ઓરડીમાં આપેલા સામાનમાં પિત્તળનો એક વાટકો ને થાળી, પાણી ભરવા માટે લોખંડનું એક પીપ, ઓઢવા પાથરવા માટે ખરબચડા બે ધાબળા, શૌચ માટે ડામરથી રંગેલી બે ટોપલીઓ, આથી વિશેષ કશું જ નહીં.
શ્રીઅરવંિદે ‘કારાવાસની કહાની’ નામના પોતાના પુસ્તકમાં જેલજીવનની આ સમૃદ્ધિ વિષે બહુ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તેમણે પોતાના વાટકાને બ્રિટિશ સિવિલિયનની ઉપમા આપતાં વર્ણવ્યું છે કે જેમ બ્રિટિશ સિવિલિયન, ન્યાયાધીશ, કલેક્ટર, પોલિસ અમલદાર, મ્યુનિસિપાલિટીનો પ્રમુખ, શિક્ષક, ધર્મોપદેશક ફાવે તે બની શકે એ જ રીતે મારો પ્રિય વાટકો પણ હતો, તે ભેદભાવ રાખવામાં કંઈ સમજતો નહીં. જેલમાં આવતાં વેંત જ મેં તે વાટકાથી હાથપગ ધોયા, તેમાં પાણી લઈને મોઢું ધોયું અને નાહ્યો. થોડીવાર પછી જમવા બેઠો, ત્યારે એ જ વાટકામાં મને દાળ-શાક આપવામાં આવ્યા. પછી એ જ વાટકામાં મેં પાણી પીઘું. આવી જાતની અમૂલ્ય ચીજ જેનાથી સર્વ કામ થઈ શકે એ તો અંગ્રેજ સરકારની જેલમાં જ સંભવિત છે. આ વાટકો સાંસારિક બાબતમાં ઉપયોગી થવા ઉપરાંત મારી યોગસાધનાનું એક કારણરૂપ પણ હતો. સૂગ છોડાવવા માટે આવો મદદગાર કે ઉપદેશક ક્યાંથી મળી શકે? કેમકે શૌચ માટે પાણી લેવા પણ આ જ વાટકાનો એક મહિના સુધી ઉપયોગ કરવો પડ્યો હતો.
જેલમાં ચોવીસ કલાક માટે માત્ર એક જ ડોલ પાણી આપવામાં આવતું હતું. નહાવું, શૌચ જવું, વાસણ માંજવા- આ બઘું આટલા પાણીમાં જ કરવું પડતું ! ઉનાળાની ભયંકર ગરમીમાં લોખંડના પીપમાં ભરેલું પાણી ઉકળી જતું અને એ જ પાણીથી તરસ છીપાવવાની હતી!! તરસ છીપવાને બદલે વધી જતી! જેલમાં મળતો ખોરાક પણ કંઈ આસ્વાદ્ય ન હતો. જાડા મોટા ચોખાનો ભાત, એ પણ માટી, કાંકરા, મકોડા, વાળ, વગેરે જાતજાતના મસાલાથી ભરપુર. ફિક્કી દાળ, જેમાં મોટો ભાગ પાણીનો જ હોય. અને ઉબાઈ ગયેલા ઘાસ અને પાંદડાનું શાક. જેલના ખોરાક વિષે શ્રીઅરવંિદ લખે છે; ‘માણસનું ભોજન આવું બેસ્વાદ અને અસાર પણ બનાવી શકાય છે, તે મને અગાઉ બિલકુલ માલુમ ન હતું. કાળું કોલસા જેવું ભાજીનું શાક જોઈને તો હું હેબતાઈ જ ગયો. બે કોળિયા ખાઈને માનપૂર્વક તેને નવગજના નમસ્કાર કર્યા.’
ખરબચડી છોવાળી કોટડીમાં સૂવું એ પણ એક સજા જેવું જ હતું ! સૂવા માટે તેઓ એક કામળો પાથરતા અને બીજાનું ઓશીકું બનાવતા. ઉનાળાની અસહ્ય ગરમીમાં કામળા પર સૂવું એટલે તપાવેલા લોઢાની પથારી પર સૂવા જેવું હતું. જ્યારે વરસાદ આવે ત્યારે ઠંડકનો અનુભવ થતો પણ થોડીવારમાં એ અનુભવ પણ કષ્ટદાયક બની જતો. કેમકે વરસાદના પાણીથી કોટડી ભીની થઈ જતી, તેમાં પાણી ભરાઈ જતું. જો પવન હોય તો ઘૂળ, પાંદડા, ઝાંખરા ઊડી ઊડીને સળિયાની ઝાળીમાંથી અંદર આવીને પાણી પર તરવા લાગતા. એ સમયે શ્રી અરવંિદ ભીનો થઈ ગયેલો કામળો લઈને એક ખૂણામાં બેસી રહેતા. જ્યાં સુધી કોટડીની છો સૂકાય નહીં ત્યાં સુધી તેમને આમ જ બેસી રહેવું પડતું.
શ્રીઅરવંિદને તો એકાંદ કેદ હતી. આથી બીજા કોઈ કેદીઓ સાથે તેઓ વાતચીત કરી શકતા નહીં. જેલના પહેરેદારો, ડૉક્ટરો કે દારોગા સિવાય તેમને બીજા કોઈને મળવાનું થતું નહીં. શરૂઆતમાં તો એમની પાસે વાંચવા માટે એક પણ પુસ્તક ન હતું. સાથી કેદીઓ નહીં, પુસ્તક નહીં, કોઈ સાથે વાતચીત કરવાની નહીં. બંધ કોટડીમાં જાળીમાંથી દેખાતો આકાશનો એક નાનકડો ટુકડો, સામે દેખાતું લીમડાનું એક માત્ર વૃક્ષ. સાંભળવાના પહેરેગીરોના જોડાના ઠપઠપ અવાજ, અને તન અને મનને ભીંસી નાખે તેવું ભયંકર એકાંત. ઓરડીની અંદર દ્રષ્ટિ કરીને સ્થિર થવું મુશ્કેલ અને બહાર પણ એનું એ જ જોવાનું ! શ્રી અરવંિદને એકાંદ કેદનો અનુભવ થોડા દિવસમાં જ થઈ ગયો ! એ વિષે જણાવતાં તેઓ લખે છે કે, ‘મને સમજાઈ ગયું કે આ જાતના કેદખાનામાં પાકટ અને વખણાયેલી બુદ્ધિ પણ કેમ બહાર મારી જાય છે. માણસ થોડા જ દિવસોમાં ગાંડા જેવો થઈ જાય છે. પણ તે સાથે મને એમ પણ લાગ્યું કે આ જાતની એકાંદ કોટડીમાં જ માણસને ભગવાનની અપાર દયાનો અનુભવ કરવાનો અને તેની સાથે એકતા અનુભવવાનો દુર્લભ અવસર પણ મળે છે.’
શરૂઆતમાં તો શ્રીઅરવંિદનું મન બળવો કરવા લાગ્યું હતું. એ સમયે ઉનાળાના લાંબા લાંબા દિવસો પસાર કરવા માટે વિચાર કરવા સિવાય બીજું કોઈ કાર્ય જ ન હતું. વિચારો પણ કેટલાક કરવા ? પરંતુ પછી તેમણે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા. આ અનુભવ વિષે તેઓ જણાવે છે કે, ‘મારા સમગ્ર અંતરમાં એક એવી શક્તિ વ્યાપી ગઈ કે મારું આખું શરીર શીતળ થઈ ગયું. મારા બળતા હૈયામાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થયો. જેમ એક બાળક નિષ્ફિકર થઈને પોતાની માની ગોદમાં સૂઈ જાય છે, તે પ્રમાણે હું જગદંબાની ગોદમાં સૂવા લાગ્યો અને તે દિવસથી મારા જેલના બધા દુઃખોનો અંત આવ્યો.’ જોકે જેલમાં કંઈ સ્થિતિ બદલાઈ ન હતી. પણ શ્રીઅરવંિદના મનની સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે જેલના દુઃખો તેમને સ્પર્શી શકતાં ન હતાં. હવે તેઓ બાહ્ય દુઃખોથી મુક્ત થઈ એકાંતમાં, મનની પેલે પારના રહસ્યો જાણવા લાગ્યા. હવેજેલમાં લઈ આવવાનો ભગવાનનો હેતુ સ્પષ્ટ રીતે તેઓ જાણી શક્યા. ભગવાને તેમને માનવદુઃખોનો, ક્રૂરતાનો અનુભવ કરાવ્યો. બીજું, તેમને એકાંતવાસમાં રહેવાની ટેવ પડાવી અને ત્રીજું, તેમને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું. અને તેના પરિણામે ભગવાન વાસુદેવને જાતે જ ફરી એકવાર કારાગારમાં આવવું પડ્યું !!

