લેબલ પ્રેરક પ્રસંગો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરક પ્રસંગો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 18 જાન્યુઆરી, 2012

જે.કે. રોલિંગ સફળતાનો ‘શબ્દ’કોશ


જે.કે. રોલિંગ હેરી પોટર સિરિઝની વાર્તાના શબ્દો લખી આજે સફળતાનો શબ્દકોશ બની ચૂક્યાં છે. પણ એમની સફળતા ભારે સંઘર્ષપૂર્ણ છે

સફળતાની બધી વ્યાખ્યાઓ પોતાની તરફેણમાં કરી દેનારાં જોની રોલિંગ એક સમયે બેકારી ભથ્થું મેળવી ગુજરાન ચલાવતાં જ્યારે આજે તેમની સંપત્તિ ૫૩૦ મિલિયન પાઉન્ડ છે! બ્રિટનની એ સૌથી ધનાઢય મહિલા પૈકીની એક છે. જોકે આ સફળતા રાતોરાત નથી મળી. એમને એ માટે ઘણો સંઘર્ષ કરવો પડયો છે.

આખું નામઃ જોની કે રોલિંગ
જન્મ તારીખઃ ૩૧ જુલાઈ, ૧૯૬૫









તેમની જિંદગી પર એક નજર...

* તેમનો જન્મ બ્રિટનના ગ્લુચેસ્ટશાયર ખાતેના યાટેમાં ૧૯૬૫માં થયેલો. તેમના પિતા પિટર જેમ્સ અને માતા એની રોલિંગ હતાં. નાનપણથી જ તેમને કાલ્પનિક (ફેન્ટસી) કથાઓ લખવાનો શોખ હતો. એ નાનપણમાં પોતાની નાની બહેનને પોતે ઘડી કાઢેલી વાર્તાઓ સંભળાવતી. યુવાનીમાં નાની દીકરીને બાબાગાડીમાં સૂવડાવીને સૂઈ રહે એટલી વારમાં વાર્તા લખતી.

* આજે તેમનાં પુસ્તકો બાઈબલ પછી સૌથી વધુ વંચાતાં પુસ્તકો ગણાય છે. તેમનાં પુસ્તકોની ૯૫ દેશોમાં, ૬૫ ભાષામાં ૪૦ કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.    

* ૧૯૯૫માં તેમણે પોતાની પોટર સિરિઝની પહેલી બુક ‘હેરી પોટર એન્ડ ફિલોસોફર્સ સ્ટોન’ પોતાના જુનવાણી ટાઈપરાઈટર પર લખેલી. બારેક પ્રકાશકોએ આ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈને રિજેક્ટ કરી દીધેલી. આખરે બ્લૂમ્સબરી પબ્લિકેશને એક વરસ પછી માંડમાંડ પુસ્તક છાપવાની તૈયારી બતાવી. બ્લૂમ્સબરીના ચેરમેને એ વાર્તાનું પહેલું ચેપ્ટર પોતાની આઠ વર્ષની દીકરી એલિસ ન્યૂટનને વાંચવા આપેલું. તેને પસંદ પડયું એટલે તેઓ છાપવા માટે તૈયાર થયા. અલબત્ત, પ્રકાશકે તેમને સલાહ આપેલી કે આવી ચોપડીઓ લખવામાં બહુ પૈસા મળે એવી અપેક્ષા રાખશો નહીં, બીજી નોકરી શોધી લેજો.

* પહેલી આવૃત્તિમાં પહેલા ભાગની એક હજાર નકલો છપાયેલી જેમાં ૫૦૦ તો લાયબ્રેરીમાં ગયેલી. આજે એ પહેલી આવૃત્તિ એન્ટિક ગણાય છે અને એક નકલની કિંમત જાણકારો ૧૬૦૦૦ ડોલરથી ૨૫૦૦૦ ડોલર વચ્ચે આંકે છે. બાદમાં એ પહેલા ભાગને ચિલ્ડ્રન્સ બૂક ઓફ ધ યરનો એવોર્ડ મળેલો.

* તેમણે એક્સટર યુનિર્વિસટીમાં ફ્રેંચ સાથે બીએ કર્યું છે.

* ૧૯૯૦માં માન્ચેસ્ટરથી લંડન જતી વખતે ટ્રેઈન ચાર કલાક મોડી પડી ત્યારે તેમને સૌથી પહેલાં હેરી પોટર લખવાનો વિચાર આવેલો.

* ૧૯૯૨માં રોલિંગ પોર્ટુગલ શિફ્ટ થયાં અને ત્યાં અંગ્રેજી ટીચર તરીકેની જોબ શરૂ કરી. ત્યાં જ તેમણે ટીવી જર્નલિસ્ટ જોર્ગ આર્ન્સ્ટ સાથે લગ્ન કર્યાં. ૧૯૯૩માં તેમને એક દીકરી જન્મી અને એ જ વર્ષે તેમના પતિથી અલગ પડી ગયાં. એ પછી તેઓ પોતાની નાનકડી દીકરી સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં શિફ્ટ થઈ ગયાં.

* પહેલી નવલકથા પછી લખાણ ચાલુ રાખવા માટે તેમને સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલ તરફથી ગ્રાંટ મળેલી.
* નાનપણમાં એલિઝાબેથ ગોજની નવલકથા ‘ધ લિટલ વ્હાઈટ હાઉસ’ તેમની ફેવરિટ વાર્તા હતી.

* પહેલી બુકમાં લેખક તરીકે નામ જે.કે. રોલિંગ રખાયેલું, કેમ કે જોની રોલિંગ રાખે તો કદાચ બાળકો મહિલા લેખિકાને વાંચવાનું પસંદ ન કરે એવો તેને ડર હતો. બાદમાં પહેલી બૂક વાંચીને એક વાચકે પત્ર લખ્યો જેનું સંબોધન હતું ‘ડિયર સર.. ‘ કેમ કે તેને લાગેલું કે જે.કે. રોલિંગ કોઈ પુરુષ લેખક હશે.

બાયોગ્રાફી-  સંદેશ સંસ્કાર પૂર્તિ  ૮/૧/૨૦૧૨

મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.

ગુરુવાર, 10 માર્ચ, 2011

સુખી થવાની રમૂજી ચાવી

ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે...

સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, ત્યાં પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


આપણી પાસે ઘાસ અને છાપાંથી ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. ‘હું સુખી નથી, મારી પાસે આ નથી’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’


આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશને ડરાવતી ટ્રકો જેવી હોય છે.


બબ્બે વર્ષથી દિનેશ જેટલી ટ્રકથી ડરતો રહ્યો એમાંની એકમાં પણ ડ્રાઈવર પત્ની પરત કરવા નહોતો આવી રહ્યો, છતાં દિનેશ તો ફફડતો જ રહ્યો ને! તો પછી હવે ક્યારેક અમુક સંકેતોને કારણે કશુંક અમંગળ બનવાનો ડર લાગે ત્યારે પહેલા તો શાંતિથી એટલું વિચારી લેવું કે આ ક્યાંક ‘દિનેશને ડરાવતી ટ્રક’વાળો મામલો તો નથી ને!


*** *** ***


ચમન નદીકાંઠે બેઠો હતો. સામે કાંઠેથી મગને બૂમ પાડી, ‘હું સામા કાંઠે કઈ રીતે આવી શકું?’ચમન કહે, ‘આવવાની શી જરૂર છે? તું સામા કાંઠે જ છે.’ આ પણ એકદમ પૂઅર જોક છે, છતાં એક ખાસ એંગલથી જોઈએ તો એમાં ઘણી મહાનતા છુપાયેલી છે. વાત જાણે એમ છે કે આપણે સૌ ક્યાંક સામા કાંઠે પહોંચવા ઉત્સુક હોઈએ છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો.


કોઈ પણ કાંઠે બેસો તો સામે નદી વહેતી દેખાવાની છે, પણ માણસ એક નોકરી કરતો હોય તો એને સામા કાંઠાની નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની પત્ની કે પડોશણનો પતિ વધુ સદ્ગુણી લાગે. આવી લાગણી ક્યારેક સાચી પણ હોય છે, પરંતુ સવાલ એ છે કે મોટે ભાગે માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ શા માટે રહે છે? મૂળ તો, સુખને આપણે હંમેશાં ભવિષ્ય પર શા માટે મુલતવી રાખતા હોઈએ છીએ.


જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો મજા પડી જાય... દીકરી પરણી જાય પછી ભાર હળવો થશે... મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં રહે... પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે અમીર જીવનની લાલસામાં ડૂબી જતું હોય છે. પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ...


આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી મહત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


*** *** ***એક ચિત્રકારની મચ્છરદાનીમાં નાનકડું કાણું પડ્યું. ભાઈને સીવવાનું ફાવે નહીં. એટલે એણે મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું એની બરાબર સામેની બાજુએ એવડું જ બીજું કાણું કાતરથી પાડ્યું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એને એક કાણામાં ઘુસાડીને સામેના કાણામાંથી પસાર કરી, જેથી મચ્છર એક બાજુથી પ્રવેશીને ભૂંગળીમાંથી પસાર થઈને બીજી બાજુએ બહાર નીકળી જાય. મચ્છર આખી મચ્છરદાનીમાંથી પસાર થાય, પણ નીચે સૂતેલા ચિત્રકારને અડી ન શકે, એનું લોહી ન પી શકે.


