લેબલ ઓશો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઓશો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

પસ્તાવો વિપુલ ઝરણું ખરું પણ પછી પુણ્યશાળી બનો છો?

 
રિપેન્ટન્સ (પસ્તાવો)ને જીવનની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો, પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ. જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે.

હા! પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે...
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છુટ્યો તે ને અરર! ફાળ પડી હૈયા મહી તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
-રાજકવિ સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

લાઠીના કવિએ પસ્તાવાને વિપુલ ઝરણું કહ્યું છે. આ વિપુલ ઝરણામાં ૨૧મી સદીમાં જો ખરેખર પાપીઓ ડૂબકી મારવા માંડે તો ઝરણું જ ગંદું થઈ જાય એટલાં પાપ થાય છે. સારું છે કે પણ પાપી કરતાં દુનિયામાં પુણ્યશાળીની બહુમતી છે. ઓશો રજનીશ, ગાંધીજી સ્વિડિશ ફિલસૂફ સ્વિડન બોર્ગ અને સૌથી વધુ ઈસ્લામમાં રિપેન્ટન્સ-પસ્તાવા અને તોબાહુ ઉપર સૌથી વધુ ભાર છે.

આટલાન્ટિક મેગેઝિનમાં એડમન્ડ કેમ્ડલરે (જુલાઈ ૧૯૨૨) લખ્યું છે કે ૨૪-૧૧-૧૯૧૯ના રોજ સ્વામી શ્રદ્ધાનંદ જામા મસ્જિદના વ્યાખાન મંચ ઉપરથી ઊતર્યા અને હિન્દુ-મુસ્લિમોને સંબોધ્યા હતા. તેમણે કહેલું કે ઈસ્લામમાં પસ્તાવો કરી પાપ માટે માફી માગવાનો આદર્શ સૌથી મહત્વનો છે. સ્વામી શ્રદ્ધાનંદે આટલાન્ટિકમાં કહેવા પ્રમાણે અલ્લાહુ અકબર અને ઓમ્ એ સરખા ઉદ્ગારો છે! મહાત્મા ગાંધીજી વિશે પ્યારેલાલે ‘લાસ્ટ ફેઝ’ નામના થોથાં લખ્યાં છે તે નવજીવન પ્રેસમાંથી સાવ સસ્તા મળે છે તે વસાવવા જેવા છે. તેમાં બીજા ભાગમાં ૧૦૧મે પાને મહાત્મા ગાંધીજીએ લખેલું કે મારી અહિંસા તકલાદી નથી.

મારું મૃત્યુ જ એ વાત પુરવાર કરશે. જો કોઈ મારું ખૂન કરશે તો મરતાં મરતાં હું મારા ખૂની માટે તેને માફી બક્ષવા ઈશ્વરને પ્રાર્થના કરીશ. આ બતાવે છે કે ગાંધીજીએ નાથુરામ અને ગોપાલ ગોડસેને તેમના ખૂન પહેલાં જ માફ કરી દીધા પણ તાજેતરમાં ગોપાલ ગોડસે ૮૪ની વયે મર્યા ત્યારે તેણે કડક રીતે કહ્યું કે ‘એ કૃત્ય માટે હું રિપેન્ટન્સ-પસ્તાવો કરવા તૈયાર નથી! આવા ઘણા લોકો છે જે સભાન રીતે અમુક અનિવાર્ય પાપ’ કરે છે.

મહેરબાબાએ એક પસ્તાવા ઉપરનું જ કાવ્ય લખ્યું હતું. નવેમ્બર ૧૯૫૧માં મહેરબાબાએ ‘ઓ પરવર દિગાર-ઓહ બીલવેડ ગોર્ડ’ નામની પ્રાર્થના રચેલી. તેના અંગ્રેજી શબ્દો છે

