લેબલ વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.

બુધવાર, 9 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ 3

એક વખત પયગબંર સાહેબ તેમના કેટલાક સાથીઓના કાફલા સાથે પસાર થઈ રહ્યાં હતા. જેના કારણે, કાફલાના મુસાફરો થાકી ગયા હતા. એક સ્થળ પર તેઓ ઊભા રહ્યાં. પયગંબર સાહેબે ઊંટ પરનો સામાન છોડી નાખ્યો.મુસાફરો બંદગી માટે પાણીની શોધમાં લાગી ગયા. ખુદ પયગંબર સાહેબ પણ પાણીની શોધમાં લાગી ગયા.


કોઈને કાંઈપણ કહ્યાં વગર પયગંબર સાહેબ તેમના ઊંટ પાસે ગયા, બધાને થયુંકે, ખુદ પયગંબર સાહેબે અહીં મુકામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે તેઓ અહીંથી કૂચ કરવા માટે આદેશ આપશે કે શું ? તેમણે ઊંટ તૈયાર કરીને પાણીની શોધમાં નિકળી પડ્યા. જ્યારે કાફલાને આ વાત સમજાઈ ત્યારે તેમણે પયગંબર સાહેબને કહ્યુંકે, અમે તમારા માટે એ કરી લીધું હોત.ત્યારે પયગંબર સાહેબે જવાબ આપ્યો, "તમારા કામોમાં ક્યારેય બીજાની ઉપર આધાર ન રાખો. દાતણના એક ટૂકડા માટે પણ બીજા પર આધાર ન રાખો."


બોધ


ગુજરાતીમાં કહેવાય છેકે, "પારકી આશા સદાય નિરાશા." જેનું સચોટ ઉદાહરણ પયગંબર સાહેબના જીવનનો આ કિસ્સો પૂરો પાડે છે.

શનિવાર, 5 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૨

બકરાની બલી

એક સમયે પયગંબર સાહેબ અને તેમના સાથીઓએ મુસાફરી પછી એક જગ્યાએ પડાવ નાખવાની તૈયારી કરી. ભોજન માટે બકરાની બલિ આપવાનું નક્કી થયું. તેમના એક સાથીએ કહ્યું કે, "હું બકરાને હલાલ કરીશ," બીજાએ કહ્યું, "હું તેની ખાલ દૂર કરીશ." ત્રીજાએ કહ્યું, "હું તેને પકાવીશ"....પયગંબર સાહેબ બોલ્યા, "હું રણપ્રદેશમાંથી લાકડાં લાવીશ."


ત્યારે સમૂહે ઉદ્દાગાર કર્યો, "પયગંબર સાહેબ, તમે તમારી જાતને કષ્ટ ન આપો. તમારું કામ અમે કરીશું." પયંગબર સાહેબે જવાબ વાળ્યો, "મને ખબર છેકે, તમે લોકો મારું કામ કરવા માટે આતુર છો. પરંતુ, જે વ્યક્તિ પોતાની અને સાથીઓની વચ્ચે ભેદ કરે અથવા તો પોતાને બીજાથી અલગ સમજે, તેનાથી અલ્લાહ ખુશ નથી થતા."પયગંબર સાહેબે રણમાંથી લાકડાં એકઠાં કર્યા અને સમુહ માટે ભોજન બન્યું.

મોરલ ઓફ ધ સ્ટોરી: તમારા નાના-મોટા બધા કામો કર્મચારી પર નાખી દેવાના બદલે ખુદ તમારું કામ કરો. તેમની સમક્ષ એક આદર્શ ઉદાહરણ બનીને રજૂ થાવ. "આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ સાધન છે." તમે જે ન કરતા હો, કે કરી ન શકતા હો તે કામ કર્મચારી પાસે કરાવવું યોગ્ય નથી.પાણીની શોધ

ગુરુવાર, 3 માર્ચ, 2011

'મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૧

-તમામ ધર્મગુરૂઓ અને ધર્મગ્રંથોને નવી નજરથી જોવાની જરૂર

-મુસ્લિમ સમુદાયે જ નહીં, તમામ નાગરિકોએ પયગંબરસાહેબ પાસેથી શીખવાની જરૂર

ભેટ

જ્યારે કોઈ ખેડૂતનો ફાલ પાકતો ત્યારે તે પહેલા પયગંબર સાહેબને આપવા માટે લાવતો હતો. પયંગબર સાહેબ તેને ગ્રહણ કરતા અને પછી તેને આજુબાજુના લોકોમાં વહેંચી દેતા હતા.

