લેબલ જીવનચરિત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જીવનચરિત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 12 જૂન, 2015

"જે માર્ગે જવું ત્યાં સહેજ પણ ખચકાટ વિના જવું"

પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કન્ફ્યૂશ્યસ કરતા નહીં
કોઈ પણ ચબરાકીભર્યું તત્ત્વચિંતન ધરાવતું વાક્ય કોણે લખ્યું છે એ શોધવાની તમારે મહેનત ન કરવી હોય ત્યારે એ ક્વોટેશનની નીચે કન્ફ્યૂશ્યસનું નામ લખી દેતા ઘણાને મેં જોયા છે. કન્ફ્યૂશ્યસ, બર્નાર્ડ શો, ર્ચિચલ, માર્ક ટ્વેન કે ગાંધીજીના નામે ચડેલાં અડધોઅડધ સુવાક્યો એમનાં પોતાનાં નહીં હોય. સોર્સ જાણ્યા વિના આડેધડ આ કે અન્ય મહાપુરુષોને ટાંકવા અપરાધ છે.
કન્ફ્યૂશ્યસની અનેક સૂક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું? ચીનના આ વિચારક, તત્ત્વચિંતકની અટક ક્યુ હતી. અઢી હજાર વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે ૫૫૧માં એમનો જન્મ અને ૭૩ વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ૪૭૯માં એમનું અવસાન. ચાણક્યની જેમ કન્ફ્યૂશ્યસ રાજનીતિના પણ અચ્છા જાણકાર હતા. શિક્ષણશાસ્ત્રના જ્ઞાાતા તો હતા જ. ચીનમાં સૌ પ્રથમ વાર એમણે ખાનગી (અર્થાત્ પ્રાઇવેટ, સિક્રેટ નહીં) કે શાસનની મહેરબાની વિના ચાલતી શાળાઓમાં વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા શરૂ કરી.
પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. કન્ફ્યૂશ્યસે પોતે બાળપણમાં કુટુંબમાં ગરીબી હતી એટલે કિશોર અવસ્થામાં જ ખપ પૂરતી એક સરકારી નોકરી લઈ લીધી હતી. વર્ષો સુધી રાજ્યમાં ઊંચાં પદો શોભાવ્યાં પછી પચાસેક વર્ષની ઉંમરે લુ રાજ્યના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડયું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુ રાજ્યના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા.
કન્ફ્યૂશ્યસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું, ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ. આ ગ્રંથો હતાઃ ૧ 'કાવ્યગ્રથ' જેમાં કવિતાઓ, ગીતો તેમજ ચીની ભજનોનું સંકલન છે. ૨. 'ઇતિહાસગ્રંથ' જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. 'કર્મકાંડનો ગ્રંથ' જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૪. 'વસંત અને પાનખરની તવારીખ'ના નાામે પ્રચલિત છે, જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. 'પરિવર્તન વિશેનો ગ્રથ' જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્વ વિશેના કાયમી તેમજ બદલતાં તત્ત્વોની, વિચારોની છણાવટ છે.
આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં કન્ફ્યૂશ્યસના મૌલિક વિચારો દ્વારા થતાં વિશ્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. કન્ફ્યૂશ્યસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારો એકત્રિત કરીને 'કન્ફ્યૂશ્યસનાં બોધવચનો' નામનો ગ્રંથ તૈયાર કર્યો. કન્ફ્યૂશ્યસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બેહજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઇતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.
કન્ફ્યૂશ્યસની અવલોકન શક્તિ અદ્ભુત હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી તેઓ શીખતા રહેતા અને કહેતાં, "જો હું બે માણસની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું અને બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં."
ચિંતકો-વિચારકોમાં સામાન્યતઃ જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો કન્ફ્યૂશ્યસમાં અભાવ છે. એ કહે છેઃ "હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્વરીય વિદ્વત્તા છે કે હું સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાનું હોય તો માત્ર હું એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું, તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!"
કન્ફ્યૂશ્યસના આ વચન વિશે એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણી કરી, "પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો અસમર્થ છીએ."
કેટલાય લોકોની ફરિયાદ હોય છે, "મને કોઈ સમજી શકતું નથી." આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને કન્ફ્યૂશ્યસની આ વાત યાદ રાખવા જેવી છે. "બીજાઓ મને ન ઓળખે તેનું દુઃખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુઃખ થાય."
શિષ્યોનાં ટોળેટોળાં ભેગાં કરવામાં માનનારા મહારાજો-પંડિતો એવો વિવેક દાખવતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં.
કન્ફ્યૂશ્યસ આ બાબતમાં તદ્દન સ્પષ્ટ છે. "જેઓ બોધ ગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી, પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી, અમુક વિષયની એક દિશા હું દેખાડુું એ પછી બાકીની ત્રણ દિશાને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતી નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી."
