બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

શેર

ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ
પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર

- ચિનુ મોદી “ઇર્શાદ”

તમે કેટલાં લકી છો?

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

છેલ્લો સીન:
Everyone knows how to count but very few know ‘what to count?’

- કૃષ્ણકાંત ઉનડકટ

રોક સકો તો રોક લો

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

સફળ વ્યક્તિ એ છે, જેણે ઊંડી મનોવૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક સમજ કેળવી છે. આજના ઘણા સફળ બિઝનેસમેન સફળતા મેળવવા પોતાના અજાગૃત મનનો સાચો ઉપયોગ કરવા પર ભાર આપે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જાણે એ પહેલેથી જ પૂરો થઇ ગયો હોય! એની સાકાર તસવીર જોઇને અને પ્રાર્થનાનું પરિણામ અનુભવીને એમનું અર્ધજાગૃત મન એ પ્રોજેક્ટ પૂરો કરી દે છે.

કોઇ પણ ઘ્યેયની સ્પષ્ટ કલ્પના કરી શકો, તો એ ચીજ ચોક્કસ તમને મળી શકે. આ ચીજ તમને અર્ધજાગ્રત મનની ચમત્કારી શક્તિ દ્વારા એવી રીતે મળી જશે જેના વિશે તમે કશું નથી જાણતા.

ત્રણ પગલાં

સફળતાનું સૌથી મહત્વનું અને પહેલું પગલું છે જે કાર્ય તમને ગમતું હોય એને શોધવાનું અને એ કરવાનું. એવું કાર્ય જેને તમે પ્રેમ કરતા હો. ભલેને આખી દુનિયા તમને સફળ માનતી હોય પણ તમે પોતે જો મનગમતું કામ નહીં કરતાં હો તો શક્ય છે કે તમે જાતને સફળ ન માનો. કામ ગમતું હોવાથી તે કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય છે. કોઇ યુવતીને મનોચિકિત્સક બનવાની ઇચ્છા છે તો ડિપ્લોમા કરીને સર્ટિફિકેટ દીવાલ પર ટાંગી લેવાથી જ કામ નથી પતી જતું. એ ક્ષેત્રમાં આગળ આવવા માટે એ સેમિનારોમાં ભાગ લેશે અને મગજ તથા એની પ્રવૃતિઓનો અભ્યાસ કરતી રહેશે. એ પોતાનાં ક્ષેત્ર સંબંધિત વિવિધ સામયિક વાંચશે. બીજા શબ્દોમાં કહીએ તો એ સતત નવું નવું જ્ઞાન મેળવતી રહેશે. એનું કારણ છે કે એ દર્દીઓનું હિત તેના માટે સૌથી વધારે મહત્વનું છે.

શક્ય છે કે આ વાંચીને તમે વિચારમાં પડી જશો કે હું તો પહેલું પગલું નહીં ભરી શકું, કારણકે મને તો ખબર જ નથી કે હું શું કરવા ઇચ્છું છું. મને ખબર જ નથી કે મને કયું કામ ગમે છે, એવું કોઇ ક્ષેત્ર છે ખરું જેને હું પ્રેમ કરું છું?

તમારી સ્થિતિ આવી હોય તો આ રીતે પ્રાર્થના કરો: મારા અજાગૃત મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યાએ પ્રકટ થાઓ... આ પ્રાર્થનાને ધીમે ધીમે, પોઝિટિવ રીતે અને પ્રેમથી મન સમક્ષ દોહરાવતા રહો. તમે આસ્થા અને વિશ્વાસ રાખશો તો કોઈને કોઈ સ્વરૂપમાં તમને ચોક્કસ જવાબ મળશે.

સફળતાનું બીજું પગલું. કાર્યની કોઇ વિશિષ્ટ શાખા પર ઘ્યાન કેન્દ્રિત કરવું અને એમાં ઉત્કૃષ્ટ બનવાની ઇચ્છા રાખવી. માનો કે કોઇ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને પોતાના વ્યવસાય તરીકે પસંદ કરે છે, તો પછી એણે પોતાનું પૂરેપૂરું ઘ્યાન એના પર કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાનો બધો સમય તથા શક્તિ એણે પસંદ કરેલા ક્ષેત્ર પર જ કેન્દ્રિત કરવાં જોઇએ. જે-તે ક્ષત્રમાં એકસપર્ટ આ રીતે બનાય. ઉત્સાહને લીધે એ પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરશે, બીજા કરતાં વધારે જાણવાની કોશિશ કરશે. જેમ તેમ આજીવિકા રળવી એવી વ્યક્તિના દ્રષ્ટિકોણ અને આ દ્રષ્ટિકોણમાં બહુ મોટો વિરોધાભાસ છે. ‘જેમતેમ આજીવિકા કમાઇ લેવી’ તે સાચો અભિગમ નથી. તમારાં લક્ષ્ય ઊંચાં, ઉદ્દાત અને પરોપકારી હોવાં જોઇએ.

ત્રીજું પગલું. તમારે એ ચોક્કસ નક્કી કરી લેવું જોઇએ કે તમારી સફળતા સ્વકેન્દ્રી ન રહી જાય. તમારી ઇચ્છા સ્વાર્થી ન હોવી જોઇએ. એનાથી સમાજને પણ લાભ થવો જોઇએ. સર્કિટ પૂરી થવી જોઇએ. તમે ફક્ત તમારા લાભ પૂરતું જ કામ કરો છો તો તમે આ સર્કિટ પૂરી નથી કરી રહ્યા. શક્ય છે કે દુન્યવી નજરે સફળ લાગતા હો, પણ જીવનમાં તમે જે શોર્ટ ક્ટ અપનાવ્યો છે એ આગળ જઇને તમને સીમિત કરી દેશે.