જરા વિચારો, આવી એક ભૂંગળી મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો, દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી લોહી પીનારી, કનડનારી હોય એને મગજમાં ઘૂસવા જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને, મગજને સ્પશ્ર્યા વિના, બીજા છેડેથી બહાર. ટ્રિક સારી છે.


એમાં કરવાનું ફક્ત આટલું જ છે: સતત યાદ રાખો કે તમે જે સાંભળો, વિચારો, અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ, મગજમાંની ભૂંગળીના એક છેડેથી પ્રવેશીને, બણબણાટ કરતી, બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી કલ્પના કરો. આવું કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી મગજને ઉકરડો બનવામાંથી બચાવે છે.


*** *** ***


રેલવે ફાટકના સિગ્નલ મેનની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘માની લો કે એક જ પાટા પર તમને બે ટ્રેન સામસામે આવતી દેખાય તો તમે શું કરો?’ઉમેદવારે કહ્યું, ‘હું લાલટેન લઈને દોડું.’‘તમારી પાસે લાલટેન ન હોય તો?’‘તો લાલ શર્ટ કે પછી બીજું જે કોઈ લાલ કપડું હાથમાં આવે એ લઈને દોડું.’


‘તમારી પાસે લાલ કપડું પણ ન હોય તો?’‘તો લાલ જેવું, કેસરી રંગનું કપડું લઈને દોડું.’ ‘પણ ત્યારે રાત હોય તો?’‘અં... તો હું મારા પાંચ વર્ષના ભત્રીજાને બોલાવું.’ ‘કેમ? અકસ્માત અટકાવવામાં એ શું કરી લેવાનો?’ ‘એ કંઈ નહીં કરી શકે પણ એણે ક્યારેય બે ટ્રેન અથડાતી જોઈ નથી. આ બહાને એને જોવા મળે.’


આપણે સૌ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યા ડાચું ફાડીને ઊભી હોય, પણ એનો ઉકેલ કોઈ ન હોય. ત્યારે કરવું શું? માની લો કે ઓફિસનું એક કવર કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ છ વાગ્યે બંધ થઈ જાય છે. કવર તમારા હાથમાં છમાં પાંચ મિનિટે આવે છે. તમારી પાસે વાહન નથી. રિક્ષાવાળાઓની સ્ટ્રાઈક ચાલી રહી છે. બસ સ્ટેન્ડ ચાલતા દસ મિનિટના અંતરે છે. ટૂંકમાં, તમે કવર સમયસર પહોંચાડી શકો તેવો કોઈ રસ્તો ન દેખાતો હોય તો તમે શું કરો?


અથવા તો, એક ઉત્સાહી મમ્મી ત્રીજા ધોરણમાં ભણતી એની દીકરીને ગણિતના પેપર માટે રાત્રે મોડે સુધી જાગીને અને સવારે વહેલા ઊઠીને બરાબર તૈયારી કરાવે પણ પરીક્ષાના અડધા કલાક પહેલાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડે કે આજે ગણિતનું નહીં, સમાજશાસ્ત્રનું પેપર છે. આવા સમયે પેલી મમ્મીએ શું કરવું જોઈએ?


આવી ઉકેલ વિનાની લાગતી પરિસ્થિતિઓમાં ‘ભત્રીજાને અકસ્માત દેખાડવાનો લહાવો લૂંટવો’ એ અભિગમ હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં ખોટો તો નથી જ. કડકડતી ઠંડીવાળી કોઈ રાત્રે ઘરે પહોંચતાં સામે બળીને ખાક થઈ ગયેલું ઘર નજરે ચડે ત્યારે ભાંગી પડાય એ માનવસહજ છે, પણ રાખના ઢગલામાંથી આવતા થોડા થોડા તાપમાં હાથ શેકીને ઠંડી ઉડાડી લે એ માણસને સાચો સ્થિતપ્રજ્ઞ જ નહીં, સૌથી પ્રજ્ઞાવાન પણ ગણવો પડે. આટલી સ્થિતપ્રજ્ઞતા ન કેળવાય તો પણ, હવે ક્યારેક લાંબા અંતરની ટ્રેન દસ-પંદર મિનિટ મોડી પડવાને કારણે ચૂકી જાઓ અને ટેક્સીમાં પણ આગલા સ્ટેશને ટ્રેનને આંબી નહીં શકાય એવી ખાતરી હોય ત્યારે આજુબાજુના લોકોને સૌથી પહેલો આ સવાલ પૂછવો, ‘બોસ, આટલામાં સારામાં સારી ચા ક્યાં મળે છે?’


*** *** ***


મુલ્લાનો એક દોસ્ત ગામ છોડીને જઈ રહ્યો હતો. બધાએ એને ભેટમાં કંઈક ને કંઈક આપ્યું. છેલ્લે એ મુલ્લાને મળવા આવ્યો. એ કહે, ‘દોસ્ત મુલ્લા, તું મને ભેટમાં વીંટી આપ, જેથી જ્યારે પણ વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ કરીશ કે મુલ્લાએ આ વીંટી આપેલી.’મુલ્લા કહે, ‘તું મને યાદ જ કરવા માગે છે ને? તો હું તને વીંટી નથી આપતો, જેથી જેટલી વાર તું આંગળી જોઈશ એટલી વાર તને યાદ આવશે કે મુલ્લાએ વીંટી ન આપી.’


હવે પછી જ્યારે તમને એવું લાગે કે મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો નથી... ત્યારે એમ વિચારવું કે એ મુલ્લાની વીંટી જેવી ઇશ્વરની બક્ષિસ છે, જે એણે આપણને આપી ભલે નથી, પણ એ બહાને તેને યાદ કરવાની તક તો આપી જ રહ્યો છે. સુખી થવાનો આ સરળ રસ્તો છે, આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


*** *** ***


થોડાક દેડકા ફરવા નીકળ્યા. રસ્તામાં આવ્યો મોટો ખાડૉ. બે દેડકા એમાં પડી ગયા. બંને કૂદીને બહાર આવવા મથ્યા, પણ ખાડો બહુ ઊંડો હતો. બહારના દેડકાઓ રાડો પાડવા લાગ્યા, ‘આ બહુ ઊંડો ખાડો છે. આમાંથી તમે બહાર નહીં આવી શકો. બહેતર છે કે તમારા નસીબને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને ભેટો.’ બેમાંના એક દેડકાને વાત ગળી ઊતરી ગઈ. એણે ખાડામાં લાંબી સોડ તાણી લીધી, પણ બીજા દેડકાએ કોશિશો ચાલુ જ રાખી.


બહારના દેડકાઓ એને જોરજોરથી કહેતા-સમજાવતા રહ્યા કે તું નાહકનો હેરાન થાય છે, પણ એમની સમજાવટને ગણકાર્યા વિના બીજો દેડકો કૂદતો રહ્યો અને છેવટે એણે એક છલાંગ એટલી ઊંચી મારી કે એ ખાડામાંથી બહાર આવી ગયો. બહારના દેડકાઓએ પૂછ્યું, ‘તેં કૂદવાનું ચાલુ કેમ રાખ્યું? તને અમારી વાત સંભળાઈ નહીં?’


બચેલા દેડકાએ બહારના દેડકાઓને સમજાવ્યું કે એ પોતે બહેરો છે એટલે એણે કંઈ સાંભળ્યું નહોતું. ઊલટાનું બહારના દેડકાઓને જોઈને તેણે એવું માની લીધેલું કે તેઓ એને વધુ ઊંચો કૂદકો મારીને બહાર આવવાની પ્રેરણા આપી રહ્યા હતા. આ વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈ વાતે આપણે સાચા રસ્તે છીએ એવું લાગતું હોવા છતાં આસપાસના લોકો જો આપણી જોરશોરથી ટીકા કરે અને હાર સ્વીકારી લેવા કહે તો સમજવું કે એમની બૂમરાણ વાસ્તવમાં આપણને વધુ દિલથી, વધુ જોરથી પ્રયત્નો કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અને એક આડવાત: આમ તો બહેરા હોેવું એ શ્રાપ જ છે, પણ ક્યારેક અમુક શ્રાપ આડકતરા આશીર્વાદ પણ સાબિત થઈ શકે.


*** *** ***


એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’


મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’


આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારુંં લાગે. આવું શા માટે?


એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’


આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


જેમ કે, આવો સરસ મજાનો ‘ઉત્સવ’ વિશેષાંક તમે ખરીદીને વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી, તમારા હાથ મેગેઝિન પકડવાનું કામ કરી શકે છે, તમારી આંખ મેગેઝિન વાંચવાનું કામ કરી શકે છે.


ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલું મસ્ત ‘ઉત્સવ’ મેગેઝિન તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.


