સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

પીપા ભગતનું હળવુંખમ અધ્યાત્મ,


જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું!

            કોઇપણ વાચકને ઝટ ન સમજાય અને વળી પાંચ વાર વાંચ્યા પછી પણ ન સમજાય એવી કવિતા (કે અકવિતા) પ્રગટ કરવી એ કંઇ પ્રશંસનીય પરાક્રમ નથી. કદાચ એ કવિતા નામના પદાર્થની કુસેવા છે. અત્યંત દુર્બોધ ગદ્ય લખવાનું માનીએ તેટલું મુશ્કેલ નથી. વાચકોને બિલકુલ ન સમજાય એવી ભાષામાં લખનાર આપોઆપ વિદ્વાનમાં ખપી જાય તે તો વાચકોની ઉદારતા ગણાય. એવી ભાષામાં લખનારની માનસિક રુગ્ણતા પણ તપાસવી પડે. મૂળે આ રોગની શરૂઆત સદીઓ પહેલાં સંસ્કૃતના પંડિતોએ કરી હતી.

        
          પંડિતોને શાસ્ત્રાર્થનો જબરો શોખ હતો. પંડિતોના જ્ઞાનક્ષેત્રમાં સામાન્ય માણસને પ્રવેશની છુટ ન હતી. ભારતીય સંતોએ અને ભક્ત કવિઓએ અપાર કરુણા બતાવી અને શાસ્ત્રાર્થને બદલે સત્સંગનો મહિમા વધાર્યો. આ એક એવી ક્રાંતિ હતી જેની શરૂઆત કદાચ જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાએ કરી હતી. આવતા ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન નરસૈંયાની નગરી જૂનાગઢમાં યોજાવાનું છે.
તેમાં એક બેઠક ‘ભાષાકીય કટોકટી’ પર યોજાવાની છે. દુનિયાની બીજી કોઇપણ ભાષામાં પ્રભાતિયાં રચાયાં નથી. પ્રભાતિયાંની પંક્તિએ પંક્તિએ ઉપનિષદ ટપકે છે. ઊંડું તત્વજ્ઞાન આટલી સરળ ભાષામાં! આદરણીય મોરારિબાપુ પરિષદમાં પૂરા સમય માટે ઉપસ્થિત રહેવાના છે. પરિષદનો પ્રારંભ પ્રભાતિયાંના ગાનથી ભલે થતો.

          સંત તુકારામના ગામ દેહૂ જવાનું થયું ત્યારે આગ્રહપૂર્વક પાસે આવેલી ઇન્દ્રિયાણી નદીનાં દર્શને ગયો. ગામના બ્રાહ્નણોએ સંત તુકારામે રચેલા અભંગને ઇન્દ્રિયાણી નદીમાં પધરાવી દેવાની ફરજ પાડી હતી. નદીમાં પધરાવેલી પોથી જળમાં વિલીન થઇ, પરંતુ લોકજીભે તુકારામની પંક્તિઓ જીવતી રહી તેથી આજે પણ તુકારામના અભંગ જીવંત છે. પંડિતાઇ સાથે સદીઓથી જોડાઇ ગયેલી ‘અકરુણા’ આજના કેટલાક સાહિત્યકારોનો સથવારો છોડવા તૈયાર નથી.

          તુકારામનું ઘર હજી જળવાયું છે અને તુકારામના વંશજોને મળવાનું પણ બનેલું. તુકારામના ઘરના એક પાટિયા પર લખ્યું છે : ‘ઉમરાજ બી. મોરે, એડ્વોકેટ.’ ગામના મંદિરમાં સંત તુકારામના હસ્તાક્ષરમાં લખાયેલા અભંગની હસ્તપ્રત પણ જોવા મળી હતી. તુકારામ જ્ઞાતિએ કણબી હતા. અબ્રાહ્નણ એવો તુકારામ ઉપદેશ આપે તેથી બ્રાહ્નણો તેમના પર તૂટી પડ્યા. રાંદેરના લોકસેવક શ્રીકાંત આપટેજીએ ‘સંત તુકારામ’ નાટક તૈયાર કરેલું અને તે જમાનામાં ટિકિટ પણ રાખેલી.

          એ નાટકમાં તુકારામના દીકરા મહાદુ (મહાદેવ)નું પાત્ર મેં ભજવેલું. એ નાટક ટિકિટના પૈસા ખર્ચીને જોનારા કેટલાક લોકો હજી રાંદેર-સુરત વિસ્તારમાં જીવે છે. જૂનાગઢને સમાંતર એવી આ ક્રાંતિ મહારાષ્ટ્રના દેહ ગામમાં થઇ હતી. નરસૈંયા અને તુકારામ વચ્ચે એક તફાવત હતો. નરસૈંયો ભણવામાં ઠોઠ હતો, જ્યારે તુકારામ વિદ્યાર્થી તરીકે હોશિયાર હતા, એવું કેદારનાથજીએ નોંધ્યું છે. સંતોની કરુણાએ સમાજને સત્સંગ દ્વારા બચાવી લીધો છે. તુલસીદાસજી ઊંચા ગજાના પંડિત હતા, તોય એમને કોઇએ ‘પંડિત તુલસીદાસ’ નથી કહ્યા. તેઓ ‘સંત તુલસીદાસ’ જ કહેવાયા. ‘રામચરિતમાનસ’ એમની કરુણાનો મધુર પ્રસાદ છે. પંડિત આદરણીય છે, સંત વંદનીય છે.

