ગુરુવાર, 18 જૂન, 2015

જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના વિદ્યાર્થી ભાઈઓએ એ દિવસે પહેલાં આખું શાળાનું મકાન ઝાટકી ઝાટકીને બાવાંજાળાં પાડીને સાફ કરી નાખ્યું, એટલું જ નહીં પણ ટોમ સોયરનની જેમ ડોલમાં ચૂનો લઈ ધોળી પણ નાખ્યું. મને વિદ્યાર્થી ભાઈઓ માટે મન થયું. મને થયું, માત્ર ભીંતો પણ અપશબ્દ લખવાવાળા વિદ્યાર્થીઓ નથી, દીવાલો સાફ કરવાવાળા પણ છે.પાનને ગલ્લે બેસી રહી સમય બગાડતા વિદ્યાર્થીઓ જ માત્ર નથી, સવારમાં વહેલા ઊઠી કસરત કરનારા પણ છે. નદી જ્યારે બે કાંઠે વહેવા માંડે છે, તેમાં પ્રચંડ પૂર આવે છે ત્યારે નબળા કાંઠા ઝીંક ઝીલતા નથી. નદી કાંઠા તોડીને વહેવા માંડે છે. અત્યારે આ જ હાલત છે. યુવાનીના ધસમસતા પૂરને કાબૂમાં રાખવા માટે ક્યારેક ઘરના, શાળાના કે સમાજના કાંઠા નબળા પડે છે અને પ્રચંડ પૂર જેમ વિનાશ વેરે છે તેમ યુવાનીનું પૂર પણ સંયમ, સંસ્કારિતા અને વિવેકના કાંઠા મજબૂત ન હોય તો વિનાશ વેરે છે. 

મને પહેલી જાન્યુઆરી, ઓગણીસ સો એકસઠથી ડાયરી લખવાની ટેવ છે. એમાં હું દર વર્ષે શરૂઆતમાં ખૂબ સારી રીતે વ્યવસ્થિતપણે જીવું છું, પણ પછી ઉત્સાહ ઓસરતો જાય છે પછી અને એ જ જૂની ઘરેડમાં અર્થ વગરનું જીવન- પહાડ પરથી એક જ ધોરિયામાં વહેતું પાણી, ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી ત્યાંથી જ હવે તેમ એ જ રીતે - જીવનમાં પહાડ માથે પડી ગયેલા વૃત્તિઓના ધોરિયામાં જીવનધારા વહેવા માંડે છે. ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી બદલવા મુશ્કેલ છે. 

હું દર વર્ષે ત્રણ યાદીઓ તૈયાર કરું છું. અત્યંત મહત્ત્વનાં કરવાનાં કાર્યો, જેમાં સર્વિસ, પરિવારની જવાબદારી વગેરે આવે છે. બીજી યાદી, સમય મળ્યે કરવાનાં કાર્યો જેમાં હાસ્ય, કાવ્ય, પ્રેરણાદાયી પ્રસંગો, ચિંતનકણિકાઓના વ્યવસ્થિત સંગ્રહ તૈયાર કરવાનાં કામોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદી ન કરવાનાં કાર્યોની બનાવું છું, જેમાં તમાકું ન ખાવી, જિંદગીના ભોગે સંપત્તિ મેળવવા પ્રયાસ ન કરવો. સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય ન કરવું વગેરે આવે છે. ઘણા જેમ ત્રણ જોડી ચશ્માં રાખે છે, એક દૂર જોવામાં એક નજીકથી જોવાનાં અને ત્રીજી જોડી ઉપરનાં બંને ખોવાઈ જાય તો ગોતી કાઢવા માટેનાં. અમુક વળી બાથરૂમમાં ત્રણ નળ રાખે છે. એક ગરમ પાણીનો, એક ઠંડા પાણીનો અને એક પાણી વગરનો - જેને ન ના'વું હોય તેમના માટે. હું ત્રણ યાદી વ્યવસ્થિત બનાવું છું અને ડાયરીમાં નોંધ કરું છું. કોઈ વાર યાદ રાખવા માટે જેમાં નોંધ કરી હોય તે ડાયરી જ ખોવાઈ જાય છે. 

અનેરા ઉત્સાહમાં નવું વર્ષ શરૂ થાય છે, પછી થોડા સમયમાં યાદીઓની ભેળસેળ મંડે છે થાવા. ન કરવાનાં કાર્યો થવા માંડે છે. મહત્ત્વનાં રહી જાય છે. સમય મળ્યે કરવાનાં કાર્યો માટે સમય જ મળતો નથી. ડિસેમ્બર આવતાં આવતાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે અને વળી હું વ્યવસ્થિત થવા પ્રયાસ કરું છું. ડાયરી પરથી એટલી ખબર પડે છે, શું નક્કી કર્યું હતું અને શું શું ન થઇ શક્યું. જેમ હર્બટ સ્પેન્સરે કહ્યું છે, 'માનવી ઇતિહાસથી એટલું જ શીખ્યો છે કે માનવી ઇતિહાસમાં કાંઇ શીખ્યો નથી.' 

આ વખતે પણ અનેરા ઉત્સાહથી મેં ડિસેમ્બરના અંત પહેલાં પ્રથમ તો 'આશિયાના'ની સફાઈ શરૂ કરી. મારી પત્ની સાબિરાએ કહ્યું. "મારે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો છે. મેં મજાક કરી, તો પછી પાછળ રહેશે શું?" 

હું સાબિરા, સાબિદ અને અફઝલ સાફસૂફીમાં લાવી પડ્યાં. મારા રૂમમાં માત્ર જરૂર પૂરતી જ વસ્તૂ રહેવા દઈ બાકી બધું બહાર કાઢી નિકાલ કરી નાખ્યો નકામી પણ આકર્ષક વસ્તુઓ જેને હું રાખી પણ નહોતો શકતો અને બહાર ફેંકવાની હિંમત પણ નહોતો કરી શકતો એ બધું ફેંકી દીધું. ત્યાગમાં આનંદ સમાયેલો છે! સવારના પહોરમાં માત્ર મળત્યાગ માણસ કરે છે તોપણ કેટલી હળવાશ અનુભવે છે! આમ જ જો સંસારના મળનો ત્યાગ થાય તો કેટલી શાંતિ મળે ! બિનજરૂરી પરિગ્રહ આમ તો એક પ્રકારનો મળ જ છે ને ? હું મસ્કત ગયો. નાગરદાસ માનજીની બાતબર જૂની પેઢીના સ્ટોરમાં દાખલ થયો. આ પેઢીના સંચાલકો મને ઓળખી ગયા. મને આદરસત્કાર કરી આવકાર્યો, રોક્યો. ચા-પાણી-નાસ્તા માટે ઘેર લઈ ગયા. મેં સ્ટોરમાંથી કરેલી ખરીદીમાં પણ ડિસ્કાઉન્ટ આપ્યું, ઉપરાંત એક કિમતી લાલ બેગ ભેટ આપી. પહેલાં માત્ર પચાસ રૂપિયાની બેગમાં હું કપડાં મૂકી મારી સીટ નીચે રાખી નિરાંતે ઊંઘી જતો હતો. આ બેગ મળ્યા પછી ફેરફાર એ થયો કે પહેલાં બેગમાં મારા કપડાં સચવાતાં, હવે હું બેગ સાચવું છું. 

બેફામ સાહેબે કહ્યું છે : નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં મોતી ભર્યા છે, છતાંયે સમંદરનાં ખારાં જીવન થઈ ગયાં છે. માનવી પાસે જે છે તે મહત્ત્વનું નથી, જે છે તેનો કેવો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે. 

છરી તો સર્જન પણ ચલાવે છે અને છરી તો ગુંડા પણ ચલાવે છે, પરંતુ એક જિંદગી આપવા માટે છે જ્યારે એક જિંદગી લેવા માટે હોય છે. 'પોટેટો ઈટર્સ' ચિત્રના વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને કોઈએ પૂછ્યું, તમે બીજા ચિત્રકારો કરતાં સારાં ચિત્રો દોરવાની સ્પર્ધા કરવા માટે ચિત્ર દોરો છો? વાન ગોગે કહ્યું, 'મને બીજા ચિત્રકારોનો ખ્યાલ પણ નથી. હું તો મારી જાત સાથે સ્પર્ધા કરું છું. જેવો છું તેનાથી સારો બની શકું?' 

યુદ્ધના મેદાનમાં સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યનું સૈન્ય સજ્જધજ થઈ ગોઠવાયું હતું. મહાઅમાત્ય ચાણક્ય અન્ય અધિકારીઓ સાથે સૈન્યનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા. સમ્રાટ ખુદ મહાઅમાત્યને માહિતી આપતા હતા, પાયદળ, હયદળ, ગજદળ, શસ્ત્રો વગેરેની. આ સાંભળ્યા પછી ચાણક્યે પૂછ્યું, '' આ બધું તો ઠીક, પણ આ યુદ્ધ જીતશું જ એવો આત્મવિશ્વાસ સૈન્યમાં છે?'' સમ્રાટ ચંદ્રગુપ્ત જવાબ ન આપી શક્યા. તેમણે કહ્યું : ''એ તો કેમ કહી શકાય?' ચાણક્યે કહ્યું, 'સફળતા માટે. આત્મવિશ્વાસ જરૂરી છે.' ચાણક્યમાં આત્મવિશ્વાસ હતો, જુલિયસ સીઝર નૌકાસૈન્યને ઇંગ્લેન્ડની ધરતી પર ઉતારી પ્રથમ હુકમ કર્યો, 'તમામ હોડીઓ બાળી નાખો.' હોડીઓ બાળી નાખવામાં આવી. એ બતાવી જુલિયસ સીઝરે કહ્યું, 'હવે આપની પાસે ઇંગ્લેન્ડ જીતવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.' જુલિયસ સીઝરની જીત થઈ. આજે પણ લંડનમાં રોમન વોલ છે, રોમન સ્થાપત્ય છે. રોમનોની અસર ઘણાં ક્ષેત્રમાં જણાઈ આવે છે. 