એક વખત એક નાનકડી વાડીનો ગરીબ ખેડૂત માત્ર એક ફળ લઈને આવ્યો અને તેને પયગંબર સાહેબને આપ્યું. પછી તેમણે કહ્યુંકે, તે ફળ પૂરી રીતે પાક્યું ન હતું. જો, મેં તમને ખાવા આપ્યું હોત, તો કદાચ તમારામાંથી કોઈએ ચોક્કસપણે આ વાત કરી હોત. જેનાથી પેલો ખેડૂત નિરાશ થઈ જાત.

પયગંબર સાહેબે તેને ચાખ્યું અને પોતે જ ખાવા લાગ્યા. ત્યારે તેમના અનેક સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાંથી એકે પૂછી લીધું, "પયગબંર સાહેબ, તમે અન્ય કોઈને ભાગ ન આપ્યો."પયગંબર સાહેબે સ્મિત આપ્યું અને પેલો ગરીબ ખેડૂત ગયો નહીં, ત્યાર સુધી રાહ જોઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી: કદી પણ તમારા સાથીની ભાવનાની ઉપેક્ષા ન કરો. જો, કોઈ કર્મચારીની લાગણીના કારણે, તમારે ઉપરી મેનેજમેન્ટના હળવા કડવા ઘૂંટ પીવા પડે તો પી લો. તમારા કર્મચારીનું જાહેરમાં અપમાન ન થાય, તેની ખાસ કાળજી રાખો.

બુધવાર, 27 ઑક્ટોબર, 2010

સૂફી ક્થા

બોખારા નામનો એક શ્રીમંત અને ઉદાર માણસ.અદૃશ્ય સૃષ્ટિમાં પણ એની હકૂમત ચાલે એવો. જીવનનો સાર પામી ચૂકેલો. જાણે સમગ્ર વિશ્વનો પ્રમુખ હોય એમ પ્રસિદ્ધિ પામેલો. રોજ ને રોજ એ સોનું આપે, અમુક પ્રકારન જ માણસોને. કોઇ માંદું હોય, કોઇ વિધવા હોય, કોઇને અપાર દુ:ખ હોય, પણ એની શરત એકમાત્ર એ કે કોઇએ માગવાનું નહીં અને મોઢું ખોલવાનું નહીં.You have to keep your mouth shut.

એક દિવસ વકીલોનો વારો આવ્યો. એક વકીલ પોતાની જાતને અને વાતને રોકી શક્યો નહીં અને એણે શક્ય એટલી પૂર્ણ અરજી ઘડી કાઢી. એની અરજી અને બોખારોની નામરજી. એને કશું આપવામાં આવ્યું નહીં.

વકીલ પણ હારે એવો નહોતો. એણે પ્રયત્ન છોડ્યા નહીં. બીજે દિવસે અપંગોને સોનું આપવાનું હતું. એણે એવો દેખાવ કર્યો કે એ પોતે અપંગ છે. બોખારા પામી ગયા કે આ ઢોંગ છે. ન આપ્યું કશું. વકીલ ત્રીજે દિવસે સ્ત્રી હોય એમ બુરખો ઓઢીને આવ્યા, પણ કાંઇ ન વળ્યું.છેવટે વકીલે ડાઘુઓ શોધી કાઢ્યા. એણે શબનું સ્વરૂપ લીધું. કેમ જાણે એને દાટવાનો ન હોય એ રીતે એને ઊંચકીને લઇ જતા હોય એવો દેખાવ કર્યો. ડાઘુઓને કહ્યું હતું કે મને જે કાંઇ મળશે તેમાંથી ભાગ આપીશ.

કફન ઓઢાડેલું એનું શબ બોખારા પાસેથી પસાર થયું. બોખારાએ સુવર્ણમહોર ફેંકી. વકીલને થયું કે આ ડાઘુઓમાંથી કોઇક આ સુવર્ણમહોર લઇ લેશે એટલે ભયમાં ને ભયમાં પોતાનો હાથ બહાર કાઢ્યો અને પછી એણે બોખારાને કહ્યું કે જુઓ અત્યાર સુધી તમે મને કશું જ નહોતા આપતા અને છેવટે મેં સુવર્ણમહોર મેળવી. બોખારાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તને મારી પાસેથી કશું ન મળે.માણસે મરતાં પહેલાં મરવું જોઇએ અને મરણ પછી જ સોગાત મળે અને મરણ પણ મદદ વિના મળતું નથી.દેખીતીરીતે આ કથા માત્ર આટલી જ છે.