એક વખત કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ સ્થાનિક માણસે બૂમ પાડીને વ્યંગમાં કહ્યું, "મહાન કન્ફ્યૂશ્યસ આવા તે વળી કેવા ફિલસૂફ! પોતે મહાપંડિત હોવા છતાં ખૂબ બધી આમદની મળે એવી નોકરી દ્વારા કીર્તિ હાંસલ કરી શકે એવી એમનામાં કોઈ લાયકાત નથી!"
આ સાંભળી કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો તરફ વળ્યા અને બોલ્યા, "હું શું કામ નોકરી કરું? કાં તો હું સારથિ બનીને રથ હાંકું, કાં પછી યોદ્ધો બની જાઉં અને ધનુષ્ય લઈને બાણ છોડવા માંડું. હું તો રથ હાંકવાનું જ કામ કરીશ. કન્ફ્યૂશ્યસે શ્રીકૃષ્ણ, મહાભારત અને ભગવદ્ગીતા વિશે સાંભળ્યું હશે?"
લુ રાજ્યના રાજાએ જ્યારે એમને ન્યાયમંત્રીની જવાબદારી સોંપી હતી, ત્યારે કન્ફ્યૂશ્યસે પોતાની ફરજ બજાવતાં એક વખત કહ્યું હતું, "મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચઢિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે."
ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. કન્ફ્યૂશ્યસે કહ્યું, "મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસ કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે."
ડાયો માણસ બોલવામાં ધીમો અને કામ કરવામાં ઉતાવળો હોય છે એવું કન્ફ્યૂશ્યસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યનું નામ ફેન ચિહ. આ શિષ્યે પૂછયું, "ડહાપણ શેમાં રહેલું છે?" કન્ફ્યૂશ્યસે જવાબ આપ્યો, "મનુષ્યો સાથેના વહેવારમાં પ્રામાણિકતાને તમારું ધ્યેય બનાવો અને સઘળાં અલૌકિક તત્ત્વો પ્રત્યે આદર દાખવો, પણ તેમનાથી અળગા રહો ત્યારે તમે ડાયા કહેવાઓ."
રાજ્યના શાસકને કન્ફ્યૂશ્યસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છેઃ "ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયાસ ન કરો, એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો,એને કારણે મોટાં મોટાં કામ વણઉકેલ્યાં રહી જાય છે."
નૈતિક ગુણ વિશે એક શિષ્યે પૂછયું ત્યારે ગુરુ કન્ફયૂશ્યસે જવાબ આપ્યો, "જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે, એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય." લાગે છે કે કન્ફયૂશ્યસે ગીતા ચોક્કસ વાંચી છે.
માનવીના સદ્ગુણો વિશે વધુ ચિંતન કરતાં કન્ફ્યૂશ્યસે કહ્યું, "ઉચ્ચતર માનવી શાંત અને સ્વસ્થ હોય છે, નીચો માનવી જ સતત સંક્ષુબ્ધ અને ચિંતાગ્રસ્ત રહે છે."
ત્ઝુ કુંગ નામના એક અન્ય શિષ્યે ગુરુ કન્ફયૂશ્યસને મિત્રતા વિશે પૂછયું. ગુરુએ કહ્યું, "તમારા મિત્રની સાથે વાતચીત કરવામાં પ્રામાણિકતા રાખો, પણ એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતી વખતે સાવચેતી રાખજો. એ પ્રયાસ નિષ્ફળ જાય તો થોભી જજો,પણ તમારી સલાહનો એ સીધો અસ્વીકાર કરે એટલે સુધી વાત વધવા દેશો નહીં."
દોસ્તોમાં દોસ્તી ટકી રહે એ માટે કન્ફયૂશ્યસની આ સોનેરી સલાહ છેે: "કોઈનેય શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો."
મિત્રો વિશેની ગુરુજીની બીજી એક સૂક્તિઃ ત્રણ પ્રકારના મિત્ર હિતકારક છે. - પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે.-
ડોળઘાલુઓ, ગર્ભિત સૂચનો કરનારાઓ અને વાચાળ.
આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને ગુરુ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક - શિષ્ટ આચાર અને સંગીતની મજા મણવી,બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા
મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે, પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ આવી મજા આપે છે એમ માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એમ માનવું હાનિકારક છે.
રાજ્યશાસન વિશેની વધુ એક વાતઃ "પ્રજા સંતોષમાં રહે એ માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચઢાવવા અને સઘળાં દુષ્કૃત્ય કરનારાઓને રુખસદ આપવી.
શિષ્ય ફેન સિંહના બીજા એક પ્રશ્નના ઉકેલમાં કન્ફયૂશ્યસે કહ્યું હતું, "બીજાઓની સામેના વ્યવહારમાં પ્રામાણિક અને અંતરના અવાજને અનુસરો. જંગલી માણસોની વચ્ચે તમે હો ત્યારે પણ આ નિયમોને વળગી રહો."
આ ઉત્તરનો ઉત્તરાર્ધ વધારે ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે તો ભાઈ, જેવા સાથે તેવા થઈએ એવું સૂત્ર આજકાલ સૌની જીભે સાંભળવા મળે છે. એ જેટલો ખરાબ થશે એટલા ખરાબ થતાં મને પણ આવડે છે એવું માનીને વ્યવહાર કરનારાઓ ભૂલી જતાં હોય છે કે એના ખરાબ વ્યવહારનો આ ઇલાજ નથી. બહુ બહુ તો તમે એની સામેનો સંબંધ અટકાવી દો, પણ મામૂલી વાતોમાં વેર લેવાની ભાવના માણસમાં એટલી પ્રબળ હોય છે કે આજે નહીં તો કાલે, લાગ મળે એને જરૂર બતાવી દઈશ એવો ભાવ મનમાં ઘૂંટાયા કરે છે. આ ભાવને કારણે જીવનની મકસદ ભુલાઈ જાય છે, મંજિલ બદલાઈ જાય છે.
કન્ફ્યૂશ્યસનાં બે અંતિમ વચનઃ૧. શીખવું અને શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવે અમલમાં મૂકવું એ જ શું ખરેખર આનંદની વાત નથી? ૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાાન અને સાચદિલી વિનાની સાદાઈ- આવાં લક્ષણો મારી સમજણમાં ઊતરતાં નથી!
સાયલન્સ પ્લીઝ
કશુંક કૃત્ય કરવા બદલ શરમ આવવી એ નૈતિકતાની નિશાની છે.
કોલિન ટોવેલ
(અમેરકન આર્મીના ભૂતપૂર્વ જનરલ)
લાઉડમાઉથ : સૌરભ શાહ
( સંદેશ - ૧૧/૦૬/૨૦૧૫)

