લેબલ પ્રેમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 18 જૂન, 2015

જીવનમાં પ્રેમ રાખી, માણસને ખામીઓ સાથે સ્વીકારો, આપણે ક્યાં પૂર્ણ છીએ?

तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ 
અર્થાત્ હું જ સૂર્યરૂપે તપું છું, વર્ષાનું આકર્ષણ કરું છું અને તેને વરસાવું છું. હે અર્જુન! હું જ અમૃત અને મૃત્યુ છું અને સત્-અસત્ પણ હું જ છું.


કબીરના નામે એક પદ છે-
 चलो,जाइए गुरु के द्वार, 
साधो,जाइए गुरु के द्वार... 

ગુરુના ઘરનો નક્શો કેવો છે? કબીર કહે છે- 
निजता नीव है, प्रेम पीठिका, अखंड अभेद दीवार | 
मुक्ति द्वार है,कारन किवाड़ छे, वातायन विचार | 

કબીરે મકાન શરૂ કર્યું પાયાથી. નિજતા નીવ છે,ગુરુના ઘરનો પાયો શું છે? આપણી નિજતા,આપણો સ્વભાવ. તેથી જ તો 'ગીતા'કાર કહે છે કે, 'स्वधर्मे निधनं श्रेय |' આપણા ઘરમાં એક ગુરુ બેઠો છે. એનો પાયો નિજતા છે. નિજતા ઉપર જ આ બધું ચાલે છે. આપણે તો ઉધારમાં જીવીએ છીએ, માન્યતા ઉપર આપણે જીવીએ છીએ. કોઈએ કહ્યું અને આપણે માની લીધું! બુદ્ધ કહે છે ને કે,આંગળી તો ચંદ્ર બતાવવા ઊઠી હતી અને લોકોએ આંગળીને જ ચાંદ માની લીધો! શાસ્ત્ર સંકેત છે. સંકેતને સમજીને આપણે આંખો તો આપણી જ ખોલવી પડે છે. હું વારંવાર કહું છું કે કોઈનાં અદ્‌ભુત હોય,પરંતુ એ ચરણનો સ્પર્શ કરવા માટે,એને જોવા માટે જવું હશે ત્યારે તો આપણાં ચરણથી જ જવું પડશે. માનો કે કોઈની આંખો બહુ જ પ્યારી છે,એને જોવા માટે તો આપણી જ આંખો જરૂરી છે. 

જે નિજતાને આપમેળે વિકસિત નથી કરતા,એને અસ્તિત્વ બહુ આદર નથી આપતું. આપણે ઉધારમાં જીવી રહ્યા છીએ,બીતાંબીતાં જીવી રહ્યાં છીએ. લોભ કે ભયને લીધે નિજતા ખોવાઈ ગઈ છે! 

તો,નિજતા પાયો છે. પ્રેમ પીઠીકા.' પાયો થયો,પ્લીન્થ બની ગઈ,હવે દીવાર તો હોવી જોઈએ ને? કેટલી અદ્‌ભુત વાત છે! 'અખંડ અભેદ દીવાર.' બધી જ સીમાઓને આદર આપતી ગુરુની દીવાલ અખંડ અને અભેદ હોય છે. ત્યાં કોઈ ભેદ નથી હોતો. 'ડોમેસ્ટિક વોલ્સ' તો હોતી જ નથી. ન વર્ગભેદ હોય છે, ન વર્ણભેદ હોય છે,ન ધર્મભેદ હોય છે; ત્યાં કેવળ પરમતત્વ પ્રધાન છે. આપણો અભેદભાવ અખંડ નથી. 'અખંડ' શબ્દ સમજીને પ્રયોજ્યો છે. આપણે મંચ પર અખંડની ચર્ચા કરીએ છીએ,પરંતુ ત્યાંથી ઊતરીને ફરી પાછા એ જ ભેદ! સદ્‌ગુરુના ઘરની દીવાલ અખંડ અભેદની છે. જો ગુરુના ઘરનો પરિચય કરવો હોય તો સૂક્ષ્મ નજરથી જોવું,એ જાગૃત પુરુષના મનમાં ક્યાંય ભેદ તો નથી ને? જલદી જલદી કોઈના પગ ન પકડવા. તમે બરાબર ઓળખો. મંદિરમાં આપણે પરિક્રમા કરીએ છીએ એ શું છે? પરમાત્મા આપણને એક શિખામણ આપે છે કે તું દર્શન કરવા કે શરણાગત થવા આવ્યો છે,પરંતુ પહેલાં તું મને ચારેબાજુથી જોઈ લે. સ્વામી રામતીર્થ જયારે જંગલમાં,મસ્તીમાં પડ્યા રહેતા'તા ત્યારે કોઈ પગ પકડવા આવતું તો કહેતાં'તા કે 'આટલા જલ્દી પગ પકડ મા.' અને આપણે ત્યાં તો પગ પકડવાનું નેટવર્ક ઊભું કરાય છે! હું કહેતો રહું છું,વક્તાને ન પકડો, વક્તવ્યને પકડો. વક્તા ધોખો દઈ શકે છે. જો પ્રેમ કરતા હો,તો માણસને એની ખામીઓ સાથે સ્વીકારતા શીખો. આપણે ક્યાં પૂર્ણ છીએ? 