- જ્યોતિબહેન થાનકી
ગુજરાત સમાચાર તા.૦૭/૦૮/૨૦૧૧

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

દોસ્તી એટલે આંસુ અને હાસ્યનો સંબંધ



બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી - મરીઝ

એક મિત્ર બીજા મિત્રને મળ્યો અને પૂછયું કે “કેમ છો?” બીજા મિત્રએ કહ્યું કે “મજામાં!” મિત્રે પછી કહ્યું, “ચાલ હવે સાચી વાત કર!” અને પછી દિલના બધા જ દરવાજા ખૂલી જાય છે, વાતો વહેતી રહે છે, દિલનો ભારે ખૂણો ધીમે ધીમે હળવો થતો જાય છે, ક્યારેક હોઠ મલકે છે અને ક્યારેક આંખો ભીની થાય છે. છેલ્લે જે હોય છે એ માત્ર અને માત્ર દોસ્તી હોય છે!

દોસ્તી લોહીનો સંબંધ નથી. દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે. જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે. મિત્ર એટલે એવી વ્યક્તિ જેને કોઈ પણ વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડતી નથી, જેને કહેવું પડતું નથી કે કોઈને આ વાત કરતો નહીં. દોસ્ત સાથેનો સંવાદ એટલે એવી જાહેર વાત જે કાયમ ખાનગી રહે છે. તમારો એવો મિત્ર કોણ છે જેને તમારી બધી જ વાત ખબર છે? મિત્ર એટલે એવી વ્યક્તિ જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે! દોસ્ત મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે. ક્યારેક પ્રેમની, ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની, ક્યારેક લફરાંની, ક્યારેક દર્દની અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો એ દોસ્તીની લક્ઝરી છે.

ગામ માટે જે રાજુ હોય છે એ દોસ્ત માટે રાજ્યો હોય છે, મનોજ મનીયો હોય છે, હરેશ હરિયો હોય છે, પરેશ પરિયો હોય છે, રીટા રીટાડી અને ગીતા ગીતુડી હોય છે. દોસ્તીમાં લિંગભેદ નથી. બે છોકરાની દોસ્તી, બે છોકરીના બહેનપણા કે એક છોકરા અને એક છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપમાં ભેદ પાડવો અઘરો છે. દોસ્ત એટલે એવી વ્યક્તિ જેને તુંકારે અને ગાળ દઈને બોલાવવાનો અધિકાર હોય. દોસ્તને આગ્રહ કરવો પડતો નથી અને દુરાગ્રહનો અવકાશ નથી. દરેક સંબંધમાં કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે, પણ દોસ્તી એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગરનો સંબંધ. દોસ્તીને કંઈ જ નડતું નથી. મોભા, દરજ્જા, અમીરી, ગરીબી અને બીજા બધાથી દોસ્તી પર છે.

દોસ્તી કોઈ શરત વગર શરૂ થાય છે. દોસ્તીનાં કોઈ જ કારણ હોતાં નથી. તમારા મિત્ર વિશે તમે વિચારજો કે એ શા માટે તમારો મિત્ર છે? તેનો જવાબ એક જ હશે, બસ એ મિત્ર છે. દોસ્ત વિશે કહેવાય છે કે એ એક એવું ઋણાનુબંધ છે, જેમાં કોઈ બંધન નથી.

