રવિવાર, 27 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી? ભાગ - ૨

યાદી ભરી ત્યાં આપની....લેખાંકઃ૨
રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને પણ પદ્યથી નવરાવેલું છે !
એમના પ્રકૃતિ વર્ણનો એટલે કોઈ ચિત્રકારે પીંછીથી દોરેલું ચિત્ર !
ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, જન્મશંકર બુચ ‘‘લલિત’’ જેવા ગુજરાતી સાહિત્યના કલગીરૂપ મુગટો લાઠીમાં કલાપીના મહેમાન તરીકે મહિને બે મહિને જઈને રહેતા
કલાપીના જીવનના ૧૮૯૪ થી ૧૮૯૮ સુધીના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષના હતા અને વ્યથાના દરિયામાં વીતેલા


network.gif ગુજરાતની પ્રજાએ જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી કવિઓને વહાલા ગણીને કંઠે કર્યા છે એમાં નર્મદ, કલાપી અને મેઘાણી મુખ્ય છે. એ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મી તારીખે આવે છે. (જન્મ ૨૬-૧-૧૮૭૪ અને અવસાન ૧૦-૬-૧૯૦૦)એ નિમિત્તે લખાયેલા ત્રણ લેખોમાંનો આ બીજો લેખ છે.

કલાપીએ ગદ્યસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપ્યું છે. કવિત્વમય પ્રકૃતિવર્ણનો, ચિંતન અને સરળ ગદ્યપ્રવાહવાળો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય અને ધાર્મિક દંતકથાઓના આધારે તેમણે લખેલા ચાર સંવાદનો જેમાં જેસલતોરલ, જાલોધંરનાથ, મેનાવતી, ગોપીચંદ વગેરે પાત્રરૂપે આવે છે તે આજે પણ વાંચવા ગમે તેવા છે. ‘નારીહૃદય’ સહિતની તેમની બે અનુવાદિત નવલકથાઓ છે.

‘સ્વીડનબોર્ગના ધર્મવિચારો’ તે તેમનો ચિંતનગ્રંથ છે. આ બધામાં શિરમોરરૂપ તેમના આઠસો જેટલા પત્રો છે જે ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. તેમને પત્રરૂપે લખવાનું એટલું બઘું ગમતું કે સંવાદો સિવાયના તેમના કેટલાક ગદ્યગ્રંથો પત્રરૂપે લખાયા છે. પત્રોમાં તેઓ સાહિત્ય કે અન્ય વિષયની ચર્ચાઓ ધારદારરૂપે કરે છે અથવા પ્રકૃતિનાં દ્રશ્યો ચિત્રકારની પીંછીની જેવી સુરેખતાથી આલેખે છે. અંગત પત્રોમાં તેઓ હળવા વિનોદો કરે છે, લાગણીઓ વહાવે છે અને ક્યારેક તો એક બે લીટીમાં ગદ્યાત્મક ઊર્મિકાવ્ય રચી દે છે.

જેમકે ઃ ‘વ્હાલા ભાઈ, વર્ષાદ થયો - હવે આપ પણ વર્ષો - પધારો. આપનો સુરસિંહ.’ વળી લખે છે ઃ ‘‘આજે કલમ આનંદમાં ઊછળે છે. ઓહોહો ! હવે તો અમારા સદુભા ખચારીિ થયા. વધામણી તો મ્હેં આપી છે. શું આપશો ? હું માગું તે-તેમાં ‘હા’ ના ચાલે નહિ. શું માગીશ ? બસ. રજામાં અહીં આવો. બીજું કાંઈ જ નહિ એ જ હાલ તો. (સદુભા એટલે સહાઘ્યાયી, મિત્ર, અને સંબંધી એવા મહાન ક્રાંતિકાર એટલે લિંબડીના રાજવી સરદારસિંહજી રાણા).


બ્રિટિશ વહીવટના શિરસ્તા પ્રમાણે સુરસિંહજીને એકવીસ વર્ષની વયે રાજ્ય સોંપાયું (૨૧-૧-૧૮૯૫). નાના રાજ્ય લાઠીનાં ગામ ૧૨ પણ તે ઉપરાંતનાં ઘોઘા તાલુકામાં અત્યારે છે તે વાળુકડ, ભીકડા, લાખણકા વગેરે ગામોની જાગીર પણ હતી જે રાજ્ય કરતાં ય વઘુ આવક આપતી. કલાપીએ રાજ્યવહીવટ પણ સક્ષમતાથી અને પ્રજાવત્સલતાથી કર્યો. પોતાના આદર્શ ચિંતનશીલ રાજવીની છબી કલાપીના ‘ગ્રામ્યમાતા’’’ કાવ્યમાં જોઈ શકાશે. વહીવટ માટે ઉપયોગી કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ લાઠીના ન્યાયાધીશ કેશવરામ ફકીરભાઈ પાસે કરતા અને બધા વિભાગોની મુલાકાત લઈ રાજકામ અને ન્યાયમાં ઘણા બધા સુધારા કરેલા. ઓફિસોમાં ઓચિંતા પહોંચી જાય, દવાખાનાં, નિશાળો અને છેક ખેતરોમાં પટેલો પાસે પહોંચી જઈ સૌનાં દુઃખો, અગવડો, અપેક્ષાઓની વાતો સાંભળતા, સૌને સંતોષવા પ્રયાસો કરતાં.


કલાપીના મિત્રો અને સાહિત્યકારોનો દરબાર ઘણો વિશાળ હતો. ‘જટિલ’ ઉપરાંત રૂપશંકર ઓઝા ‘સંચિત’ મિત્ર હતા અને નાયબ કારભારી તરીકે સેવા આપતા. મિત્ર કવિ ત્રિભુુવન પ્રેમશંકર મસ્તકવિ તરીકે ઓળખાતા અને કલાપી સાથે રહેતા. જનમશંકર બુચ ‘લિલત’ પણ લાઠીમાં લાંબો સમય નિવાસ કરતાં. મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને મહિનો બે મહિના લાઠી રાજ્યના મહેમાન તરીકે નિમંત્રતા. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનાં કેટલાંક પ્રકરણો લાઠીમાં લખેલાં. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંતે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે મોટા ભાગના સંબંધીઓ-મિત્રો મોઢું ફેરવી ગયા હતા.

અત્યંત કોમળ હૃદયના લાગણીશીલ કાંત વિષાદમાં હતાં. ત્યારે માત્ર કલાપી તેમની સાથે ઊભા રહ્યા હતા. તાર કરી કાન્તને લાઠી બોલાવી લીધા અને મહિનો રોકયા હતા. મસ્તકવિ કોઈ કારણે નારાજ થઈ લાઠી છોડી ગયા ્યારે મહારાજા ભાવસિંહજીને ભાવનગર કાગળ લખી કવિ માટે ભલામણ કરી હતી જે માન્ય કરી ભાવસિંહજીએ અંત સુધી મસ્તકવિને સેવામાં રાખીને તથા અન્ય ઘણી રીતે સાચવ્યા હતા. હડાળા દરબાર વાજસુરવાળા, બાવાવાળા સરદારસિંહ વગેરે તો કલાપીના અભ્યાસ સમયના સહાઘ્યાયીઓ અને અંતરંગ મિત્રો હતાં.


આ બધાને મળવાનું ન થાય ત્યારે વિગતે પત્રવ્યવહાર ચાલતો અને પોતાનાં કાવ્યોની નકલો સૌને મોકલાતી. અભિપ્રાયો મળતાં કાવ્યોમાં ફેરફાર પણ થતા. મળતી વિગતો પ્રમાણે જટિલે ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય માટે માળખું રચી આપ્યું હતું અને મસ્તકવિએ વઘુ મદદ કરી હતી. રૂપશંકર ઓઝા ‘સંચિતે’ ઘણાં કાવ્યોમાં સુધારાવધારા કરી આપેલા . ડૉ. રમેશભાઈ શુકલે ‘કલાપી અને સંચિત’ નામનો મહાનિબંધ લખી આપી ઘણી વિગતો રજૂ કરી છે. જેમાં તેઓ સંચિત તરફ વઘુ ઢળ્યા હોવાનું પણ કહેવાયું છે. જો કે કલાપી વઘુ જીવ્યા હોત તો સૌમિત્રોનો ઋણસ્વીકાર ખુલ્લા દિલથી કરત. મિત્રો કાવ્યરચનાઓ મઠારી આપે, ઉમેરા કરી આપે તે બિના સાહિત્યજગતમાં નવી નથી.

પરંતુ એ બધી વિગતોને ઘ્યાનમાં લેતાં પણ કલાપીની પ્રતિભા મૂઠી ઊંચેરી હતી તે સૌ સ્વીકારશે. જે સક્ષમ હોય તેની ઉપર જ વઘુ પ્રહારો થતા હોય છે અને તે પ્રહારો સહન કરીને પણ પોતાનું ખમીર અવિચળ દર્શાવી આપે છે. કલાપીએ તો ગુજરાતી સાહિત્ય જગતના ૧૦૦ જેટલાં સાક્ષરોની યાદી કરી હતી અને તેનું સંમેલન લાઠીમાં બોલાવવાની યોજના વિચારી હતી. તેમના અકાળ અવસાનથી તે યોજના પાર ન પડી. પણ તેમના જવા પછીથી પાંચ જ વર્ષમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ગો.મા. ત્રિપાઠીના પ્રમુખસ્થાને આરંભ થયો. જેનું ૧મું સંમેલન ૧૯૩૩-૩૪માં લાઠી, મુકામે યોજાયું હતું.


જેના પ્રત્યે બાળક કે શિષ્યા તરીકેનો વત્સલ ભાવ હતો તે દાસી મોંઘી-શોભના પ્રત્યે કલાપીને પોતાની વીસ વર્ષની ઉંમરે પ્રણયભાવ જન્મ્યો (૧૮૯૪). શોભનાની ઉંમર ત્યારે ૧૨-૧૩ વર્ષ. પટરાણી આનંદીબાને પોતાનાં વસ્ત્રો અલંકારો અને કુટુંબ વ્યવાહરોમાં વઘુ રસ હતો જેમાં સુરસિંહજીનો સહકાર મળી રહેતો. રમાબાને રાજખટપટ, કાવાદાવા અને પોતાનું જ વર્ચસ જળવાઈ રહે તેવી મહત્ત્વાકાંક્ષામાં જ વઘુ ઘ્યાન પડતું. જે અધિકારી કે નોકર પર તેમને વિશ્વાસ ન હોય તેને દૂર કરાવવા કે અંતે પરેશાન કરવા અથવા પોતાના મેળમાં લાવવા તેઓ પ્રયત્ન કરતાં. સુરસિંહજીને રાજસત્તામાં જ રસ ન હતો. એટલે આવી ખટપટો ગમતી નહિ. રાજ્ય છોડી વાચન-લેખન માટે નિવૃત્ત થઈ જવા ઘણીવાર વિચારણા કરેલી. રમાને આ વિચાર પસંદ નહોતો. શોભનાને સુરસિંહજીની સેવામાં રમા જ વઘુ મોકલતાં જેવી તેના નિમિત્તે પતિ પર પોતાનું પ્રભુત્વ વધે.


દેશી રાજાઓ અન્ય જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન વગર સંબંધો રાખે તેવું બહુ ચાલતું. પરંતુ સુરસિંહજીનો શોભના પ્રત્યે વધતો રહેલો પ્રણયભાવ એ ચીલાચાલુ બાબત ન રહ્યો. પોતે કેન્દ્રમાં ન હોય અને અન્ય સ્ત્રી તરફ ભાવ વધે તે રમાને મંજૂર ન હતું. સુરસિંહજીએ તો ‘ચાહું છું’ તો તો ચાહીશ બેયને હું એવો મક્કમ નિર્ધાર કરી શોભના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. પણ તેમનો તો નિશ્ચય હતો કે પોતાના પ્રેમને મોભો આપવા તેઓ શોભના સાથે લગ્ન કરશે. રમા પોતાની જ દાસીને શોક્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. અતિ આગ્રહે સંબંધ રાખવા દેવા પૂરતી સંમતિ આપી જે વાત સુરસિંહજીને માન્ય ન હતી. તેઓ ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય લખવા મહાબળેશ્વર ગયા હતા. એ દિવસોમાં રમાએ શોભનાનાં લગ્ન તેના જ્ઞાતિના એક યુવક ગાંભા સાથે કરાવી દીધાં. કલાપીને તારથી તેની જાણ કરી. તેઓ ક્ષુબ્ધ તો થયા, પણ પ્રેમપાત્ર અન્યત્ર સુખી થાય તો મન વાળી લેવા પ્રયત્નશીલ હતા. પણ શોભનાનો પત્ર આવ્યો કે તેનો પતિ અત્યંત ત્રાસ આપે છે, તે આપઘાત કરે તેમ છે, બચાવવા આજીજી કરે છે.