સાધુનાં ઘરે કોઈ ભેદ નથી હોતો. અખંડ અભેદ. મંચ પર જુદાં જુદાં ધર્મનોના અગ્રણી એકઠા થાય છે ત્યારે સૌ એટલી વિશાળતાથી બોલે છે કે એમ લાગે કે કાલથી રામરાજ્ય શરૂ થઇ જશે! પરંતુ પછી સૌ પોતપોતાના ગ્રુપમાં જાય છે ત્યારે ફરી પાછાં એ જ ભેદ,એ જ સંકીર્ણતા! 
अगर तू बस्तीमे पलता है, तो विराने में कौन? 
अगर तू तसबीह के एक दाने में है, तो दाने दाने में कौन? 

ગુડગાંવની કથામાં આપણે નિર્ણય કરીએ કે જ્યાં સુધી ચેતનાની જાગૃતિ રહેશે ત્યાં સુધી વિભાજનથી દૂર રહીશું. દ્વૈત ક્રોધ પેદા કરે છે અને ક્રોધ માણસને ચાંડાલ બનાવી દે છે. હું તમને અંગત પ્રાર્થના કરું કે કોઈ પણ વ્યક્તિની બાબતમાં ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના આચરણને જોઈને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના વક્તવ્યને સાંભળીને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો. એને પૂરો ઓળખ્યા વિના નિર્ણય ન કરો,ઉતાવળ ન કરો. હું તો એટલું જ સમજુ છું કે બીજાને જે હલકો માને એના જેવો વિશ્વમાં બીજો કોઈ હલકો નથી. મારું 'માનસ' તો કહે છે- 
सीय राममय सब जग जानी | 
करउं प्रनाम जोरि जुग पानी || 

જો બોધ થયો છે તો વિરોધ કેવો? બુદ્ધનાં કદમ અંગુલિમાલ તરફ પણ એટલા જ વાત્સલ્યથી જઈ રહ્યા હતા. એક શે'ર મેં લખી લીધો છે- 
जिस प्यार की उम्रभर तलाश रही, 
इस जमीं पर तो नही, शायद आसमां में हो | 
આ નિરાશા છે. આકાશમાં કાંઈ નથી. જે છે એ અહીં છે. આપણી પૃથ્વી બહુ જ પ્યારી છે. આપણી સંકીર્ણતાને કારણે આ બધું થઇ રહ્યું છે! ધ્રુવ ભટ્ટની રાધા કહે છે કે,અમને બહુ મોડું સમજાયું કે પ્રેમ પરમાત્મા સાથે નથી થઇ શકતો,માણસ સાથે જ થઇ શકે છે. આપણને ગમે તેને પ્રમાણપત્ર આપવાની ઉતાવળ છે! પ્લીઝ ઉતાવળ ન કરો,અને પ્રમાણપત્ર આપનારા આપણે કોણ? 
(સંકલન : જયદેવ માંકડ)


માનસ મંદાકિની - મોરારીબાપુ 
નવગુજરાત સમય - બોધિવૃક્ષ - ૦૪/૦૬/૨૦૧૫  

બુધવાર, 3 એપ્રિલ, 2013

પ્રેમ સુખની સેજ નહીં, દુ:ખના ડુંગર ખડકે છે


- સાયન્સ ઓફ લવનાં બે પુસ્તકોઃ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે

મહાન ફિલસૂફ પ્લેટો પ્રેમને સિરિયસ મેન્ટલ ડિસીઝ કહેતા. એરિસ્ટોટલ પ્રેમને ઊંચું રૂપ આપી કહેતા કે બે શરીરમાં એક આત્મા હોય તે પ્રેમ, પણ કોઈ લેખક તે ગુજરાતી હોય તે 'પ્રેમ’ શબ્દ વાંચે ત્યાં તેના હોર્મોન લેવલ ઊંચાં ચઢે છે. પ્રેમ વિશે સતત લખાતું જ આવ્યું છે અને હજી લખાતું જ રહેશે. ફેબ્રુઆરી-૨૦૧૩માં જ અમેરિકાના એક પ્રકાશકે 'લવ’ ઉપર ૨૦ પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. હોલિવૂડની ફિલ્મ સ્ટાર ટીના ટર્નરે પ્રેમને 'સેકન્ડ હેન્ડ ઈમોશન’ કહીને તેનું અવમૂલ્યન કરેલું. સંજયલીલા ભણસાળી અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે અનુક્રમે પ્રેમની ફિલ્મોમાંથી અઢળક કમાણી કરેલી, બીજાએ નામના (ભણસાળી) કાઢેલી.