દીપક સોલિયા

બુધવાર, 9 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ 3

એક વખત પયગબંર સાહેબ તેમના કેટલાક સાથીઓના કાફલા સાથે પસાર થઈ રહ્યાં હતા. જેના કારણે, કાફલાના મુસાફરો થાકી ગયા હતા. એક સ્થળ પર તેઓ ઊભા રહ્યાં. પયગંબર સાહેબે ઊંટ પરનો સામાન છોડી નાખ્યો.મુસાફરો બંદગી માટે પાણીની શોધમાં લાગી ગયા. ખુદ પયગંબર સાહેબ પણ પાણીની શોધમાં લાગી ગયા.


કોઈને કાંઈપણ કહ્યાં વગર પયગંબર સાહેબ તેમના ઊંટ પાસે ગયા, બધાને થયુંકે, ખુદ પયગંબર સાહેબે અહીં મુકામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે તેઓ અહીંથી કૂચ કરવા માટે આદેશ આપશે કે શું ? તેમણે ઊંટ તૈયાર કરીને પાણીની શોધમાં નિકળી પડ્યા. જ્યારે કાફલાને આ વાત સમજાઈ ત્યારે તેમણે પયગંબર સાહેબને કહ્યુંકે, અમે તમારા માટે એ કરી લીધું હોત.ત્યારે પયગંબર સાહેબે જવાબ આપ્યો, "તમારા કામોમાં ક્યારેય બીજાની ઉપર આધાર ન રાખો. દાતણના એક ટૂકડા માટે પણ બીજા પર આધાર ન રાખો."


બોધ


ગુજરાતીમાં કહેવાય છેકે, "પારકી આશા સદાય નિરાશા." જેનું સચોટ ઉદાહરણ પયગંબર સાહેબના જીવનનો આ કિસ્સો પૂરો પાડે છે.

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

તમે કેટલાં લકી છો?

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

છેલ્લો સીન:
Everyone knows how to count but very few know ‘what to count?’

- કૃષ્ણકાંત ઉનડકટ

રોક સકો તો રોક લો

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

સફળ વ્યક્તિ એ છે, જેણે ઊંડી મનોવૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક સમજ કેળવી છે. આજના ઘણા સફળ બિઝનેસમેન સફળતા મેળવવા પોતાના અજાગૃત મનનો સાચો ઉપયોગ કરવા પર ભાર આપે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જાણે એ પહેલેથી જ પૂરો થઇ ગયો હોય! એની સાકાર તસવીર જોઇને અને પ્રાર્થનાનું પરિણામ અનુભવીને એમનું અર્ધજાગૃત મન એ પ્રોજેક્ટ પૂરો કરી દે છે.

કોઇ પણ ઘ્યેયની સ્પષ્ટ કલ્પના કરી શકો, તો એ ચીજ ચોક્કસ તમને મળી શકે. આ ચીજ તમને અર્ધજાગ્રત મનની ચમત્કારી શક્તિ દ્વારા એવી રીતે મળી જશે જેના વિશે તમે કશું નથી જાણતા.

ત્રણ પગલાં

સફળતાનું સૌથી મહત્વનું અને પહેલું પગલું છે જે કાર્ય તમને ગમતું હોય એને શોધવાનું અને એ કરવાનું. એવું કાર્ય જેને તમે પ્રેમ કરતા હો. ભલેને આખી દુનિયા તમને સફળ માનતી હોય પણ તમે પોતે જો મનગમતું કામ નહીં કરતાં હો તો શક્ય છે કે તમે જાતને સફળ ન માનો. કામ ગમતું હોવાથી તે કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય છે. કોઇ યુવતીને મનોચિકિત્સક બનવાની ઇચ્છા છે તો ડિપ્લોમા કરીને સર્ટિફિકેટ દીવાલ પર ટાંગી લેવાથી જ કામ નથી પતી જતું. એ ક્ષેત્રમાં આગળ આવવા માટે એ સેમિનારોમાં ભાગ લેશે અને મગજ તથા એની પ્રવૃતિઓનો અભ્યાસ કરતી રહેશે. એ પોતાનાં ક્ષેત્ર સંબંધિત વિવિધ સામયિક વાંચશે. બીજા શબ્દોમાં કહીએ તો એ સતત નવું નવું જ્ઞાન મેળવતી રહેશે. એનું કારણ છે કે એ દર્દીઓનું હિત તેના માટે સૌથી વધારે મહત્વનું છે.

શક્ય છે કે આ વાંચીને તમે વિચારમાં પડી જશો કે હું તો પહેલું પગલું નહીં ભરી શકું, કારણકે મને તો ખબર જ નથી કે હું શું કરવા ઇચ્છું છું. મને ખબર જ નથી કે મને કયું કામ ગમે છે, એવું કોઇ ક્ષેત્ર છે ખરું જેને હું પ્રેમ કરું છું?

તમારી સ્થિતિ આવી હોય તો આ રીતે પ્રાર્થના કરો: મારા અજાગૃત મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યાએ પ્રકટ થાઓ... આ પ્રાર્થનાને ધીમે ધીમે, પોઝિટિવ રીતે અને પ્રેમથી મન સમક્ષ દોહરાવતા રહો. તમે આસ્થા અને વિશ્વાસ રાખશો તો કોઈને કોઈ સ્વરૂપમાં તમને ચોક્કસ જવાબ મળશે.

સફળતાનું બીજું પગલું. કાર્યની કોઇ વિશિષ્ટ શાખા પર ઘ્યાન કેન્દ્રિત કરવું અને એમાં ઉત્કૃષ્ટ બનવાની ઇચ્છા રાખવી. માનો કે કોઇ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને પોતાના વ્યવસાય તરીકે પસંદ કરે છે, તો પછી એણે પોતાનું પૂરેપૂરું ઘ્યાન એના પર કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાનો બધો સમય તથા શક્તિ એણે પસંદ કરેલા ક્ષેત્ર પર જ કેન્દ્રિત કરવાં જોઇએ. જે-તે ક્ષત્રમાં એકસપર્ટ આ રીતે બનાય. ઉત્સાહને લીધે એ પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરશે, બીજા કરતાં વધારે જાણવાની કોશિશ કરશે. જેમ તેમ આજીવિકા રળવી એવી વ્યક્તિના દ્રષ્ટિકોણ અને આ દ્રષ્ટિકોણમાં બહુ મોટો વિરોધાભાસ છે. ‘જેમતેમ આજીવિકા કમાઇ લેવી’ તે સાચો અભિગમ નથી. તમારાં લક્ષ્ય ઊંચાં, ઉદ્દાત અને પરોપકારી હોવાં જોઇએ.

ત્રીજું પગલું. તમારે એ ચોક્કસ નક્કી કરી લેવું જોઇએ કે તમારી સફળતા સ્વકેન્દ્રી ન રહી જાય. તમારી ઇચ્છા સ્વાર્થી ન હોવી જોઇએ. એનાથી સમાજને પણ લાભ થવો જોઇએ. સર્કિટ પૂરી થવી જોઇએ. તમે ફક્ત તમારા લાભ પૂરતું જ કામ કરો છો તો તમે આ સર્કિટ પૂરી નથી કરી રહ્યા. શક્ય છે કે દુન્યવી નજરે સફળ લાગતા હો, પણ જીવનમાં તમે જે શોર્ટ ક્ટ અપનાવ્યો છે એ આગળ જઇને તમને સીમિત કરી દેશે.

સાચી સફળતાનાં પગલાં

તમે કહેશો: એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી.

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું.

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો.

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે.
...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

સફળતાની ટેક્નિક

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

બેશક તમે તમારાં કૌટુંબિક જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઇચ્છો છો. તમે તમારી પસંદગીનાં કામ કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઇચ્છો છો. તમે સુંદર ઘર અને સારી એવી સંપત્તિ ઇચ્છો છો કે જેથી તમે સુખચેનથી રહી શકો. જીવનને એક વ્યવસાય ગણો તો તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છો. તમે જે કરવા ઇચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા માગો છો, એની કલ્પના કરી સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો.

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

યાદ રાખો, ધરતી કે આકાશમાં કોઇ એવી શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. (ડો. મર્ફી ‘ધ પાવર ઓફ યોર સબકોન્સિયસ માઇન્ડ’ પુસ્તકના લેખક છે)

કેટલાક નિયમ

- સફળતાના વિચારમાં સફળતાનાં બધાં તત્વ સામેલ છે. સફળતા શબ્દ પૂર્ણ વિશ્વાસ સાથે દોહરાવો. આ રીત અર્ધજાગૃત મન તમારા પર સફળ થવા માટે દબાણ લાવશે.
- તમે શાંત, સુખી અને ખુશ હો અને તમારું પ્રિય કામ કરી રહ્યા હો તો તમે સફળ છો.
- તમે ખાસ ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનો અને એના વિશે કોઇ બીજી વ્યક્તિ પાસેથી વધુ જાણવાની કોશિશ કરો.
- સફળ વ્યક્તિ સ્વાર્થી નથી હોતી. જીવનમાં તેઓ ચોક્કસપણે બીજા માનવીઓની સેવા કરવા માગે છે.
- તમે કોઇ ઉદ્દેશની નક્કર કલ્પના કરો. તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમને બધી આવશ્યક વસ્તુઓ મેળવી આપશે.