કલાપીના જીવનનાં ૧૮૯૪ થી ૧૮૯૮ના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષનાં હતાં. કલાપીને પ્રણયમાં બંધન સ્વીકાર્ય ન હતાં. તેમ પ્રેમપાત્ર દુઃખી થાય તે મંજૂર ન હતું. વાજ સુરવાળા, સંચિત વગેરે મિત્રોએ મણિલાલ નભુભાઈ સાથે ચર્ચા કરો. પણ કલાપીએ અન્ન ત્યાગ કર્યો, લાઠી-રાજગાદી છોડી દેવા વિચારણા કરી, હૃદયથી ખૂબ વ્યથિત હતાં. અંતે પતિની હૃદયદ્રાવક સ્થિતિ જોઈ રમાએ કચવાતે મને લગ્ન માટે હા કહી. કલાપીએ શોભનાને બોલાવી લઈ અલગ બંગલામાં રાખી તે પોતાની સાથે લગ્ન માટે ખરેખર સંમત છે કે નહિ તે જાણી લીઘું. અંતે ૧૮૯૮ના સપ્ટેમ્બરમાં પુસ્તકની સાક્ષીએ લગ્ન થયાં. શોભનાને ત્રાસ આપનાર પૂર્વ પતિ ગાંભાના નિભાવખર્ચ માટે કલાપીએ ઉદારદિલે વ્યવસ્થા કરી આપી હતી.


દરમ્યાન કલાપીની એક શંકા મજબૂત બની કે રમાથી થયેલા તેમના કુમાર પ્રતાપસિંહજીના જન્મ સમયે બ્રિટિશ પ્રથા અનુસાર અંગ્રેજ નર્સને હાજર રાખવા રમા સંમત થયાં ન હતાં. આથી તેમને જણાયું કે કુમાર ભલે રાજબીજ હતા પણ પોતાના પુત્ર નહોતાં. આથી તેમને લાગ્યું કે રાજગાદીના ખરા વારસ આનંદીબાના પુત્ર જોરાવરસિંહજી ગણાય. એટલે પોતે પ્રતાપસિંહજીને યુવરાજ ઠરાવી જોરાવરસિંહજીને અન્યાય કર્યો છે. કોઈને પણ અન્યાય થાય તે કલાપીને માન્ય ન હતું. આથી અંગ્રેજ એજંસીને લખીને તથા પોલિટિકલ એજંટને રૂબરૂ મળીને તેઓ જણાવવા માગતા હતા કે તેઓ લાઠી રાજ્ય સંભાળી લે અથવા સાચા વારસ જોરાવરસિંહજીને યુવરાજ જાહેર કરે.


શોભના સાથે લગ્ન થતાં કલાપી સંતોષ અને આનંદ સાથે રહેતા હતા. આગળના વિરહના સમયમાં વેદનાભર્યા કાવ્યો લખાયાં. હવે સંતોષ સાથે પ્રભુપરાયણતાનો ભાવ ઉપસ્યો. ઃ ‘‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’’ એ વિચાર ધૂંટાતો રહ્યો. રમાની ખટપટથી કંટાળીે સંચિત લાઠી છોડી ગયા, કારમા દુષ્કાળનું વરસ હતું, મનમાં શંકાઓ ઘોળાતી હતી. તેમ છતાં સ્વસ્થ રહીને રાજકાજમાં ઘ્યાન આપતા હતા, કવિતાઓ લખાતી હતી. તે સાથે ગાદીત્યાગનું આયોજન અંતિમ સ્તરે પહોંચી ચૂક્યું હતું.

ગુરુવાર, 24 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી?

મારા પ્રિય લેખક ગુણવંત છો. શાહ નો કલાપી વિષે ૩ ભાગમાં બહુ સરસ લેખ તબક્કા વાર મુકું છું.

ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

network-27.JPG કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે.

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘...ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.


ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.


સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.


લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.


તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)


આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.


આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.


પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય.

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.


સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.

સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.


સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.

તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.


છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.
 
જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
- ગુણવંત છો. શાહ

આપની યાદી

જ્યાં જ્યાં નઝર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને!

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્શાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બઘું.

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

- કલાપી

શનિવાર, 19 માર્ચ, 2011

રાજેન્દ્ર શુક્લ

પરિચય:રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.

તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. 

 

પોત અલગ છે!

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

- રાજેન્દ્ર શુક્લ

 
તું ય છે સાવ સમીપે,
મંજુ મંજુ પદરવ છલકે છે

મસ્ત મળ્યાં તો મસ્તી જ મસ્તી,
રોમ રોમ આસવ છલકે છે

તારું ય એશ્વર્ય અનેરું,
મારો ય વૈભવ છલકે છે.

લંબાયેલો હાથ ગ્રહી લે,
ચાલ  બતાવું,  ભવ છલકે છે. 
 
 - રાજેન્દ્ર શુક્લ

મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.

સોમવાર, 14 માર્ચ, 2011

રાજનીતિની અનીતિ

નાના કે મોટા તમામ રાજનેતા એક ચોક્કસ પ્રકારનો નશો કરે છે. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે. આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી.

સાંભળ્યું છે કે હિટલરે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર લખ્યું હતું: ટ્રુથ ઇઝ ધ ઓનલી લો, અર્થાત્ સત્ય એક માત્ર નિયમ છે. હિટલરને ત્યાં એનો મિત્ર આવીને રહ્યો હતો. એણે હિટલરને પૂછ્યું કે આવું શા માટે લખ્યું છે? તે પોતે આ નિયમને માન્ય રાખ્યો છે? તું ખુદ આ સત્યનું કેટલું પાલન કરે છે?

તમે જાણો છો, હિટલરે શું જવાબ આપ્યો? એણે કહ્યું: હું તારી સામે જૂઠું નહીં બોલું, બલકે વ્યવહારુ સત્ય સમજાવીશ. હું સત્યને એકમાત્ર નિયમ નથી માનતો, પણ જેણે જૂઠ્ઠું બોલવાનું હોય છે એણે આ જાહેરાત કરવી પડે છે કે સત્ય જ કેવળ એકમાત્ર નિયમ છે. આ રાજનીતિનો નિયમ છે. એનું હું પાલન કરું છું. આ દુનિયામાં રાજનીતિમાં નીતિ ભાગ્યે જ હોય છે. વ્યવહારુ ધોરણે રાજનીતિ હંમેશાં અનીતિ પર જ આધારિત છે, પણ જાહેરાત તો હંમેશાં નીતિની જ કરવી પડે. આ જાહેરાતોના આધાર પર તો રાજનેતાઓની પસંદગી કરાય છે. જે રાજનેતા નીતિની જાહેરાત કરવામાં જેટલો વધુ કુશળ અને પ્રભાવશાળી રહે છે, એટલો જ તે વધુ સફળ થાય છે.

રાજનેતા ગમે તેટલું ખોટુ આચરણ કે અનીતિથી ભરેલું જીવન જીવતો હોય છતાં કયાંક ને કયાંક તો એણે સત્ય ઉચ્ચારવું જ પડે છે. પોતાનું હૃદય ખોલવું જ પડે છે. હિટલરે પણ એના મિત્ર આગળ સત્ય બોલવું પડ્યું. આ રાજનેતાઓ શરાબનો નશો કરતા હોય કે નહીં તેની ખબર નથી, પણ બીજો એક નશો ચોક્કસ કરે છે. પછી ભલેને એ હિટલર જેવો રાજનેતા હોય કે કોઇ નાના-મોટા પ્રાંતનો આગેવાન. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશો જ એમની પાસે બધું કરાવે છે. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે.

આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી. જોવા જઇએ તો હિટલર એકદમ પવિત્ર આત્મા હતો. દારૂ નહોતો પીતો, માંસ નહોતો ખાતો. શુદ્ધ શાકાહારી હતો. બીડી-સિગારેટને પણ નહોતો અડતો. સવારના બ્રાહ્મમુહૂર્તમાં જાગી જતો. આત્મગૌરવથી જીવતો હતો. એક યોગીનું હોય એવું જ અનુકરણીય એનું જીવન હતું. કઠોર જીવન જીવનારને નશાની સખત જરૂર પડે છે. અને એણે બીજો કોઇ નશો નહીં, ફક્ત પદનો નશો જીવ્યો. આ પદના નશામાં એણે એક બુદ્ધિમાન કોમની બુદ્ધિને પૂરેપૂરી ભ્રષ્ટ કરવામાં મોટી સફળતા મેળવી.

લાખો યહૂદીઓની હત્યા કરી શક્યો અને છતાં એને એનું દુ:ખ ન થયું! તમે કોઇ બેકસૂર વ્યક્તિની હિંસા કરો, અરે, કોઇ નિર્દોષને ફકત થપ્પડ પણ મારી દો તો ય તમને દુ:ખ થાય છે, પસ્તાવો થાય છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ માનવીય છે... પણ હિટલર જેવા લોકો લાખો નિર્દોષોને મરાવી દે છે. નાના-મોટા રાજનેતા ઓછી-વત્તી સંખ્યામાં આવું કૃત્ય કરે છે. એમને કોઇ પણ પ્રકારનો કોઇ અફસોસ નથી થતો. આ છે પદનો નશો!

રાજનીતિમાં ફક્ત રાજનીતિનો નશો હોત તો જુદી વાત હતી. વળી રાજનીતિનો આ નશો ધર્મ અને અઘ્યાત્મમાં પણ ખૂબ પ્રચલિત છે. આજે પણ ધર્મને નામે ઘણી રાજનીતિઓ ખેલાય છે. ખૂબ નશો થાય છે. આ થવાનું કારણ છે કે ધર્મમાં રાજનૈતિક વૃત્તિવાળા લોકો મોટી સંખ્યામાં ઘૂસી જાય છે. એમનો ઉદ્દેશ આત્માના કલ્યાણનો નથી હોતો, ઊલટાનું, બીજાનું શોષણ કરવાનો હોય છે. તેઓ ધર્મને નામે લોકોને છૂટા પાડે છે. સંપ્રદાયો ઊભા કરે છે અને લડાવી મારે છે. તેઓ મનુષ્યને સાર્વભૌમ ધાર્મિકતાનું શિક્ષણ નથી આપતા. એને બદલે હિંદુ, મુસલમાન, બૌદ્ધ, જૈન તથા એનાથી પણ નાની નાની જાતિઓની નીતિનું શિક્ષણ આપે છે. આ જ અત્યારસુધીની જૂની નૈતિકતા રહી છે.

ઓશો એક નવી નૈતિકતા સ્થાપે છે : એક નવી નૈતિકતા બીજી રીતે વિકસશે. જૂની નૈતિકતા સ્થાનિક હતી. નવી નૈતિકતા આંખ ખોલનારી હશે. યુનિવર્સલ હશે. જૂની નૈતિકતા કહેતી કે આ તમારી ચામડી છે - તારી કાળી, મારી ગોરી. હું અલગ છું, તું અલગ છે. તું હિંદુ છે, હું મુસલમાન છું. નવી નૈતિકતા કહેશે મનુષ્યમાત્ર એક છે. કોઇ માનવ બીજાથી અલગ નથી. બધા મનુષ્ય એક છે.

માયા, શ્રી માતાજી નિર્મલાદેવી

શુક્રવાર, 11 માર્ચ, 2011

ન્યાયતંત્ર, ગુનેગાર અને સજા!




સુપ્રીમ કોર્ટે હમણાં ખેદ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર માટે બજેટમાં સરકારે એક ટકા કરતાં પણ ઓછી ફાળવણી કરી છે. કોઈ પણ સરકાર મજબૂત ન્યાયતંત્ર ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી સાથે સુસંગત થાય એવી ટોલ્સ્ટોયની એક અમર વાર્તા છે. ન્યાયતંત્ર અને એના અમલ માટે પૂરતા ખર્ચની જોગવાઈ ન હોય ત્યારે ન્યાયની કેવી વલે થઈ જાય છે એ એમની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.

વાર્તા માટેની જરૂરી પાર્શ્વભૂમિ માટે મોનાકો નામના ખૂબ જ નાનકડા દેશને પસંદ કરીને ટોલ્સ્ટોયે આ વાર્તા લખી છે. વાર્તા લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં લખાયેલી છે.