રજનીશજી આ કથાને બહેલાવીને દોહરાવીને કહે છે. બોલ્યા વિના રહે એ વકીલ નહીં. કાવાદાવા ન કરે તો એ વકીલ નહીં. પહેલાં જ વાક્યમાં એ કટાક્ષ કરે છે. કહે છે કે શ્રીમંત અને ઉદાર માણસ બંને સાથે ન હોઇ શકે. શ્રીમંતો જેટલા લોભી કોઇ નથી હોતા અને માણસો ઉદાર રહે તો શ્રીમંતો થઇ નથી શકતા. વચ્ચે વચ્ચે કોઇ દૃષ્ટાંતો પણ ક્યારેક આપતા જાય. ક્યાંક એમણે દૃષ્ટાંત આપ્યું કે ચીનમાં એક સ્પર્ધા હતી. સ્પર્ધાનો વિષય હ્તો કે કોઇ પણ માણસ માન્યામાં ન આવે એવી વિચિત્ર વાત કહે એને મસમોટું ઇનામ મળે. એક માણસે કહ્યું કે એક બાગમાં એક બાંકડા પર બે સ્ત્રીઓ બેઠી હતી અને કલાકો સુધી કશું જ બોલી નહી .આવું કહેનારને ઇનામ મળ્યું. કારણકે એક બાંકડા પર બે સ્ત્રીઓ બેસે તે વિચિત્ર ઘટના છે અને બેસે તો બોલે નહીં તે માન્યામાં ન આવે તેવી વાત છે.

પણ આપણે મૂળકથા તર્ફ જઇએ. છેલ્લે વકીલ મરે છે કહો કે મરવાનો ઢોંગ કરે છે. આવાતને રજનીશજી કહે છે, કે મરણ તો તમારા અહમ્ નું થવું જોઇએ.

અહમ્ નું મરણ થાય તો જ સર્વસમર્પણ શક્ય છે. સર્વસમર્પણ એ બીજું કશું જ નથી પણ તમારું મરણ છે. તમારે માટે સોગાત તો તૈયાર જ છે. આ સોગાત તમારી પોતાની છે પણ એ પ્રાપ્ત ત્યારે થાય, જ્યારે તમે તમારું સારસર્વસ્વ સોંપી દો. તો જ તમે તમને પામી શકશો. તમારું મરણ—તમારું સર્વસમર્પણ એ તમારા નવા જન્મનું બીજ છે અને આ બીજમાંથી જ ચૈતન્યનો વિકાસ થશે. કુંઠિત થયેલી ચેતના કશું પામી શકતી નથી. જેની સંવેદનાને લકવો થયો છે એની બાથમાં જિંદગીનો પડછાયો આવશે, ખુદ જિંદગી કદી નહીં આવે.


ઓશોનું જીવનદર્શન/સુરેશ દલાલ/ઇમેજ/પાના:19 થી 22

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

ધ સ્ટોરી

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?

બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે.

સમજી ગયો મારી માવડી! આપણી ખૂંધમાં પાણીનો સંગ્રહ થાય જેથી આપણે રણમાં રહી શકીએ, લાંબા અને ગોળ પંજાવાળા પગથી આપણે રણમાં ચાલી શકીએ અને લાંબી પાંપણો આપણું રણની રેતી અને પવનથી રક્ષણ કરે. આટલી વાત તો હું સમજી ગયો, પણ મા એક વાત મને ન સમજાણી…

કઇ બેટા?

તો પછી આપણે અહીં શહેરના પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ?

મોરલ ઓફ ધ સ્ટોરી: આવડત, જ્ઞાન અને અનુભવ ત્યારે જ કામના છે જ્યારે આપ યોગ્ય જગ્યાએ હો!

એક નાનકડી વાર્તા

એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે પડતું નહોતું. ને થયું કે આ જીવનનો અંત લાવ્યેજ છુટકો. શહેરની વચ્ચેજ રેલવે પસાર થાય ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.

પણ ઘરેથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.

…હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, એ જવા દઈએ. પણ એક સવાલ થાય છે..

એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમેજ એને સામા મળ્યા હોત તો ?બોલો , એનું શું થાત ? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત ? જરા વિચારી જોજો…


- સુમંત દેસાઈ