દોસ્તી તૂટે ત્યારે ઘણું બધું તૂટે છે.  એક વૃદ્ધનો મિત્ર અવસાન પામ્યો ત્યારે તેણે કહ્યું કે “હવે મને તુંકારે કહેવાવાળું કોઈ ન રહ્યું. હવે હું ખરેખર એકલો પડી ગયો.” ફિલ્મ ‘ફિઝા’માં ગુલઝારે લખેલું એક ગીત છે. ન લેકે જાઓ, મેરે દોસ્ત કા જનાજા હૈ. જગાઓ ઉસકો, ગલે મિલ કે અલવિદા તો કરો, યે કૈસી રૂખસદ હૈ, યે ક્યા સલીકા હૈ? ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ...

આ જ ગીતની બીજી એક કડી છે : ઉલઝ ગઈ હૈ કહીં સાંસ ખોલ દો ઉસકી, લબો પે આઈ હૈ જો બાત પૂરી કરને દો, અભી ઉમ્મીદ ભી જિંદા હૈ, ગમ ભી તાજા હૈ... ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ... ગમે એટલી વાતો કરીએ તોપણ મિત્ર સાથેની વાતો ખૂટતી નથી. દોસ્ત સાથે હોય ત્યારે રાત ટૂંકી થઈ જાય છે અને વાત લાંબી થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ રિમેન્સ ફ્રેન્ડ્સ.

બે મિત્રની વાત છે. એક મિત્રને નોકરી માટે બીજા શહેરમાં જવાનું થયું. એ ગયો. બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર જાણે આખું શહેર તેની સાથે લઈ ગયો. તેના એક વગર લોકોથી ખીચોખીચ ભરેલું આ નગર કેમ ખાલી લાગે છે. એ એક નથી તો કેમ બધું ભારે લાગે છે. હવે સાંજ સવાલ લઈને આવે છે કે કોની સાથે વાત કરું? પાનનો ગલ્લો અને ચાની કીટલી હવે જૂનાં સ્મરણોની ખોતરાતી વેદના થઈ ગયા છે. લોંગ ડ્રાઈવ વખતે ટૂંકા લાગતા રસ્તા રાતોરાત જાણે લાંબા અને સૂના થઈ ગયા છે. મિત્ર સાથે હોય ત્યારે માણસ બાળક હોય છે, મારો મિત્ર ગયો અને મારામાં જીવતું બાળક પણ અચાનક મોટું થઈ ગયું. તું હતો ત્યાં સુધી ખબર ન હતી કે તું શું છે, પણ હવે તું નથી ત્યારે સમજાય છે કે તું શું હતો!

આપણે ભલે એવી વાતો કરીએ કે મિત્ર જાય પછી થોડો સમય આવું લાગે, પણ મિત્ર વગર એક ખાલીપો સતત કનડતો રહે છે. ગુજરાતી શાયર મરીઝના મિત્રનું મૃત્યુ થયું ત્યારે તેણે લખ્યું કે, પતિ મરી જાય તો પત્ની વિધવા કહેવાય, પત્ની મરી જાય તો પતિ વિધુર કહેવાય, પણ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? મરીઝે જવાબ આપ્યો ન હતો, પણ જવાબ આપ્યો હોત તો કદાચ એવું હોત કે એને ખાલીપો કહેવાય, એને એકલતા કહેવાય, એને શૂન્યાવકાશ કહેવાય! ભર્યુંભર્યું જંગલ જાણે અચાનક રણ થઈ જાય અને તાપ લાગવા માંડે, વગર દોડયે હાંફ ચડે અને કડકડતી ઠંડીમાંયે બાફ લાગે!

દોસ્ત એ છે જે તમને પગથી માથા સુધી ઓળખે છે અને છતાંયે તમને પ્રેમ કરે છે. મિત્રને મિત્રની દરેક ખામી, તમામ ઊણપ અને બધા જ અવગુણની ખબર હોય છે છતાં એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. હા, મિત્ર કંઈ ખોટું કરે ત્યારે દુઃખ થાય છે, પણ અંતે તો એ મિત્ર જ રહે છે. એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે વો મેરા દોસ્ત હૈ સારે જહાં કો હૈ માલૂમ, દગા કરે વો કિસીસે તો શર્મ આયે મુજે... મિત્ર ઘણી વખત કફોડી હાલતમાં મૂકી દે છે અને છતાંયે જે સંબંધમાં કંઈ ફર્ક પડતો નથી એ દોસ્તી છે. મિત્રના દરેક દોષ કોરે મૂકીને મિત્ર મિત્રને પ્રેમ કરે છે. એટલે જ કહે છે કે, સગાંઓ શરતી પ્રેમ કરે છે, પણ મિત્ર એકતરફી પ્રેમ કરે છે!

દાનવીર કર્ણ અને દુર્યોધન મિત્ર હતા. કર્ણ જ્ઞાની હતા. દુર્યોધનના દોષ તેને ખબર ન હોય એ માની ન શકાય. એક વખત કર્ણને કહેવાયું કે દુર્યોધન દુષ્ટ છે છતાં તમારો મિત્ર છે? કર્ણે કહ્યું કે મને એટલી જ ખબર છે કે એ મારો મિત્ર છે! મિત્ર કહ્યા પછી એ કેવો છે એ ગૌણ બની જાય છે.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાતો જગજાહેર છે. પછી શામળિયો બોલ્યો, તને સાંભરે રે... સુદામા કહે છે કે મને કેમ વિસરે રે... બધી વાત સાચી પણ છેક તાંદુલ લઈને સુદામા આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મુશ્કેલીમાં છે? દોસ્તની ગરીબાઈનો અંદાજ તેને અગાઉ કેમ ન આવ્યો? કે પછી ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે?