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

પેરિસથી પોંડિચરીઃ શ્રીમાતાજીની યોગયાત્રા

- ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે!
- ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી.

હીં કોઈ હિંદુ યોગી રહે છે ?'
'ના રે, અહીં તો કોઈ યોગી સાધના કરતો હોય એવું અમારા ધ્યાનમાં નથી.'
'તો તો પછી આ ચૂંટણીનું કામ પતી જાય પછી મારે બીજે તપાસ કરવી પડશે.'
'કેમ ?'
'મારી ઈચ્છા સાચા યોગીને મળવાની છે. હિંદ એ તો સાધનાની ભૂમિ છે. આધ્યાત્મિક દેશ છે. અહીં તો ઘણા પ્રખર યોગીઓ સાધના કરી રહ્યા હશે.'
'હા, એ ખરી વાત છે. પણ એ માટે તો તમારે હિમાલયમાં શોધ કરવી પડશે.'
પોંડિચેરીમાં ચૂંટણી લડવા માટે આવેલા પોલ રિશારે સાચા યોગીને મળવા માટે ઘણાની સાથે પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી આશાસ્પદ જવાબ મળ્યો નહીં. તે સમયે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ ઇંડિયા તરફથી ચૂંટણીઓ યોજાતી અને તેમાં ચૂંટાઈને આવનારને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં સ્થાન મળતું. પોલ રિશારની ઈચ્છા પોંડિચેરીમાંથી ચૂંટણી જીતીને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં મેમ્બર થવાની હતી. એટલે તેઓ ઈ.સ. ૧૯૧૦ની મધ્યમાં ફ્રેન્ચ ઇંડિયા-પોંડિચેરીમાં આવ્યા હતા. તેમને યોગવિદ્યા અને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ હતો. તેમનાં પત્ની મીરાં રિશાર લલિતકલાઓ, યોગવિદ્યા અને ગુહ્યવિદ્યામાં પારંગત હતાં. હિંદમાં જો કોઈ સાચા યોગીનો મેળાપ થઈ જાય તો પત્નીને સાધનામાં ઘણી સહાય મળી શકે અને પોતાને પણ અનેક બાબતોમાં સાચું માર્ગદર્શન મળી શકે એ હેતુથી તેઓ યોગવિદ્યામાં પારંગત પુરુષને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
એક દિવસ ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય ઝીર નાયડુએ તેમને કહ્યું ઃ 'આપ કહો છો તેવા યોગીની તો મને ખબર નથી, પણ ઉત્તરમાંથી એક રાજદ્વારી પુરુષ અહીં આવેલા છે. તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી. તેઓ યોગસાધના કરી રહ્યા છે. આપ એમને મળશો તો આપને જરૃર આનંદ થશે.'
'શું તેઓ મને મુલાકાત આપશે ખરા ?'
'હું પ્રયત્ન કરી જોઉં.'
અને ઝીર નાયડુએ પોલ રિશારની એ યોગી સાથે મુલાકાત ગોઠવી આપી. એ યોગી હતા અંતરના અવાજને અનુસરીને રાજકારણના ક્ષેત્રનું સર્વોચ્ચ સ્થાન છોડી દઈને એકાંતસાધના માટે પોંડિચેરીમાં આવેલા શ્રીઅરવિંદ ઘોષ. તે સમયે તેઓ બેચાર શિષ્યો સાથે શંકરચેટ્ટીના મકાનમાં રહેતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. શ્રીઅરવિંદની મુલાકાતથી રિશાર અત્યંત પ્રભાવિત થઈ ગયા, અને તેમણે એક વાર નહીં પણ શ્રી અરવિંદની બે વાર મુલાકાત લીધી. તેમણે પોતાના પુસ્તક 'લાઈટ ઓવર એશિયા'માં શ્રીઅરવિંદને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે, 'એમને લઈને પૂર્વની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતા થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.'
ચૂંટણીનું કામ પૂરું થયું અને તેઓ હિંદમાં પોતાને મળેલા આ મહાન યોગીની સિદ્ધિઓની વાત પત્નીને કહેવા પેરિસ પહોંચી ગયા. જોકે જે હેતુ અનુસાર તેમને હિંદમાં આવવાનું થયું હતું, એ હેતુ સિદ્ધ થયો ન હતો. તેઓ કાઉન્સિલની ચૂંટણી તો હારી ગયા, પણ અંતરની ચૂંટણીમાં સાચા નેતાની વરણી કરવામાં તેઓ સફળ નીવડયા હતા.
એમનાં પત્ની મીરાં કંઈ સામાન્ય સ્ત્રી નહોતાં. તેઓ અનેક પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિઓનાં સ્વામિની હતાં. ધનાઢ્ય બેંકરને ત્યાં જન્મેલાં મીરાં નાનપણથી જ અનોખાં હતાં. તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ધ્યાન તેમને સહજ હતું. ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી. તેને જાતજાતના રંગો અને આકૃતિઓ દેખાતાં અને એ વિષે બધાંને પૂછતાં કોઈ સાચો જવાબ મળતો નહીં. એ તો બાળમાનસના તરંગો છે એમ કહીને સહુ વાત ઉડાવી દેતાં. સાત-આઠ વર્ષની વયે તો મીરાંને ફોન્તેબ્લનાં જંગલોમાં ફરતી વખતે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ થવા લાગ્યો. જંગલનાં વૃક્ષો, પશુપક્ષીઓ સાથે ચેતનાની તદ્રૂપતાની અનુભૂતિ એવી તો સઘન હતી કે જાણે મીરાં પોતે જ એ વૃક્ષ હોય એવું તેને લાગતું. અને તે એટલે સુધી કે વૃક્ષ પર ફરતી ખિસકોલીઓ અને પક્ષીઓ મીરાંના શરીર પર ફરવા લાગતાં ! વયના વધવાની સાથે એની આંતરિક અનુભૂતિઓનો વ્યાપ વિસ્તરતો ગયો. સૂક્ષ્મ દર્શનો વધુ ને વધુ ગહન થતાં ગયાં. બાર વર્ષની વયે તો તેણે ગુહ્ય વિદ્યાનો અભ્યાસ પણ શરૃ કર્યો હતો. આ બાર અને તેર વર્ષના ગાળામાં તેને પ્રત્યેક રાત્રિએ એવો અનુભવ થતો કે જાણે તેની ચેતનાનો એક સુવર્ણરંગી ઝભ્ભો આખાય વિશ્વ પર લંબાતો જાય છે. અને એના આશ્રય તળે આવનારાઓ દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદિત બનીને પાછા જાય છે. આ અનુભવ સતત એક વર્ષ સુધી થતો રહ્યો. અને તેને એવું લાગતું કે જાણે રાત્રિમાં થતું આ કાર્ય જ એનું સાચું કાર્ય છે. દિવસની સઘળી પ્રવૃત્તિઓ રાત્રિના આ કાર્યની સરખામણીમાં નીરસ લાગતી.