સાફલ્ય, ડો. જોસેફ મર્ફી
આહ જીદગી ૦૬/૦૨/૨૦૧૧

પેરિસથી પોંડિચરીઃ શ્રીમાતાજીની યોગયાત્રા

- ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે!
- ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી.

હીં કોઈ હિંદુ યોગી રહે છે ?'
'ના રે, અહીં તો કોઈ યોગી સાધના કરતો હોય એવું અમારા ધ્યાનમાં નથી.'
'તો તો પછી આ ચૂંટણીનું કામ પતી જાય પછી મારે બીજે તપાસ કરવી પડશે.'
'કેમ ?'
'મારી ઈચ્છા સાચા યોગીને મળવાની છે. હિંદ એ તો સાધનાની ભૂમિ છે. આધ્યાત્મિક દેશ છે. અહીં તો ઘણા પ્રખર યોગીઓ સાધના કરી રહ્યા હશે.'
'હા, એ ખરી વાત છે. પણ એ માટે તો તમારે હિમાલયમાં શોધ કરવી પડશે.'
પોંડિચેરીમાં ચૂંટણી લડવા માટે આવેલા પોલ રિશારે સાચા યોગીને મળવા માટે ઘણાની સાથે પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી આશાસ્પદ જવાબ મળ્યો નહીં. તે સમયે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ ઇંડિયા તરફથી ચૂંટણીઓ યોજાતી અને તેમાં ચૂંટાઈને આવનારને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં સ્થાન મળતું. પોલ રિશારની ઈચ્છા પોંડિચેરીમાંથી ચૂંટણી જીતીને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં મેમ્બર થવાની હતી. એટલે તેઓ ઈ.સ. ૧૯૧૦ની મધ્યમાં ફ્રેન્ચ ઇંડિયા-પોંડિચેરીમાં આવ્યા હતા. તેમને યોગવિદ્યા અને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ હતો. તેમનાં પત્ની મીરાં રિશાર લલિતકલાઓ, યોગવિદ્યા અને ગુહ્યવિદ્યામાં પારંગત હતાં. હિંદમાં જો કોઈ સાચા યોગીનો મેળાપ થઈ જાય તો પત્નીને સાધનામાં ઘણી સહાય મળી શકે અને પોતાને પણ અનેક બાબતોમાં સાચું માર્ગદર્શન મળી શકે એ હેતુથી તેઓ યોગવિદ્યામાં પારંગત પુરુષને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
એક દિવસ ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય ઝીર નાયડુએ તેમને કહ્યું ઃ 'આપ કહો છો તેવા યોગીની તો મને ખબર નથી, પણ ઉત્તરમાંથી એક રાજદ્વારી પુરુષ અહીં આવેલા છે. તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી. તેઓ યોગસાધના કરી રહ્યા છે. આપ એમને મળશો તો આપને જરૃર આનંદ થશે.'
'શું તેઓ મને મુલાકાત આપશે ખરા ?'
'હું પ્રયત્ન કરી જોઉં.'
અને ઝીર નાયડુએ પોલ રિશારની એ યોગી સાથે મુલાકાત ગોઠવી આપી. એ યોગી હતા અંતરના અવાજને અનુસરીને રાજકારણના ક્ષેત્રનું સર્વોચ્ચ સ્થાન છોડી દઈને એકાંતસાધના માટે પોંડિચેરીમાં આવેલા શ્રીઅરવિંદ ઘોષ. તે સમયે તેઓ બેચાર શિષ્યો સાથે શંકરચેટ્ટીના મકાનમાં રહેતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. શ્રીઅરવિંદની મુલાકાતથી રિશાર અત્યંત પ્રભાવિત થઈ ગયા, અને તેમણે એક વાર નહીં પણ શ્રી અરવિંદની બે વાર મુલાકાત લીધી. તેમણે પોતાના પુસ્તક 'લાઈટ ઓવર એશિયા'માં શ્રીઅરવિંદને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે, 'એમને લઈને પૂર્વની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતા થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.'
ચૂંટણીનું કામ પૂરું થયું અને તેઓ હિંદમાં પોતાને મળેલા આ મહાન યોગીની સિદ્ધિઓની વાત પત્નીને કહેવા પેરિસ પહોંચી ગયા. જોકે જે હેતુ અનુસાર તેમને હિંદમાં આવવાનું થયું હતું, એ હેતુ સિદ્ધ થયો ન હતો. તેઓ કાઉન્સિલની ચૂંટણી તો હારી ગયા, પણ અંતરની ચૂંટણીમાં સાચા નેતાની વરણી કરવામાં તેઓ સફળ નીવડયા હતા.
એમનાં પત્ની મીરાં કંઈ સામાન્ય સ્ત્રી નહોતાં. તેઓ અનેક પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિઓનાં સ્વામિની હતાં. ધનાઢ્ય બેંકરને ત્યાં જન્મેલાં મીરાં નાનપણથી જ અનોખાં હતાં. તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ધ્યાન તેમને સહજ હતું. ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી. તેને જાતજાતના રંગો અને આકૃતિઓ દેખાતાં અને એ વિષે બધાંને પૂછતાં કોઈ સાચો જવાબ મળતો નહીં. એ તો બાળમાનસના તરંગો છે એમ કહીને સહુ વાત ઉડાવી દેતાં. સાત-આઠ વર્ષની વયે તો મીરાંને ફોન્તેબ્લનાં જંગલોમાં ફરતી વખતે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ થવા લાગ્યો. જંગલનાં વૃક્ષો, પશુપક્ષીઓ સાથે ચેતનાની તદ્રૂપતાની અનુભૂતિ એવી તો સઘન હતી કે જાણે મીરાં પોતે જ એ વૃક્ષ હોય એવું તેને લાગતું. અને તે એટલે સુધી કે વૃક્ષ પર ફરતી ખિસકોલીઓ અને પક્ષીઓ મીરાંના શરીર પર ફરવા લાગતાં ! વયના વધવાની સાથે એની આંતરિક અનુભૂતિઓનો વ્યાપ વિસ્તરતો ગયો. સૂક્ષ્મ દર્શનો વધુ ને વધુ ગહન થતાં ગયાં. બાર વર્ષની વયે તો તેણે ગુહ્ય વિદ્યાનો અભ્યાસ પણ શરૃ કર્યો હતો. આ બાર અને તેર વર્ષના ગાળામાં તેને પ્રત્યેક રાત્રિએ એવો અનુભવ થતો કે જાણે તેની ચેતનાનો એક સુવર્ણરંગી ઝભ્ભો આખાય વિશ્વ પર લંબાતો જાય છે. અને એના આશ્રય તળે આવનારાઓ દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદિત બનીને પાછા જાય છે. આ અનુભવ સતત એક વર્ષ સુધી થતો રહ્યો. અને તેને એવું લાગતું કે જાણે રાત્રિમાં થતું આ કાર્ય જ એનું સાચું કાર્ય છે. દિવસની સઘળી પ્રવૃત્તિઓ રાત્રિના આ કાર્યની સરખામણીમાં નીરસ લાગતી.
મીરાંને રોજરોજ થતી આધ્યાત્મિક અનુભૂતિઓ, સહજ ધ્યાનાવસ્થા અને જગતમાં તેણે કંઈક મહાન કાર્ય કરવાનું છે તેની અંતરમાં થતી રહેતી સતત પ્રતીતિ, આ બધાંને પરિણામે તેની પ્રકૃતિ અત્યંત ગંભીર બની રહેતી. તે તેના સમવયસ્ક સહાધ્યાયીઓની જેમ ટોળપ્પાં અને હસીમજાકમાં આનંદ લેનારી નહોતી. તેને દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જતી જોઈને તેનાં માતાને સતત ચિંતા થયા કરતી. આ વિષે એમણે તેને એકવાર કહ્યું પણ ખરું, 'તું આમ આવી ગંભીર કેમ રહે છે, જાણે કે આખાય જગતના દુઃખનો ભાર તારે ઉઠાવવાનો ન હોય!'
'હા મા, સાચી વાત છે તમારી.' અત્યંત ગંભીર બનીને ત્યારે મીરાંએ કહેલું ઃ 'મારે જ એ ભાર ઉઠાવવાનો છે.'
'તું તે કેવી પાગલ જેવી વાત કરે છે.'