હા, બધા જ મિત્રો એક સરખા નથી હોતા. કેટલાંક ‘તાળી મિત્રો’ હોય છે, કેટલાક ‘થાળી મિત્રો’ હોય છે અને કેટલાંક ‘ખાલી મિત્રો’ હોય છે! એવું કહેવાય છે કે, સંકટ આવે ત્યારે મિત્રો પણ મોઢું ફેરવી લે છે! આ વાત સાચી નથી, કારણ કે જે મોઢું ફેરવી લે છે એ મિત્રો હોતાં જ નથી, એ તો તકસાધુઓ હોય છે! આવા મિત્રો તો વહેલા ઓળખાઈ જાય એ જ સારું છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે. દુનિયા પાગલ છે કે, આવો દિવસ ઊજવે છે. વિચાર કરો કે ફ્રેન્ડશિપ ડે ન હોય તો દોસ્તી ન ટકે? આવા વાહિયાત અને બકવાસ કન્સેપ્ટની ખરેખર કેટલી જરૂર છે એ પ્રશ્ન છે અને રહેશે, કારણ કે દોસ્તી માટે કોઈ એક દિવસ ન હોય, દોસ્તી માટે તો આખું આયખું હોય. દોસ્તી છેલ્લા શ્વાસ સુધી જીવતી રહે છે અને શ્વાસ ખૂટી જાય પછી પણ દોસ્તી હવામાં લહેરાતી રહે છે.

મિત્ર મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો પોતાની હોય છે. ઈશ્વરે જ્યારે જિંદગી બનાવી હશે ત્યારે માણસને સુખ આપવા દોસ્તીની થોડીક ક્ષણો અલગ તારવી હશે. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એક-બે ફ્રેન્ડ જ હશે, કારણ કે ફ્રેન્ડ્સનાં ટોળાં ન હોય. દોસ્તી હંમેશાં વન-ટુ-વન હોય છે. પ્રેમ કદાચ વન-ટુ-ઓલ હોઈ શકે, પણ દોસ્ત તો એક જ હોય છે, જે સૌથી નજીક હોય છે. એક મિત્ર હોય ત્યારે આખી દુનિયા ભરેલી લાગે છે અને આવા મિત્ર પાસે જ માણસ ‘ખાલી’ અને ‘હળવો’ થઈ શકતો હોય છે. દરેક પાસે આવો મિત્ર હોય છે, તમારી પાસે પણ છે. એ તમારી નજીક તો છે ને? ન હોય તો નજીક બોલાવી લો, કારણ કે એ સુખ છે, એ સારું નસીબ છે અને એ જ સાચો સંબંધ છે.

 મોબાઇલની ફોનબુકમાં હોય છે એ બધા મિત્રો નથી હોતા, ફેસબુકની તમારી યાદી જોઈ જજો, એમાં કેટલાં ખરેખર મિત્ર છે? સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે. તમારા દિલના એ હિસ્સાનું જતન કરજો, કારણ કે દિલનો એ હિસ્સો જ જિંદગીને ધબકતી રાખે છે...

છેલ્લો સીન
મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો.
- ગેટે

મેઘદૂત : સાવન અને સેક્સની ભારતીય સંસ્કૃતિ !

