લેબલ ગુણવંત શાહ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુણવંત શાહ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

પીપા ભગતનું હળવુંખમ અધ્યાત્મ,


જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું!

            કોઇપણ વાચકને ઝટ ન સમજાય અને વળી પાંચ વાર વાંચ્યા પછી પણ ન સમજાય એવી કવિતા (કે અકવિતા) પ્રગટ કરવી એ કંઇ પ્રશંસનીય પરાક્રમ નથી. કદાચ એ કવિતા નામના પદાર્થની કુસેવા છે. અત્યંત દુર્બોધ ગદ્ય લખવાનું માનીએ તેટલું મુશ્કેલ નથી. વાચકોને બિલકુલ ન સમજાય એવી ભાષામાં લખનાર આપોઆપ વિદ્વાનમાં ખપી જાય તે તો વાચકોની ઉદારતા ગણાય. એવી ભાષામાં લખનારની માનસિક રુગ્ણતા પણ તપાસવી પડે. મૂળે આ રોગની શરૂઆત સદીઓ પહેલાં સંસ્કૃતના પંડિતોએ કરી હતી.

        
          પંડિતોને શાસ્ત્રાર્થનો જબરો શોખ હતો. પંડિતોના જ્ઞાનક્ષેત્રમાં સામાન્ય માણસને પ્રવેશની છુટ ન હતી. ભારતીય સંતોએ અને ભક્ત કવિઓએ અપાર કરુણા બતાવી અને શાસ્ત્રાર્થને બદલે સત્સંગનો મહિમા વધાર્યો. આ એક એવી ક્રાંતિ હતી જેની શરૂઆત કદાચ જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાએ કરી હતી. આવતા ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન નરસૈંયાની નગરી જૂનાગઢમાં યોજાવાનું છે.
તેમાં એક બેઠક ‘ભાષાકીય કટોકટી’ પર યોજાવાની છે. દુનિયાની બીજી કોઇપણ ભાષામાં પ્રભાતિયાં રચાયાં નથી. પ્રભાતિયાંની પંક્તિએ પંક્તિએ ઉપનિષદ ટપકે છે. ઊંડું તત્વજ્ઞાન આટલી સરળ ભાષામાં! આદરણીય મોરારિબાપુ પરિષદમાં પૂરા સમય માટે ઉપસ્થિત રહેવાના છે. પરિષદનો પ્રારંભ પ્રભાતિયાંના ગાનથી ભલે થતો.

          સંત તુકારામના ગામ દેહૂ જવાનું થયું ત્યારે આગ્રહપૂર્વક પાસે આવેલી ઇન્દ્રિયાણી નદીનાં દર્શને ગયો. ગામના બ્રાહ્નણોએ સંત તુકારામે રચેલા અભંગને ઇન્દ્રિયાણી નદીમાં પધરાવી દેવાની ફરજ પાડી હતી. નદીમાં પધરાવેલી પોથી જળમાં વિલીન થઇ, પરંતુ લોકજીભે તુકારામની પંક્તિઓ જીવતી રહી તેથી આજે પણ તુકારામના અભંગ જીવંત છે. પંડિતાઇ સાથે સદીઓથી જોડાઇ ગયેલી ‘અકરુણા’ આજના કેટલાક સાહિત્યકારોનો સથવારો છોડવા તૈયાર નથી.

          તુકારામનું ઘર હજી જળવાયું છે અને તુકારામના વંશજોને મળવાનું પણ બનેલું. તુકારામના ઘરના એક પાટિયા પર લખ્યું છે : ‘ઉમરાજ બી. મોરે, એડ્વોકેટ.’ ગામના મંદિરમાં સંત તુકારામના હસ્તાક્ષરમાં લખાયેલા અભંગની હસ્તપ્રત પણ જોવા મળી હતી. તુકારામ જ્ઞાતિએ કણબી હતા. અબ્રાહ્નણ એવો તુકારામ ઉપદેશ આપે તેથી બ્રાહ્નણો તેમના પર તૂટી પડ્યા. રાંદેરના લોકસેવક શ્રીકાંત આપટેજીએ ‘સંત તુકારામ’ નાટક તૈયાર કરેલું અને તે જમાનામાં ટિકિટ પણ રાખેલી.

          એ નાટકમાં તુકારામના દીકરા મહાદુ (મહાદેવ)નું પાત્ર મેં ભજવેલું. એ નાટક ટિકિટના પૈસા ખર્ચીને જોનારા કેટલાક લોકો હજી રાંદેર-સુરત વિસ્તારમાં જીવે છે. જૂનાગઢને સમાંતર એવી આ ક્રાંતિ મહારાષ્ટ્રના દેહ ગામમાં થઇ હતી. નરસૈંયા અને તુકારામ વચ્ચે એક તફાવત હતો. નરસૈંયો ભણવામાં ઠોઠ હતો, જ્યારે તુકારામ વિદ્યાર્થી તરીકે હોશિયાર હતા, એવું કેદારનાથજીએ નોંધ્યું છે. સંતોની કરુણાએ સમાજને સત્સંગ દ્વારા બચાવી લીધો છે. તુલસીદાસજી ઊંચા ગજાના પંડિત હતા, તોય એમને કોઇએ ‘પંડિત તુલસીદાસ’ નથી કહ્યા. તેઓ ‘સંત તુલસીદાસ’ જ કહેવાયા. ‘રામચરિતમાનસ’ એમની કરુણાનો મધુર પ્રસાદ છે. પંડિત આદરણીય છે, સંત વંદનીય છે.

           થોડાક મહિનાઓ પર એક જોખમકારક પ્રયોગ કરવાનું સાહસ કર્યું હતું. ‘કુમાર’ માસિકનો હજારમો અંક પ્રગટ થયો તેનું લોકાર્પણ એક સમારંભમાં થયું. આપણા લાડકા હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રમુખ હતા અને હું અતિથિ હતો. મારા પ્રવચન દરમિયાન સુજ્ઞ શ્રોતાઓને એક એવો ‘મગજતોડ’ ગદ્યખંડ વાંચી સંભળાવ્યો, જે પાંચ વખત વાંચો તોય ન સમજાય. જે વિદ્વાને એ દુર્બોધ અને ક્લિષ્ટ ગદ્યખંડ લખ્યો હતો, તે મહાશય સભામાં ન હોય એની ખાતરી મેં કરી લીધી હતી.

