લેબલ સફળતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સફળતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

સફળતા ન મળે સરળતાથી

નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના કંઈક શીખીને પાછા સજ્જ થાય એના જ સફળતા કદમ ચૂમે

આમિર ખાનની ફિલ્મ ‘ ૩ ઈડિયટ્સ’ પહેલી એવી ફિલ્મ છે જે નિષ્ફળતાને સેલિબ્રેટ કરે છે. ‘ઓલ ઈઝ વેલ’ વાળો રણછોડદાસ ચાંચડ પારંપારિક રીતે નિષ્ફળ છે. એ કોઈ રેસમાં નથી, સ્પર્ધામાં નથી, ગેમમાં નથી. એ બધા છે તેનાથી પાછળ સાવ છેલ્લે છે. હકીકતમાં જગત એને જ્યાં નિષ્ફળ ગણે છે એમાંથી જ એ પોતાની સફળતા સિદ્ધ કરે છે.

અભિનેતા અનુપમ ખેર શિમલાના મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન હતા. એમના પિતા સરકારી મુલાજીમ હતા અને પગાર વધે કે બઢતી મળે ત્યારે ઘરમાં મિજબાની થતી. અનુપમને એક કિસ્સો યાદ છે. એ કહે છે, ‘એક દિવસ પિતાજી મને ફાઈવસ્ટાર હોટેલમાં લઈ ગયા. મને એમ કે પ્રમોશન મળ્યું હશે. અમે ખાધું-પીધું પછી મેં પિતાજીને પાર્ટીનું કારણ પૂછયું. પિતાજીએ જે કહ્યું એ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો પાઠ હતો અને એના આધારે જ હું જિંદગી તરી ગયો. પિતાએ કહ્યું ‘બેટા, હું તારું દસમાનું રિઝલ્ટ જોઈને આવ્યો છું. તું નાપાસ થયો છે પણ તને નિષ્ફળતાની બીક ન લાગે એટલે આપણે આજે એ નિષ્ફળતાનું સેલિબ્રેશન કરીએ છીએ.’ ૧૯૮૨થી ફિલ્મ કારકિર્દી કરનાર આ જ અનુપમના એકપાત્રી નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ના ગયા ડિસેમ્બરમાં ૨૦૦ શો પૂરા થયા છે અને એ નાટકમાં નિષ્ફળતાના સેલિબ્રેશનની વાત છે.

સવાલ એ છે કે આપણને સફળ થવા માટે તો આખી દુનિયા ઉકસાવે છે, પણ નિષ્ફળતા આવે તો શું? આજના આ તેજ રફતારવાળા સમયમાં, ભયાનક સ્પર્ધાવાળા વાતાવરણમાં નિષ્ફળ જવું એટલે જીવન સમાપ્ત, એવું આપણને ઠસાવી દીધું છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થી પંખે લટકી જાય છે, પ્રેમભંગમાં પ્રેમી વાશી બ્રિજ પરથી કૂદી જાય છે, લગ્નમાં કંકાશ વધી ગયો છે? પતિ-બોટલ સાથે દોસ્તી કરી લે છે. નોકરીમાં ટ્રેસ આવે છે અને એક્ઝિક્યુટિવ ડ્રગ્ઝનો ડોઝ લઈ લે છે અથવા કોલગર્લનું પડખું સેવી લે છે. આ બધાને એવું લાગે છે કે દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે અને આપણે નમાલા, નકામા પાછળ રહી ગયા છીએ.

હકીકત જુદી છે. દુનિયા નિષ્ફળ લોકોથી ભરેલી છે. દરેક શહેરમાં, દરેક મહોલ્લામાં કેટલાય અનુપમ ખેર છુપાયેલા છે. નિષ્ફળતા અનિવાર્ય જ નહીં, નિયમ પણ છે. આજે પણ જેની ધજા ફરકે છે તે યશરાજ બેનરના યશ ચોપરા કહે છે કે, ‘મને સફળતા કરતાં નિષ્ફળતામાંથી ખૂબ શીખવા મળ્યું છે. અનુપમ કે ચોપરા નસીબવાળા હતા કે નિષ્ફળતા પચાવી શક્યા અને આગળ વધી ગયા. પણ એવા લાખો લોકો છે જેમને ખબર જ નથી કે નિષ્ફળતા આવે તો શું કરવું? કોઈ પણ ઘોડો (અથવા ગધેડો, એઝ ધ કેસ મે બી) રેસમાં પ્રથમ આવી શકે છે, પણ એક અચ્છો નિષ્ફળ અથવા લૂઝર એ છે જે પડીને ફરી ઊભો થાય છે.

તમે આજના અનિલ અંબાણીથી અમિતાભ બચ્ચન કે સોનિયા ગાંધીથી સાનિયા મિર્ઝાને પૂછશો તો એ કહેશે કે અમને ખરું ગણતર તો નિષ્ફળતામાંથી મળ્યું છે. આજે સફળતાના પાઠ ભણાવનારા તો ઘણા છે, પણ કમી એવા શિક્ષકો કે વાલીઓની છે જે નિષ્ફળતામાંથી કેવી રીતે ઊભા થવું, કેવી રીતે જાતને સમેટવી અને ફરીથી નિશાન કેવી રીતે તાકવું એ શીખવાડે. તમારી આજુબાજુ કેટલાય ચાવાળા, પાનવાળા હશે જે ૩૦-૪૦ વર્ષથી એ જ કામ કરે છે અને એમને હજુય હોંશ છે કે એક દિવસ તેઓ ‘મોટા’ માણસ બનશે! એવા ઘણાય યુવાનો છે જે નસીબ અજમાવવા એક ઓફિસથી બીજી ઓફિસ, એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી આંટાફેરા મારતા રહે છે. પોલીસ એમને તંગ કરે છે. હોટેલવાળો ઉધારી માગે છે. મકાન માલિક રૂમ ખાલી કરવાનું કહે છે, પાડોશીઓ હલકી કક્ષાની ગોસિપ કરે છે અને છતાંય એ લોકો હિંમત હાર્યા વગર પ્રયત્ન નામની જાદુઈ ચક્કી પીસતા રહે છે.

આવા લોકો રોજ રાત્રે નિષ્ફળ બનીને આવે છે અને સવારે ફરીથી નિશાન તાકે છે. બંધાતા મકાનનો મજદૂર હોય, ખેતી કરતો ખેડૂત હોય, કપડાંની ફેક્ટરીનો કારીગર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, બેંક કર્મચારી હોય, શેરબ્રોકર હોય કે પછી કલાકાર હોય, કરોળિયાની જેમ એ રોજ ઝાળું ગૂંથે છે અને રોજ એ હવાના ધક્કાથી તૂટી જાય છે. અશ્વેત બરાક ઓબામા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાં એમનાં ભાષણોમાં લગાતાર કહેતા હતા ‘દુનિયા પર તમારી છાપ છોડી જવી એ અઘરી બાબત છે. એ જો સરળ હોત તો બધાએ એ કર્યું હોત. પણ એવું નથી. એના માટે પ્રતિબદ્ધતા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવાની તાકાત જોઈએ. ખરી પરીક્ષા એ નથી કે તમે નિષ્ફળતાથી કેવી રીતે બચી શકો. ના, એ શક્ય નથી. પરીક્ષા એ છે કે નિષ્ફળતાથી તમે નાસીપાસ થઈ જાઓ છો કે પછી એમાંથી કંઈક શીખીને પાછા સજ્જ થાઓ છો.’