વી રિપન્ટ ઓહ ગોડ મોસ્ટ મર્સીફુલ
ફોર ઓલ અવરસીન્સ
ફોર એવરી થોટ ધેટ ઈઝ ફોલ્સ ઓર
અનજસ્ટ ઓર અનકલીન
ફોર એવરી વર્ડ સ્પોકન ધેટ ઓટ નોટ
ટુ હેવ બીન સ્પોકન
ફોર એવરી પ્રોમિસ ગિવન બટ નોટ ફુલફીલ્ડ
વી રિપન્ટ ફોર એવરી એકશન
ધેટ હેઝ બ્રોટ રુઈન ટુ અધર્સ
ફોર એવરી વર્ડ એન્ડ ફીડ ધેટ
હેઝ ગિવન અધર્સ પેઈન
ઈન યોર અનબાઉન્ડેડ મર્સી
વી આસ્ક યુ ટુ ફરગિવ ઓ ગોડ!

ખરેખર તમે અલ્લાતાલા-ઈશ્વરની માફી માગતી આવી મહેરબાબા જેવી પ્રાર્થના ભાગ્યે જ સાંભળી હશે. બેનમૂન છે. ઈશ્વર પાસે તો દરેક ખરાબ વિચાર માટે દરેક કટુ વાક્ય માટે અને દરેક ન પાળેલા વચન માટે અને પોતાની વર્તણૂંકથી બીજાને પીડા થઈ હોય તે માટે પણ મને પસ્તાવો થાય છે. હે ઈશ્વર અલ્લા મને માફ કર. કુરાનમાં જે વાક્યો છે તેનું અંગ્રેજી એક વેબસાઈટમાં છે.

ડુ નોટ ડીસ્પેર ઓફ ગોડ્ઝ મર્સી હી વિલ ફરગિવ યુ ઓલ યોર સીન્સ (૩૯.૫૩) તાજેતરમાં લંડનના મારા વાચક મોહમ્મદભાઈનો ફોન મક્કા-મદીનાથી આવ્યો. તેમણે મારી બીમારીની વાત ત્યાં સાંભળેલી. તેમણે કહ્યું કે હું હજ પઢતી વખતે તમે સારા થઈ જાઓ તેની દુવા માગીશ. આજે હું પૂર્ણ સ્વાસ્થતાથી લખતો થયો છું આ બધા મિત્રોની દુવા અને મારી શ્રદ્ધાથી સારો થયો છું. હજ પઢીને જ્યારે પણ મુંબઈના ઈભુભાઈ ઘાંચી આવે છે ત્યારે પ્રસાદીની કાળી ખજૂર લાવે છે.

લંડન જઈને મોહમ્મદભાઈ મક્કાનું પવિત્ર જળ મોકલશે. અહીં વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે એક અતિ રોચક નવી વાત કહેવી છે. પોલ થોરો નામના વિખ્યાત ટ્રાવેલ લેખક જેણે આખી દુનિયા જોઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને હિમાલય સુધી, પણ તેને મક્કા મદીનામાં જવાની છુટ ન મળી તેનું પુસ્તક પ્રગટ થવાનું છે તેમાં તે લખવાના છે તે વાત વાંચો. આવનાર પુસ્તકનું નામ છે ‘પોલ થોરો : ધ તાઓ ઓફ ટ્રાવેલ.’

આ પુસ્તકમાં ‘પર્સનલ નેરેટીવ્ઝ ઓફ પીલગ્રીમેજ ટુ અલ-મદીના એન્ડ મક્કા’ (૧૮૫૫-૫૬)માં સર રિચાર્ડ બર્ટને લખ્યું છે કે તે એક માત્ર યુરોપિયન છે જેણે મક્કા-મદીનાની હજયાત્રા કરી છે. તેણે આખા કુરાનને કંઠસ્થ કરેલું. પોતે અફઘાન બનીને મીરઝા અબ્દુલ્લા નામ રાખેલું. આ વાત તો જાણે સમજ્યા પણ પછી તેણે કાબા પાસે શું જોયું? જગતભરના મુસ્લિમો ત્યાં માથા પછાડી પછાડીને જોર જોરથી આક્રાંત કરીને ખુદા પાસે પોતાનાં કર્મોની માફી માગતા હતા અને જે રિપેન્ટન્સ કરતા હતા તે ર્દશ્ય હૃદયદ્રાવક હતું.