પણ ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે! સોળ વર્ષની વય સુધીમાં તો મીરાંએ અભ્યાસની સાથે સાથે સંગીત, નૃત્ય અને ચિત્રકલા જેવી લલિત કલાઓનો અભ્યાસ કરી લીધો. પણ તેના અંતરની ભૂખ શમાવે તેવી વિદ્યાની પ્રાપ્તિ હજુ તેને થઈ નહોતી. આ માટે તેણે બૌદ્ધધર્મનો અભ્યાસ પણ કર્યો. છતાં તેનાથી પણ તેના અંતરની શોધ પૂરી ન થઈ. એ દરમિયાનમાં કોઈએ એના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફ્રેન્ચ અનુવાદ મૂક્યો અને કહ્યું, 'આમાં જે શ્રીકૃષ્ણ છે, તેને અંતર્યામીના પ્રતીક તરીકે માનજો અને આનો અભ્યાસ કરજો. તમને એમાંથી ઘણી સહાય મળશે.'' અંતરની પૂર્ણતા માટે આતુર એવી મીરાંએ ગીતામાં નિરૃપેલી તમામ સાધના માત્ર એક જ મહિનામાં સિદ્ધ કરી લીધી. પોતાની સાધના વિષે વાત કરતાં તેમણે પાછળથી આશ્રમનાં બાળકોને જણાવ્યું હતું કે, 'અઢાર અને વીસ વર્ષની વચ્ચે મેં ભાગવત ચેતના સાથે જાગૃત અને સ્થિર ઐક્ય પ્રાપ્ત કરી લીધું હતું. અને એ બધું પણ મેં જાતે જ. કોઈની પણ મદદ લીધા વગર, એટલે સુધી કે કોઈ પણ પુસ્તકની મદદ લીધા વગર કર્યું હતું.'
મીરાંને ગહન ધ્યાનાવસ્થામાં નીરવતા અને શાંતિની અનુભૂતિ થતી રહેતી, અનેક પ્રકારનાં સૂક્ષ્મ દર્શનો થતાં, કેટલાંય તેજોમય રૃપો અને આકૃતિઓ દેખાતાં. અસંખ્ય ગુરુઓનાં દર્શન થતાં. કેટલાય ગુરુઓ તેમને નિદ્રાવસ્થામાં જ્ઞાાન પણ આપતાં. આ વિષે તેમણે પાછળથી જણાવેલું, 'મારી નિદ્રાવસ્થા દરમિયાન કેટલાક ગુરુઓ તરફથી મને જ્ઞાાન આપવામાં આવ્યું હતું. તેમાંના કેટલાકને પછી હું સ્થૂળ ભૂમિકા ઉપર પણ મળી હતી.' પરંતુ સૂક્ષ્મ દર્શનોમાં આવતાં આ બધા ગુરુઓમાં એક આકાર વધુ ને વધુ સ્પષ્ટ બનતો જતો હતો. તે સમયે મીરાં હિંદ વિષે કે એના તત્ત્વજ્ઞાાન વિષે વિશેષ જાણતાં ન હતાં. છતાં ધ્યાનમાં આવતાં અને સતત માર્ગદર્શન આપતાં રહેતાં એ ગુરુને શ્રીકૃષ્ણ કહેવાની એમને પ્રેરણા થઈ. તેઓ ચિત્રકાર હતાં. એમણે એ શ્રીકૃષ્ણનું એક ચિત્ર પણ દોરી લીધું. ત્યારથી તેઓ પ્રત્યક્ષ રૃપે એ ગુરુનાં દર્શન માટે પ્રતીક્ષા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હતાં.
ધ્યાનાવસ્થા દરમિયાન મીરાંને અનેક પ્રકારનાં પ્રતીકો દેખાતાં. તેમાં એક કમળનું પ્રતીક વધુ ને વધુ સ્પષ્ટ થતું દેખાતું. ઉપર અને નીચે આવેલા બે ત્રિકોણની વચ્ચે બનતા ચતુષ્કોણમાં પાણીની વચ્ચે એક ખીલેલું કમળ દેખાતું. આ કમળનું પ્રતીક કોઈ ગુહ્ય સંકેત પ્રગટ કરી રહ્યું હતું. પરંતુ એ પ્રતીક કયું રહસ્ય પ્રગટ કરે છે, તે તેને સમજાતું ન હતું. પરંતુ તેણે એ ચિત્ર પણ દોરી લીધું હતું. અને તેને અંતરમાં એવું પ્રતીત થયા કરતું કે આ ચિત્રનું રહસ્ય પ્રગટ કરનાર કોઈક તો આ પૃથ્વી ઉપર ક્યાંક જરૃર હશે. અને જે કોઈ એ ગૂઢ લિપિ ઉકેલી આપશે એ જ એના યોગમાર્ગના ગુરુ હશે. પણ હજુ સુધી એ ચિત્રની પ્રતીકાત્મક ભાષા ઉકેલનાર કોઈ મળ્યો ન હતો.
આધ્યાત્મિક જગતમાં કામ કરવા માટે સૂક્ષ્મ જગતનાં પરિબળો ઉપર પણ અંકુશ હોવો જોઈએ. ચેતનાની સૂક્ષ્મ ક્રિયાઓ અને આંદોલનો પ્રત્યેની સભાનતા પણ હોવી જોઈએ. એ માટે ગુહ્યવિદ્યાનો અભ્યાસ કરી તેમાં પારંગતતા મેળવવી જરૃરી છે એમ જણાતાં મીરાંએ અલ્જિરિયામાં રહેતા પ્રખર ગુહ્યવિદ થેઓ અને તેમનાં પત્ની પાસે બે વરસ રહીને અભ્યાસ કર્યો. શ્રીમતી થેંઓ પણ મહાન ગુહ્યવિદ હતાં. થેંઓ દંપતી પાસે રહીને મીરાંએ સૂક્ષ્મ જગતમાં કામ કરવાની તાલીમ મેળવી ગુહ્ય જગતનાં સત્ત્વો પર અંકુશ મેળવવાની વિદ્યા પ્રાપ્ત કરી. આવી અદ્ભુત સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી લીધી હોવા છતાં પણ થેંઓએ તેમને કહ્યું, 'આ કંઈ તારી સાધનાની અંતિમ સિદ્ધિ નથી, તારી સાધનાની આ કંઈ પૂર્ણાહુતિ નથી. તારી સર્વોચ્ચ સિદ્ધિ હજુ બાકી છે, અને તે મારા દ્વારા નહીં પણ તારા ગુરુ દ્વારા થશે.'
પરંતુ આવડી વિશાળ પૃથ્વીના પટ પર એ ગુરુને શોધવા ક્યાં ? ક્યારે મળશે એ શ્રીકૃષ્ણ? મીરાંનું અંતર એ મહાન ગુરુનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્કંઠ થઈ જતું. પરંતુ ભૌતિક રૃપે ગુરુની શોધ હજુ પૂર્ણ થઈ શકી નહોતી. એ ગાળામાં મીરાંની પ્રભુ સાથેના તાદાત્મ્યની ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તે ઊંડા ધ્યાનમાં લીન થઈ જતી. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેને અનેક આંતરિક અનુભૂતિઓ થતી રહેતી. ધ્યાન સમાપ્ત થયા પછી આ અનુભૂતિઓને તે પ્રાર્થનારૃપે ડાયરીમાં લખી રહેતી, જે પાછળથી 'પ્રાર્થના અને ધ્યાન'ના પુસ્તક રૃપે પ્રગટ કરવામાં આવી છે.
ચૂંટણી હારીને હિંદમાંથી આવેલા પોલ રિશારે પત્નીને કહ્યું ઃ
'આ કમળનું ગુહ્ય પ્રતીક હું મારી સાથે હિંદમાં લઈ ગયો હતો અને એનો ઉકેલ મળી ગયો.'
'હેં ! ઉકેલ મળી ગયો ! કોણ છે એ મહાયોગી ?' મીરાંની આંખો આનંદથી ચમકી ઊઠી.
'એ તો છે માત્ર આ યુગના જ નહીં, પણ ભવિષ્યનાય યુગપુરુષ. કેવી શાંત, સૌમ્ય અને નિર્મળ મુખમુદ્રા છે એમની! અને આંખો તો જાણે આ જગતનું કંઈ જોતી જ નથી. પેલે પારના જગતનાં દ્રશ્યો જોવામાં જ ખોવાયેલી ન હોય! અને વાણી તો એવી અમૃતમય કે જાણે સાંભળ્યા જ કરીએ. હું તો એ માટે એમને બે વખત મળ્યો. અને અનેક પ્રકારના વાર્તાલાપો એમની સાથે કર્યા. દરેક બાબતમાં શું એમનું અગાધ જ્ઞાાન છે! એમની તોલે જગતનો કોઈ માણસ ન આવી શકે. અને આધ્યાત્મિક જગતના તો એ પૂર્ણજ્ઞાાતા છે. સાધનાની સર્વોચ્ચ ભૂમિકાઓ એમણે પાર કરી લીધી છે. જોજો ને એક દિવસ એવો આવશે કે જ્યારે સમગ્ર વિશ્વ એનાં ચરણોમાં ઝૂકશે.' કહેતાં કહેતાં જ જાણે એ યુગપુરુષની મૂર્તિ એમની સામે જ ખડી થઈ ગઈ હોય એમ રિશાર સ્થિર થઈ ગયા.
પતિને આટલા ઉત્સાહથી વાત કરતા જોઈને મીરાંને યાદ આવી ગયા ધ્યાનમાંના એ શ્રીકૃષ્ણ. કેમ કે એ જાણતી હતી કે ફ્રાન્સના મહાન ચિંતક અને મનીષી ગણાતા રિશાર કંઈ સામાન્ય વ્યક્તિથી પ્રભાવિત થાય તેમ નહોતા. અને એટલે જ એ મહાપુરુષ કોણ હશે અને એમણે આ પ્રતીકનો શો ઉકેલ આપ્યો તે જાણવા એ ઉત્સુક બની.
'એ મહાયોગીનું નામ છે શ્રીઅરવિંદ ઘોષ. એમણે આ ચિત્ર હાથમાં લીધું, ધ્યાનથી જોયું અને પછી તુરત જ કહ્યું. આ કમળનું પ્રતીક એ તો પ્રભુના સ્પર્શ વડે ખુલ્લી થતી ચેતનાનું દ્યોતક છે.' આ ચિત્રના પ્રત્યેક અંગ વિષે એમણે કહ્યું ઃ 'આ નીચે ઊતરતો ત્રિકોણ એ સત્, ચિત્ અને આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ એ જડ તત્ત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૃપે પ્રગટતી અભીપ્સાના પ્રત્યુત્તરનું પ્રતીક છે. બંને ત્રિકોણનું મિલન અ વચલો ચતુષ્કોણ; એ પૂર્ણ આવિર્ભાવ છે. તેના કેન્દ્રમાં રહેલું કમળ એ પરમાત્માનો અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૃપતાનું, સૃષ્ટિનું પ્રતીક છે.'
'ગુહ્ય પ્રતીકનો આટલો સચોટ અર્થ ! તો તો એ જ હોઈ શકે મારા સાધનાપથના ગુરુ ! એ જ હોઈ શકે ચિત્રમાં અંક્તિ કરેલા શ્રીકૃષ્ણ !' મીરાંનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું અને એની નજર સામે તરવરી રહી એ ભવ્ય આકૃતિ, જેનું એણે ધ્યાનાવસ્થામાં અનેકવાર દર્શન કર્યું હતું. ત્યારથી એ ભારત આવવા ઉત્સુક બની પણ એ અવસર મળ્યો એને ચાર વર્ષ બાદ.
