લેબલ મોહમ્મદ માંકડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોહમ્મદ માંકડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 16 જૂન, 2015

તમે સારામાં સારા શું બની શકો તેમ છો?

If this is God’s world, there are no unimportant people.
- Rt. Hon. George Thomas
કુદરત એક જેવો બીજો નમૂનો બનાવતી નથી. એક જેવો બીજો મનુષ્ય કે પ્રાણી તો ઠીક, એક જેવું આબેહૂબ બીજું વૃક્ષ કે જંતુ પણ પેદા થતું નથી. કરોડો વર્ષથી આ ક્રિયા ચાલુ છે. હજી કુદરતનો ખજાનો ખૂટયો નથી અને કરોડો વર્ષ પછી પણ ખૂટવાનો નથી.
કોઈ બે મનુષ્યના માત્ર ચહેરા જ જુદા હોય છે, એવું નથી. હાથની રેખાઓ, અંગૂઠા, આંગળીઓ, નાક, દાંત, શ્રવણશક્તિ, દૃષ્ટિ, બધું જ ભિન્ન હોય છે. સમય સતત વહ્યા જ કરે છે અને પરિસ્થિતિ બદલાયા જ કરે છે. પ્રતિક્ષણે ઊભી થતી નવી પરિસ્થિતિ માટે કુદરત નવા જીવોનું નિર્માણ કર્યા કરે છે, એટલું જ નહીં, નવી રીતે નિર્માણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ તેની પોતાની રીતે એક અને અનોખો હોય છે. કારીગર પોતાના કામ માટે જુદા જુદા પ્રકારનાં અને જુદાં જુદાં માપનાં હથિયારો વાપરે છે એમ કુદરત પણ પોતાના કામ માટે જુદા જુદા જીવોનો ઉપયોગ કરે છે. તેના આ કામ વિષે આપણે બહુ જ ઓછું જાણી શકીએ છીએ, કારણ કે સર્જનની આ લીલા અગાધ અને અટપટી છે, પરંતુ એટલું આપણે જાણીએ છીએ કે, આપણે આવી કોઈક વિશાળ લીલાનો ભાગ છીએ અને બીજાથી જુદા, વિશિષ્ટ, એક અને અનોખા છીએ.
અને એટલે જ આપણા સમયની એક બહુ મોટી સમસ્યા આપણી જીવનરીતિને એકસરખી બનાવવામાંથી સર્જાય છે. આવું બે રીતે બને છે. એક તો સમાજ અને સરકાર (પછી તે ગમે તે દેશની હોય) આપણા જીવનને એક જ બીબામાં ઢાળવા પ્રયત્ન કરે છે,અમુક પ્રકારનું રેજિમેન્ટેશન દાખલ કરે છે ત્યારે અને બીજું આપણે પોતે જ્યારે બીજા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે.
સરકાર કે સમાજ જે એકસરખાપણું આપણા ઉપર લાદે છે તેને દૂર કરવાની એક વ્યક્તિ તરીકે આપણી પાસે શક્તિ હોતી નથી,એટલે તે સ્વીકારીને જ ચાલવું પડે છે, પરંતુ આપણે પોતે બીજા જેવા બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાંથી આપણે જરૂર છૂટી શકીએ છીએ.
ર્ડાિવનના નેચરલ સિલેક્શનના નિયમ પ્રમાણે, કુદરત જે ઉત્તમ હોય તેનો જ પોતાના કામ માટે ઉપયોગ કરે છે. તેને જ જીવન જીવવાનો અધિકાર આપે છે. આનો અર્થ એવો ન કરવો જોઈએ કે કુદરત તગડા, પઠ્ઠા, મજબૂત હોય તેને જ જીવવા દે છે. આનો અર્થ એવો છે કે જે પરિસ્થિતિમાં જે સૌથી યોગ્ય હોય તેને જ કુદરત પસંદ કરે છે. આ તો સ્વાભાવિક છે. કારીગર હંમેશાં ઉત્તમ હથિયાર જ પસંદ કરે છે, પરંતુ આમાં યોગ્યતાની જે વાત છે તે બહુ જ અટપટી છે, કારણ કે એમાં સંકળાયેલ વિશિષ્ટ પરિસ્થિતિ,એ પરિસ્થિતિમાં જીવની વિશિષ્ટ પ્રકારની યોગ્યતા અને એ યોગ્યતા નક્કી કરવા પાછળનો કુદરતનો હેતું, એ બધી બાબતો વિષે આપણે ભાગ્યે જ કશું જાણી શકીએ છીએ.
અમેરિકાના ર્જ્યોિજયા પરગણાના સેનેટર એલેક્ઝાન્ડર સ્ટીવન્સનું કદ ખૂબ જ નાનું અને વજન પણ ઘણું જ ઓછું હતું, પરંતુ બુદ્ધિ તીવ્ર હતી. એક વાર ચર્ચાની ગરમીમાં એક મોટા, ઊંચા, તગડા કોંગ્રેસમેને એના તરફ દાંતિયું કર્યું, "એવો ગુસ્સો ચડે છે કે, તને આખો ને આખો ગળી જાઉં!"
સ્ટીવન્સે સહીને કહ્યું, "તો, તારા માથામાં છે એ કરતાં પેટમાં બુદ્ધિનું પ્રમાણ વધી જાય!"
કોનો, ક્યાં, કોઈ જાતનો ઉપયોગ છે તે આપણે જાણતા નથી. કુદરત તગડાને અમુક કારણે જીવવા દે છે તો દૂબળા અને બુદ્ધિશાળીની પસંદગી બીજાં જ કોઈક કારણોસર કરે છે. એમાં એટલી બધી વિવિધતા હોય છે અને એટલા બધા મુદ્દાઓ સંકળાયેલા હોય છે કે નેચરલ સિલેક્શન બાબતાં કોઈ એક નિયમ આપણે તારવી શકતા નથી. માત્ર એટલું જાણી શકીએ છીએ કે કુદરતમાં આવું કોઈક સિલેક્શન કામ કરી રહ્યું છે.
અને કબીર કહે છે કે તેમ, "જહાં કામ આવે સૂઈ, ક્યા કરે તલવારી?" જ્યાં સોય કામ આવે તેમ હોય ત્યાં તલવારનો શું ઉપયોગ?
આપણે સોય હોઈએ તો સોય, નાના હોઈએ તો નાના, ઝીણા હોઈએ તો ઝીણા, એ રીતે જ આપણે ઉપયોગી થઈ શકીએ તેમ છીએ. આપણે તલવાર બનવાની ચેષ્ટા શા માટે કરવી? કારણ કે સોયનો જ્યાં ઉપયોગ કરવાનો હશે, ત્યાં તલવાર શું ઉપયોગમાં આવવાની છે? તલવારનું કામ તલવાર કરતી હશે, પણ એથી કાંઈ એનું મહત્ત્વ વધી જતું નથી. કદમાં એ મોટી હશે, તેજ,ચમકદાર હશે, પણ એક નાનકડું કપડું પણ એ સાંધી શકશે નહીં. એનું તેજ કે એની ચમક જોઈને સોયને શરમાવાની જરૂર નથી,ઓજપાવાની જરૂર નથી, પોતાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી અને સૌથી વધુ તો, તલવારની ઈર્ષા કરવાની કે તલવાર બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.
જે જ્યાં છે અને જે છે, તે રહીને જ જીવનની આ વિશાળ લીલામાં યોગ્ય ભાગ લઈ શકે છે. બીજા જેવા બનવાની એને જરૂર નથી,કારણ કે તે એક અને વિશિષ્ટ છે. કુદરતે એનું એ રીતે જ નિર્માણ કર્યું છે. એને બીજા જેવા નહીં, પણ પોતાના જેવા બનવાની જરૂર અને ઉત્તમ રીતે પોતાના જેવા બનવાની જરૂર છે. આ જ એના જીવનનો એકમાત્ર હેતુ હોઈ શકે છે.
પરંતુ માણસ પોતાના જેવો બનવાના બદલે બીજા દેવો બનવા પ્રયત્ન કરે છે. એક નિરર્થક હરીફાઈમાં એ દોડવાનું શરૂ કરે છે. બીજા જેવો એ ક્યારેય બની શકતો જ નથી. પરિણામે એને દુઃખ, બળતરા અને અશાંતિ જ મળે છે.
આપણે આપણી પોતાની સામે ભાગ્યે જ નજર કરીએ છીએ. આપણી પોતાની મૂડીનો ભાગ્યે જ ખ્યાલ કરીએ છીએ. આપણે તો બીજા સામે નજર કરીને, આપણું જીવન ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ.
મોટાભાગના માણસોને બીજા કોઈકની પ્રશંસા, બીજા કોઈકની હરીફાઈ, બીજાની ઈર્ષા જિંદગીના ખોટા માર્ગે દોડાવી જાય છે,પરંતુ ત્યાં તેમને માટે સુખ કે સંતોષના બદલે ખાલીપો અને નિરાશા જ પડયાં હોય છે.
માણસ જ્યારે પોતાના પિંડને અનુરૂપ, 'સ્વ'ભાવને અનુરૂપ કામ કરે છે, ત્યારે જ તેમાંથી તેને સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. બીજાની દેખાદેખી કે બીજાની પ્રશંસામાંથી તે ક્યારેય મળતાં નથી.
અને દરેક વ્યક્તિમાં કોઈક વિશિષ્ટતા તો હોય જ છે. એની એ વિશિષ્ટતા જ એની સાચી મૂડી હોય છે.
જોકે, હમણાં મારા એક મિત્રે મને આ રીતે કહ્યું હતું, "મારામાં તો કોઈ વિશિષ્ટતા નથી, કોઈ શક્તિ નથી, હું શું બની શકું? હું લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, પોલિટિશિયન, વેપારી, ઉદ્યોગપતિ, વૈજ્ઞાાનિક કશું જ બની શકું તેમ નથી. હું એક સામાન્ય માણસ છું."
એમની વાત એકદમ વિચાર કરવા જેવી છે. હજારો લાખો માણસોને એમ થાય છે કે, અમારામાં તો કોઈ વિશિષ્ટ શક્તિ નથી. અમે વળી શું બની શકીએ? અમે તો સામાન્ય માણસ છીએ, પરંતુ વિશિષ્ટ શક્તિ એટલે શું? માત્ર લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, કલાકાર, વિજ્ઞાાની બનવાની શક્તિ જેનામાં હોય એ જ વિશિષ્ટ શક્તિ ગણાય?
આ એક ભ્રમ છે અને આપણે ઊભાં કરેલાં ખોટાં જીવનમૂલ્યો ઉપર એ આધારિત છે. અમુક માણસોને આપણે સમાજમાં મહત્ત્વનું સ્થાન આપીએ છીએ. એને કારણે બીજા હજારો માણસો શક્તિ નહીં હોવા છતાં એમના જેવા બનવા પ્રયત્ન કરે છે અને એમની જિંદગી બરબાદ કરે છે. બહારથી એવા દેખાવા છતાં અને ઘણી વાર એવા હોવાની પ્રશંસા મેળવ્યા છતાં, એમની જિંદગી તો બરબાદ જ થાય છે, કારણ કે ખરેખર તેઓ એવા હોતા નથી. મનુષ્યનું મનુષ્ય હોવું અને બીજા કરતાં હોવું એ જ એની વિશિષ્ટતા છે.
સોક્રેટિસ કવિ નહોતો, ચિત્રકાર નહોતો, વિજ્ઞાાની નહોતો, છતાં એને આપણે યાદ કરીએ છીએ. કોઈ કહે કે, તે તો વિચારક અને ફિલસૂફ હતો.
મહાત્મા ગાંધી સંગીતકાર નહોતા, વિજ્ઞાાની નહોતા, કલાકાર નહોતા, સાહિત્ય, કલા, વિજ્ઞાાન, સંગીત, કોઈ ક્ષેત્રમાં એમનું કોઈ મૌલિક પ્રદાન નથી, ફિલસૂફના ક્ષેત્રમાં પણ નહીં છતાં માનવતાના ક્ષેત્રમાં એમણે જે પ્રદાન કર્યું છે તે કેવડું મોટું છે?
કોઈ એમ પણ કહી શકે કે, એ તો મહાત્મા હતા, મહાન હતા. બધા કાંઈ થોડા મહાત્મા ગાંધી, સોક્રેટિસ કે બુદ્ધ બની શકે?
બધા ચોક્કસ ગાંધી કે બુદ્ધ ન બની શકે, (કારણ કે એ તો માત્ર એમની વિશિષ્ટતા હતી), પરંતુ કોઈ પણ માણસ એ જે કાંઈ હોય તે 'સારામાં સારો' તો બની જ શકે અને કોઈ પણ સામાન્ય માણસમાં એની પોતાની જ કહી શકાય તેવી વિશિષ્ટતા અને અસામાન્યપણું તો હોય જ છે.
અને ખરાબ સંગીતકાર બનવા કરતાં સારા કારીગર બનવું સારું. કોઈ પણ વ્યક્તિ સારી ગૃહિણી, સારા પતિ કે પત્ની, સારાં માતા-પિતા, સારા મિત્ર કે સારા પાડોશી તો જરૂર બની શકે.
"હું તો સામાન્ય માણસ છું." એમ જ્યારે કોઈ કહે છે ત્યારે, 'માણસ' હોવું એટલે શું એની એને ખબર નથી હોતી.
પ્લેટોએ એક નાનકડી કથા લખી છે. એમાં પરલોકના જીવો આ ધરતી ઉપર આવીને જુદાં જુદાં ખોળિયાં ધારણ કરી, જુદાં જુદાં કાર્યો કરવાનાં શરૂ કરે છે. કોઈક કવિનું ખોળિયું ધારણ કરે છે, કોઈક કલાકારનું. આખરે, યુલિસિસ ધરતી પર આવે છે. "ઓહ!" તે કહે છે, "બધાં જ ઉત્તમ ખોળિયાં કામે લેવાઈ ગયાં છે, મહાન કાર્યો થઈ રહ્યાં છે. મારા માટે બાકી કશું જ રહ્યું નથી."
એ વખતે આકાશવાણી સંભળાય છે, 'જે ઉત્તમ છે, તે તારા માટે બાકી રહ્યું છે- એક સામાન્ય માણસનું ખોળિયું. એ ખોળિયામાં રહીને તારે સામાન્ય ભલાઈનું, સામાન્ય કામ કરવાનું છે.'
જે આપણને સામાન્ય લાગતું હોય છે તે ખરેખર અસામાન્ય હોય છે. ઉત્તમ પુરુષો જ તે કરી શકે છે.
આપણે જે કાંઈ હોઈએ તે સારામાં સારા બનીએ, જે કામ કરીએ તે સારામાં સારી રીતે કરીએ. જ્યાં રહીએ ત્યાં સારામાં સારી રીતે રહીએ. જીવનની આ લીલામાં આપણું પોતાનું સ્થાન આપણે શોધી લઈએ અને તેને દીપાવીએ.
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
(સંદેશ ૧૪/૦૬/૨૦૧૫ )