ભારતીય સંસ્કૃતિના પ્રાચીન કાળની કમનસીબી એ છે કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ના આખા ભૂતકાળમાંથી ખણખોદિયાઓએ માત્ર ‘શિવમ્’નું જ મહિમાગાન કર્યું છે. આજની આખી એક પેઢી ભારતીય પ્રાચીનતા એટલે ભોગવિલાસવિરોધી શુષ્ક ભક્તિ એવું માનતી થઇ જાય- એ પાપકૃત્યમાં તેઓ સફળ થયા છે. આખી મોડર્ન જનરેશન ‘ઇન્ડિયન કલ્ચર’ના નામથી ભડકીને વેસ્ટર્નાઇઝેશનના ખોળે જતી રહી છે. જયારે જયારે સેકસના ખુલ્લાપણાંની વાત આવે, ત્યારે અચૂકપણે ‘પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ’નો જયઘોષ થાય છે. એકીસાથે હસવા અને રડવા જેવી આ વાત છે!
પ્રિય હિન્દુસ્તાનીઓને કોણ સમજાવે કે કામકળાનું ઉદ્દગમસ્થાન જ ભારત હતું! ભારતીય ધાર્મિક સાહિત્ય કે શિલ્પોમાં પણ શૃંગારના ફૂવારા નહિં, ધોધ ઠલવાયેલા છે- પણ મૂળ ગ્રંથો આખા વાંચવાની કયાં કોઇ તસ્દી લે છે? મુક્ત કામાચારનાં ધામ અમેરિકા નહી, પણ આ દેશમાંથી જ પહેલીવાર ‘ઇરોટિક’ સાહિત્ય જગતને મળેલું- જે હજુ પણ એવરગ્રીન છે. પણ ભારતીય સંસ્કૃતિમાં મૈથુન (શારીરિક સંબંધ)નું જે માઘુર્ય ‘અનાવૃત’ થયું છે- એનો આજની તારીખે મુકાબલો કદાચ ફ્રેન્ચ- મેકસિકન- ઇટાલીયન સોફટપોર્ન ફિલ્મો સિવાય ન થાય!
સીઝન સાવનની છે. વાયરા વરસાદી છે. મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસું ચોમેર બેઠું છે. વર્ષાઋતુમાં જો ભારતીય નાગરિકને સંસ્કૃત સાહિત્ય યાદ ન આવે, તો નુકસાન એને પોતાને જ છે! એમાંય મેગાહિટ છેઃ મેઘદૂત. માત્ર મહાકવિ કાલિદાસની રમણીય રચનામાં તરબોળ થઇ જૂઓ- હજુ સુધી પૃથ્વી પર સાવન અને સેકસનું આવું કલાસિક કોમ્બિનેશન થયું નથી!
મેઘદૂતની મજા એના વરસાદી વાતાવરણના અદ્દભૂત શબ્દ ચિત્રોમાં છે પણ એ પડતાં મૂકીને ‘એક દૂજે કે લિયે’ બનેલા નાયક- નાયિકાની વિરહવેદના પર ઘ્યાન આપો તો એમાં ‘પ્રવાસવિપ્રલંભ શૃંગાર’ છલોછલ દેખાય! વરસાદ નીતરી ગયા પછીના ગુજરાતના ડામર રોડ પર જેમ ઠેર ઠેર પાણીના ખાબોચિયાં દેખાય, એમ આખા કાવ્યમાં ચોમેર સેકસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે.
‘મેઘદૂત’માં કવિતાનો પ્લોટ જ જાણે રોમાન્સની પરાકાષ્ઠા છે! દેવતાઇ અંશો ધરાવતી યક્ષ જાતિ શિવજીના સાંનિઘ્યમાં કૈલાસ પર્વત પાસેની અદ્દભૂત અલકાપુરીમાં રહે છે. એક યક્ષનું કામ પોતાના સ્વામી કુબેર (દેવતાઓનો ખજાનચી) માટે સવારે પૂજાના કમળપુષ્પ લઇ આવવાનું છે! પણ એ માટે વહેલા ઉઠીને પોતાની પ્રિયાના પડખાંનો ત્યાગ કરવો પડે, માટે યક્ષ રાતના જ કમળ તોડી આવે છે. એ બીડાયેલા કમળમાં રાત્રે કેદ ભમરો કુબેરને ડંખ મારે છે. (કયા કહને!) ત્યારે ફરજચૂકનો ખ્યાલ આવતાં કુબેર યક્ષને ૧ વર્ષ માટે દક્ષિણ ભારતના રામગિરિ પર્વત પર એકાંતવાસનો શ્રાપ આપે છે. દાંપત્ય જીવનમાં ગુલતાન પ્રેમી-પ્રેયસી વિખૂટાં પડે છે. ‘દિન ગુજરતા નહીં, કટતી નહીં રાતે’ વાળી ટિપિકલ બોલીવૂડ સિચ્યુએશનમાં એકબીજાની સ્મૃતિથી અને પુનઃ મિલનની આશામાં દિવસો કાઢે છે. કાલિદાસ લખે છે- આમ તો જુદા પડવાથી જ મૃત્યુ પામ્યા હોત… પણ ફરી મળવાનું છે, એટલે બંને જીવતા રહ્યા!
આઠ મહિનાની જુદાઇ માંડ માંડ સહન કર્યા પછી પોતાની પ્રિય પત્નીને સંદેશો કહેવડાવવા માટે વ્યાકૂળ યક્ષ અંતે કાળાં વાદળોની ફોજથી વરસવા માટે સજજ મેઘને પોતાનો દૂત બની ‘મેસેજ’ ફોરવર્ડ કરવાની વિનંતી કરે છે. યક્ષનો ‘લવ એસ.એમ.એસ.’ સ્વીકારનાર મેઘને યક્ષ કુદરત-માનવના ભવ્ય વર્ણનથી નવડાવી દે છે. આહાહા, શું વર્ણન છે! કાશ, ભગવા કપડાંની દીક્ષાને બદલે કાલિદાસની કૃતિઓના માર્કેટિંગથી ભારતની પહેચાન પરદેશોમાં બની હોત! સ્થળ સંકોચને લીધે થોડીક બાદબાકી સાથે (પણ એકેય શબ્દના ઉમેરા વિના) મેઘદૂતનું પ્રકૃતિવર્ણન બાજુએ મૂકી બારિશ અને બિસ્તરનો રસભરપૂર ઝલક વાંચીને જાતે જ નક્કી કરો ભારતીયતાના શૃંગાર વૈભવનું ગૌરવ!
કાવ્યની શરૂઆતના જ ‘ઇન્ટરવલ’ પહેલાંના ‘પૂર્વમેઘ’માં યક્ષ મેઘને મેસેજ લઇ જવાની વિનંતી કરે છે, ત્યારે જ કવિ ટકોર કરે છેઃ કામાતુર માનવી ભાન ભૂલી જાય એમાં શી નવાઇ? વાણી કે કાન વિનાના નિર્જીવ મેઘને સજીવ ગણીને યક્ષ વિનંતી કરવા લાગે- એ જ બતાવે છે કામાગ્નિનો દાહ! એક જમાનામાં ભારતમાં એક સ્ત્રી વઘુ પુરૂષોને કે એક પુરૂષ વઘુ સ્ત્રીઓને ભોગવે એ અસામાન્ય નહોતું (બલ્કે સામાન્ય હતું!) એવા દાખલા દશરથથી દ્રૌપદી સુધી મશહૂર છે. માટે યક્ષ મેઘાને કહે છે કે મારી પત્ની ‘એકસ્વામીત્વ’માં માનતી હોઇને મારા વિયોગથી વઘુ દુઃખી છે- બીજું કોઇ એના જીવનમાં નથી! મેઘદૂતમાં ‘મુક્ત’ ભારતીય સંસ્કૃતિના નિર્દેશો પારિજાતના ફૂલની જેમ ઢગલા મોંઢે વિખરાયેલા છે. બગલીઓના ઉદાહરણથી ‘ગર્ભાધાનોત્સવ’ (ગર્ભાધાન થાય, એ સમાગમનો અવસર) ઉજવવાની વાત છે!