મીરાંને રોજરોજ થતી આધ્યાત્મિક અનુભૂતિઓ, સહજ ધ્યાનાવસ્થા અને જગતમાં તેણે કંઈક મહાન કાર્ય કરવાનું છે તેની અંતરમાં થતી રહેતી સતત પ્રતીતિ, આ બધાંને પરિણામે તેની પ્રકૃતિ અત્યંત ગંભીર બની રહેતી. તે તેના સમવયસ્ક સહાધ્યાયીઓની જેમ ટોળપ્પાં અને હસીમજાકમાં આનંદ લેનારી નહોતી. તેને દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જતી જોઈને તેનાં માતાને સતત ચિંતા થયા કરતી. આ વિષે એમણે તેને એકવાર કહ્યું પણ ખરું, 'તું આમ આવી ગંભીર કેમ રહે છે, જાણે કે આખાય જગતના દુઃખનો ભાર તારે ઉઠાવવાનો ન હોય!'
'હા મા, સાચી વાત છે તમારી.' અત્યંત ગંભીર બનીને ત્યારે મીરાંએ કહેલું ઃ 'મારે જ એ ભાર ઉઠાવવાનો છે.'
'તું તે કેવી પાગલ જેવી વાત કરે છે.'
પણ ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે! સોળ વર્ષની વય સુધીમાં તો મીરાંએ અભ્યાસની સાથે સાથે સંગીત, નૃત્ય અને ચિત્રકલા જેવી લલિત કલાઓનો અભ્યાસ કરી લીધો. પણ તેના અંતરની ભૂખ શમાવે તેવી વિદ્યાની પ્રાપ્તિ હજુ તેને થઈ નહોતી. આ માટે તેણે બૌદ્ધધર્મનો અભ્યાસ પણ કર્યો. છતાં તેનાથી પણ તેના અંતરની શોધ પૂરી ન થઈ. એ દરમિયાનમાં કોઈએ એના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફ્રેન્ચ અનુવાદ મૂક્યો અને કહ્યું, 'આમાં જે શ્રીકૃષ્ણ છે, તેને અંતર્યામીના પ્રતીક તરીકે માનજો અને આનો અભ્યાસ કરજો. તમને એમાંથી ઘણી સહાય મળશે.'' અંતરની પૂર્ણતા માટે આતુર એવી મીરાંએ ગીતામાં નિરૃપેલી તમામ સાધના માત્ર એક જ મહિનામાં સિદ્ધ કરી લીધી. પોતાની સાધના વિષે વાત કરતાં તેમણે પાછળથી આશ્રમનાં બાળકોને જણાવ્યું હતું કે, 'અઢાર અને વીસ વર્ષની વચ્ચે મેં ભાગવત ચેતના સાથે જાગૃત અને સ્થિર ઐક્ય પ્રાપ્ત કરી લીધું હતું. અને એ બધું પણ મેં જાતે જ. કોઈની પણ મદદ લીધા વગર, એટલે સુધી કે કોઈ પણ પુસ્તકની મદદ લીધા વગર કર્યું હતું.'
મીરાંને ગહન ધ્યાનાવસ્થામાં નીરવતા અને શાંતિની અનુભૂતિ થતી રહેતી, અનેક પ્રકારનાં સૂક્ષ્મ દર્શનો થતાં, કેટલાંય તેજોમય રૃપો અને આકૃતિઓ દેખાતાં. અસંખ્ય ગુરુઓનાં દર્શન થતાં. કેટલાય ગુરુઓ તેમને નિદ્રાવસ્થામાં જ્ઞાાન પણ આપતાં. આ વિષે તેમણે પાછળથી જણાવેલું, 'મારી નિદ્રાવસ્થા દરમિયાન કેટલાક ગુરુઓ તરફથી મને જ્ઞાાન આપવામાં આવ્યું હતું. તેમાંના કેટલાકને પછી હું સ્થૂળ ભૂમિકા ઉપર પણ મળી હતી.' પરંતુ સૂક્ષ્મ દર્શનોમાં આવતાં આ બધા ગુરુઓમાં એક આકાર વધુ ને વધુ સ્પષ્ટ બનતો જતો હતો. તે સમયે મીરાં હિંદ વિષે કે એના તત્ત્વજ્ઞાાન વિષે વિશેષ જાણતાં ન હતાં. છતાં ધ્યાનમાં આવતાં અને સતત માર્ગદર્શન આપતાં રહેતાં એ ગુરુને શ્રીકૃષ્ણ કહેવાની એમને પ્રેરણા થઈ. તેઓ ચિત્રકાર હતાં. એમણે એ શ્રીકૃષ્ણનું એક ચિત્ર પણ દોરી લીધું. ત્યારથી તેઓ પ્રત્યક્ષ રૃપે એ ગુરુનાં દર્શન માટે પ્રતીક્ષા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હતાં.
ધ્યાનાવસ્થા દરમિયાન મીરાંને અનેક પ્રકારનાં પ્રતીકો દેખાતાં. તેમાં એક કમળનું પ્રતીક વધુ ને વધુ સ્પષ્ટ થતું દેખાતું. ઉપર અને નીચે આવેલા બે ત્રિકોણની વચ્ચે બનતા ચતુષ્કોણમાં પાણીની વચ્ચે એક ખીલેલું કમળ દેખાતું. આ કમળનું પ્રતીક કોઈ ગુહ્ય સંકેત પ્રગટ કરી રહ્યું હતું. પરંતુ એ પ્રતીક કયું રહસ્ય પ્રગટ કરે છે, તે તેને સમજાતું ન હતું. પરંતુ તેણે એ ચિત્ર પણ દોરી લીધું હતું. અને તેને અંતરમાં એવું પ્રતીત થયા કરતું કે આ ચિત્રનું રહસ્ય પ્રગટ કરનાર કોઈક તો આ પૃથ્વી ઉપર ક્યાંક જરૃર હશે. અને જે કોઈ એ ગૂઢ લિપિ ઉકેલી આપશે એ જ એના યોગમાર્ગના ગુરુ હશે. પણ હજુ સુધી એ ચિત્રની પ્રતીકાત્મક ભાષા ઉકેલનાર કોઈ મળ્યો ન હતો.
આધ્યાત્મિક જગતમાં કામ કરવા માટે સૂક્ષ્મ જગતનાં પરિબળો ઉપર પણ અંકુશ હોવો જોઈએ. ચેતનાની સૂક્ષ્મ ક્રિયાઓ અને આંદોલનો પ્રત્યેની સભાનતા પણ હોવી જોઈએ. એ માટે ગુહ્યવિદ્યાનો અભ્યાસ કરી તેમાં પારંગતતા મેળવવી જરૃરી છે એમ જણાતાં મીરાંએ અલ્જિરિયામાં રહેતા પ્રખર ગુહ્યવિદ થેઓ અને તેમનાં પત્ની પાસે બે વરસ રહીને અભ્યાસ કર્યો. શ્રીમતી થેંઓ પણ મહાન ગુહ્યવિદ હતાં. થેંઓ દંપતી પાસે રહીને મીરાંએ સૂક્ષ્મ જગતમાં કામ કરવાની તાલીમ મેળવી ગુહ્ય જગતનાં સત્ત્વો પર અંકુશ મેળવવાની વિદ્યા પ્રાપ્ત કરી. આવી અદ્ભુત સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી લીધી હોવા છતાં પણ થેંઓએ તેમને કહ્યું, 'આ કંઈ તારી સાધનાની અંતિમ સિદ્ધિ નથી, તારી સાધનાની આ કંઈ પૂર્ણાહુતિ નથી. તારી સર્વોચ્ચ સિદ્ધિ હજુ બાકી છે, અને તે મારા દ્વારા નહીં પણ તારા ગુરુ દ્વારા થશે.'