સાચી સફળતાનાં પગલાં

તમે કહેશો: એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી.

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું.

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો.

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે.
...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

સફળતાની ટેક્નિક

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

બેશક તમે તમારાં કૌટુંબિક જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઇચ્છો છો. તમે તમારી પસંદગીનાં કામ કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઇચ્છો છો. તમે સુંદર ઘર અને સારી એવી સંપત્તિ ઇચ્છો છો કે જેથી તમે સુખચેનથી રહી શકો. જીવનને એક વ્યવસાય ગણો તો તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છો. તમે જે કરવા ઇચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા માગો છો, એની કલ્પના કરી સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો.

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

યાદ રાખો, ધરતી કે આકાશમાં કોઇ એવી શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. (ડો. મર્ફી ‘ધ પાવર ઓફ યોર સબકોન્સિયસ માઇન્ડ’ પુસ્તકના લેખક છે)

કેટલાક નિયમ

- સફળતાના વિચારમાં સફળતાનાં બધાં તત્વ સામેલ છે. સફળતા શબ્દ પૂર્ણ વિશ્વાસ સાથે દોહરાવો. આ રીત અર્ધજાગૃત મન તમારા પર સફળ થવા માટે દબાણ લાવશે.
- તમે શાંત, સુખી અને ખુશ હો અને તમારું પ્રિય કામ કરી રહ્યા હો તો તમે સફળ છો.
- તમે ખાસ ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનો અને એના વિશે કોઇ બીજી વ્યક્તિ પાસેથી વધુ જાણવાની કોશિશ કરો.
- સફળ વ્યક્તિ સ્વાર્થી નથી હોતી. જીવનમાં તેઓ ચોક્કસપણે બીજા માનવીઓની સેવા કરવા માગે છે.
- તમે કોઇ ઉદ્દેશની નક્કર કલ્પના કરો. તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમને બધી આવશ્યક વસ્તુઓ મેળવી આપશે.

સાફલ્ય, ડો. જોસેફ મર્ફી
આહ જીદગી ૦૬/૦૨/૨૦૧૧

પેરિસથી પોંડિચરીઃ શ્રીમાતાજીની યોગયાત્રા

- ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે!
- ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી.