રણછોડદાસ ચાંચડ ઘોડાઓની રેસમાં નથી, કારણ કે એને નંબર-ગેમ અથવા રેસમાં રસ નથી. એ પરિણામની ચિંતા વગર પ્રેમથી, મહોબ્બતથી, ખંતથી મહેનતનો આનંદ લે છે. એટલે જ એ હસી શકે છે જ્યારે પેલો ‘ચતુર’ હંમેશાં સિરિયસ જ હોય છે. રાંચોને ખબર છે કે નંબર આવશે તો પણ રેસનો તો કોઈ અંત જ નથી. જાવેદ અખ્તર લખે છે તેમઃ

હર કિસી કા ખુશી રો ફાસલા બસ એક કદમ હૈ,

હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ! 
 

ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)2/12/2011 મુંબઈ સમાચાર




મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.

ગુરુવાર, 10 માર્ચ, 2011

સુખી થવાની રમૂજી ચાવી

ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે...

સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, ત્યાં પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


આપણી પાસે ઘાસ અને છાપાંથી ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. ‘હું સુખી નથી, મારી પાસે આ નથી’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’


આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશને ડરાવતી ટ્રકો જેવી હોય છે.


બબ્બે વર્ષથી દિનેશ જેટલી ટ્રકથી ડરતો રહ્યો એમાંની એકમાં પણ ડ્રાઈવર પત્ની પરત કરવા નહોતો આવી રહ્યો, છતાં દિનેશ તો ફફડતો જ રહ્યો ને! તો પછી હવે ક્યારેક અમુક સંકેતોને કારણે કશુંક અમંગળ બનવાનો ડર લાગે ત્યારે પહેલા તો શાંતિથી એટલું વિચારી લેવું કે આ ક્યાંક ‘દિનેશને ડરાવતી ટ્રક’વાળો મામલો તો નથી ને!


*** *** ***


ચમન નદીકાંઠે બેઠો હતો. સામે કાંઠેથી મગને બૂમ પાડી, ‘હું સામા કાંઠે કઈ રીતે આવી શકું?’ચમન કહે, ‘આવવાની શી જરૂર છે? તું સામા કાંઠે જ છે.’ આ પણ એકદમ પૂઅર જોક છે, છતાં એક ખાસ એંગલથી જોઈએ તો એમાં ઘણી મહાનતા છુપાયેલી છે. વાત જાણે એમ છે કે આપણે સૌ ક્યાંક સામા કાંઠે પહોંચવા ઉત્સુક હોઈએ છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો.


કોઈ પણ કાંઠે બેસો તો સામે નદી વહેતી દેખાવાની છે, પણ માણસ એક નોકરી કરતો હોય તો એને સામા કાંઠાની નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની પત્ની કે પડોશણનો પતિ વધુ સદ્ગુણી લાગે. આવી લાગણી ક્યારેક સાચી પણ હોય છે, પરંતુ સવાલ એ છે કે મોટે ભાગે માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ શા માટે રહે છે? મૂળ તો, સુખને આપણે હંમેશાં ભવિષ્ય પર શા માટે મુલતવી રાખતા હોઈએ છીએ.


જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો મજા પડી જાય... દીકરી પરણી જાય પછી ભાર હળવો થશે... મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં રહે... પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે અમીર જીવનની લાલસામાં ડૂબી જતું હોય છે. પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ...


આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી મહત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


*** *** ***એક ચિત્રકારની મચ્છરદાનીમાં નાનકડું કાણું પડ્યું. ભાઈને સીવવાનું ફાવે નહીં. એટલે એણે મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું એની બરાબર સામેની બાજુએ એવડું જ બીજું કાણું કાતરથી પાડ્યું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એને એક કાણામાં ઘુસાડીને સામેના કાણામાંથી પસાર કરી, જેથી મચ્છર એક બાજુથી પ્રવેશીને ભૂંગળીમાંથી પસાર થઈને બીજી બાજુએ બહાર નીકળી જાય. મચ્છર આખી મચ્છરદાનીમાંથી પસાર થાય, પણ નીચે સૂતેલા ચિત્રકારને અડી ન શકે, એનું લોહી ન પી શકે.


જરા વિચારો, આવી એક ભૂંગળી મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો, દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી લોહી પીનારી, કનડનારી હોય એને મગજમાં ઘૂસવા જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને, મગજને સ્પશ્ર્યા વિના, બીજા છેડેથી બહાર. ટ્રિક સારી છે.


એમાં કરવાનું ફક્ત આટલું જ છે: સતત યાદ રાખો કે તમે જે સાંભળો, વિચારો, અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ, મગજમાંની ભૂંગળીના એક છેડેથી પ્રવેશીને, બણબણાટ કરતી, બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી કલ્પના કરો. આવું કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી મગજને ઉકરડો બનવામાંથી બચાવે છે.


*** *** ***


રેલવે ફાટકના સિગ્નલ મેનની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘માની લો કે એક જ પાટા પર તમને બે ટ્રેન સામસામે આવતી દેખાય તો તમે શું કરો?’ઉમેદવારે કહ્યું, ‘હું લાલટેન લઈને દોડું.’‘તમારી પાસે લાલટેન ન હોય તો?’‘તો લાલ શર્ટ કે પછી બીજું જે કોઈ લાલ કપડું હાથમાં આવે એ લઈને દોડું.’


‘તમારી પાસે લાલ કપડું પણ ન હોય તો?’‘તો લાલ જેવું, કેસરી રંગનું કપડું લઈને દોડું.’ ‘પણ ત્યારે રાત હોય તો?’‘અં... તો હું મારા પાંચ વર્ષના ભત્રીજાને બોલાવું.’ ‘કેમ? અકસ્માત અટકાવવામાં એ શું કરી લેવાનો?’ ‘એ કંઈ નહીં કરી શકે પણ એણે ક્યારેય બે ટ્રેન અથડાતી જોઈ નથી. આ બહાને એને જોવા મળે.’


આપણે સૌ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યા ડાચું ફાડીને ઊભી હોય, પણ એનો ઉકેલ કોઈ ન હોય. ત્યારે કરવું શું? માની લો કે ઓફિસનું એક કવર કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ છ વાગ્યે બંધ થઈ જાય છે. કવર તમારા હાથમાં છમાં પાંચ મિનિટે આવે છે. તમારી પાસે વાહન નથી. રિક્ષાવાળાઓની સ્ટ્રાઈક ચાલી રહી છે. બસ સ્ટેન્ડ ચાલતા દસ મિનિટના અંતરે છે. ટૂંકમાં, તમે કવર સમયસર પહોંચાડી શકો તેવો કોઈ રસ્તો ન દેખાતો હોય તો તમે શું કરો?


અથવા તો, એક ઉત્સાહી મમ્મી ત્રીજા ધોરણમાં ભણતી એની દીકરીને ગણિતના પેપર માટે રાત્રે મોડે સુધી જાગીને અને સવારે વહેલા ઊઠીને બરાબર તૈયારી કરાવે પણ પરીક્ષાના અડધા કલાક પહેલાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડે કે આજે ગણિતનું નહીં, સમાજશાસ્ત્રનું પેપર છે. આવા સમયે પેલી મમ્મીએ શું કરવું જોઈએ?