દા.ત દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ, સરસ્વતીચંદ્ર નામની નવલકથા ટી.વી. ઉપર લાં...બા સમય સુધી દેખાવાની છે ત્યારે લેખકોને મસાલો મળી રહે તેવું એક પુસ્તક હાલમાં જ પ્રગટ થયું છે. તેનું નામ છે. ''સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ’’ લેખક બ્રિટિશર છે. તેમણે યુરોપ-અમેરિકાના સંસ્કાર પ્રમાણે પ્રેમની સાથે વિજ્ઞાનને જોડીને થોડોક સ્વાદ બગાડયો છે. ઉપરાંત તેણે પ્રેમમાં બિટ્રેયલ એટલે કે બેવફાઈ, વિશ્વાસઘાત, કપટ દ્રોહ કે ધોખા જેવા શબ્દને જોડયો છે તે પણ પ‌શ્ચિ‌મનો વિરોધભાસી શબ્દ છે. સૌપ્રથમ તો પ્રેમ થયો એટલે ભારતમાં એ જનમો જનમનો પ્રેમ ગણાય છે. તેમાં બિટ્રેયલ આવતું જ નથી. તમને પ્રેમ કરનારી યુવતી કે યુવક પરણવાને બદલે ભારતીય સંસ્કાર અને રૂઢિ પ્રમાણે બીજે પરણે તો તેમાં બિટ્રેયલ શબ્દ તદન ફાલતું અને ભૌતિક તેમજ ભારતીય સંસ્કારોની વિરુદ્ધ છે. પ્રેમ એટલે પ્રેમ અને તે અમર હોય છે.

છતાં ૨૧મી સદી આવી છે. રોબીન ડનબાર જેવા માનવવિકાસના ઈતિહાસના અભ્યાસી અને નૃવંશશાસ્ત્રી (એનથ્રો પોલોજિસ્ટ) અને માનવ વિજ્ઞાની પ્રેમના વિજ્ઞાન વિશે લખે તો તેણે ઊંડો અભ્યાસ કરીને દેશે દેશમાં ફરીને પ્રેમનાં પરિમાણો જોયાં હશે જ એટલે તેના પુસ્તકમાં શું નવીન અને જાણવા યોગ્ય લખ્યું છે તે જાણવું જ જોઈએ. તેની પાકટ એટલે કે ૬૬ વર્ષની વયે તે પ્રેમની વાત કરી છે તો તે જવાબદાર હશે જ. અત્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિ‌ટીમાં પ્રોફેસર ઓફ ઈવોલ્યુશનરી સાયકોલોજીનો હોદ્દો ધરાવે છે. વિજ્ઞાનનું ઘરઘરણું પ્રેમ સાથે કરીને આ પ‌શ્ચિ‌મી પંતુજી બેસી રહ્યાં નથી.

રોબીન ડનબારે મનોવિજ્ઞાનીઓ પાસે યુવક-યુવતીનાં માનસ તપાસરાવીને તેમનામાં પ્રેમ કરવાની કેટલી ક્ષમતા છે, પ્રેમમા વફાદાર રહેવાની કેટલી તમન્ના છે. વગેરે વગેરે આંક (ઈન્ડેક્સ) કાઢીને એક આંકડો નક્કી કર્યો છે. જુદાં જુદાં પ્રમાણો-ધોરણોના આંકડા મૂકી બંને પ્રેમીઓ ૧પ૦ના આંકે પહોંચે તો બંને પરફેક્ટ પાર્ટનર બનશે તેવું નક્કી થાય છે
જો એમ આંકડા મૂકવા જાઓ કે ઝાઝી પંચાત કરવા જઈએ તો પ્રેમ થાય જ નહીં તેવું ઓશો રજનીશ પણ કહી ગયા છે.
રોબીન ડરબારની વાતને તડકે મૂકીને આપણા ગુજરાતીઓને જ્યાં આકર્ષણ થાય ત્યાં મારી સલાહ છે કે પ્રેમમાં ખાબકવું.

વફાદારી, લગ્નમાં બંધાવાની તલબ વગેરેને ઈશ્વર ભરોસે મૂકી પ્રેમ કરતાં રહેવું. પ્રેમને એક ધર્મ માનવો. એ ધર્મ ઓશો રજનીશની થિયરી પ્રમાણે એક બે કે ત્રણ વ્યકિતને પ્રેમ કરવાથી લાંછિત થતો નથી. આ આપણા ગુજરાતીઓની મારી-તમારી વાત થઈ. રોબીન ડનબાર શું કહે છે? રોબીન ડનબાર તો રજનીશને આંટી જાય તેવી વાત પણ કરે છે. આજે ફેસબુક, ઈન્ટરનેટ અને બીજી સોશિયલ બેવસાઈટને કારણે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે ડઝનબંધ સંબંધો બંધાય છે. તેમાં અડધોડઝન તો ''પ્રેમથી’’ બંધાય છે.