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે. ઓશો રજનીશ આપણે ખોઈ નાખેલા એક કમાલના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. તેણે રિપેન્ટન્સ-પસ્તાવા ઉપર વિસ્તારથી પ્રવચન આપેલું તો તેના જ ઉદાત્ત શબ્દોમાં અહી રજૂ કરું છું.

‘રિપેન્ટન્સ તમારા જીવનની અતિ મહત્વની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો. પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર તમારી આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ.’ જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે.

યોગાનુયોગ રજનીશ ભક્તે ઓશોને સવાલ પૂછેલો ‘બીલવેડ માસ્ટર વોટ ઈઝ ટ´ રિપેન્ટન્સ.’ સાચો પસ્તાવો કોને કહેવો? ઓશો આનો બહુ ચોંકાવનારો બેધડક જવાબ આપે છે. ‘તમામ ધર્મોએ પસ્તાવા વિશે બહુ ઘોંઘાટ અને પિષ્ટપેષણ કર્યું છે. ઈસુ ખ્રિસ્ત વારંવાર આ વાત રટ્યા કરતા. રિપન્ટ, રિપન્ટ બીકોઝ ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ કલોઝ! રિપન્ટ બીકોઝ ડે ઓફ જજમેન્ટ ઈઝ કમિંગ કલોઝ... મારે કહેવું જોઈએ (રજનીશ કહે છે) કે ધર્મો જ તમને અપરાધભાવ આપે છે. રસ્તે ચાલી જતી સુંદર સ્ત્રીને જુઓ છો. તમારું હૃદય થડકવા માંડે છે પણ તમે પરણેલા છો એક ડઝન બાળકના પિતા છો. તમે ખ્રિસ્તી છો. એટલે તમને રૂપાળી સ્ત્રીની અબળખા માટે અપરાધ સાલે છે. શું આ રિપેન્ટન્સ છે? આ કોઈ પાપ પણ નથી. સુંદર ચીજ જોઈને હલબલિ જવા માટે જ છે.

‘પાપ અને પુણ્યની વાત ધર્મગુરુઓ અને ખાસ કરીને પાદરીઓએ વધુ પડતી ચગાવી છે. તેમના શિષ્યોને ગુલામ કે નમ્ર બનાવવા માટે વાપરી છે. હિન્દુઓ માટે બહુ સરળ રસ્તો છે. ઘણા પવિત્ર થવા અને પાપમુક્ત થવા ગંગામાં ડૂબકી મારવા જાય છે. શ્રદ્ધા સાથે કે તેનાં પાપ ધોવાઈ જશે. રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના યાદ આવે છે. એક ભક્ત તેની પાસે ગયો.

તેણે રામકૃષ્ણજીને પૂછ્યું ‘એ સાચું છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે?’ રામકૃષ્ણજીએ કહ્યું ‘હા સાચી વાત છે. તું ડૂબકી માર એટલે પાપ ધોવાઈ જાય છે. ભક્ત ખુશ થયો અને કહ્યું ‘હું જાઉં છું.’ રામકૃષ્ણજીએ કહ્યું ઊભો રહે! મારી વાત પૂરી થઈ નથી. તું જ્યારે ગંગામાં ડૂબકી મારીશ ત્યારે તારાં પાપ કૂદકો મારીને ગંગા નદી નજીક એક ઝાડ છે તેની ઉપર ચડી જશે. એટલે બહાર નીકળીને ધ્યાન રાખજે કે ઝાડ ઉપર ચઢેલાં પાપ પાછા તારા ખંધોલે ન આવી જાય?

કેટલી માર્મિક અને વેધક વાત છે! પસ્તાવો કરો. હૃદયથી કરો અને ફરી કદી પાપ કે ગલતી નહીં જ કરો તેનો દઢ સંકલ્પ રાખો. ખાસ કરીને કલાપીની શિખામણ માની તમે પ્રેમી કે પ્રેમિકાનું મન દુભવ્યું હોય તો દિલથી માફી માગો, હૃદયથી પસ્તાવો કરો. ‘

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ (25/9/2011)

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો

પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે સઘન અહંકારને લઈને પ્રેમના જગતમાં પ્રવેશ કરે છે તો સ્વાભાવિક છે કે નિષ્ફળ થઈ જાય છે.