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

નિષ્ણાતો જ્યારે ભૂલે છે ત્યારે


બર્નાર્ડ શોએ એક વાર કહેલું, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે!

          આપણે ત્યાં કહેવત છે કે ‘ભણેલા ભૂલે ત્યારે ભીંત ભૂલે’ એટલે કે સામે ભીંત હોય તોપણ એમને એ ન દેખાય. અને બહુ ભણેલા હોય એ નિષ્ણાત ગણાય. નિષ્ણાતો ભૂલે ત્યારે કદાચ સામે આખું મકાન હોય તોપણ એમને નહીં દેખાતું હોય, કારણ કે એમના એ જ્ઞાનને કારણે એમને નુકસાન થાય એ કરતાં પણ વધુ નુકસાન એમના એ (અ)જ્ઞાનનો ભોગ બનનારને થતું હોય છે. સાહિત્ય અને વિજ્ઞાનમાં આના અનેક દાખલા છે. એમાંના થોડા ઉપર નજર કરીએ.
           વિજ્ઞાનની વાત કરીએ તો ગેલિલિયો ગેલીલીને થયેલા અન્યાયે એને જીવતો જ મારી નાખ્યો હતો એમ કહી શકાય. એનો ગુનો માત્ર એટલો જ હતો કે એણે કહ્યું હતું કે, સૂર્ય ફરતો નથી પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ફરે છે.

          એ વાત બાઈબલની વાતને ખોટી પાડતી હતી એટલે પાદરીઓ એની વિરુદ્ધ થઈ ગયા. બીજા કેટલાક સૂર્યપૂજકોને એ વાતમાં કોણ જાણે કેમ, સૂર્યદેવનું અપમાન લાગ્યું અને એ વાતના નિષ્ણાતોને એમાં પોતાના જ્ઞાનનું અપમાન લાગ્યું. એના એ ગુના બદલ ગેલિલિયોને મોતની સજા ફરમાવવામાં આવી, ગેલિલિયોએ માફી માંગી અને કહ્યું કે, “પૃથ્વી ફરે છે એવી મારી વાત ખોટી છે. ત્યારે એમની ઉંમર અને એમણે અગાઉ કરેલી વિજ્ઞાનની કેટલીક શોધોને લક્ષમાં લઈને એને આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને એની જિંદગીના છેલ્લા દિવસો એને house arrest  એટલે કે ઘરમાં પુરાઈ રહીને ગુજારવા દેવાની મહેરબાની કરવામાં આવી. ગેલિલિયોની લાંબી કથાનો આ માત્ર ટૂંક સાર છે.

          અને ગેલિલિયોને એકને જ નિષ્ણાતો દ્વારા અન્યાય થયો નહોતો એવા તો એક ડઝનથી પણ વધુ દાખલાઓ બન્યા છે. ફ્રોઈડ અને ડાર્વિન પણ નિષ્ણાતોના પ્રકોપથી બચી શક્યા નહોતા. ફ્રોઈડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો એમ કહીએ તો ચાલે. જે નિષ્ણાતોએ એક વાર એની પ્રશંસા કરી હતી એમણે જ એનો વિરોધ કર્યો હતો. અને ડાર્વિનનો વિરોધ કરવામાં એ વખતના પાદરીઓ જ નહીં, વિજ્ઞાનીઓ પણ હતા. ડાર્વિને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, અને આજે જેની ગણતરી ‘ઓલ ટાઈમ બેસ્ટ સેલર’માં થાય છે એ ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પ્રગટ થતાં જ હલચલ મચી ગઈ હતી. ડાર્વિનનાં કાર્ટૂનો પ્રગટ થવા લાગ્યાં હતાં. એને અને એના વડવાઓને વાંદરા બતાવવામાં આવ્યા હતા. ડાર્વિને બધું સહન કર્યું હતું. આમ છતાં, આપણે કહી શકીએ કે એ વખતે વિજ્ઞાન તરફની લોકોની દૃષ્ટિમાં ફેર પડયો હતો. ડાર્વિનના પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ડાર્વિનને મોતની સજા કરવામાં આવી નહોતી. હવે નિષ્ણાતોના છબરડાનાં થોડાં વધુ ઉદાહરણો જોઈએઃ

          ૧૯૧૪ની સાલમાં ન્યૂ યોર્કની અદાલતમાં જ્યૂરી સમક્ષ એક વકીલે કાચની એક ‘નકામી નળી’ રજૂ કરીને કહ્યું કેઃ “કાચની એક નકામી નળી છે. તેમાં ધાતુના થોડા આમ તેમ વાળેલા તાર સિવાય કશું જ નથી, છતાં તેનો શોધક કહે છે કે આ બલ્બ જેવા સાધન દ્વારા તે માણસના અવાજને આટલાંટિક સમુદ્રની પેલે પાર પહોંચાડી શકે તેમ છે. ખરેખર તો આ એક પ્રપંચ છે, ઠગાઈ છે, અને તેને કડક સજા થવી જોઈએ.”
કાચની તે નકામી નળી, એટલે આજે જેની દ્વારા સાગરપારના ફોનસંદેશાઓ પહોંચે છે અને રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરેમાં જે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જેને આપણે ‘ઓડેશન ટયુબ’ તરીકે ઓળખીએ છીએ તે વસ્તુ હતી. તેના શોધક લી ડી. ફોરેસ્ટ ઉપર ઠગાઈના આરોપસર કેસ મંડાયો હતો. સરકારી વકીલ ત્યારના જ્ઞાન-વિજ્ઞાનનો આશરો લઈને દલીલો કરતો હતો. તેના જ્ઞાન પ્રમાણે એવી નળી માનવીના અવાજનું પ્રસારણ કરી શકે તે વાત જ અશક્ય હતી. પણ તેનું જ્ઞાન ૧૯૧૪ સુધી વિકસેલ વિજ્ઞાન પર આધારિત હતું. અને લી ડી. ફોરેસ્ટ વિજ્ઞાનને ૧૯૧૪થી આગળ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. ૧૯૧૪ની સાલમાં અભ્યાસુ અને જાણકાર સરકારી વકીલના મત મુજબ લી ડી. ફોરેસ્ટ ખોટો હતો, પણ પછીના સમયમાં તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પાયોનિયર હતો.