હીં કોઈ હિંદુ યોગી રહે છે ?'
'ના રે, અહીં તો કોઈ યોગી સાધના કરતો હોય એવું અમારા ધ્યાનમાં નથી.'
'તો તો પછી આ ચૂંટણીનું કામ પતી જાય પછી મારે બીજે તપાસ કરવી પડશે.'
'કેમ ?'
'મારી ઈચ્છા સાચા યોગીને મળવાની છે. હિંદ એ તો સાધનાની ભૂમિ છે. આધ્યાત્મિક દેશ છે. અહીં તો ઘણા પ્રખર યોગીઓ સાધના કરી રહ્યા હશે.'
'હા, એ ખરી વાત છે. પણ એ માટે તો તમારે હિમાલયમાં શોધ કરવી પડશે.'
પોંડિચેરીમાં ચૂંટણી લડવા માટે આવેલા પોલ રિશારે સાચા યોગીને મળવા માટે ઘણાની સાથે પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી આશાસ્પદ જવાબ મળ્યો નહીં. તે સમયે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ ઇંડિયા તરફથી ચૂંટણીઓ યોજાતી અને તેમાં ચૂંટાઈને આવનારને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં સ્થાન મળતું. પોલ રિશારની ઈચ્છા પોંડિચેરીમાંથી ચૂંટણી જીતીને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં મેમ્બર થવાની હતી. એટલે તેઓ ઈ.સ. ૧૯૧૦ની મધ્યમાં ફ્રેન્ચ ઇંડિયા-પોંડિચેરીમાં આવ્યા હતા. તેમને યોગવિદ્યા અને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ હતો. તેમનાં પત્ની મીરાં રિશાર લલિતકલાઓ, યોગવિદ્યા અને ગુહ્યવિદ્યામાં પારંગત હતાં. હિંદમાં જો કોઈ સાચા યોગીનો મેળાપ થઈ જાય તો પત્નીને સાધનામાં ઘણી સહાય મળી શકે અને પોતાને પણ અનેક બાબતોમાં સાચું માર્ગદર્શન મળી શકે એ હેતુથી તેઓ યોગવિદ્યામાં પારંગત પુરુષને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
એક દિવસ ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય ઝીર નાયડુએ તેમને કહ્યું ઃ 'આપ કહો છો તેવા યોગીની તો મને ખબર નથી, પણ ઉત્તરમાંથી એક રાજદ્વારી પુરુષ અહીં આવેલા છે. તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી. તેઓ યોગસાધના કરી રહ્યા છે. આપ એમને મળશો તો આપને જરૃર આનંદ થશે.'
'શું તેઓ મને મુલાકાત આપશે ખરા ?'
'હું પ્રયત્ન કરી જોઉં.'
અને ઝીર નાયડુએ પોલ રિશારની એ યોગી સાથે મુલાકાત ગોઠવી આપી. એ યોગી હતા અંતરના અવાજને અનુસરીને રાજકારણના ક્ષેત્રનું સર્વોચ્ચ સ્થાન છોડી દઈને એકાંતસાધના માટે પોંડિચેરીમાં આવેલા શ્રીઅરવિંદ ઘોષ. તે સમયે તેઓ બેચાર શિષ્યો સાથે શંકરચેટ્ટીના મકાનમાં રહેતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. શ્રીઅરવિંદની મુલાકાતથી રિશાર અત્યંત પ્રભાવિત થઈ ગયા, અને તેમણે એક વાર નહીં પણ શ્રી અરવિંદની બે વાર મુલાકાત લીધી. તેમણે પોતાના પુસ્તક 'લાઈટ ઓવર એશિયા'માં શ્રીઅરવિંદને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે, 'એમને લઈને પૂર્વની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતા થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.'
ચૂંટણીનું કામ પૂરું થયું અને તેઓ હિંદમાં પોતાને મળેલા આ મહાન યોગીની સિદ્ધિઓની વાત પત્નીને કહેવા પેરિસ પહોંચી ગયા. જોકે જે હેતુ અનુસાર તેમને હિંદમાં આવવાનું થયું હતું, એ હેતુ સિદ્ધ થયો ન હતો. તેઓ કાઉન્સિલની ચૂંટણી તો હારી ગયા, પણ અંતરની ચૂંટણીમાં સાચા નેતાની વરણી કરવામાં તેઓ સફળ નીવડયા હતા.
એમનાં પત્ની મીરાં કંઈ સામાન્ય સ્ત્રી નહોતાં. તેઓ અનેક પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિઓનાં સ્વામિની હતાં. ધનાઢ્ય બેંકરને ત્યાં જન્મેલાં મીરાં નાનપણથી જ અનોખાં હતાં. તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ધ્યાન તેમને સહજ હતું. ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી. તેને જાતજાતના રંગો અને આકૃતિઓ દેખાતાં અને એ વિષે બધાંને પૂછતાં કોઈ સાચો જવાબ મળતો નહીં. એ તો બાળમાનસના તરંગો છે એમ કહીને સહુ વાત ઉડાવી દેતાં. સાત-આઠ વર્ષની વયે તો મીરાંને ફોન્તેબ્લનાં જંગલોમાં ફરતી વખતે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ થવા લાગ્યો. જંગલનાં વૃક્ષો, પશુપક્ષીઓ સાથે ચેતનાની તદ્રૂપતાની અનુભૂતિ એવી તો સઘન હતી કે જાણે મીરાં પોતે જ એ વૃક્ષ હોય એવું તેને લાગતું. અને તે એટલે સુધી કે વૃક્ષ પર ફરતી ખિસકોલીઓ અને પક્ષીઓ મીરાંના શરીર પર ફરવા લાગતાં ! વયના વધવાની સાથે એની આંતરિક અનુભૂતિઓનો વ્યાપ વિસ્તરતો ગયો. સૂક્ષ્મ દર્શનો વધુ ને વધુ ગહન થતાં ગયાં. બાર વર્ષની વયે તો તેણે ગુહ્ય વિદ્યાનો અભ્યાસ પણ શરૃ કર્યો હતો. આ બાર અને તેર વર્ષના ગાળામાં તેને પ્રત્યેક રાત્રિએ એવો અનુભવ થતો કે જાણે તેની ચેતનાનો એક સુવર્ણરંગી ઝભ્ભો આખાય વિશ્વ પર લંબાતો જાય છે. અને એના આશ્રય તળે આવનારાઓ દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદિત બનીને પાછા જાય છે. આ અનુભવ સતત એક વર્ષ સુધી થતો રહ્યો. અને તેને એવું લાગતું કે જાણે રાત્રિમાં થતું આ કાર્ય જ એનું સાચું કાર્ય છે. દિવસની સઘળી પ્રવૃત્તિઓ રાત્રિના આ કાર્યની સરખામણીમાં નીરસ લાગતી.
