રવિવાર, 20 મે, 2012

ઝિંગ થિંગ !

ઝિંગ થિંગ !
કૂટ, ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ
હોત સયાને બાવરે, નવ કોર ચિત્ત લાગ !
 
લોકસાહિત્યનો આ અદ્ભુત દૂહો કરે છે કે નવ બાબતો એવી છે જે આવે ત્યારે ભલભલા ડાહ્યા માણસો પાગલ થઇ જાય. ઝેર, ગુસ્સો, નવજાત બાળક, સૌંદર્ય દેખાડતો અરીસો, પ્રેયસી, વ્હાલું આપ્તજન, રાતનો અંધકાર, દુઃખ અને વાસંતી ફાગણનો ખુમાર !

જય વસાવડા અનાવૃત ૧૧/૩/૨૦૦૯

ગુરુવાર, 3 મે, 2012

ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ




કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

- ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ... નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું? કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારે 'કોમ્પ્રોમાઈઝ' કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું? માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું નેપણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસ 'માય ડે' ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિને 'માય ડે' ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસ 'માય ડે' છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હું 'માય ડે' ને શા માટે બગાડું?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાં 'માય ડે' કયો છે? આપણે દુનિયાભરના 'ડે' ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈ 'ડે' નથી હોતો એટલે એ 'બર્થ ડે'ને 'માય ડે' માની લેતો હોય છે. 'બર્થ ડે' એ આપણા જન્મનો દિવસ છે અને 'માય ડે' એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ... આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજ 'માય ડે' લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું

આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો? કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમે 'માય ડે' ઊજવવાનું શરૂ કરો છો?
 
છેલ્લો સીન
પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
- હેલી બર્ટન
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   29/4/2012

wall paper 14


શુક્રવાર, 20 એપ્રિલ, 2012

ગુરુવાર, 12 એપ્રિલ, 2012

ડિવાઇડર પરનો છોડ

 ડિવાઇડર પરનો છોડ

વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?
હું રોડ વચાળે ઊભેલા ડિવાઇડર પરનો છોડ.

મનેય થાતું, પંખી આવે,
ખૂબ ટહુકે, માળો બાંધે,
જરા ગોઠવી તણખલાઓ
મારી અંદર કશુક સાંધે;
(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

ચરણ ચાલવા, જીભ બોલવા,
ક્યા છે કોઈ દિલાસો?
કંટાળું તોય માણસ માફક
ખાઈ શકું ના ફાંસો;
તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

- અનિલ ચાવડા

આપણા બધા ના જીવન ની મનોહસ્થિતિ  ડિવાઈડર પરના છોડ જેવીજ હોય છે. ડિવાઈડર એટલે એક એવી રેખા જે બે ભાગ પાડે છે કે જેના વડે બે ભાગ માં રસ્તો વિભાજીત થાય છે.આપણે પણ એવીજ રેખા પર ઉભેલા વિકાસ પામવાની મહત્વાકાંક્ષા સેવતા એક છોડ જ છીએ.

કવિશ્રી અનીલ ચાવડા એ  જીવન ના મેનજમેન્ટ ને પૂરે પૂરું પોતાની રચના માં સમાવાનો સફર પ્રયાસ કરેલ છે.દરેક માનવી ને અમુક કોડ હોયજ છે,કોડ ઈચ્છા એ જ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું પીઠબળ પૂરું પડે છે. મારા મતે તો જરૂરિયાત પણ ઈચ્છાનું જ એક સંતાન છે, તેથી ઈચ્છા કોડ એજ આવિષ્કાર ની જનની છે.

આપણા દરેકને પણ છોડની જેમ વૃક્ષ બની ને ખીલવાનું,વૃદ્ધિ પામવાની, પ્રગતી કરવાની, ઉચા આકાશે આંબવાની એક છુપી ઈચ્છા હર હંમેશ ધબકતી રહેતી હોય છે.

હા, ઈચ્છા છે વૃદ્ધિ કરવાની, પ્રગતી કરવાની, પરંતુ પોતાના એક માટે નહિ. કવિ કેવા સરસ શબ્દો દ્વારા એ ઈચ્છા રજુ કરે છે. " મનેય થાતું, પંખી આવે, ખૂબ ટહુકે, માળો બાંધે, "  મારી વૃદ્ધિ, પ્રગતી, જોયને કોય આવે, મારામાં માળો બાંધે રહે ખુબ ટહુકે આંનદ કરે કિલ્લોર કરે પોતે પણ પ્રગતી કરે.આગળ કવિ બહુજ સરસ વાત મુકે છે."જરા ગોઠવી તણખલાઓ  મારી અંદર કશુક સાંધે;"  તેમના જીવન માંથી પણ હું કંઈક શીખી મારા જીવન માં કઈ ખામી હોય, તો તેને ભરવા પ્રયત્ન કરું, સાંધુ તેની પાસેથી મેળવું(પણ).

ભગવદ્ગોમંડળ માં "પણ" નો એક અર્થ ઇંદ્રનો એ નામનો એક શત્રુ. આપણા જીવનમાં "પણ" વિષે એવુજ છે. શત્રુ ને જેમ ક્યારે આવીને ઉભો રહી જાય તેથીજ કવિ તેની ખાસ કૌશમાં મુક્યો છે."(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,"  ગીતામાં જેમ આર્જુનો રથ ભગવાને બને સેનાની વચ્ચે રાખેલ તેમ આપણે પણ  એક વિભાજન રેખા પર ઉભા છીએ, માનીલીધેલા સત્ય અસત્યની ,માનીલીધેલા ધર્મ અધર્મની ,પણ કવિ તો કહે છે કે પહેરેદાર બની ઉભો છે બંને બાજુ નો રોડ આજ કાલ જેટલું અસત્ય અને અધર્મ ધાતક છે તેટલું જ માની લીધેલ સત્ય અને ધર્મ ધાતક છે. બંને બાજુ થી પહેરેદારો ઉભા કરી દેવામાં આવે છે.