પરંતુ આવડી વિશાળ પૃથ્વીના પટ પર એ ગુરુને શોધવા ક્યાં ? ક્યારે મળશે એ શ્રીકૃષ્ણ? મીરાંનું અંતર એ મહાન ગુરુનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્કંઠ થઈ જતું. પરંતુ ભૌતિક રૃપે ગુરુની શોધ હજુ પૂર્ણ થઈ શકી નહોતી. એ ગાળામાં મીરાંની પ્રભુ સાથેના તાદાત્મ્યની ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તે ઊંડા ધ્યાનમાં લીન થઈ જતી. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેને અનેક આંતરિક અનુભૂતિઓ થતી રહેતી. ધ્યાન સમાપ્ત થયા પછી આ અનુભૂતિઓને તે પ્રાર્થનારૃપે ડાયરીમાં લખી રહેતી, જે પાછળથી 'પ્રાર્થના અને ધ્યાન'ના પુસ્તક રૃપે પ્રગટ કરવામાં આવી છે.
ચૂંટણી હારીને હિંદમાંથી આવેલા પોલ રિશારે પત્નીને કહ્યું ઃ
'આ કમળનું ગુહ્ય પ્રતીક હું મારી સાથે હિંદમાં લઈ ગયો હતો અને એનો ઉકેલ મળી ગયો.'
'હેં ! ઉકેલ મળી ગયો ! કોણ છે એ મહાયોગી ?' મીરાંની આંખો આનંદથી ચમકી ઊઠી.
'એ તો છે માત્ર આ યુગના જ નહીં, પણ ભવિષ્યનાય યુગપુરુષ. કેવી શાંત, સૌમ્ય અને નિર્મળ મુખમુદ્રા છે એમની! અને આંખો તો જાણે આ જગતનું કંઈ જોતી જ નથી. પેલે પારના જગતનાં દ્રશ્યો જોવામાં જ ખોવાયેલી ન હોય! અને વાણી તો એવી અમૃતમય કે જાણે સાંભળ્યા જ કરીએ. હું તો એ માટે એમને બે વખત મળ્યો. અને અનેક પ્રકારના વાર્તાલાપો એમની સાથે કર્યા. દરેક બાબતમાં શું એમનું અગાધ જ્ઞાાન છે! એમની તોલે જગતનો કોઈ માણસ ન આવી શકે. અને આધ્યાત્મિક જગતના તો એ પૂર્ણજ્ઞાાતા છે. સાધનાની સર્વોચ્ચ ભૂમિકાઓ એમણે પાર કરી લીધી છે. જોજો ને એક દિવસ એવો આવશે કે જ્યારે સમગ્ર વિશ્વ એનાં ચરણોમાં ઝૂકશે.' કહેતાં કહેતાં જ જાણે એ યુગપુરુષની મૂર્તિ એમની સામે જ ખડી થઈ ગઈ હોય એમ રિશાર સ્થિર થઈ ગયા.
પતિને આટલા ઉત્સાહથી વાત કરતા જોઈને મીરાંને યાદ આવી ગયા ધ્યાનમાંના એ શ્રીકૃષ્ણ. કેમ કે એ જાણતી હતી કે ફ્રાન્સના મહાન ચિંતક અને મનીષી ગણાતા રિશાર કંઈ સામાન્ય વ્યક્તિથી પ્રભાવિત થાય તેમ નહોતા. અને એટલે જ એ મહાપુરુષ કોણ હશે અને એમણે આ પ્રતીકનો શો ઉકેલ આપ્યો તે જાણવા એ ઉત્સુક બની.
'એ મહાયોગીનું નામ છે શ્રીઅરવિંદ ઘોષ. એમણે આ ચિત્ર હાથમાં લીધું, ધ્યાનથી જોયું અને પછી તુરત જ કહ્યું. આ કમળનું પ્રતીક એ તો પ્રભુના સ્પર્શ વડે ખુલ્લી થતી ચેતનાનું દ્યોતક છે.' આ ચિત્રના પ્રત્યેક અંગ વિષે એમણે કહ્યું ઃ 'આ નીચે ઊતરતો ત્રિકોણ એ સત્, ચિત્ અને આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ એ જડ તત્ત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૃપે પ્રગટતી અભીપ્સાના પ્રત્યુત્તરનું પ્રતીક છે. બંને ત્રિકોણનું મિલન અ વચલો ચતુષ્કોણ; એ પૂર્ણ આવિર્ભાવ છે. તેના કેન્દ્રમાં રહેલું કમળ એ પરમાત્માનો અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૃપતાનું, સૃષ્ટિનું પ્રતીક છે.'
'ગુહ્ય પ્રતીકનો આટલો સચોટ અર્થ ! તો તો એ જ હોઈ શકે મારા સાધનાપથના ગુરુ ! એ જ હોઈ શકે ચિત્રમાં અંક્તિ કરેલા શ્રીકૃષ્ણ !' મીરાંનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું અને એની નજર સામે તરવરી રહી એ ભવ્ય આકૃતિ, જેનું એણે ધ્યાનાવસ્થામાં અનેકવાર દર્શન કર્યું હતું. ત્યારથી એ ભારત આવવા ઉત્સુક બની પણ એ અવસર મળ્યો એને ચાર વર્ષ બાદ.
ઇ.સ. ૧૯૧૪માં પોલ રિશારને ફરી પોંડિચેરીમાં આવવાનું થયું. આ વખતે તેઓ એકલા ન હતા; મીરાં રિશાર પણ તેમની સાથે હતાં તેઓ માર્ચ મહિનામાં દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળ્યા. હજુ તો પોંડિચેરી દસ દરિયાઈ કિલોમીટર દૂર હતું ત્યાં તો મીરાંને એક તેજોમય વાતાવરણનો સ્પર્શ થયો. જાણે એ વાતાવરણ એને ઉંચકી લેતું ન હોય ! સૂક્ષ્મ જગતની જ્ઞાાતા મીરાંને એ સમજતાં વાર ન લાગી કે એ તો શ્રી અરવિંદની પ્રખર સાધનાના પરિણામે દૂર દૂર સુધી ફેલાયેલું એમનું આભાચક્ર હતું. એ આભાચક્રનો એમને સતત અનુભવ થતો હતો.
મીરાં અને પોલ ૨૯મી માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે શ્રી અરવિંદને મળવા ગયા, 'અરે, આ જ તો છે એ શ્રીકૃષ્ણ, જે ધ્યાનમાં આવીને સહાય કરતા હતાં, જે સાધનામાં માર્ગદર્શન આપતા હતા એ જ આકૃતિ, એ જ રૃપ !' મીરાંએ જેવા શ્રી અરવિંદને જોયા કે એક જ ક્ષણમાં ઓળખી લીધા અને તેના અંતરે પ્રતીતિ કરાવી આપી કે હવે પછી એમની સાધનાના સુકાની આ જ મહાગુરુ છે. તેનું હૃદય અસીમ આનંદની અનુભૂતિ કરવા લાયું પણ એમણે મુખથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં. બસ તેઓ તો ગુપચુપ શ્રી અરવિંદના ચરણ આગળ બેસી ગયા, અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને મન શ્રીઅરવિંદ સમક્ષ ખુલ્લું મૂકી દઈને પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પોતાની સઘળી આધ્યાત્મિક સિદ્ધિઓ, પોતાનું સઘળું જ્ઞાાન, નવા જગતના નિર્માણ માટેની પોતાની સર્વ યોજનાઓ માટે, અરે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. જાણે પોતે કશું છે જ નહિ એવા નવજાત શિશુ જેવા બની રહ્યા. શ્રીઅરવિંદનું પ્રથમ દર્શન જ એમના હૃદયમાં સંપૂર્ણ પ્રતીતિ કરાવી ગયું કે, હવે પ્રભુનું સામ્રાજ્ય જરૃર સ્થપાશે.