''ધ સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ વિશે હું લખત નહીં પણ લંડનના આર્થિ‌ક સાપ્તાહિ‌ક ''ધ ઈકોનોમિસ્ટ’’ અને લંડનના '' ધ ટાઈમ્સ લીટરરી સીલીમેન્ટ’’ જેમાં માત્ર સહિ‌ત્યને લગ કે મનોવિજ્ઞાનને લગતાં ગંભીર પુસ્તકોના જ રિવ્યુ આવે છે. તેમાં સાયન્સ ઓફ લવ...ના રિવ્યુ છપાયો એટલે મારે લખ્યા વગર છૂટકો નથી. પ્રેમમાં પડવામાં જોખમ છે અને જોખમ ઉઠાવવું તે માનવનો સ્વભાવ છે એટલે જો તમે પ્રેમમાં પડો પછી વછૂટી જાઓ તો તેમાં કોઈ બિટ્રેયલ આવતું નથી. આ પુસ્તકની હારોહાર એક બીજું પુસ્તક પણ ફ્રેન્ચ ફિલોસોફર અલેન બાદુએ પણ પ્રગટ કર્યું તે અફલાતૂન છે. પુસ્તકનું નામ છે ''ઈન પ્રેઈઝ ઓફ લવ’’ એમણે કદાચ કોઈ બંગાળી છોકરી સાથે પ્રેમ કર્યો હશે તે પ્રેમનું બહુમાન કરે છે અને મને તમને ચગાવે છે કે ''પ્રેમ કરતા રહો... બાકીનું કીરતાર સંભાળી લેશે.’’ તેમણે સુંદર વાક્ય લખ્યું છે. રિસ્ક ઈઝ સેન્ટ્રલ ટુ લવ’’ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે.

ફ્રેન્ચ ફિલોસોફર ખૂબ વાસ્તવવાદી છે. તમને 'કાદમ્બરી’ સાથે પ્રેમ થયો? 'કાદમ્બરી’ ર૧મી સદીની રોમેન્ટિક યુવતી છે. તે સ્કૂલમાં જ પ્રેમ કરતી થઈ છે, પછી કોલેજમાં વધુ રોમેન્ટિક થઈ છે. પછી ગૂગલ, ફેસબુક વગેરે વગેરેમાં તે મલ્ટિપલ સંબંધોમાં આવે છે. એટલે જો તમારે ૨૧મી સદીના પ્રેમી થવું હોય તો તમારા પ્રેમી કે પ્રેયસીના મલ્ટિપલ સંબંધોને પચાવ્યા વગર છૂટકો નથી. ડો. અલને બાદુ એક સરસ શબ્દ વાપરે છે તમારા બંનેનો શેર્ડ-પરસ્પેક્ટિવ હોવા જોઈએ. જો તમે તમારા પ્રેમીપાત્રના જીવનના પરસ્પેક્ટિવ ને સમજી લો તો વફાઈ કે બેવફાઈ શબ્દ જ રહેતો નથી. પરસ્પેક્ટિવ એટલે જીવનસંદર્ભ તમારા બંનેની વિચારશ્રેણી તમારો દૃષ્ટિકોણ તમે આ સમજી લો તો ભલે તમારી પ્રેમિકા બીજે પરણી જાય. ભલે પ્રેમી બીજી બીજી યુવતીને પ્રેમ કરે પણ તમારાથી તે અલગ થવાના નથી. (મનથી-લાગણીથી વિચારશ્રેણીથી) તેનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. સાચું?

ડો. અલેન બાદુ કહે છે કે જે પ્રેમમાં પડીને ઘવાઈ જવા તૈયાર નથી તે પ્રેમ માટે લાયક નથી... તે પ્રેમને નામે કાઠિયાવાડી ભાષામાં ''હાલી મળેલો’’ છે. ટૂંકમાં પ્રેમમાં પડો એટલે તમામ જોખમો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમિકાનો બાપ કે ભાઈ ગુંડા પાસે માર ખવરાવે તો તે માટે તૈયાર રહો... અહીં ડો. અલેન બાદુની પ્રેમની વાત પૂરી થાય છે. આપણે જેને ખંધોલે ચઢી પ્રેમની આ કથા માંડી તે ''સાયન્સ ઓફ લવ’’ની વાતને હવે સંક્ષેપમાં સારરૂપે પૂરી કરીએ.