મધદરિયે ભયંકર તોફાન થયું હોય, વહાણ સપડાયું હોય, ભાંગીને ભુક્કો થઈ ગયું હોય, યાત્રીઓ, નાવિકો, મુસાફરો ભયાનક આપત્તિમાં આવી પડ્યા હોય, લાકડાના એકાદ ટુકડાને પકડી કોઈ પ્રવાસી તરી રહ્યો હોય, તેના ખિસ્સામાં લાખોની કિંમતનાં અણમોલ મોતી હોય, દૂર દૂર કિનારે નાળિયેરીનાં વૃક્ષો નજરે પડતાં હોય, કિનારે પહોંચ્યા પછી તે મોતીના લાખો રૂપિયા ઊપજવાના હોય પણ જો પ્રવાસી આત્મવિશ્વાસ ગુમાવી બેસે તો? કિનારે પહોંચી ન શકે. આત્મવિશ્વાસ વગર બધું વ્યર્થ છે. 

આ સંદર્ભે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય જોઇએ : 'જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?' અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું? નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું શું?

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૧૪/૦૬/૨૦૧૫ )

જીવનમાં પ્રેમ રાખી, માણસને ખામીઓ સાથે સ્વીકારો, આપણે ક્યાં પૂર્ણ છીએ?

तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ 
અર્થાત્ હું જ સૂર્યરૂપે તપું છું, વર્ષાનું આકર્ષણ કરું છું અને તેને વરસાવું છું. હે અર્જુન! હું જ અમૃત અને મૃત્યુ છું અને સત્-અસત્ પણ હું જ છું.


કબીરના નામે એક પદ છે-
 चलो,जाइए गुरु के द्वार, 
साधो,जाइए गुरु के द्वार... 

ગુરુના ઘરનો નક્શો કેવો છે? કબીર કહે છે- 
निजता नीव है, प्रेम पीठिका, अखंड अभेद दीवार | 
मुक्ति द्वार है,कारन किवाड़ छे, वातायन विचार | 

કબીરે મકાન શરૂ કર્યું પાયાથી. નિજતા નીવ છે,ગુરુના ઘરનો પાયો શું છે? આપણી નિજતા,આપણો સ્વભાવ. તેથી જ તો 'ગીતા'કાર કહે છે કે, 'स्वधर्मे निधनं श्रेय |' આપણા ઘરમાં એક ગુરુ બેઠો છે. એનો પાયો નિજતા છે. નિજતા ઉપર જ આ બધું ચાલે છે. આપણે તો ઉધારમાં જીવીએ છીએ, માન્યતા ઉપર આપણે જીવીએ છીએ. કોઈએ કહ્યું અને આપણે માની લીધું! બુદ્ધ કહે છે ને કે,આંગળી તો ચંદ્ર બતાવવા ઊઠી હતી અને લોકોએ આંગળીને જ ચાંદ માની લીધો! શાસ્ત્ર સંકેત છે. સંકેતને સમજીને આપણે આંખો તો આપણી જ ખોલવી પડે છે. હું વારંવાર કહું છું કે કોઈનાં અદ્‌ભુત હોય,પરંતુ એ ચરણનો સ્પર્શ કરવા માટે,એને જોવા માટે જવું હશે ત્યારે તો આપણાં ચરણથી જ જવું પડશે. માનો કે કોઈની આંખો બહુ જ પ્યારી છે,એને જોવા માટે તો આપણી જ આંખો જરૂરી છે. 

જે નિજતાને આપમેળે વિકસિત નથી કરતા,એને અસ્તિત્વ બહુ આદર નથી આપતું. આપણે ઉધારમાં જીવી રહ્યા છીએ,બીતાંબીતાં જીવી રહ્યાં છીએ. લોભ કે ભયને લીધે નિજતા ખોવાઈ ગઈ છે! 

તો,નિજતા પાયો છે. પ્રેમ પીઠીકા.' પાયો થયો,પ્લીન્થ બની ગઈ,હવે દીવાર તો હોવી જોઈએ ને? કેટલી અદ્‌ભુત વાત છે! 'અખંડ અભેદ દીવાર.' બધી જ સીમાઓને આદર આપતી ગુરુની દીવાલ અખંડ અને અભેદ હોય છે. ત્યાં કોઈ ભેદ નથી હોતો. 'ડોમેસ્ટિક વોલ્સ' તો હોતી જ નથી. ન વર્ગભેદ હોય છે, ન વર્ણભેદ હોય છે,ન ધર્મભેદ હોય છે; ત્યાં કેવળ પરમતત્વ પ્રધાન છે. આપણો અભેદભાવ અખંડ નથી. 'અખંડ' શબ્દ સમજીને પ્રયોજ્યો છે. આપણે મંચ પર અખંડની ચર્ચા કરીએ છીએ,પરંતુ ત્યાંથી ઊતરીને ફરી પાછા એ જ ભેદ! સદ્‌ગુરુના ઘરની દીવાલ અખંડ અભેદની છે. જો ગુરુના ઘરનો પરિચય કરવો હોય તો સૂક્ષ્મ નજરથી જોવું,એ જાગૃત પુરુષના મનમાં ક્યાંય ભેદ તો નથી ને? જલદી જલદી કોઈના પગ ન પકડવા. તમે બરાબર ઓળખો. મંદિરમાં આપણે પરિક્રમા કરીએ છીએ એ શું છે? પરમાત્મા આપણને એક શિખામણ આપે છે કે તું દર્શન કરવા કે શરણાગત થવા આવ્યો છે,પરંતુ પહેલાં તું મને ચારેબાજુથી જોઈ લે. સ્વામી રામતીર્થ જયારે જંગલમાં,મસ્તીમાં પડ્યા રહેતા'તા ત્યારે કોઈ પગ પકડવા આવતું તો કહેતાં'તા કે 'આટલા જલ્દી પગ પકડ મા.' અને આપણે ત્યાં તો પગ પકડવાનું નેટવર્ક ઊભું કરાય છે! હું કહેતો રહું છું,વક્તાને ન પકડો, વક્તવ્યને પકડો. વક્તા ધોખો દઈ શકે છે. જો પ્રેમ કરતા હો,તો માણસને એની ખામીઓ સાથે સ્વીકારતા શીખો. આપણે ક્યાં પૂર્ણ છીએ? 

સાધુનાં ઘરે કોઈ ભેદ નથી હોતો. અખંડ અભેદ. મંચ પર જુદાં જુદાં ધર્મનોના અગ્રણી એકઠા થાય છે ત્યારે સૌ એટલી વિશાળતાથી બોલે છે કે એમ લાગે કે કાલથી રામરાજ્ય શરૂ થઇ જશે! પરંતુ પછી સૌ પોતપોતાના ગ્રુપમાં જાય છે ત્યારે ફરી પાછાં એ જ ભેદ,એ જ સંકીર્ણતા! 
अगर तू बस्तीमे पलता है, तो विराने में कौन? 
अगर तू तसबीह के एक दाने में है, तो दाने दाने में कौन? 

ગુડગાંવની કથામાં આપણે નિર્ણય કરીએ કે જ્યાં સુધી ચેતનાની જાગૃતિ રહેશે ત્યાં સુધી વિભાજનથી દૂર રહીશું. દ્વૈત ક્રોધ પેદા કરે છે અને ક્રોધ માણસને ચાંડાલ બનાવી દે છે. હું તમને અંગત પ્રાર્થના કરું કે કોઈ પણ વ્યક્તિની બાબતમાં ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના આચરણને જોઈને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના વક્તવ્યને સાંભળીને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો. એને પૂરો ઓળખ્યા વિના નિર્ણય ન કરો,ઉતાવળ ન કરો. હું તો એટલું જ સમજુ છું કે બીજાને જે હલકો માને એના જેવો વિશ્વમાં બીજો કોઈ હલકો નથી. મારું 'માનસ' તો કહે છે- 
सीय राममय सब जग जानी | 
करउं प्रनाम जोरि जुग पानी || 

જો બોધ થયો છે તો વિરોધ કેવો? બુદ્ધનાં કદમ અંગુલિમાલ તરફ પણ એટલા જ વાત્સલ્યથી જઈ રહ્યા હતા. એક શે'ર મેં લખી લીધો છે- 
जिस प्यार की उम्रभर तलाश रही, 
इस जमीं पर तो नही, शायद आसमां में हो | 
આ નિરાશા છે. આકાશમાં કાંઈ નથી. જે છે એ અહીં છે. આપણી પૃથ્વી બહુ જ પ્યારી છે. આપણી સંકીર્ણતાને કારણે આ બધું થઇ રહ્યું છે! ધ્રુવ ભટ્ટની રાધા કહે છે કે,અમને બહુ મોડું સમજાયું કે પ્રેમ પરમાત્મા સાથે નથી થઇ શકતો,માણસ સાથે જ થઇ શકે છે. આપણને ગમે તેને પ્રમાણપત્ર આપવાની ઉતાવળ છે! પ્લીઝ ઉતાવળ ન કરો,અને પ્રમાણપત્ર આપનારા આપણે કોણ? 
(સંકલન : જયદેવ માંકડ)


માનસ મંદાકિની - મોરારીબાપુ 
નવગુજરાત સમય - બોધિવૃક્ષ - ૦૪/૦૬/૨૦૧૫  

મંગળવાર, 16 જૂન, 2015

તમે સારામાં સારા શું બની શકો તેમ છો?