           થોડાક મહિનાઓ પર એક જોખમકારક પ્રયોગ કરવાનું સાહસ કર્યું હતું. ‘કુમાર’ માસિકનો હજારમો અંક પ્રગટ થયો તેનું લોકાર્પણ એક સમારંભમાં થયું. આપણા લાડકા હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રમુખ હતા અને હું અતિથિ હતો. મારા પ્રવચન દરમિયાન સુજ્ઞ શ્રોતાઓને એક એવો ‘મગજતોડ’ ગદ્યખંડ વાંચી સંભળાવ્યો, જે પાંચ વખત વાંચો તોય ન સમજાય. જે વિદ્વાને એ દુર્બોધ અને ક્લિષ્ટ ગદ્યખંડ લખ્યો હતો, તે મહાશય સભામાં ન હોય એની ખાતરી મેં કરી લીધી હતી.

          ધીમી ગતિએ અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એ ગદ્યખંડ સભામાં વાંચી સંભળાવ્યો પછી સુજ્ઞ શ્રોતાઓને પૂછ્યું : ‘કોઇને સમજ પડી?’ જવાબ મળ્યો ન હતો. પછી પ્રમુખશ્રી વિનોદ ભટ્ટને પૂછ્યું: ‘તમને કશુંક સમજાયું?’ પ્રમુખશ્રીએ લોકો સાંભળે એટલા મોટા સાદે ‘ના’ પાડી હતી. આને કહેવાય ‘ભાષાકીય કટોકટી’!
‘‘‘

          કલ્પના કરી જુઓ. કોઇ રાજા વૈરાગ્યપૂર્વક પોતાના રાજ્યનો ત્યાગ કરે ત્યારે તેની રાણીઓ એની સાથે જવા તૈયાર થાય? ઇ.સ. ૧૪૨૫માં રાજપૂતાનામાં આવેલા રોહગઢના રાજાએ રામાનંદનો ભક્તિમાર્ગ સ્વીકાર્યો ત્યારે આવી ઘટના બની હતી. રાજા (પીપાજી) રાજી ન હતા, પરંતુ ગુરુ રામાનંદે કહ્યું : ‘રાજ્યનું ઐશ્ચર્ય છોડીને તમારી સાથે સહજભાવે આવે તો તેમને રોકવાથી શો ફાયદો?’ છેવટે પીપાજીની સાથે નાનાં રાણી સીતા પણ સાથે ગયાં.

          કહેવાય છે કે પીપાજીએ સમુદ્રમાં ઝંપલાવ્યું ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પાછલું બધું જીવન દ્વારકામાં વીત્યું. કહેવાય છે કે દ્વારકાને માર્ગે ચિઘડ ભકતો એટલા ગરીબ હતા કે પોતાનાં વસ્ત્રો વેચીને પણ તેઓ પીપાભગતની સેવા કરતા. પીપાભગતે સારંગ વગાડીને અને સીતાએ નૃત્ય કરીને ભકતોને મદદ પહોંચાડેલી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી એવા આચાર્ય ક્ષિતિમોહન સેને એવું પણ નોંધ્યું છે કે: ‘દ્વારકાને માર્ગે પીપાવડ પાસે તેમનો એક મઠ છે. આ મઠ અતિથિ સેવા માટે જાણીતો છે. શીખોના ધર્મઉત્સવમાં પીપાનાં ગાન ગવાય છે. ગ્રંથસાહેબમાં તેમનાં ભજન છે.’ (‘સાધનાત્રયી’, પાન ૨૬૭).
પીપાભગતનું હળવુંખમ અધ્યાત્મ કેવું હતું? એમની પંક્તિઓ હૈયે ચોંટી જાય તેવી છે.

 પીપા પાપ ન કીજિયે,
તો પુણ્ય કિયો સો બાર!
કિસીકા કછુ ન લીજિયે,
તો દાન દિયો અપાર!

          જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું! પીપાભગતની પંક્તિઓમાં ઉપનિષદનું ઊંડાણ છે, પરંતુ સરળતા ઓછી નથી. માણસ પાપ ન કરે એટલે પુણ્ય આપોઆપ ચાલ્યું આવે! એ હરામનું કશુંય ન લે, તો તેને જ મહાદાન ગણવાનું રાખવું! પુણ્ય પ્રાપ્ત કરવા માટે ફાંફાં મારવાનાં ન હોય.