… લખી લો કે આજે પરફેકટર - જીવનસાથી એ માત્ર ભ્રમણા છે. ખાસ કરીને આજના ગ્લોબ-લાઈઝેશનના યુગમાં. આપણે આજે આઈડિયલ-દુનિયામાં જીવતા નથી. એ આદર્શવાદનો જમાનો ગયો આપણે માર્કેટની દુનિયામાં આવી પુગ્યા છીએ … લેખક રોબીન ડનબાર કહે છે કે તમારી પસંદગીનાં ધોરણ જ વિરોધાભાસી છે. તમને સ્વરૂપવાન પત્ની જોઈએ અને તે ગુણિયલ પણ જોઈએ. ઘર સંભાળે અને કવચિત કમાય તેવી પણ પત્ની જોઈએ. શકય છે? બોલો. ઈન્ટરનેટ-ડેટિંગ ભારતનાં શહેરોમાં વધ્યું છે તે સાથે પ્રેમ ભંગતા વધી છે. તમારી બી લવેડ ટેઈલર મેઈડ મળે તે માત્ર અને માત્ર નસીબ ઉપર છે.

ગાડાનાં ગાડાં ભરાય તેટલું લખી શકાય પણ જુવાનીમાં કે પ્રેમલગ્ન કર્યાં પછી પણ આજે નવા પ્રેમમાં પડી શકો છો. વિજ્ઞાની કહે છે કે લવ ઈઝ મેની થિંગ સ્પ્લેન્ડર્ડ એન્ડ બ્લડ થસ્ર્ટી થિંગ એક બાજુ પ્રેમમાં પડવું તે ગૌરવવાળી વાત છે. વિશાળ હૃદયની દ્યોતક છે. જીવન ઉજ્જવળ થવાની વાત છે. પણ પણ સાથે તે લોહી ચૂસનારી વસ્તુય છે.

કાંતિ ભટ્ટ -  દિવ્ય ભાસ્કર

મંગળવાર, 10 એપ્રિલ, 2012

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો


મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશીર બદ્ર

          સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

          આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

         એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

          પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની - નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

          પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

          એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

          માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક - બે વખત કે પાંચ - દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

         પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ટેકન ફોર ગ્રાન્ટેડલેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

          માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા - અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

         લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?
 
છેલ્લો સીન :
આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
-જ્યોર્જ એલિયટ 
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ  9/4/2012

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો

પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે સઘન અહંકારને લઈને પ્રેમના જગતમાં પ્રવેશ કરે છે તો સ્વાભાવિક છે કે નિષ્ફળ થઈ જાય છે.

રહિમન મૈન તુરંગ ચઢિ, ચલિબો પાવક માહિં| પ્રેમપંથ ઐસો કઠિન, સબ કોઈ નિબહત નાહિં||

પ્રસિદ્ધ કવિ રહિમ કહે છે કે જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ ઘોડા પર બેસી એમાંથી પસાર થાય એવો જ કઠિન પ્રેમપંથ છે, એટલે એને બધા નથી નિભાવી શકતા. રહિમની સાથે આપણે સૌ સંમત થઈશું, કેમકે આપણો અનુભવ પણ એ જ છે. પ્રેમ એ તત્વ છે જેના વિશે વિશ્વમાં સૌથી વધુ રચના થઈ છે. કવિતા, વાર્તા, નવલકથા, ફિલ્મ, ચિત્ર - બધાં પ્રકારનાં સર્જન પ્રેમ ફરતે થયાં છે અને થાય છે. પ્રેમ તમામ સર્જકોને હંમેશાં પ્રેરણા આપતો રહ્યો છે, પરંતુ તમે કદી વિચાર કર્યો છે કે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે જેના માટે દરેક માણસ તરસે છે, પણ બધા એ કરી કે મેળવી શકતા નથી.

એટલે એક યા બીજાં સ્વરૂપે પ્રેમનાં સપનાં જોઈ-બતાવી સંતોષ મેળવી લે છે. પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે અહંકાર સાથે પ્રેમજગતમાં પ્રવેશ કરે છે ત્યારે સ્વાભાવિકપણે જ નિષ્ફળ જાય છે.

પ્રેમને માટે શબ્દપ્રયોગ છે : પ્રેમમાં પડવું - ફોલિંગ ઈન લવ. પ્રેમમાં પડવાનું શા માટે હોય છે? આ સુંદર ઘટનાને પડવાનું લેબલ શા માટે લગાડાય છે? આ અને આવા શબ્દો બુદ્ધિના દ્રષ્ટિકોણથી ઊપસી આવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેમ થાય છે હૃદયમાં અને માણસ જીવે છે મગજથી. શરીરમાં મગજ હોય છે ઉપર અને હૃદય હોય છે નીચે, એટલે કહે છે ‘પડવું’. વળી માનસિક રીતે પણ પ્રેમનો અનુભવ પડવા જેવો જ હોય છે.