આજે પણ મોનાકો એક સ્વતંત્ર નાનકડો દેશ છે, જ્યાં તેના પ્રિન્સનું રાજ ચાલે છે. દેશનો વિસ્તાર માત્ર બે ચોરસ કિલોમીટર જેટલો છે અને વસતિ પૂરી તેત્રીસ હજારની પણ નથી. ફ્રાંસની સરહદે આવેલા આ દેશની રાષ્ટ્રભાષા પણ ફ્રેંચ જ છે.

વાર્તામાં ટોલ્સ્ટોયે એ વખતના મોનાકો રાજ્ય વિશે લખ્યું છે કે એ નાનકડા રાજ્યમાં પણ બીજાં મોટાં રાજ્યો જેવી જ બધી વ્યવસ્થા હતી. રાજા હતો. પ્રધાનો હતા. રાજદરબાર પણ ભરાતો હતો. ધર્માધિકારી પાદરી હતો અને લશ્કર પણ હતું. જોકે, લશ્કરમાં માત્ર સાઠનું જ સંખ્યાબળ હતું. કાયદાઓ હતા અને ન્યાયાલય પણ હતું. વસતી ઘણી ઓછી હતી - માત્ર સાતેક હજાર. રાજ્યના કારોબારને ચલાવવા માટે આવક પણ ઘણી ઓછી હતી. માત્ર દારૂ અને તમાકુ ઉપરનો કર એ જ રાજ્યની મુખ્ય આવક હતી. ખર્ચને પહોંચી વળવા માટે રાજાએ નવો કર નાખ્યા વિના છૂટકો નહોતો. ઘણા મનોમંથનને અંતે રાજાએ જુગારખાનાંઓ (કેસિનો) ઉપર કર નાખીને નવી આવક ઊભી કરી. રાજા જાણતો હતો કે જેમ દારૂ અને તમાકુ ઉપર કર વધારવો એ સારી બાબત નથી એ જ રીતે જુગારખાનાની આવક એ પણ સારી વસ્તુ નથી, પરંતુ પરસેવાની કમાણીથી રાજ્યનો કારોબાર ચાલે એવું નહોતં અને રાજના ઠાઠમાઠ તો એ કમાણી ઉપર સહેજે પોસાય એવા નહોતા. યુરોપના બીજા દેશોમાં એ વખતે જુગારખાનાં ચલાવવાની મનાઈ હતી. એટલે જુગારના શોખીનો જુગાર રમવા માટે મોનાકો આવવા લાગ્યા. રાજાની આવક વધવા માંડી. પરંતુ, એક દિવસ જુગારખાનામાં બે જુગારીઓ ઝઘડી પડયા અને એક જુગારીએ બીજાનું ખૂન કરી નાખ્યું. રાજ્યની પ્રજા શાંતિપ્રિય હતી એટલે અગાઉ ક્યારેય આવો ખૂનનો બનાવ બન્યો નહોતો. ખૂની પર અદાલતમાં ધોરણસર કામ ચલાવવામાં આવ્યું. ખટલો ચાલી જતા ન્યાયાધીશે આરોપીને ગુનેગાર ઠરાવીને દેહાંતદંડની સજા ફટકારી. ગુનેગારને ‘ગિલોટીન’ પર ચડાવી તેનું માથું ધડથી જુદું કરી નાખવું એવો ચુકાદો જાહેર કર્યો. બીજા દિવસે રાજાએ ચુકાદા પર મહોર મારી. હવે મુશ્કેલી શરૂ થઈ, કારણ કે રાજ્ય પાસે તો નહોતું કોઈ વધસ્થળ કે નહોતું શિરચ્છેદ કરવાનું કોઈ સાધન, એટલું જ નહીં શિરચ્છેદ કરી શકે તેવો કોઈ અનુભવી જલ્લાદ પણ રાજ્ય પાસે નહોતો.

પ્રધાનોની સલાહ મુજબ રાજાએ ફ્રાંસને ગિલોટીન અને જલ્લાદ ભાડે આપવા માટે લખ્યું. ફ્રાંસે જવાબમાં લખ્યું કે તે મશીન અને જલ્લાદ મોકલી આપશે, પરંતુ એ બદલ ૧૬૦૦૦ ફ્રાંકનો ચાર્જ થશે. પત્ર રાજાને બતાવવામાં આવ્યો એટલે રાજાએ પ્રધાનોને કહ્યું કે જો આવા કામમાં આપણે સોળ હજાર ફ્રાંક ખરચી નાખીશું તો દરેક નાગરિક પાસેથી વધારાના બબ્બે ફ્રાંક કર પેટે વસૂલ કરવા પડશે. પણ એથી તો લોકોમાં ઘણો અસંતોષ થશે એટલે આ માટે કોઈક ઓછો ખર્ચાળ ઉપાય શોધી કાઢો.

એક પ્રધાનની સલાહ મુજબ પાડોશી દેશ ઈટાલીને પણ, ફ્રાંસને લખ્યો હતો એવો જ પત્ર લખવામાં આવ્યો. ઈટાલીએ જવાબમાં લખ્યું કે મશીન તથા જલ્લાદના ખર્ચ ઉપરાંત મશીનને લાવવા-લઈ જવાનું ભાડું તથા જલ્લાદના આવવા જવાનું ભાડું, બધું મળીને કુલ ખર્ચ ૧૨૦૦૦ ફ્રાંક થશે.

આ ખર્ચ પણ રાજાને ઘણો વધારે લાગ્યો. એક પ્રધાને સૂચન કર્યું કે માણસને મારી જ નાખવો છે તો એમાં ‘ગિલોટીન’અને જલ્લાદની શી જરૂર? રાજ્યના કોઈક સૈનિકને જ એ કામ સોંપી દેવું જોઈએ. ખોટા ખર્ચથી બચવા માટેનું આ સૂચન સારું હતું. સૈન્યના વડાને બોલાવવામાં આવ્યા અને અદાલતના ચુકાદાનો અમલ કરવા માટે માણસનું માથું ધડથી અલગ કરી શકે એવા એક સૈનિકની માંગણી કરવામાં આવી. સૈનિકો આવું કામ સરળતાથી કરી શકે છે, કારણ કે એમને તો હિંસાની જ તાલીમ આપવામાં આવે છે. સૈન્યના વડાએ સૈનિકો સાથે વાત કરી પણ એકેય સૈનિક આ કામ કરવા તૈયાર ન થયો. સૈનિકોએ કહ્યું કે તેમને લડવાની તાલીમ આપવામાં આવે છે, પરંતુ આજ સુધી તેઓ કોઈ લડાઈ લડયા નથી એટલે આ કામ તેઓ કરી નહીં શકે.

સૈન્યના વડાએ પ્રધાનોને કહી દીધું કે તેમની જરૂરિયાત પૂરી કરી શકે તેવો એક પણ સૈનિક લશ્કરમાં નથી. મૂંઝવણના ઉકેલ માટે બધાએ મળીને એવો રસ્તો કાઢયો કે ગુનેગારને દેહાંતદંડને બદલે જન્મટીપની જ સજા કરવી. સજા હળવી કરવાથી રાજા દયાળુ ગણાશે અને ખર્ચમાંથી બચી જવાશે.

રાજ્યનો ખર્ચ ઓછો થાય એવા કોઈ પણ સૂચનનો અમલ કરવા રાજા તો તૈયાર જ હતો. એણે ખૂનીની સજા ઘટાડી દીધી.

હવે બીજી મુશ્કેલી આવી. રાજ્યમાં જન્મટીપના ખૂનીને રાખી શકાય એવી જેલ નહોતી. એક કોટડીમાં જેલ ઊભી કરી દેવામાં આવી. ચોકીદારને બેસાડી દેવામાં આવ્યો અને કેદી માટે જેલમાં સવાર-સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

આમ ને આમ એક વરસ પસાર થઈ ગયું. રાજાએ હિસાબ જોયો. ભાડું, ભોજન, ચોકીદાર વગેરેનો ખર્ચ છસ્સો ફ્રાંકથી વધુ થઈ ગયો હતો. અને કેદી તો એવો હટ્ટોકટ્ટો હતો કે હજી કેટલાં વર્ષ કાઢશે એ કહી શકાય એમ નહોતું! કેદીની જન્મટીપની સજા પણ રાજાને ફાયદાકારક ન લાગી એટલે રાજાએ પોતાના પ્રધાનોને બીજો ઈલાજ શોધવાનું કહ્યું.

ત્રણ-ચાર મિટિંગ પછી એક પ્રધાને સૂચવ્યા પ્રમાણે ચોકીદારને છૂટો કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું જેથી તેનો ખર્ચ બચી જાય અને એમ કરતાં જો કદી ભાગી જાય તો વધારે સારું. એનો ખર્ચ પણ બચી જાય!

પરંતુ ભાગી જવાની પૂરી સગવડ હોવા છતાં કેદી ભાગી તો ન ગયો પણ જમવાના સમયે જેલમાંથી પોતાની જાતે બહાર નીકળીને સરકારી રસોડામાં જમી આવ્યો અને જેલમાં પાછો આવી ગયો. કેદીએ રોજ આમ કરવા માંડયું. હવે રાજા અને એના પ્રધાનો બધા મૂંઝાયા.

કેદી ભાગી જાય એવું લાગતું નહોતું. એટલે એને ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે, “અમે તને રાખવા માગતા નથી. તને ગમે ત્યાં તું ભાગી જઈ શકે છે!”

જવાબમાં થોડો વિચાર કરીને કેદીએ સામો પ્રશ્ન કર્યો કે, “હુ જેલ છોડી દઉં તો રહેવા ક્યાં જાઉં? શું કરું તમે મને ફાંસીની સજા કરી એટલે મારી તો આબરૂ ધૂળમાં મળી ગઈ. લોકોમાં મારી ઈજ્જત રહી નથી. આટલો સમય કેદમાં રહ્યો એટલે હવે મને કામકાજ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તમે મને દેહાંતદંડની સજા કરી તો પછી તમારે મને ગિલોટીન પર ચડાવી દેવો હતો. તમે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. સવાર-સાંજનું મારું ખાવાનું લાવનાર ચોકીદારને પણ તમે છૂટો કરી દીધો. અત્યારે મારે જાતે જ સરકારી રસોડે જવું પડે છે. હવે તમારી ઇચ્છા એવી છે કે મારે ભાગી જવું, પરંતુ હું જેલ છોડીને ક્યાંય ભાગી જવાનો નથી. તમારે જે કરવું હોય તે કરો.”

આખરે થાકીને પ્રધાનો અને રાજાએ તેને છસ્સો ફ્રાંકનો વાર્ષિક દરમાયો બાંધી આપવાનું નક્કી કર્યું, જો એમ કરતાં પણ એ બલાથી છુટાતું હોય તો!

કેદી પણ ઓછો નહોતો. વાટાઘાટને અંતે રાજ્ય પાસેથી ત્રીજા ભાગની રકમ તેણે એડવાન્સમાં લીધી. અને જીવે ત્યાં સુધી એને નિયમિત વર્ષાસન મળશે એવી બાંયધરી પણ તેણે રાજ્ય પાસેથી લીધી.
જેલ છોડીને કેદી બાજુના રાજ્યમાં ચાલ્યો ગયો. મોનાકો રાજ્યે આપેલા પૈસામાંથી સરહદ પાસે જ થોડી જમીન ખરીદીને, ખેતી કરીને એ રહેવા લાગ્યો. હા, મોનાકો રાજ્ય તેને જે વર્ષાસન આપે છે તેમાંથી મોનાકોના જુગારખાનામાં ત્રણ-ચાર ફ્રાંક હજુએ એ હોડમાં મૂકીને ક્યારેક હારે છે કે ક્યારેક જીતે છે!
ટોલ્સ્ટોય છેલ્લે એમ લખે છે કે “એ માણસ એટલો નસીબદાર હતો કે ખર્ચની પરવા ન હોય એવા (મોટા) દેશમાં તેણે ગુનો કર્યો નહોતો.”

હવે વિચારવાનું એ છે કે જે દેશ પાસે ન્યાયતંત્ર હોય, એમાં વર્ષો સુધી કેસ ચાલતા હોય અને કેદીઓને સાચવવા માટે પૂરતો ખર્ચ કરવાની સગવડ હોય અને કરવેરા નાખવા માટે ‘બજેટ’ જેવું સાધન હોય, એ દેશમાં ન્યાયતંત્ર અને ગુનેગારની સ્થિતિ કેવી હોય?