          આજની સવાર ધન્ય થઇ ગઇ! નરસિંહ મહેતા, સંત તુકારામ અને પીપાભગતનું સ્મરણ એક્સાથે થયું. આવી થોડીક સવાર જીવનમાં મળી જતી હોય, તો હાર્ટ એટેક જખ મારે છે!‘

પાઘડીનો વળ છેડે

હે શિવ! મારાં ત્રણ મોટાં પાપ
બદલ મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો,
ત્યારે ભૂલી ગયો કે : તમે સર્વવ્યાપી છો!
હું સતત તમારો વિચાર કરું છું,
કારણ કે હું ભૂલી જ ગયો કે :
તમે તો વિચારથી પર છો!
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભૂલી ગયો કે :
તમે તો શબ્દોથી પર છો!

- શંકરાચાર્ય


નિષ્ણાતો જ્યારે ભૂલે છે ત્યારે


બર્નાર્ડ શોએ એક વાર કહેલું, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે!

          આપણે ત્યાં કહેવત છે કે ‘ભણેલા ભૂલે ત્યારે ભીંત ભૂલે’ એટલે કે સામે ભીંત હોય તોપણ એમને એ ન દેખાય. અને બહુ ભણેલા હોય એ નિષ્ણાત ગણાય. નિષ્ણાતો ભૂલે ત્યારે કદાચ સામે આખું મકાન હોય તોપણ એમને નહીં દેખાતું હોય, કારણ કે એમના એ જ્ઞાનને કારણે એમને નુકસાન થાય એ કરતાં પણ વધુ નુકસાન એમના એ (અ)જ્ઞાનનો ભોગ બનનારને થતું હોય છે. સાહિત્ય અને વિજ્ઞાનમાં આના અનેક દાખલા છે. એમાંના થોડા ઉપર નજર કરીએ.
           વિજ્ઞાનની વાત કરીએ તો ગેલિલિયો ગેલીલીને થયેલા અન્યાયે એને જીવતો જ મારી નાખ્યો હતો એમ કહી શકાય. એનો ગુનો માત્ર એટલો જ હતો કે એણે કહ્યું હતું કે, સૂર્ય ફરતો નથી પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ફરે છે.

          એ વાત બાઈબલની વાતને ખોટી પાડતી હતી એટલે પાદરીઓ એની વિરુદ્ધ થઈ ગયા. બીજા કેટલાક સૂર્યપૂજકોને એ વાતમાં કોણ જાણે કેમ, સૂર્યદેવનું અપમાન લાગ્યું અને એ વાતના નિષ્ણાતોને એમાં પોતાના જ્ઞાનનું અપમાન લાગ્યું. એના એ ગુના બદલ ગેલિલિયોને મોતની સજા ફરમાવવામાં આવી, ગેલિલિયોએ માફી માંગી અને કહ્યું કે, “પૃથ્વી ફરે છે એવી મારી વાત ખોટી છે. ત્યારે એમની ઉંમર અને એમણે અગાઉ કરેલી વિજ્ઞાનની કેટલીક શોધોને લક્ષમાં લઈને એને આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને એની જિંદગીના છેલ્લા દિવસો એને house arrest  એટલે કે ઘરમાં પુરાઈ રહીને ગુજારવા દેવાની મહેરબાની કરવામાં આવી. ગેલિલિયોની લાંબી કથાનો આ માત્ર ટૂંક સાર છે.

          અને ગેલિલિયોને એકને જ નિષ્ણાતો દ્વારા અન્યાય થયો નહોતો એવા તો એક ડઝનથી પણ વધુ દાખલાઓ બન્યા છે. ફ્રોઈડ અને ડાર્વિન પણ નિષ્ણાતોના પ્રકોપથી બચી શક્યા નહોતા. ફ્રોઈડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો એમ કહીએ તો ચાલે. જે નિષ્ણાતોએ એક વાર એની પ્રશંસા કરી હતી એમણે જ એનો વિરોધ કર્યો હતો. અને ડાર્વિનનો વિરોધ કરવામાં એ વખતના પાદરીઓ જ નહીં, વિજ્ઞાનીઓ પણ હતા. ડાર્વિને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, અને આજે જેની ગણતરી ‘ઓલ ટાઈમ બેસ્ટ સેલર’માં થાય છે એ ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પ્રગટ થતાં જ હલચલ મચી ગઈ હતી. ડાર્વિનનાં કાર્ટૂનો પ્રગટ થવા લાગ્યાં હતાં. એને અને એના વડવાઓને વાંદરા બતાવવામાં આવ્યા હતા. ડાર્વિને બધું સહન કર્યું હતું. આમ છતાં, આપણે કહી શકીએ કે એ વખતે વિજ્ઞાન તરફની લોકોની દૃષ્ટિમાં ફેર પડયો હતો. ડાર્વિનના પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ડાર્વિનને મોતની સજા કરવામાં આવી નહોતી. હવે નિષ્ણાતોના છબરડાનાં થોડાં વધુ ઉદાહરણો જોઈએઃ