          ધીમી ગતિએ અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એ ગદ્યખંડ સભામાં વાંચી સંભળાવ્યો પછી સુજ્ઞ શ્રોતાઓને પૂછ્યું : ‘કોઇને સમજ પડી?’ જવાબ મળ્યો ન હતો. પછી પ્રમુખશ્રી વિનોદ ભટ્ટને પૂછ્યું: ‘તમને કશુંક સમજાયું?’ પ્રમુખશ્રીએ લોકો સાંભળે એટલા મોટા સાદે ‘ના’ પાડી હતી. આને કહેવાય ‘ભાષાકીય કટોકટી’!
‘‘‘

          કલ્પના કરી જુઓ. કોઇ રાજા વૈરાગ્યપૂર્વક પોતાના રાજ્યનો ત્યાગ કરે ત્યારે તેની રાણીઓ એની સાથે જવા તૈયાર થાય? ઇ.સ. ૧૪૨૫માં રાજપૂતાનામાં આવેલા રોહગઢના રાજાએ રામાનંદનો ભક્તિમાર્ગ સ્વીકાર્યો ત્યારે આવી ઘટના બની હતી. રાજા (પીપાજી) રાજી ન હતા, પરંતુ ગુરુ રામાનંદે કહ્યું : ‘રાજ્યનું ઐશ્ચર્ય છોડીને તમારી સાથે સહજભાવે આવે તો તેમને રોકવાથી શો ફાયદો?’ છેવટે પીપાજીની સાથે નાનાં રાણી સીતા પણ સાથે ગયાં.

          કહેવાય છે કે પીપાજીએ સમુદ્રમાં ઝંપલાવ્યું ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પાછલું બધું જીવન દ્વારકામાં વીત્યું. કહેવાય છે કે દ્વારકાને માર્ગે ચિઘડ ભકતો એટલા ગરીબ હતા કે પોતાનાં વસ્ત્રો વેચીને પણ તેઓ પીપાભગતની સેવા કરતા. પીપાભગતે સારંગ વગાડીને અને સીતાએ નૃત્ય કરીને ભકતોને મદદ પહોંચાડેલી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી એવા આચાર્ય ક્ષિતિમોહન સેને એવું પણ નોંધ્યું છે કે: ‘દ્વારકાને માર્ગે પીપાવડ પાસે તેમનો એક મઠ છે. આ મઠ અતિથિ સેવા માટે જાણીતો છે. શીખોના ધર્મઉત્સવમાં પીપાનાં ગાન ગવાય છે. ગ્રંથસાહેબમાં તેમનાં ભજન છે.’ (‘સાધનાત્રયી’, પાન ૨૬૭).
પીપાભગતનું હળવુંખમ અધ્યાત્મ કેવું હતું? એમની પંક્તિઓ હૈયે ચોંટી જાય તેવી છે.

 પીપા પાપ ન કીજિયે,
તો પુણ્ય કિયો સો બાર!
કિસીકા કછુ ન લીજિયે,
તો દાન દિયો અપાર!

          જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું! પીપાભગતની પંક્તિઓમાં ઉપનિષદનું ઊંડાણ છે, પરંતુ સરળતા ઓછી નથી. માણસ પાપ ન કરે એટલે પુણ્ય આપોઆપ ચાલ્યું આવે! એ હરામનું કશુંય ન લે, તો તેને જ મહાદાન ગણવાનું રાખવું! પુણ્ય પ્રાપ્ત કરવા માટે ફાંફાં મારવાનાં ન હોય.

          આજની સવાર ધન્ય થઇ ગઇ! નરસિંહ મહેતા, સંત તુકારામ અને પીપાભગતનું સ્મરણ એક્સાથે થયું. આવી થોડીક સવાર જીવનમાં મળી જતી હોય, તો હાર્ટ એટેક જખ મારે છે!‘

પાઘડીનો વળ છેડે

હે શિવ! મારાં ત્રણ મોટાં પાપ
બદલ મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો,
ત્યારે ભૂલી ગયો કે : તમે સર્વવ્યાપી છો!
હું સતત તમારો વિચાર કરું છું,
કારણ કે હું ભૂલી જ ગયો કે :
તમે તો વિચારથી પર છો!
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભૂલી ગયો કે :
તમે તો શબ્દોથી પર છો!

- શંકરાચાર્ય


ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

વરસાદ એટલે

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

– ગુણવંત શાહ

બુધવાર, 6 એપ્રિલ, 2011

રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે!

દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા!

શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે. સેમ્યુઅલ બેકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’માં સાંભળવા મળતું એક વિધાન છે, ‘દુનિયામાં આંસુ કદી ખૂટતાં નથી. એ નિરંતર વહે છે. ક્યાંક કોઇ રડવાનું બંધ કરે, ત્યાં તો બીજે કશેક રડવાનું શરૂ થઇ જાય છે.’ મૂર્ખતા સુખદાયિની છે!

જીવન તળાવ જેવું અપ્રવાહી કે ‘સ્થાનકવાસી’ નથી હોતું. એ તો પ્રતિક્ષણ ગતિશીલ હોય છે. ગતિ એ જ તો પરિવર્તનનું ચારિત્ર્ય છે! વહેવું અને સતત વહેવું એ નદીનું શીલ છે. ગીતામાં સાગરને ‘અચલપ્રતિષ્ઠ’ કહ્યો છે. જે ધ્યેય હોય તે સ્થિર હોય તો જ ત્યાં સુધી પહોંચીને પામી શકાય. આપણા ઘણાખરા ઉપદ્રવો કાયમીપણાની ભ્રમણાનાં ફરજંદો છે.

સાગર ‘અચલપ્રતિષ્ઠ’ છે તેથી તો નદી સાગર ભણી વહી શકે છે. સાગર એ જ નદીનું ગંતવ્ય છે. જીવનને અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે જોવામાં બધા આધ્યાત્મનો સાર આવી જાય છે. એક જ બાબત કાયમી છે અને તે છે કાયમીપણાનો અભાવ! આવી સમજણ આપણને હળવા બનવાની છુટ આપે છે. જે હળવો નથી તે સાધુ નથી. જેનું સ્મિત કરમાઇ જાય તેની સાધુતા કરમાઇ જાય છે. વર્ષો પહેલાં વિનોબાએ કોઇ સ્વાર્થી માણસને સંભળાવેલું, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ જે મનુષ્ય ભારેખમ જણાય તેને ચિંતક કહેવાની ભૂલ ન કરશો. અધ્યાત્મને ઘુવડગંભીરતા સાથે કોઇ લેવાદેવા નથી.

સતત યાદ રાખવાનું છે કે આપણને ગીતાનો ઉપદેશ એક એવા યોગેશ્વરે આપ્યો છે, જેમણે રાસલીલા પણ કરી હતી અને માખણચોરી પણ કરી હતી. કૃષ્ણના સ્મિતનો જાદુ આજે પણ ઓસર્યો નથી. આજની નવી પેઢીનો ભગવાન પણ નૃત્યપ્રિય, સ્મિતપ્રિય અને આનંદપ્રિય હોવાનો. જેનું મોં ગંભીરતાને કારણે બેડોળ બની ગયું હોય એવા ચિંતકથી દસ કિલોમીટર છેટા રહેવામાં જ લાભ છે.