ગુરુવાર, 10 માર્ચ, 2011

સુખી થવાની રમૂજી ચાવી

ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે...

સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, ત્યાં પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


આપણી પાસે ઘાસ અને છાપાંથી ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. ‘હું સુખી નથી, મારી પાસે આ નથી’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’


આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશને ડરાવતી ટ્રકો જેવી હોય છે.


બબ્બે વર્ષથી દિનેશ જેટલી ટ્રકથી ડરતો રહ્યો એમાંની એકમાં પણ ડ્રાઈવર પત્ની પરત કરવા નહોતો આવી રહ્યો, છતાં દિનેશ તો ફફડતો જ રહ્યો ને! તો પછી હવે ક્યારેક અમુક સંકેતોને કારણે કશુંક અમંગળ બનવાનો ડર લાગે ત્યારે પહેલા તો શાંતિથી એટલું વિચારી લેવું કે આ ક્યાંક ‘દિનેશને ડરાવતી ટ્રક’વાળો મામલો તો નથી ને!


*** *** ***


ચમન નદીકાંઠે બેઠો હતો. સામે કાંઠેથી મગને બૂમ પાડી, ‘હું સામા કાંઠે કઈ રીતે આવી શકું?’ચમન કહે, ‘આવવાની શી જરૂર છે? તું સામા કાંઠે જ છે.’ આ પણ એકદમ પૂઅર જોક છે, છતાં એક ખાસ એંગલથી જોઈએ તો એમાં ઘણી મહાનતા છુપાયેલી છે. વાત જાણે એમ છે કે આપણે સૌ ક્યાંક સામા કાંઠે પહોંચવા ઉત્સુક હોઈએ છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો.


કોઈ પણ કાંઠે બેસો તો સામે નદી વહેતી દેખાવાની છે, પણ માણસ એક નોકરી કરતો હોય તો એને સામા કાંઠાની નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની પત્ની કે પડોશણનો પતિ વધુ સદ્ગુણી લાગે. આવી લાગણી ક્યારેક સાચી પણ હોય છે, પરંતુ સવાલ એ છે કે મોટે ભાગે માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ શા માટે રહે છે? મૂળ તો, સુખને આપણે હંમેશાં ભવિષ્ય પર શા માટે મુલતવી રાખતા હોઈએ છીએ.


જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો મજા પડી જાય... દીકરી પરણી જાય પછી ભાર હળવો થશે... મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં રહે... પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે અમીર જીવનની લાલસામાં ડૂબી જતું હોય છે. પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ...


આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી મહત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


*** *** ***એક ચિત્રકારની મચ્છરદાનીમાં નાનકડું કાણું પડ્યું. ભાઈને સીવવાનું ફાવે નહીં. એટલે એણે મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું એની બરાબર સામેની બાજુએ એવડું જ બીજું કાણું કાતરથી પાડ્યું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એને એક કાણામાં ઘુસાડીને સામેના કાણામાંથી પસાર કરી, જેથી મચ્છર એક બાજુથી પ્રવેશીને ભૂંગળીમાંથી પસાર થઈને બીજી બાજુએ બહાર નીકળી જાય. મચ્છર આખી મચ્છરદાનીમાંથી પસાર થાય, પણ નીચે સૂતેલા ચિત્રકારને અડી ન શકે, એનું લોહી ન પી શકે.


જરા વિચારો, આવી એક ભૂંગળી મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો, દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી લોહી પીનારી, કનડનારી હોય એને મગજમાં ઘૂસવા જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને, મગજને સ્પશ્ર્યા વિના, બીજા છેડેથી બહાર. ટ્રિક સારી છે.


એમાં કરવાનું ફક્ત આટલું જ છે: સતત યાદ રાખો કે તમે જે સાંભળો, વિચારો, અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ, મગજમાંની ભૂંગળીના એક છેડેથી પ્રવેશીને, બણબણાટ કરતી, બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી કલ્પના કરો. આવું કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી મગજને ઉકરડો બનવામાંથી બચાવે છે.


*** *** ***


રેલવે ફાટકના સિગ્નલ મેનની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘માની લો કે એક જ પાટા પર તમને બે ટ્રેન સામસામે આવતી દેખાય તો તમે શું કરો?’ઉમેદવારે કહ્યું, ‘હું લાલટેન લઈને દોડું.’‘તમારી પાસે લાલટેન ન હોય તો?’‘તો લાલ શર્ટ કે પછી બીજું જે કોઈ લાલ કપડું હાથમાં આવે એ લઈને દોડું.’


‘તમારી પાસે લાલ કપડું પણ ન હોય તો?’‘તો લાલ જેવું, કેસરી રંગનું કપડું લઈને દોડું.’ ‘પણ ત્યારે રાત હોય તો?’‘અં... તો હું મારા પાંચ વર્ષના ભત્રીજાને બોલાવું.’ ‘કેમ? અકસ્માત અટકાવવામાં એ શું કરી લેવાનો?’ ‘એ કંઈ નહીં કરી શકે પણ એણે ક્યારેય બે ટ્રેન અથડાતી જોઈ નથી. આ બહાને એને જોવા મળે.’


આપણે સૌ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યા ડાચું ફાડીને ઊભી હોય, પણ એનો ઉકેલ કોઈ ન હોય. ત્યારે કરવું શું? માની લો કે ઓફિસનું એક કવર કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ છ વાગ્યે બંધ થઈ જાય છે. કવર તમારા હાથમાં છમાં પાંચ મિનિટે આવે છે. તમારી પાસે વાહન નથી. રિક્ષાવાળાઓની સ્ટ્રાઈક ચાલી રહી છે. બસ સ્ટેન્ડ ચાલતા દસ મિનિટના અંતરે છે. ટૂંકમાં, તમે કવર સમયસર પહોંચાડી શકો તેવો કોઈ રસ્તો ન દેખાતો હોય તો તમે શું કરો?


અથવા તો, એક ઉત્સાહી મમ્મી ત્રીજા ધોરણમાં ભણતી એની દીકરીને ગણિતના પેપર માટે રાત્રે મોડે સુધી જાગીને અને સવારે વહેલા ઊઠીને બરાબર તૈયારી કરાવે પણ પરીક્ષાના અડધા કલાક પહેલાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડે કે આજે ગણિતનું નહીં, સમાજશાસ્ત્રનું પેપર છે. આવા સમયે પેલી મમ્મીએ શું કરવું જોઈએ?


આવી ઉકેલ વિનાની લાગતી પરિસ્થિતિઓમાં ‘ભત્રીજાને અકસ્માત દેખાડવાનો લહાવો લૂંટવો’ એ અભિગમ હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં ખોટો તો નથી જ. કડકડતી ઠંડીવાળી કોઈ રાત્રે ઘરે પહોંચતાં સામે બળીને ખાક થઈ ગયેલું ઘર નજરે ચડે ત્યારે ભાંગી પડાય એ માનવસહજ છે, પણ રાખના ઢગલામાંથી આવતા થોડા થોડા તાપમાં હાથ શેકીને ઠંડી ઉડાડી લે એ માણસને સાચો સ્થિતપ્રજ્ઞ જ નહીં, સૌથી પ્રજ્ઞાવાન પણ ગણવો પડે. આટલી સ્થિતપ્રજ્ઞતા ન કેળવાય તો પણ, હવે ક્યારેક લાંબા અંતરની ટ્રેન દસ-પંદર મિનિટ મોડી પડવાને કારણે ચૂકી જાઓ અને ટેક્સીમાં પણ આગલા સ્ટેશને ટ્રેનને આંબી નહીં શકાય એવી ખાતરી હોય ત્યારે આજુબાજુના લોકોને સૌથી પહેલો આ સવાલ પૂછવો, ‘બોસ, આટલામાં સારામાં સારી ચા ક્યાં મળે છે?’


*** *** ***


મુલ્લાનો એક દોસ્ત ગામ છોડીને જઈ રહ્યો હતો. બધાએ એને ભેટમાં કંઈક ને કંઈક આપ્યું. છેલ્લે એ મુલ્લાને મળવા આવ્યો. એ કહે, ‘દોસ્ત મુલ્લા, તું મને ભેટમાં વીંટી આપ, જેથી જ્યારે પણ વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ કરીશ કે મુલ્લાએ આ વીંટી આપેલી.’મુલ્લા કહે, ‘તું મને યાદ જ કરવા માગે છે ને? તો હું તને વીંટી નથી આપતો, જેથી જેટલી વાર તું આંગળી જોઈશ એટલી વાર તને યાદ આવશે કે મુલ્લાએ વીંટી ન આપી.’


હવે પછી જ્યારે તમને એવું લાગે કે મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો નથી... ત્યારે એમ વિચારવું કે એ મુલ્લાની વીંટી જેવી ઇશ્વરની બક્ષિસ છે, જે એણે આપણને આપી ભલે નથી, પણ એ બહાને તેને યાદ કરવાની તક તો આપી જ રહ્યો છે. સુખી થવાનો આ સરળ રસ્તો છે, આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


*** *** ***


થોડાક દેડકા ફરવા નીકળ્યા. રસ્તામાં આવ્યો મોટો ખાડૉ. બે દેડકા એમાં પડી ગયા. બંને કૂદીને બહાર આવવા મથ્યા, પણ ખાડો બહુ ઊંડો હતો. બહારના દેડકાઓ રાડો પાડવા લાગ્યા, ‘આ બહુ ઊંડો ખાડો છે. આમાંથી તમે બહાર નહીં આવી શકો. બહેતર છે કે તમારા નસીબને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને ભેટો.’ બેમાંના એક દેડકાને વાત ગળી ઊતરી ગઈ. એણે ખાડામાં લાંબી સોડ તાણી લીધી, પણ બીજા દેડકાએ કોશિશો ચાલુ જ રાખી.


બહારના દેડકાઓ એને જોરજોરથી કહેતા-સમજાવતા રહ્યા કે તું નાહકનો હેરાન થાય છે, પણ એમની સમજાવટને ગણકાર્યા વિના બીજો દેડકો કૂદતો રહ્યો અને છેવટે એણે એક છલાંગ એટલી ઊંચી મારી કે એ ખાડામાંથી બહાર આવી ગયો. બહારના દેડકાઓએ પૂછ્યું, ‘તેં કૂદવાનું ચાલુ કેમ રાખ્યું? તને અમારી વાત સંભળાઈ નહીં?’


બચેલા દેડકાએ બહારના દેડકાઓને સમજાવ્યું કે એ પોતે બહેરો છે એટલે એણે કંઈ સાંભળ્યું નહોતું. ઊલટાનું બહારના દેડકાઓને જોઈને તેણે એવું માની લીધેલું કે તેઓ એને વધુ ઊંચો કૂદકો મારીને બહાર આવવાની પ્રેરણા આપી રહ્યા હતા. આ વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈ વાતે આપણે સાચા રસ્તે છીએ એવું લાગતું હોવા છતાં આસપાસના લોકો જો આપણી જોરશોરથી ટીકા કરે અને હાર સ્વીકારી લેવા કહે તો સમજવું કે એમની બૂમરાણ વાસ્તવમાં આપણને વધુ દિલથી, વધુ જોરથી પ્રયત્નો કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અને એક આડવાત: આમ તો બહેરા હોેવું એ શ્રાપ જ છે, પણ ક્યારેક અમુક શ્રાપ આડકતરા આશીર્વાદ પણ સાબિત થઈ શકે.


*** *** ***


એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’


મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’


આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારુંં લાગે. આવું શા માટે?


એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’


આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


જેમ કે, આવો સરસ મજાનો ‘ઉત્સવ’ વિશેષાંક તમે ખરીદીને વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી, તમારા હાથ મેગેઝિન પકડવાનું કામ કરી શકે છે, તમારી આંખ મેગેઝિન વાંચવાનું કામ કરી શકે છે.


ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલું મસ્ત ‘ઉત્સવ’ મેગેઝિન તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.


દીપક સોલિયા

બુધવાર, 9 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ 3

એક વખત પયગબંર સાહેબ તેમના કેટલાક સાથીઓના કાફલા સાથે પસાર થઈ રહ્યાં હતા. જેના કારણે, કાફલાના મુસાફરો થાકી ગયા હતા. એક સ્થળ પર તેઓ ઊભા રહ્યાં. પયગંબર સાહેબે ઊંટ પરનો સામાન છોડી નાખ્યો.મુસાફરો બંદગી માટે પાણીની શોધમાં લાગી ગયા. ખુદ પયગંબર સાહેબ પણ પાણીની શોધમાં લાગી ગયા.