If this is God’s world, there are no unimportant people.
- Rt. Hon. George Thomas
કુદરત એક જેવો બીજો નમૂનો બનાવતી નથી. એક જેવો બીજો મનુષ્ય કે પ્રાણી તો ઠીક, એક જેવું આબેહૂબ બીજું વૃક્ષ કે જંતુ પણ પેદા થતું નથી. કરોડો વર્ષથી આ ક્રિયા ચાલુ છે. હજી કુદરતનો ખજાનો ખૂટયો નથી અને કરોડો વર્ષ પછી પણ ખૂટવાનો નથી.
કોઈ બે મનુષ્યના માત્ર ચહેરા જ જુદા હોય છે, એવું નથી. હાથની રેખાઓ, અંગૂઠા, આંગળીઓ, નાક, દાંત, શ્રવણશક્તિ, દૃષ્ટિ, બધું જ ભિન્ન હોય છે. સમય સતત વહ્યા જ કરે છે અને પરિસ્થિતિ બદલાયા જ કરે છે. પ્રતિક્ષણે ઊભી થતી નવી પરિસ્થિતિ માટે કુદરત નવા જીવોનું નિર્માણ કર્યા કરે છે, એટલું જ નહીં, નવી રીતે નિર્માણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ તેની પોતાની રીતે એક અને અનોખો હોય છે. કારીગર પોતાના કામ માટે જુદા જુદા પ્રકારનાં અને જુદાં જુદાં માપનાં હથિયારો વાપરે છે એમ કુદરત પણ પોતાના કામ માટે જુદા જુદા જીવોનો ઉપયોગ કરે છે. તેના આ કામ વિષે આપણે બહુ જ ઓછું જાણી શકીએ છીએ, કારણ કે સર્જનની આ લીલા અગાધ અને અટપટી છે, પરંતુ એટલું આપણે જાણીએ છીએ કે, આપણે આવી કોઈક વિશાળ લીલાનો ભાગ છીએ અને બીજાથી જુદા, વિશિષ્ટ, એક અને અનોખા છીએ.
અને એટલે જ આપણા સમયની એક બહુ મોટી સમસ્યા આપણી જીવનરીતિને એકસરખી બનાવવામાંથી સર્જાય છે. આવું બે રીતે બને છે. એક તો સમાજ અને સરકાર (પછી તે ગમે તે દેશની હોય) આપણા જીવનને એક જ બીબામાં ઢાળવા પ્રયત્ન કરે છે,અમુક પ્રકારનું રેજિમેન્ટેશન દાખલ કરે છે ત્યારે અને બીજું આપણે પોતે જ્યારે બીજા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે.
સરકાર કે સમાજ જે એકસરખાપણું આપણા ઉપર લાદે છે તેને દૂર કરવાની એક વ્યક્તિ તરીકે આપણી પાસે શક્તિ હોતી નથી,એટલે તે સ્વીકારીને જ ચાલવું પડે છે, પરંતુ આપણે પોતે બીજા જેવા બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાંથી આપણે જરૂર છૂટી શકીએ છીએ.
ર્ડાિવનના નેચરલ સિલેક્શનના નિયમ પ્રમાણે, કુદરત જે ઉત્તમ હોય તેનો જ પોતાના કામ માટે ઉપયોગ કરે છે. તેને જ જીવન જીવવાનો અધિકાર આપે છે. આનો અર્થ એવો ન કરવો જોઈએ કે કુદરત તગડા, પઠ્ઠા, મજબૂત હોય તેને જ જીવવા દે છે. આનો અર્થ એવો છે કે જે પરિસ્થિતિમાં જે સૌથી યોગ્ય હોય તેને જ કુદરત પસંદ કરે છે. આ તો સ્વાભાવિક છે. કારીગર હંમેશાં ઉત્તમ હથિયાર જ પસંદ કરે છે, પરંતુ આમાં યોગ્યતાની જે વાત છે તે બહુ જ અટપટી છે, કારણ કે એમાં સંકળાયેલ વિશિષ્ટ પરિસ્થિતિ,એ પરિસ્થિતિમાં જીવની વિશિષ્ટ પ્રકારની યોગ્યતા અને એ યોગ્યતા નક્કી કરવા પાછળનો કુદરતનો હેતું, એ બધી બાબતો વિષે આપણે ભાગ્યે જ કશું જાણી શકીએ છીએ.
અમેરિકાના ર્જ્યોિજયા પરગણાના સેનેટર એલેક્ઝાન્ડર સ્ટીવન્સનું કદ ખૂબ જ નાનું અને વજન પણ ઘણું જ ઓછું હતું, પરંતુ બુદ્ધિ તીવ્ર હતી. એક વાર ચર્ચાની ગરમીમાં એક મોટા, ઊંચા, તગડા કોંગ્રેસમેને એના તરફ દાંતિયું કર્યું, "એવો ગુસ્સો ચડે છે કે, તને આખો ને આખો ગળી જાઉં!"
સ્ટીવન્સે સહીને કહ્યું, "તો, તારા માથામાં છે એ કરતાં પેટમાં બુદ્ધિનું પ્રમાણ વધી જાય!"
કોનો, ક્યાં, કોઈ જાતનો ઉપયોગ છે તે આપણે જાણતા નથી. કુદરત તગડાને અમુક કારણે જીવવા દે છે તો દૂબળા અને બુદ્ધિશાળીની પસંદગી બીજાં જ કોઈક કારણોસર કરે છે. એમાં એટલી બધી વિવિધતા હોય છે અને એટલા બધા મુદ્દાઓ સંકળાયેલા હોય છે કે નેચરલ સિલેક્શન બાબતાં કોઈ એક નિયમ આપણે તારવી શકતા નથી. માત્ર એટલું જાણી શકીએ છીએ કે કુદરતમાં આવું કોઈક સિલેક્શન કામ કરી રહ્યું છે.
અને કબીર કહે છે કે તેમ, "જહાં કામ આવે સૂઈ, ક્યા કરે તલવારી?" જ્યાં સોય કામ આવે તેમ હોય ત્યાં તલવારનો શું ઉપયોગ?
આપણે સોય હોઈએ તો સોય, નાના હોઈએ તો નાના, ઝીણા હોઈએ તો ઝીણા, એ રીતે જ આપણે ઉપયોગી થઈ શકીએ તેમ છીએ. આપણે તલવાર બનવાની ચેષ્ટા શા માટે કરવી? કારણ કે સોયનો જ્યાં ઉપયોગ કરવાનો હશે, ત્યાં તલવાર શું ઉપયોગમાં આવવાની છે? તલવારનું કામ તલવાર કરતી હશે, પણ એથી કાંઈ એનું મહત્ત્વ વધી જતું નથી. કદમાં એ મોટી હશે, તેજ,ચમકદાર હશે, પણ એક નાનકડું કપડું પણ એ સાંધી શકશે નહીં. એનું તેજ કે એની ચમક જોઈને સોયને શરમાવાની જરૂર નથી,ઓજપાવાની જરૂર નથી, પોતાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી અને સૌથી વધુ તો, તલવારની ઈર્ષા કરવાની કે તલવાર બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.
જે જ્યાં છે અને જે છે, તે રહીને જ જીવનની આ વિશાળ લીલામાં યોગ્ય ભાગ લઈ શકે છે. બીજા જેવા બનવાની એને જરૂર નથી,કારણ કે તે એક અને વિશિષ્ટ છે. કુદરતે એનું એ રીતે જ નિર્માણ કર્યું છે. એને બીજા જેવા નહીં, પણ પોતાના જેવા બનવાની જરૂર અને ઉત્તમ રીતે પોતાના જેવા બનવાની જરૂર છે. આ જ એના જીવનનો એકમાત્ર હેતુ હોઈ શકે છે.
પરંતુ માણસ પોતાના જેવો બનવાના બદલે બીજા દેવો બનવા પ્રયત્ન કરે છે. એક નિરર્થક હરીફાઈમાં એ દોડવાનું શરૂ કરે છે. બીજા જેવો એ ક્યારેય બની શકતો જ નથી. પરિણામે એને દુઃખ, બળતરા અને અશાંતિ જ મળે છે.
આપણે આપણી પોતાની સામે ભાગ્યે જ નજર કરીએ છીએ. આપણી પોતાની મૂડીનો ભાગ્યે જ ખ્યાલ કરીએ છીએ. આપણે તો બીજા સામે નજર કરીને, આપણું જીવન ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ.
મોટાભાગના માણસોને બીજા કોઈકની પ્રશંસા, બીજા કોઈકની હરીફાઈ, બીજાની ઈર્ષા જિંદગીના ખોટા માર્ગે દોડાવી જાય છે,પરંતુ ત્યાં તેમને માટે સુખ કે સંતોષના બદલે ખાલીપો અને નિરાશા જ પડયાં હોય છે.
માણસ જ્યારે પોતાના પિંડને અનુરૂપ, 'સ્વ'ભાવને અનુરૂપ કામ કરે છે, ત્યારે જ તેમાંથી તેને સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. બીજાની દેખાદેખી કે બીજાની પ્રશંસામાંથી તે ક્યારેય મળતાં નથી.
અને દરેક વ્યક્તિમાં કોઈક વિશિષ્ટતા તો હોય જ છે. એની એ વિશિષ્ટતા જ એની સાચી મૂડી હોય છે.
જોકે, હમણાં મારા એક મિત્રે મને આ રીતે કહ્યું હતું, "મારામાં તો કોઈ વિશિષ્ટતા નથી, કોઈ શક્તિ નથી, હું શું બની શકું? હું લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, પોલિટિશિયન, વેપારી, ઉદ્યોગપતિ, વૈજ્ઞાાનિક કશું જ બની શકું તેમ નથી. હું એક સામાન્ય માણસ છું."
એમની વાત એકદમ વિચાર કરવા જેવી છે. હજારો લાખો માણસોને એમ થાય છે કે, અમારામાં તો કોઈ વિશિષ્ટ શક્તિ નથી. અમે વળી શું બની શકીએ? અમે તો સામાન્ય માણસ છીએ, પરંતુ વિશિષ્ટ શક્તિ એટલે શું? માત્ર લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, કલાકાર, વિજ્ઞાાની બનવાની શક્તિ જેનામાં હોય એ જ વિશિષ્ટ શક્તિ ગણાય?
આ એક ભ્રમ છે અને આપણે ઊભાં કરેલાં ખોટાં જીવનમૂલ્યો ઉપર એ આધારિત છે. અમુક માણસોને આપણે સમાજમાં મહત્ત્વનું સ્થાન આપીએ છીએ. એને કારણે બીજા હજારો માણસો શક્તિ નહીં હોવા છતાં એમના જેવા બનવા પ્રયત્ન કરે છે અને એમની જિંદગી બરબાદ કરે છે. બહારથી એવા દેખાવા છતાં અને ઘણી વાર એવા હોવાની પ્રશંસા મેળવ્યા છતાં, એમની જિંદગી તો બરબાદ જ થાય છે, કારણ કે ખરેખર તેઓ એવા હોતા નથી. મનુષ્યનું મનુષ્ય હોવું અને બીજા કરતાં હોવું એ જ એની વિશિષ્ટતા છે.
સોક્રેટિસ કવિ નહોતો, ચિત્રકાર નહોતો, વિજ્ઞાાની નહોતો, છતાં એને આપણે યાદ કરીએ છીએ. કોઈ કહે કે, તે તો વિચારક અને ફિલસૂફ હતો.
મહાત્મા ગાંધી સંગીતકાર નહોતા, વિજ્ઞાાની નહોતા, કલાકાર નહોતા, સાહિત્ય, કલા, વિજ્ઞાાન, સંગીત, કોઈ ક્ષેત્રમાં એમનું કોઈ મૌલિક પ્રદાન નથી, ફિલસૂફના ક્ષેત્રમાં પણ નહીં છતાં માનવતાના ક્ષેત્રમાં એમણે જે પ્રદાન કર્યું છે તે કેવડું મોટું છે?
કોઈ એમ પણ કહી શકે કે, એ તો મહાત્મા હતા, મહાન હતા. બધા કાંઈ થોડા મહાત્મા ગાંધી, સોક્રેટિસ કે બુદ્ધ બની શકે?
બધા ચોક્કસ ગાંધી કે બુદ્ધ ન બની શકે, (કારણ કે એ તો માત્ર એમની વિશિષ્ટતા હતી), પરંતુ કોઈ પણ માણસ એ જે કાંઈ હોય તે 'સારામાં સારો' તો બની જ શકે અને કોઈ પણ સામાન્ય માણસમાં એની પોતાની જ કહી શકાય તેવી વિશિષ્ટતા અને અસામાન્યપણું તો હોય જ છે.
અને ખરાબ સંગીતકાર બનવા કરતાં સારા કારીગર બનવું સારું. કોઈ પણ વ્યક્તિ સારી ગૃહિણી, સારા પતિ કે પત્ની, સારાં માતા-પિતા, સારા મિત્ર કે સારા પાડોશી તો જરૂર બની શકે.
"હું તો સામાન્ય માણસ છું." એમ જ્યારે કોઈ કહે છે ત્યારે, 'માણસ' હોવું એટલે શું એની એને ખબર નથી હોતી.
પ્લેટોએ એક નાનકડી કથા લખી છે. એમાં પરલોકના જીવો આ ધરતી ઉપર આવીને જુદાં જુદાં ખોળિયાં ધારણ કરી, જુદાં જુદાં કાર્યો કરવાનાં શરૂ કરે છે. કોઈક કવિનું ખોળિયું ધારણ કરે છે, કોઈક કલાકારનું. આખરે, યુલિસિસ ધરતી પર આવે છે. "ઓહ!" તે કહે છે, "બધાં જ ઉત્તમ ખોળિયાં કામે લેવાઈ ગયાં છે, મહાન કાર્યો થઈ રહ્યાં છે. મારા માટે બાકી કશું જ રહ્યું નથી."
એ વખતે આકાશવાણી સંભળાય છે, 'જે ઉત્તમ છે, તે તારા માટે બાકી રહ્યું છે- એક સામાન્ય માણસનું ખોળિયું. એ ખોળિયામાં રહીને તારે સામાન્ય ભલાઈનું, સામાન્ય કામ કરવાનું છે.'
જે આપણને સામાન્ય લાગતું હોય છે તે ખરેખર અસામાન્ય હોય છે. ઉત્તમ પુરુષો જ તે કરી શકે છે.
આપણે જે કાંઈ હોઈએ તે સારામાં સારા બનીએ, જે કામ કરીએ તે સારામાં સારી રીતે કરીએ. જ્યાં રહીએ ત્યાં સારામાં સારી રીતે રહીએ. જીવનની આ લીલામાં આપણું પોતાનું સ્થાન આપણે શોધી લઈએ અને તેને દીપાવીએ.
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
(સંદેશ ૧૪/૦૬/૨૦૧૫ )