          જ્ઞાન એટલું તો અગાધ અને અનંત છે કે ન્યુટન જેવા માણસને પણ લાગ્યું હતું કે તેની પોતાની સ્થિતિ તો માત્ર જ્ઞાનના વિશાળ મહાસાગરના કાંઠે પાંચીકા વીણતા બાળક જેવી જ હતી. જ્ઞાનનો પાયો નમ્રતામાં છે અને અજ્ઞાનનો પાયો મિથ્યા ગર્વમાં છે. છતાં વિચિત્રતા એ છે કે લગભગ બધાં જ ક્ષેત્રોમાં એવી વ્યક્તિઓ જ તમને ટોચનાં સ્થાનો સર કરીને બેઠેલી દેખાય છે.

          ઈ.સ. ૧૯૦૩માં પ્રોફેસર લેન્ગલીએ પોતાના પ્રયોગોને અંતે જાહેર કર્યું હતું કે, હવાથી વજનમાં ભારે હોય એવી કોઈ વસ્તુ ઊડી શકે નહીં. પ્રોફેસર લેન્ગલી, સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટમાં વિજ્ઞાનના નિષ્ણાત હતા અને ઉડ્ડયનના પ્રયોગો માટે અમેરિકન સરકારે તેમને મોટી સ્કોલરશિપ આપી હતી. એમણે અનેક રીતે અનેક પ્રયોગો કરી જોયા હતા અને તેના નિચોડરૂપે તે વખતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં જાહેર કર્યું હતું (દાખલા દલીલો સહિત) કે હવા કરતાં વજનદાર કોઈ વસ્તુ હવામાં ક્યારેય ઊડી શકે નહીં.
પરંતુ આ વાતની જેઓ વિજ્ઞાનીઓ ન હતા એવા બે ભાઈઓને કશી ખબર નહોતી. એ બંને ભાઈઓ માત્ર સામાન્ય સાઇકલ-મિકેનિક હતા, પણ તેમની બુદ્ધિ સામાન્ય નહોતી. તેઓ પોતાની મેળે જ, અને પોતાની વિશિષ્ટ પદ્ધતિથી જ હવામાં ઊડી શકે તેવું કોઈક યંત્ર બનાવવાનો અખતરો કરી રહ્યા હતા. અને વિદ્વાન પ્રોફેસર લેન્ગલીએ જે વર્ષે ઉડ્ડયન વિશેનો પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો તે જ વર્ષે એટલે કે ૧૯૦૩ના ડિસેમ્બર મહિનાની સત્તર તારીખે તેમણે હવા કરતાં વજનદાર ધાતુના એરોપ્લેનને હવામાં સફળતાથી ઉડાડવાનો પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો. એ ભાઈઓ ઓરવિલ રાઈટ અને વિલ્બર રાઈટને આજે સૌ કોઈ ઓળખે છે અને સરકારી પૈસે તૈયાર થયેલ પ્રોફેસર લેન્ગલીનો તર્કબદ્ધ સિદ્ધાંત ક્યાંક પસ્તીના ડૂચામાં ફેંકાઈ ગયો છે.
એવી જ રીતે મોટરકાર અને ટેલિફોન બાબતમાં પણ તે સમયના નિષ્ણાતો તદ્દન નિરાશાવાદી હતા. આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલી વાર સાઇકલ રસ્તા પર આવી ત્યારે હજારો માણસોએ તેની સામે ઊહાપોહ કરેલો અને બે પાતળાં પૈડાં ઉપર સમતોલન જાળવીને ચલાવાતા વાહનથી કેવા ભયંકર અકસ્માતો સર્જાશે તેની આગાહીઓ કરેલી. ઊહાપોહ એટલો તો ઊગ્ર હતો કે સાઇકલ ચલાવનારે પોતાને સાઇકલ ચલાવતાં આવડે છે તેવું લાઇસન્સ ફરજિયાતપણે લેવું પડતું હતું.

          કોલંબસના સમયના લગભગ બધા જ નિષ્ણાતોએ તેને કહ્યું કે પશ્ચિમ તરફ વહાણ હંકારીને પૂર્વમાં પહોંચવાની તેની વાત નરી મૂર્ખતા હતી. પણ માત્ર કોલંબસ તે માનવા તૈયાર નહોતો.
બર્નાર્ડ શોએ એક વાર એવું કાંઈક કહ્યું હતું કે, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે.

          પરંતુ જે લોકો દેડકા જેવડા હોય છે, પોતાના અલ્પ જ્ઞાનથી જેમનાં પેટ ફૂલીને ફાટી જતાં હોય છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ જેઓ જ્ઞાનની ક્ષિતિજોને પરિમિત કરવાની મિથ્યાચેષ્ટા કરવા માટે જ કરતા હોય છે, તેવાઓની કોઈ નોંધ ઇતિહાસે ક્યારેય લીધી નથી, તેમણે વિજ્ઞાન,કલા,સાહિત્ય દરેક ક્ષેત્રમાં બને તેટલું વધારે નુકસાન કર્યું છે, પણ તેવું તો બન્યા જ કરવાનું.

          જે લોકોએ હર્મન મેલવિલ જેવા જિનિયસને અંધારામાં ફેંકી દીધો હતો. બાલ્ઝાકને ‘ક્લાઉન’ કહીને હડધૂત કર્યો હતો, અને સ્ટેનધાલ જેવા મહાન લેખકને તો લેખક જ ગણ્યો નહોતો. ચિત્રકાર વાન ગોગને ગાંડો ગણ્યો હતો, પોલ ગોગેંનાં ચિત્રોની ઠઠ્ઠા મશ્કરી કરી હતી, એ બધા એમના સમયના પ્રથમ પંક્તિના નિષ્ણાતો હતા.
પરંતુ જો કોઈ તમને એવું કહેવા કે મનાવવા પ્રયત્ન કરે કે અમુક વસ્તુ બેધડક રીતે આમ જ હોવી જોઈએ, તો તેમનાં તેવાં અર્ધસત્યો પર એતબાર રાખવાની ભૂલ ક્યારેય કરશો નહીં, તેમની વાતો તર્કબદ્ધ હોઈ શકે છે, પણ સાચી હોઈ શકતી નથી,કારણ કે તેઓ પોતાના તર્કની કોટડીનાં બારણાં બંધ કરીને તેમાં પોતે જ કેદ થઈ ગયેલા કમનસીબ બુદ્ધિશાળીઓ હોય છે. અને આપણને તેઓ ક્યારેય કશું આપી શકે તેમ નથી હોતા. તેમની દયા ખાજો.

          આ લેખ વીસમી સદીના મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈનને થયેલા અન્યાયનો દાખલો આપીને પૂરો કરું છું. એમના જે સિદ્ધાંતને કારણે એમને મહાન વિજ્ઞાની ગણવામાં આવે છે એ ‘થિયરી ઓફ રિલેટિવિટી’ (સાપેક્ષવાદના સિદ્ધાંત)નો વિરોધ વર્ષો સુધી થયો હતો. એ વિરોધ કેવો હશે અને એથી આઈન્સ્ટાઈનને કેવું દુઃખ થયું હશે એની ઝાંખી એમના આ શબ્દોમાં થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે એ સિદ્ધાંતના કારણે હલચલ મચી હતી ત્યારે આઈન્સ્ટાઈન ‘સ્વીસ સિટીઝન’ હતા. એ વખતે એમણે પ્રેસને (પત્રકારોને) લખ્યું હતું, “જ્યારે લોકોએ (વાચકોએ) ‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ સ્વીકાર્યો છે ત્યારે હવે ઈંગ્લેન્ડમાં મને સ્વીસ જ્યૂ (સ્વીટ્ઝર્લેન્ડના યહૂદી) તરીકે સન્માનવામાં આવે છે અને જર્મનીમાં મને જર્મન વિજ્ઞાની તરીકે માનથી જોવામાં આવે છે, પરંતુ જો ઊલટું બન્યું હોય તે જર્મનો મને (સ્વીસ) યહૂદી ગણતા હોત અને અંગ્રેજો મને જર્મન ગણતા હોત!”
(જર્મનો યહૂદીઓને ધિક્કારતા હતા અને અંગ્રેજો જર્મનોને ગાંડિયા ગણતા હતા.)

26/2/2012 કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ


શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

બંધબેસતી પાઘડી ઓઢી લેવાની છૂટ છે!


જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે
લખવા સિવાય મને બીજું કશું આવડતું નથી. મારા એક નજીકના મિત્રે મને કહ્યું કે “દુઃખમાં હોઈએ ત્યારે દુઃખ ન વધે એવું લખવું.” અહીં લખેલા પ્રસંગો વાંચીને કોઈને દુઃખની લાગણી તો નહીં જ થાય એમ હું માનું છું.
ખ્ત ગુજરાતમાં જુદા જુદા પ્રકારના ખેડૂતો છે. એમાં પાટીદાર અને દેસાઈ બે જાણીતા છે. દેસાઈ વિશે હું બહુ જાણતો નથી, કારણ કે નાગરથી માંડીને અનેક કોમમાં દેસાઈ છે અને એ બધા ખેડૂતો હોય એમ લાગતું નથી. અહીં લખેલી વાત અકબરના જમાનામાં બની છે. એ વાતમાં સત્ય કેટલું હશે એની ખબર નથી, કારણ કે અકબર વિશેની જે વાતો પ્રચલિત છે, એમાંની આ પણ એક છે.
ગુજરાતના અફઘાન બાદશાહો પાસેથી અકબરે ગુજરાત જીતી લીધું પછી એ અમદાવાદ આવ્યો ત્યારે હુકમ કર્યો કે જેમને અઘાટ જમીન મળી હોય એમણે દસ્તાવેજો બતાવવા. નહીં બતાવે એની જમીન ખાલસા કરવામાં આવશે. ઘણા લોકોએ દસ્તાવેજો બતાવ્યા. એમાંના ઘણા ખરા તાંબાના પતરા ઉપર લખેલા હતા, પરંતુ એક દેસાઈએ કહ્યું કે એની પાસે દસ્તાવેજ નથી. એની પાસેની જમીન પાંચ પેઢીથી એની પાસે છે અને એના દસ્તાવેજોની નકલ દિલ્હીમાં છે. સૂબાએ અકબરને વાત કરી. એણે કહ્યું કે, “દિલ્હીમાં કઈ જગ્યાએ ક્યાં છે, એ કહો તો તપાસ કરવામાં આવશે.”
દેસાઈએ કહ્યું, “જહાંપના, આપને મળેલા દિલ્હીના તખ્તનો જે દસ્તાવેજ તાંબાના પત્રમાં છે એની પાછળ જ મારી જમીનનો દસ્તાવેજ છે.” એ સાંભળતાં જ અકબર હસી પડયો અને એ દેસાઈ પાસે હતી એટલી જ બીજી જમીન એને ઈનામમાં આપી.
(આમાં સમજવાનું એ છે કે રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, જે કોઈ જીતી શકે એ તખ્ત ઉપર બેસી શકે છે અને એ તખ્ત કોઈ પાસે રહેતો નથી. મુઘલો પાસે ચારસો જેટલાં વર્ષો શાસન રહ્યા પછી પણ એ ચાલ્યું ગયું. અંગ્રેજોએ છીનવી લીધું અને એમની પાસેથી પણ એ ચાલ્યું ગયું. કોઈ કાયમી પૃથ્વીપતિ છે જ નહીં.)
* અકબરની જ એક બીજી વાત.
અમદાવાદમાં અકબરનો મુકામ હતો ત્યારે કાઠિયાવાડના એક નાના ગામમાંથી એક વૃદ્ધા અકબર પાસે ફરિયાદ કરવા આવી. એની ફરિયાદ હતી કે એના જુવાન દીકરાએ એને માર મારનાર એક ધનવાન વિરુદ્ધ જમાદારને ફરિયાદ કરી તો જમાદારે એને જ મારી મારીને કોટડીમાં પૂરી દીધો. ફોજદારને ફરિયાદ કરી તો એણે એ સાંભળી નહીં. બાદશાહ અમદાવાદ આવ્યા છે એવું સાંભળીને એ એમને ફરિયાદ કરવા આવી હતી. અકબર એની વાત ધીમેથી સાંભળી રહ્યો હતો. એ જવાબ આપે એ પહેલાં જ અકબરને નમન કરીને એક દરબારીએ વૃદ્ધાને કહ્યું, “બાદશાહ સલામત દિલ્હીમાં રહે છે. એ આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન આપે તો બીજું કામકાજ કરી જ ન શકે.” રાજદરબારમાં હંમેશાં ચમચાઓ હાજર હોય જ છે.
માજી દાઝેલાં હતાં. એમણે કહ્યું, “હું ક્યાં કહું છું કે બાદશાહ સલામત આવું નાનું કામ કરે. દિલ્હીમાં બેઠાં બેઠાં એમનાથી પોતાની વસતીની ફરિયાદ ઉપર ધ્યાન ન આપી શકાતું હોય તો જે કોઈ ધ્યાન આપી શકે એને ગાદી આપી દે.”
હાજર હતા એ બધા સડક થઈ ગયા!
બાદશાહ અકબરે સૂબાને કહ્યું, “માજીના દીકરાને તાત્કાલિક જ છોડી દેવાનો હુકમ કરો. જમાદાર અને ફોજદારને એના હોદ્દા ઉપરથી દૂર કરીને આકરામાં આકરી સજા કરો અને આ ઘરડી સ્ત્રી જીવે ત્યાં સુધીના એના ભરણપોષણની વ્યવસ્થા કરો. આવી ફરિયાદ ફરીથી આવવી ન જોઈએ.”
(દરેક રાજકર્તાઓએ આ વાત યાદ રાખવા જેવી છે. લોકોની વાજબી ફરિયાદ જો એ સાંભળી ન શકે, અમલદારો અન્યાયી વર્તન કરે, તો વહેલા મોડા એનો ભોગ રાજકર્તાએ જ બનવું પડે છે.)
* આજકાલ ફતવાઓ વિશે બહુ લખાય છે. અહીં હું એક ફતવાની વાત કરું છું. લોકો જેમાંથી પીવાનું, નહાવાધોવાનું પાણી ભરતા હતા એ કૂવાઓ હવે લગભગ નકામા થઈ ગયા છે. હવે નળ અને ડંકી થઈ ગયાં છે. આ ફતવાની વાત મસ્જિદમાં અને બીજી જગ્યાએ કૂવા હતા ત્યારની છે.
એક કૂવામાં એક ગલૂડિયું પડી ગયું અને માણસોને એની ખબર પડી ત્યારે તો એ મરી ગયું હતું. એનું શરીર ફૂલીને ફાટી ગયું હતું. પાણીમાં ગંધ આવવા માંડી હતી. લોકો મૌલવી પાસે ગયા અને એ પાણી પાક ક્યારે થઈ શકે એ માટે પૂછયું.
મૌલવીએ કહ્યું કે,”એ કૂવામાંથી બધું જ પાણી કાઢી નાખવાથી કૂવાનું પાણી પાક થઈ જશે. એ વખતે પાણી ખેંચવા માટે એન્જિનનો ઉપયોગ થતો નહોતો. ઘડાથી પાણી ખેંચવામાં આવતું હતું. એટલે લોકોએ ઘડે ઘડે કરીને કૂવામાંથી બધું પાણી ખેંચી લીધું, નવી સરવાણીઓ આવી ને કૂવો ભરાઈ ગયો, પરંતુ કૂવાના પાણીમાંથી ગંધ દૂર ન થઈ. લોકોએ મૌલવી પાસે જઈને વાત કરી એટલે મૌલવીએ ફરી પાણી ઉલેચી લેવાનું કહ્યું. ફરી પાણી ઉલેચી લીધું, ફરી કૂવો ભરાવા લાગ્યો. પાણીમાંથી ગંધ દૂર ન થઈ તે ન જ થઈ. મૌલવીને નવાઈ લાગી. એમણે પ્રશ્ન કર્યો, “કૂવામાંથી મરી ગયેલાં ગલૂડિયાને તો કાઢયું છે ને કે પાણી જ ઉલેચ્યા કરો છો?”
હાજર હતા એ લોકો એક બીજા સામે જોવા લાગ્યા. ગલૂડિયું તો કોઈએ કૂવામાંથી કાઢયું જ નહોતું.
(રાજકારણ કે સમાજમાંથી મૂળ ગંદકી દૂર કર્યા વિના એને શુદ્ધ કરવાની ચર્ચા એ માત્ર એકબીજા ઉપર દોષ ઢોળવાથી વિશેષ કશું જ નથી.)
* આજે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો થાય છે, ત્યારે રાજકર્તાઓને ઉપયોગી થાય એવી એક વાત, શેખ સાદીના બુસ્તાન (બોસ્તાન)માંથી અહીં નોંધું છું.
ઈરાનનો શહેનશાહ દારાયસ એક વાર શિકારે ગયો હતો ત્યારે એના કાફલાથી છૂટો પડી ગયો. એને જોઈને એક માણસ દોડતો એના તરફ આવ્યો. દારાયસને થયું કે એને એકલો જોઈને એના તરફ આવનાર માણસ દુશ્મન જ હોવો જોઈએ. તરત જ પોતાના ધનુષ ઉપર તીર ચડાવીને એણે પણછ ખેંચી આવનાર માણસે બૂમ મારી “હું દુશ્મન નથી. મને મારશો નહીં. હું તો તમારા ઘોડાઓનો રખેવાળ છું અને આ વીડમાં એને ચરાવું છું.”
દારાયસે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરી, હસીને કહ્યું, “ઈશ્વરે તને બચાવ્યો નહીં તો આજે તું મારા તીરનો ભોગ બની જાત.”
એ માણસ શહેનશાહના ઘોડાઓનો મુખ્ય રખેવાળ હતો. એણે હાથ જોડીને કહ્યું, “શહેનશાહ, માફ કરજો, પરંતુ જે રાજા પોતાનો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એ જાણી ન શકે તે જરૂર ખત્તા ખાય છે. આપે મને ઘણી વાર જોયો છે અને ઘોડાઓ વિશે પૂછપરછ કરી છે. છતાં આપ મને ઓળખી ન શકયા. આપના હજારો ઘોડામાંના દરેક ઘોડાને હું ઓળખી શકું છું.
એ સાંભળી દારાયસ વિચારમાં પડી ગયો ઘોડાના રખેવાળની વાત ખોટી નહોતી.
(જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે.)
શેખ સાદીનાં બે વિખ્યાત પુસ્તક ‘ગુલિસ્તાન’ અને ‘બુસ્તાન’ (બોસ્તાન)માં સામાન્ય માણસથી લઈને રાજકર્તાઓ, દરવેશો, ઉમરાવો અને ગરીબો બધાને ઉપયોગી થાય એવી કથાઓ અને કાવ્યો છે. એની વાત ક્યારેક કરીશું.
* હવે હું એક ખેડૂતની વાત કરું છું.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના પિતા ખેડૂત હતા. એમને સ્થળાંતર કરવાનું હોવાથી પોતાનું ખેતર વેચી નાખવાની એમણે જાહેરાત કરી. સારા ગ્રાહકની રાહ જોવા લાગ્યા, પરંતુ એવો ગ્રાહક તરત મળ્યો નહીં એટલે એ પોતાનું ખેતર ખેડવા લાગ્યા.
એમને ખેતર ખેડતાં જોઈને એક માણસે પૂછયું, “કાકા, તમે ખેતર વેચી નાખવા માંગો છો એ વાત સાચી છે?”
“હા” ખેતર ખેડતાં ખેડતાં એમણે માથું હલાવ્યું.
“તો પછી ખેતર ખેડવાની મહેનત શા માટે કરો છો?”
પ્રમુખ લિંકનના પિતાએ કહ્યું, “હું ખેતર વેચવાની વાત મારા ખેતરને કહેવા નથી માંગતો.”
(આ વાત ઘણું કહી જાય છે. પ્રમુખ લિંકનમાં એમના પિતાનો આ ગુણ બરાબર ઊતર્યો હતો. પોતાના સામે આવેલું કામ એ ક્યારેય કર્યા વિના છોડતા નહોતા.)
* હવે મેં સાંભળેલી એક કાગડાની વાત.
એક પ્રદેશમાં એક વાર દુષ્કાળ પડયો. દુષ્કાળમાં પશુ પક્ષીઓ પણ મરવા લાગ્યાં. એ વખતે એક કાગડાએ એક શિવાલયમાં મુકામ કર્યો. દુષ્કાળમાં પણ ભારતના માણસો ધર્મ કર્મ કરવાનું છોડતા નથી. લોકો મંદિરમાં જતા અને કોઈ ને કોઈ ખાવાનું કે રોકડ મૂકી જતા. કાગડો એ ખાવાનું ખાઈને જીવવા લાગ્યો.
ઉનાળો પૂરો થયો. વરસાદ થયો. દુષ્કાળ પૂરો થયો. હવે કાગડો અકળાવા લાગ્યો. હવે મંદિરમાં રહીને ટુકડા ખાવાની જરૂર નહોતી. દરરોજ એ ભગવાનની મૂર્તિ પર ચરકવા લાગ્યો. એને હતું કે ભગવાન એના ઉપર નારાજ થશે તો એ બહાને એનો આશરો છોડીને પોતે ઊડી જઈ શકશે, પરંતુ એવું બન્યું નહીં એટલે એક દિવસ મંદિરમાં કોઈ નહોતું ત્યારે એણે ભગવાનને કહ્યું, “હું રોજ તમારા ઉપર ચરકું છું એટલે તમને નહીં ગમતું હોય એ હું જાણું છું. તમે મને શાપ આપો તો હું અહીંથી જવા માંગું છું.”
“અરે, કાગડાભાઈ” ભગવાને કહ્યું, “તમે ચરકો છો એ તો મને ગરમ હૂંફાળું લાગે છે.”
“એમ? મારું ચરક તને ગરમ લાગે છે?” કાગડાએ કહ્યું, “તો હવે જેનું ચરક ઠંડું લાગે એને બોલાવજે” એમ કહીને એ ઊડી ગયો.
(આ બાબતમાં વિશેષ કશું લખવાની જરૂર નથી. જેને આ બંધબેસતું લાગે એણે એ ઓઢી લેવું, અને પોતાની જાતને સુધારવા જેવું લાગે તો સુધારવી. જેને ન લાગે એનું શું કહી શકાય?)
-