કોઈને કાંઈપણ કહ્યાં વગર પયગંબર સાહેબ તેમના ઊંટ પાસે ગયા, બધાને થયુંકે, ખુદ પયગંબર સાહેબે અહીં મુકામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે તેઓ અહીંથી કૂચ કરવા માટે આદેશ આપશે કે શું ? તેમણે ઊંટ તૈયાર કરીને પાણીની શોધમાં નિકળી પડ્યા. જ્યારે કાફલાને આ વાત સમજાઈ ત્યારે તેમણે પયગંબર સાહેબને કહ્યુંકે, અમે તમારા માટે એ કરી લીધું હોત.ત્યારે પયગંબર સાહેબે જવાબ આપ્યો, "તમારા કામોમાં ક્યારેય બીજાની ઉપર આધાર ન રાખો. દાતણના એક ટૂકડા માટે પણ બીજા પર આધાર ન રાખો."


બોધ


ગુજરાતીમાં કહેવાય છેકે, "પારકી આશા સદાય નિરાશા." જેનું સચોટ ઉદાહરણ પયગંબર સાહેબના જીવનનો આ કિસ્સો પૂરો પાડે છે.

શેર

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.


- રાજેન્દ્ર શુક્લ

સ્ત્રીઓની મુક્તિ... વિજ્ઞાનની શક્તિ !

સ્ત્રી ડરે છે, એકલી રહેવાથી
એ ડરે છે - અંધકારથી,
ને દિવસના અજવાળાથી.

પરિચિત - અપરિચિત પડોશીથી
ભરબપોરે વાગતી ડોરબેલથી
અડધી રાત્રે રણકી ઉઠતા ટેલિફોનથી
ને ટેલિગ્રામના નામમાત્રથી...
સ્ત્રી ડરે છે, તેના સુંદર દેખાવથી

રસ્તા પર પસાર થતા પુરૃષથી
સાસુ, પતિ, પુત્રથી

વાંદા, ઉંદર, ને ઘરમાં ફરતી ગરોળીથી
સ્ત્રીને જોઈએ છે, સુરક્ષિતતા
ટેકો - ભલે તે કોઈનો પણ હોય,
કુમકુમથી માંડીને કૂખ-

એવી તો લાખ વસ્તુઓથી
તે સજાવી લે છે પોતાના સ્ત્રીત્વને
પોતાની શક્તિને બાંધી લેતી

એ તમામ વસ્તુઓનું તે જીવથીયે વધુ જતન કરે છે.
આકરા અવાજથી
તે શિથિલ બની જાય છે.

બારી બારણા બંધ કરી લઈને
પવન, વરસાદ કે સૂર્યપ્રકાશ
ઇન્દ્રિયોના દરેક ઉઘાડને તે રોકી લે છે.
સ્ત્રી ડરે છે,
તેના પોતાના મનથી, વિચારથી,
માગણી કરતાં શરીરથી.
સ્ત્રી ડરે છે,
તેના પોતાથી

અંત સુધી !