રવિવાર, 14 જૂન, 2015

જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય રીતે આવે જ છે


મૈં વિજેતા ઓર મુઝે જીત લિયા ગયા હૈ
મૈંને છુઆ હૈ, ઔર મૈં છુઆ ગયા હૂં
મૈંને ચુમા હૈ, ઔર મૈં ચુમા ગયા હૂં
મૈં વિજેતા હૂં ઔર મુઝે જીત લિયા ગયા હૈ
મૈં મિટા હૂં, મૈં પરાભૂત હૂં મૈં આત્મસાત્ હૂં
અમત્ય કાલજિત હૂં
- કવિ અજ્ઞય
(કાવ્યસંગ્રહ : ‘કીતની નાવો મેં કીતની બાર’)

‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ અદભુત ગુનેગારીનું પુસ્તક, જેના પરથી 30 ફિલ્મો ઊતરી છે. રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ ફિલ્મ બનાવેલી. ફયોદોર દોસ્તોયવસ્કીના જીવન અને કથનને જાણો- માનવીના જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય (ઈન એવિટેબલ) રીતે આવે જ છે. ‘માનવીએ આ રંગબેરંગી જિંદગીની મોજ માણવી હોય તો અનિવાર્ય રીતે (ઈન એવિટેબલી) પીડા અને દુ:ખો (પેઈન એન્ડ સફરિંગ) સહન કરવાં જોઈએ જ. અને તે માટે એવું હૃદય રાખવું જેમાં તે બધું સમાવી શકે. માન, અપમાન અને ધિક્કાર વગેરે- ‘ગ્રેટ મેન મસ્ટ હેવ ગ્રેટ સેડનેસ.’ મોટા માણસ ગણાવું હોય તો તમારે જિંદગીની જબ્બર ગમગીનીના ડુંગરામાં દટાવું પડે છે. મહાન રશિયન લેખક ફયોડોર દોસ્તોયવસ્કીએ તેની નવલકથા નામે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’માં આ કીમતી સૂત્રો લખ્યાં છે.
 