આપણો સમાજ બહુમતી નામના બુલડોઝરનો ગુલામ છે. ઘણાખરા લોકો જે માને તે સાચું માનવામાં સલામતી રહેલી છે. આવી ગુલામીને કારણે જ સદીઓ સુધી સતીપ્રથા ચાલુ રહી શકી. આટલી ક્રૂર પરંપરાને ધર્મની ઓથ સાંપડી તેથી ‘ધર્મ’ શબ્દ ઝંખવાણો પડ્યો. એ જ પ્રમાણે અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને પણ ધર્મની ઓથ સાંપડી. સાને ગુરુજી જેવા સાધુપુરુષે પ્રશ્ન કર્યો, ‘અદ્વૈત અને અસ્પૃશ્યતા વચ્ચે મેળ બેસે ખરો?’ સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવનાર રાજા રામમોહનરાયની ભાભીને બળજબરીથી સતી થવાની ફરજ પડી ત્યારે રાજા રામમોહનરાયની ચેતના જાગી ઊઠી.

બહુમતી એટલે શું? જવાબ છે: હિંમતવાળો એક માણસ એટલે બહુમતી. નોઆખલીમાં ગાંધીજી એકલા ગયા તોય બહુમતીમાં જ હતા. માણસ ભલે એકલો હોય, પરંતુ સત્ય જ્યારે બાજુમાં ઊભેલું હોય ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે. એકલા જણાતા માણસ પાસે ઊભેલું સત્ય સ્થૂળ આંખે દેખાતું નથી. કોઇ પણ જાતના સ્વાર્થ વિના પોતાને જડેલા સત્યનો ઉપાડો લેતી વખતે માણસ એકલો હોય છે એવો ભ્રમ ખંખેરી કાઢવા જેવો છે. એ માણસની પાસે ઊભેલા સત્યદેવતા અન્યની નજરે ન પડે તેથી શું? ઐતરેય ઉપનિષદમાં દેવોને ‘પરોક્ષપ્રિયા:’ કહ્યા છે. સત્યના દેવને પણ અપ્રત્યક્ષ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું ગમે છે.

રોજ આપણા હાથમાંથી જીવન નામની જણસ છટકી જાય છે. દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌૈન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આપણે આપણી મુત્સદ્દીગીરીને અકબંધ રાખી અને ગોટાળામય વાક્યો બોલીને અસત્યને વહેતું મેલ્યું! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! તમે આવા રૂપાળા માણસને મળ્યા છો? એ માણસ અંદરથી મરી ચૂકયો હોય છે.

એ માણસ ક્યારેક તમારી પ્રશંસા કરે, તોય હરખાશો નહીં. જો તમે એની જુઠી પ્રશંસાથી હરખાઇ જશો, તો તમારે એની જુઠી નિંદાથી દુ:ખી થવું જ પડશે. આવો કોઇ બનાવટી બદમાશ તમારી નજીક આવી પહોંચે, તો મોં પર રૂમાલ દબાવીને દૂર ચાલી જજો. તુલસીદાસની શિખામણ સતત યાદ રાખવા જેવી છે. ‘અસંતથી દૂર ભાગો.’ કોઇ ‘અસંત’ ઘરે મળવા આવે ત્યારે શું કરવું? એ જેટલો વખત બેસે તેટલો વખત પૂરી જાગૃતિ સાથે એની વાતો સાંભળી લેવી અને એ જાય કે તરત બાથરૂમમાં ચાલી જવું. બાથરૂમ સ્વચ્છતાદેવીનું મંદિર છે.

એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો, તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો. સમાજના ઘણાખરા લોકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અભાવ હોય છે. સરેરાશપણું (એવરેજનેસ) તેમનું રક્ષાકવચ બની જાય છે. સરેરાશ સામાન્યતા એમને નિંદાકૂથલી અને ઇષ્ર્યાનાં આક્રમણોથી બચાવી લે છે. એવી સરેરાશમૂલક સલામતી એમને જબરી નિરાંત આપે છે. નિરાંતનો પણ એક નશો હોય છે. નશાની શોધના મૂળમાં પણ નિરાંત પામવાની ઝંખના રહેલી છે.

આપણા સમાજમાં જે ઘણાખરા લોકોને માન્ય હોય, તેવી જીવનશૈલી રાખવામાં નિરાંત રહે છે. અમારા ગામના ફળિયામાં અડધી સદી પહેલાં એક સુંદર સ્ત્રી રહેતી હતી જે ઘરમાં બેસીને હાર્મોનિયમ વગાડતી. એ બિચારી હાર્મોનિયમ વગાડતી ત્યારે ફળિયાની સ્ત્રીઓ નિંદાકૂથલીનાં ઢોલકાં વગાડતી! (એ સ્ત્રી ગૌરવભેર આજે પણ રાંદેરમાં જીવે છે.) જરાક જુદી રીતે જીવનાર મનુષ્યને શત્રુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો.

જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે. લોકો એની મશ્કરી ઉડાવે છે. કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે, જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે. માનશો? સ્વરાજ મળ્યું પછીના દાયકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકારના મુખ્યપ્રધાન (કેરાલાના) ઇ.એમ.એસ. નમ્બૂદ્રિપાદ તોતડા હતા.

તેમને કોઇએ પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં એ નેતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ જીવનના એક તબક્કે અભિનેતા હૃતિક રોશન તોતડો હતો. ક્રિકેટર વેંગસરકર પણ નાનપણમાં તોતડું બોલનારા હતા. એવું જ પોતાના સુંદર અવાજ માટે વખણાતાં અભિનેતા રઝા મુરાદ માટે પણ કહી શકાય.

આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે. આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય, તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે, જે ગાંધીજી પાસે હતી. પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?

પાઘડીનો વળ છેડે

તમે ગંભીર હોવાનો
ડોળ કરી શકો છો,
પરંતુ
તમે હસમુખા હોવાનો
ડોળ કરી શકતા નથી- સાચા ગુત્રી

શુક્રવાર, 4 માર્ચ, 2011

સ્ત્રી,પુરુષની વ્યાખ્યા

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.

- ગુણવંત શાહ

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

આસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ

આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે.

ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

ટેક્નોલોજી સગવડસુંદરી બનીને આવી છે, પરંતુ તેની પાછળ પાછળ તાણાસુરની હેરાનગતિ પણ આવી પહોંચી છે. પરિણામે ઇશ્વરનું ભવિષ્ય ખાસું ઊજળું છે. આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે. ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

મનુષ્ય જ્યારે તર્કવિવેક પાળે ત્યારે સમાજને રેશનલિસ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાવિવેક પામે ત્યારે સમાજને ભક્ત મળે છે. કહેવાતો રેશનલિસ્ટ પણ જુઠો, બેઇમાન અને બદમાશ હોઇ શકે છે. કહેવાતો ભક્ત પણ દંભી, લુચ્ચો અને ખતરનાક હોઇ શકે છે. મનુષ્યતાનો ખરો માપદંડ સત્ય છે. પ્રત્યેક મનુષ્યનો જેમ બુદ્ધિ-અંક (I.Q.) હોય છે, તેમ સત્ય-અંક (S.Q) પણ હોય છે.

જુઠાબોલા રેશનલિસ્ટથી અને જુઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.

ઝઘડો બે જુઠા માણસો વચ્ચે હોય છે. આપણે ત્યાં સજ્જનને ‘સીધી લીટીનો માણસ’ કહેવાનો રિવાજ છે. આપણું હોવું (બીઇંગ) વિવાદાસ્પદ નથી. આપણું ન હોવું પણ વિવાદાસ્પદ નથી. જે વિવાદાસ્પદ છે તે ક્ષુલ્લક છે. સત્યનું ન હોવું અસંભવ છે. તર્ક સત્યનો સગો ભાઇ છે. આપણે ત્યાં તર્કને ઋષિ કહ્યો છે.

(તર્કો વૈ ઋષિ:)કોઇ પુષ્પ ઇશ્વરભક્ત નથી હોતું, છતાંય પુષ્પનું હોવું ઇશ્વરમય જણાય છે. કોઇ વૃક્ષ નમાજ નથી પઢતું, છતાંય પ્રત્યેક વૃક્ષ અલ્લાહની ઇબાદત કરતું હોય એમ ધ્યાનસ્થ જણાય છે. સૂર્યને થેંક યૂ કહેવાનું ફરજિયાત નથી, પરંતુ આપણે જો આભારની ભીની લાગણી સાથે એને નીરખીએ, તો આપણું જ મનુષ્યત્વ એક વેંત ઊંચું જાય એમ બને. આકાશની વિશાળતા આપણને વિશાળતાની દીક્ષા આપે, તો તેમાં ઇશ્વર ક્યાં નડ્યો? શું કોઇ નાસ્તિક રામાયણ કે ગીતા કે ઉપનિષદ વાંચી શકે ખરો? ગ્રીસમાં કોઇ એમ નથી પૂછતું કે, ‘ઇલિયડ અને ઓડીસી જેવાં મહાકાવ્યો વાંચીએ, તો રેશનલિસ્ટ મટી જઇએ?’ માકર્સવાદી નાસ્તિક એવા સામ્યવાદી નેતા એસ.એ.ડાંગે વેદના પંડિત હતા.

એમનું પુસ્તક વેદસમયમાં કોમ્યુન્સ અંગે હતું, તે સુરતના જશવંત ચૌહાણે મને આપ્યું હતું. એ પુસ્તક ઘરમાં હજી સચવાયું છે. શું નાસ્તિક માણસ ધ્યાન કરે ખરો? બુદ્ધ અને મહાવીર સંનિષ્ઠ નિરીશ્વરવાદી હતા. બંને મહામાનવોએ ધર્મનો પ્રસાર કર્યો હતો. બુદ્ધે એ માટે ‘ધર્મચક્રપ્રવર્તન’ શબ્દ પ્રયોજ્યો હતો. નાસ્તિકતાનું સૌંદર્ય આસ્તિકતાના સૌંદર્યથી જરાય ઊતરતું નથી. ઝેનપંથ એટલે જ ધ્યાનપંથ. સાંખ્ય મતના પ્રવર્તક કપિલ પોતે મહાન નિરીશ્વરવાદી હતા. કૃષ્ણ ગીતાના દસમા અધ્યાયમાં પોતાની વિભૂતિઓ ગણાવે તેમાં કહે છે, ‘સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું.’ (સિદ્ધાનાં કપિલો મુનિ:) ભારતમાં નાસ્તિક પરંપરા રામ અને કૃષ્ણ પહેલાંની છે.

નાસ્તિકો આપોઆપ ‘રેશનલ’ બની જતા નથી. આસ્તિકો આપોઆપ બિન-રેશનલ બની જતા નથી. ‘ધર્મ’ નામની ચીજ આસ્તિક-નાસ્તિક વિવાદથી પર છે. ‘ધર્મ’ની સંકલ્પના સંસ્થાગત ધર્મો (હિંદુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, શીખ, યહૂદી ઇત્યાદિ)થી પર છે. ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે.

આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:) ટ્રાફિકધર્મની જેમ જ ‘અતિથિધર્મ’ પંથપ્રપંચથી સર્વથા પર છે. એ જ રીતે માતૃધર્મ, પિતૃધર્મ, સમાજધર્મ અને સેવાધર્મને કોઇ ધર્મના લેબલ સાથે વળી શી લેવાદેવા? કોઇ નાસ્તિકને ધર્મવિરોધી કે અધ્યાત્મવિરોધી કહેવા એમાં વિવેકની બાદબાકી થઇ જતી જણાય છે.

આસ્તિકો તો ભગવાનના ઓઠા હેઠળ પણ અપ્રામાણિક બની શકે, પરંતુ નાસ્તિકોએ તો પ્રામાણિક બનવું જ પડે. કોેઇ રેશનલિસ્ટને અપ્રામાણિકતામાં આળોટતો જોઉં ત્યારે મનને વધારે ખલેલ પહોંચે છે. એની પાસે જઇને કોઇ આસ્તિકે પૂછવું જોઇએ, ‘ભઇલા! તું વળી અમારાં અનિષ્ટો કેમ સ્વીકારી બેઠો?’ કોઇ પણ નાસ્તિક આપોઆપ ‘બૌદ્ધિક’ બની જાય એવા વહેમમાં રહેશો નહીં. તેમનામાં પણ ઝનૂન, અંધશ્રદ્ધા, પંથપ્રપંચ, વિતંડાવાદ અને મિથ્યાભિમાન જેવાં બધાં જ અનિષ્ટો જોવા મળે છે.