ઇ.સ. ૧૯૧૪માં પોલ રિશારને ફરી પોંડિચેરીમાં આવવાનું થયું. આ વખતે તેઓ એકલા ન હતા; મીરાં રિશાર પણ તેમની સાથે હતાં તેઓ માર્ચ મહિનામાં દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળ્યા. હજુ તો પોંડિચેરી દસ દરિયાઈ કિલોમીટર દૂર હતું ત્યાં તો મીરાંને એક તેજોમય વાતાવરણનો સ્પર્શ થયો. જાણે એ વાતાવરણ એને ઉંચકી લેતું ન હોય ! સૂક્ષ્મ જગતની જ્ઞાાતા મીરાંને એ સમજતાં વાર ન લાગી કે એ તો શ્રી અરવિંદની પ્રખર સાધનાના પરિણામે દૂર દૂર સુધી ફેલાયેલું એમનું આભાચક્ર હતું. એ આભાચક્રનો એમને સતત અનુભવ થતો હતો.
મીરાં અને પોલ ૨૯મી માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે શ્રી અરવિંદને મળવા ગયા, 'અરે, આ જ તો છે એ શ્રીકૃષ્ણ, જે ધ્યાનમાં આવીને સહાય કરતા હતાં, જે સાધનામાં માર્ગદર્શન આપતા હતા એ જ આકૃતિ, એ જ રૃપ !' મીરાંએ જેવા શ્રી અરવિંદને જોયા કે એક જ ક્ષણમાં ઓળખી લીધા અને તેના અંતરે પ્રતીતિ કરાવી આપી કે હવે પછી એમની સાધનાના સુકાની આ જ મહાગુરુ છે. તેનું હૃદય અસીમ આનંદની અનુભૂતિ કરવા લાયું પણ એમણે મુખથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં. બસ તેઓ તો ગુપચુપ શ્રી અરવિંદના ચરણ આગળ બેસી ગયા, અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને મન શ્રીઅરવિંદ સમક્ષ ખુલ્લું મૂકી દઈને પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પોતાની સઘળી આધ્યાત્મિક સિદ્ધિઓ, પોતાનું સઘળું જ્ઞાાન, નવા જગતના નિર્માણ માટેની પોતાની સર્વ યોજનાઓ માટે, અરે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. જાણે પોતે કશું છે જ નહિ એવા નવજાત શિશુ જેવા બની રહ્યા. શ્રીઅરવિંદનું પ્રથમ દર્શન જ એમના હૃદયમાં સંપૂર્ણ પ્રતીતિ કરાવી ગયું કે, હવે પ્રભુનું સામ્રાજ્ય જરૃર સ્થપાશે.
શ્રીઅરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી મળી ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાાનને વિખેરી નાંખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે. તેમનું ભારત આવવાનું સાર્થક થઈ ગયું. હવે એમને બીજે કયાંય જવાની જરૃર જ ન રહી. આમ ભૌતિક રીતે એમની યાત્રા સમાપ્તિ થઈ ગઈ પણ આંતરિક રીતે શ્રીઅરવિંદ સાથે આધ્યાત્મિક જગતમાં યાત્રાની નવેસરથી શરૃઆત થઈ.
આમ પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં અર્પણ કરીને તેઓ કોરા પૃષ્ઠ જેવા બની રહ્યાં તેમના અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહેલું કે, આવું આધ્યાત્મિક સમર્પણ એમણે કોઈનામાં ય જોયું ન હતું. આવું સમર્પણ તો કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. શ્રીઅરવિંદે પણ એમને પોતાની યોગશક્તિ તરીકે સ્વીકાર્યા, તે સમયે તો તેઓ પોંડિચેરીમાં ફક્ત અગિયાર મહિના જ રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે તેમને પેરિસ પાછા જવું પડયું. ત્યાર બાદ છ વર્ષ પછી ૧૯૨૦ના એપ્રિલમાં તેઓ ફરી પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. તે પછી તેઓ ક્યારેય પોંડિચેરી છોડીને ગયા ન હતા. શ્રી અરવિંદની સેવા કરવી, એમના આદેશનું પાલન કરવું અને એમના પૂર્ણયોગને વ્યવહારુ ભૂમિકા ઉપર ઉતારવો એ જ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ વિષે એમણે જણાવેલું ઃ 'હું શ્રીઅરવિંદને મળવા હિંદમાં આવેલી. શ્રીઅરવિંદ સાથે રહેવા માટે હું હિંદમાં રહી ગઈ. એમણે જ્યારે દેહ છોડયો ત્યારે એમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું અને એ કાર્ય છે સત્યની સેવા કરીને, અને માનવજાતિને પ્રકાશ આપીને પ્રભુના પ્રેમનું શાસન ઝડપથી સ્થપાય તેમ કરવું.'
૯૬ વર્ષ સુધી તેઓ દેહમાં રહ્યા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે થોડા શિષ્યો સાથે શ્રી અરવિંદ રહેતા હતા. વ્યવસ્થિત આશ્રમ જેવું કશું ન હતું. પૃથ્વી ઉપર જો પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત સાધનાની પણ જરૃર છે. પ્રભુના શાસનની અભિપ્સા સેવતો બળવાન સમૂહ પણ હોવો જરૃરી છે, યોગના સત્યોનો મનુષ્યના રોજિંદા જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે જીવનનો ત્યાગ નહીં પણ જીવનનો સ્વીકાર કરવો જરૃરી છે, એમ જણાવતા અભિપ્સુ માણસોને સાધના કરવા માટે ત્યાં રહેવાની મંજૂરી મળવા લાગી અને એમ શ્રી અરવિંદ આશ્રમ વિસ્તરતો ગયો અને ત્યાં પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ.
શરુઆતમાં શ્રી અરવિંદ 'મ' આગળ અટકીને પછી મીરાંનું ઉચ્ચારણ કરતા, અને એથી શિષ્યોને આશ્ચર્ય થતું પણ ત્યારે શ્રી અરવિંદ મીરાં નહીં પણ મધરનું ઉચ્ચારણ કરવા તત્પર હતા. પણ કદાચ શિષ્યોની ચેતના એ સ્વીકારવા તૈયાર નહીં હોય એથી અટકી જતા અને પછી મીરાં બોલતા. આ વિષે તેમના શિષ્ય નલીનકાંત ગુપ્ત લખે છે કે 'શ્રી અરવિંદે આ મધર શબ્દ ક્યારે ઉચ્ચાર્યો, કયા ખાસ દિવસે, કઈ શુભ ઘડીએ, તેની કોઈનેય ખબર નથી... પણ એ પરમ ક્ષણે જ આ સ્થૂળ પૃથ્વી ઉપર માનવની બાહ્ય ચેતનામાં શ્રી માતાજીની સ્થાપના થઈ હતી. આમ શ્રી માતાજીમાં પોતાની સઘળી શક્તિનું નિરૃપણ કરીને આશ્રમની સઘળી વ્યવસ્થા અને શિષ્યોની સાધના સર્વ પ્રકારની જવાબદારી એમને સોંપીને શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકારી લીધો અને અતિમનસના અવતરણની ગહન સાધનામાં ડૂબી ગયા. ચોવીસ વર્ષ સુધી કરેલી એ ભગીરથ તપશ્ચર્યાના પરિણામે શરીરની સ્થૂળ ભૂમિકા ઉપર અતિમનસ શક્તિનું અવતરણ શક્ય બન્યું. એ માટે શ્રી અરવિંદે પોતાના દેહનો આધાર આપ્યો અને ઇ.સ. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે એમણે દેહત્યાગ કરી દીધો. પરંતુ શરીરના કોષોમાં અતિમનસ શક્તિના પ્રકાશને સક્રિય કરવાની સાધના શ્રી માતાજીએ ચાલુ રાખી અને તેના પરિણામે મનથી ઉપરની એ અતિમનસ શક્તિ શરીરના કોષોમાં સક્રિય બને એ શક્યતા સિદ્ધ થઈ શકી, એટલું જ નહીં પણ એ રસ્તે જનાર માટે શ્રી માતાજીએ સૂર્યપ્રકાશિત પથ પણ કંડારી આપ્યો.
આમ શ્રી માતાજી પેરિસથી પોંડિચેરી આવ્યા અને જગતને શ્રીઅરવિંદનો પૂર્ણયોગ મળ્યો. શ્રીઅરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાાન સર્વને માટ સુલભ બન્યું. અને એ માટે માનવજાત યુગો સુધી શ્રીમાતાજીની ઋણી રહેશે.