રહિમન મૈન તુરંગ ચઢિ, ચલિબો પાવક માહિં| પ્રેમપંથ ઐસો કઠિન, સબ કોઈ નિબહત નાહિં||

પ્રસિદ્ધ કવિ રહિમ કહે છે કે જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ ઘોડા પર બેસી એમાંથી પસાર થાય એવો જ કઠિન પ્રેમપંથ છે, એટલે એને બધા નથી નિભાવી શકતા. રહિમની સાથે આપણે સૌ સંમત થઈશું, કેમકે આપણો અનુભવ પણ એ જ છે. પ્રેમ એ તત્વ છે જેના વિશે વિશ્વમાં સૌથી વધુ રચના થઈ છે. કવિતા, વાર્તા, નવલકથા, ફિલ્મ, ચિત્ર - બધાં પ્રકારનાં સર્જન પ્રેમ ફરતે થયાં છે અને થાય છે. પ્રેમ તમામ સર્જકોને હંમેશાં પ્રેરણા આપતો રહ્યો છે, પરંતુ તમે કદી વિચાર કર્યો છે કે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે જેના માટે દરેક માણસ તરસે છે, પણ બધા એ કરી કે મેળવી શકતા નથી.

એટલે એક યા બીજાં સ્વરૂપે પ્રેમનાં સપનાં જોઈ-બતાવી સંતોષ મેળવી લે છે. પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે અહંકાર સાથે પ્રેમજગતમાં પ્રવેશ કરે છે ત્યારે સ્વાભાવિકપણે જ નિષ્ફળ જાય છે.

પ્રેમને માટે શબ્દપ્રયોગ છે : પ્રેમમાં પડવું - ફોલિંગ ઈન લવ. પ્રેમમાં પડવાનું શા માટે હોય છે? આ સુંદર ઘટનાને પડવાનું લેબલ શા માટે લગાડાય છે? આ અને આવા શબ્દો બુદ્ધિના દ્રષ્ટિકોણથી ઊપસી આવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેમ થાય છે હૃદયમાં અને માણસ જીવે છે મગજથી. શરીરમાં મગજ હોય છે ઉપર અને હૃદય હોય છે નીચે, એટલે કહે છે ‘પડવું’. વળી માનસિક રીતે પણ પ્રેમનો અનુભવ પડવા જેવો જ હોય છે.

કોઈના પર દિલ આવી ગયું હોય તો એવું લાગે છે જાણે કેળાંની છાલ પર પગ લપસીને પડી ગયા. તમારી બુદ્ધિ કહે છે કે તમે તો સમજદાર માણસ હતા, આવી નાદાની ક્યાં કરી બેઠા? પ્રેમની નાદાનીથી બુદ્ધિજીવી માણસ બચીને રહે છે, કેમકે પ્રેમમાં એની સ્વાયત્તતા ખોવાઈ જાય છે, પોતાપણું ખોવાઈ જાય છે. એને લાગે પોતે બીજાનો ગુલામ બની ગયો છે. હવે તમે એ પુરુષ કે સ્ત્રી વગર રહી શકતાં નથી. એ વ્યક્તિ તમારી હવે અનિવાર્યતા બની ગઈ. એના વગર તમને ખૂબ મુશ્કેલી લાગશે, જીવવું વ્યર્થ લાગશે, એકલતા લાગશે, ખાલીપણું અનુભવાશે.