કવિતા મહાજનની એક મર્મવેધક રચનાનો આ ગુજરાતી અનુવાદ મનીષા જોશીએ કર્યો છે. વાત અહીં કેવળ સાહિત્યિક નથી, વાસ્તવિક છે. સ્ત્રીનું સદીઓથી એક ચિત્રણ જ 'ગભરું અબળા' એવું થયું છે. મનુ મહારાજ 'ન સ્ત્રી સ્વાતંત્રમર્હતિ' એવું ફરમાન બહાર પાડે કે, મોહમ્મદ સાહેબના અનુયાયીઓ 'બે નારીની સાક્ષી બરાબર એક નરની સાક્ષી'નો ફતવો ચલાવે, ને મસીહા (જીસસ)ના કેટલાંક શિષ્યો વળી સ્ત્રી સાથેના સંબંધને જ 'ઓરિજીનલ સીન' (પાયાનું પાપ) ગણે - ત્યાં સ્ત્રી પુરુષની કેદમાં અને સમાજની નાગચૂડમાં નખશિખ પકડાયેલી અને દબાયેલી રહેતી. ધીરે ધીરે યુરોપમાં રેનેસાં (નવજાગરણ)ની લ્હેરખીઓ આવી, આધુનિક શિક્ષણે સ્ત્રીઓને સ્વતંત્ર પહેચાન માટે પ્રવૃત્તિ કરી. પછી બે પ્રકારનાં આંદોલનો ચાલ્યા. એક સ્ત્રીઓ તરફ થતા અન્યાય અને અત્યાચારને રોકી સામાજિક-ધાર્મિક કુરિવાજો કે કાયદો હટાવવાની ઝુંબેશ ચાલી. જેમકે, ભારતમાં વિધવાવિવાહ, પશ્ચિમમાં છૂટાછેડા પછી ભરણપોષણ વગેરે. બીજી નારીવાદી ચળવળ ચાલી. મજાકમાં જેને 'બ્રા-બર્નિંગ' કહેવામાં આવે છે, એવી આ ક્રાંતિમાં ખાસ્સો કોલાહલ થયો અને થાય છે. આ મથામણનાં હેતુઓ ઉમદા હતા. નારીને પોતાનું આગવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય એ વાતનો સ્વીકાર કરી, એને ખુદની મરજી મુજબ જીવવા દેવાની વાત હતી. ઘરકામના ઢસરડા કે જરીપુરાણી માનસિકતા કે પુરુષના ત્રાસના બોજમાંથી આઝાદ કરવાની વાત હતી. સ્ત્રીને પોતાની રીતે પગભર બની પોતાની મરજીથી સુખી કે આનંદિત થવાની વાત હતી.
પણ ધીરે ધીરે રાજકીય ચળવળોની જેમ નારીવાદ માત્ર નિવેદનોમાં સીમિત થઈ ગયો. છતાંય, ઘણા ફેમિનિસ્ટસ આજે સંતોષની નીંદર લે છે કે પહેલાના પ્રમાણમાં સ્ત્રીઓ ખાસ્સી મુક્ત થઈ છે. નોકરી કરે છે, બહાર નીકળે છે. પોતાના સંબંધોના નિર્ણય જાતે લે છે. લગ્ન પછી પણ કઠપૂતળી બનતી નથી. સ્વતંત્ર આવક મેળવે છે. સ્વતંત્ર રીતે 'એન્ટરટેઈન' થવાની એની પાસે ચોઈસ છે. એના કપડાં અને કોસ્મેટિક્સની રેન્જ પણ વધુ વેરાયટીવાળી થઈ છે. ટીવીનું રિમોટ એના હાથમાં છે. યુનિવર્સિટીઝની ડિગ્રીઝ પણ!
સરસ, પણ આમાં ફેમિનિસ્ટસના ફાળા કરતાં સાયન્ટિસ્ટસનો ફાળો વધુ છે. તેનું શું ? સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક અભિગમ સ્ત્રીસંસ્થાઓને લીધે થોડોક (રિપિટ, થોડોક) બદલાયો હશે - પણ સ્ત્રીની સ્વતંત્રતાની જ વાત કરતા હોઈએ તો એ વિજ્ઞાાને અપાવી છે !
બાત હજમ નહીં હુઈ ? ચાલો, પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. નારીમુક્તિની ચળવળ શરૃ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે - સ્ત્રીને શ્રમવિભાજનના અન્યાયી ભાગરૃપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડયું છે. ઘરની 'લક્ષ્મી'ના નામે એની શબ્દોથી પૂજા થાય છે, પણ વાસ્તવમાં એ ઘરની 'દાસી' બની જાય છે. માત્ર માનસિક અકળામણ જ નહિ. શારીરિક થાક અપાવે એટલું 'ઘરકામ' રોજેરોજ નિરંતર, આજીવન (કે બહુ સાસ ન બને તબ તક!) એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઊઠીને કૂવેથી પાણી ભરવા જતી પનિહારીઓના ગીતો રચાતા.
કવિઓ તો 'પાણી ભરવા ગ્યા'તા', કરીને પનિહારીના રસિક ગીતો લખે... પણ ક્યારેય વિચાર કર્યો છે કે સવારના પહોરમાં સૂરજ ઊગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કૂવે જવું, જાડું રાંઢવું (દોરડું) લઈ એને કૂવામાં નાંખી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ 'હાશ' કરીને નિરાંતે આરામ ન કરવાનો હોય - ગામડું હોય તો છાણ-વાસીદું કે દૂધ દોહવાનું ચાલું થાય... શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય... અને આ બધા વચ્ચે ચૂલો તો સળગી જ જાય!
કલાકારો કે મહિલા મોરચાઓએ આ રોજીંદી જાત નિચોવી દેતી ઘટમાળ સામે બૂમરાણો તો ખૂબ કરી... પણ ઉકેલ શું આપ્યો ? કેવળ ચિત્કાર, સહાનુભૂતિ કે બહુ બહુ તો બળવાખોરી ? ચાલો, બળવો કરીને સ્ત્રી (પુખ્ત હોય તો) એકલી રહેવા જતી રહી. પછી? પછી કપડાં-રસોઈ-પાણીની કડાકૂટ એના માથે નહિં આવે ? જસ્ટ ઈમેજીન, ફલશ - ટોઈલેટને બદલે જૂના જાજરૃ રહ્યા હોત તો કોની માથે સમાજ એનો ભાર નાખત?
આ ઉકેલ વિજ્ઞાાને આપ્યો. નળની પાઈપલાઈન્સ આવી! પાણીની મોટર કે ડીપવેલ આવી! ઘેર બેઠાં ફટાફટ પાણી ભરાઈ જાય! (ગેરવહીવટને લીધે પાણી આવે જ નહિં - એ અલગ મુદ્દો થયો!) ચૂલા સામે બેસીને રાખ ઉડતી હોય ત્યારે ધમણની જેમ છાતીઓ ફૂલાવી ફૂંક મારી આગ પેટાવવી પડે - એ વખતે આંખમાંથી પાણી નીકળ્યા વિના રહે જ નહિ ! એ આંસુ ટેકનોલોજીની શોધથી હવે ઘેર ઘેર પહોંચેલા ગેસના સ્ટવ કે કૂકિંગ રેન્જ જેવા ગેસના ચૂલાએ આપ્યો. દિવાસળીનું સ્થાન લાઈટરે લીધું. કિચનમાં જઈને જરા મોડર્ન હોમ એપ્લાયન્સીસ તો નિહાળો! એકે એકમાં તમને સ્ત્રીની નિરાંતનો અહેસાસ થશે. તપેલામાં ઉકળતા પાણીમાં શાક બાફવું પડતું અને ગરમ પાણીમાં હાથ નાખીને ચકાસવું પડતું. ત્યાં પ્રેશર કૂકરની સિટીઓ નારીનિરાંતની સાઈરનની જેમ વાગવા લાગી!
નોકરી કરતી સ્ત્રીએ ઘેર આવીને ફટાફટ ખાવાનું ગરમ કરવાનું છે ? કુછ ફિકર નહિ. બસ, દો મિનટ ! માઈક્રોવેવ ઓવનમાં રાખી દો! ચા બનાવવાની છે? ઈન્સ્ટંટ ટીમેકર કે ટીબોક્સ હાજર ! ઢોકળાં-ગુલાબજાંબુ બનાવવા છે? ઈન્સ્ટંટ મિક્સ ઈઝ રેડી, મેડમ ! આ કશું જ નથી કરવું ? બહારથી પિઝાની હોમ ડિલિવરી મંગાવી લો. એ કેવી રીતે ઘેર બેઠા મંગાવશો ? નેચરલી, ટેલિફોનથી ! એ દેવા માટે ડિલિવરીબોય ચાલીને આવશે ? ના, વાન કે સ્કૂટર કે બાઈક પર આવશે ! સાયન્સે કોમ્યુનિકેશન કે ટ્રાન્સપોર્ટેશનની ક્રાંતિ ન કરી હોત તો ?
કપડાંને ચોકડીમાં ધોકે ધોકે ધોઈને બાવડાં દુઃખાડવાને બદલે વોશિંગ મશીન આવી ગયા. રોજેરોજ દૂધ કે શાકભાજી લેવાની દોડધામમાંથી 'વેલકમ બ્રેક' અપાવતા રેફ્રિજરેટર્સ આવી ગયા. ગળણે ગાળીને પાણી ભરવા કે ચોખ્ખાં પીવાના પાણી માટે બે શેરી દૂર પદયાત્રા કરવાની જગ્યાએ વોટર પ્યુરિફાયર્સ આવી ગયા. વાંકા વળીને કચરો સાફ કરવાને બદલે વેક્યુમ કિલનર્સ આવી ગયા. 'રેડી ટુ સર્વ' ડ્રિન્કસ કે આઈસ્ક્રીમ પેક આવી ગયા. શરબત બનાવવાની મહેનતને સ્થાને સોફ્ટ ડ્રિન્કસ આવ્યા. ચટણી પીસવાના પથ્થરો કે ખાંડણી-દસ્તાની ઉપર મૂઠ્ઠીઓ ભીંસવાને બદલે સ્વિચ દાબીને મિક્સર ચાલુ કરવાનું રહ્યું. આંગળા દાબીને જ્યુસ કાઢવાને સ્થાને જ્યુસર આવ્યું. સ્ત્રીને લાડમાં બધાં 'રસોડાની રાણી' ભલે કહે. ખરા અર્થમાં એ 'કિચન ક્વીન' વૈજ્ઞાાનિક આવિષ્કારોથી જ બની છે. આ બધી નાની-નાની લાગતી ક્રિયાઓમાં સાથી પુરુષ (પતિ, પિતા કે પુત્ર) મદદ કરે પણ ખરો, અને ન પણ કરે... પણ સાયન્સે તો અનકન્ડિશનલ 'હેલ્પિંગ હેન્ડ' લંબાવી જ દીધો છે ! હવે વાંદા-મચ્છર મારવા હાથ નહીં, સ્પ્રે કે મોસ્કિટો મેટ ચલાવવી પડે છે!
છોડો રસોડાને... નારીને તો એમાંથી બહાર લઈ આવવી છે ને ? ચાલો, સ્ત્રીને આર્થિક રીતે પગભર કરીએ. માત્ર રાહતકાર્યોમાં મળતી મજૂરીની જેમ દયાભાવથી નહિ - ખરા અર્થમાં એને પોતાની - પસંદગી મુજબ જીવવા મળે એવી સારી કમાણી સાથે... તો, એમાં એક જમાનો એવો હતો કે ખાસ પ્રકારના ટેકનિકલ કામો કે મહેનતના, યુદ્ધના કામોની બોલબાલા હતી. આજે વિજ્ઞાાનની પ્રગતિને લીધે સ્ત્રી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીના સોફટવેર ડેવલપ કરી શકે છે ! સાયન્સને લીધે ઉદ્યોગ અને શિક્ષણના કેટકેટલા ક્ષેત્રોના દરવાજા ખુલ્યા જ્યાં સ્ત્રીઓની કર્મચારીઓ તરીકે જરૃર પડી ! અને એવા રોજિંદા કામકાજમાં પણ સ્ત્રીને સુરક્ષા અને સગવડતા આપવા વિજ્ઞાાન વ્હારે આવ્યું જ! અગાઉની નર્સે કપડું ફાડીને પાટો બાંધવો પડતો, આજે બેન્ડ એઈડ લઈને ચોંટાડવાની રહે છે - એવું જ કંઈક ! સ્ત્રીઓની સાથેના વર્તન-વ્યવહારમાં વધુ પારદર્શકતા રાખવી જ પડે એવી 'સ્ટિંગ ઓપરેશન' ટાઈપની કેમેરા કે વોઈસ રેકોર્ડરની ભેટ પણ વિજ્ઞાાને જ આપી છે ને ! જાતીય સતામણીને ઓફિસમાં થતી રોકી, રંગે હાથ 'ઇન્ડિસન્ટ પ્રપોઝલ મેકર'ને પકડવો હોય, તો એ માટેનું ફોરેન્સિક સાયન્સ પણ 'સાયન્સ' જ છે !
બળાત્કાર કે જાતીય શોષણના ગુનાઓની ફરિયાદી સ્ત્રી સિમેન ટેસ્ટ કે ડી.એન.એ. ટેસ્ટ વિના કેટલી પાંગળી થઈ જતી હોત ? સ્ત્રીને આવા અપરાધો છતાં પણ પ્રાકૃતિક રીતે સ્વરૃપવાન દેખાવું ગમે છે. પહેલાં આમાં પણ એણે પુરુષની રહેમનજર નીચે રહેવું પડતું. વિજ્ઞાાને સ્ત્રીને બ્રા આપી છે, ફેશને નહિ ! પછી અન્ડરગાર્મેન્ટસનું માર્કેટિંગ ફેશન ઈન્ડસ્ટ્રીએ કર્યું, એ ખરું ! લેટેસ્ટ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટસથી નારીને ત્વચા, આંખ, હોઠ, શરીર, વાળનું સૌંદર્ય વધારવા અને જાળવવામાં (અને એના જોરે જગતને ઝૂકાવવામાં) વૈજ્ઞાાનિક સહાય મળતી રહી છે. ચામડીના દાગને લીધે અગાઉ વગર વાંકે છોકરીનું ભવિષ્ય અમાસના ચંદ્ર જેવું થઈ જતું. આજે સિમ્પલ કોસ્મેટિક સર્જરીમાં એનો ઉકેલ છે. બોટોક્સના કરચલી હટાવતા ઈન્જેકશનથી લઇને સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટસ સુધી નારીની નમણી નજાકતને નિખાર વિજ્ઞાાન આપતું રહ્યું છે. કુદરતે અધૂરા મૂકેલા વળાંકો મઠારતું રહ્યું છે.
મુદ્દો એકદમ ડિબેટેબલ છે. પણ નિર્ણય પુરુષને બદલે સ્ત્રીને સોંપો તો ક્યારેક બળાત્કાર જેવી મજબૂરીમાં ગર્ભપાત પણ સ્ત્રી માટે જ આશીર્વાદરૃપ બની શકે - કારણ કે, બાળઉછેરની સઘળી જવાબદારી આપણે ત્યાં મા પર જ ઢોળી દેવાય છે. એ સળગતા અંગારાને ન પકડો તો પણ કોન્ડોમ કે બર્થ કંટ્રોલ પિલ્સને લીધે સ્ત્રી કેટલી સુખી થઈ છે! માતૃત્વ અણધાર્યું કે અનિચ્છિનીય આવે ત્યારે બંધન અને પીડા બને છે. હવે સ્ત્રી સેક્સ માણી શકે છે, પણ મુમતાઝની જેમ પ્રેમની પાછળ આવતી પ્રસૂતિપીંડામાં શહીદ થઈ મકબરાના પાત્ર બનવાનો ભય એને સતાવતો નથી. મુશ્કેલ સ્થિતિમાં વિજ્ઞાાન પ્રસૂતિ પણ સિઝેરિયનથી કરીને એનો જીવ બચાવે છે. માસિક સ્ત્રાવને લીધે કામ કર્યા વિના પિંજરે પૂરાયેલા પંખીની જેમ 'ખૂણો પાળતી' સ્ત્રીને સેનેટરી નેપકિને કે બચ્ચાના બાળોતિયાં બદલાવતી થાકેલી માતાને ડાઈપર્સે કેટલી મોકળાશ અપાવી છે - એ તો સ્ત્રીના ખોળિયામાં પ્રવેશ કરો તો જ પૂરું સમજી શકો ! વિમેન ફિગરને શેપમાં રાખતા જીમ્નેશ્યિમ ડાયેટ પ્લાન્સ પણ સાયન્ટિફિક ગિફ્ટ છે !
... અને સ્ત્રીમુક્તિ એટલે સ્ત્રીના સ્વતંત્ર નિર્ણયના અધિકાર અને અંગત જિંદગીના એકાંતનો આદર એવું માનો, તો યાદ રાખજો કે સેલફોન અને ઈન્ટરનેટના જોરે સાયન્સે એ શસ્ત્રો સ્ત્રીને આપ્યા છે, જેની સામે રિવોલ્વર કે તલવાર પણ કંઈ વિસાતમાં નથી. સ્ત્રીને કોઈ કાળે (અને આજે પણ) મિલકત ગણવામાં કોઈને શરમ નથી આવતી! માટે બુરખા કે લાજની નીચે સ્ત્રીને ચાર દીવારીમાં ચૂપ કરી રખાતી. હવે સ્ત્રી કોઈ પણ ખૂણેથી જગતના કોઈ પણ ખૂણે પળવારમાં ફોન, મેઈલ, ચેટ કે એસએમએસ કરી શકે છે. પોતાના બિઝનેસનો વિસ્તાર કરી શકે છે. મુંઝાય તો મદદ માટે પોકાર કરી શકે છે... અને કોઈનીયે ચોકીદારી છતાં ય મનગમતા સંબંધો બાંધી શકે છે. અત્યાર સુધી બહાર નીકળવાની મોકળાશને લીધે આ એકાધિકાર પુરુષોનો હતો. સાયન્સે સ્ત્રીને જ્ઞાાન જ નથી આપ્યું, પ્રાઈવસી પણ આપી છે ! ખરા અર્થમાં આઝાદ એ જ કહેવાય જેની પાસે પોતાનો ટાઈમ અને સ્પેસ હોય ! ખુદની મરજીથી ચાલતી ચોઈસ હોય. ઈન્ટરનેટ પર ફેસબુક જેવા નેટવર્ક નારીને સ્વધીન કરે છે.
કોમ્યુનિકેશન ક્રાંતિએ એકલી પડતી સ્ત્રીઓને કંપની આપી છે. ટેલિવિઝન, મોબાઈલ કે ઈન્ટરનેટ/કોમ્પ્યુટર માત્ર મનોરંજન નથી એક સથવારો છે. સામી માંગણીઓ મૂક્યા વિના મળતો આનંદ અને તાજગીભર્યો સહારો છે. ગોગલ્સથી શૂઝ અને પર્સથી લિપસ્ટિક સુધીની તો વાત આપણે છેડી જ નથી. પણ હજુ યે વિજ્ઞાાને નારી મુક્તિની પાંખોમાં પૂરેલા પવન અંગે મનડું ડામાડોળ હોય તો જરાક વિચારજો - સિલાઈ મશીન ન શોધાયું હોત તો ? આજના ડ્રેસિંગ કેવી રીતે બનત ? અને વાહનો ન શોધાયા હોત તો ? જેને કામિની નહિ પણ માનુની બનવું છે એવી બાળાઓ શાળા-કોલેજ કેવી રીતે જાત ? ઝાંસીની રાણી ભલે તલવાર ને અશ્વ લઈને ક્રાંતિની ચિંગારી લઈને ચાલી, ૨૧મી સદીની લક્ષ્મીઓ સ્કૂટી પર સવાર થઈ સેલફોન કમરે ઝૂલાવીને જગતને પડકારવાની છે ! ૮ માર્ચનો મહિલા દિન પસાર થઈ જાય પછી પણ સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે !
ઝિંગ થિંગ
''જીંદગી ઔરતો માટે કેટલી હસીન હોત... જો મચ્છર લોહીને બદલે ચરબી ચૂસી લેતા હોત !''
(સેજલ શાહ)

અનાવૃત - જય વસાવડા 9/3/2011

સોમવાર, 7 માર્ચ, 2011

‘બાવન ફૂલડાંનો બાગ’