આવી ઉકેલ વિનાની લાગતી પરિસ્થિતિઓમાં ‘ભત્રીજાને અકસ્માત દેખાડવાનો લહાવો લૂંટવો’ એ અભિગમ હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં ખોટો તો નથી જ. કડકડતી ઠંડીવાળી કોઈ રાત્રે ઘરે પહોંચતાં સામે બળીને ખાક થઈ ગયેલું ઘર નજરે ચડે ત્યારે ભાંગી પડાય એ માનવસહજ છે, પણ રાખના ઢગલામાંથી આવતા થોડા થોડા તાપમાં હાથ શેકીને ઠંડી ઉડાડી લે એ માણસને સાચો સ્થિતપ્રજ્ઞ જ નહીં, સૌથી પ્રજ્ઞાવાન પણ ગણવો પડે. આટલી સ્થિતપ્રજ્ઞતા ન કેળવાય તો પણ, હવે ક્યારેક લાંબા અંતરની ટ્રેન દસ-પંદર મિનિટ મોડી પડવાને કારણે ચૂકી જાઓ અને ટેક્સીમાં પણ આગલા સ્ટેશને ટ્રેનને આંબી નહીં શકાય એવી ખાતરી હોય ત્યારે આજુબાજુના લોકોને સૌથી પહેલો આ સવાલ પૂછવો, ‘બોસ, આટલામાં સારામાં સારી ચા ક્યાં મળે છે?’


*** *** ***


મુલ્લાનો એક દોસ્ત ગામ છોડીને જઈ રહ્યો હતો. બધાએ એને ભેટમાં કંઈક ને કંઈક આપ્યું. છેલ્લે એ મુલ્લાને મળવા આવ્યો. એ કહે, ‘દોસ્ત મુલ્લા, તું મને ભેટમાં વીંટી આપ, જેથી જ્યારે પણ વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ કરીશ કે મુલ્લાએ આ વીંટી આપેલી.’મુલ્લા કહે, ‘તું મને યાદ જ કરવા માગે છે ને? તો હું તને વીંટી નથી આપતો, જેથી જેટલી વાર તું આંગળી જોઈશ એટલી વાર તને યાદ આવશે કે મુલ્લાએ વીંટી ન આપી.’


હવે પછી જ્યારે તમને એવું લાગે કે મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો નથી... ત્યારે એમ વિચારવું કે એ મુલ્લાની વીંટી જેવી ઇશ્વરની બક્ષિસ છે, જે એણે આપણને આપી ભલે નથી, પણ એ બહાને તેને યાદ કરવાની તક તો આપી જ રહ્યો છે. સુખી થવાનો આ સરળ રસ્તો છે, આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


*** *** ***


થોડાક દેડકા ફરવા નીકળ્યા. રસ્તામાં આવ્યો મોટો ખાડૉ. બે દેડકા એમાં પડી ગયા. બંને કૂદીને બહાર આવવા મથ્યા, પણ ખાડો બહુ ઊંડો હતો. બહારના દેડકાઓ રાડો પાડવા લાગ્યા, ‘આ બહુ ઊંડો ખાડો છે. આમાંથી તમે બહાર નહીં આવી શકો. બહેતર છે કે તમારા નસીબને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને ભેટો.’ બેમાંના એક દેડકાને વાત ગળી ઊતરી ગઈ. એણે ખાડામાં લાંબી સોડ તાણી લીધી, પણ બીજા દેડકાએ કોશિશો ચાલુ જ રાખી.


બહારના દેડકાઓ એને જોરજોરથી કહેતા-સમજાવતા રહ્યા કે તું નાહકનો હેરાન થાય છે, પણ એમની સમજાવટને ગણકાર્યા વિના બીજો દેડકો કૂદતો રહ્યો અને છેવટે એણે એક છલાંગ એટલી ઊંચી મારી કે એ ખાડામાંથી બહાર આવી ગયો. બહારના દેડકાઓએ પૂછ્યું, ‘તેં કૂદવાનું ચાલુ કેમ રાખ્યું? તને અમારી વાત સંભળાઈ નહીં?’


બચેલા દેડકાએ બહારના દેડકાઓને સમજાવ્યું કે એ પોતે બહેરો છે એટલે એણે કંઈ સાંભળ્યું નહોતું. ઊલટાનું બહારના દેડકાઓને જોઈને તેણે એવું માની લીધેલું કે તેઓ એને વધુ ઊંચો કૂદકો મારીને બહાર આવવાની પ્રેરણા આપી રહ્યા હતા. આ વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈ વાતે આપણે સાચા રસ્તે છીએ એવું લાગતું હોવા છતાં આસપાસના લોકો જો આપણી જોરશોરથી ટીકા કરે અને હાર સ્વીકારી લેવા કહે તો સમજવું કે એમની બૂમરાણ વાસ્તવમાં આપણને વધુ દિલથી, વધુ જોરથી પ્રયત્નો કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અને એક આડવાત: આમ તો બહેરા હોેવું એ શ્રાપ જ છે, પણ ક્યારેક અમુક શ્રાપ આડકતરા આશીર્વાદ પણ સાબિત થઈ શકે.


*** *** ***


એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’


મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’


આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારુંં લાગે. આવું શા માટે?


એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’


આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


જેમ કે, આવો સરસ મજાનો ‘ઉત્સવ’ વિશેષાંક તમે ખરીદીને વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી, તમારા હાથ મેગેઝિન પકડવાનું કામ કરી શકે છે, તમારી આંખ મેગેઝિન વાંચવાનું કામ કરી શકે છે.


ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલું મસ્ત ‘ઉત્સવ’ મેગેઝિન તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.


દીપક સોલિયા

ગુરુવાર, 3 માર્ચ, 2011

નેતૃત્વ કેળવી શકાય?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી.

આજથી ૨૩૫૦ વર્ષ પહેલાંની વાત છે. મગધ સામ્રાજ્યના એક નાનકડા ગામડાની સીમમાં કેટલાંક બાળકો ઢોર ચરાવી રહ્યાં હતાં અને રમત રમી રહ્યાં હતાં.

વગડાઉ માર્ગ પરથી પસાર થઇ રહેલો એક બ્રાહ્મણ બાળકોની રમત જોઇને થંભી ગયો. આઠ વર્ષનો એક બાળક રમતમાં રાજા બન્યો હતો. અન્ય ભરવાડ બાળકોને તેણે પોતાના દરબારીઓ અને અરજદારોની ભૂમિકા સોંપી હતી અને પોતે એક પથ્થર પર, જાણે સિંહાસન પર બેઠો હોય તે રીતે બેસીને રાજવીની અદાથી ન્યાય તોળી રહ્યો હતો. આઠ વર્ષના બાળકની પ્રતિભા જોઇને બ્રાહ્મણ દિગ્મુઢ બની ગયો.

બાળકમાં રહેલી નેતૃત્વશક્તિને બ્રાહ્મણ સારી રીતે ઓળખી ગયો. પોતાના ઘ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય માણસ મળી ગયો છે તેની બ્રાહ્મણને જાણે ખાતરી થઇ. ખડતલ દેહ અને લાંબી શિખા ધરાવતો આ તેજસ્વી બ્રાહ્મણ સીધો પેલા બાળકના પિતા પાસે પહોંરયો. બાળકને પોતે લઇ જવા માગે છે એવી દરખાસ્ત મૂકી ત્યારે જાણ થઇ કે બાળક તો અનાથ હતો આ ભરવાડ તેનો પાલક પિતા હતો. ભરવાડે એક હજાર સોનામહોર આપીને બાળક ખરીદી લીધો. આ બ્રાહ્મણ તે ચાણક્ય! પેલું બાળક આગળ જતાં ચંદ્રગુપ્ત મોર્ય બન્યો, જેણે આખાં મગધ સામ્રાજ્યને આખાં હિન્દુસ્તાનનાં સામ્રાજ્ય તરીકે વિસ્તાર્યું...