          ૧૯૧૪ની સાલમાં ન્યૂ યોર્કની અદાલતમાં જ્યૂરી સમક્ષ એક વકીલે કાચની એક ‘નકામી નળી’ રજૂ કરીને કહ્યું કેઃ “કાચની એક નકામી નળી છે. તેમાં ધાતુના થોડા આમ તેમ વાળેલા તાર સિવાય કશું જ નથી, છતાં તેનો શોધક કહે છે કે આ બલ્બ જેવા સાધન દ્વારા તે માણસના અવાજને આટલાંટિક સમુદ્રની પેલે પાર પહોંચાડી શકે તેમ છે. ખરેખર તો આ એક પ્રપંચ છે, ઠગાઈ છે, અને તેને કડક સજા થવી જોઈએ.”
કાચની તે નકામી નળી, એટલે આજે જેની દ્વારા સાગરપારના ફોનસંદેશાઓ પહોંચે છે અને રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરેમાં જે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જેને આપણે ‘ઓડેશન ટયુબ’ તરીકે ઓળખીએ છીએ તે વસ્તુ હતી. તેના શોધક લી ડી. ફોરેસ્ટ ઉપર ઠગાઈના આરોપસર કેસ મંડાયો હતો. સરકારી વકીલ ત્યારના જ્ઞાન-વિજ્ઞાનનો આશરો લઈને દલીલો કરતો હતો. તેના જ્ઞાન પ્રમાણે એવી નળી માનવીના અવાજનું પ્રસારણ કરી શકે તે વાત જ અશક્ય હતી. પણ તેનું જ્ઞાન ૧૯૧૪ સુધી વિકસેલ વિજ્ઞાન પર આધારિત હતું. અને લી ડી. ફોરેસ્ટ વિજ્ઞાનને ૧૯૧૪થી આગળ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. ૧૯૧૪ની સાલમાં અભ્યાસુ અને જાણકાર સરકારી વકીલના મત મુજબ લી ડી. ફોરેસ્ટ ખોટો હતો, પણ પછીના સમયમાં તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પાયોનિયર હતો.

          જ્ઞાન એટલું તો અગાધ અને અનંત છે કે ન્યુટન જેવા માણસને પણ લાગ્યું હતું કે તેની પોતાની સ્થિતિ તો માત્ર જ્ઞાનના વિશાળ મહાસાગરના કાંઠે પાંચીકા વીણતા બાળક જેવી જ હતી. જ્ઞાનનો પાયો નમ્રતામાં છે અને અજ્ઞાનનો પાયો મિથ્યા ગર્વમાં છે. છતાં વિચિત્રતા એ છે કે લગભગ બધાં જ ક્ષેત્રોમાં એવી વ્યક્તિઓ જ તમને ટોચનાં સ્થાનો સર કરીને બેઠેલી દેખાય છે.

          ઈ.સ. ૧૯૦૩માં પ્રોફેસર લેન્ગલીએ પોતાના પ્રયોગોને અંતે જાહેર કર્યું હતું કે, હવાથી વજનમાં ભારે હોય એવી કોઈ વસ્તુ ઊડી શકે નહીં. પ્રોફેસર લેન્ગલી, સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટમાં વિજ્ઞાનના નિષ્ણાત હતા અને ઉડ્ડયનના પ્રયોગો માટે અમેરિકન સરકારે તેમને મોટી સ્કોલરશિપ આપી હતી. એમણે અનેક રીતે અનેક પ્રયોગો કરી જોયા હતા અને તેના નિચોડરૂપે તે વખતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં જાહેર કર્યું હતું (દાખલા દલીલો સહિત) કે હવા કરતાં વજનદાર કોઈ વસ્તુ હવામાં ક્યારેય ઊડી શકે નહીં.
પરંતુ આ વાતની જેઓ વિજ્ઞાનીઓ ન હતા એવા બે ભાઈઓને કશી ખબર નહોતી. એ બંને ભાઈઓ માત્ર સામાન્ય સાઇકલ-મિકેનિક હતા, પણ તેમની બુદ્ધિ સામાન્ય નહોતી. તેઓ પોતાની મેળે જ, અને પોતાની વિશિષ્ટ પદ્ધતિથી જ હવામાં ઊડી શકે તેવું કોઈક યંત્ર બનાવવાનો અખતરો કરી રહ્યા હતા. અને વિદ્વાન પ્રોફેસર લેન્ગલીએ જે વર્ષે ઉડ્ડયન વિશેનો પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો તે જ વર્ષે એટલે કે ૧૯૦૩ના ડિસેમ્બર મહિનાની સત્તર તારીખે તેમણે હવા કરતાં વજનદાર ધાતુના એરોપ્લેનને હવામાં સફળતાથી ઉડાડવાનો પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો. એ ભાઈઓ ઓરવિલ રાઈટ અને વિલ્બર રાઈટને આજે સૌ કોઈ ઓળખે છે અને સરકારી પૈસે તૈયાર થયેલ પ્રોફેસર લેન્ગલીનો તર્કબદ્ધ સિદ્ધાંત ક્યાંક પસ્તીના ડૂચામાં ફેંકાઈ ગયો છે.
એવી જ રીતે મોટરકાર અને ટેલિફોન બાબતમાં પણ તે સમયના નિષ્ણાતો તદ્દન નિરાશાવાદી હતા. આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલી વાર સાઇકલ રસ્તા પર આવી ત્યારે હજારો માણસોએ તેની સામે ઊહાપોહ કરેલો અને બે પાતળાં પૈડાં ઉપર સમતોલન જાળવીને ચલાવાતા વાહનથી કેવા ભયંકર અકસ્માતો સર્જાશે તેની આગાહીઓ કરેલી. ઊહાપોહ એટલો તો ઊગ્ર હતો કે સાઇકલ ચલાવનારે પોતાને સાઇકલ ચલાવતાં આવડે છે તેવું લાઇસન્સ ફરજિયાતપણે લેવું પડતું હતું.