મીરાંને રોજરોજ થતી આધ્યાત્મિક અનુભૂતિઓ, સહજ ધ્યાનાવસ્થા અને જગતમાં તેણે કંઈક મહાન કાર્ય કરવાનું છે તેની અંતરમાં થતી રહેતી સતત પ્રતીતિ, આ બધાંને પરિણામે તેની પ્રકૃતિ અત્યંત ગંભીર બની રહેતી. તે તેના સમવયસ્ક સહાધ્યાયીઓની જેમ ટોળપ્પાં અને હસીમજાકમાં આનંદ લેનારી નહોતી. તેને દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જતી જોઈને તેનાં માતાને સતત ચિંતા થયા કરતી. આ વિષે એમણે તેને એકવાર કહ્યું પણ ખરું, 'તું આમ આવી ગંભીર કેમ રહે છે, જાણે કે આખાય જગતના દુઃખનો ભાર તારે ઉઠાવવાનો ન હોય!'
'હા મા, સાચી વાત છે તમારી.' અત્યંત ગંભીર બનીને ત્યારે મીરાંએ કહેલું ઃ 'મારે જ એ ભાર ઉઠાવવાનો છે.'
'તું તે કેવી પાગલ જેવી વાત કરે છે.'
પણ ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે! સોળ વર્ષની વય સુધીમાં તો મીરાંએ અભ્યાસની સાથે સાથે સંગીત, નૃત્ય અને ચિત્રકલા જેવી લલિત કલાઓનો અભ્યાસ કરી લીધો. પણ તેના અંતરની ભૂખ શમાવે તેવી વિદ્યાની પ્રાપ્તિ હજુ તેને થઈ નહોતી. આ માટે તેણે બૌદ્ધધર્મનો અભ્યાસ પણ કર્યો. છતાં તેનાથી પણ તેના અંતરની શોધ પૂરી ન થઈ. એ દરમિયાનમાં કોઈએ એના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફ્રેન્ચ અનુવાદ મૂક્યો અને કહ્યું, 'આમાં જે શ્રીકૃષ્ણ છે, તેને અંતર્યામીના પ્રતીક તરીકે માનજો અને આનો અભ્યાસ કરજો. તમને એમાંથી ઘણી સહાય મળશે.'' અંતરની પૂર્ણતા માટે આતુર એવી મીરાંએ ગીતામાં નિરૃપેલી તમામ સાધના માત્ર એક જ મહિનામાં સિદ્ધ કરી લીધી. પોતાની સાધના વિષે વાત કરતાં તેમણે પાછળથી આશ્રમનાં બાળકોને જણાવ્યું હતું કે, 'અઢાર અને વીસ વર્ષની વચ્ચે મેં ભાગવત ચેતના સાથે જાગૃત અને સ્થિર ઐક્ય પ્રાપ્ત કરી લીધું હતું. અને એ બધું પણ મેં જાતે જ. કોઈની પણ મદદ લીધા વગર, એટલે સુધી કે કોઈ પણ પુસ્તકની મદદ લીધા વગર કર્યું હતું.'
મીરાંને ગહન ધ્યાનાવસ્થામાં નીરવતા અને શાંતિની અનુભૂતિ થતી રહેતી, અનેક પ્રકારનાં સૂક્ષ્મ દર્શનો થતાં, કેટલાંય તેજોમય રૃપો અને આકૃતિઓ દેખાતાં. અસંખ્ય ગુરુઓનાં દર્શન થતાં. કેટલાય ગુરુઓ તેમને નિદ્રાવસ્થામાં જ્ઞાાન પણ આપતાં. આ વિષે તેમણે પાછળથી જણાવેલું, 'મારી નિદ્રાવસ્થા દરમિયાન કેટલાક ગુરુઓ તરફથી મને જ્ઞાાન આપવામાં આવ્યું હતું. તેમાંના કેટલાકને પછી હું સ્થૂળ ભૂમિકા ઉપર પણ મળી હતી.' પરંતુ સૂક્ષ્મ દર્શનોમાં આવતાં આ બધા ગુરુઓમાં એક આકાર વધુ ને વધુ સ્પષ્ટ બનતો જતો હતો. તે સમયે મીરાં હિંદ વિષે કે એના તત્ત્વજ્ઞાાન વિષે વિશેષ જાણતાં ન હતાં. છતાં ધ્યાનમાં આવતાં અને સતત માર્ગદર્શન આપતાં રહેતાં એ ગુરુને શ્રીકૃષ્ણ કહેવાની એમને પ્રેરણા થઈ. તેઓ ચિત્રકાર હતાં. એમણે એ શ્રીકૃષ્ણનું એક ચિત્ર પણ દોરી લીધું. ત્યારથી તેઓ પ્રત્યક્ષ રૃપે એ ગુરુનાં દર્શન માટે પ્રતીક્ષા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હતાં.
ધ્યાનાવસ્થા દરમિયાન મીરાંને અનેક પ્રકારનાં પ્રતીકો દેખાતાં. તેમાં એક કમળનું પ્રતીક વધુ ને વધુ સ્પષ્ટ થતું દેખાતું. ઉપર અને નીચે આવેલા બે ત્રિકોણની વચ્ચે બનતા ચતુષ્કોણમાં પાણીની વચ્ચે એક ખીલેલું કમળ દેખાતું. આ કમળનું પ્રતીક કોઈ ગુહ્ય સંકેત પ્રગટ કરી રહ્યું હતું. પરંતુ એ પ્રતીક કયું રહસ્ય પ્રગટ કરે છે, તે તેને સમજાતું ન હતું. પરંતુ તેણે એ ચિત્ર પણ દોરી લીધું હતું. અને તેને અંતરમાં એવું પ્રતીત થયા કરતું કે આ ચિત્રનું રહસ્ય પ્રગટ કરનાર કોઈક તો આ પૃથ્વી ઉપર ક્યાંક જરૃર હશે. અને જે કોઈ એ ગૂઢ લિપિ ઉકેલી આપશે એ જ એના યોગમાર્ગના ગુરુ હશે. પણ હજુ સુધી એ ચિત્રની પ્રતીકાત્મક ભાષા ઉકેલનાર કોઈ મળ્યો ન હતો.
આધ્યાત્મિક જગતમાં કામ કરવા માટે સૂક્ષ્મ જગતનાં પરિબળો ઉપર પણ અંકુશ હોવો જોઈએ. ચેતનાની સૂક્ષ્મ ક્રિયાઓ અને આંદોલનો પ્રત્યેની સભાનતા પણ હોવી જોઈએ. એ માટે ગુહ્યવિદ્યાનો અભ્યાસ કરી તેમાં પારંગતતા મેળવવી જરૃરી છે એમ જણાતાં મીરાંએ અલ્જિરિયામાં રહેતા પ્રખર ગુહ્યવિદ થેઓ અને તેમનાં પત્ની પાસે બે વરસ રહીને અભ્યાસ કર્યો. શ્રીમતી થેંઓ પણ મહાન ગુહ્યવિદ હતાં. થેંઓ દંપતી પાસે રહીને મીરાંએ સૂક્ષ્મ જગતમાં કામ કરવાની તાલીમ મેળવી ગુહ્ય જગતનાં સત્ત્વો પર અંકુશ મેળવવાની વિદ્યા પ્રાપ્ત કરી. આવી અદ્ભુત સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી લીધી હોવા છતાં પણ થેંઓએ તેમને કહ્યું, 'આ કંઈ તારી સાધનાની અંતિમ સિદ્ધિ નથી, તારી સાધનાની આ કંઈ પૂર્ણાહુતિ નથી. તારી સર્વોચ્ચ સિદ્ધિ હજુ બાકી છે, અને તે મારા દ્વારા નહીં પણ તારા ગુરુ દ્વારા થશે.'