સુપરસોનિક ઝડપે સફળતા મેળવનાર ઉધોગ-લીડર્સની સકસેસ સ્ટોરીની શ્રેણી વાચકો માટે પ્રેરણારૂપ બની રહી છે. સાથે જ, દરેક હપ્તે વાચકો દ્વારા એક પ્રશ્ન તો ચોક્કસ પુછાય છે: શું હું પણ આ રીતે સફળ બની શકું? જવાબ ‘હા’ જ હોય એ સ્વાભાવિક છે. જયંતીભાઇ ચાંદ્રા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શૈલેશ માકડિયા, કેતન મારવાડી કે ખોડીદાસ પટેલ સહિતના જેટલા સાહસિકોની મુલાકાતો લેવાઇ છે અને આધુનિક મેનેજમેન્ટ થિયરીના આધારે તેમનાં કાર્યોમાંથી મેનેજમેન્ટ ફંડા તારવવામાં આવ્યા છે તેમાં સાવ સામાન્યથી પણ નીચેની આર્થિક સ્થિતિમાંથી આગળ આવવા બદલ બે બાબતો મુખ્ય છે: દિર્ઘદ્રષ્ટિ અને લીડરશિપ કવોલિટી.

દિર્ઘદ્રષ્ટિ કદાચ ઇનસાઇટ છે, પણ લીડરશિપનો ગુણ તો કેળવી શકાય તેવો છે. હવે વિશ્વ એવું નથી કહેતું કે લીડર જન્મે છે, બનતા નથી. લીડર બની શકાય છે, જો જુસ્સાથી મહેનત કરવામાં આવે તો. એ હકીકત છે કે કેટલાક લોકોમાં લીડરશિપનાં ગુણો જન્મજાત અથવા સ્વભાવગત હોય છે. જરા ઝીણી નજરે જોશો તો બધા જ માણસો, જીવનમાં ક્યાંક ને ક્યાંક તો લીડર તરીકે કામ કરે જ છે. શરૂઆતમાં આપણે ચંદ્રગુપ્ત મોર્યની જે દંતકથા જોઇ તેમાં ચાણક્યને બાળકમાં જન્મજાત લીડરશિપનાં ગુણો દેખાયા હતા.

ધનનંદની સામે વેર વાળવા માટે જેને રાજા તરીકે પ્રસ્થાપિત કરી શકાય એવા માણસની ચાણક્યને જરૂર હતી. આ જરૂરિયાત ચંદ્રગુપ્તમાં પૂરી થઇ હતી. ધારી લો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય મળ્યા ન હોત તો? ચંદ્રગુપ્ત કદાચ આટલો મહાન ન બન્યો હોત, પણ તે નિષ્ફળ ભરવાડ પણ ન જ રહ્યો હોત. તેનામાં જે હીર હતું તે તેને આગળ લઇ જ ગયું હોત. આપણે સકસેસ સ્ટોરીમાં જે ઉદાહરણો જોયાં તેમાંના કોઇને ચાણક્ય જેવો પારખુ મળ્યો નહોતો, જેણે હાથ ઝાલીને સફળતા અપાવી હોય. દરેક માણસમાં નેતૃત્વની શક્તિ હોય જ છે, કેટલાક તેનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકે છે.

અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.

સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.

આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.

અહીં ફરી આપણી આસપાસ નજર કરીએ તો સામાન્ય માણસમાંથી જ ઉદાહરણો મળી આવશે. ચાની લારી પર સવારના પહોરમાં ચુસકી મારતા હોઇએ ત્યારે એ નાકકડા ટોળામાં પણ એકાદ માણસ એવો હોય છે જેની વાતો અન્ય ચા-રસિયા ઘ્યાનથી સાંભળતા હોય. તે માણસ પાસે કોઇ પોઝિશનલ પાવર હોતો નથી. પણ, તે પોતાની જાણકારી, ઇન્ફર્મેશન ઇફેકિટવલી પ્રેઝન્ટ કરી રહ્યો હોય છે. આપણામાંના ઘણા પોતાના નાનકડા વર્તુળમાં, ઘરમાં અને મિત્રોની વચ્ચે બહુ જ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકતા હોય છે પણ, બહાર એ જ બાબત એટલી અસરકારકર રીતે રજૂ કરી શકતા નથી.

દરેક પુરુષ પોતાના ઘરમાં લીડર છે, નિણાર્યક છે અને તેની વાતને, બાય ડિફોલ્ટ, ઘ્યાનથી સાંભળવામાં આવે છે. એ લીડરશિપ નથી? ઝૂંપડીમાં રહેતા મજૂરથી માંડીને ઉધોગપતિ સુધીના બધા જ પોતાના ઘરમાં તો લીડર છે જ. તો પછી આ લીડરશિપ બહાર કેમ દેખાતી નથી? કઇ રીતે તેને બહાર લાવી શકાય? આ જાણવા માટે સફળ લીડરના ગુણ કયા હોઇ શકે તેને જાણવા પડે.

કોઇપણ સફળ લીડરનો સૌથી મોટો ગુણ વિઝન છે. વિઝન જેટલું સ્પષ્ટ અને લાંબા ગાળાનું હોય એટલો લીડર વધુ ઇફેકિટવ. આવનારા સમયમાં શું થઇ શકે, કેવી તક આવી શકે અને કેવી સમસ્યાઓ ઊભી થઇ શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપતું વિઝન હોય તો માણસ વધુ સારી રીતે નેતૃત્વ કરી શકે. જે લોકોની પ્રોફાઇલ આપણે સકસેસ સ્ટોરીમાં જોઇ તેમાંના તમામનું વિઝન ક્લીયર હતું. દુનિયા જે તક જોઇ શકતી નહોતી તે તેમણે જોઇ લીધી હતી. અને, એટલે તેઓ સફળ થયા.

સામાન્ય માણસ વિઝનનો ઉપયોગ નથી કરતો. મારા કે તમારામાં વિઝન નથી? તમે ના નહીં પાડી શકો. વિઝન તો છે જ, તેના તરફ ઘ્યાન નથી અપાતું. તેને સ્પષ્ટ નથી કરાતું. તેના માટે મહેનત નથી થતી. ચશ્માં પહેર્યા પછી પણ જો ઝાંખું દેખાતું હોય તો બની શકે કે તમારાં ચશ્માંનાં ગ્લાસ પર ડાઘ લાગી ગયા હોય. નવા ચશ્માં લાવવાને બદલે કાચ સાફ કરી નાખો તો વિઝન કલીયર થઇ જાય. પણ, ડાઘ સાફ કરવાનું જ્ઞાન જરૂરી થવું જરૂરી છે. ડાઘ છે એની જાણ જરૂરી છે અને એ ડાઘ સાફ કરવાની રીત જાણવી જરૂરી છે.

તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.

નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.

ડિયર રિડર, તમે કદાચ પૂછશો કે અમે પણ નિષ્ઠાથી જ કામ કરીએ છીએ છતાં ઇરિછત પરિણામ મળતાં નથી. વેલ, તમારાં કામથી લોકોને સ્પષ્ટ થવું જોઇએ કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે. એટલું જ નહીં, તેમાં તમે તમારો જીવ રેડી રહ્યા છો. જ્યારે બીજાઓને એવી ખાતરી થાય કે તમે સાચા છો, સાચું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. તે તમને પોતાના લીડર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. વિશ્વાસ વગર લીડર ન બની શકાય. અને, આ વિશ્વાસમાં અન્ય લોકો સાથેના તમારા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે.