- જ્યોતિબહેન થાનકી


બુધવાર, 5 જાન્યુઆરી, 2011

સફળતા મેળવવાનાં ૧૦ પગથિયાં

સફળ થવા માટે નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા માટે ખૂબ બધી પોઝિટિવ વાતો થાય છે. પરંતુ એ માટે ખરેખર કેવાં નક્કર પગલાં લેવા જોઇએ એની વાત ભાગ્યે જ થાય છે. નવા દાયકાના પહેલા અઠવાડિયે પેશ છે સફળતા મેળવવાના દસ દમદાર પગથિયાં...

એકવીસમી સદીનો બીજો દાયકો વિશાળ તકો લઇને આવ્યો છે. આ દાયકામાં ભારત વિશ્વનું સૌથી યુવાન રાષ્ટ્ર બનવાનું છે અથૉત્ યુવાનોની સંખ્યા ભારતમાં સૌથી વધુ રહેવાની છે. વિકાસની ગાડી પાટે ચઢી ગઇ છે અને હવે પુરપાટ દોડવા તૈયાર છે. તમે જો સજ્જ નહીં હો તો આ ગાડી તમારી રાહ જોઇને થોભવાની નથી. કેવી સજ્જતા જોઇશે આ નવા દાયકામાં સફળ થવા માટે? નવી વિચારધારામાં ફીટ થવા માટે? નવી મેનેજમેન્ટ થિયરીઓને અનુસરવા માટે? હજારો વર્ષમાં વિશ્વએ એકઠા કરેલા ડહાપણના સમુદ્રમાંથી મોતી જેવા બાર ગુણ અહીં પસંદ કર્યા છે, યાદી બાવીસ, બેંતાલીસ કે બોંતેર સુધીયે લંબાવી શકાય તેમ છે, પણ થોડામાં ઘણું સમજો ડિયર વાચક.

લક્ષ્ય

પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.- ભગવાન બુદ્ધ

લક્ષ્ય, ધ્યેય, ટાર્ગેટ. ગળાકાપ અને ટાંટિયાખેંચ સ્પર્ધાના આ જમાનામાં લક્ષ્ય નક્કી કરવા જેટલું મહત્વનું બીજું કશું જ નથી. તમે શું પ્રાપ્ત કરવા માગો છો, તમારો ગોલ શું છે તે સ્પષ્ટ કરી લેવું જરૂરી છે. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે. ભગવાન બુદ્ધે કહ્યું છે, ઈશ્વરે દરેકને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ આપી જ છે. લક્ષ્ય ક્યારેય અશક્ય હોતું નથી, તેને અશક્ય બનાવે છે આપણી ઇચ્છા અથવા આપણી જાતનું ઓછું આકલન. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું કહેનાર સ્વામી વિવેકાનંદે પોતાના જીવનનું લક્ષ્ય કિશોરાવસ્થામાં જ નક્કી કરી લીધું હતું અને યુવાનીમાં તે પ્રાપ્ત પણ કરી લીધું હતું. આજે ૩૯ વર્ષની ઉંમરે કેટલાય લોકો પોતાનું ધ્યેય નક્કી કરી શક્યા હોતા નથી, એ ઉંમરે તો સ્વામીજીએ આ લોકને છોડી દીધો હતો. સેટ યોર ગોલ, નાઉ.

આયોજન

નસીબનાં દ્વાર ત્યારે ઉઘડે છે જ્યારે માણસ પ્લાનિંગ સાથે, આયોજનબદ્ધ રીતે ઉધ્યમ કરે. શાકુંતલમાં કહેવાયું છે, નસીબનાં દ્વાર તો સર્વત્ર હોય છે. પણ, આ દ્વાર સુધી પહોંચવા માટે, તેને ઉઘાડવા માટે આયોજન જરૂરી છે.તમારું ધ્યેય નક્કી કર્યા પછી તે ધ્યેય સુધી પહોંચવાનું આયોજન જરૂરી છે. એન્ટની ડી’ સેન્ટે કહ્યું છે, ‘આયોજન વગરનું પ્લાનિંગ એક આશા માત્ર છે.’ પીટર ડ્રકરે પણ એવું જ કહ્યું છે, ‘આયોજનને ઝડપથી અમલમાં ન મૂકવામાં આવે તો તે માત્ર એક સારો ઉદ્દેશ બનીને રહી જાય છે.’ પ્લાન પરફેક્ટ હોવો જોઇએ એવું કહેવાય છે પણ, હકીકતમાં કોઇ પ્લાનિંગ ફુલપ્રૂફ હોતું નથી. ખરાબ પ્લાનિંગ જ એકમાત્ર એવી ચીજ છે, જેને બદલી શકાય નહીં. સારા પ્લાનિંગમાં સતત સુધારા-વધારા આવશ્યક અને આવકાર્ય હોય છે. આપણે આપણાં એંસી ટકા કામ એવાં કરીએ છીએ જે લક્ષ્યની સિદ્ધિ તરફ લઇ જતાં નથી. સો, પ્લાન યોર સેલ્ફ.

થિંક બિગ

થિંક બિગ. આજના જમાનામાં સફળતાનો આ મૂળ મંત્ર છે. હિતોપદેશમાં કહેવાયું છે, ‘જે સમર્થ છે, તેના માટે કોઇ લક્ષ્ય મોટું નથી. જેને ધંધો કરવો છે, તેના માટે કોઇ સ્થળ દૂર નથી.’ કલાઉડ બિસ્ટ્રોલે કહ્યું છે, ‘મોટા બનવા માટે મોટું વિચારવું પડે.’ તમારી સફળતાની સાઇઝ તમારા વિચારને અનુરૂપ હશે. નાનું વિચારીને ક્યારેય મોટી સફળતા મળી શકતી નથી. પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેએ કહ્યું હતું, ‘સફળતાની સંભાવનાઓનાં દ્વાર ખોલવા માટે મોટું અને અલગ વિચારવું પડે.’ મોટું વિચારનાર પ્રજા મહાન બને છે. સફળ માણસ કે સફળ પ્રજાની સફળતા પાછળ તેનું બિગ થિંકિંગ પડેલું હોય છે. મોટું વિચારનાર આઉટ ઓફ ધી બોક્સ વિચારી શકે. બીજાથી અલગ વિચારી શકે, પરંપરાને તોડી શકે. સો, થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર.

આળસ ત્યજો

આલસ્ય મહા બલમ્ એવું કહેવાય છે. ચાણકયએ કહ્યું છે, ‘આળસુ વ્યક્તિ પોતાને મળેલી વસ્તુની પણ રક્ષા કરી શકતો નથી.’ માણસ હંમેશાં કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેમાંથી બહાર આવવાનું મુશ્કેલ છે, અશક્ય નથી. આળસ અને આજનું કામ કાલે કરવાની ઠેલણવૃત્તિ સફળતાનો સૌથી મોટો શત્રુ છે. ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’ એવું સૂત્ર આપણે ગોખી લીધું છે પણ તેનો અમલ કરવામાં આળસ કરતા રહીએ છીએ. સફળતા મેળવવી હોય તો રાત-દિવસ જોયા વગર મંડી પડવું પડે. સફળ વ્યક્તિ કરોડો કમાયા પછી પણ પગ વાળીને બેસતો નથી કારણકે આળસ તેમના સ્વભાવમાં હોતી નથી. એટલે, સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય. સો, કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન.