પરંતુ આવડી વિશાળ પૃથ્વીના પટ પર એ ગુરુને શોધવા ક્યાં ? ક્યારે મળશે એ શ્રીકૃષ્ણ? મીરાંનું અંતર એ મહાન ગુરુનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્કંઠ થઈ જતું. પરંતુ ભૌતિક રૃપે ગુરુની શોધ હજુ પૂર્ણ થઈ શકી નહોતી. એ ગાળામાં મીરાંની પ્રભુ સાથેના તાદાત્મ્યની ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તે ઊંડા ધ્યાનમાં લીન થઈ જતી. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેને અનેક આંતરિક અનુભૂતિઓ થતી રહેતી. ધ્યાન સમાપ્ત થયા પછી આ અનુભૂતિઓને તે પ્રાર્થનારૃપે ડાયરીમાં લખી રહેતી, જે પાછળથી 'પ્રાર્થના અને ધ્યાન'ના પુસ્તક રૃપે પ્રગટ કરવામાં આવી છે.
ચૂંટણી હારીને હિંદમાંથી આવેલા પોલ રિશારે પત્નીને કહ્યું ઃ
'આ કમળનું ગુહ્ય પ્રતીક હું મારી સાથે હિંદમાં લઈ ગયો હતો અને એનો ઉકેલ મળી ગયો.'
'હેં ! ઉકેલ મળી ગયો ! કોણ છે એ મહાયોગી ?' મીરાંની આંખો આનંદથી ચમકી ઊઠી.
'એ તો છે માત્ર આ યુગના જ નહીં, પણ ભવિષ્યનાય યુગપુરુષ. કેવી શાંત, સૌમ્ય અને નિર્મળ મુખમુદ્રા છે એમની! અને આંખો તો જાણે આ જગતનું કંઈ જોતી જ નથી. પેલે પારના જગતનાં દ્રશ્યો જોવામાં જ ખોવાયેલી ન હોય! અને વાણી તો એવી અમૃતમય કે જાણે સાંભળ્યા જ કરીએ. હું તો એ માટે એમને બે વખત મળ્યો. અને અનેક પ્રકારના વાર્તાલાપો એમની સાથે કર્યા. દરેક બાબતમાં શું એમનું અગાધ જ્ઞાાન છે! એમની તોલે જગતનો કોઈ માણસ ન આવી શકે. અને આધ્યાત્મિક જગતના તો એ પૂર્ણજ્ઞાાતા છે. સાધનાની સર્વોચ્ચ ભૂમિકાઓ એમણે પાર કરી લીધી છે. જોજો ને એક દિવસ એવો આવશે કે જ્યારે સમગ્ર વિશ્વ એનાં ચરણોમાં ઝૂકશે.' કહેતાં કહેતાં જ જાણે એ યુગપુરુષની મૂર્તિ એમની સામે જ ખડી થઈ ગઈ હોય એમ રિશાર સ્થિર થઈ ગયા.
પતિને આટલા ઉત્સાહથી વાત કરતા જોઈને મીરાંને યાદ આવી ગયા ધ્યાનમાંના એ શ્રીકૃષ્ણ. કેમ કે એ જાણતી હતી કે ફ્રાન્સના મહાન ચિંતક અને મનીષી ગણાતા રિશાર કંઈ સામાન્ય વ્યક્તિથી પ્રભાવિત થાય તેમ નહોતા. અને એટલે જ એ મહાપુરુષ કોણ હશે અને એમણે આ પ્રતીકનો શો ઉકેલ આપ્યો તે જાણવા એ ઉત્સુક બની.
'એ મહાયોગીનું નામ છે શ્રીઅરવિંદ ઘોષ. એમણે આ ચિત્ર હાથમાં લીધું, ધ્યાનથી જોયું અને પછી તુરત જ કહ્યું. આ કમળનું પ્રતીક એ તો પ્રભુના સ્પર્શ વડે ખુલ્લી થતી ચેતનાનું દ્યોતક છે.' આ ચિત્રના પ્રત્યેક અંગ વિષે એમણે કહ્યું ઃ 'આ નીચે ઊતરતો ત્રિકોણ એ સત્, ચિત્ અને આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ એ જડ તત્ત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૃપે પ્રગટતી અભીપ્સાના પ્રત્યુત્તરનું પ્રતીક છે. બંને ત્રિકોણનું મિલન અ વચલો ચતુષ્કોણ; એ પૂર્ણ આવિર્ભાવ છે. તેના કેન્દ્રમાં રહેલું કમળ એ પરમાત્માનો અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૃપતાનું, સૃષ્ટિનું પ્રતીક છે.'
'ગુહ્ય પ્રતીકનો આટલો સચોટ અર્થ ! તો તો એ જ હોઈ શકે મારા સાધનાપથના ગુરુ ! એ જ હોઈ શકે ચિત્રમાં અંક્તિ કરેલા શ્રીકૃષ્ણ !' મીરાંનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું અને એની નજર સામે તરવરી રહી એ ભવ્ય આકૃતિ, જેનું એણે ધ્યાનાવસ્થામાં અનેકવાર દર્શન કર્યું હતું. ત્યારથી એ ભારત આવવા ઉત્સુક બની પણ એ અવસર મળ્યો એને ચાર વર્ષ બાદ.
ઇ.સ. ૧૯૧૪માં પોલ રિશારને ફરી પોંડિચેરીમાં આવવાનું થયું. આ વખતે તેઓ એકલા ન હતા; મીરાં રિશાર પણ તેમની સાથે હતાં તેઓ માર્ચ મહિનામાં દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળ્યા. હજુ તો પોંડિચેરી દસ દરિયાઈ કિલોમીટર દૂર હતું ત્યાં તો મીરાંને એક તેજોમય વાતાવરણનો સ્પર્શ થયો. જાણે એ વાતાવરણ એને ઉંચકી લેતું ન હોય ! સૂક્ષ્મ જગતની જ્ઞાાતા મીરાંને એ સમજતાં વાર ન લાગી કે એ તો શ્રી અરવિંદની પ્રખર સાધનાના પરિણામે દૂર દૂર સુધી ફેલાયેલું એમનું આભાચક્ર હતું. એ આભાચક્રનો એમને સતત અનુભવ થતો હતો.
મીરાં અને પોલ ૨૯મી માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે શ્રી અરવિંદને મળવા ગયા, 'અરે, આ જ તો છે એ શ્રીકૃષ્ણ, જે ધ્યાનમાં આવીને સહાય કરતા હતાં, જે સાધનામાં માર્ગદર્શન આપતા હતા એ જ આકૃતિ, એ જ રૃપ !' મીરાંએ જેવા શ્રી અરવિંદને જોયા કે એક જ ક્ષણમાં ઓળખી લીધા અને તેના અંતરે પ્રતીતિ કરાવી આપી કે હવે પછી એમની સાધનાના સુકાની આ જ મહાગુરુ છે. તેનું હૃદય અસીમ આનંદની અનુભૂતિ કરવા લાયું પણ એમણે મુખથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં. બસ તેઓ તો ગુપચુપ શ્રી અરવિંદના ચરણ આગળ બેસી ગયા, અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને મન શ્રીઅરવિંદ સમક્ષ ખુલ્લું મૂકી દઈને પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પોતાની સઘળી આધ્યાત્મિક સિદ્ધિઓ, પોતાનું સઘળું જ્ઞાાન, નવા જગતના નિર્માણ માટેની પોતાની સર્વ યોજનાઓ માટે, અરે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. જાણે પોતે કશું છે જ નહિ એવા નવજાત શિશુ જેવા બની રહ્યા. શ્રીઅરવિંદનું પ્રથમ દર્શન જ એમના હૃદયમાં સંપૂર્ણ પ્રતીતિ કરાવી ગયું કે, હવે પ્રભુનું સામ્રાજ્ય જરૃર સ્થપાશે.