સંબંધો બાંધવાની કળા લીડરને સફળતા અપાવે છે. નિષ્ઠા, વિશ્વાસ અને સંબંધ જ્યારે એક તાંતણે જોડાય છે ત્યારે અન્યોને અનુસરણ કરવાની ફરજ પડે છે. અને જેને અન્ય અનુસરે છે તે લીડર છે. તમે ફરી ઘરમાં જ જુઓ. જ્યારે તમે વ્યાવહારિક વાતને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવો છો ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને અનુસરે જ છે. કારણ કે તેમને તમારામાં અને તમારી નિષ્ઠામાં શ્રદ્ધા છે અને તમારો તેમની સાથેનો વ્યવહાર એવો છે જેનાથી તેમને ખાતરી હોય છે કે તમે તેમને નુકસાન પહોંચાડશો નહીં.

જો તમે આ કામ પરિવારમાં હંમેશાં કરતા જ હો, તો તે બહાર કેમ ન થઇ શકે! પ્રયત્ન કરો, થોડી મહેનત પડશે પણ થઇ જશે તે ચોક્કસ. વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પણ, થાય છે ખરો. કોઇને જાહેરમાં અપમાનિત કરવાથી તેની પાસેથી વધુ સારું કામ લઇ શકાય? આવું કરનાર વધુ અસરકારક લીડર ગણાય? દુનિયાના ઘણા ભાગમાં ન જ ગણાય પણ, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે.

આરબ રાષ્ટ્રોમાં માગ્યા વગર જો નમ્રતા બતાવવામાં આવે તો તેને નબળાઇ ગણવામાં આવે છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? કરો જ છો. તો એ માનવીય વ્યવહારને વધુ વિસ્તારી ન શકાય? પરિવારમાં તે જે માયાળુપણે વર્તોતે રીતે બહાર પણ વર્તી શકાય. કદાચ, આપણે નબળા ગણાઇ જવાના ડરે, છેતરાઇ જવાના ડરે એ રીતે વર્તતા નથી. પણ, માનવીય અભિગમના મુદ્દે તમારામાં અને સફળ ઉધોગપતિમાં કોઇ બેઝિક ફરક નથી હોતો એટલું તો સ્વીકારવું પડે કે નહીં?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી. કોઇપણ સફળ માણસનું ઉદારણ લો, તેનામાં પેશન ભરપૂર જોવા મળશે. તમારામાં પણ પેશન તો હોય જ છે. દરેક માણસમાં હોય છે. પણ, તેનો ઉપયોગ યોગ્ય દિશામાં થતો નથી. નિષ્ઠા (ઇન્ટેગ્રિટી) અને જુસ્સો (પેશન)ને અહીં સમજી લેવાની જરૂર છે. જુસ્સો પોઝિટિવ અને નેગેટિવ બન્ને હોઇ શકે છે. વાલિયો નેગેટિવ જુસ્સાથી કામ કરતો તો ત્યારે લૂંટારો હતો અને એ જ જુસ્સાથી પોઝિટિવલી રામનામનો જપ કરવા માંડયો ત્યારે તે વાલ્મીકિ બની ગયો. જરૂર માત્ર દિશા બદલવાની જ હતી. પણ, પ્રવાહ પલાટવવો, દિશા બદલવી સહેલાં નથી. બહુ જ ચોકસાઇપૂર્વક પ્રયત્ન કરવો પડે.

પ્રયત્ન કરી જોજો રિડર રાજા, દુનિયા બદલાઇ જશે. તમે પોતાનામાં પરિવર્તન લાવશો તો દુનિયામાં પરિવર્તન આવશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ રૂઢિપ્રયોગ ખોટો નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરની વાર્તા તમને યાદ હશે. કૃષ્ણએ દુર્યોધનને આખા રાજયમાંથી એક સારો માણસ શોધી લાવવાનું કહ્યું, દુર્યોધનને કોઇ સારો માણસ ન મળ્યો. તેની દ્રષ્ટિ જ નેગેટિવ હતી. યુધિષ્ઠિરને એક ખરાબ માણસ શોધવા મોકલ્યા, તેને કોઇ ખરાબ માણસ ન મળ્યો. તમારી નજર કેવી છે તેના પર આધાર છે, દુનિયા કેવી છે તેનો.

અગાઉ આપણે ચર્ચી લીધું કે જેના પર વિશ્વાસ બેસે તેને લોકો અનુસરે છે. આ વિશ્વાસ માટે જરૂરી એક અન્ય બાબત છે, પ્રેરક વ્યક્તિત્વ દ્વારા ઉદારણ પૂરું પાડવું. આપણે બધા આ બાબતે બહુ જ બેઘ્યાન હોઇએ છીએ. આપણું વ્યક્તિત્વ બીજાને માટે પ્રેરક બને તે માટે પ્રયત્નો કરતા નથી. કારણ કે આપણી માનસિકતા ટોળામાં ખોવાઇ જવાની છે, ટોળાંથી અલગ તરી આવવાની નહીં. સભાનતાપૂર્વક પ્રયત્ન કરીએ તો નાની નાની બાબતોમાં પ્રેરક ઉદારણ પૂરાં પાડી શકીએ.

તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઇ કલાર્ક, કોઇ પટાવાળો પણ સમયપાલન, કાર્યનિષ્ઠા વગેરેમાં પ્રેરણારૂપ કામ કરતો જોઇ શકાશે. જો તે પોતાની આ કવોલિટીનું વિસ્તરણ કરે તો તે પણ સફળ વ્યક્તિ બની શકે. અને સાવ નાના માણસમાંથી અગ્રણી બની ગયા હોય એવા માણસના અનેક દાખલા આપણે જોયા છે. જો એ સામાન્ય માણસ આટલી ઊચાઇ પર પહોંચી શકતો હોય તો તમે તો તેનાથી ઘણા આગળ છો. પેશનેટલી ઘ્યેય માટે મંડી પડો, દુનિયા ઝૂકી જશે.

સફળ લીડરશિપની આ કવોલિટીઓ છે. તેમાં ઉમેરા કે ઘટાડા કરી શકાય તેમ છે. પણ, મૂળ પ્રશ્ન એ હતો કે અમે આટલા સફળ થઇ શકીએ? તેનો જવાબ આમાં આવી જાય છે. એટલું તો સાબિત થઇ ગયું છે કે તમારામાં પણ આ બધી કવોલિટી છે અને તમે તેનો ઘરમાં કે નાના વર્તુળમાં ઉપયોગ પણ કરો છો. હવે જરૂર છે માત્ર તેને વિસ્તારવાની. પાંખો ફેલાવી દો, આકાશ તમારું જ છે. અને, આકાશને કોઇ સીમા નથી. ગરૂડ જેવું શક્તિમાન પક્ષી પણ પોતાની પાંખો બીડેલી રાખીને ઊડી શકતું નથી. તેણે પણ ઊડવા માટે પાંખો વિસ્તારવી પડે છે. તમે પણ ઉઘાડો પાંખો. ઊડવાનું બહુ સહેલું છે.

મેનેજમેન્ટ ફંડા, કાના બાંટવા

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

રોક સકો તો રોક લો

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

સફળ વ્યક્તિ એ છે, જેણે ઊંડી મનોવૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક સમજ કેળવી છે. આજના ઘણા સફળ બિઝનેસમેન સફળતા મેળવવા પોતાના અજાગૃત મનનો સાચો ઉપયોગ કરવા પર ભાર આપે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જાણે એ પહેલેથી જ પૂરો થઇ ગયો હોય! એની સાકાર તસવીર જોઇને અને પ્રાર્થનાનું પરિણામ અનુભવીને એમનું અર્ધજાગૃત મન એ પ્રોજેક્ટ પૂરો કરી દે છે.

કોઇ પણ ઘ્યેયની સ્પષ્ટ કલ્પના કરી શકો, તો એ ચીજ ચોક્કસ તમને મળી શકે. આ ચીજ તમને અર્ધજાગ્રત મનની ચમત્કારી શક્તિ દ્વારા એવી રીતે મળી જશે જેના વિશે તમે કશું નથી જાણતા.