કેલિડોસ્કોપ  મોહમ્મદ માંકડ


શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

લિંકનના સુવિચારો


- જીવનભર કાંટા દૂર કરીને, જ્યાં પણ ફૂલ ઊગી શકે તેમ હોય ત્યાં તે છોડ વાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.
- હું કોઈનો ગુલામ થવાનું પસંદ ન કરતો હોઉં તો મારે કોઈના માલિક થવાનું પસંદ ન કરવું જોઈએ.

- જો શાંતિ ચાહતા હો તો લોકપ્રિયતાથી દૂર રહો.

- પગ મૂકતી વખતે યોગ્ય જગ્યાએ મૂકો છો કે નહીં તેની ખાતરી કરો. પછી મક્કમ થઈને ઊભા રહો.

- કોર્ટ કજિયા નિવારવાનો પ્રયત્ન કરો. પાડોશીઓ વચ્ચે સુલેહ કરાવવાનું પસંદ કરો. વકીલોએ સુલેહ કરાવીને શાંતિ સ્થાપવાનું કામ કરવું જોઈએ. તોપણ એમની વકીલાત સારી રીતે ચાલશે.

- ચારિત્ર્ય વૃક્ષ જેવું છે. પ્રતિષ્ઠા એનો પડછાયો છે. છતાં આપણે પડછાયાનો જ વિચાર કરીએ છીએ.

- પોલિટિશિયનો (રાજકારણીઓ) ધારે છે એ કરતાં લોકો સત્યની વધુ નજીક હોય છે.

- જ્યારે કોઈને હું મારો મિત્ર બનાવું ત્યારે હું શું એક શત્રુનો નાશ નથી કરતો?

- એવા નિશ્ચય સાથે આપણે ખડા છીએ કે લોકોની, લોકો દ્વારા ચાલતી, લોકો માટેની આ સરકારનું આ રાષ્ટ્ર ધરતી ઉપરથી નાશ ન પામે. (વિશ્વવિખ્યાત ગેટિસબર્ગના પ્રવચનમાંથી)

- અમેરિકા જો પોતે પોતાનો વિનાશ નહીં કરે તો બહારની કોઈ શક્તિ તેનો નાશ નહીં કરી શકે.



શુક્રવાર, 11 માર્ચ, 2011

ન્યાયતંત્ર, ગુનેગાર અને સજા!




સુપ્રીમ કોર્ટે હમણાં ખેદ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર માટે બજેટમાં સરકારે એક ટકા કરતાં પણ ઓછી ફાળવણી કરી છે. કોઈ પણ સરકાર મજબૂત ન્યાયતંત્ર ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી સાથે સુસંગત થાય એવી ટોલ્સ્ટોયની એક અમર વાર્તા છે. ન્યાયતંત્ર અને એના અમલ માટે પૂરતા ખર્ચની જોગવાઈ ન હોય ત્યારે ન્યાયની કેવી વલે થઈ જાય છે એ એમની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.

વાર્તા માટેની જરૂરી પાર્શ્વભૂમિ માટે મોનાકો નામના ખૂબ જ નાનકડા દેશને પસંદ કરીને ટોલ્સ્ટોયે આ વાર્તા લખી છે. વાર્તા લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં લખાયેલી છે.

આજે પણ મોનાકો એક સ્વતંત્ર નાનકડો દેશ છે, જ્યાં તેના પ્રિન્સનું રાજ ચાલે છે. દેશનો વિસ્તાર માત્ર બે ચોરસ કિલોમીટર જેટલો છે અને વસતિ પૂરી તેત્રીસ હજારની પણ નથી. ફ્રાંસની સરહદે આવેલા આ દેશની રાષ્ટ્રભાષા પણ ફ્રેંચ જ છે.

વાર્તામાં ટોલ્સ્ટોયે એ વખતના મોનાકો રાજ્ય વિશે લખ્યું છે કે એ નાનકડા રાજ્યમાં પણ બીજાં મોટાં રાજ્યો જેવી જ બધી વ્યવસ્થા હતી. રાજા હતો. પ્રધાનો હતા. રાજદરબાર પણ ભરાતો હતો. ધર્માધિકારી પાદરી હતો અને લશ્કર પણ હતું. જોકે, લશ્કરમાં માત્ર સાઠનું જ સંખ્યાબળ હતું. કાયદાઓ હતા અને ન્યાયાલય પણ હતું. વસતી ઘણી ઓછી હતી - માત્ર સાતેક હજાર. રાજ્યના કારોબારને ચલાવવા માટે આવક પણ ઘણી ઓછી હતી. માત્ર દારૂ અને તમાકુ ઉપરનો કર એ જ રાજ્યની મુખ્ય આવક હતી. ખર્ચને પહોંચી વળવા માટે રાજાએ નવો કર નાખ્યા વિના છૂટકો નહોતો. ઘણા મનોમંથનને અંતે રાજાએ જુગારખાનાંઓ (કેસિનો) ઉપર કર નાખીને નવી આવક ઊભી કરી. રાજા જાણતો હતો કે જેમ દારૂ અને તમાકુ ઉપર કર વધારવો એ સારી બાબત નથી એ જ રીતે જુગારખાનાની આવક એ પણ સારી વસ્તુ નથી, પરંતુ પરસેવાની કમાણીથી રાજ્યનો કારોબાર ચાલે એવું નહોતં અને રાજના ઠાઠમાઠ તો એ કમાણી ઉપર સહેજે પોસાય એવા નહોતા. યુરોપના બીજા દેશોમાં એ વખતે જુગારખાનાં ચલાવવાની મનાઈ હતી. એટલે જુગારના શોખીનો જુગાર રમવા માટે મોનાકો આવવા લાગ્યા. રાજાની આવક વધવા માંડી. પરંતુ, એક દિવસ જુગારખાનામાં બે જુગારીઓ ઝઘડી પડયા અને એક જુગારીએ બીજાનું ખૂન કરી નાખ્યું. રાજ્યની પ્રજા શાંતિપ્રિય હતી એટલે અગાઉ ક્યારેય આવો ખૂનનો બનાવ બન્યો નહોતો. ખૂની પર અદાલતમાં ધોરણસર કામ ચલાવવામાં આવ્યું. ખટલો ચાલી જતા ન્યાયાધીશે આરોપીને ગુનેગાર ઠરાવીને દેહાંતદંડની સજા ફટકારી. ગુનેગારને ‘ગિલોટીન’ પર ચડાવી તેનું માથું ધડથી જુદું કરી નાખવું એવો ચુકાદો જાહેર કર્યો. બીજા દિવસે રાજાએ ચુકાદા પર મહોર મારી. હવે મુશ્કેલી શરૂ થઈ, કારણ કે રાજ્ય પાસે તો નહોતું કોઈ વધસ્થળ કે નહોતું શિરચ્છેદ કરવાનું કોઈ સાધન, એટલું જ નહીં શિરચ્છેદ કરી શકે તેવો કોઈ અનુભવી જલ્લાદ પણ રાજ્ય પાસે નહોતો.

પ્રધાનોની સલાહ મુજબ રાજાએ ફ્રાંસને ગિલોટીન અને જલ્લાદ ભાડે આપવા માટે લખ્યું. ફ્રાંસે જવાબમાં લખ્યું કે તે મશીન અને જલ્લાદ મોકલી આપશે, પરંતુ એ બદલ ૧૬૦૦૦ ફ્રાંકનો ચાર્જ થશે. પત્ર રાજાને બતાવવામાં આવ્યો એટલે રાજાએ પ્રધાનોને કહ્યું કે જો આવા કામમાં આપણે સોળ હજાર ફ્રાંક ખરચી નાખીશું તો દરેક નાગરિક પાસેથી વધારાના બબ્બે ફ્રાંક કર પેટે વસૂલ કરવા પડશે. પણ એથી તો લોકોમાં ઘણો અસંતોષ થશે એટલે આ માટે કોઈક ઓછો ખર્ચાળ ઉપાય શોધી કાઢો.

એક પ્રધાનની સલાહ મુજબ પાડોશી દેશ ઈટાલીને પણ, ફ્રાંસને લખ્યો હતો એવો જ પત્ર લખવામાં આવ્યો. ઈટાલીએ જવાબમાં લખ્યું કે મશીન તથા જલ્લાદના ખર્ચ ઉપરાંત મશીનને લાવવા-લઈ જવાનું ભાડું તથા જલ્લાદના આવવા જવાનું ભાડું, બધું મળીને કુલ ખર્ચ ૧૨૦૦૦ ફ્રાંક થશે.