શ્રીઅરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી મળી ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાાનને વિખેરી નાંખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે. તેમનું ભારત આવવાનું સાર્થક થઈ ગયું. હવે એમને બીજે કયાંય જવાની જરૃર જ ન રહી. આમ ભૌતિક રીતે એમની યાત્રા સમાપ્તિ થઈ ગઈ પણ આંતરિક રીતે શ્રીઅરવિંદ સાથે આધ્યાત્મિક જગતમાં યાત્રાની નવેસરથી શરૃઆત થઈ.
આમ પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં અર્પણ કરીને તેઓ કોરા પૃષ્ઠ જેવા બની રહ્યાં તેમના અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહેલું કે, આવું આધ્યાત્મિક સમર્પણ એમણે કોઈનામાં ય જોયું ન હતું. આવું સમર્પણ તો કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. શ્રીઅરવિંદે પણ એમને પોતાની યોગશક્તિ તરીકે સ્વીકાર્યા, તે સમયે તો તેઓ પોંડિચેરીમાં ફક્ત અગિયાર મહિના જ રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે તેમને પેરિસ પાછા જવું પડયું. ત્યાર બાદ છ વર્ષ પછી ૧૯૨૦ના એપ્રિલમાં તેઓ ફરી પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. તે પછી તેઓ ક્યારેય પોંડિચેરી છોડીને ગયા ન હતા. શ્રી અરવિંદની સેવા કરવી, એમના આદેશનું પાલન કરવું અને એમના પૂર્ણયોગને વ્યવહારુ ભૂમિકા ઉપર ઉતારવો એ જ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ વિષે એમણે જણાવેલું ઃ 'હું શ્રીઅરવિંદને મળવા હિંદમાં આવેલી. શ્રીઅરવિંદ સાથે રહેવા માટે હું હિંદમાં રહી ગઈ. એમણે જ્યારે દેહ છોડયો ત્યારે એમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું અને એ કાર્ય છે સત્યની સેવા કરીને, અને માનવજાતિને પ્રકાશ આપીને પ્રભુના પ્રેમનું શાસન ઝડપથી સ્થપાય તેમ કરવું.'
૯૬ વર્ષ સુધી તેઓ દેહમાં રહ્યા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે થોડા શિષ્યો સાથે શ્રી અરવિંદ રહેતા હતા. વ્યવસ્થિત આશ્રમ જેવું કશું ન હતું. પૃથ્વી ઉપર જો પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત સાધનાની પણ જરૃર છે. પ્રભુના શાસનની અભિપ્સા સેવતો બળવાન સમૂહ પણ હોવો જરૃરી છે, યોગના સત્યોનો મનુષ્યના રોજિંદા જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે જીવનનો ત્યાગ નહીં પણ જીવનનો સ્વીકાર કરવો જરૃરી છે, એમ જણાવતા અભિપ્સુ માણસોને સાધના કરવા માટે ત્યાં રહેવાની મંજૂરી મળવા લાગી અને એમ શ્રી અરવિંદ આશ્રમ વિસ્તરતો ગયો અને ત્યાં પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ.
શરુઆતમાં શ્રી અરવિંદ 'મ' આગળ અટકીને પછી મીરાંનું ઉચ્ચારણ કરતા, અને એથી શિષ્યોને આશ્ચર્ય થતું પણ ત્યારે શ્રી અરવિંદ મીરાં નહીં પણ મધરનું ઉચ્ચારણ કરવા તત્પર હતા. પણ કદાચ શિષ્યોની ચેતના એ સ્વીકારવા તૈયાર નહીં હોય એથી અટકી જતા અને પછી મીરાં બોલતા. આ વિષે તેમના શિષ્ય નલીનકાંત ગુપ્ત લખે છે કે 'શ્રી અરવિંદે આ મધર શબ્દ ક્યારે ઉચ્ચાર્યો, કયા ખાસ દિવસે, કઈ શુભ ઘડીએ, તેની કોઈનેય ખબર નથી... પણ એ પરમ ક્ષણે જ આ સ્થૂળ પૃથ્વી ઉપર માનવની બાહ્ય ચેતનામાં શ્રી માતાજીની સ્થાપના થઈ હતી. આમ શ્રી માતાજીમાં પોતાની સઘળી શક્તિનું નિરૃપણ કરીને આશ્રમની સઘળી વ્યવસ્થા અને શિષ્યોની સાધના સર્વ પ્રકારની જવાબદારી એમને સોંપીને શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકારી લીધો અને અતિમનસના અવતરણની ગહન સાધનામાં ડૂબી ગયા. ચોવીસ વર્ષ સુધી કરેલી એ ભગીરથ તપશ્ચર્યાના પરિણામે શરીરની સ્થૂળ ભૂમિકા ઉપર અતિમનસ શક્તિનું અવતરણ શક્ય બન્યું. એ માટે શ્રી અરવિંદે પોતાના દેહનો આધાર આપ્યો અને ઇ.સ. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે એમણે દેહત્યાગ કરી દીધો. પરંતુ શરીરના કોષોમાં અતિમનસ શક્તિના પ્રકાશને સક્રિય કરવાની સાધના શ્રી માતાજીએ ચાલુ રાખી અને તેના પરિણામે મનથી ઉપરની એ અતિમનસ શક્તિ શરીરના કોષોમાં સક્રિય બને એ શક્યતા સિદ્ધ થઈ શકી, એટલું જ નહીં પણ એ રસ્તે જનાર માટે શ્રી માતાજીએ સૂર્યપ્રકાશિત પથ પણ કંડારી આપ્યો.
આમ શ્રી માતાજી પેરિસથી પોંડિચેરી આવ્યા અને જગતને શ્રીઅરવિંદનો પૂર્ણયોગ મળ્યો. શ્રીઅરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાાન સર્વને માટ સુલભ બન્યું. અને એ માટે માનવજાત યુગો સુધી શ્રીમાતાજીની ઋણી રહેશે.