એક અર્થમાં તમને જેને માટે પ્રેમ થયો એ વ્યક્તિ તમારી માલિક બની ગઈ અને કોઈ તમારું માલિક બની જાય એ ‘ઇચ્છનીય’ લાગણી તો નથી જ. આમ, પ્રેમના બધા જ સંબંધો દુ:ખમાં, કલેશમાં લઈ જાય છે. અલબત્ત, આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. એના માટે ‘પ્રેમમાં પડવું’ શબ્દપ્રયોગ વપરાતો નથી. એને આપણે કહીશું, પ્રેમમાં હોવું - બીઈંગ ઈન લવ. એનો સ્વભાવ મૈત્રીનો છે. આ પ્રેમનું વર્ણન કરતાં ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાચો પ્રેમી મંદિરના બે સ્તંભ જેવો હોય છે.

બહુ જ પાસે પણ નહીં, કેમ કે એ બહુ નજીક હોય તો મંદિર પડી જાય. તે જ પ્રમાણે, બહુ દૂર પણ નહીં, કેમકે એ અંતર બહુ વધે તોય મંદિર પડી જાય. સાચા પ્રેમી એકબીજાંથી ન તો બહુ નજીક હોય છે, ન બહુ દૂર. થોડું અંતર વચ્ચે જરૂર રાખે છે, જેથી બન્નેની સ્વતંત્રતા જીવિત રહે અને એકમેકની સીમામાં અકારણ હસ્તક્ષેપ ન થાય.

ઓશોએ પ્રેમનાં ત્રણ સ્તર કહ્યા છે –

પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે.

ઘ્યાન , અમૃત સાધના

બુધવાર, 27 ઑક્ટોબર, 2010

સૂફી ક્થા

બોખારા નામનો એક શ્રીમંત અને ઉદાર માણસ.અદૃશ્ય સૃષ્ટિમાં પણ એની હકૂમત ચાલે એવો. જીવનનો સાર પામી ચૂકેલો. જાણે સમગ્ર વિશ્વનો પ્રમુખ હોય એમ પ્રસિદ્ધિ પામેલો. રોજ ને રોજ એ સોનું આપે, અમુક પ્રકારન જ માણસોને. કોઇ માંદું હોય, કોઇ વિધવા હોય, કોઇને અપાર દુ:ખ હોય, પણ એની શરત એકમાત્ર એ કે કોઇએ માગવાનું નહીં અને મોઢું ખોલવાનું નહીં.You have to keep your mouth shut.

એક દિવસ વકીલોનો વારો આવ્યો. એક વકીલ પોતાની જાતને અને વાતને રોકી શક્યો નહીં અને એણે શક્ય એટલી પૂર્ણ અરજી ઘડી કાઢી. એની અરજી અને બોખારોની નામરજી. એને કશું આપવામાં આવ્યું નહીં.

વકીલ પણ હારે એવો નહોતો. એણે પ્રયત્ન છોડ્યા નહીં. બીજે દિવસે અપંગોને સોનું આપવાનું હતું. એણે એવો દેખાવ કર્યો કે એ પોતે અપંગ છે. બોખારા પામી ગયા કે આ ઢોંગ છે. ન આપ્યું કશું. વકીલ ત્રીજે દિવસે સ્ત્રી હોય એમ બુરખો ઓઢીને આવ્યા, પણ કાંઇ ન વળ્યું.છેવટે વકીલે ડાઘુઓ શોધી કાઢ્યા. એણે શબનું સ્વરૂપ લીધું. કેમ જાણે એને દાટવાનો ન હોય એ રીતે એને ઊંચકીને લઇ જતા હોય એવો દેખાવ કર્યો. ડાઘુઓને કહ્યું હતું કે મને જે કાંઇ મળશે તેમાંથી ભાગ આપીશ.

કફન ઓઢાડેલું એનું શબ બોખારા પાસેથી પસાર થયું. બોખારાએ સુવર્ણમહોર ફેંકી. વકીલને થયું કે આ ડાઘુઓમાંથી કોઇક આ સુવર્ણમહોર લઇ લેશે એટલે ભયમાં ને ભયમાં પોતાનો હાથ બહાર કાઢ્યો અને પછી એણે બોખારાને કહ્યું કે જુઓ અત્યાર સુધી તમે મને કશું જ નહોતા આપતા અને છેવટે મેં સુવર્ણમહોર મેળવી. બોખારાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તને મારી પાસેથી કશું ન મળે.માણસે મરતાં પહેલાં મરવું જોઇએ અને મરણ પછી જ સોગાત મળે અને મરણ પણ મદદ વિના મળતું નથી.દેખીતીરીતે આ કથા માત્ર આટલી જ છે.