વરસાદને સેકસ સાથે મેળવીને કાલિદાસે એવી એવી ઉપમાઓ આપી છે કે એ જેમની તેમ આજે કયાંક રજૂ કરો તો ‘વિકૃત ભેજાંનો વિદેશી’ જાણીને સમાજ કાં જેલ, કાં પાગલખાના ભેગા કરી દે! જેમ કે, મેઘ ‘સ્નિગ્ધવેણી’ યા ને સ્ત્રીના કેશ જેવો કાળો અને સુંવાળો છે! મેઘના આગમનથી વીજળી થતી જોઇને નારીઓ વારંવાર આંખો મીંચે છે અને ખોલે છે, માટે સ્ત્રીઓના ‘નેત્રવિલાસ’નું પાત્ર બનનાર વરસાદ ભાગ્યશાળી છે! આમ્રકૂટ (આજનો અમરકંટક?) પર્વત પીળી પાકેલી આંબાની ડાળથી છવાયેલા પર્વત હોઇ ને એના શિખર ઉપર વરસાદી વાદળો સ્થિર થશે, ત્યારે શ્યામ ટોચ અને ફરતે ઉપસેલી ગૌર ગોળાઇને લીધે એ પૃથ્વીના સ્તન જેવો લાગશે એમ યક્ષ મેઘને કહે છે! માર્ગમાં આવતી વેત્રવતી નદીના વહેવાનો અવાજ કામક્રીડાના ઘ્વનિ જેવો ઉત્તેજક ગણીને મેઘને એ નદીનું પુરૂષ સ્ત્રીનું ચુંબન લે, એવી તીવ્રતાથી જળપાન કરવાનું કહેવાયું છે! વિદિશા નગરી પાસેના પર્વત પર મેઘને આરામ ફરમાવવાની વિનંતી થઈ છે. કેમ?
કારણ કે, ત્યાં પહાડી કુંજલતાઓથી ઘેરાયેલી ગુફાઓમાં વડીલોથી અકાંત શોધી નગરના ઉત્તેજીત યુવકો ગણિકાઓ સાથે આનંદ કરતા હશે, તેમના શરીર પરના ચંદન વગેરેની સુગંધથી એ સ્થળો મઘમઘતા બન્યા હશે!ઉજ્જૈની પાસેની નિર્વિન્ધ્યા નદીને તો રીતસર કામિનીરૂપે કલ્પી લીધી છે! એના પર હારબંધ ઉડતા પંખીઓ ને એનો કટિબંધ, એના વહેવાના અવાજને એના ઝાંઝર અને એમાં વરસાદના ટીપાં પડવાથી બનતા વર્તુળાકાર વમળને એની નાભિ ગણાવીને પાછા કવિ લખે છે : પ્રિયજનને જોઈ એનું ઘ્યાન ખેંચવા અટકતી લટકતી મંદ ચાલે સ્ત્રી વસ્ત્રોને રમાડતાં પેટ અને નાભિ ખુલ્લા કરી આમંત્રણ આપે, ત્યારે પુરૂષે સ્ત્રીના આ વગર બોલ્યે થતા વિલાસો સમજીને એના અંતરને તૃપ્ત કરવું જોઈએ. લજ્જા જેનું ભૂષણ છે એવી પ્રકૃતિએ શરમાળ નારી એના મનોભાવ બોલીને નહિ, પણ ચેષ્ટાઓથી જ જણાવે છે! મેઘે પોતાની પ્રેયસી જેવી નદીઓને વરસાદથી તૃપ્ત કરી દેવી જોઈએ, કારણ કે જે સ્ત્રી ભોગો ભોગવતી નથી એ અકાળે જ વૃઘ્ધ થાય છે!
માશાલ્લાહ! જાણે શૃંગારનો જામેલો એકરસ વરસાદ! આખા મેઘદૂતમાં જાતીયતાના તાણાવાણા એવા ગુંથાયેલાછે કે જુદા પાડવા જતાં રોમાંચનું વસ્ત્ર ચિરાઈ જાય! સિપ્રાનદીના પવન માટે શું વિશેષણો છે? જુઓ : જેમ આખી રાતના ‘રતિશ્રમ’ (કોનવેન્ટિયા બાબાબેબીલોગ, રતિક્રીડા એટલે એકટ ઓફ ઓર્ગી, જાતીય સમાગમ)થી થાકેલી શય્યાસંગિનીનો થાક પુરૂષ એના માથે હળવેથી હાથ ફેરવીને ઉતારે,એમ સિપ્રાની લ્હેરખીઓ થાક ઉતારતો મૃદુ સ્પર્શ કરે છે! સુંદર સ્ત્રીઓને નીરખીને જોવાની ક્રિયાને ધન્યભાગ્ય ગણતા કવિ વળી મેઘને ઉજ્જૈન નગરની ‘લલિતવનિતા’ (લાવણ્યમયી સ્ત્રીઓ)ના વાળની સુગંધ અને એમના મેંદી, અળતા, કંકુ ચોળેલા પગલાંની છાપ સુઘ્ધાં મનમાં ભરી લેવાની તાકીદ કરે છે! આખી રાત પતિ બહાર વીતાવેતો પરોઢે આવે, એવી એકલી સૂનારી પત્નીને ખંડિતા કહેવાય છે. આવી ખંડિતાઓને પતિદેવો રિઝવતા હોય, ત્યારે ઉગતા સૂરજની આડે ન આવવા વરસાદને વિનંતી થાય છે! તો ગંભીરા નામની એક નદીને તો સંકોચને લીધે હૃદયની લાગણી અભિવ્યકત ન કરનારી (મનમાં ભાવે ને મૂંડી હલાવે) અનુરકતા નાયિકા કહીને કાલિદાસે મેઘદૂતનો સેકસીએસ્ટ શ્વ્લોક ફટકાર્યો છે.
                નદીમાં ગેલ કરતી માછલીઓ જાણે વરસાદને આંખથી ‘ઈશારો’ કરે છે. નદીનો પ્રવાહ એના ભીના વસ્ત્રો છે, શ્વેત તટ જાણે એના ઉન્નત નિતંબો છે. ઉત્તેજીત સુંદરી ઢીલાં કરેલા વસ્ત્રોને પુષ્ટ નિતંબ પરથી સરકવા દે છે, પણ એને હાથથી પકડી રાખવાનું નાટક કરે છે. જેનો કમરથી નીચેનો દેહ અનાવૃત હોય, એવી અનુકુળ ઈચ્છાવાળી સ્ત્રીને કામરસનો સ્વાદ ચાખેલો કોણ રસિકજન છોડે? હંઅઅઅ….પરફેકટ ટ્રુથ.