કોઈના પર દિલ આવી ગયું હોય તો એવું લાગે છે જાણે કેળાંની છાલ પર પગ લપસીને પડી ગયા. તમારી બુદ્ધિ કહે છે કે તમે તો સમજદાર માણસ હતા, આવી નાદાની ક્યાં કરી બેઠા? પ્રેમની નાદાનીથી બુદ્ધિજીવી માણસ બચીને રહે છે, કેમકે પ્રેમમાં એની સ્વાયત્તતા ખોવાઈ જાય છે, પોતાપણું ખોવાઈ જાય છે. એને લાગે પોતે બીજાનો ગુલામ બની ગયો છે. હવે તમે એ પુરુષ કે સ્ત્રી વગર રહી શકતાં નથી. એ વ્યક્તિ તમારી હવે અનિવાર્યતા બની ગઈ. એના વગર તમને ખૂબ મુશ્કેલી લાગશે, જીવવું વ્યર્થ લાગશે, એકલતા લાગશે, ખાલીપણું અનુભવાશે.

એક અર્થમાં તમને જેને માટે પ્રેમ થયો એ વ્યક્તિ તમારી માલિક બની ગઈ અને કોઈ તમારું માલિક બની જાય એ ‘ઇચ્છનીય’ લાગણી તો નથી જ. આમ, પ્રેમના બધા જ સંબંધો દુ:ખમાં, કલેશમાં લઈ જાય છે. અલબત્ત, આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. એના માટે ‘પ્રેમમાં પડવું’ શબ્દપ્રયોગ વપરાતો નથી. એને આપણે કહીશું, પ્રેમમાં હોવું - બીઈંગ ઈન લવ. એનો સ્વભાવ મૈત્રીનો છે. આ પ્રેમનું વર્ણન કરતાં ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાચો પ્રેમી મંદિરના બે સ્તંભ જેવો હોય છે.

બહુ જ પાસે પણ નહીં, કેમ કે એ બહુ નજીક હોય તો મંદિર પડી જાય. તે જ પ્રમાણે, બહુ દૂર પણ નહીં, કેમકે એ અંતર બહુ વધે તોય મંદિર પડી જાય. સાચા પ્રેમી એકબીજાંથી ન તો બહુ નજીક હોય છે, ન બહુ દૂર. થોડું અંતર વચ્ચે જરૂર રાખે છે, જેથી બન્નેની સ્વતંત્રતા જીવિત રહે અને એકમેકની સીમામાં અકારણ હસ્તક્ષેપ ન થાય.

ઓશોએ પ્રેમનાં ત્રણ સ્તર કહ્યા છે –

પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે.

ઘ્યાન , અમૃત સાધના

શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રેમમાં તો એવું યે થાય છે

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

પ્રેમઃમાંહ્યલાનીમાવજત

બધાની સાથે હોવા છતાં પોતાનાથી દૂર રહેવું એ દુનિયા છે. બધાની સાથે હોવા છતાં પોતાની સાથે રહેવું એ કલા છે. ઘણોખરો સમય બીજાના ફોન ઉપાડવામાં, ગપ્પા-ગોષ્ઠી, બાંધેલા સંબંધની માવજત કરવામાં વપરાઇ જાય છે. આ બધામાં ગુંગળાઇ જાય છે પ્રેમ! ફુગ્ગાની અંદરની હવાને જે રીતે બાળકની ઊછળકૂદનો ધક્કો વાગે છે એમ આપણા પ્રેમને ગુંગળામણની હવામાં જીવવું પડે છે. પ્રેમ લખવાનો, વાંચવાનો કે કોઇ એક વ્યક્તિના અધિકારનો વિષય નથી. એ તો દરેક સંબંધના ઋણાનુબંધની કુંડળી છે. પ્રેમ હશે તો સંબંધનું કોઇપણ નામ આપોઆપ સચવાઇ જશે. પ્રેમ સંબંધની રૃએ નક્કી થાય છે પણ પ્રેમ રૃએ સંબંધ છતો નથી થતો!