- જ્યોતિબહેન થાનકી


હ્રદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
રમેશ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

– રમેશ પારેખ

ઝિંગ થિંગ !

‘નમ્રતા એટલે સિફતથી છૂપાવેલું અભિમાન !’
(નસીમ નિકોલસ તાલેબ)

અનાવૃત - જય વસાવડા

આસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ

આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે.

ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

ટેક્નોલોજી સગવડસુંદરી બનીને આવી છે, પરંતુ તેની પાછળ પાછળ તાણાસુરની હેરાનગતિ પણ આવી પહોંચી છે. પરિણામે ઇશ્વરનું ભવિષ્ય ખાસું ઊજળું છે. આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે. ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

મનુષ્ય જ્યારે તર્કવિવેક પાળે ત્યારે સમાજને રેશનલિસ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાવિવેક પામે ત્યારે સમાજને ભક્ત મળે છે. કહેવાતો રેશનલિસ્ટ પણ જુઠો, બેઇમાન અને બદમાશ હોઇ શકે છે. કહેવાતો ભક્ત પણ દંભી, લુચ્ચો અને ખતરનાક હોઇ શકે છે. મનુષ્યતાનો ખરો માપદંડ સત્ય છે. પ્રત્યેક મનુષ્યનો જેમ બુદ્ધિ-અંક (I.Q.) હોય છે, તેમ સત્ય-અંક (S.Q) પણ હોય છે.

જુઠાબોલા રેશનલિસ્ટથી અને જુઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.

ઝઘડો બે જુઠા માણસો વચ્ચે હોય છે. આપણે ત્યાં સજ્જનને ‘સીધી લીટીનો માણસ’ કહેવાનો રિવાજ છે. આપણું હોવું (બીઇંગ) વિવાદાસ્પદ નથી. આપણું ન હોવું પણ વિવાદાસ્પદ નથી. જે વિવાદાસ્પદ છે તે ક્ષુલ્લક છે. સત્યનું ન હોવું અસંભવ છે. તર્ક સત્યનો સગો ભાઇ છે. આપણે ત્યાં તર્કને ઋષિ કહ્યો છે.

(તર્કો વૈ ઋષિ:)કોઇ પુષ્પ ઇશ્વરભક્ત નથી હોતું, છતાંય પુષ્પનું હોવું ઇશ્વરમય જણાય છે. કોઇ વૃક્ષ નમાજ નથી પઢતું, છતાંય પ્રત્યેક વૃક્ષ અલ્લાહની ઇબાદત કરતું હોય એમ ધ્યાનસ્થ જણાય છે. સૂર્યને થેંક યૂ કહેવાનું ફરજિયાત નથી, પરંતુ આપણે જો આભારની ભીની લાગણી સાથે એને નીરખીએ, તો આપણું જ મનુષ્યત્વ એક વેંત ઊંચું જાય એમ બને. આકાશની વિશાળતા આપણને વિશાળતાની દીક્ષા આપે, તો તેમાં ઇશ્વર ક્યાં નડ્યો? શું કોઇ નાસ્તિક રામાયણ કે ગીતા કે ઉપનિષદ વાંચી શકે ખરો? ગ્રીસમાં કોઇ એમ નથી પૂછતું કે, ‘ઇલિયડ અને ઓડીસી જેવાં મહાકાવ્યો વાંચીએ, તો રેશનલિસ્ટ મટી જઇએ?’ માકર્સવાદી નાસ્તિક એવા સામ્યવાદી નેતા એસ.એ.ડાંગે વેદના પંડિત હતા.