આમ બને છે કારણ કે તેઓ માણસ છે અને માણસમાત્ર અપૂર્ણ છે. ખરી વાત એ છે કે અપૂર્ણતા તો મનુષ્ય હોવાની સૌથી તગડી સાબિતી છે. ‘ઝનૂની રેશનલિસ્ટ’ એ વદતોવ્યાઘાત (oxymoron) છે. કેટલાક રેશનલિસ્ટો ક્યારેક કટ્ટરતાને પનારે પડે ત્યારે ઝનૂની બનીને મંડી પડે છે. તેઓએ મુલ્લા-મહંત-પાદરી પાસેથી આવી કુટેવ ઉછીની ન લેવી જોઇએ. બન્યું છે એવું કે રેશનલિસ્ટો ક્યારેક તર્કવિવેક નથી જાળવતા અને ભક્તો ક્યારેક શ્રદ્ધાવિવેક નથી જાળવતા.

શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રદ્ધાશૂન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રદ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રદ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રદ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રદ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રદ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.

શું કહેવાતો શ્રદ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે? એ વાતમાં દમ નથી. શ્રદ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રદ્ધા જીવનને વિવેકહીન બનાવે છે.

સોક્રેટિસ કાયમ બુદ્ધિ (ઇન્ટેલેક્ટ) અને શ્રદ્ધા (ફેઇથ)નો ભેગો મહિમા કરતો હતો. સ્તાલિન અને માઓ ઝેડોંગ જેવા તકાઁધ નાસ્તિકોએ લાખો માણસોની કતલ કરાવી હતી. શું કત્લેઆમ કદી ‘રેશનલ’ હોઇ શકે? આવી જ કત્લેઆમ ધર્મના નામે (ક્રુસેડ અને જેહાદ) પણ થઇ છે. બંનેમાં વિવેક ગેરહાજર હતો. વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.

માનવીના અસ્તિત્વને પુષ્પ, નદી અને વૃક્ષના અસ્તિત્વનો રંગ લાગી જાય તો બેડો પાર! સત્ય, પ્રેમ, નેકી, કરુણા અને માનવતા વિનાની નાસ્તિકતા વેરાન રણ જેવી અને આસ્તિકતા વમળના વન જેવી હોય છે. સત્યના સેતુ પર અપૂર્ણ માનવી ઊભો છે. અપૂર્ણ હોવું એ તો આપણો મૂળભૂત માનવીય અધિકાર છે. સત્યના સેતુ પર માનવી, કેવળ માનવી જ હોય છે.

પાઘડીનો વળ છેડે

બેઠ કબીરા બારીએ,
સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે,
ફાધર, બામણ, શેખ!- રમેશ પારેખ

(‘છાતીમાં બારસાખ’ કાવ્યસંગ્રહમાંથી)

Divya bhasker,16-1-2011

રવિવાર, 23 જાન્યુઆરી, 2011

પાઘડીનો વળ છેડે

પ્રેમ અને ચંદ્ર વચ્ચે એક બાબત સરખી છે. જ્યારે પ્રેમ વધતો ન હોય, ત્યારે એ જરૂર ઘટતો હોય છે. ચંદ્રની કળાનું પણ એવું જ!-
- એક પોર્ચુગીઝ કહેવત

શનિવાર, 1 જાન્યુઆરી, 2011

આ દુનિયા ઇસુને ક્યારે સમજશે?

નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી.

અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી.

જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે.

માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી.

ખબર છે કે કરુણાને લિટરમાં માપવાનું શક્ય નથી, તોય પ્રશ્ન થાય કે: આ દુનિયાના ગરીબોનાં આંસુ લૂછવા માટે કુલ કેટલા અબજ લિટર કરુણાની જરૂર પડે? ખબર છે કે પ્રેમને વજન નથી હોતું, છતાંય પૂછવાનું મન થાય કે: આ દુનિયાને યુદ્ધથી મુક્ત કરવા માટે કુલ કેટલા અબજ ટન પ્રેમની જરૂર પડે? આપણે બુદ્ધ અને ઇસુને હરાવી દીધા છે. એ જ રીતે આપણે મહાવીર અને ગાંધીને ગાંઠીએ તેમ નથી. એવો આક્ષેપ મૂકવાનું મન થાય છે કે આ નાદાન દુનિયા સુખી થવા માટે પણ તૈયાર નથી.

જે સ્વયં દુ:ખી હોય તે માણસ પ્રેમ અને કરુણા વહેવડાવી શકે ખરો? જે સ્વયં ભૂખ્યો હોય, તે બીજાને ખવડાવી શકે ખરો? જે સ્વયં આનંદવિહોણો હોય, તે અન્યને આનંદદીક્ષા આપી શકે ખરો? પૃથ્વીમાતા કરુણાવાન છે અને પ્રેમાળ છે, પરંતુ એના ખોળામાં રમતી દુનિયા ભારે મતલબી છે. વાત એમ છે કે આજની બદમાશ દુનિયા માતૃત્વથી છલકાતી પૃથ્વીને (ગેઇઆને) ખૂબ પજવે છે. એવી પજવણીનાં બે ઉપસ્થાનો છે: યુદ્ધ અને ગરીબી. બંનેમાં ભારોભાર હિંસા ભરેલી છે.

નાતાલના પવિત્ર દિવસો દરમિયાન રોજ પરોઢિયે હીંચકા સામે લટકતા તારામાં સચવાયેલી ઇસુની છબી જોતી વખતે પ્રાર્થના કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. એ છબીમાં માતા મેરી બેથલહેમના ઘરની કોઠારમાં જન્મેલા બાળક ઇસુને નીરખી રહી છે. આજે એ કોઠારની જગ્યાએ ભવ્ય ચર્ચ જોવા મળે છે. એ પવિત્ર દેવળને ‘ચર્ચ ઓફ નેટિવિટી’ કહે છે.

નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી. અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી. જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે. માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી. આ દુનિયા પ્રેમમૂર્તિ ઇસુને ક્યારે સમજશે?

પશ્ચિમની ગોરી ખ્રિસ્તી પ્રજા માટે મને જબરો પક્ષપાત છે. એ પ્રજાએ જગતને મેગ્નાકાટૉની ઘટના પછીની સદીઓમાં લોકતંત્ર, સેક્યુલરિઝમ, ન્યાયતંત્ર અને માનવ-અધિકારો જેવી ઉમદા બાબતોની ભેટ ધરી છે. પશ્ચિમમાં પાંગરેલી ખ્રિસ્તીધર્મીય ઉદારતાની વ્યાપક અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બનેલા સમગ્ર ભારતીય ઉપખંડ પર પડી છે. ભારતને પ્રાપ્ત થયેલી ખ્રિસ્તી લઘુમતીની માનસિકતા પર પણ એ ઉદારતાની ઊંડી અસર જોવા મળે છે.