વરસાદી દિવસોની ભીનાશ છે પ્રેમ પાસે. વરસાદ આવે છે ત્યારે યાદ આવે છે પ્રેમ! અને પ્રેમમાં પડીએ છીએ ત્યારે બધા જ દિવસો વરસાદી બની જાય છે. ખાલી ફોટો ફ્રેમમાં લગાડવાનો બાકી રહી ગયેલો ફોટો હસવા માંડે છે. પાણી આપણી ગમતી વ્યક્તિ પીવે અને તરસ આપણી બુઝાય છે. વાત થયા વગર વાત થાય છે. વાત થયા પછી પણ વાતો અધુરી રહી જાય છે. અરીસો ગમતી ક્ષણોને આવકારતું બારણું બની જાય છે. ગમતો ચહેરો જોવા માટે આંખો બંધ નથી કરવી પડતી. બધામાં બધું જ ગમવા માંડે છે. જવાબદારીનું ભાન થવા માંડે છે. ઊંમર કરતા નાના થઇ જવાય છે. કવિતાઓ સાચી લાગવા માંડે છે. મિત્રોને મળતી વખતે એક જ વાતની ચર્ચા થવા માંડે છે. ફેસબુકની ઢગલાબંધ ફ્રેન્ડસ્ રીક્વેસ્ટમાં પોતાની ગમતી રીકવેસ્ટની રાહ જોવાય છે. પ્રેમ ઉંમર પ્રમાણે પોતાનું કામ કરે છે.

સપનામાં દેખાતી પરીઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. પિકચરની દરેક સ્ટોરીમાં પોતાની life દેખાય છે. પ્રેમનો સ્કેચ જીવનની આછી પાતળી આઉટલાઇન વડે આજીવન કંડારાઇ જાય છે એવું ચિત્ર બનાવે છે. આ ચિત્ર દરેકને પોતાની આંખોથી જુદું જુદું દેખાય છે. તમે બીજાને એના વિશે કહી શકો છો. તમારી કહેવાની વાતો રસપ્રદ બની શકે છે પરંતુ નખશિખ વર્ણન અધુરુ રહી જાય છે. S.M.S. ની બદલાયેલી ભાષા પ્રેમને આભારી છે. ચેટીંગની આંગળીઓ હથેળીઓના સ્પર્શનું અનુસંધાન બને છે. પ્રેમ નવી આબોહવાને સર્વપ્રથમ આવકારે છે.

પ્રેમને રૃટીન નથી ગમતું. એટલે જ એને વર્તમાનમાં રસ પડે છે. ચઢતા ક્રમમાં પ્રેમ ગોઠવાય છે ખરો પણ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હોય છે. પ્રેમને કરચલીઓ નથી નડતી! એને તો સુગંધનો છાંયડો ધબકારાના વનમાં ખિલવવો હોય છે. તમે પ્રેમમાં પડો છો પછી તમારું અસ્તીત્વ પ્રેમમય બને છે. કૃષ્ણને એટલે જ ભગવાન પછી પણ પ્રેમી તરીકે સ્વીકારી લેવાય છે. ચાંદની ગુલાબની પાંકડીઓ પર થાક ખાય છે ત્યારે ગમતો ચહેરો આકાશમાં ઊગે છે. એને કરમાઈ કે આથમી જવાનો ભય નથી લાગતો! પ્રેમ ગમે તેટલો વૃધ્ધ થાય આપણા સપનાનો ચહેરો ક્યારેય ઘરડો નહીં થવા દે! આંખોની ચમક આપણા પ્રેમને આભારી છે. ફરિયાદ નથી ગમતી પ્રેમને! એટલે જ સ્મૃતિને વાગોળે છે ત્યારે ખંડિત થયેલા સંબંધોને પણ ડંખ મારવાનું એને નથી ગમતું! પ્રેમ ખોટો હોઇ જ ના શકે. કેવળ પ્રેમને સાબિત કરવા મથતો સંબંધ એની ઉપર 'હાવી' થવા માંગતો હોય છે.

પ્રેમની પરિભાષા બદલાઇ ગઇ છે. 'ચીક' અને 'ડૂડ વાળી પેઢી સમજીને ઊતાવળ નથી કરતી! પ્રેમમાં તરત પડે છે! ગઇકાલ અને આવતીકાલના હિંચકાની વચ્ચે એનો પગ ઠેસ બને એ પહેલાં ઠોકર બને છે. એ પોતાને જાતને સંભાળતા આપોઆપ શિખે છે એટલે જ એને છોલાઇ જવાની મઝા આવે છે. એને પ્રેમ ઉપર ઓછો, મિત્રો ઉપર વધારે વિશ્વાસ મૂકવાનું મન થાય છે.

વિચારીને મૂલ્યાંકન કરીને ટાઇમ ટેબલ પ્રમાણે વર્તીને પ્રેમમાં નથી પડાતું. નવી પેઢીને આ વાતની ખબર છે એટલે 'મઝા' નામના શબ્દનો ઉપયોગ વારંવાર ખોટી રીતે થાય છે.