આ ખર્ચ પણ રાજાને ઘણો વધારે લાગ્યો. એક પ્રધાને સૂચન કર્યું કે માણસને મારી જ નાખવો છે તો એમાં ‘ગિલોટીન’અને જલ્લાદની શી જરૂર? રાજ્યના કોઈક સૈનિકને જ એ કામ સોંપી દેવું જોઈએ. ખોટા ખર્ચથી બચવા માટેનું આ સૂચન સારું હતું. સૈન્યના વડાને બોલાવવામાં આવ્યા અને અદાલતના ચુકાદાનો અમલ કરવા માટે માણસનું માથું ધડથી અલગ કરી શકે એવા એક સૈનિકની માંગણી કરવામાં આવી. સૈનિકો આવું કામ સરળતાથી કરી શકે છે, કારણ કે એમને તો હિંસાની જ તાલીમ આપવામાં આવે છે. સૈન્યના વડાએ સૈનિકો સાથે વાત કરી પણ એકેય સૈનિક આ કામ કરવા તૈયાર ન થયો. સૈનિકોએ કહ્યું કે તેમને લડવાની તાલીમ આપવામાં આવે છે, પરંતુ આજ સુધી તેઓ કોઈ લડાઈ લડયા નથી એટલે આ કામ તેઓ કરી નહીં શકે.

સૈન્યના વડાએ પ્રધાનોને કહી દીધું કે તેમની જરૂરિયાત પૂરી કરી શકે તેવો એક પણ સૈનિક લશ્કરમાં નથી. મૂંઝવણના ઉકેલ માટે બધાએ મળીને એવો રસ્તો કાઢયો કે ગુનેગારને દેહાંતદંડને બદલે જન્મટીપની જ સજા કરવી. સજા હળવી કરવાથી રાજા દયાળુ ગણાશે અને ખર્ચમાંથી બચી જવાશે.

રાજ્યનો ખર્ચ ઓછો થાય એવા કોઈ પણ સૂચનનો અમલ કરવા રાજા તો તૈયાર જ હતો. એણે ખૂનીની સજા ઘટાડી દીધી.

હવે બીજી મુશ્કેલી આવી. રાજ્યમાં જન્મટીપના ખૂનીને રાખી શકાય એવી જેલ નહોતી. એક કોટડીમાં જેલ ઊભી કરી દેવામાં આવી. ચોકીદારને બેસાડી દેવામાં આવ્યો અને કેદી માટે જેલમાં સવાર-સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

આમ ને આમ એક વરસ પસાર થઈ ગયું. રાજાએ હિસાબ જોયો. ભાડું, ભોજન, ચોકીદાર વગેરેનો ખર્ચ છસ્સો ફ્રાંકથી વધુ થઈ ગયો હતો. અને કેદી તો એવો હટ્ટોકટ્ટો હતો કે હજી કેટલાં વર્ષ કાઢશે એ કહી શકાય એમ નહોતું! કેદીની જન્મટીપની સજા પણ રાજાને ફાયદાકારક ન લાગી એટલે રાજાએ પોતાના પ્રધાનોને બીજો ઈલાજ શોધવાનું કહ્યું.

ત્રણ-ચાર મિટિંગ પછી એક પ્રધાને સૂચવ્યા પ્રમાણે ચોકીદારને છૂટો કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું જેથી તેનો ખર્ચ બચી જાય અને એમ કરતાં જો કદી ભાગી જાય તો વધારે સારું. એનો ખર્ચ પણ બચી જાય!

પરંતુ ભાગી જવાની પૂરી સગવડ હોવા છતાં કેદી ભાગી તો ન ગયો પણ જમવાના સમયે જેલમાંથી પોતાની જાતે બહાર નીકળીને સરકારી રસોડામાં જમી આવ્યો અને જેલમાં પાછો આવી ગયો. કેદીએ રોજ આમ કરવા માંડયું. હવે રાજા અને એના પ્રધાનો બધા મૂંઝાયા.

કેદી ભાગી જાય એવું લાગતું નહોતું. એટલે એને ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે, “અમે તને રાખવા માગતા નથી. તને ગમે ત્યાં તું ભાગી જઈ શકે છે!”

જવાબમાં થોડો વિચાર કરીને કેદીએ સામો પ્રશ્ન કર્યો કે, “હુ જેલ છોડી દઉં તો રહેવા ક્યાં જાઉં? શું કરું તમે મને ફાંસીની સજા કરી એટલે મારી તો આબરૂ ધૂળમાં મળી ગઈ. લોકોમાં મારી ઈજ્જત રહી નથી. આટલો સમય કેદમાં રહ્યો એટલે હવે મને કામકાજ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તમે મને દેહાંતદંડની સજા કરી તો પછી તમારે મને ગિલોટીન પર ચડાવી દેવો હતો. તમે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. સવાર-સાંજનું મારું ખાવાનું લાવનાર ચોકીદારને પણ તમે છૂટો કરી દીધો. અત્યારે મારે જાતે જ સરકારી રસોડે જવું પડે છે. હવે તમારી ઇચ્છા એવી છે કે મારે ભાગી જવું, પરંતુ હું જેલ છોડીને ક્યાંય ભાગી જવાનો નથી. તમારે જે કરવું હોય તે કરો.”

આખરે થાકીને પ્રધાનો અને રાજાએ તેને છસ્સો ફ્રાંકનો વાર્ષિક દરમાયો બાંધી આપવાનું નક્કી કર્યું, જો એમ કરતાં પણ એ બલાથી છુટાતું હોય તો!

કેદી પણ ઓછો નહોતો. વાટાઘાટને અંતે રાજ્ય પાસેથી ત્રીજા ભાગની રકમ તેણે એડવાન્સમાં લીધી. અને જીવે ત્યાં સુધી એને નિયમિત વર્ષાસન મળશે એવી બાંયધરી પણ તેણે રાજ્ય પાસેથી લીધી.
જેલ છોડીને કેદી બાજુના રાજ્યમાં ચાલ્યો ગયો. મોનાકો રાજ્યે આપેલા પૈસામાંથી સરહદ પાસે જ થોડી જમીન ખરીદીને, ખેતી કરીને એ રહેવા લાગ્યો. હા, મોનાકો રાજ્ય તેને જે વર્ષાસન આપે છે તેમાંથી મોનાકોના જુગારખાનામાં ત્રણ-ચાર ફ્રાંક હજુએ એ હોડમાં મૂકીને ક્યારેક હારે છે કે ક્યારેક જીતે છે!
ટોલ્સ્ટોય છેલ્લે એમ લખે છે કે “એ માણસ એટલો નસીબદાર હતો કે ખર્ચની પરવા ન હોય એવા (મોટા) દેશમાં તેણે ગુનો કર્યો નહોતો.”

હવે વિચારવાનું એ છે કે જે દેશ પાસે ન્યાયતંત્ર હોય, એમાં વર્ષો સુધી કેસ ચાલતા હોય અને કેદીઓને સાચવવા માટે પૂરતો ખર્ચ કરવાની સગવડ હોય અને કરવેરા નાખવા માટે ‘બજેટ’ જેવું સાધન હોય, એ દેશમાં ન્યાયતંત્ર અને ગુનેગારની સ્થિતિ કેવી હોય?

રવિવાર, 26 ડિસેમ્બર, 2010

તમારામાં દુઃખ સહન કરવાની જેટલી શક્તિ એટલા તમે સુખી

આપણે દિવસે દિવસે વધુ ને વધુ આળા થતા જઈએ છીએ. આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. અગાઉ આવી નાની નાની તકલીફોને બહુ સહજ રીતે સ્વીકારી લેવામાં આવતી હતી. કુટુંબમાં નાની મોટી બોલાચાલી થાય તો એને, ‘વાસણ સાથે પડયાં હોય તો ખખડે’, એમ કહીને સ્વીકારી લેતા. પતિ-પત્ની વચ્ચેનાં કે માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં રિસામણાં મનામણાં સામાન્ય હતાં. ભાગીદારો વચ્ચે કુમેળ થાય તો સુમેળ કરાવવાવાળા અનેક માણસો નીકળી આવતા. કોર્ટે ચડવાની સલાહ ભાગ્યે જ કોઈ આપતા. માણસ માણસ વચ્ચે મનદુઃખ થતું, પણ એથી જિંદગીનું સમગ્ર સુખ છીનવાઈ ગયું છે એવું કોઈને લાગતું નહોતું. માણસો તરફ કડવાશ થતી અને ધોવાઈ જતી, પણ જિંદગી તરફ ભાગ્યે જ કડવાશ થતી. આજના માનવીને તો જિંદગી આખી જ કડવી લાગે છે.

આજનો માણસ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે, ટેન્શન અનુભવે છે અને ન કરવાનું કરી બેસે છે. આધુનિક માનવી એ સ્વીકારવા જ તૈયાર નથી કે અમુક દુઃખો જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલાં છે. વાત વાતમાં એ કોર્ટે ચડે છે, પાડોશીઓ સાથે અને સહકાર્યકર્તાઓ સાથે ઝઘડાઓ કરે છે. ભાગીદારો સાથે વાંધાઓ પાડે છે, દુનિયા આખીને નફરત કરે છે. ટેન્શન દૂર કરવા માટે ટીકડીઓ ખાય છે, અનેક સુખ-સગવડો વચ્ચે આપઘાત પણ કરે છે.

આધુનિક માનવીમાં બીજા સાથે સહકારથી જીવવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. સહકારથી જીવવા માટે માણસે કેટલુંક જતું કરવું પડે છે. કેટલુંક ભૂલી જવું પડે છે. આજના માનવીને એ ગમતું નથી, પરંતુ બીજી બાજુ માણસ સમાજમાં જીવે છે એટલે એકબીજા સાથે સહકાર અને સમાધાનથી જીવવાનું એના માટે અનિવાર્ય હોય છે. આવી નાનીનાની વાતોમાં એને લાગી આવે છે અને પડેલા ઘાને એ સતત કોતર્યા કરે છે અને એની સીધી ખરાબ અસર એના સહજીવન ઉપર પડે છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી કટોકટીભરી સ્થિતિમાં લગ્નસંસ્થા આવી ગઈ છે. ગૃહકંકાસ અને લગ્નજીવનને લગતા અસંખ્ય કેસો કોર્ટોમાં પડયા છે. જેમાં સહકાર અને પ્રેમની જરૂર છે ત્યાં કાયદો લડાવવામાં આવે છે. લાગણી અને પ્રેમના પ્રશ્નો કાયદો ઉકેલી શકતો નથી.