ભારત સરકારે કવિ તરીકે એમને વધામણા આપતો પદ્મશ્રીનો ઈલ્કાબ સને ૧૯૬૨માં એનાયત કર્યો. સને ૧૯૯૮માં કવિના ગામ મજાદરને પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્તે ‘કાગધામ’ નામાભિધાન કરાયું. શ્રી બળવંત જાની લખે છે કે ‘કવિના નામથી કોઈ ગામનું નામ સ્થપાયું હોય અને કોઈ યોગી સંસ્કારપુરુષના હસ્તે તે થાય એ ઘટના દુનિયામાં કદાચ વિરલ હશે. કાગવાણી જેટલા કોઈ ગુજરાતી કવિના સંગ્રહો નહીં વેચાયા હોય.’ મારે અહીં કાગવાણીની નહીં પણ કાગવાણીના ચાર મણકા પછી ભગતબાપુએ પાંચમો મણકો ‘બાવન ફૂલડાંનો બાગ’ આપ્યો છે એની વાત અહીં કરવી છે. એમાં કાવ્યો નથી પણ લોકો વ્યવહારમાં અને આચરણમાં મૂકી શકે એવાં ૨૬૦૦ જેટલાં સૂત્રાત્મક વાક્યોનો ફૂલ બગીચો આપ્યો છે. જેની ત્રીજી આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ હતી. ત્રણેય આવૃત્તિઓની ૭ હજાર નકલો પ્રગટ થયા પછી આજે એ અપ્રાપ્ય છે. કવિતા લખનારા કવિએ સુવાક્યોની સફરે અકસ્માત ચડી ગયા. વાત એમ હતી કે કાગબાપુ ભણેલા ઓછું છતાં પત્રવ્યવહાર નિયમિત કરતા. સ્વજનોને પત્રો લખતાં એમાં સુવાક્યો ટાંકવાની એમને ટેવ. આમ તેઓ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠિ નાનજીભાઈ કાલિદાસ મહેતાને પત્રો લખતાં એમાં આવા પ્રેરક સુવાક્યો ટાંકતા. શ્રી નાનજીભાઈને આ સુવાક્યો કંિમતી કણ જેવા લાગ્યાં. એમણે કાગબાપુને આનો સંગ્રહ પ્રગટ કરવા વિનંતિ કરી. એના સુફળરૂપે ‘બાવન ફૂલડાંનો બાગ’ સંગ્રહ પ્રગટ થયો.
એની પ્રસ્તાવનામાં પંિગળશીભાઈ લખે છે કે ‘આ પુસ્તકમાં જીવનને સ્પર્શતા સૂત્રોનો એમણે સંગ્રહ કર્યો છે. એમાં સનાતન સત્યથી ભરપુર મહાવાક્યો છે. વ્યવહાર નીતિની અનેક શિખામણો છે. ઐતિહાસિક સત્યોની વિવિધ તારવણી છે. રાજનીતિના બોધપાઠો છે. માનવ સ્વભાવના વિવિધ પાસાંઓનું વિશ્વ્લેષણ છે. એમાં ધર્મોપદેશ છે, સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. અહીં ગ્રંથકાર વિદ્વત્તાનો ઝભ્ભો પહેરી પોતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આંજી નાખતાં નથી. એમની કહેવાની શૈલી એવી સીધી અને સરળ છે કે આપણા મનને વાંચનનો થાક લાગતો નથી, પણ પ્રસન્નતા મળે છે. સત્યવક્તા ચારણ તરીકે દુલા ભગતે ગોળમાં વીંટીને કેટલાક કડવાં સત્યો પણ આપણને સંભળાવ્યાં છે. આપણી નબળાઈઓ તરફ મિત્રભાવે આંગળી ચીંધી છે. આપણા મિથ્યાભિમાનને ચીમકી આપી છે, પરંતુ આ બઘું પ્રાસાદિક રીતે મુલાયમ સ્પર્શથી કર્યું છે.’ આવો આપણે આ બાવન ફૂલડાંના બાગમાં એક લટાર મારીએ.
૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.
૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.
૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.
૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.
૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.
૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.
૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.
૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.
૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.
૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.
૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.
૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.
૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.
૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.
૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.
૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.
૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.
૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.
૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.
૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.
૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.
૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.
૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.
૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.
૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.
૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.
૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.
૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.
૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.
૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.
૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.
૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.
૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.
૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.
૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.
સ્વાતિબંિદુએ છીપમાંથી પ્રગટેલાં સાચાં મોતીડાં જેવા ૨૬૦૦ જેટલાં વિચારમૌક્તિકોથી ‘બાવન ફૂલડાંનો બાગ’ મહેંકી રહ્યો છે. સમાજ એની સુવાસને પારખે એ જ કાગબાપુને સાચી શ્રઘ્ધાંજલિ છે.

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

શનિવાર, 5 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૨

બકરાની બલી

એક સમયે પયગંબર સાહેબ અને તેમના સાથીઓએ મુસાફરી પછી એક જગ્યાએ પડાવ નાખવાની તૈયારી કરી. ભોજન માટે બકરાની બલિ આપવાનું નક્કી થયું. તેમના એક સાથીએ કહ્યું કે, "હું બકરાને હલાલ કરીશ," બીજાએ કહ્યું, "હું તેની ખાલ દૂર કરીશ." ત્રીજાએ કહ્યું, "હું તેને પકાવીશ"....પયગંબર સાહેબ બોલ્યા, "હું રણપ્રદેશમાંથી લાકડાં લાવીશ."


ત્યારે સમૂહે ઉદ્દાગાર કર્યો, "પયગંબર સાહેબ, તમે તમારી જાતને કષ્ટ ન આપો. તમારું કામ અમે કરીશું." પયંગબર સાહેબે જવાબ વાળ્યો, "મને ખબર છેકે, તમે લોકો મારું કામ કરવા માટે આતુર છો. પરંતુ, જે વ્યક્તિ પોતાની અને સાથીઓની વચ્ચે ભેદ કરે અથવા તો પોતાને બીજાથી અલગ સમજે, તેનાથી અલ્લાહ ખુશ નથી થતા."પયગંબર સાહેબે રણમાંથી લાકડાં એકઠાં કર્યા અને સમુહ માટે ભોજન બન્યું.

મોરલ ઓફ ધ સ્ટોરી: તમારા નાના-મોટા બધા કામો કર્મચારી પર નાખી દેવાના બદલે ખુદ તમારું કામ કરો. તેમની સમક્ષ એક આદર્શ ઉદાહરણ બનીને રજૂ થાવ. "આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ સાધન છે." તમે જે ન કરતા હો, કે કરી ન શકતા હો તે કામ કર્મચારી પાસે કરાવવું યોગ્ય નથી.પાણીની શોધ

શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રેમમાં તો એવું યે થાય છે

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

પ્રાર્થના


સવારના પહોરમા એલાર્મ ઘડીયાળના અવાજથી હુ સખત ચિડાઈ જાઉ છુ.
સવારના પહોરમા મને આ અવાજ સહુ થી કર્કશ અને ખરાબ લાગે છે.
- " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ સાંભળી તો શકુ છુ!
દુનિયામા એવા હજારો લોકો જે સાંભળી પણ નથી શકતા... "

સવારમા ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશ મા કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે !
એ વેળા હુ એ જોવાની પરવા કર્યા વગર ઉંઘતો હોવ છુ.-
" છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જોઈ તો શકુ છુ!
જગતમા એવા હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા... "

સવારમા ઉઠી ગયા પછી પથારી છોડતા મને ખૂબ જ આળસ આવે છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ ઉભો તો થઈ શકુ છુ !
ચાલી તો શકુ છુ ...જગતમા હજારો માણસો એવા છે જે વર્ષોથી પથારીવશ છે.
જે પોતાના પગ પર ઉભા પણ થઈ શકતા નથી ..."

ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે.
બાથરુમ મા ઘુસેલુ બાળક જલદીથી બહાર ના નિકળે,
નાસ્તો તૈયાર ના હોય,
પત્નીની બૂમાબૂમ,
ઘરડા મા-બાપના આરોગ્યની ફરિયાદો વગેરે ...વગેરે ... -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને એક કુટુંબ તો આપ્યુ છે!
કંઈ કેટ્લાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જીવવુ પડતુ હોય છે. "

મારુ ઘર આમ તો સાવ સામાન્ય ઘર છે,
ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે મારે મારુ પોતાનુ ઘર તો છે
હજારો માણસો ને ઓઢવા માટે આભ ને પાથરવા માટે પ્રુથ્વી સિવાય કંઈ પણ મળતુ નથી.
એ લોકો કરતા તો હુ કેટ્લો ભાગ્યશાળી છુ! "

મારા ઘરે બનતુ ભોજન પણ સાવ સાદુ જ હોય છે,
મિષ્ટાન્ન પણ ભાગ્યેજ બને છે પણ છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તુ મને ભોજન તો આપે છે!
અસંખ્ય માણસો તો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. "

મારુ કામ પણ રોજ એનુ એ જ - મોનોટોનસ - અકળાવનારુ હોય છે. છતાં-
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને બેકાર તો નથી બનાવ્યો !! "

અને અંતમા
હે પ્રભુ !
મારુ જીવન મારા સપનાના જીવન જેવુ તો નથી જ.
મેં જેવુ કલ્પ્યુ હતુ તેવુ મારુ જીવન જરાક પણ નથી. છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જીવુ તો છું .... !!!
મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ ...! "

" તારો આભાર હું માનુ એટ્લો ઓછો છે પ્રભુ !
તેં મને કેટલુ બધુ આપ્યુ છે ! જોવા ને ગણવા બેસુ છુ તો તેં મને બધુ જ આપ્યુ છે.
તારો ખૂબ ખૂબ આભાર! "
- ડો.આઈ.કે. વીજળીવાળા

સ્ત્રી,પુરુષની વ્યાખ્યા

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.

- ગુણવંત શાહ

ગુરુવાર, 3 માર્ચ, 2011

નેતૃત્વ કેળવી શકાય?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી.

આજથી ૨૩૫૦ વર્ષ પહેલાંની વાત છે. મગધ સામ્રાજ્યના એક નાનકડા ગામડાની સીમમાં કેટલાંક બાળકો ઢોર ચરાવી રહ્યાં હતાં અને રમત રમી રહ્યાં હતાં.

વગડાઉ માર્ગ પરથી પસાર થઇ રહેલો એક બ્રાહ્મણ બાળકોની રમત જોઇને થંભી ગયો. આઠ વર્ષનો એક બાળક રમતમાં રાજા બન્યો હતો. અન્ય ભરવાડ બાળકોને તેણે પોતાના દરબારીઓ અને અરજદારોની ભૂમિકા સોંપી હતી અને પોતે એક પથ્થર પર, જાણે સિંહાસન પર બેઠો હોય તે રીતે બેસીને રાજવીની અદાથી ન્યાય તોળી રહ્યો હતો. આઠ વર્ષના બાળકની પ્રતિભા જોઇને બ્રાહ્મણ દિગ્મુઢ બની ગયો.

બાળકમાં રહેલી નેતૃત્વશક્તિને બ્રાહ્મણ સારી રીતે ઓળખી ગયો. પોતાના ઘ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય માણસ મળી ગયો છે તેની બ્રાહ્મણને જાણે ખાતરી થઇ. ખડતલ દેહ અને લાંબી શિખા ધરાવતો આ તેજસ્વી બ્રાહ્મણ સીધો પેલા બાળકના પિતા પાસે પહોંરયો. બાળકને પોતે લઇ જવા માગે છે એવી દરખાસ્ત મૂકી ત્યારે જાણ થઇ કે બાળક તો અનાથ હતો આ ભરવાડ તેનો પાલક પિતા હતો. ભરવાડે એક હજાર સોનામહોર આપીને બાળક ખરીદી લીધો. આ બ્રાહ્મણ તે ચાણક્ય! પેલું બાળક આગળ જતાં ચંદ્રગુપ્ત મોર્ય બન્યો, જેણે આખાં મગધ સામ્રાજ્યને આખાં હિન્દુસ્તાનનાં સામ્રાજ્ય તરીકે વિસ્તાર્યું...

સુપરસોનિક ઝડપે સફળતા મેળવનાર ઉધોગ-લીડર્સની સકસેસ સ્ટોરીની શ્રેણી વાચકો માટે પ્રેરણારૂપ બની રહી છે. સાથે જ, દરેક હપ્તે વાચકો દ્વારા એક પ્રશ્ન તો ચોક્કસ પુછાય છે: શું હું પણ આ રીતે સફળ બની શકું? જવાબ ‘હા’ જ હોય એ સ્વાભાવિક છે. જયંતીભાઇ ચાંદ્રા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શૈલેશ માકડિયા, કેતન મારવાડી કે ખોડીદાસ પટેલ સહિતના જેટલા સાહસિકોની મુલાકાતો લેવાઇ છે અને આધુનિક મેનેજમેન્ટ થિયરીના આધારે તેમનાં કાર્યોમાંથી મેનેજમેન્ટ ફંડા તારવવામાં આવ્યા છે તેમાં સાવ સામાન્યથી પણ નીચેની આર્થિક સ્થિતિમાંથી આગળ આવવા બદલ બે બાબતો મુખ્ય છે: દિર્ઘદ્રષ્ટિ અને લીડરશિપ કવોલિટી.

દિર્ઘદ્રષ્ટિ કદાચ ઇનસાઇટ છે, પણ લીડરશિપનો ગુણ તો કેળવી શકાય તેવો છે. હવે વિશ્વ એવું નથી કહેતું કે લીડર જન્મે છે, બનતા નથી. લીડર બની શકાય છે, જો જુસ્સાથી મહેનત કરવામાં આવે તો. એ હકીકત છે કે કેટલાક લોકોમાં લીડરશિપનાં ગુણો જન્મજાત અથવા સ્વભાવગત હોય છે. જરા ઝીણી નજરે જોશો તો બધા જ માણસો, જીવનમાં ક્યાંક ને ક્યાંક તો લીડર તરીકે કામ કરે જ છે. શરૂઆતમાં આપણે ચંદ્રગુપ્ત મોર્યની જે દંતકથા જોઇ તેમાં ચાણક્યને બાળકમાં જન્મજાત લીડરશિપનાં ગુણો દેખાયા હતા.