          કોલંબસના સમયના લગભગ બધા જ નિષ્ણાતોએ તેને કહ્યું કે પશ્ચિમ તરફ વહાણ હંકારીને પૂર્વમાં પહોંચવાની તેની વાત નરી મૂર્ખતા હતી. પણ માત્ર કોલંબસ તે માનવા તૈયાર નહોતો.
બર્નાર્ડ શોએ એક વાર એવું કાંઈક કહ્યું હતું કે, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે.

          પરંતુ જે લોકો દેડકા જેવડા હોય છે, પોતાના અલ્પ જ્ઞાનથી જેમનાં પેટ ફૂલીને ફાટી જતાં હોય છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ જેઓ જ્ઞાનની ક્ષિતિજોને પરિમિત કરવાની મિથ્યાચેષ્ટા કરવા માટે જ કરતા હોય છે, તેવાઓની કોઈ નોંધ ઇતિહાસે ક્યારેય લીધી નથી, તેમણે વિજ્ઞાન,કલા,સાહિત્ય દરેક ક્ષેત્રમાં બને તેટલું વધારે નુકસાન કર્યું છે, પણ તેવું તો બન્યા જ કરવાનું.

          જે લોકોએ હર્મન મેલવિલ જેવા જિનિયસને અંધારામાં ફેંકી દીધો હતો. બાલ્ઝાકને ‘ક્લાઉન’ કહીને હડધૂત કર્યો હતો, અને સ્ટેનધાલ જેવા મહાન લેખકને તો લેખક જ ગણ્યો નહોતો. ચિત્રકાર વાન ગોગને ગાંડો ગણ્યો હતો, પોલ ગોગેંનાં ચિત્રોની ઠઠ્ઠા મશ્કરી કરી હતી, એ બધા એમના સમયના પ્રથમ પંક્તિના નિષ્ણાતો હતા.
પરંતુ જો કોઈ તમને એવું કહેવા કે મનાવવા પ્રયત્ન કરે કે અમુક વસ્તુ બેધડક રીતે આમ જ હોવી જોઈએ, તો તેમનાં તેવાં અર્ધસત્યો પર એતબાર રાખવાની ભૂલ ક્યારેય કરશો નહીં, તેમની વાતો તર્કબદ્ધ હોઈ શકે છે, પણ સાચી હોઈ શકતી નથી,કારણ કે તેઓ પોતાના તર્કની કોટડીનાં બારણાં બંધ કરીને તેમાં પોતે જ કેદ થઈ ગયેલા કમનસીબ બુદ્ધિશાળીઓ હોય છે. અને આપણને તેઓ ક્યારેય કશું આપી શકે તેમ નથી હોતા. તેમની દયા ખાજો.

          આ લેખ વીસમી સદીના મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈનને થયેલા અન્યાયનો દાખલો આપીને પૂરો કરું છું. એમના જે સિદ્ધાંતને કારણે એમને મહાન વિજ્ઞાની ગણવામાં આવે છે એ ‘થિયરી ઓફ રિલેટિવિટી’ (સાપેક્ષવાદના સિદ્ધાંત)નો વિરોધ વર્ષો સુધી થયો હતો. એ વિરોધ કેવો હશે અને એથી આઈન્સ્ટાઈનને કેવું દુઃખ થયું હશે એની ઝાંખી એમના આ શબ્દોમાં થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે એ સિદ્ધાંતના કારણે હલચલ મચી હતી ત્યારે આઈન્સ્ટાઈન ‘સ્વીસ સિટીઝન’ હતા. એ વખતે એમણે પ્રેસને (પત્રકારોને) લખ્યું હતું, “જ્યારે લોકોએ (વાચકોએ) ‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ સ્વીકાર્યો છે ત્યારે હવે ઈંગ્લેન્ડમાં મને સ્વીસ જ્યૂ (સ્વીટ્ઝર્લેન્ડના યહૂદી) તરીકે સન્માનવામાં આવે છે અને જર્મનીમાં મને જર્મન વિજ્ઞાની તરીકે માનથી જોવામાં આવે છે, પરંતુ જો ઊલટું બન્યું હોય તે જર્મનો મને (સ્વીસ) યહૂદી ગણતા હોત અને અંગ્રેજો મને જર્મન ગણતા હોત!”
(જર્મનો યહૂદીઓને ધિક્કારતા હતા અને અંગ્રેજો જર્મનોને ગાંડિયા ગણતા હતા.)