એથી ઊલટું સાઉદી અરેબિયાના (વહાબી) પછાતપણાની નકારાત્મક અસર ભારતીય ઉપખંડની મુસ્લિમ પ્રજા પર પડી છે. મારા સ્વજનની દીકરી ત્યાં નોકરી કરતા પતિ સાથે રહેવા ગઇ ત્યારે એણે બુરખો પહેરવો પડ્યો હતો. આતંકવાદી સંગઠનોને આર્થિક ટેકો સાઉદી અરેબિયા તરફથી પ્રાપ્ત થાય છે. ભારતમાં હિંદુ-ખ્રિસ્તી હુલ્લડો નથી થયાં તે વાતનો જશ ખ્રિસ્તીધર્મીય માનસિકતાને પણ જાય છે.

ધમાઁતર જેવી ઇસુવિરોધી બાબત પણ હવે ક્ષીણ થતી ચાલી છે. દૂર દૂરના પછાત વિસ્તારોમાં નિશાળો અને દવાખાનાં ઉપરાંત થોડું થોડું વિજ્ઞાન પહોંચાડવામાં ખ્રિસ્તી મિશનરીઓનો ફાળો ઓછો નથી. ‘મિશન’ની સંકલ્પના સ્વામી વિવેકાનંદને ખ્રિસ્તી પરંપરા પાસેથી મળી હતી. હવે સાંભળો:

સ્વામી વિવેકાનંદને ઇસુ પ્રત્યે ઘણો આદર હતો. અંતપુર ગામે બાબુરામના ઘરે રામકૃષ્ણ પરમહંસના સૌ શિષ્યો મોડી રાતે તાપણું કરીને બેઠા હતા. માથે આકાશના વિરાટ ચંદરવામાં અસંખ્ય તારા ટમટમી રહ્યા હતા. ધ્યાનનો પ્રારંભ થયો. એ રાતે યુવાન વિવેકાનંદે ઇસુની કરુણાનો મહિમા કર્યો. એમણે ભાવપૂર્વક માતા મેરીનું સ્મરણ કર્યું. ઇસુ વધસ્તંભ પર મૃત્યુને વર્યા તેની વાત કરી ત્યારે સૌ ગુરુબંધુઓ ભાવસમાધિમાં ડૂબી ગયા. વિવેકાનંદે એ સૌને સંન્યાસ માટે પ્રેરણા આપી. એ હતી નાતાલની રાત.

આ પ્રસંગનું સમાપન કરતાં રોમા રોલાં લખે છે: ‘આ વાત વાંચીને યુરોપમાં કોઇ ગેરસમજ ન થવી જોઇએ. આવું બન્યું તેમાં જોર્ડન નદી ભણી પાછાં વળવાની વાત ન હતી. એમાં તો ગંગા અને જોર્ડનના સંગમની સુગંધ હતી.’ આ ઘટનાની નોંધ રોમા રોલાંના પુસ્તક ‘Life of Ramkrishna’માં વાંચવા મળે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘હું કોઇ એક પંથનો વધારો કરવા નથી આવ્યો.’ રામકૃષ્ણ મિશન આજે જે સેવાકાર્ય કરી રહ્યું છે તેના આરંભમાં સ્વામી વિવેકાનંદનો ઇસુપ્રેમ પ્રગટ થતો દીસે છે. મધર ટેરેસાની જન્મશતાબ્દીના આ વર્ષમાં એક વાત પાકી કરી રાખવાની છે અને તે એ કે ભગવાનને માનવસ્વરૂપે જોવાની મિશનરી દ્રષ્ટિ ન હોય તો સેવાકાર્ય પણ પ્રદૂષિત થાય છે.

‘ભગવાન મૃત્યુ પામ્યો છે,’ એવું તોફાની વિધાન કરનારો ચિંતાક નિત્શે ક્યાંક ‘નવા માનવી’ની વાત કરે છે. નિત્શે કહે છે કે: એ નવો માનવી આપણી વચ્ચે જ હયાત હોય છે, પરંતુ લોકો માટે અદ્રશ્ય હોય છે. ‘નવો માનવી’ બનવા માટે માણસે પેલે પાર જવું (go beyond) પડશે. આ માટે કરવું શું? નિત્શે ત્રણ પ્રશ્નો રજૂ કરે છે: (૧) પેલે પાર જવું એટલે શું? (૨) પેલે પાર જવાનું શરૂ શી રીતે થાય? (૩) પેલે પાર જવામાં ક્યાં પહોંચાય? નિત્શે આગળ વધીને કહે છે કે સામાન્ય માણસ (છેલ્લો માણસ) તો પશુ અને નવા માનવી વચ્ચેના તાણેલા દોરડાના સેતુ જેવો છે. જે છેલ્લો જૂનો માણસ છે, તે તો વેરભાવનાથી ભરેલો છે.

એ છેલ્લો માણસ તે આજનાં આપણે સૌ છીએ. નિત્શે કહે છે: ‘માણસ વેરભાવથી મુક્ત થાય એ જ મારે મન ઊંચી આશા છે.’ વેરભાવ આવે છે ક્યાંથી? એ તો સમય પ્રત્યેની ઘૃણામાંથી એટલે કે ‘it was પ્રત્યેની નફરતમાંથી જન્મે છે. ઇચ્છાશક્તિ (will) ને સમય સામે નફરત હોય છે. આ વાત નિત્શે કરે છે, પણ આપણને ઝટ સમજાતી નથી. ઇસુ ક્રોસ પર ચડ્યા ત્યારે ઇસુના ચિત્તમાં અપાર પીડા પહોંચાડનારા લોકો પ્રત્યે જરા જેટલો પણ વેરભાવ ન હતો.

નિત્શેની વાતના સંદર્ભે આપણે કહી શકીએ કે ઇસુ ‘પેલે પાર’ પહોંચેલા મહામાનવ હતા. નિત્શેની કલ્પનાના ‘નવા માનવી’ ઇસુ આપણા માર્ગદર્શક બની શકે. આપણે (જૂનો) ‘છેલ્લો માણસ’ ભલે હોઇએ, પરંતુ આપણે ‘પેલે પાર’ જવાનું છે. We have to go beyond. એકવીસમી સદીનો આ નૂતન ધર્મ છે: ‘going beyond.’

લિયુ ઝિયાબો જેવા માનવ-અધિકારવાદી ચીની નાગરિકને નોબેલ પારિતોષિક મળ્યું, પરંતુ સ્ટોકહોમ ખાતે જે સમારંભ થયો તેમાં ખુરસી ખાલી રાખવામાં આવી હતી. ચીનના વિકાસ માટે ભારતના વિકાસની સરખામણી ન હોય. ત્યાં માનવી ગુલામ છે. ગમે તેવો નિર્દોષ નાગરિક ચીનમાં ગમે ત્યારે ગુનેગારમાં ખપી જાય છે. શું એ સમારંભમાં ખાલી દેખાતી ખુરસી ખરેખર ખાલી હતી? ના, એ ખુરસી પર સૂક્ષ્મ શરીરે સાક્ષાત્ ઇસુ બેઠા હતા! એમને આપણે વંદન કરીએ.