શ્રીઅરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી મળી ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાાનને વિખેરી નાંખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે. તેમનું ભારત આવવાનું સાર્થક થઈ ગયું. હવે એમને બીજે કયાંય જવાની જરૃર જ ન રહી. આમ ભૌતિક રીતે એમની યાત્રા સમાપ્તિ થઈ ગઈ પણ આંતરિક રીતે શ્રીઅરવિંદ સાથે આધ્યાત્મિક જગતમાં યાત્રાની નવેસરથી શરૃઆત થઈ.
આમ પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં અર્પણ કરીને તેઓ કોરા પૃષ્ઠ જેવા બની રહ્યાં તેમના અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહેલું કે, આવું આધ્યાત્મિક સમર્પણ એમણે કોઈનામાં ય જોયું ન હતું. આવું સમર્પણ તો કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. શ્રીઅરવિંદે પણ એમને પોતાની યોગશક્તિ તરીકે સ્વીકાર્યા, તે સમયે તો તેઓ પોંડિચેરીમાં ફક્ત અગિયાર મહિના જ રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે તેમને પેરિસ પાછા જવું પડયું. ત્યાર બાદ છ વર્ષ પછી ૧૯૨૦ના એપ્રિલમાં તેઓ ફરી પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. તે પછી તેઓ ક્યારેય પોંડિચેરી છોડીને ગયા ન હતા. શ્રી અરવિંદની સેવા કરવી, એમના આદેશનું પાલન કરવું અને એમના પૂર્ણયોગને વ્યવહારુ ભૂમિકા ઉપર ઉતારવો એ જ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ વિષે એમણે જણાવેલું ઃ 'હું શ્રીઅરવિંદને મળવા હિંદમાં આવેલી. શ્રીઅરવિંદ સાથે રહેવા માટે હું હિંદમાં રહી ગઈ. એમણે જ્યારે દેહ છોડયો ત્યારે એમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું અને એ કાર્ય છે સત્યની સેવા કરીને, અને માનવજાતિને પ્રકાશ આપીને પ્રભુના પ્રેમનું શાસન ઝડપથી સ્થપાય તેમ કરવું.'
૯૬ વર્ષ સુધી તેઓ દેહમાં રહ્યા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે થોડા શિષ્યો સાથે શ્રી અરવિંદ રહેતા હતા. વ્યવસ્થિત આશ્રમ જેવું કશું ન હતું. પૃથ્વી ઉપર જો પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત સાધનાની પણ જરૃર છે. પ્રભુના શાસનની અભિપ્સા સેવતો બળવાન સમૂહ પણ હોવો જરૃરી છે, યોગના સત્યોનો મનુષ્યના રોજિંદા જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે જીવનનો ત્યાગ નહીં પણ જીવનનો સ્વીકાર કરવો જરૃરી છે, એમ જણાવતા અભિપ્સુ માણસોને સાધના કરવા માટે ત્યાં રહેવાની મંજૂરી મળવા લાગી અને એમ શ્રી અરવિંદ આશ્રમ વિસ્તરતો ગયો અને ત્યાં પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ.
શરુઆતમાં શ્રી અરવિંદ 'મ' આગળ અટકીને પછી મીરાંનું ઉચ્ચારણ કરતા, અને એથી શિષ્યોને આશ્ચર્ય થતું પણ ત્યારે શ્રી અરવિંદ મીરાં નહીં પણ મધરનું ઉચ્ચારણ કરવા તત્પર હતા. પણ કદાચ શિષ્યોની ચેતના એ સ્વીકારવા તૈયાર નહીં હોય એથી અટકી જતા અને પછી મીરાં બોલતા. આ વિષે તેમના શિષ્ય નલીનકાંત ગુપ્ત લખે છે કે 'શ્રી અરવિંદે આ મધર શબ્દ ક્યારે ઉચ્ચાર્યો, કયા ખાસ દિવસે, કઈ શુભ ઘડીએ, તેની કોઈનેય ખબર નથી... પણ એ પરમ ક્ષણે જ આ સ્થૂળ પૃથ્વી ઉપર માનવની બાહ્ય ચેતનામાં શ્રી માતાજીની સ્થાપના થઈ હતી. આમ શ્રી માતાજીમાં પોતાની સઘળી શક્તિનું નિરૃપણ કરીને આશ્રમની સઘળી વ્યવસ્થા અને શિષ્યોની સાધના સર્વ પ્રકારની જવાબદારી એમને સોંપીને શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકારી લીધો અને અતિમનસના અવતરણની ગહન સાધનામાં ડૂબી ગયા. ચોવીસ વર્ષ સુધી કરેલી એ ભગીરથ તપશ્ચર્યાના પરિણામે શરીરની સ્થૂળ ભૂમિકા ઉપર અતિમનસ શક્તિનું અવતરણ શક્ય બન્યું. એ માટે શ્રી અરવિંદે પોતાના દેહનો આધાર આપ્યો અને ઇ.સ. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે એમણે દેહત્યાગ કરી દીધો. પરંતુ શરીરના કોષોમાં અતિમનસ શક્તિના પ્રકાશને સક્રિય કરવાની સાધના શ્રી માતાજીએ ચાલુ રાખી અને તેના પરિણામે મનથી ઉપરની એ અતિમનસ શક્તિ શરીરના કોષોમાં સક્રિય બને એ શક્યતા સિદ્ધ થઈ શકી, એટલું જ નહીં પણ એ રસ્તે જનાર માટે શ્રી માતાજીએ સૂર્યપ્રકાશિત પથ પણ કંડારી આપ્યો.
આમ શ્રી માતાજી પેરિસથી પોંડિચેરી આવ્યા અને જગતને શ્રીઅરવિંદનો પૂર્ણયોગ મળ્યો. શ્રીઅરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાાન સર્વને માટ સુલભ બન્યું. અને એ માટે માનવજાત યુગો સુધી શ્રીમાતાજીની ઋણી રહેશે.