આજની મે, 2015ની નવી પેઢીના યુવાનો અને 50ને વટાવી ગયેલા વડીલો ફયોડોર દોસ્તોયવસ્કીનું નામ જાણતા હોય તો એમને હું ભાગ્યશાળી ગણું છું. 19મી સદીમાં જન્મેલા દોસ્તોયવસ્કીને ઊંચા મોભાવાળી અને પગારવાળી મિલિટરી- ડોક્ટર તરીકેની નોકરી હતી પણ તેણે તે બધું છોડીને કલમને પકડી. માત્ર 20 વર્ષની ઉંમરથી જ દોસ્તોયવસ્કીએ વાર્તા લખવાનું શરૂ ર્ક્યુ. 11-12-1821ના જન્મેલા (અને 9-2-1881મા મરેલા) દોસ્તોયવસ્કીએ લગભગ દોઢસો વર્ષ પહેલાં તેણે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ નવલકથા લખી અને તેના ઉપરથી હોલિવૂડમાં કોઈ કહે કે 30 તો કોઈ કહે કે 80 ફિલ્મો ઊતરી છે. પરંતુ આપણે તો ઘણી ઘણી હિન્દી ફિલ્મો પણ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ ઉપરથી ઊતરી તેમાં રાજ કપૂર અને માલાસિંહાની ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ જ યાદ છે.
 
આ ફીર સુબહ હોગી ફિલ્મનાં ગીતો યાદ છે. આખા હિન્દુસ્તાનને તેના સાવ કંઠસ્થ કરવા જેવાં ગીતોમાં મુકેશને ગળે ગાયેલું ‘વોહ સુબહ કભી તો આયેગી’ ગીત સતત આપણા કાનમાં 57 વર્ષથી ગુંજે છે. ભારતમાં સૌથી વધુ વકરો કરીને આ ફિલ્મે રૂ. 18000000 ભેગા કરેલા. ખૈયામ સાહેબે (મોહમ્મદ ઝાહુર ખૈયામ) આ ફિલ્મનું સંગીત આપેલું. આ ફિલ્મમાં ‘સારે જહાસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ એ ગીત ઉપરથી બીજું ગીત ‘ચીનો-આરબ-હમારા- હિન્દોસ્તાં હમારા’ રચાયેલું. તમે જુઓ કે દોસ્તોયવસ્કી સાહેબ તો તેની દિવ્યદૃષ્ટિથી 2015ની દુનિયા જોઈ ગયેલા પણ રાજ કપૂર અને તેના ગીતકારે પણ ચીન અને અરબસ્તાનને સત્તાવન વર્ષ પહેલાં આપણાં ગણ્યાં છે.
 
આપણા ભાજપના બુઝુર્ગ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તેમના સાથીદાર અટલબિહારી વાજપેયી (ભારતના ભૂ. પૂ. વડાપ્રધાન) સાથે આ ફિલ્મ જોઈ આવેલા. એટલે કે 1958માં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સખત પરાજય પામ્યા પછી દોસ્તોયવસ્કીની આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવેલી કે ‘ફીર સુબહ હોગી.’ આજે ભાજપને આંગણે એ સુબહ પાછી ઊગીને અાવી છે. વાજપેયીએ પોતે પણ કહેલું કે દોસ્તોયવસ્કીની વાર્તા ઉપરથી રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ એ ટાઇટલ કેટલું બધું પ્રોફેટિક છે! (ભાજપ) અરે માત્ર ભાજપ માટે જ નહીં પણ મારે તમારે સૌને માટે દોસ્તોયવસ્કીની આ વાર્તા સંદેશો આપે છે કે જિંદગીની પછડાટથી કદી જ કાયમ માટે હતાશ ન થવું-ફીર સુબહ આયેગી! દોસ્તોયવસ્કીનું જીવન મારા પોતાનાં સતત દુ:ખ-સુખની છાયાવાળા જીવનમાં પ્રેરણાદાયી છે અને તેના જીવનની વાર્તા કહેવાની આ કલમને પણ ખૂબ ખૂજલી છે. પણ મને દોસ્તોયવસ્કીની વાર્તા કરતા તેનાં કથનને કહેવાની વધુ ઉતાવળ છે. તેનાં કેટલાંક સુવર્ણ અક્ષરે લખવા જેવાં કથનો લખીને પછી તેમનાં સુખ દુ:ખના આટાપાટાવાળા જીવનને જોશું.
 
-    ‘હે માનવબંધુ! હંમેશાં ઘોર નિરાશામાં પણ આશા સાથે તું જીવ આ આશા વગર જીવવું તે જીવવાનું અટકાવી દેવા જેવું કામ છે.’
-    (મારા તરફથી હવે પછી લખેલા કથનમાં ટિપ્પણી મૂકું છું કે તમે જેને ચાહો તે વ્યક્તિમાં ઈશ્વરત્વ જુઓ- ખુદાનું તત્ત્વ જુઓ. તમારો પ્રેમ સફળ થશે). દોસ્તોયવસ્કીએ કહેલું કે- ‘તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો ત્યારે તેનામાં ઈશ્વરનુ તત્ત્વ જુઓ છો!’
-    ‘તમારે તમારા આત્માને લાગેલો ડાઘ કે આત્માની મૂંઝવણ ટાળવી છે? તો ઝાઝો સમય બાળકો સાથે રહો.’
-    ‘મારી આ વાત પ્લીઝ યાદ રાખો કે તમને તમારાં દુ:ખો, તકલીફો, કષ્ટો અને બીજા તરફથી થયેલા અન્યાયને વારંવાર યાદ કરવાની ટેવ છે તે સારી નથી. ખરેખર તો આપણે આપણા પોતાના સુખનું એક લિસ્ટ બનાવવું જોઈએ. હી મસ્ટ કાઉન્ટ હિઝ જોયઝ.’ (મને આ 85ની ઉંમરે આ સૂત્ર કામ લાગ્યું છે. મને પડેલી તકલીફોને હું યાદ કરતો નથી કે તેને માટે બીજાને જવાબદાર ગણતો નથી. દુ:ખ પલટાઈ જાય છે. ક્ષમાનું સુખ અનુભવાય છે).
- દોસ્તોયવસ્કીની આ સલાહ ઉપર વિચાર કરજો. હું પોતે એશિયામણવાળો છું. ‘આ જગતમાં હોશિયારમાં હોશિયાર કે ચતુરમાં ચતુર એ જ માણસ છે જે મહિનામાં એકાદ વખત પોતે સાવ મૂરખ છે તેમ માનતો હોય! મહિનામાં તમારે એક વખત તો મૂરખ જેવું કામ કરવું કે તમને પોતાને જ મૂરખ કહેવા.’
- દોસ્તોયવસ્કીનું આ કથન એકદમ ચોટડુક છે કે ‘માનવીની અડધી જિંદગીમાં બીજું કાંઈ હોતું નથી પણ તેની પ્રથમ અડધી જિંદગીમાં જે ટેવો પાડી હોય તેને બીજી અડધી જિંદગીમાં રિપીટ કરે છે.
દોસ્તોયવસ્કીનાં મૂલ્યવાન કથનો હવે થોડીવાર મુલતવી રાખીએ. તેના જીવનને જાણીએ.
-    દોસ્તોયવસ્કીનાં રશિયન માતા-પિતાને સાત બાળકો હતાં. દોસ્તોયવસ્કી બીજો દીકરો હતો. પિતા ગરીબ હતા એટલે દોસ્તોયવસ્કી ધર્માદાની હોસ્પિટલમાં 11-11-1821ના રોજ જન્મ્યા. એ પછી એક અનાથાલયમાં ઊછર્યા. પછી ત્યાંથી તેને કાઢી મુકાયા તો માત્ર એક પાગલખાનામાં જગ્યા હતી ત્યાં દોસ્તોયવસ્કીને રહેવું પડ્યું. આ બધી જગ્યામાં તેણે બચપણમાં જે જે કષ્ટો વેઠ્યાં તે તમામ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’મા વાર્તારૂપે વાપર્યાં છે.
-    તેનાં માતા-પિતા જીવતાં હતાં ત્યાં સુધી તેમની સાથે દોસ્તોયવસ્કીને બનતું નહીં. પિતા સાથે ઝઘડીને તે પાગલની હોસ્પિટલ અને યતિમખાનામાં જઈ ત્યાંના લોકોને ખૂબ ખૂબ ગમે તેવી વાતો અને વાર્તા કહેતા. નવ વર્ષની ઉંમરે તેમને વાઈ-ફેફરુંનું દર્દ થયું તેના અનુભવો પણ વાર્તામાં દોસ્તોયવસ્કીએ લખ્યા છે (ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ).
-    મિલટિરી એન્જિનિયરિંગ સંસ્થામાં 16ની ઉંમરે ભણતા હતા ત્યારે માતા મરી ગયાં. માતાને ટીબી થયો હતો. મહાન મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રાેઈડે કહેલું કે ‘કોઈ પણ પુત્ર કે પુત્રીને પિતા (અગર) માતા તરફથી બાળકને કડવા અનુભવો થાય તેના જેવું કોઈ કષ્ટ નથી અને તે તમને કવિ કે લેખક બનાવે છે. જેને ખુદ પિતા તરફથી કષ્ટ વેઠવું પડે છે તે વ્યક્તિ જરૂર કથાકાર કે કવિ બને છે.
-    સ્કૂલમાં હતા ત્યારે દોસ્તોયવસ્કીએ વિલિયમ શેક્સપિયર, ટી. એ. હોફમેન, વિક્ટર હ્યુગો, બ્લેઝ પાસ્કલ વગેરે ધુરંધર લેખકોને વાંચી કાઢેલા. એટલે જ હું મારા દિવ્ય ભાસ્કરના વાચકોને કહું છું કે દુ:ખથી ભાગો નહીં અને ખાસ તો સતત સતત ખૂબ વાચન રાખો. લાઈબ્રેરીને તમારા મનના ખોરાકની ‘રેસ્ટોરાં’ બનાવો!
-    સત્તરમી સદીમાં (1623થી 1662) થઈ ગયેલા મેથેમેટિશિયન અને ફિલસૂફ સંત બ્લેઈઝ પારકલે કહેલું કે ‘કોઈની સાથે વાત કરો તો માયાળુ બની પ્રેમાળ વાક્યો જ બોલો. માયાળુ બનવામાં કાંઈ જ ખર્ચવું પડતું નથી. પણ ઘણું બધું મેળવાય છે. આ સૂત્રને દોસ્તોયવસ્કી પાળતા. દોસ્તોયવસ્કી પ્રત્યે કડવા કે ક્રૂર થનાર પ્રત્યે પણ દોસ્તોયવસ્કી માયાળુ રહેતા. અરે ઊલટાની મદદ કરતા.
-    1849માં દોસ્તોયવસ્કીના ક્રાંતિકારી વિચારો માટે તેને જેલમાં નખાયા. ત્યાં માત્ર રાબ પીને જીવ્યા. છૂટ્યા પછી પણ તે રશિયાના ઝાર નિકોલસના સરમુખત્યારીના ટીકાકાર રહેવા લાગ્યા એટલે ફરી જેલમાં નાખ્યા. આ ચાર વર્ષની જેલ અને તેમાં હાર્ડલેબરને કારણે તેનું શરીર કથળી ગયું અને 60ની ઉંમરે તેનો દેહાંત થયો.
-    તેના જીવનની આ ઘટના તેને માટે પણ દુ:ખદાયી છે કે 1864માં 43 વર્ષની ઉંમરે તેનાં પત્ની મરી ગયાં ત્યારે શરીરથી જ નહીં પણ આર્થિક સ્થિતિમાં કથળી ગયા. તેના ખોટા ઈલાજ તરીકે તે જુગાર રમવા માંડ્યા અને હારી જ જતા એટલે ડિપ્રેશનમાં આવી જતા. અને કમાલ જોઈ લો કે દેવાનો ભાર અને ગેમ્બલિંગથી આવેલા ડિપ્રેશનમાં તે વધુ સારું લખી શકતા! લેણદારોના સકંજામાંથી છૂટવા તે યુરોપ ભાગી ગયા અને ત્યારે 46 વર્ષની ઉંમરે તે 20 વર્ષની સાહિત્યપ્રેમી સુંદરી અન્ના તેના પ્રેમમાં પડ્યાં અને અન્નાના પ્રેમે તેને ચૌદ વર્ષ જિવાડ્યા. તેમનું અંતિમ વાક્ય હતું પ્રેમ તમને માણસ બનાવે છે. પ્રેમ નથી મળતો ત્યારે તમે કંઈ હોતા નથી.
દોસ્તોયવસ્કીનો સંદેશો હતો કે ગુનેગારને સજા કરતાં પહેલાં તેને ક્યા સંયોગોએ ગુનેગાર બનાવ્યો તેના ઉપર ઊંડો વિચાર કરો. સમાજ તેને માટે કેટલો જવાબદાર છે? તે વિચારો