26/2/2012 કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ


રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

સફળતા ન મળે સરળતાથી

નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના કંઈક શીખીને પાછા સજ્જ થાય એના જ સફળતા કદમ ચૂમે

આમિર ખાનની ફિલ્મ ‘ ૩ ઈડિયટ્સ’ પહેલી એવી ફિલ્મ છે જે નિષ્ફળતાને સેલિબ્રેટ કરે છે. ‘ઓલ ઈઝ વેલ’ વાળો રણછોડદાસ ચાંચડ પારંપારિક રીતે નિષ્ફળ છે. એ કોઈ રેસમાં નથી, સ્પર્ધામાં નથી, ગેમમાં નથી. એ બધા છે તેનાથી પાછળ સાવ છેલ્લે છે. હકીકતમાં જગત એને જ્યાં નિષ્ફળ ગણે છે એમાંથી જ એ પોતાની સફળતા સિદ્ધ કરે છે.

અભિનેતા અનુપમ ખેર શિમલાના મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન હતા. એમના પિતા સરકારી મુલાજીમ હતા અને પગાર વધે કે બઢતી મળે ત્યારે ઘરમાં મિજબાની થતી. અનુપમને એક કિસ્સો યાદ છે. એ કહે છે, ‘એક દિવસ પિતાજી મને ફાઈવસ્ટાર હોટેલમાં લઈ ગયા. મને એમ કે પ્રમોશન મળ્યું હશે. અમે ખાધું-પીધું પછી મેં પિતાજીને પાર્ટીનું કારણ પૂછયું. પિતાજીએ જે કહ્યું એ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો પાઠ હતો અને એના આધારે જ હું જિંદગી તરી ગયો. પિતાએ કહ્યું ‘બેટા, હું તારું દસમાનું રિઝલ્ટ જોઈને આવ્યો છું. તું નાપાસ થયો છે પણ તને નિષ્ફળતાની બીક ન લાગે એટલે આપણે આજે એ નિષ્ફળતાનું સેલિબ્રેશન કરીએ છીએ.’ ૧૯૮૨થી ફિલ્મ કારકિર્દી કરનાર આ જ અનુપમના એકપાત્રી નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ના ગયા ડિસેમ્બરમાં ૨૦૦ શો પૂરા થયા છે અને એ નાટકમાં નિષ્ફળતાના સેલિબ્રેશનની વાત છે.

સવાલ એ છે કે આપણને સફળ થવા માટે તો આખી દુનિયા ઉકસાવે છે, પણ નિષ્ફળતા આવે તો શું? આજના આ તેજ રફતારવાળા સમયમાં, ભયાનક સ્પર્ધાવાળા વાતાવરણમાં નિષ્ફળ જવું એટલે જીવન સમાપ્ત, એવું આપણને ઠસાવી દીધું છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થી પંખે લટકી જાય છે, પ્રેમભંગમાં પ્રેમી વાશી બ્રિજ પરથી કૂદી જાય છે, લગ્નમાં કંકાશ વધી ગયો છે? પતિ-બોટલ સાથે દોસ્તી કરી લે છે. નોકરીમાં ટ્રેસ આવે છે અને એક્ઝિક્યુટિવ ડ્રગ્ઝનો ડોઝ લઈ લે છે અથવા કોલગર્લનું પડખું સેવી લે છે. આ બધાને એવું લાગે છે કે દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે અને આપણે નમાલા, નકામા પાછળ રહી ગયા છીએ.

હકીકત જુદી છે. દુનિયા નિષ્ફળ લોકોથી ભરેલી છે. દરેક શહેરમાં, દરેક મહોલ્લામાં કેટલાય અનુપમ ખેર છુપાયેલા છે. નિષ્ફળતા અનિવાર્ય જ નહીં, નિયમ પણ છે. આજે પણ જેની ધજા ફરકે છે તે યશરાજ બેનરના યશ ચોપરા કહે છે કે, ‘મને સફળતા કરતાં નિષ્ફળતામાંથી ખૂબ શીખવા મળ્યું છે. અનુપમ કે ચોપરા નસીબવાળા હતા કે નિષ્ફળતા પચાવી શક્યા અને આગળ વધી ગયા. પણ એવા લાખો લોકો છે જેમને ખબર જ નથી કે નિષ્ફળતા આવે તો શું કરવું? કોઈ પણ ઘોડો (અથવા ગધેડો, એઝ ધ કેસ મે બી) રેસમાં પ્રથમ આવી શકે છે, પણ એક અચ્છો નિષ્ફળ અથવા લૂઝર એ છે જે પડીને ફરી ઊભો થાય છે.