અને બે વોચ જેવી ન્હાતી નખરાળીઓની સિરિયલ્સ કે શાવરબાથના ઉદભવતી સદીઓ પહેલા કાલિદાસે વરસાદમાં સ્નાન કરવા માંગતી યૌવનાઓનું કેવું કાવ્યાત્મક વર્ણન કર્યું છે! ગ્રીષ્મ ઋતુની ગરમીને લીધે અકળાયેલી અપ્સરા જેવી દેવતાઓની સ્ત્રીઓ કૈલાસ ઉપર શિવપૂજન કરવા જાય ત્યારે વાદળોને નિહાળે છે. પોતાના હાથના કંગનમાં જડેલા ધારદાર હીરાથી એ વાદળોમાં છેદ કરીને જળધારામાં સ્નાન કરે છે!
‘મેઘદૂત’ માં યક્ષની સંગિની કૈલાસ યાને હિમાલયમાં આવેલી અલકાનગરીમાં છે. કાલિદાસે અહી પણ નર નારીના ચિત્રો સજીવન કર્યા છે. બરફાચ્છાદિત ધવલ કૈલાસપુરૂષના ખોળામાં ગંગાનદીરૂપી રેશમી વસ્ત્ર પહેરેલી અલકા બેઠી છે. અલકાનગરીના મહેલો પર ગોરંભાતા વાદળો એનો અંબોડો, અને એમાંથી વરસતો ‘સ્નોફોલ’ એના વાળમાં ગૂંથેલા મોતીની સેર છે! આ અલકાનગરીની મણિજડિત અગાસીઓમાં પુરૂષો રૂપાંગના યુવતીઓને પડખે લઈને, એમના હાથથી મદહોશ મદિરા પીને ગમ્મત કરે છે. પ્રિયતમના સ્પર્શસુખથી સર્જાતી ઉત્તેજનાથી સ્ત્રીઓના વસ્ત્રોની ગાંઠ આઆઆપ ઢીલી થઈને સરકી જાય છે. ત્યારે ચપળતાથી કામી પુરૂષ એ વસ્ત્રને દૂર કરી અનેક અંગો પર હાથ ફેરવે છે. અને વારંવાર ચુંબનથી જે કામિનીના હોઠ બિંબફળ જેવા લાલ થયા છે એ અધરરસનું પાન કરે છે! આ જ વખતે બાજુમાં રહેલા તેજસ્વી રત્નોનો ઝગમગાટ નાયિકાના નગ્ન દેહને અજવાળે છે! તેથી એ શરમથી બહાવરી બનીને શણગાર માટે રાખેલા કંકુની મૂઠ્ઠી ભરી, એ રત્નો ઉપર નાખીને તેજ ઓલવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે!
વોટ એન ઈમેજીનેશન! જરા આ પ્રસંગચિત્રનું મનમાં વિઝયુઅલ વિચારો. કોઈ રિમિકસ મ્યુઝિક વિડિયો પણ તેની આગળ પાણી ભરશે! અશ્વ્લીલતા અને ઉન્મત્ત શ્રૃંગાર વચ્ચે જે કરોળિયાના તાર જેવી ભેદરેખા છે, તે આ અદભુત કળાત્મક કલ્પનાશકિત જ છે! કવિએ તો વરસાદ આવે ત્યારે અદ્રશ્ય રીતે તેનો ભેજ દીવાલ પરના ચિત્રો બગાડી નાખે, એ સહજ વૈજ્ઞાનિક ઘટનાના નિરૂપણ પણ ‘જેમ કોઈ કામી નર વ્યભિચારના ઈરાદે લપાતો છૂપાતો આવીને બિલ્લી પગે ભાગી જાય, એમ પ્રવેશતો મેઘ’ એવું લખીને કર્યું છે! યક્ષે સંદેશ પંહોચાડવા માટે મેઘને અલકાનગરી અને પોતાની પ્રિયાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. આ અલકાનગરી કેવી રીતે ઓળખવી?
              જવાબ મળે છે : ‘ચંદ્રકાંત’ નામનો દિવ્યમણિ ચંદ્રના કિરણો જેવો શીતળ ગણાય છે. અલકામાં રાત્રિનો પહેલો પ્રહર મદમસ્ત સમાગમમાં વીતાવ્યા પછી સ્ત્રીઓ થાક અને આસકિતની અગન શમાવવા મઘ્યરાત્રિએ ચંદ્રકાંત મણિનું (કહો કે, આજના એ.સી.નું) સેવન કરે છે. આમ તો આ સ્ત્રીઓ ફૂલ જેવી કોમળ છે. પણ પ્રિયજનના અંગનો સ્પર્શ અમૃત જેવો લાગતો હોઈને શ્વાસ હાંફી જાય, એવું દ્રઢ આલિંગન આપે છે.
નગરીમાં પ્રભાત થાય ત્યારે રસ્તાઓ પર મંદારવૃક્ષના ફૂલો વેરવિખેર પડેલા દેખાય કેમ? કારણ કે, રાતના ‘અભિસારિકા’ યાને પિયુને મળવા જતી શણગારસજ્જ સુંદરીઓ ઉતાવળે ચાલતી હોય છે. ત્યારે તેના કેશમાંથી મંદારના પુષ્પો ખરી જાય છે. માર્ગ પર ઠેરઠેર કાનમાં પહેરેલા સોનાના આભૂષણો પણ વેરાયેલા રહે છે. પીન પયોધરો યાને સુઘટ્ટ સ્તનમંડળ પર અથડાવાથી કંઠમાં લટકતા મોતીહારના દોરા તૂટે છે. અને મોતી છૂટ્ટા પડીને રસ્તા પર દડી ગયા છે! નગરની ચંચળ નારીઓ માત્ર નેણ નચાવીને ધનુષ્યમાંથી છૂટતાં બાણ કરતાં પણ વઘુ ધારદાર તીર છોડી શકે છે. અનંગ (કામદેવ)ની મદદ વિના માત્ર અંગથી જ ધાર્યા નિશાન પાડી શકે છે. આ સ્ત્રીઓના અંગનો સ્પર્શ કરાવી વૃક્ષો ખીલવવાના ઉત્સવો યોજાય છે. યક્ષની સંગિનીએ આવા હેતથી આંગણે એક વૃક્ષ ઉછેર્યું છે. યક્ષના ઘરની નજીક જ એક ‘ક્રીડાશૈલ’ જેવી (લવર્સ પાર્ક?) વાવ છે, જયાં કલકલ વહેતા પાણીના નાદ અને સુગંધી પવનો, હંસ – ભમરાના ગુંજારવ વચ્ચે યુગલો આવીને નિત્ય સહવાસ માણે છે.