અગાઉની જિંદગી અનેક અછતોથી ઘેરાયેલી હતી. સાધનોનો મોટો અભાવ હતો. પુરુષો સવારથી કામે લાગી જતા. પગે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા. અનેક હાડમારીઓ વેઠીને જીવતા, પણ જિંદગી તરફ તેમને વારંવાર કંટાળો આવી જતો નહોતો, યુવાનો અવારનવાર ડિપ્રેશનમાં ડૂબી જતા નહોતા, આજે સુખી કુટુંબના માણસો ખાલીપો અનુભવે છે એવો ખાલીપો પણ એ અનુભવતા નહોતા.

અગાઉની સ્ત્રીઓ તો કદાચ પુરુષો કરતાંય વધારે હાડમારીવાળું જીવન જીવતી હતી. સ્ત્રીઓ વહેલા ઊઠીને દળણું દળતી, છાશ કરતી, રોટલા ઘડતી, ઢોર દોહતી અને વાસીદું પણ કરતી, છતાં એનાથી દુઃખી થઈને કૂવામાં કે તળાવમાં પડતું મૂકતી નહોતી.

એ વખતે બધું સારું હતું એમ કહેવાનો આશય નથી પણ માણસો એ વખતે વધારે ખમતીધર હતા. સ્ત્રીઓ એ વખતે પણ આપઘાત કરતી, પણ એનાં કારણો વધારે વજૂદવાળાં હતાં. વાત વાતમાં એ અંતિમ પગલું લેવા ઉશ્કેરાતી નહોતી. એ લોકો આપણા જેટલી સગવડો ભોગવતા નહોતા, પણ જે કાંઈ સગવડો એમને ઉપલબ્ધ હતી તે બરાબર ભોગવવાની ક્ષમતા એમનામાં હતી.

જો જીવનની નાનકડી તકલીફોને આપણે સ્વાભાવિકતાથી સ્વીકારી લેતા નહીં શીખીએ કે જીવનનાં નાનકડાં દુઃખોનો સામનો કરવાનું પણ જો આપણે ટાળતાં રહીશું તો મોટાં દુઃખો સામે ઝઝૂમવાની શક્તિ તો આપણે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકીએ.

આપણે જાણીએ છીએ કે જીવવા માટે જીવમાત્રમાં અમુક પ્રતિકારશક્તિ જરૂરી છે અને એ શક્તિ યોગ્ય માત્રામાં દુઃખનો કે કઠિનાઈઓનો સામનો કર્યા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. એક માણસને જિંદગીનાં પચાસ વર્ષ સુધી કદી સામાન્ય તાવ કે માંદગી આવ્યાં નહોતાં. એક દિવસ ઓચિંતો જ તેને તાવ આવ્યો અને ડોક્ટર નિદાન કરે એ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું. તેની મરણોત્તર તપાસ કરતાં જાણવા મળ્યું કે તેને આવેલ તાવ તો સામાન્ય પ્રકારનો જ હતો, પરંતુ એ માણસમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ જ નહોતી.

મોજમજા પાછળ પડેલા આપણે નાનકડી અડચણો, હાડમારીઓ કે નાની મોટી તકલીફોનો વિચાર કર્યા કરીએ છીએ, પરંતુ જીવનને વધુ માતબર બનાવવા માટેની પ્રતિકાર શક્તિનો વિચાર કરતા નથી.

સુખ મેળવવા માટે માણસે અમુક મુશ્કેલીઓ સહન કરવાનું જરૂરી હોય છે. અમુક દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ એણે કેળવવી પડે છે.

જિંદગીને આપણે સંપૂર્ણ રીતે દુઃખ અને પીડારહિત બનાવવાની કોશિશમાં પડયા છીએ, પરંતુ નવજાત શિશુને જન્મ આપતી માતાએ અમુક દુઃખ સહન કરવું પડે છે અને દરેક બાળકે દરેક મનુષ્યે જન્મ સમયે દુઃખમાંથી પસાર થવું પડે છે. એ દુઃખ એને અસહ્ય લાગે એવું હોય છે, પરંતુ એમાંથી પસાર થયા વિના જીવનના સુખ સુધી એ પહોંચી જ નથી શકતો. અને દરેક નવી પરિસ્થિતિ મનુષ્ય માટે નવો જન્મ હોય છે. દરેક સાચું સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખની કઠિનાઈઓમાંથી તેણે પસાર થવું જ પડે છે.

બાળક બેસતાં શીખે, ચાલતાં શીખે ત્યારે તેના માટે પડવા-આખડવાનું સામાન્ય હોય છે, બલકે અનિવાર્ય હોય છે. તે પડે છે, આખડે છે, છોલાય છે, ઘવાય છે, રડે છે. જીવનમાં પહેલા ડગલાં માંડતી વખતની આ તેની તાલીમ હોય છે. આપણે પડવા આખડવાથી તેનો બચાવ કરવા માટે ચાલણગાડી જેવાં સાધનો તેને આપીએ તો એમાં કશું ખોટું નથી. પીડારહિત પ્રસૂતિ કે સરળતાથી ચાલતા શીખવાની ક્રિયામાં કશું ખોટું નથી. તેમ કરવું જ જોઈએ પણ તેમ કરવાથી પીડાથી દૂર ભાગવાની વૃત્તિ માણસમાં વધારે જોર કરી ન જાય તે પણ જોવું જોઈએ. બધું સરળ અને સહેલું બનાવી દેવાની આપણી ઘેલછા નવી પેઢીને સાવ પાંગળી ન બનાવી દે એ જોવું પણ જરૂરી છે.

આધુનિક મનુષ્યને ઘણું બધું પ્રાપ્ત કરવું છે પણ કસોટીમાંથી પસાર થવું નથી. કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે એના લાભોનો વિચાર કરીએ અને એની સાથેની જવાબદારીનો વિચાર જ ન કરીએ તો એ કેવું? એમાં રહેલી ફરજો અને કસોટીઓનો વિચાર જ ન કરીએ તો કેવું? કસોટીઓ અને ફરજોથી નાસતા રહેવાથી શું વળે? આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક લાભ સાથે એવડી જ જવાબદારી સંકળાયેલી હોય છે અથવા દરેક સુખ સાથે એવડી જ કસોટી જોડાયેલી હોય છે.

કાચી માટીના ઘડામાં પાણી લાંબો સમય રહી શકતું નથી. ઘડો ફસકી જાય છે. જીવનના જામને ધારણ કરવા માટે ઘડાને ટીપાવું પડે છે અને અગ્નિમાં શેકાવું પડે છે. એ એક અનિવાર્યતા છે. એનાથી દૂર ભાગવાનું નિરર્થક છે.

ઘડા જેવું જ લાકડાનું છે. લાકડાનો ઉપયોગ કરતાં પહેલાં એને તડકામાં રાખવું પડે છે. પછી જ તે સિઝન્ડ બને છે.

દિવસે દિવસે, આપણે ‘સીઝનિંગ’ની આ સહજ પ્રક્રિયાથી દૂર નાસી રહ્યા છીએ. દુઃખમાં સામેથી કૂદી પડવાની જરૂર નથી, પરંતુ જે માણસ જીવનનાં સામાન્ય દુઃખોથી નાસતો જ રહે છે એ જીવનને સારી રીતે જીવી શકતો નથી. કેટલાંક દુઃખો આપણી જિંદગીનો જ એક ભાગ હોય છે. એનાથી દૂર ભાગનાર માણસ જિંદગીનો ભાર ઉપાડવા માટે ખમતીધર બની શકતો નથી.

સુખના સાગરમાં સતત મહાલતા રહેવાની એષણા જ માણસને પલાયનવાદી અને પાંગળો બનાવી દે છે. માણસે તો જિંદગીના અનેક તડકાછાંયામાંથી પસાર થવાનું છે, એમાં ક્યારેક ચિંતા વિના, ફરિયાદ વિના, ઉશ્કેરાટ વિના થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
Dec 25,2010

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

સુખ એટલે – મોહમ્મદ માંકડ

સુખની વ્યાખ્યા કોઇ એ આ રીતે આપી છે : “સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા.”

સુખ વિશે આવી માતબર, આવી સુદંર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી કોઇ વસ્તુ હોય તો તે આવી જ કોઇક વસ્તુ હોઇ શકે. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. છતાં જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઉંડો અનુભવ પણ થાય છે એને એ અનુભવ એટલો બધો નક્કર હોય છે કે એના માટે એ ફરી ફરી ને ઝંખ્યા કરે છે.

પરંતુ જેના માટે એ આટલું ઝંખે છે એ સુખ ખરેખર એને કોઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેમ છે ખરું ? તત્વનું ચિંતન કરનારા કેટલાક વિદ્વાનો માને છે – માનવીનું જીવન સંપૂર્ણપણે દુઃખમય જ છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.

બીજી તરફ કેટલાક ચિંતકો માને છે કે , જીવનની દરેક ક્ષણ સુખથી જ ભરેલી હોય છે, પરંતુ માનવી એનો અનુભવ કરવાને બદલે ભુતકાળનાં સ્મરણોમાં અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાઇને વર્તમાનની અમુલ્ય ક્ષણોને વેડફી નાખે છે. એટલે, જે માણસ સંપુર્ણપણે વર્તમાનની ક્ષણોમાં જ જીવે છે તે આનંદ અને સુખનો અનુભવ કરી શકે છે. તેનુ જીવન પુરી રીતે સુખમય હોય છે. જોકે, સામાન્ય રીતે કોઇ પણ માનવી માટે આ રીતે જીવવાનુ શક્ય હોતું નથી. માણસ પોતાના ભૂતકાળની પકડમાંથી અને ભવિષ્યની કલ્પનાઓમાંથી પૂરી રીતે છૂટી શકતો નથી. એટલે સામાન્ય રીતે, સામાન્ય માણસનું જીવન સુખ અને દુઃખની ઘટમાળ જેવું હોય છે.