પાઘડીનો વળ છેડે

સિસ્ટર નિવેદિતા (અમદાવાદની) પોળ સાફ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યાં, પરંતુ એ નિરાશ થયાં નહીં. એક દિવસ સવારના ચાર વાગ્યે એ ઊઠ્યાં. સાવરણી હાથમાં લીધી. બીજા હાથમાં ફાનસ લીધું અને ખૂણેખાંચરેથી ખણી-ખોતરીને આખી પોળ વહાણું વાતામાં તો વાળીને સાફ કરી નાખી… ‘આ ભલી મેડમ આપણો કચરો સાફ કરે છે’ એવી ખબર તરત પડી ગઇ.

આખી પોળના માણસો ત્યાં ભરાઇ ગયા. પુરુષો એમની ક્ષમા માગવા લાગ્યા. સ્ત્રીઓ રોઇ ગઇ અને કેટલાકે એમના હાથમાંથી સાવરણી ખેંચી લઇ જાતે બાકીનો ભાગ વાળી નાખ્યો. તે દિવસથી એ પોળ, દીવાનખાના જેવાં સ્વચ્છ રહે છે તેવી, સાફ રહેવા લાગી. પાસેની પોળના માણસો ઘણી વાર આ પોળ જોવા આવતા.- હરિપ્રસાદ વ્રજરાય દેસાઇ

નોંધ : મો. ક. ગાંધીને તંત્રીપદે છપાતા સાપ્તાહિક ‘નવજીવન’ (૨૮-૯-૧૯૧૯)માં લેખમાં સ્વામી વિવેકાનંદનાં શિષ્યા સિસ્ટર નિવેદિતા અંગે પ્રગટ થયેલી વાત.

- ગુણવંત શાહ

Divya bhasker 26/12/2010

મંગળવાર, 2 નવેમ્બર, 2010

આખા ને આખા માણસની કેળવણી

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.

એક જમાનામાં ચરખા પર સૂતર કંતાતું હતું. આજે ઘટમાળના ચરખા પર માણસ કંતાઈ રહ્યો છે. વ્યક્તિત્વના ટુકડા પડવા લાગે ત્યારે માણસ છિન્નભિન્ન થઈ જાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ‘ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા’ યુદ્ધ, પ્રદૂષણ અને ત્રાસવાદ દ્વારા માનવજાતને પજવી રહ્યા છે. દુનિયા આજે એવી કેળવણીની શોધમાં છે, જે ખંડિતને અખંડિત બનાવે, જે પૃથકને અખિલ બનાવે અને જે તૂટેલું હોય એને જોડી આપે. આજની કેળવણી કેવળ મસ્તિષ્કને ધ્યાનમાં રાખનારી છે. કેળવણીમાં અખિલાઈની આરાધના થવી જોઈએ. ગાંધીજીએ જીવનનાં અલગ ખાનાં નહોતાં પાડ્યાં. ડૉ. ઝાકિર હુસેને પોતાના રિપોર્ટમાં નઈ તાલીમને ‘સમગ્ર વ્યક્તિત્વની સાક્ષરતા’ (લિટરસી ઑફ ધ હોલ પર્સનાલિટી) તરીકે પ્રમાણી હતી. ગાંધીજીએ નઈ તાલીમને પોતાના જીવનની ‘સર્વોત્તમ ભેટ’ તરીકે ઓળખાવેલી. જીવન અને શિક્ષણ વચ્ચેના છૂટાછેડા આજની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં છે. ગ્રીક પુરાણકથામાં અડધા અશ્વ અને અડધા માનવ એવા અશ્વમાનવ (હયવદન યાને સેન્ટોર)નો ઉલ્લેખ થયો છે. આજના યંત્રારૂઢ માનવી પાસે અશ્વનું શરીર છે અને માનવીનું ડોકું છે. યંત્ર માનવવત થતું જાય છે અને માનવ યંત્રવત થતો જાય છે.

નઈ તાલીમનું ગુરુત્વમધ્યબિંદુ રેંટિયો નથી, પણ સત્ય છે. રેંટિયો ઉપકરણ છે અને આદરણીય ઉપકરણ છે. ગમે તેટલું ઉપકારક હોય તોય કોઈ ઉપકરણ શાશ્વત ન હોઈ શકે. અમુક સદીમાં એ યુગાનુકૂલ હોઈ શકે છે. સત્ય સ્વભાવે શાશ્વત છે. ગાંધીજી અમર છે કારણ કે એમને સત્યનો સથવારો હતો. શું બુનિયાદી નિશાળનો શિક્ષક મહાત્મા બની શકે ? ભલે ન બને. એનાથી જૂઠું બોલાઈ જાય ત્યારે જો એને આખો દિવસ ખટકો રહે તો પણ બસ છે. ભૂલ તો સૌ કરે છે, પરંતુ ભૂલ થઈ જાય પછીનો ખટકો બડો મૂલ્યવાન છે. ગાંધીજી જેવા સત્યવાદી ન બનાય તો તે ક્ષમ્ય છે, પરંતુ શિક્ષકને જો ‘ખટકોદીક્ષા’ પ્રાપ્ત થાય તો એનો પ્રભાવ પડશે. કવિ સુન્દરમની ક્ષમાયાચના સાથે શિક્ષકે કહેવાનું છે : ‘હું શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !’

વર્ગખંડમાં આખો ને આખો શિક્ષક પ્રવેશે છે ખરો ? કે પછી એના વ્યક્તિત્વનો એકાદ ટુકડો જ વર્ગખંડમાં પ્રવેશે છે ? બાળકો તો આખા ને આખા બેઠા છે ! જે ખંડિત હોય તેનો પ્રભાવ અખંડિત પર શી રીતે પડે ? કોઈ શિક્ષક પ્રશ્નપત્ર ફોડી શકે ? જે કામ માટે આપણને પગાર મળે છે તે કામ પૂરી નિષ્ઠાથી કરવું એ તો સાવ નોર્મલ બાબત ગણાય. કામચોરી એટલે જ દાણચોરી અને દાણચોરી એટલે જ દિલચોરી ! આપણે ગાંધીજી નથી બનવાનું. આપણે જે ‘છીએ’ તે જ બનવાનું છે. બધું જ ફરજિયાત હોય એવી બુનિયાદી નિશાળ પણ આદર્શ જેલ બની શકે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણના આધારે ટકેલી છે. કેળવણી શિક્ષક પ્રત્યેના આદરણીય આકર્ષણ પર નભેલી છે. એ આકર્ષણ દિવ્ય છે. રાજાજીએ કહેલું કે શિક્ષણ તો ‘ચેતનાની ખેતી’ છે. નિષ્પ્રાણ કે મંદપ્રાણ શિક્ષક સમાજનો શત્રુ છે. નિશાળ તો ‘ગ્રામમાતા’ છે. સ્મિત ગુમાવી બેઠેલો નિર્જીવ શિક્ષક ચેતનાની ખેતી કરી શકે ? સ્મિતનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જાણવું કે કોઈ આદર્શ આપણા સહજ, નિર્મળ આનંદને કચડી રહ્યો છે. સાચા શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી અંદરથી રહસ્યમય ખેંચાણ અનુભવે છે.