‘મેઘદૂત’ના ઈન્ટરવલ પછીના ઉત્તરમેઘમાં અલકાનગરીની આવી ઈરોટિક વિગતો પછી પિયાવિરહણી સ્ત્રીની વિરહવેદનાના લક્ષણો છે. એ ભલે યક્ષની પત્ની છે, પણ પતિ-પત્ની થવાથી જ કંઈ આવું ઉત્કટ સામીપ્ય ન મળે! બંને એકબીજાના પ્રેમમાં મશગુલ પ્રિયતમ-પ્રેયસી છે, લગ્નબંધન ન હોય તો પણ! યક્ષ પોતાની સ્વીટહાર્ટનું વર્ણન કરતાં એ તપાવેલા સુવર્ણ જેવો ગોરો વાન ધરાવે છે, એમ કહે છે. શિયાળામાં હૂફ અને ઊનાળામાં ગરમી આપી એવા સુપુષ્ટ શરીર અને ફૂટડા ગાત્રોવાળીએ નાજુક નમણી નારી બહુ ઊંચી કે બહુ નીચી નથી. ઝીણી કળી જેવા હોઠ, માણેક જેવા ચમકતા દાંત, ગોળ અને ઉંડી નાભિ, અત્યંત પાતળી કમર, ઉંચા વિશાળ ‘કુંભ’ જેવા વક્ષઃ સ્થળ.. જે ઉરોજોના ભારને લીધે કમર સ્હેજ લચી જાય છે અને વળી ઘાટીલા વર્તુળાકાર નિતંબોના વજનને લીધે મલપતી ચાલે ચાલનારી એ સ્ત્રી પદ્મિની છે!
જો કે યક્ષ મેઘને ચેતવે છે કે મારી યાદમાં રડી રડીને એ સૂકાઈ ગઈ હશે. ઓળ્યા વિનાના વિખરાયેલા વાળે એનો ચહેરો ઢાંકી દીધો હશે. બળતા હૈયામાંથી સતત નીકળતા નિસાસાઓએ એના હોઠ ચૂકવીને ઝાંખા કરી નાખ્યા હશે! બહુ ભપકાદાર સજાવટ વિના એ વ્હાલાની યાદમાં વીણા વગાડતી હશે. પણ આંસું વીણાના તાર પર ટપકતાં હોઈને બરાબર સુર નહિ નીકળતા હોય! (કયા બાત હૈ!) ઉંબરા પર ફૂલ મુકીને જુદાઈના દિવસો ગણતી એ પ્રેયસીને આમ તો નીંદર જ નહિ આવતી હોય….
..પણ ઉંઘે તો સ્વપ્ન આવે, અને કમસેકમ સપનામાં તો વિખૂટા પડેલા સાથીનો સમાગમ થાય, એટલે છાતી પર કાલ્પનિક બાહુપાશમાં હાથ બીડીને એ રમણી સુતી હશે. દિવસ તો પસાર થતો હશે, પણ અગાઉ સાથે ગાળેલી રાત્રિઓની મોજ સ્મૃતિરૂપે સતાવીને એની રાત્રિ પર બોજ બનતી હશે. સૂકાયેલી લટો એની કોમળ ત્વચાને ખૂંચતી હશે. મેઘને એને ઓળખવાની નિશાની આપતા યક્ષ કહે છે કે કમરબંધ જેવા આભૂષણોનો ત્યાગ કર્યો હોઈને એની જંઘા (સાથળ) અડવી હશે. પતિનો સંદેશ વાહક વરસાદ નજીક આવતા શુભ શુકન રૂપે ડાબી જાંઘ ફરકશે- જે શય્યાસાથીના નખોડિયા વિનાની કેળાના ગર્ભ જેવી માંસલ અને ઉજળી હશે. રતિક્રીડા પછીનો વિરામ લેવા યક્ષ એ અંગને મૃદુ સ્પર્શથી દબાવી હળવો થતો હોઈને એને એ બરાબર યાદ છે. યક્ષ મેઘને હળવેથી જૂઈના ફૂલો પવનમાં ઉડાડી, ભીનાશની સુગંધ વાળો વરસાદી વાયરો લહેરાવી એને જગાડવા વિનંતી કરે છે. વીજળીના ચમકારાથી એને ડરાવ્યા વિના મેઘે ગર્જનાથી ‘સ્વામી સુહૃદ’ (પતિનો મિત્ર) તરીકે સંદેશો સંભળાવવાનો છે. પિયુના અભાવમાં પ્રિયતમાને એના શબ્દો પણ મિલન જેવા લાગે!
સંદેશો પોતાના ભરથારનો જ છે- એની ખાતરી માટે યક્ષ નિશાની પણ માદકતાથી છલોછલ આપે છેઃ હું કોઈ સામાન્ય વાત પણ બીજાની હાજરીમાં જાણે ગૂઢ રહ્સ્ય હોય એમ એના કાનમાં કહેતો, અને એ બહાને એના હોઠને સ્પર્શી ચુંબન દેતો આ સ્વીટ સિક્રેટ માત્ર યુગલ જ જાણતું. યક્ષના સંદેશામાં વરસાદની રોમેન્ટિક ઋતુ એકલા કેવી રીતે કાઢવી એનો સંતાપ છે. પર્વત પરની કુદરતના એકેએક દ્રશ્યમાં પોતાની પ્રેયસીને શોધવાનો વ્યર્થ તલસાટ છે. નાયિકાના નગરની દિશામાંથી આવતો પવન પણ એના દેહને સ્પર્શીને આવ્યો હોઈને એને ભેટવાનો થનગનાટ છે.
પ્રેમ ભોગવ્યા વિના (સંયમ કે બ્રહ્મચર્ય પાળીને) ખતમ થવાને બદલે વધીને મહાકાય પર્વતરૂપ બને છે, એ વાસ્તવિકતા પર અંગૂલિનિર્દેશ કરીને કાલિદાસ પુનઃ મિલનની આશા સાથે મેઘદૂત પુરૂં કરે છે!
બોલો! વિશ્વસાહિત્યને ઠોકરે ચડાવે એવી પ્રતિભાવાળા કાલિદાસોનું આ છે અસલી રંગીન ભારત! મેઘદૂત જેવી રસિક કૃતિઓ વિઝ્યુઅલ મનોરંજન વિનાના જમાનામાં કલમથી સર્જાઈ, એ તો ધન્ય! પણ વિચારો કે આ ભાતીગળ ભારતના સમાજે એને માણ્યું અને સાચવ્યું! બાકી, આજે અશ્લીલતા અને સંસ્કારોના નામે આજે એની હોળી કરવામાં આવી હોત!