ત્રણ પગલાં

સફળતાનું સૌથી મહત્વનું અને પહેલું પગલું છે જે કાર્ય તમને ગમતું હોય એને શોધવાનું અને એ કરવાનું. એવું કાર્ય જેને તમે પ્રેમ કરતા હો. ભલેને આખી દુનિયા તમને સફળ માનતી હોય પણ તમે પોતે જો મનગમતું કામ નહીં કરતાં હો તો શક્ય છે કે તમે જાતને સફળ ન માનો. કામ ગમતું હોવાથી તે કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય છે. કોઇ યુવતીને મનોચિકિત્સક બનવાની ઇચ્છા છે તો ડિપ્લોમા કરીને સર્ટિફિકેટ દીવાલ પર ટાંગી લેવાથી જ કામ નથી પતી જતું. એ ક્ષેત્રમાં આગળ આવવા માટે એ સેમિનારોમાં ભાગ લેશે અને મગજ તથા એની પ્રવૃતિઓનો અભ્યાસ કરતી રહેશે. એ પોતાનાં ક્ષેત્ર સંબંધિત વિવિધ સામયિક વાંચશે. બીજા શબ્દોમાં કહીએ તો એ સતત નવું નવું જ્ઞાન મેળવતી રહેશે. એનું કારણ છે કે એ દર્દીઓનું હિત તેના માટે સૌથી વધારે મહત્વનું છે.

શક્ય છે કે આ વાંચીને તમે વિચારમાં પડી જશો કે હું તો પહેલું પગલું નહીં ભરી શકું, કારણકે મને તો ખબર જ નથી કે હું શું કરવા ઇચ્છું છું. મને ખબર જ નથી કે મને કયું કામ ગમે છે, એવું કોઇ ક્ષેત્ર છે ખરું જેને હું પ્રેમ કરું છું?

તમારી સ્થિતિ આવી હોય તો આ રીતે પ્રાર્થના કરો: મારા અજાગૃત મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યાએ પ્રકટ થાઓ... આ પ્રાર્થનાને ધીમે ધીમે, પોઝિટિવ રીતે અને પ્રેમથી મન સમક્ષ દોહરાવતા રહો. તમે આસ્થા અને વિશ્વાસ રાખશો તો કોઈને કોઈ સ્વરૂપમાં તમને ચોક્કસ જવાબ મળશે.

સફળતાનું બીજું પગલું. કાર્યની કોઇ વિશિષ્ટ શાખા પર ઘ્યાન કેન્દ્રિત કરવું અને એમાં ઉત્કૃષ્ટ બનવાની ઇચ્છા રાખવી. માનો કે કોઇ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને પોતાના વ્યવસાય તરીકે પસંદ કરે છે, તો પછી એણે પોતાનું પૂરેપૂરું ઘ્યાન એના પર કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાનો બધો સમય તથા શક્તિ એણે પસંદ કરેલા ક્ષેત્ર પર જ કેન્દ્રિત કરવાં જોઇએ. જે-તે ક્ષત્રમાં એકસપર્ટ આ રીતે બનાય. ઉત્સાહને લીધે એ પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરશે, બીજા કરતાં વધારે જાણવાની કોશિશ કરશે. જેમ તેમ આજીવિકા રળવી એવી વ્યક્તિના દ્રષ્ટિકોણ અને આ દ્રષ્ટિકોણમાં બહુ મોટો વિરોધાભાસ છે. ‘જેમતેમ આજીવિકા કમાઇ લેવી’ તે સાચો અભિગમ નથી. તમારાં લક્ષ્ય ઊંચાં, ઉદ્દાત અને પરોપકારી હોવાં જોઇએ.

ત્રીજું પગલું. તમારે એ ચોક્કસ નક્કી કરી લેવું જોઇએ કે તમારી સફળતા સ્વકેન્દ્રી ન રહી જાય. તમારી ઇચ્છા સ્વાર્થી ન હોવી જોઇએ. એનાથી સમાજને પણ લાભ થવો જોઇએ. સર્કિટ પૂરી થવી જોઇએ. તમે ફક્ત તમારા લાભ પૂરતું જ કામ કરો છો તો તમે આ સર્કિટ પૂરી નથી કરી રહ્યા. શક્ય છે કે દુન્યવી નજરે સફળ લાગતા હો, પણ જીવનમાં તમે જે શોર્ટ ક્ટ અપનાવ્યો છે એ આગળ જઇને તમને સીમિત કરી દેશે.

સાચી સફળતાનાં પગલાં

તમે કહેશો: એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી.

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું.

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો.

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે.
...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

સફળતાની ટેક્નિક

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

બેશક તમે તમારાં કૌટુંબિક જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઇચ્છો છો. તમે તમારી પસંદગીનાં કામ કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઇચ્છો છો. તમે સુંદર ઘર અને સારી એવી સંપત્તિ ઇચ્છો છો કે જેથી તમે સુખચેનથી રહી શકો. જીવનને એક વ્યવસાય ગણો તો તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છો. તમે જે કરવા ઇચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા માગો છો, એની કલ્પના કરી સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો.

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

યાદ રાખો, ધરતી કે આકાશમાં કોઇ એવી શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. (ડો. મર્ફી ‘ધ પાવર ઓફ યોર સબકોન્સિયસ માઇન્ડ’ પુસ્તકના લેખક છે)

કેટલાક નિયમ

- સફળતાના વિચારમાં સફળતાનાં બધાં તત્વ સામેલ છે. સફળતા શબ્દ પૂર્ણ વિશ્વાસ સાથે દોહરાવો. આ રીત અર્ધજાગૃત મન તમારા પર સફળ થવા માટે દબાણ લાવશે.
- તમે શાંત, સુખી અને ખુશ હો અને તમારું પ્રિય કામ કરી રહ્યા હો તો તમે સફળ છો.
- તમે ખાસ ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનો અને એના વિશે કોઇ બીજી વ્યક્તિ પાસેથી વધુ જાણવાની કોશિશ કરો.
- સફળ વ્યક્તિ સ્વાર્થી નથી હોતી. જીવનમાં તેઓ ચોક્કસપણે બીજા માનવીઓની સેવા કરવા માગે છે.
- તમે કોઇ ઉદ્દેશની નક્કર કલ્પના કરો. તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમને બધી આવશ્યક વસ્તુઓ મેળવી આપશે.

સાફલ્ય, ડો. જોસેફ મર્ફી
આહ જીદગી ૦૬/૦૨/૨૦૧૧

બુધવાર, 5 જાન્યુઆરી, 2011

સફળતા મેળવવાનાં ૧૦ પગથિયાં

સફળ થવા માટે નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા માટે ખૂબ બધી પોઝિટિવ વાતો થાય છે. પરંતુ એ માટે ખરેખર કેવાં નક્કર પગલાં લેવા જોઇએ એની વાત ભાગ્યે જ થાય છે. નવા દાયકાના પહેલા અઠવાડિયે પેશ છે સફળતા મેળવવાના દસ દમદાર પગથિયાં...