વર્ષો પહેલાં આચાર્ય કૃપાલાનીએ ‘બેઝિક એજ્યુકેશન : ધ લેટેસ્ટ ફેડ’ પુસ્તક લખેલું. એના મુખપૃષ્ઠ પર ટ્રેક્ટરની પાછળ દોડતા બળદનું ઠઠ્ઠાચિત્ર હતું. પુસ્તકમાં કૃપાલાનીજીએ કેળવણીમાં થતા ‘શબ્દોના જુલમ’ની વાત કરેલી. આજના માહિતીપ્રધાન શિક્ષણે એ જુલમમાં વધારો કર્યો તેથી પ્રતિક્રિયા રૂપે નવું સૂત્ર વહેતું થયું : ‘ભાર વગરનું ભણતર.’ માહિતી એ જ્ઞાન નથી અને જ્ઞાન એ શાણપણ નથી. ઈન્ટરનેટ શાણપણ ન આપી શકે. શાણપણનો સંબંધ ‘અંતરનેટ’ સાથે છે. ગુરુદેવે પ્રાર્થના કરી હતી : ‘અંતર મમ વિકસિત કરો.’ હૃદયની કેળવણી એ જ તો કેળવણીનું હૃદય છે. આજે શિક્ષણમાંથી હૃદયની બાદબાકી થઈ ગઈ છે. સન 1912માં મેડમ મેરિયા મોન્ટેસોરીએ કલાકો સુધી વર્ગમાં પાટલી પર ચોંટી રહેતાં નાનાં બાળકોને ‘ટાંકણી પર ટિંગાડી રાખેલાં પતંગિયાં.’ સાથે સરખાવેલાં. નિશાળો રળિયામણી બને તો જ શિક્ષણ આનંદમય બને. બધું જ્યાં ફરજિયાત હોય ત્યાંથી આનંદ ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સામ્યવાદી સમાજોમાં ચાલતી નિશાળોમાં કાર્લમાર્કસ વિદ્યાર્થીઓના માથા પર ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવતો. બધા વિષયોના અભ્યાસક્રમમાં માર્કસને પરાણે ઘુસાડી દેવામાં આવતો. આવું મહાત્મા ગાંધી માટે કરવાનું જરૂરી નથી. ગાંધીની સુગંધ આપણા પ્રચારની ઓશિયાળી નથી. લોકો વાતવાતમાં પૂછે છે : ‘એકવીસમી સદીમાં ખાદીનું ભવિષ્ય શું ?’ મારો જવાબ છે : ‘એકવીસમી સદીમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સાઈકલનું ઉત્પાદન વધ્યું તેનું કારણ શું ? તમે મહુડી જાવ તો ત્યાં મળતી ગરમ ગરમ ગોળપાપડી જરૂર ખાજો. શું ચોકલેટના આક્રમણ સામે આરોગ્યદાયિની ગોળપાપડી ટકી શકશે ? શું કોકાકોલાના આક્રમણ સામે છાશ ટકી શકશે ? શું એટમિક રીએક્ટર સામે ગોબરગેસ ટકી શકશે ? હા, જરૂર ટકી શકશે. એલોપથીની સાથેસાથ આયુર્વેદનો વ્યાપ પશ્ચિમના દેશોમાં ખાસો વધ્યો છે. ઈસબગૂલ, હરડે અને આમળાનું મહત્વ વધતું જ રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ વધે તેની સાથોસાથ ધ્યાન અને યોગના ઉપકારો ઝટ સમજાય છે. ખાદી ફરજિયાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સમક્ષ ખાદીનું ઈકોલોજીકલ સૌંદર્ય પ્રગટ થાય તો ખાદી પહેરવાનું કહેવું જ ન પડે. ગાંધીજીના જીવનમાં એટલાં તો આકર્ષક તત્વો પડેલાં છે કે નવી પેઢી એમના પ્રત્યે જરૂર ખેંચાય. ગાંધીજી પ્રભાવશાળી ન હતા, એમની સત્યસાધના પ્રભાવશાળી હતી. જૂઠનો જથ્થો ઘટે તો જ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય. માર્કેટ અને મેનેજમેન્ટના પાયામાં પણ જૂઠ હોય તે ન ચાલે. વકીલાતમાં પણ જૂઠ ન ચાલે. રાજકારણમાં પણ અસત્યની બોલબાલા હોય તે ન ચાલે. શિક્ષણમાં તો જૂઠ ટકી જ ન શકે. માણસે મહાત્મા નથી બનવાનું. માણસે ‘માણસ’ બનવાનું છે. માણસના ટુકડા પડે તે યોગ્ય નથી. શિક્ષણ એટલે અખિલાઈની આરાધના.


– ગુણવંત શાહ

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

ગુણવંત શાહના લેખના અંશો

આદરણીય મોરારિબાપુ રામભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે રામભક્ત નથી. મૌલાના વહિદુદ્દીન ખાન સાચા ઇસ્લામના ઉપાસક છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસ્લામના આલિમ નથી. ફાધર વાલેસ ઇસુભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસુના ભક્ત નથી. બધા રામભક્ત મોરારિબાપુ નથી હોતા. બધા મૌલવી મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. બધા પાદરી ફાધર વાલેસ નથી હોતા. ધર્મનો મર્મ ભુલાઇ જાય ત્યારે બાહ્યાચાર લોકોમાં એવી ડંફાસ મારતા ફરે છે કે પોતે જ ધર્મ છે. ધર્મના ક્ષેત્રમાં જે પિત્તળ હોય તે પોતાને સોનું ગણાવતું રહે છે. બિચારું સોનું છોભીલું પડી જાય છે, કારણ કે ઘણાખરા લોકો પિત્તળને જ સોનું માનનારા હોય છે. જલાલુદ્દીન રુમી કહે છે કે જગતમાં બનાવટી સોનું છે તે બાબત એટલું સાબિત કરે છે કે ક્યાંક અસલી સોનું હોવું જ જોઇએ.

દિવ્ય ભાસ્કર તા. ૧૦.૧૦.૨૦૧૦