ચેતના ની ક્ષણે - કાંતિ ભટ્ટ
( દિવ્ય ભાસ્કર ૦૭/૦૬/૨૦૧૫) 

ભોગી બનવા માટે પહેલાં યોગી બનવું પડે


"ગુજરાતી ભાષામાં ગાંઠિયા તથા એનાં વિવિધ સ્વરૂપો માટે સેવ, પાપડી, ફાફડા, રતલામી, ભાવનગરી વગેરે કુલ દોઢ ડઝન કરતાં વધુ વિકલ્પો છે. આપણી પાસે ધન, લક્ષ્મી, પૈસા, રૂપિયા, દામ વગેરે માટે એથીય વધુ શબ્દો છે, પણ આપણી માતૃભાષામાં હિંમત, સાહસ, કસરત, તાકાત, થાક કે પરસેવા માટે શાબ્દિક માંડ બે-ત્રણ પર્યાયો છે."
આ શબ્દો મેં એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યા હતા. એવરેજ ગુજરાતીની ફિઝિકલ ફિટનેસનો સ્તર, એનું શૌર્ય અને એની શારીરિક તાકાતનો ઇન્ડેક્સ અન્ય ભારતીયોની સરખામણીએ કેટલો મૂકી શકીએ? તમને ખબર છે.
ગુજરાતી પ્રજા શારીરિક દૃષ્ટિએ માયકાંગલી છે એવી છાપ શું કામ છે? મોટાભાગના ગુજરાતીઓ શાકાહારી છે એટલે? ભારતની બીજી પ્રજાઓ આપણને 'દાળભાત ખાઉ' તરીકે ઓળખે છે. શરીર સુદૃઢ કરવા માંસાહાર જરૂરી છે એવા ભ્રમમાં તો ગાંધીજી પણ એક ઉંમરમાં હતા. એમના દોસ્તોના કહેવાથી એમણે માંસાહાર ટ્રાય કર્યો હતો, એવી કબૂલાત કરેલી છે.
શારીરિક સ્વાસ્થ્યને કે તાકાતવર શરીરને માંસાહાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબા રામદેવ સંપૂર્ણપણે શાકાહારી છે. ફોર્ટી પ્લસની ઉંમરે કુશ્તીમાં એમના કરતાં અનેકગણા મજબૂત દેખાતા યુવાનને હરાવી શકે છે. શરીરના સુદૃઢપણાને ખોરાક કરતાં વધારે નિસબત ખોરાકની આદતો સાથે છે, લાઇફસ્ટાઇલ સાથે છે.
નાસ્તામાં ગાંઠિયા-ચેવડા ખાઈને શરીર સુદૃઢ બનતું નથી. આખો દિવસ બાઇક પર રખડીને કે ખુરશીમાં બેસીને બોડી બિલ્ડિંગ થતું નથી. ગુજરાતીઓમાં જ નહીં, ભારતની મોટાભાગની પ્રજાઓમાં શારીરિક સ્વાસ્થ્ય માટેની સભાનતા ખૂબ મોડી આવી. અમેરિકા-બ્રિટનની પ્રજાઓ જ્યારે આ બાબતમાં ખૂબ આગળ નીકળી ગઈ હતી ત્યારે ભારતના આમ આદમીઓ આ ક્ષેત્રે પહેલું ડગલું ભરતા થયા. રાજા-મહારાજાઓના કાળમાં અખાડા અને વ્યાયામશાળાઓ હતાં તે સિલેક્ટેડ ફ્યુ માટે, રાજ્યના મલ્લ અને સૈનિકો માટે,આમ પ્રજા માટે નહીં.
૧૯૬૦ના દાયકામાં ભારતમાં કસરત માટેનું એક સાધન વેચાતું 'બુલવર્કર'. રીડર્સ ડાયજેસ્ટમાં એની એડ આવતી. વી.પી.પી.થી ઘેરબેઠાં મંગાવી શકાતું. નાની ઉંમરે 'બુલવર્કર'ના બેઉ છેડા એકબીજા સાથે પ્રેસ કરીને એક ઇંચ પણ સરકાવી શકાતું નહીં. એની બેઉ બાજુના પ્લાસ્ટિકમાં દોરડાં ગમે એટલાં ખેંચો, સહેજ પણ ખસકતાં નહીં અને પાડોશના તાકાતવર મહારાષ્ટ્રીયન ગેઝેટેડ ઓફિસર છ-છ ઇંચ જેટલું દબાવતા ત્યારે એમના બેઉ હાથના ગોટલા ઉપસી આવતા.
વર્કઆઉટ કરવા માટે તે વખતે નાની-મોટી વ્યાયામશાળાઓ રહેતી. શહેરોમાં જિમ્નેશિયમનો ટ્રેન્ડ મુંબઈના 'તલવલકર્સ'થી શરૂ થયો. ૧૯૭૦ના અરસામાં એની પહેલી શાખા ઘરની સામેના જ મકાનમાં ખૂલી ત્યારે હું એ જિમનો સૌથી નાની ઉંમરનો મેમ્બર હોઈશ. આજે તો હવે તમામ શહેરોમાં ડઝનથી વધુ જાણીતી ફ્રેન્ચાઇઝીવાળાં જિમ ખૂલી ગયાં છે. વિદેશથી મંગાવેલાં આધુનિક સાધનો પર પરસેવો પાડીને ફિટનેસ જળવાય છે.
આ તમામ જિમને, એના ટ્રેનર્સને અને રેગ્યુલરલી જિમિંગ કરતા તમામ લોકોને સલામ, પણ એક વખત, માત્ર એક જ વખત જિમ છોડીને ઘરમાં વ્યાયામ કરી જુઓ. ભારતના સૌથી જાણીતા નેચરોપથી સ્વ ડો. મહેરવાન ભમગરા જિમ્નેશિયમના વિરોધી હતા. ઘરમાં બારસાખ સાથે એક દાંડો ફિટ કરીને તમે જિમ જેટલી જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ કરી શકો છો એવું એ કહેતા અને શિખવાડતા પણ ખરા. જિમના બંધિયાર અને ક્યારેક પ્રદૂષિત વાતાવરણમાં શરીરને લાભ થવાને બદલે નુકસાન થઈ જતું હોય છે. પ્રોપર ટ્રેનિંગ ન હોય તો વેઇટ્સ ઊંચકતી વખતે કમર, ગરદન, સાંધાઓને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
યોગાસન આપણે દુનિયાને આપેલી ભેટ છે. ભારતમાં આમ પ્રજા યોગસાન કરતી થઈ એ પહેલાં આપણા યોગગુરુઓ વિદેશોમાં જઈને ત્યાંની પ્રજાને એનું ઘેલું લગાડી આવ્યા. ગુજરાતમાં વડોદરા નજીકના કાયાવરોહણમાં સ્વામી કૃપલાનંદજીનો નાનકડો આશ્રમ. કૃપાલુ મહારાજ તરીકે સૌ કોઈ ઓળખે. આજે તો ઘણું મોટું તીર્થસ્થળ બની ગયું છે. કૃપાલુ મહારાજે લખેલું યોગાસન વિશેનું એક સચિત્ર પુસ્તક અમારા ઘરમાં. 'તલવલકર્સ' શરૂ થયું એ જ ગાળામાં આ પુસ્તકનાં પાનાં ફેરવતો. કૃપાલુ મહારાજે પોતે તમામ યોગાસનો કરીને પડાવેલા ફોટા એમાં બતાવેલા. અસંખ્ય તસવીરો છપાવેલી. આજે સમજાય છે કે ઓફસેટ પ્રિન્ટિંગ નહોતું એ જમાનામાં ઝિંકના બ્લોક્સ વડે છાપેલી આટલી બધી તસવીરોને કારણે છપાઈ કેટલી મોંઘી થઈ હશે.
કૃપાલુ મહારાજથી લઈને બાબા રામદેવ સુધીના અનેક અધ્યાત્મ ગુરુઓએ ભારતમાં અને ભારતની બહાર યોગનો પ્રચાર કર્યો છે. જિમિંગની સામે કોઈ મોટો વિરોધ નથી, પણ એક વાર ઘરમાં સૂર્યનમસ્કાર કરી જુઓ. પદ્ધતિસર શીખવા માટે યુ-ટયૂબ પર સર્ચ કરી શકો છો. માત્ર ચાર (યસ, માત્ર ચાર) સૂર્યનમસ્કાર જો પદ્ધતિસર અને પૂરતો સમય આપીને કર્યા હશે તો શરીરમાંથી એટલો જ પરસેવો છૂટશે જેટલો અડધો કલાકના રિગરસ જિમિંગ પછી તમને થતો હોય છે.
યોગાસન ધીરજ માગી લે છે. મનની શાંતિ માગી લે છે. કાનમાં અવાજનાં પૂમડાં ભેરવીને જિમિંગ થઈ શકે. કેટલાક આધુનિક જિમમાં હજુ મુખ્ય દરવાજો ખોલો ત્યાં જ ડિસ્કોમાં પ્રવેશતા હો એવું ધડામધુડુમ મ્યુઝિક સંભળાય. એવા સંગીત સામે પણ વ્યાયામ કરવાની મજા આવી શકે, પણ મન તદ્દન નીરવ શાંતિ મહેસૂસ કરતું હોય એવા ઘરના પોતીકા વાતાવરણમાં યોગાસન કરી જુઓ. સૂર્યનમસ્કારથી શરૂ કરવું. શરીર જ નહીં મન પણ રિલેક્સ થઈ જશે.
યોગગુરુ બાબા રામદેવની ઘણી મિમિક્રીઓ થાય છે. જેમની લોકપ્રિયતા વધતી જાય એમની મજાકો તો થવાની જ. ભલે, પણ એક દાયકા પહેલાં ખુદની ટીવી ચેનલ કરીને એમણે યોગનો સૌથી વધુ પ્રચાર કર્યો છે આ દેશમાં. આનો અર્થ એ નથી કે ભારતના બીજા યોગગુરુઓનું પ્રદાન આપણે ગણકારતા નથી, પણ આટલા મોટા પાયે અને તદ્દન સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એવો પ્રચાર કરવામાં બાબા રામદેવ પ્રથમ સ્થાને છે.
આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ભારત માટે આ ઘણો મોટો દિવસ છે. ભારતની સંસ્કૃતિ હવે ધીરે ધીરે પણ મક્કમ પગલે દુનિયાભરમાં આદર પામતી થઈ ગઈ.
આપણે ગુજરાતીઓ પૈસા તો બનાવીએ, ખૂબ બધા બનાવીએ, પણ એ પૈસાથી મળતાં સુખ-સગવડોને માણવા બોડી પણ બનાવીએ. કોઈ રોગિષ્ઠ શરીરવાળી વ્યક્તિ ભોગી નહીં બની શકે. ભોગી બનવા માટે પહેલાં યોગી બનવું પડે, તો જ ભોગ ભોગવવાની મજા આવે. બરાબર એક અઠવાડિયું બાકી છે. હવે આ છાપું બાજુએ મૂકીને યોગાસન કેવી રીતે કરવાં એ માટે ગૂગલ સર્ચ કરીએ. વિશ્વ યોગ દિવસને હજુ અઠવાડિયાની વાર છે. મને ખાતરી છે કે સાત દિવસ પછી તમે કમ સે કમ પહેલાં માળના તમારા ફ્લેટ સુધી પહોંચવા માટે લિફટની આદત તો છોડી જ દેવાના.
પાન બનાર્સવાલા
અદોદળા અને સ્થૂળ માણસો હસમુખા સ્વભાવના હોય છે, કારણ કે ન તો તેઓ લડી શકે છે, ન દોડી શકે છે.
થિયોડોર રૂઝવેલ્ટ
(ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ)