રિલેશનશીપ

‘મને મિત્રોથી ભય ન રહે, મને શત્રુઓથી ભય ન રહે.’ અદભૂત વાક્ય છે આ અથર્વવેદનું. શત્રુઓથી ભય ન રહે એવું વરદાન તો સામાન્ય છે, મિત્રોથી ભય ન રહે એવું કહેવું તે અસામાન્ય છે. નવા યુગના મેનેજમેન્ટમાં રિલેશનશીપ સૌથી વધુ મહત્વની બાબત છે. તમારા સાથી કર્મચારીઓ અને તમારી નીચેના કર્મચારીઓ સાથેની રિલેશનશીપ, તમારા કલાયન્ટ્સ અને તમારા વેન્ડર્સ સાથેની રિલેશનશીપ અને ગ્રાહકો સાથેની રિલેશનશીપ ધંધામાં પ્રગતિ માટે અનિવાર્ય પરિબળ છે. સંબંધો પર દુનિયા ટકેલી છે એ વાક્ય અત્યારે કદાચ સૌથી વધુ રિલેવન્ટ છે. પછી તે સંબંધો સામાજિક હોય કે વ્યાવસાયિક. એટલે, ડેવલપ ગુડ રિલેશનશીપ.

હાર્ડવર્ક

સિંહ સામર્થ્યમાં અતુલ્ય છે. છતાં સૂતેલા સિંહના મુખમાં હરણાં આપોઆપ પ્રવેશી જતાં નથી, સિંહે પણ શિકાર માટે ઉધ્યમ કરવો પડે છે. માત્ર મનના ઘોડા ઘડવાથી કાર્ય પૂરા થતાં નથી, તેના માટે હાર્ડવર્ક જરૂરી છે. જે માણસ પોતાનું કામ નિષ્ઠાથી કરતો નથી તે નસીબને દોષ દે છે. ‘મર્દ કા નસીબ ઉન કે હાથોં કી લકીરોં મેં નહીં, ઉનકી બાહુઓ મેં હોતા હૈ’ એવો ફિલ્મી ડાયલોગ પણ સુભાષિતથી કમ નથી. કોઇ વ્યક્તિ તમારી નિંદા કરીને તમારું નામ બગાડી શકે પણ, તમારું કામ બગાડી શકતો નથી. તમારું કામ એક જ વ્યક્તિ બગાડી શકે, અને એ છે, તમે પોતે. તમે મહેનત કરો, પુરુષાર્થ કરો તો કોઇ કામ અશક્ય નથી. હોમરે કહ્યું છે, ‘પુરુષાર્થ બધી બાબતો પર વિજય મેળવી શકે છે’. ઐતરેય બ્રાહ્નણમાં લખાયેલું સુભાષિત છે: ‘સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે, જે ચાલતો રહે છે તેનું ભાગ્ય ગતિશીલ રહે છે’. સો, બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ.

ડિસિઝન

કુમાર સંભવમાં કાલીદાસે કહ્યું છે, જે દ્રઢ નિર્ણય કરે છે તેના મનને અને ઢાળ તરફ વહેતા પાણીને કોણ રોકી શકે? નિર્ણય લેવાની કળા, ડિસિઝન મેકિંગ કોઇપણ વ્યવસાયની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે. એક ખોટો નિર્ણય, એક મોડો નિર્ણય ધંધાની, નોકરીની દિશા બદલી નાખી શકે. નિર્ણય મોડો કે વહેલો નહીં, યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે. ભવિષ્યની તકોનું આકલન કરીને, વર્તમાન પરિસ્થિતિનું ગણિત માંડીને લેવાયેલો પરપિકવ નિર્ણય જ લાભકારી નિવડે છે. માણસે જીવનમાં, ધંધામાં, નોકરીમાં વારંવાર નિર્ણયો લેવા પડે છે અને તે નિર્ણયો તેની સફળતા નક્કી કરતા હોય છે. શતરંજની રમતમાં જેમ વિવિધ પાસાં વિચાર્યા પછી સૌથી સારી ચાલ ચાલવાની હોય તે જ રીતે નિર્ણયો લેવાની પ્રક્રિયા થવી જોઇએ. નાઉ, મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ.

નબળાઇઓને જાણો, નિવારો

પોતાની નબળાઇઓની જાણ બીજાને ન કરવી એવું ચાણકયએ કહ્યું છે. પણ, તે પહેલાં પોતાની નબળાઇઓ જાણવી જરૂરી છે. પોતાના ધંધાની નબળી કડીઓ જાણવી જરૂરી છે. આ જમાનામાં નબળાઇઓને છુપાવી શકાય એવું રહ્યું નથી એટલે, ચાણકયથી થોડું આગળ વધીને એવું કહેવું પડે કે પોતાની નબળાઇઓને છુપાવવાને બદલે સુધારો. જે માણસ પોતાની નબળાઇઓને જોઇ શકતો નથી તે સફળ થતો નથી. ધંધામાં કે વ્યક્તિગત જીવનમાં, નબળાઇઓ શોધતા આપણે ડરીએ છીએ. પણ, એ પલાયનવૃત્તિ છે. પોતાની નબળાઇઓ સફળતા સામે જોખમ બનીને ઊભી રહે તેના કરતાં તો તેને ઓળખીને દૂર કરવી વધુ યોગ્ય છે. લેટ્સ, હેવ અ લૂક વિધિન.

નેવર ગિવ અપ

વિન્સ્ટન ચર્ચિલ એક શાળામાં ભાષણ કરવા ગયા ત્યારે બધાને હતું કે તેઓ રાજકીય વાતો કરશે અને બાળકોને કશું સમજાશે નહીં. ચર્ચિલે તે સભામાં કહ્યું, નેવર ગિવ અપ. નેવર નેવર નેવર. અને આ સભાને આજ દિવસ સુધી યાદ રાખવામાં આવે છે. નીતિ શતકમાં ભર્તુહરિએ લખ્યું છે, ઉત્તમ પુરુષો આરંભેલા કાર્યને ક્યારેય છોડતા નથી. પડકારો આવે, ક્યારેક પીછેહઠ કરવી પડે એવું જીવનમાં વારંવાર બનશે. પણ, પોતાનું ધ્યેય ન છોડવું. મોટાભાગે એવું બને છે કે નાનકડી પછડાટ, નાનકડી પીછેહઠ, નાનકડો પરાજય મળતાં જ માણસ હતોત્સાહ થઇને કામ છોડી દે છે. જે આવા વિપરિત સંજોગોમાં પણ કામ છોડતા નથી તેઓ સફળ માણસોની યાદીમાં બિરાજે છે. સો, નેવર ગિવ અપ, નેવર નેવર નેવર.

બી એનજેઁટિક

નિરુત્સાહથી માણસનું જ નહીં, તેના ભાગ્યનું પણ પતન થાય છે. ઉત્સાહથી ભરપુર, એનજેઁટિક માણસ પોતાની આજુબાજુના વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. કોઇપણ કામ ઉત્સાહથી કરવામાં આવે તો તેનું પરિણામ અદભૂત મળે છે. વર્કપ્લેસ ઉત્સાહથી થિરક્તી હોય એવું વાતાવરણ દરેક કંપની ઇચ્છતી હોય, દરેક અધિકારી ઇચ્છતો હોય. ઉત્સાહ માટે અનેક પરિબળો જરૂરી છે. સારું વળતર, સારી રિલેશનશીપ, સારી સંભાળ, સારું વાતાવરણ, સારી પ્રસંશા વગેરે વગેરે. પણ, વાસ્તવમાં ઉત્સાહ માણસના મનમાંથી જન્મે છે. કામ પ્રત્યે જેને પ્રેમ હોય એ ગમે તેવા વાતાવરણમાં ઉત્સાહથી કામ કરતો રહે છે. એટલે જ, કોઇપણ ઓફિસમાં એવા એક-બે જ માણસ હોય છે, જે ઉત્સાહથી થનગનતા હોય છે. સો, બી એનજેઁટિક, ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

૧-સેટ યોર ગોલ નાઉ. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે.

૨-પ્લાન યોર સેલ્ફ. ધ્યેય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવાનું આયોજન જરૂરી છે.

૩-થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર. બીજાથી અલગ વિચારો.

૪-કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય.

૫-ડેવલપ ગુડ રિલેશનશીપ. સંબંધો પર દુનિયા ટકેલી છે.

૬-બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ. તમે પુરુષાર્થ કરો તો કંઇ અશક્ય નથી.

૭-મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ. નિર્ણય યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે.

૮-હેવ અ લૂક વિધિન. પોતાની નબળાઇઓ છુપાવવાને બદલે સુધારો.

૯-નેવર ગિવ અપ, નેવર. ભલે ક્યારેક પીછેહઠ કરવી પડે પણ ધ્યેય ન છોડવું.

૧૦-બી એનજેઁટિક. ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

(કાના બાંટવા)
દિવ્ય ભાસ્કર વિહાર કોલમ માંથી


મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.

[1] કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ. જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

[2] એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું : ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

[3] એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા, ‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું, ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.

[4] ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું : ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડોરેસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે, એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

[5] ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી :

(1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો.

(2) માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

(3) સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી.

(4) નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પાડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો.

(5) ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

(6) ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

(7) તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

[6] પ્રાર્થના-1

હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ. બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ. ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

[7] પ્રાર્થના-2

હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે. હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

[8] છેલ્લે…..

થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.