એકવીસમી સદીનો બીજો દાયકો વિશાળ તકો લઇને આવ્યો છે. આ દાયકામાં ભારત વિશ્વનું સૌથી યુવાન રાષ્ટ્ર બનવાનું છે અથૉત્ યુવાનોની સંખ્યા ભારતમાં સૌથી વધુ રહેવાની છે. વિકાસની ગાડી પાટે ચઢી ગઇ છે અને હવે પુરપાટ દોડવા તૈયાર છે. તમે જો સજ્જ નહીં હો તો આ ગાડી તમારી રાહ જોઇને થોભવાની નથી. કેવી સજ્જતા જોઇશે આ નવા દાયકામાં સફળ થવા માટે? નવી વિચારધારામાં ફીટ થવા માટે? નવી મેનેજમેન્ટ થિયરીઓને અનુસરવા માટે? હજારો વર્ષમાં વિશ્વએ એકઠા કરેલા ડહાપણના સમુદ્રમાંથી મોતી જેવા બાર ગુણ અહીં પસંદ કર્યા છે, યાદી બાવીસ, બેંતાલીસ કે બોંતેર સુધીયે લંબાવી શકાય તેમ છે, પણ થોડામાં ઘણું સમજો ડિયર વાચક.

લક્ષ્ય

પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.- ભગવાન બુદ્ધ

લક્ષ્ય, ધ્યેય, ટાર્ગેટ. ગળાકાપ અને ટાંટિયાખેંચ સ્પર્ધાના આ જમાનામાં લક્ષ્ય નક્કી કરવા જેટલું મહત્વનું બીજું કશું જ નથી. તમે શું પ્રાપ્ત કરવા માગો છો, તમારો ગોલ શું છે તે સ્પષ્ટ કરી લેવું જરૂરી છે. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે. ભગવાન બુદ્ધે કહ્યું છે, ઈશ્વરે દરેકને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ આપી જ છે. લક્ષ્ય ક્યારેય અશક્ય હોતું નથી, તેને અશક્ય બનાવે છે આપણી ઇચ્છા અથવા આપણી જાતનું ઓછું આકલન. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું કહેનાર સ્વામી વિવેકાનંદે પોતાના જીવનનું લક્ષ્ય કિશોરાવસ્થામાં જ નક્કી કરી લીધું હતું અને યુવાનીમાં તે પ્રાપ્ત પણ કરી લીધું હતું. આજે ૩૯ વર્ષની ઉંમરે કેટલાય લોકો પોતાનું ધ્યેય નક્કી કરી શક્યા હોતા નથી, એ ઉંમરે તો સ્વામીજીએ આ લોકને છોડી દીધો હતો. સેટ યોર ગોલ, નાઉ.

આયોજન

નસીબનાં દ્વાર ત્યારે ઉઘડે છે જ્યારે માણસ પ્લાનિંગ સાથે, આયોજનબદ્ધ રીતે ઉધ્યમ કરે. શાકુંતલમાં કહેવાયું છે, નસીબનાં દ્વાર તો સર્વત્ર હોય છે. પણ, આ દ્વાર સુધી પહોંચવા માટે, તેને ઉઘાડવા માટે આયોજન જરૂરી છે.તમારું ધ્યેય નક્કી કર્યા પછી તે ધ્યેય સુધી પહોંચવાનું આયોજન જરૂરી છે. એન્ટની ડી’ સેન્ટે કહ્યું છે, ‘આયોજન વગરનું પ્લાનિંગ એક આશા માત્ર છે.’ પીટર ડ્રકરે પણ એવું જ કહ્યું છે, ‘આયોજનને ઝડપથી અમલમાં ન મૂકવામાં આવે તો તે માત્ર એક સારો ઉદ્દેશ બનીને રહી જાય છે.’ પ્લાન પરફેક્ટ હોવો જોઇએ એવું કહેવાય છે પણ, હકીકતમાં કોઇ પ્લાનિંગ ફુલપ્રૂફ હોતું નથી. ખરાબ પ્લાનિંગ જ એકમાત્ર એવી ચીજ છે, જેને બદલી શકાય નહીં. સારા પ્લાનિંગમાં સતત સુધારા-વધારા આવશ્યક અને આવકાર્ય હોય છે. આપણે આપણાં એંસી ટકા કામ એવાં કરીએ છીએ જે લક્ષ્યની સિદ્ધિ તરફ લઇ જતાં નથી. સો, પ્લાન યોર સેલ્ફ.

થિંક બિગ

થિંક બિગ. આજના જમાનામાં સફળતાનો આ મૂળ મંત્ર છે. હિતોપદેશમાં કહેવાયું છે, ‘જે સમર્થ છે, તેના માટે કોઇ લક્ષ્ય મોટું નથી. જેને ધંધો કરવો છે, તેના માટે કોઇ સ્થળ દૂર નથી.’ કલાઉડ બિસ્ટ્રોલે કહ્યું છે, ‘મોટા બનવા માટે મોટું વિચારવું પડે.’ તમારી સફળતાની સાઇઝ તમારા વિચારને અનુરૂપ હશે. નાનું વિચારીને ક્યારેય મોટી સફળતા મળી શકતી નથી. પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેએ કહ્યું હતું, ‘સફળતાની સંભાવનાઓનાં દ્વાર ખોલવા માટે મોટું અને અલગ વિચારવું પડે.’ મોટું વિચારનાર પ્રજા મહાન બને છે. સફળ માણસ કે સફળ પ્રજાની સફળતા પાછળ તેનું બિગ થિંકિંગ પડેલું હોય છે. મોટું વિચારનાર આઉટ ઓફ ધી બોક્સ વિચારી શકે. બીજાથી અલગ વિચારી શકે, પરંપરાને તોડી શકે. સો, થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર.

આળસ ત્યજો

આલસ્ય મહા બલમ્ એવું કહેવાય છે. ચાણકયએ કહ્યું છે, ‘આળસુ વ્યક્તિ પોતાને મળેલી વસ્તુની પણ રક્ષા કરી શકતો નથી.’ માણસ હંમેશાં કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેમાંથી બહાર આવવાનું મુશ્કેલ છે, અશક્ય નથી. આળસ અને આજનું કામ કાલે કરવાની ઠેલણવૃત્તિ સફળતાનો સૌથી મોટો શત્રુ છે. ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’ એવું સૂત્ર આપણે ગોખી લીધું છે પણ તેનો અમલ કરવામાં આળસ કરતા રહીએ છીએ. સફળતા મેળવવી હોય તો રાત-દિવસ જોયા વગર મંડી પડવું પડે. સફળ વ્યક્તિ કરોડો કમાયા પછી પણ પગ વાળીને બેસતો નથી કારણકે આળસ તેમના સ્વભાવમાં હોતી નથી. એટલે, સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય. સો, કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન.

રિલેશનશીપ

‘મને મિત્રોથી ભય ન રહે, મને શત્રુઓથી ભય ન રહે.’ અદભૂત વાક્ય છે આ અથર્વવેદનું. શત્રુઓથી ભય ન રહે એવું વરદાન તો સામાન્ય છે, મિત્રોથી ભય ન રહે એવું કહેવું તે અસામાન્ય છે. નવા યુગના મેનેજમેન્ટમાં રિલેશનશીપ સૌથી વધુ મહત્વની બાબત છે. તમારા સાથી કર્મચારીઓ અને તમારી નીચેના કર્મચારીઓ સાથેની રિલેશનશીપ, તમારા કલાયન્ટ્સ અને તમારા વેન્ડર્સ સાથેની રિલેશનશીપ અને ગ્રાહકો સાથેની રિલેશનશીપ ધંધામાં પ્રગતિ માટે અનિવાર્ય પરિબળ છે. સંબંધો પર દુનિયા ટકેલી છે એ વાક્ય અત્યારે કદાચ સૌથી વધુ રિલેવન્ટ છે. પછી તે સંબંધો સામાજિક હોય કે વ્યાવસાયિક. એટલે, ડેવલપ ગુડ રિલેશનશીપ.