એમનું પુસ્તક વેદસમયમાં કોમ્યુન્સ અંગે હતું, તે સુરતના જશવંત ચૌહાણે મને આપ્યું હતું. એ પુસ્તક ઘરમાં હજી સચવાયું છે. શું નાસ્તિક માણસ ધ્યાન કરે ખરો? બુદ્ધ અને મહાવીર સંનિષ્ઠ નિરીશ્વરવાદી હતા. બંને મહામાનવોએ ધર્મનો પ્રસાર કર્યો હતો. બુદ્ધે એ માટે ‘ધર્મચક્રપ્રવર્તન’ શબ્દ પ્રયોજ્યો હતો. નાસ્તિકતાનું સૌંદર્ય આસ્તિકતાના સૌંદર્યથી જરાય ઊતરતું નથી. ઝેનપંથ એટલે જ ધ્યાનપંથ. સાંખ્ય મતના પ્રવર્તક કપિલ પોતે મહાન નિરીશ્વરવાદી હતા. કૃષ્ણ ગીતાના દસમા અધ્યાયમાં પોતાની વિભૂતિઓ ગણાવે તેમાં કહે છે, ‘સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું.’ (સિદ્ધાનાં કપિલો મુનિ:) ભારતમાં નાસ્તિક પરંપરા રામ અને કૃષ્ણ પહેલાંની છે.

નાસ્તિકો આપોઆપ ‘રેશનલ’ બની જતા નથી. આસ્તિકો આપોઆપ બિન-રેશનલ બની જતા નથી. ‘ધર્મ’ નામની ચીજ આસ્તિક-નાસ્તિક વિવાદથી પર છે. ‘ધર્મ’ની સંકલ્પના સંસ્થાગત ધર્મો (હિંદુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, શીખ, યહૂદી ઇત્યાદિ)થી પર છે. ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે.

આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:) ટ્રાફિકધર્મની જેમ જ ‘અતિથિધર્મ’ પંથપ્રપંચથી સર્વથા પર છે. એ જ રીતે માતૃધર્મ, પિતૃધર્મ, સમાજધર્મ અને સેવાધર્મને કોઇ ધર્મના લેબલ સાથે વળી શી લેવાદેવા? કોઇ નાસ્તિકને ધર્મવિરોધી કે અધ્યાત્મવિરોધી કહેવા એમાં વિવેકની બાદબાકી થઇ જતી જણાય છે.

આસ્તિકો તો ભગવાનના ઓઠા હેઠળ પણ અપ્રામાણિક બની શકે, પરંતુ નાસ્તિકોએ તો પ્રામાણિક બનવું જ પડે. કોેઇ રેશનલિસ્ટને અપ્રામાણિકતામાં આળોટતો જોઉં ત્યારે મનને વધારે ખલેલ પહોંચે છે. એની પાસે જઇને કોઇ આસ્તિકે પૂછવું જોઇએ, ‘ભઇલા! તું વળી અમારાં અનિષ્ટો કેમ સ્વીકારી બેઠો?’ કોઇ પણ નાસ્તિક આપોઆપ ‘બૌદ્ધિક’ બની જાય એવા વહેમમાં રહેશો નહીં. તેમનામાં પણ ઝનૂન, અંધશ્રદ્ધા, પંથપ્રપંચ, વિતંડાવાદ અને મિથ્યાભિમાન જેવાં બધાં જ અનિષ્ટો જોવા મળે છે.

આમ બને છે કારણ કે તેઓ માણસ છે અને માણસમાત્ર અપૂર્ણ છે. ખરી વાત એ છે કે અપૂર્ણતા તો મનુષ્ય હોવાની સૌથી તગડી સાબિતી છે. ‘ઝનૂની રેશનલિસ્ટ’ એ વદતોવ્યાઘાત (oxymoron) છે. કેટલાક રેશનલિસ્ટો ક્યારેક કટ્ટરતાને પનારે પડે ત્યારે ઝનૂની બનીને મંડી પડે છે. તેઓએ મુલ્લા-મહંત-પાદરી પાસેથી આવી કુટેવ ઉછીની ન લેવી જોઇએ. બન્યું છે એવું કે રેશનલિસ્ટો ક્યારેક તર્કવિવેક નથી જાળવતા અને ભક્તો ક્યારેક શ્રદ્ધાવિવેક નથી જાળવતા.

શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રદ્ધાશૂન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રદ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રદ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રદ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રદ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રદ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.

શું કહેવાતો શ્રદ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે? એ વાતમાં દમ નથી. શ્રદ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રદ્ધા જીવનને વિવેકહીન બનાવે છે.

સોક્રેટિસ કાયમ બુદ્ધિ (ઇન્ટેલેક્ટ) અને શ્રદ્ધા (ફેઇથ)નો ભેગો મહિમા કરતો હતો. સ્તાલિન અને માઓ ઝેડોંગ જેવા તકાઁધ નાસ્તિકોએ લાખો માણસોની કતલ કરાવી હતી. શું કત્લેઆમ કદી ‘રેશનલ’ હોઇ શકે? આવી જ કત્લેઆમ ધર્મના નામે (ક્રુસેડ અને જેહાદ) પણ થઇ છે. બંનેમાં વિવેક ગેરહાજર હતો. વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.

માનવીના અસ્તિત્વને પુષ્પ, નદી અને વૃક્ષના અસ્તિત્વનો રંગ લાગી જાય તો બેડો પાર! સત્ય, પ્રેમ, નેકી, કરુણા અને માનવતા વિનાની નાસ્તિકતા વેરાન રણ જેવી અને આસ્તિકતા વમળના વન જેવી હોય છે. સત્યના સેતુ પર અપૂર્ણ માનવી ઊભો છે. અપૂર્ણ હોવું એ તો આપણો મૂળભૂત માનવીય અધિકાર છે. સત્યના સેતુ પર માનવી, કેવળ માનવી જ હોય છે.

પાઘડીનો વળ છેડે

બેઠ કબીરા બારીએ,
સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે,
ફાધર, બામણ, શેખ!- રમેશ પારેખ

(‘છાતીમાં બારસાખ’ કાવ્યસંગ્રહમાંથી)

Divya bhasker,16-1-2011