પ્રેમ કેવો છે? એનો જવાબ કેવી રીતે આપી શકાય? પ્રેમ ખુલ્લા આકાશ નીચે જીવતા બે અલગ અલગ શહેર જેવો છે. ફેસબુક પર બ્લોગ લખનારો દરેક જણ કવિ હોય છે તેમ જ પ્રેમમાં પડનારો દરેક જણ દુનિયા કરતા અલગ હોય છે! પ્રેમ ચશ્માના નંબરને નહીં આરપારની દ્રષ્ટિને જોવે છે. બધી જ દિશાઓ એક તરફી કરી આપે છે. ફોટાને ફ્રેમની જરૃર નથી પડતી. આપણે દુનિયાના 'ખાસ' વ્યક્તિ બની જઇએ છીએ. બીજા બધા જ કામમાં કંટાળો આવે છે. મળવાની મુલાકાતો પહેલાંનો અને પછીનો સમય SMS માં વિતે છે. મળતી વખતે બોલવા જેવું બધું જ બાજુ પર રહી જાય છે. વરસાદ મોસમનો એક ભાગ છે એવું નથી લાગતું! આપણી માલિકીનો બની જાય છે. અક્કડ રહેતો ચહેરો મરમાળું સ્મિત આપે છે. હોઠોને મૌન મળવા આવે છે. ચૂપકીદી ખુલાસાઓનો સામનો કરે છે. સાંજ ગમવા માંડે છે. સંગીતનું સરનામું શોધતા શોધતા કાન લટાર મારે છે અણસારાની આંગળી ઝાલીને... પ્રેમને હારવાનો શોખ હોય છે એટલે મૃત્યુને જીતાડે છે. મૃત્યુ સંબંધનું પણ હોઇ શકે છે. પ્રેમ હારીને મૃત્યુની અદબ જાળવે છે. મૃત્યુ જન્મદિવસથી લઇને અનંત સુધી સપનું ઓઢાડીને આપણને તેડીને ચાલી નીકળે છે... મૃત્યુ નિશ્ચિત છે માટે પ્રેમ શાશ્વત છે... ઈશ્વરની ગેરહાજરીમાં માણસ તરીકે જીવાડવાનું મોટું કામ કરે છે પ્રેમ... અનંતની ચરમસીમા નક્કી નથી કરી શકાતી. શિખર અને ખીણ પાસપાસે જ હોય છે...

ઓનબીટ

''દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે''
મરીઝ

ઓફબીટ - અંકિત ત્રિવેદી


રવિવાર, 23 જાન્યુઆરી, 2011

પાઘડીનો વળ છેડે

પ્રેમ અને ચંદ્ર વચ્ચે એક બાબત સરખી છે. જ્યારે પ્રેમ વધતો ન હોય, ત્યારે એ જરૂર ઘટતો હોય છે. ચંદ્રની કળાનું પણ એવું જ!-
- એક પોર્ચુગીઝ કહેવત

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

પ્રેમ અને દોસ્તી : પુરુષની દ્રષ્ટિ

સ્ત્રી જો વર્ષોસુધી માત્ર દોસ્ત જ રહે છે તો એ સ્ત્રીમાં જરૂર કંઈક કમી છે, મનની, શરીરની, સેક્સની. અથવા એ... ગુજરાતી સ્ત્રી છે?

..........

પ્રેમમાં સફળતા એ ટ્રેજેડી છે. પડદો પડી જાય છે, બહારની દુનિયા બંધ થઈ જાય છે. સૌંદર્ય ૩ રાત અને ૨ દિવસની ચાંદની છે, માટે જ કદાચ હનીમૂનની પેકેજ-ટૂરો ૩ રાત અને ૨ દિવસની હોય છે. સૌંદર્યને જૂનું થઈ જવા માટે એટલો સમય કાફી છે. અતિપરિચય સૌંદર્યનું મૃત્યુ છે. પ્રેમમાં દરેક પુરુષ કર્મયોગી હોય છે. પ્રેમમાં નિષ્ફળતા એ સારી વસ્તુ છે, બેટરીઓ ચાર્જ થઈ જાય છે, બુસ્ટર-રોકેટ ફાટે છે, ડોકિંગ થાય છે, ડી-ડોકિંગ થાય છે, પ્રેમ ટ્રેજેક્ટરીની બહાર નીકળી જાય છે, પ્રિયનું મૃત્યુ કે ડિવોર્સ એ પ્રેમની સ્પ્લેશડાઉન છે. કેક પરના આઇસિંગની જેમ પ્રેમ પર કવિતા સ્ફુરે છે, પશ્ચાત્ સંગીતનું ફેડ-આઉટ થાય છે. કાળી મૂછો, જાડી પ્રિયાઓ, મલમલ અને મખમલ, લવન્ડર રંગછાયાઓ... એ પશ્વિમનો પ્રેમ હતો. આપણે ત્યાં મંગળ વરચે આવે છે, શનિ છે, ગુરુ નપુંસક છે, રાહુ-કેતુ છે. અહીં ગુરુ અને શનિ પ્રેમ કરે છે, મંગળ અને મંગળ પ્રેમ કરે છે, પુરુષ અને સ્ત્રી એ માત્ર અકસ્માતો છે.