તમે આજના અનિલ અંબાણીથી અમિતાભ બચ્ચન કે સોનિયા ગાંધીથી સાનિયા મિર્ઝાને પૂછશો તો એ કહેશે કે અમને ખરું ગણતર તો નિષ્ફળતામાંથી મળ્યું છે. આજે સફળતાના પાઠ ભણાવનારા તો ઘણા છે, પણ કમી એવા શિક્ષકો કે વાલીઓની છે જે નિષ્ફળતામાંથી કેવી રીતે ઊભા થવું, કેવી રીતે જાતને સમેટવી અને ફરીથી નિશાન કેવી રીતે તાકવું એ શીખવાડે. તમારી આજુબાજુ કેટલાય ચાવાળા, પાનવાળા હશે જે ૩૦-૪૦ વર્ષથી એ જ કામ કરે છે અને એમને હજુય હોંશ છે કે એક દિવસ તેઓ ‘મોટા’ માણસ બનશે! એવા ઘણાય યુવાનો છે જે નસીબ અજમાવવા એક ઓફિસથી બીજી ઓફિસ, એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી આંટાફેરા મારતા રહે છે. પોલીસ એમને તંગ કરે છે. હોટેલવાળો ઉધારી માગે છે. મકાન માલિક રૂમ ખાલી કરવાનું કહે છે, પાડોશીઓ હલકી કક્ષાની ગોસિપ કરે છે અને છતાંય એ લોકો હિંમત હાર્યા વગર પ્રયત્ન નામની જાદુઈ ચક્કી પીસતા રહે છે.

આવા લોકો રોજ રાત્રે નિષ્ફળ બનીને આવે છે અને સવારે ફરીથી નિશાન તાકે છે. બંધાતા મકાનનો મજદૂર હોય, ખેતી કરતો ખેડૂત હોય, કપડાંની ફેક્ટરીનો કારીગર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, બેંક કર્મચારી હોય, શેરબ્રોકર હોય કે પછી કલાકાર હોય, કરોળિયાની જેમ એ રોજ ઝાળું ગૂંથે છે અને રોજ એ હવાના ધક્કાથી તૂટી જાય છે. અશ્વેત બરાક ઓબામા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાં એમનાં ભાષણોમાં લગાતાર કહેતા હતા ‘દુનિયા પર તમારી છાપ છોડી જવી એ અઘરી બાબત છે. એ જો સરળ હોત તો બધાએ એ કર્યું હોત. પણ એવું નથી. એના માટે પ્રતિબદ્ધતા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવાની તાકાત જોઈએ. ખરી પરીક્ષા એ નથી કે તમે નિષ્ફળતાથી કેવી રીતે બચી શકો. ના, એ શક્ય નથી. પરીક્ષા એ છે કે નિષ્ફળતાથી તમે નાસીપાસ થઈ જાઓ છો કે પછી એમાંથી કંઈક શીખીને પાછા સજ્જ થાઓ છો.’

રણછોડદાસ ચાંચડ ઘોડાઓની રેસમાં નથી, કારણ કે એને નંબર-ગેમ અથવા રેસમાં રસ નથી. એ પરિણામની ચિંતા વગર પ્રેમથી, મહોબ્બતથી, ખંતથી મહેનતનો આનંદ લે છે. એટલે જ એ હસી શકે છે જ્યારે પેલો ‘ચતુર’ હંમેશાં સિરિયસ જ હોય છે. રાંચોને ખબર છે કે નંબર આવશે તો પણ રેસનો તો કોઈ અંત જ નથી. જાવેદ અખ્તર લખે છે તેમઃ

હર કિસી કા ખુશી રો ફાસલા બસ એક કદમ હૈ,

હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ! 
 

ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)2/12/2011 મુંબઈ સમાચાર




આપણે ભરોસે

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
                             
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે  ગાઈ ગાઈને કહે,
‘તારે  ભરોસે,  રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ,  -  હો ભેરુ …
                              
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે  જ  હાથે  સંભાળીએ,  -   હો ભેરુ…
                               
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે  જ  આપણે  છઈએ,  -  હો ભેરુ …. 

 - પ્રહલાદ પારેખ

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

ઘર...

જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. 
બસ થોડામાં રાજી! 
બસ થોડામાં રાજી! 
આખ્ખુંયે આકાશ અમે ક્યાં માગ્યું? 
- નાજી - નાજી! 
અમે તો બસ થોડામાં રાજી... 
આ ધરતી પર કોઈ વૃક્ષનું જોઈ લીલુંછમ હેત, 
પામ્યા પળમાં કેટકેટલા મર્માળા સંકેત! 
અવ્વલ તો મોસમની સાથે મેળવતા રહો બાજી! 
અમે તો બસ, થોડામાં રાજી... 
આ કહેતા કે કાંઈ નથી ને તે કહેતા કે ખૂબ! 
અમને જીવતર લાગ્યું અવસર જેવું આબેહૂબ! 
જીવશું થોડી સમજણ પ્હેરી, થોડાં સપનાં આંજી, 
અમે તો બસ, થોડામાં રાજી... 
- કિરીટ ગોસ્વામી 
સંતોષનું સરનામું 
જીવનમાં કેટલું બધું જીવવા જેવું છે! આ જીવવાનો અર્થ ઉંમર પ્રમાણે અને અનુભવ પ્રમાણે બદલાતો જાય છે. પરિવર્તન અને પડકાર એ જીવનના સિક્કાની એવી બાજુ છે જ્યાંથી બધી જ દશા-દિશા ખૂલતી-ઊઘડતી જાય છે. જીવનમાં કેટલું મેળવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કેવું મેળવવું એ પણ આપણે જ નક્કી કરવું પડે છે. કેવી રીતે મેળવવું એ સહુથી પહેલાં નક્કી કરવાનું હોય છે. આપણી મહત્ત્વાકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓ આકાશ જેટલી હોય એ સ્વાભાવિક છે. અનંતને છેવાડો નથી હોતો. સમજુ માણસ એટલે જ થોડામાં રાજી રહીને ઘણું બધું જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. કોની પાસે માંગવું એ પણ અગત્યનું છે અને કેટલું રાખવું એ વધારે અગત્યનું છે. 
કવિ એટલે જ અહીંયાં થોડામાં રાજી રહેવાની વાત કરે છે. વળી કુદરત પાસે પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. બહાર ફરવા જવાનાં સ્થળોમાં આપણને હમેશાં મોબાઈલનાં નેટવર્ક વગરનાં કુદરતી સ્થળો ગમતાં હોય છે. એનું કારણ એક જ છે કે આપણે ખૂબ થાકીએ છીએ ત્યારે આપણા થાક ઉપર જે મર્માળુ હેત ફરકાવે છે એ કુદરત છે. એને ફૂલોની ભાષામાં બોલતાં આવડે છે. એને છાંયડાનો કક્કો ઘૂંટતા આવડે છે. આપણે મુસાફર જેવા છીએ એની ખબર સમજણા થયા ત્યારથી પડી છે. પણ વટેમાર્ગુને ક્યાં વિસામો લેવો એની સમજણ જાતે જ પડવી જોઈએ. કેટલું બધું જાણીએ છીએ અને અજાણ્યા રહી જઈએ છીએ. કેટલું બધું સમજીએ છીએ અને બેખબર બની જઈએ છીએ. આટલું ભાન છે એનાથી વધારે શું જોઈએ? 
'જીવન' ભગવાનના અવસરનું બીજું નામ છે. સંબંધીને ત્યાં પ્રસંગ હોય ત્યારે આપણને કેટલો બધો હરખ થાય છે. આપણે કેવા એ પ્રસંગમાં જોડાઈ-જોતરાઈ જઈએ છીએ. આપણું જીવન એ ઇશ્વરના ઉત્સવમાં સહભાગી થવા માટે આપણને મળેલું છે. થોડીક સમજણ હોય અને થોડીક સપનાં જોવાની બેચેની હોય તો જીવનને વધારે સારી રીતે સજાવી શકાય છે. ઘરનું ફર્નિચર વરસો પછી મરામત માંગે છે. નવા વિચારો-ધીરજથી કેળવાયેલી સમજણ એ જીવતરના મરામતનો ઉકેલ છે. થોડામાં રાજી રહેતાં આવડે તો વધારે મળશે ત્યારે છકી જવાનું મન નહિ થાય. સ્થિતપ્રજ્ઞાનાં લક્ષણો ધર્મશાસ્ત્રોએ સારું અને સાચું જીવવા માટે આલેખ્યાં છે. એનો સરળ અનુવાદ કવિ કિરીટ ગોસ્વામીએ કરેલો છે. 
જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. આપત્તિ સામે લડવાની તૈયારી કરવી એના કરતાં આપત્તિ સાથે યારી કરવી વધારે સારી... ''જે દર્દ જેનું એની મને સારવાર છે'' આ વાત પીડાથી લઈને દુઃખતી રગ સુધી સાચી પડી શકે છે. સવાલ એ છે કે તમે કયા એપ્રોચથી એને સમજી શકો છો. જીવનના હકારની આ કવિતા રાતોરાત બધું જ કમાઈ લેવા મથતા આપણા જીવને સંતોષનું સરનામું આપે છે.


 - અંકિત ત્રિવેદી (જીવનના હકારની કવિતા 5/2/2012)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012