રજનીશજી આ કથાને બહેલાવીને દોહરાવીને કહે છે. બોલ્યા વિના રહે એ વકીલ નહીં. કાવાદાવા ન કરે તો એ વકીલ નહીં. પહેલાં જ વાક્યમાં એ કટાક્ષ કરે છે. કહે છે કે શ્રીમંત અને ઉદાર માણસ બંને સાથે ન હોઇ શકે. શ્રીમંતો જેટલા લોભી કોઇ નથી હોતા અને માણસો ઉદાર રહે તો શ્રીમંતો થઇ નથી શકતા. વચ્ચે વચ્ચે કોઇ દૃષ્ટાંતો પણ ક્યારેક આપતા જાય. ક્યાંક એમણે દૃષ્ટાંત આપ્યું કે ચીનમાં એક સ્પર્ધા હતી. સ્પર્ધાનો વિષય હ્તો કે કોઇ પણ માણસ માન્યામાં ન આવે એવી વિચિત્ર વાત કહે એને મસમોટું ઇનામ મળે. એક માણસે કહ્યું કે એક બાગમાં એક બાંકડા પર બે સ્ત્રીઓ બેઠી હતી અને કલાકો સુધી કશું જ બોલી નહી .આવું કહેનારને ઇનામ મળ્યું. કારણકે એક બાંકડા પર બે સ્ત્રીઓ બેસે તે વિચિત્ર ઘટના છે અને બેસે તો બોલે નહીં તે માન્યામાં ન આવે તેવી વાત છે.

પણ આપણે મૂળકથા તર્ફ જઇએ. છેલ્લે વકીલ મરે છે કહો કે મરવાનો ઢોંગ કરે છે. આવાતને રજનીશજી કહે છે, કે મરણ તો તમારા અહમ્ નું થવું જોઇએ.

અહમ્ નું મરણ થાય તો જ સર્વસમર્પણ શક્ય છે. સર્વસમર્પણ એ બીજું કશું જ નથી પણ તમારું મરણ છે. તમારે માટે સોગાત તો તૈયાર જ છે. આ સોગાત તમારી પોતાની છે પણ એ પ્રાપ્ત ત્યારે થાય, જ્યારે તમે તમારું સારસર્વસ્વ સોંપી દો. તો જ તમે તમને પામી શકશો. તમારું મરણ—તમારું સર્વસમર્પણ એ તમારા નવા જન્મનું બીજ છે અને આ બીજમાંથી જ ચૈતન્યનો વિકાસ થશે. કુંઠિત થયેલી ચેતના કશું પામી શકતી નથી. જેની સંવેદનાને લકવો થયો છે એની બાથમાં જિંદગીનો પડછાયો આવશે, ખુદ જિંદગી કદી નહીં આવે.


ઓશોનું જીવનદર્શન/સુરેશ દલાલ/ઇમેજ/પાના:19 થી 22

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

ઓશો

યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.

બુધ્ધિશાળી વ્યક્તિ પરંપરાગત બની શકે નહિ, તે સતત ભૂતકાળની પૂજા કરી શકતી નથી, ભૂતકાળમાં પૂજવા જેવું કશું નથી. બુધ્ધિશાળી વ્યક્તિ; ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે. વર્તમાનમાં જીવવા માંગે છે. તેનું વર્તમાનમાં જીવવું એ જ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની રીત છે.

વૃધ્ધિ પામવાની ઝંખના જેટલી મોટી હશે, એટલા વધુ ને વધુ ખતરાઓ હશે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. સાચો મનુષ્ય; પોતાની જીવનશૈલીની માફક, પોતાની વૃધ્ધિની આબોહવાની માફક, ખતરાઓને સ્વીકારે છે.