આવી સ્થિતિમાં તે વધુમાં વધુ સુખ કઇ રીતે પ્રાપ્ત કરી શકે, સુખદુઃખની ઘટમાળમાંથી દુઃખની ક્ષણોને કઇ રીતે ઓછી કરી શકે, સુખની ક્ષણોને કઇ રીતે માણી શકે એજ વિચારવાનુ રહે છે અને એનો વિચાર કરતી વખતે સુખ એ ખરેખર શું છે,કઇ રીતે પ્રાપ્ત થઇ શકે છે, એ બાબતમાં માણસે કઇ રીતે વર્તવુ જોઇએ એનો નિર્દેશ સુખ વિશેની ઉપરની વ્યાખ્યામાં આપેલ છે.

“સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા”

આ નાનકડું વાક્ય સુખ વિશે ઘણી મહત્વની વાતો કહે છે. પહેલું તો સુખ એ પ્રાપ્ત થઇ શકે એવી વસ્તુ છે. પરંતુ એ કોઇ તૈયાર વસ્તુ નથી. તમારે એનુ સર્જન કરવું પડે છે. એનો કાચો માલ- રો મટીરિયલ- તમારી પાસે છે, પરંતુ એ ફૂલોમાંથી ગજરાનું સર્જન તમે કરો ત્યારે જ તમને સુખનો અનુભવ થાય છે અને એ સર્જન તમારે કલાત્મક રીતે કરવાનુ છે. જેટલી કલા તમે તેમાં રેડી શકો એટલું વધુ સુખ, વધુ આનંદ તમે પામી શકો. જાપાનમાં છોકરીઓને ફૂલોની ગોઠવણી શીખવવામાં આવે છે. એ જ રીતે માણસ પણ પોતાની પાસે જે હોય તેને વિવિધ પ્રકારે ગોઠવીને તેમાંથી વિવિધ પ્રકારનો આનંદ માણી શકે છે.

ઉપર્યુક્ત વ્યાખ્યા કહે છે કે, તમારે માત્ર તમારી પાસે જે ફૂલો હોય એની જ ગોઠવણ કરીને સૌંદર્ય ઉત્પન્ન કરવાનું છે અને આનંદ માણવાનો છે. આમાં ‘તમારી પાસે જે ફૂલો હોય’ એ શબ્દો બહુ અર્થસભર છે. એમાંથી મુખ્ય બે વાત આપણે શીખવાની છે. એક તો, આપણી પાસેનાં ‘ફૂલો’ નો જ વિચાર આપણે કરવાનો છે. ફૂલો સિવાય પણ આપણી પાસે ઘણું હોવાનું – કચરો હોવાનો, કાંટા હોવાના- પરંતુ તેનો ઉપયોગ આપણે કરવાનો નથી. આપણે તો માત્ર ફૂલોમાંથી જ ગજરો બનાવવાનો છે. સુખ પામવા માટે આપણે માત્ર, આપણી પાસે જે કાંઇ સારું છે, સુખ ઉત્પન્ન કરી શકે તેવું છે, એને જ અલગ તારવી લેવાનું છે અને એમાંથી જ ગજરો બનાવવાની કોશિશ કરવાની છે. આપણા દુઃખો નો, કડવાશનો, આઘાતોનો વિચાર કર્યા કરવાનો નથી. જો સુખી થવુ હોય તો માત્ર ‘ફૂલો’ નો જ વિચાર કરવાનો છે અને બીજી વાત એ છે કે એ ‘ફૂલો’ પણ ‘તમારી પાસે જે હોય’ એના ઉપર જ મદાર રાખવાનો છે.

સામાન્ય રીતે માણસ પોતાની પાસે જે નથી હોતું એના વિચારો કરીને જ દુઃખી થાય છે. દુઃખની ઉત્પત્તિમાં માણસના મનનું આ વલણ બહુ મોટો ભાગ ભજવે છે. મારી પાસે એક કાર છે, પરંતુ મારા પાડોસી પાસે ત્રણ ચાર કાર છે. મારી પાસે સરસ મકાન છે, પરંતુ મારા ભાગીદાર પાસે બે મકાન છે. પરિણામે હુ દુઃખી છું. મારી કારમાં બેસતી વખતે મારા પાડોશીની સ્થિતિ મને ખટકે છે. મારા રેડિયોગ્રામ પર હું સંગીતનો આનંદ માણી શકતો નથી. મારાં ઘરમાં મને નિરાંત મળતી નથી, કારણ કે બીજાના બે બંગલાનો ભાર મારા હૃદય પર ખડકાઇ જાય છે.

આપણી પાસે સુખી થવા માટે પૂરાં સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ કે ઉપભોગ કરવાને બદલે આપણે બીજાઓ પાસે કેટલું વધારે છે તેનો જ વિચાર કરીએ છીએ અને એ વિચારો આપણું સુખ હરી લે છે.

અને જે પાડોશી, જે સગાંવહાલાં, જે ભાગીદાર વિશે વિચારીને આપણે દુઃખી થતા હોઇએ છીએ એ લોકોને કોઇક બીજી વસ્તુઓની ખોટ પીડા આપતી હોય છે. દરેક માનવી પોતાની પાસે જે નથી હોતું તેના વિચારો કરીને જ દુઃખી થાય છે.

આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જેમાં દરેક માણસ વધુ ને વધુ ઝડપથી દોડી રહ્યો છે. બીજા કરતાં તે આગળ નીકળી જવા માગે છે, પરંતુ પોતે ક્યાં જઇ રહ્યો છે તેની તેને ખબર નથી. જીવનની એવી દોડમાં તે ફસાયો છે, જેમાં દોડ્યા વિના તેને છૂટકો જ નથી. અનેક વસ્તુઓ તે પ્રાપ્ત કરતો જાય છે અને ખડકતો જાય છે – પૈસા, આબરુ, એવૉર્ડ, સુખસગવડનાં સાધનો, પણ એનો ઉપભોગ કરવાની એને નવરાશ નથી. જે કાંઇ એ કરે છે એ દોડતાં દોડતાં જ કરે છે અને ‘દોડ’ ના એક ભાગ રૂપે જ કરે છે. પરિણામે સુખસગવડનાં જે સાધનો – જે ફૂલો – એણે એકઠાં કર્યાં હોય છે એ કરમાતાં જાય છે, વાસી થઇ જાય છે, બેકાર બની જાય છે; એમાંથી કોઇ પુષ્પગુચ્છ સર્જન થઇ શકતું નથી. અને એટલે તેને કોઇ આનંદ, કોઇ સુખ પણ મળી શકતું નથી.

કારણ કે સુખ તો એ ફૂલોમાંથી કલાત્મક રીતે પુષ્પગુચ્છ તૈયાર કરવાની ક્રિયામાં રહેલું છે. સુખ એ કોઇ નિષ્ક્રિય વસ્તુ નથી. એના માટે માણસે પોતે સક્રિય બનવું પડે છે.

‘અન્ના કેરેનીના’ માં ટૉલ્સ્ટૉયે લેવીનના સુખનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે. કિટી સાથેના એના લગ્નની વાત નક્કી થઇ છે અને લેવીન સુખી સુખી થઇ ગયો છે. જ્યાં એ નજર કરે છે ત્યાં સુખ એને ઉભરાતું દેખાય છે. આકાશ વધુ આસમાની બની ગયું છે. પક્ષીઓ વધારે મીઠાશથી ગાય છે. ઘરડો દરવાન એની સામે વધારે પ્રેમથી નજર કરે છે. બધું જ જાણે બદલાઇ ગયું છે. આખી કુદરત ઉપર બધી જગ્યાએ સુખ જાણે છાઇ ગયું છે.

રશિયન ભાષામાં એક કહેવત છે: There is no sickness in man, there is sick man. આ વાત બિમારી કરતાં સુખને વધુ લાગુ પડે છે. માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. આપણા જીવનની અમુક સ્થિતિ ચોક્કસપણે દુઃખદાયક હોય છે. પ્રિયજનનું મૃત્યુ, બિમારી, લગ્નવિચ્છેદ કે પ્રેમવિચ્છેદ, અપમાન, છળકપટ, દગો આપણને સૌને દુઃખ આપે છે; પરંતુ સ્વસ્થ પ્રકૃતિનો માણસ સમય વીતતાં તેમાંથી મુક્ત થઇ શકે છે. બાળક જન્મે છે એ સમયે માતા સાથે એને જોડતી નાળ કાપી નાખવામાં આવે છે. એ ક્રિયા એને અત્યંત પીડા આપે છે. એટલે પીડા સાથે જ માણસ જન્મે છે, છતાં સમય વીતતાં એ પીડા એ ભુલી જાય છે. સુખી થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ પોતાની ભુતકાળની પીડા ભુલી જવી જોઇએ.

સુખ ભુતકાળને યાદ કરવામાં નથી. જે કાંઇ પોતાને મળ્યું નથી એનો અફસોસ કરવો નકામો છે. સુખ ભવિષ્યની યોજનાઓમાં પણ નથી. કારણ કે ભવિષ્ય વિશે કશું જ નક્કી કહી શકાતું નથી. આપણી પાસે જે ન હોય એનો વિચાર કર્યા કરવો અથવા તો એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એમાંથી સુખ મેળવવાની ઇસ્છા કરવી એ નિરર્થક છે. ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા આપણને આપણી પાસે વર્તમાનની જે અમૂલ્ય ક્ષણો છે એનો ઉપભોગ કરતાં રોકે છે. મનનું એવું વલણ જ આપણને દુઃખી કરે છે. જે કાંઇ મેળવવાની ઇચ્છા હોય એ મળે ત્યારે એનો ઉપભોગ કરવાનું વલણ રાખવું ; પણ અત્યારે તો આપણી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની ક્રિયા ચાલુ રાખવી અને એ ક્રિયા કલાત્મક હોવી જોઇએ, અકલાત્મક નહિ. કારણ કે અકલાત્મક – નકારાત્મક ક્રિયાઓ સુખ આપી શકતી નથી અને એક વાત યાદ રાખવા જેવી છે, સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી. કારણ કે જીવન પોતે જ સતત સક્રિય છે.

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.

[1] કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ. જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

[2] એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું : ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

[3] એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા, ‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું, ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.

[4] ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું : ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડોરેસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે, એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

[5] ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી :

(1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો.

(2) માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

(3) સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી.

(4) નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પાડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો.

(5) ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

(6) ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

(7) તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

[6] પ્રાર્થના-1

હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ. બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ. ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

[7] પ્રાર્થના-2

હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે. હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

[8] છેલ્લે…..

થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.