તડકભડક : સૌરભ શાહ
(sandesh 14/6/2014)

શુક્રવાર, 12 જૂન, 2015

જ્ઞાની સમજીને આચરણ કરે છે, અજ્ઞાની જે આચરણ કરે છે એને સાચું માને છે

આ જગતમાં જ્ઞાની પુરુષો ખૂબ સ્વસ્થતાથી જીવે છે, કારણ કે તેઓ સમજીને, વિચારીને, જે સાચું હોય તેનું આચરણ કરતા હોય છે. જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે, કારણ કે તેઓ જે આચરણ કરે તેને સાચું માનતા હોય છે. 

એક પિતાને ત્રણ પુત્રો હોય તેમાં જે સૌથી વધુ સમજદાર હોય તે સૌથી વધુ દુ:ખી હશે. નાના ભાઈને ભણાવવાની, બહેનને પરણાવવાની, પરિવારના સભ્યોની જીવન જરૂરિયાતની તેને ચિંતા હશે. બાકી તમાકુપાન ગલોફે ચડાવી, બીડીની સટ મારી પોતાનું ખમીસ મિત્રોને સોંપી અંડરવેર વરાણીએ સિનેમાથિયેટર પર સ્ટન્ટ ફિલ્મની ટિકિટ લેવા ભીડમાં જે મર્દાનગી બતાવતો હોય તેને કાંઈ ચિંતા ન હોય. પિતા વૃદ્ધ થયા છે, હવે બધુ ઢસરડો કરી શકે તેમ નથી. સંયુક્ત કુટુંબના ગાડાના આ બેલને હવે આંબલીને છાંયે બેસીને આરામ કરવાની જરૂર છે. નીરણની જરૂર છે. વીતી ગયેલી જિંદગીના અતીતને હવે તો તેને વાગોળવા દ્યો. આવું ભાન મૂર્ખાના પુત્રને નથી હોતું. અમારે મથુરનો દીકરો દામોદર આવો મૂર્ખ હતો : જે આચરણ કરતો તેને સાચું માનતો. 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો પણ દામોદર ભણે તો ને? એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો, ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી ભટકાડીને બારણાં તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો, અલીફ-બે-પે-તે શીખે થે વહી કુરાન પઢને કો, અલીફ-બે-પે-તે તો કુરાને શરીફ પઢવા માટે શીખ્યા હતા, કખગઘનું ભણતર તો સુવાક્યો લખવા માટે ભણ્યા હતા. એબીસીડી શેલી અને કીટ્સનાં કાવ્યો વાંચવા શીખ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યાં નહીં. 

એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો હરિભાઇને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદર નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો હવે મગન પણ વિઠ્ઠલ માથે પછાડો તો ઘોબો ન પડે તેવો. મગન કહે, "હું પહેલો દરવાજામાંથી નીકળું" અને દામોદર કહે, "વાતમાં માલ શું છે?" 

બંને વાદે ચડ્યા પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોભમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું "બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે કે "હું પહેલો નીકળું." તે બાપા, એમ કોઈને મારગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું." મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, "તું ઘરે જા લાવ તપેલી. હું ઊભો રહું છું." મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, "તારો બાપ ભલેને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાધિ લે, પણ ઘી તો ઘરે સળગાવવું'તું." દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે. તેમાં ઘી જરૂરી નથી એટલે તે પાછો દરવાજે આવ્યો અને અને બોલ્યો. "બાપા હવે તમે ઘી લઈ ઘરે જાઓ, હું અહીં ઊભો છું. " ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો. 