- જ્યોતિબહેન થાનકી


મંગળવાર, 2 નવેમ્બર, 2010

આખા ને આખા માણસની કેળવણી

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.

એક જમાનામાં ચરખા પર સૂતર કંતાતું હતું. આજે ઘટમાળના ચરખા પર માણસ કંતાઈ રહ્યો છે. વ્યક્તિત્વના ટુકડા પડવા લાગે ત્યારે માણસ છિન્નભિન્ન થઈ જાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ‘ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા’ યુદ્ધ, પ્રદૂષણ અને ત્રાસવાદ દ્વારા માનવજાતને પજવી રહ્યા છે. દુનિયા આજે એવી કેળવણીની શોધમાં છે, જે ખંડિતને અખંડિત બનાવે, જે પૃથકને અખિલ બનાવે અને જે તૂટેલું હોય એને જોડી આપે. આજની કેળવણી કેવળ મસ્તિષ્કને ધ્યાનમાં રાખનારી છે. કેળવણીમાં અખિલાઈની આરાધના થવી જોઈએ. ગાંધીજીએ જીવનનાં અલગ ખાનાં નહોતાં પાડ્યાં. ડૉ. ઝાકિર હુસેને પોતાના રિપોર્ટમાં નઈ તાલીમને ‘સમગ્ર વ્યક્તિત્વની સાક્ષરતા’ (લિટરસી ઑફ ધ હોલ પર્સનાલિટી) તરીકે પ્રમાણી હતી. ગાંધીજીએ નઈ તાલીમને પોતાના જીવનની ‘સર્વોત્તમ ભેટ’ તરીકે ઓળખાવેલી. જીવન અને શિક્ષણ વચ્ચેના છૂટાછેડા આજની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં છે. ગ્રીક પુરાણકથામાં અડધા અશ્વ અને અડધા માનવ એવા અશ્વમાનવ (હયવદન યાને સેન્ટોર)નો ઉલ્લેખ થયો છે. આજના યંત્રારૂઢ માનવી પાસે અશ્વનું શરીર છે અને માનવીનું ડોકું છે. યંત્ર માનવવત થતું જાય છે અને માનવ યંત્રવત થતો જાય છે.

નઈ તાલીમનું ગુરુત્વમધ્યબિંદુ રેંટિયો નથી, પણ સત્ય છે. રેંટિયો ઉપકરણ છે અને આદરણીય ઉપકરણ છે. ગમે તેટલું ઉપકારક હોય તોય કોઈ ઉપકરણ શાશ્વત ન હોઈ શકે. અમુક સદીમાં એ યુગાનુકૂલ હોઈ શકે છે. સત્ય સ્વભાવે શાશ્વત છે. ગાંધીજી અમર છે કારણ કે એમને સત્યનો સથવારો હતો. શું બુનિયાદી નિશાળનો શિક્ષક મહાત્મા બની શકે ? ભલે ન બને. એનાથી જૂઠું બોલાઈ જાય ત્યારે જો એને આખો દિવસ ખટકો રહે તો પણ બસ છે. ભૂલ તો સૌ કરે છે, પરંતુ ભૂલ થઈ જાય પછીનો ખટકો બડો મૂલ્યવાન છે. ગાંધીજી જેવા સત્યવાદી ન બનાય તો તે ક્ષમ્ય છે, પરંતુ શિક્ષકને જો ‘ખટકોદીક્ષા’ પ્રાપ્ત થાય તો એનો પ્રભાવ પડશે. કવિ સુન્દરમની ક્ષમાયાચના સાથે શિક્ષકે કહેવાનું છે : ‘હું શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !’