ધનનંદની સામે વેર વાળવા માટે જેને રાજા તરીકે પ્રસ્થાપિત કરી શકાય એવા માણસની ચાણક્યને જરૂર હતી. આ જરૂરિયાત ચંદ્રગુપ્તમાં પૂરી થઇ હતી. ધારી લો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય મળ્યા ન હોત તો? ચંદ્રગુપ્ત કદાચ આટલો મહાન ન બન્યો હોત, પણ તે નિષ્ફળ ભરવાડ પણ ન જ રહ્યો હોત. તેનામાં જે હીર હતું તે તેને આગળ લઇ જ ગયું હોત. આપણે સકસેસ સ્ટોરીમાં જે ઉદાહરણો જોયાં તેમાંના કોઇને ચાણક્ય જેવો પારખુ મળ્યો નહોતો, જેણે હાથ ઝાલીને સફળતા અપાવી હોય. દરેક માણસમાં નેતૃત્વની શક્તિ હોય જ છે, કેટલાક તેનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકે છે.

અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.

સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.

આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.

અહીં ફરી આપણી આસપાસ નજર કરીએ તો સામાન્ય માણસમાંથી જ ઉદાહરણો મળી આવશે. ચાની લારી પર સવારના પહોરમાં ચુસકી મારતા હોઇએ ત્યારે એ નાકકડા ટોળામાં પણ એકાદ માણસ એવો હોય છે જેની વાતો અન્ય ચા-રસિયા ઘ્યાનથી સાંભળતા હોય. તે માણસ પાસે કોઇ પોઝિશનલ પાવર હોતો નથી. પણ, તે પોતાની જાણકારી, ઇન્ફર્મેશન ઇફેકિટવલી પ્રેઝન્ટ કરી રહ્યો હોય છે. આપણામાંના ઘણા પોતાના નાનકડા વર્તુળમાં, ઘરમાં અને મિત્રોની વચ્ચે બહુ જ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકતા હોય છે પણ, બહાર એ જ બાબત એટલી અસરકારકર રીતે રજૂ કરી શકતા નથી.

દરેક પુરુષ પોતાના ઘરમાં લીડર છે, નિણાર્યક છે અને તેની વાતને, બાય ડિફોલ્ટ, ઘ્યાનથી સાંભળવામાં આવે છે. એ લીડરશિપ નથી? ઝૂંપડીમાં રહેતા મજૂરથી માંડીને ઉધોગપતિ સુધીના બધા જ પોતાના ઘરમાં તો લીડર છે જ. તો પછી આ લીડરશિપ બહાર કેમ દેખાતી નથી? કઇ રીતે તેને બહાર લાવી શકાય? આ જાણવા માટે સફળ લીડરના ગુણ કયા હોઇ શકે તેને જાણવા પડે.

કોઇપણ સફળ લીડરનો સૌથી મોટો ગુણ વિઝન છે. વિઝન જેટલું સ્પષ્ટ અને લાંબા ગાળાનું હોય એટલો લીડર વધુ ઇફેકિટવ. આવનારા સમયમાં શું થઇ શકે, કેવી તક આવી શકે અને કેવી સમસ્યાઓ ઊભી થઇ શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપતું વિઝન હોય તો માણસ વધુ સારી રીતે નેતૃત્વ કરી શકે. જે લોકોની પ્રોફાઇલ આપણે સકસેસ સ્ટોરીમાં જોઇ તેમાંના તમામનું વિઝન ક્લીયર હતું. દુનિયા જે તક જોઇ શકતી નહોતી તે તેમણે જોઇ લીધી હતી. અને, એટલે તેઓ સફળ થયા.

સામાન્ય માણસ વિઝનનો ઉપયોગ નથી કરતો. મારા કે તમારામાં વિઝન નથી? તમે ના નહીં પાડી શકો. વિઝન તો છે જ, તેના તરફ ઘ્યાન નથી અપાતું. તેને સ્પષ્ટ નથી કરાતું. તેના માટે મહેનત નથી થતી. ચશ્માં પહેર્યા પછી પણ જો ઝાંખું દેખાતું હોય તો બની શકે કે તમારાં ચશ્માંનાં ગ્લાસ પર ડાઘ લાગી ગયા હોય. નવા ચશ્માં લાવવાને બદલે કાચ સાફ કરી નાખો તો વિઝન કલીયર થઇ જાય. પણ, ડાઘ સાફ કરવાનું જ્ઞાન જરૂરી થવું જરૂરી છે. ડાઘ છે એની જાણ જરૂરી છે અને એ ડાઘ સાફ કરવાની રીત જાણવી જરૂરી છે.

તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.

નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.

ડિયર રિડર, તમે કદાચ પૂછશો કે અમે પણ નિષ્ઠાથી જ કામ કરીએ છીએ છતાં ઇરિછત પરિણામ મળતાં નથી. વેલ, તમારાં કામથી લોકોને સ્પષ્ટ થવું જોઇએ કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે. એટલું જ નહીં, તેમાં તમે તમારો જીવ રેડી રહ્યા છો. જ્યારે બીજાઓને એવી ખાતરી થાય કે તમે સાચા છો, સાચું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. તે તમને પોતાના લીડર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. વિશ્વાસ વગર લીડર ન બની શકાય. અને, આ વિશ્વાસમાં અન્ય લોકો સાથેના તમારા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે.

સંબંધો બાંધવાની કળા લીડરને સફળતા અપાવે છે. નિષ્ઠા, વિશ્વાસ અને સંબંધ જ્યારે એક તાંતણે જોડાય છે ત્યારે અન્યોને અનુસરણ કરવાની ફરજ પડે છે. અને જેને અન્ય અનુસરે છે તે લીડર છે. તમે ફરી ઘરમાં જ જુઓ. જ્યારે તમે વ્યાવહારિક વાતને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવો છો ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને અનુસરે જ છે. કારણ કે તેમને તમારામાં અને તમારી નિષ્ઠામાં શ્રદ્ધા છે અને તમારો તેમની સાથેનો વ્યવહાર એવો છે જેનાથી તેમને ખાતરી હોય છે કે તમે તેમને નુકસાન પહોંચાડશો નહીં.

જો તમે આ કામ પરિવારમાં હંમેશાં કરતા જ હો, તો તે બહાર કેમ ન થઇ શકે! પ્રયત્ન કરો, થોડી મહેનત પડશે પણ થઇ જશે તે ચોક્કસ. વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પણ, થાય છે ખરો. કોઇને જાહેરમાં અપમાનિત કરવાથી તેની પાસેથી વધુ સારું કામ લઇ શકાય? આવું કરનાર વધુ અસરકારક લીડર ગણાય? દુનિયાના ઘણા ભાગમાં ન જ ગણાય પણ, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે.

આરબ રાષ્ટ્રોમાં માગ્યા વગર જો નમ્રતા બતાવવામાં આવે તો તેને નબળાઇ ગણવામાં આવે છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? કરો જ છો. તો એ માનવીય વ્યવહારને વધુ વિસ્તારી ન શકાય? પરિવારમાં તે જે માયાળુપણે વર્તોતે રીતે બહાર પણ વર્તી શકાય. કદાચ, આપણે નબળા ગણાઇ જવાના ડરે, છેતરાઇ જવાના ડરે એ રીતે વર્તતા નથી. પણ, માનવીય અભિગમના મુદ્દે તમારામાં અને સફળ ઉધોગપતિમાં કોઇ બેઝિક ફરક નથી હોતો એટલું તો સ્વીકારવું પડે કે નહીં?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી. કોઇપણ સફળ માણસનું ઉદારણ લો, તેનામાં પેશન ભરપૂર જોવા મળશે. તમારામાં પણ પેશન તો હોય જ છે. દરેક માણસમાં હોય છે. પણ, તેનો ઉપયોગ યોગ્ય દિશામાં થતો નથી. નિષ્ઠા (ઇન્ટેગ્રિટી) અને જુસ્સો (પેશન)ને અહીં સમજી લેવાની જરૂર છે. જુસ્સો પોઝિટિવ અને નેગેટિવ બન્ને હોઇ શકે છે. વાલિયો નેગેટિવ જુસ્સાથી કામ કરતો તો ત્યારે લૂંટારો હતો અને એ જ જુસ્સાથી પોઝિટિવલી રામનામનો જપ કરવા માંડયો ત્યારે તે વાલ્મીકિ બની ગયો. જરૂર માત્ર દિશા બદલવાની જ હતી. પણ, પ્રવાહ પલાટવવો, દિશા બદલવી સહેલાં નથી. બહુ જ ચોકસાઇપૂર્વક પ્રયત્ન કરવો પડે.

પ્રયત્ન કરી જોજો રિડર રાજા, દુનિયા બદલાઇ જશે. તમે પોતાનામાં પરિવર્તન લાવશો તો દુનિયામાં પરિવર્તન આવશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ રૂઢિપ્રયોગ ખોટો નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરની વાર્તા તમને યાદ હશે. કૃષ્ણએ દુર્યોધનને આખા રાજયમાંથી એક સારો માણસ શોધી લાવવાનું કહ્યું, દુર્યોધનને કોઇ સારો માણસ ન મળ્યો. તેની દ્રષ્ટિ જ નેગેટિવ હતી. યુધિષ્ઠિરને એક ખરાબ માણસ શોધવા મોકલ્યા, તેને કોઇ ખરાબ માણસ ન મળ્યો. તમારી નજર કેવી છે તેના પર આધાર છે, દુનિયા કેવી છે તેનો.

અગાઉ આપણે ચર્ચી લીધું કે જેના પર વિશ્વાસ બેસે તેને લોકો અનુસરે છે. આ વિશ્વાસ માટે જરૂરી એક અન્ય બાબત છે, પ્રેરક વ્યક્તિત્વ દ્વારા ઉદારણ પૂરું પાડવું. આપણે બધા આ બાબતે બહુ જ બેઘ્યાન હોઇએ છીએ. આપણું વ્યક્તિત્વ બીજાને માટે પ્રેરક બને તે માટે પ્રયત્નો કરતા નથી. કારણ કે આપણી માનસિકતા ટોળામાં ખોવાઇ જવાની છે, ટોળાંથી અલગ તરી આવવાની નહીં. સભાનતાપૂર્વક પ્રયત્ન કરીએ તો નાની નાની બાબતોમાં પ્રેરક ઉદારણ પૂરાં પાડી શકીએ.

તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઇ કલાર્ક, કોઇ પટાવાળો પણ સમયપાલન, કાર્યનિષ્ઠા વગેરેમાં પ્રેરણારૂપ કામ કરતો જોઇ શકાશે. જો તે પોતાની આ કવોલિટીનું વિસ્તરણ કરે તો તે પણ સફળ વ્યક્તિ બની શકે. અને સાવ નાના માણસમાંથી અગ્રણી બની ગયા હોય એવા માણસના અનેક દાખલા આપણે જોયા છે. જો એ સામાન્ય માણસ આટલી ઊચાઇ પર પહોંચી શકતો હોય તો તમે તો તેનાથી ઘણા આગળ છો. પેશનેટલી ઘ્યેય માટે મંડી પડો, દુનિયા ઝૂકી જશે.

સફળ લીડરશિપની આ કવોલિટીઓ છે. તેમાં ઉમેરા કે ઘટાડા કરી શકાય તેમ છે. પણ, મૂળ પ્રશ્ન એ હતો કે અમે આટલા સફળ થઇ શકીએ? તેનો જવાબ આમાં આવી જાય છે. એટલું તો સાબિત થઇ ગયું છે કે તમારામાં પણ આ બધી કવોલિટી છે અને તમે તેનો ઘરમાં કે નાના વર્તુળમાં ઉપયોગ પણ કરો છો. હવે જરૂર છે માત્ર તેને વિસ્તારવાની. પાંખો ફેલાવી દો, આકાશ તમારું જ છે. અને, આકાશને કોઇ સીમા નથી. ગરૂડ જેવું શક્તિમાન પક્ષી પણ પોતાની પાંખો બીડેલી રાખીને ઊડી શકતું નથી. તેણે પણ ઊડવા માટે પાંખો વિસ્તારવી પડે છે. તમે પણ ઉઘાડો પાંખો. ઊડવાનું બહુ સહેલું છે.

મેનેજમેન્ટ ફંડા, કાના બાંટવા