હાર્ડવર્ક

સિંહ સામર્થ્યમાં અતુલ્ય છે. છતાં સૂતેલા સિંહના મુખમાં હરણાં આપોઆપ પ્રવેશી જતાં નથી, સિંહે પણ શિકાર માટે ઉધ્યમ કરવો પડે છે. માત્ર મનના ઘોડા ઘડવાથી કાર્ય પૂરા થતાં નથી, તેના માટે હાર્ડવર્ક જરૂરી છે. જે માણસ પોતાનું કામ નિષ્ઠાથી કરતો નથી તે નસીબને દોષ દે છે. ‘મર્દ કા નસીબ ઉન કે હાથોં કી લકીરોં મેં નહીં, ઉનકી બાહુઓ મેં હોતા હૈ’ એવો ફિલ્મી ડાયલોગ પણ સુભાષિતથી કમ નથી. કોઇ વ્યક્તિ તમારી નિંદા કરીને તમારું નામ બગાડી શકે પણ, તમારું કામ બગાડી શકતો નથી. તમારું કામ એક જ વ્યક્તિ બગાડી શકે, અને એ છે, તમે પોતે. તમે મહેનત કરો, પુરુષાર્થ કરો તો કોઇ કામ અશક્ય નથી. હોમરે કહ્યું છે, ‘પુરુષાર્થ બધી બાબતો પર વિજય મેળવી શકે છે’. ઐતરેય બ્રાહ્નણમાં લખાયેલું સુભાષિત છે: ‘સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે, જે ચાલતો રહે છે તેનું ભાગ્ય ગતિશીલ રહે છે’. સો, બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ.

ડિસિઝન

કુમાર સંભવમાં કાલીદાસે કહ્યું છે, જે દ્રઢ નિર્ણય કરે છે તેના મનને અને ઢાળ તરફ વહેતા પાણીને કોણ રોકી શકે? નિર્ણય લેવાની કળા, ડિસિઝન મેકિંગ કોઇપણ વ્યવસાયની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે. એક ખોટો નિર્ણય, એક મોડો નિર્ણય ધંધાની, નોકરીની દિશા બદલી નાખી શકે. નિર્ણય મોડો કે વહેલો નહીં, યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે. ભવિષ્યની તકોનું આકલન કરીને, વર્તમાન પરિસ્થિતિનું ગણિત માંડીને લેવાયેલો પરપિકવ નિર્ણય જ લાભકારી નિવડે છે. માણસે જીવનમાં, ધંધામાં, નોકરીમાં વારંવાર નિર્ણયો લેવા પડે છે અને તે નિર્ણયો તેની સફળતા નક્કી કરતા હોય છે. શતરંજની રમતમાં જેમ વિવિધ પાસાં વિચાર્યા પછી સૌથી સારી ચાલ ચાલવાની હોય તે જ રીતે નિર્ણયો લેવાની પ્રક્રિયા થવી જોઇએ. નાઉ, મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ.

નબળાઇઓને જાણો, નિવારો

પોતાની નબળાઇઓની જાણ બીજાને ન કરવી એવું ચાણકયએ કહ્યું છે. પણ, તે પહેલાં પોતાની નબળાઇઓ જાણવી જરૂરી છે. પોતાના ધંધાની નબળી કડીઓ જાણવી જરૂરી છે. આ જમાનામાં નબળાઇઓને છુપાવી શકાય એવું રહ્યું નથી એટલે, ચાણકયથી થોડું આગળ વધીને એવું કહેવું પડે કે પોતાની નબળાઇઓને છુપાવવાને બદલે સુધારો. જે માણસ પોતાની નબળાઇઓને જોઇ શકતો નથી તે સફળ થતો નથી. ધંધામાં કે વ્યક્તિગત જીવનમાં, નબળાઇઓ શોધતા આપણે ડરીએ છીએ. પણ, એ પલાયનવૃત્તિ છે. પોતાની નબળાઇઓ સફળતા સામે જોખમ બનીને ઊભી રહે તેના કરતાં તો તેને ઓળખીને દૂર કરવી વધુ યોગ્ય છે. લેટ્સ, હેવ અ લૂક વિધિન.

નેવર ગિવ અપ

વિન્સ્ટન ચર્ચિલ એક શાળામાં ભાષણ કરવા ગયા ત્યારે બધાને હતું કે તેઓ રાજકીય વાતો કરશે અને બાળકોને કશું સમજાશે નહીં. ચર્ચિલે તે સભામાં કહ્યું, નેવર ગિવ અપ. નેવર નેવર નેવર. અને આ સભાને આજ દિવસ સુધી યાદ રાખવામાં આવે છે. નીતિ શતકમાં ભર્તુહરિએ લખ્યું છે, ઉત્તમ પુરુષો આરંભેલા કાર્યને ક્યારેય છોડતા નથી. પડકારો આવે, ક્યારેક પીછેહઠ કરવી પડે એવું જીવનમાં વારંવાર બનશે. પણ, પોતાનું ધ્યેય ન છોડવું. મોટાભાગે એવું બને છે કે નાનકડી પછડાટ, નાનકડી પીછેહઠ, નાનકડો પરાજય મળતાં જ માણસ હતોત્સાહ થઇને કામ છોડી દે છે. જે આવા વિપરિત સંજોગોમાં પણ કામ છોડતા નથી તેઓ સફળ માણસોની યાદીમાં બિરાજે છે. સો, નેવર ગિવ અપ, નેવર નેવર નેવર.

બી એનજેઁટિક

નિરુત્સાહથી માણસનું જ નહીં, તેના ભાગ્યનું પણ પતન થાય છે. ઉત્સાહથી ભરપુર, એનજેઁટિક માણસ પોતાની આજુબાજુના વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. કોઇપણ કામ ઉત્સાહથી કરવામાં આવે તો તેનું પરિણામ અદભૂત મળે છે. વર્કપ્લેસ ઉત્સાહથી થિરક્તી હોય એવું વાતાવરણ દરેક કંપની ઇચ્છતી હોય, દરેક અધિકારી ઇચ્છતો હોય. ઉત્સાહ માટે અનેક પરિબળો જરૂરી છે. સારું વળતર, સારી રિલેશનશીપ, સારી સંભાળ, સારું વાતાવરણ, સારી પ્રસંશા વગેરે વગેરે. પણ, વાસ્તવમાં ઉત્સાહ માણસના મનમાંથી જન્મે છે. કામ પ્રત્યે જેને પ્રેમ હોય એ ગમે તેવા વાતાવરણમાં ઉત્સાહથી કામ કરતો રહે છે. એટલે જ, કોઇપણ ઓફિસમાં એવા એક-બે જ માણસ હોય છે, જે ઉત્સાહથી થનગનતા હોય છે. સો, બી એનજેઁટિક, ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

૧-સેટ યોર ગોલ નાઉ. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે.

૨-પ્લાન યોર સેલ્ફ. ધ્યેય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવાનું આયોજન જરૂરી છે.

૩-થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર. બીજાથી અલગ વિચારો.

૪-કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય.

૫-ડેવલપ ગુડ રિલેશનશીપ. સંબંધો પર દુનિયા ટકેલી છે.

૬-બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ. તમે પુરુષાર્થ કરો તો કંઇ અશક્ય નથી.

૭-મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ. નિર્ણય યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે.

૮-હેવ અ લૂક વિધિન. પોતાની નબળાઇઓ છુપાવવાને બદલે સુધારો.

૯-નેવર ગિવ અપ, નેવર. ભલે ક્યારેક પીછેહઠ કરવી પડે પણ ધ્યેય ન છોડવું.

૧૦-બી એનજેઁટિક. ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

(કાના બાંટવા)
દિવ્ય ભાસ્કર વિહાર કોલમ માંથી