વર્ગખંડમાં આખો ને આખો શિક્ષક પ્રવેશે છે ખરો ? કે પછી એના વ્યક્તિત્વનો એકાદ ટુકડો જ વર્ગખંડમાં પ્રવેશે છે ? બાળકો તો આખા ને આખા બેઠા છે ! જે ખંડિત હોય તેનો પ્રભાવ અખંડિત પર શી રીતે પડે ? કોઈ શિક્ષક પ્રશ્નપત્ર ફોડી શકે ? જે કામ માટે આપણને પગાર મળે છે તે કામ પૂરી નિષ્ઠાથી કરવું એ તો સાવ નોર્મલ બાબત ગણાય. કામચોરી એટલે જ દાણચોરી અને દાણચોરી એટલે જ દિલચોરી ! આપણે ગાંધીજી નથી બનવાનું. આપણે જે ‘છીએ’ તે જ બનવાનું છે. બધું જ ફરજિયાત હોય એવી બુનિયાદી નિશાળ પણ આદર્શ જેલ બની શકે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણના આધારે ટકેલી છે. કેળવણી શિક્ષક પ્રત્યેના આદરણીય આકર્ષણ પર નભેલી છે. એ આકર્ષણ દિવ્ય છે. રાજાજીએ કહેલું કે શિક્ષણ તો ‘ચેતનાની ખેતી’ છે. નિષ્પ્રાણ કે મંદપ્રાણ શિક્ષક સમાજનો શત્રુ છે. નિશાળ તો ‘ગ્રામમાતા’ છે. સ્મિત ગુમાવી બેઠેલો નિર્જીવ શિક્ષક ચેતનાની ખેતી કરી શકે ? સ્મિતનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જાણવું કે કોઈ આદર્શ આપણા સહજ, નિર્મળ આનંદને કચડી રહ્યો છે. સાચા શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી અંદરથી રહસ્યમય ખેંચાણ અનુભવે છે.

વર્ષો પહેલાં આચાર્ય કૃપાલાનીએ ‘બેઝિક એજ્યુકેશન : ધ લેટેસ્ટ ફેડ’ પુસ્તક લખેલું. એના મુખપૃષ્ઠ પર ટ્રેક્ટરની પાછળ દોડતા બળદનું ઠઠ્ઠાચિત્ર હતું. પુસ્તકમાં કૃપાલાનીજીએ કેળવણીમાં થતા ‘શબ્દોના જુલમ’ની વાત કરેલી. આજના માહિતીપ્રધાન શિક્ષણે એ જુલમમાં વધારો કર્યો તેથી પ્રતિક્રિયા રૂપે નવું સૂત્ર વહેતું થયું : ‘ભાર વગરનું ભણતર.’ માહિતી એ જ્ઞાન નથી અને જ્ઞાન એ શાણપણ નથી. ઈન્ટરનેટ શાણપણ ન આપી શકે. શાણપણનો સંબંધ ‘અંતરનેટ’ સાથે છે. ગુરુદેવે પ્રાર્થના કરી હતી : ‘અંતર મમ વિકસિત કરો.’ હૃદયની કેળવણી એ જ તો કેળવણીનું હૃદય છે. આજે શિક્ષણમાંથી હૃદયની બાદબાકી થઈ ગઈ છે. સન 1912માં મેડમ મેરિયા મોન્ટેસોરીએ કલાકો સુધી વર્ગમાં પાટલી પર ચોંટી રહેતાં નાનાં બાળકોને ‘ટાંકણી પર ટિંગાડી રાખેલાં પતંગિયાં.’ સાથે સરખાવેલાં. નિશાળો રળિયામણી બને તો જ શિક્ષણ આનંદમય બને. બધું જ્યાં ફરજિયાત હોય ત્યાંથી આનંદ ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સામ્યવાદી સમાજોમાં ચાલતી નિશાળોમાં કાર્લમાર્કસ વિદ્યાર્થીઓના માથા પર ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવતો. બધા વિષયોના અભ્યાસક્રમમાં માર્કસને પરાણે ઘુસાડી દેવામાં આવતો. આવું મહાત્મા ગાંધી માટે કરવાનું જરૂરી નથી. ગાંધીની સુગંધ આપણા પ્રચારની ઓશિયાળી નથી. લોકો વાતવાતમાં પૂછે છે : ‘એકવીસમી સદીમાં ખાદીનું ભવિષ્ય શું ?’ મારો જવાબ છે : ‘એકવીસમી સદીમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સાઈકલનું ઉત્પાદન વધ્યું તેનું કારણ શું ? તમે મહુડી જાવ તો ત્યાં મળતી ગરમ ગરમ ગોળપાપડી જરૂર ખાજો. શું ચોકલેટના આક્રમણ સામે આરોગ્યદાયિની ગોળપાપડી ટકી શકશે ? શું કોકાકોલાના આક્રમણ સામે છાશ ટકી શકશે ? શું એટમિક રીએક્ટર સામે ગોબરગેસ ટકી શકશે ? હા, જરૂર ટકી શકશે. એલોપથીની સાથેસાથ આયુર્વેદનો વ્યાપ પશ્ચિમના દેશોમાં ખાસો વધ્યો છે. ઈસબગૂલ, હરડે અને આમળાનું મહત્વ વધતું જ રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ વધે તેની સાથોસાથ ધ્યાન અને યોગના ઉપકારો ઝટ સમજાય છે. ખાદી ફરજિયાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સમક્ષ ખાદીનું ઈકોલોજીકલ સૌંદર્ય પ્રગટ થાય તો ખાદી પહેરવાનું કહેવું જ ન પડે. ગાંધીજીના જીવનમાં એટલાં તો આકર્ષક તત્વો પડેલાં છે કે નવી પેઢી એમના પ્રત્યે જરૂર ખેંચાય. ગાંધીજી પ્રભાવશાળી ન હતા, એમની સત્યસાધના પ્રભાવશાળી હતી. જૂઠનો જથ્થો ઘટે તો જ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય. માર્કેટ અને મેનેજમેન્ટના પાયામાં પણ જૂઠ હોય તે ન ચાલે. વકીલાતમાં પણ જૂઠ ન ચાલે. રાજકારણમાં પણ અસત્યની બોલબાલા હોય તે ન ચાલે. શિક્ષણમાં તો જૂઠ ટકી જ ન શકે. માણસે મહાત્મા નથી બનવાનું. માણસે ‘માણસ’ બનવાનું છે. માણસના ટુકડા પડે તે યોગ્ય નથી. શિક્ષણ એટલે અખિલાઈની આરાધના.


– ગુણવંત શાહ