આવો ઉદ્દંડ, તોફાની, માર ખાઈખાનૈ કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ ૯-ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો,આંખોમાં કોઈ શરારત - કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, "કેમ મોડો આવ્યો ?" દામોદરે કહ્યું "સાહેબ, રાંધવામાં મોડું થઇ ગયું." મેં કહ્યું, "તારે રાંધવાનું કામ કરવું પડે છે ?" દામોદરે કહ્યું, "હા, સાહેબ." મેં કહ્યું, "હા સાહેબ," મેં કહ્યું, "પણ શા માટે? તારી બા નથી રાંધતાં?" મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. "સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી મા મને મૂકીને ચાલી ગઈ." મેં કહ્યું, "અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું?" દામોદર કહે, "દાઝી જવાથી, અહીં દવાખાને લઇ ગયા. પછી રાજકોટ લઇ ગયા, પણ સાહેબ મારી માતા ન બચી શકી." આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો. પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું, "મરતાં કરતાં તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, "હા મો કહ્યું "બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે." 

દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અને બંને રડ્યા, દામોદર નવમા ધોરણમાં છઠ્ઠે નંબરે પાસ થયો અને એસ.એસ.સીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું, માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલાઈ અને વર્તન બદલાઈ ગયું. પરંતુ વિઠ્ઠલના પુત્ર મગનના જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટી, તેથી તે એમનો એમ રહ્યો, વિઠ્ઠલની જેમ જ. 

અમારા ગામમાં વીર વિક્રમની વાતો એટલી વિઠ્ઠલની વાતો. એ વખતે વિઠ્ઠલ હજી વાંઢો, પીળા હાથ નહીં થયેલા.કન્યાની તલાશમાં વિઠ્ઠલે આજુબાજુની ભોમકા ધમરોળી નાખેલી, પણ ક્યાંય મેળ પડેલો નહીં. વિઠ્ઠલનું રડ્યુંખડ્યું બધું કન્યાપ્રાપ્તિના પ્રયાસમાં ખર્ચ થઈ જતું. વિઠ્ઠલની લગ્નોત્સુક અવસ્થાનો લાભ લઈ કોઈ ચા પી જતું, કોઈ પાન-સિગારેટનો જલસો મારી જતા, કોઈ વળી મોટી લાલચમાં નાસ્તાનો વેત કરતા તો અમુક તો વિઠ્ઠલને આંબા-આંબલી દેખાડી દૂરના ગામના ભાડાના આવવા-જવાના પૈસા મેળવી પોતાનાં કામ કરી આવતા. અમારો પણ આમાં સમાવેશ થતો, પણ એક દિવસ અમે જરાક વધુ પડતી મશ્કરી કરી નાખી. અમે ભેગા થઈ પ્રથમ તો વિઠ્ઠલને સમજાવ્યો. "જો વિઠ્ઠલ, સગપણ થશે કે તરત જ જાડી જાન જોડવી પડશે. કન્યાવાળા ઉતાવળ કરશે, એટલે આપણાથી આનાકાની નહીં થાય, જાનમાં ગામના પ્રતિષ્ઠિત માણસો જોશે જે કાયમ બધાના ફુલેકામાં હોય છે તે બધા.'' વિઠ્ઠલ કાંઈ બોલ્યો નહીં, પણ પોતાના વિશે થતી આવી શુભ મંગલ વાતોથી માત્ર શરમાણો અને "તમે જે કહો તે" આવું બોલી અમને લીલી ઝંડી આપી. અમે કહ્યું, "પ્રથમ તો આપણે જમણવાર યોજી, સૌ મોટા મોટાનાં મોંઢાં ભાંગી નાખીએ, જેથી જાનમાં આવવાના પ્રસંગે કોઈ આનાકાની ન કરી શકે." સ્નાનકવાસીજૈન ભોજનશાળા નક્કી કરવામાં આવી. અમરશી અને રવજી ભગતે ભોજનની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. અમારા ડાયરાએ શું બનાવવું તેની યાદી તૈયાર કરી. ત્રણ મિષ્ટાન્ન, બે શાક અને કઠોળ, દાળ, ભાત, સંભારો, પાપડ અને છેલ્લે છાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પહેલેથી છેલ્લે સુધી બધું બરાબર ગોઠવાઈ ગયું. આમંત્રણો આપવામાં આવ્યાં. જમણવારનો શુભ દિવસ આવ્યો. જમવા આવનાર સાથે સંબંધીઓને પણ વિઠ્ઠલને સારું લાગે એમ સમજી લેતા આવ્યા. મોટા મોટા માણસોને જમવા આવતા જોઈ પ્રથમ તો વિઠ્ઠલ હરખાણો, સૌને આદરસત્કાર આપવા બારણે ઊભો રહ્યો. આવનારસૌએ વિઠ્ઠલની પ્રશંસા કરી. કોઈએ તેનો ઉદાર સ્વભાવ વખાણ્યો, તો કોઈએ તેની સેવાભાવી વૃત્તિ. પરંતુ જમનારા જેમ જેમ વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલનો પ્રશંસાનો નશો ઊતરતો ગયો અને છાતીમાં પાટિયાં ભીંસાતાં હોય એવું મંડ્યાં લાગવા. પંગતો પડી, થાળીઓ મુકાણી, પીરસવાવાળા જુવાનોએ વાનગી પીરસી દીધી. ડો. મેંઢા સાહેબે શ્લોકો બોલાવ્યા. સૌ જમવાનું શરૂ કરેત્યાં વિઠ્ઠલે એવી મરણપોક મૂકી કે સૌના શ્વાસ થંભી ગયા. કોળિયા હાથમાં રહી ગયા. અમે દોડ્યા. વિઠ્ઠલને પૂછ્યું, "શું થયું? વિઠ્ઠલ શું થયું?" વિઠ્ઠલ રોતાં રોતાં કહે, "બધા ભેગા થઈ મારું ખાઇ ગયા." અમે કહ્યું, "બોલ મા મૂંગો રહે..." પરંતુ વિઠ્ઠલના વાણી અને વિલાપને રોકી શકાય તેમ નહોતો. "એ મને ઊંડા કૂવામાં ઉતારી વરત કાપી, મારી મરણમૂડી એક ટંકમાં ઉડાડી ગયા, મને ભોળાને ભરમાવ્યો." " 

વિઠ્ઠલનું હૈયું વાણીમાં ઠલવાયે જતું હતું. વિઠ્ઠલ કરતાં પણ મોટી મૂંઝવણ ભાણે બેઠેલાની થઈ. અમુકને થયું. વિઠ્ઠલની અવળવાણી સાંભળી ભાણા પરથી ઊઠી જવું, તો અમુકનો મત એવો હતો કે અજ્ઞાનીનાં ઓરતાં ન હોય એમ માની વિઠ્ઠલના બોલ્યા સામું ન જોતાં અન્નનો અનાદર કર્યા વગર શાંતિથી જમી લેવું. જ્યારે અમુકે નક્કી કર્યું કે સૌને નોતરી આવી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ. વિઠ્ઠલનો વિલાપ કોઈને જંપવા દે તેમ ન હોવાથી હું, વનેચંદ અને ઠાકરશી વિઠ્ઠલને સમજાવવાં માંડ્યા, "બોલ વિઠ્ઠલ, કેટલું ખર્ચ થયુંછે ?" વિઠ્ઠલ કહે, ત્રણ હજાર તો થઈ ગયા છે. હવે પરણીશ કઈ રીત ? તમારું..." અમે કહ્યું, "શાપ દે મા વિઠ્ઠલ વાત તો ત્રણ હજારની છે ને ? તું ધરપત રાખ, સૌ સારાં વાના થઈ જશે" ચૂંટણીના સમયે ઉમેદવારો આપે છે તેવાં આશ્વાસનો અમે આપ્યાં, પણ તેની વિઠ્ઠલ પરકોઈ અસર ન થઈ. છેવટે ઠાકરશી સાકરિયાએ હિસાબ કરી સૌ પાસેથી અગિયાર રૂપિયા ઉઘરાવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તરત પસાર થયો અને અમલ શરૂ કર્યો. 

મેં પંગત વચ્ચે ઊભા થઈ ભાષણ કર્યું, "ભાઈઓ, મુરબ્બીઓ, મિત્રો ! વિઠ્ઠલનું દુ:ખ એ તેના એકલાનું નથી. કાંઈ પણ પ્રસંગ ન હોવા છતાં તેને આપણને સૌની હાથધરણું કરી પાડવાનો છે." સૌએ પ્રસ્તાવ સ્વીકાર્યો. અમુકે અગિયારને બદલે એકાવન આપ્યા. અમુકે માત્ર પાંચ જ આપ્યા તો અમુકે વળી ડોળા કાઢી માત્ર જમવાનું ચાલુ રાખ્યું. દાળ પીરસાય તે પહેલાં નાણું એકત્રિત કરવામાં આવ્યું. સત્યાવીસસો જેવી રકમ ભેગી થઈ. મોટા મોટા પાસેથી આગ્રહ - વિનવણી કરી રૂપિયા ત્રણ હજાર ભેગા કરી સુપરત કર્યા ત્યારે તે છાનો રહ્યો. રકમ કબજે કર્યા. પછી વિઠ્ઠલ સાચો હરખાણો અને નીકળી પડ્યો પંગતમાં સૌને આગ્રહ કરવા- "જમો મારા વા'લા પ્રેમથી જમો." 

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૦૭/૦૬/૨૦૧૫ )