રચના માં આગળ કવિ માણસની વ્યથા વર્ણવે છે."ચરણ ચાલવા, જીભ બોલવા, ક્યા છે કોઈ દિલાસો ?" માણસ પાસે ચાલવા ચરણ છે, બોલવા જીભ છે. પરંતુ પોતાની સ્વતંત્રતા ક્યાં છે. આપણે પણ છોડ ની જેમ લાચાર છીએ. આગળ કવિ એ માણસ ઉપર જોરદાર વ્યંગ કર્યો છે. "કંટાળું તોય માણસ માફક  ખાઈ શકું ના ફાંસો;"  આત્મા હત્યા એ સોથી શરમ જનક બાબત છે. દુ;ખ અને કંટાળો તો દરેક જીવને આવતો હોય છે. પરંતુ માણસ  એકજ એવો જીવ છે. કે જે આત્મહત્યા કરે છે કે તેના વિશે વિચારે છે. કોય પણ સમસ્યાનું આત્મહત્યા કોઈ ઉપાય ના હોય શકે.આત્મહત્યાતો કાયર માણસનું કામ છે. કવિ આ બાબત માં જોરદાર ચાબખા મારે છે.આથી જ કવિ આગળ કહે છે. "તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;"  આ જીવન તૂટક તૂટક છે ક્યાંક દુ;ખ નો ખારોધુધ દરિયો વહે છે તો ક્યાંક સુખ ની સરવાણી વહે છે.

બહુ સુંદર રચના કવિશ્રી અનીલ ચાવડા ને લાખ લાખ અભિનંદન .

 કવિશ્રી અનીલ ચાવડા ની કવિતા નો આસ્વાદ 
પ્રથમ પ્રયત્ન  

મંગળવાર, 10 એપ્રિલ, 2012

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો


મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશીર બદ્ર

          સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

          આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

         એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

          પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની - નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

          પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

          એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

          માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક - બે વખત કે પાંચ - દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

         પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ટેકન ફોર ગ્રાન્ટેડલેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

          માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા - અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

         લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?
 
છેલ્લો સીન :
આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
-જ્યોર્જ એલિયટ 
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ  9/4/2012

રવિવાર, 1 એપ્રિલ, 2012

ઓ રામજી! બડા સુખ દીના …..

‘‘પ્રાચીન ભારતની બે મહાગાથાઓ ‘રામાયણ’ અને ‘મહાભારત’નો કદાચ સેંકડો વર્ષો સુધી આકાર ઘડાતો રહ્યો છે. તેમાં અનેક સુધારા – વધારા પણ થતા રહ્યા છે. એનો સંબંધ ભારતીય આર્યોના ઉષાકાળ સાથે છે. હું એવા બીજા કોઈ પુસ્તકોને જાણતો નથી, જેની જનમાનસ પર સતત આટલી ઉંડી અસર રહી હોય – સિવાય કે આ બે મહાગ્રંથ. કોઈ અજાણ્યા દૂરના ભૂતકાળમાં રચાયા હોવા છતાં એ ભારતીય પ્રજાના જીવનનો ધબકાર છે. એનો મૂળ સંસ્કૃત પાઠ તો મુઠ્ઠીભર પંડિતો સિવાય કોઈ જાણતું નથી, પણ એના મુકત અનુવાદો અને એમાંથી પ્રેરિત કૃતિઓથી દંતકથાઓ અને પરંપરાઓ એવી ફેલાઈ છે કે લોકજીવનના વસ્ત્રનું વણાટ બની ગઈ છે.

એની સાંસ્કૃતિક વિકાસની અસર મહાસમર્થ વિદ્વાનથી સાવ અભણ ગામડિયા સુધી છે. કદાચ એમાં (રામાયણ – મહાભારતમાં) ભારતની આટલી વિભાજીત, વૈવિઘ્યપૂર્ણ અને જ્ઞાતિના સ્તરમાં વહેંચાયેલી પ્રજા એક કેમ છે, એનું રહસ્ય છે. એણે પ્રજાને એક વીરનાયકોના વ્યકિતત્વ અને નૈતિક જીવનની સર્વમાન્ય પશ્ચાદભૂમિ (બેકગ્રાઉન્ડ) આપી છે. મારા બચપણની જૂનામાં જૂની યાદો આ મહાકાવ્યોની વાર્તાઓ મારી મા કહેતી, એમાં સચવાયેલી છે. જેવી રીતે યુરોપ – અમેરિકાના બાળકોને પરીકથાઓ અને સાહસકથાઓ યાદ રહેતી હોય છે.

હું માનતો નથી કે આ વાર્તાઓના વાસ્તવિકતામાં સાચી હોય એ વાતને બહુ મહત્વ આપી હું એની સાથે જોડાયો હોઉં. એમાંના ઘણા જાદૂઈ અને અંધશ્રઘ્ધાપૂર્ણ તત્વો સાથે હું સંમત પણ નથી. પણ એ મારા કલ્પનાવિશ્વમાં મને સાચી લાગે છે. મારા મનમાં (પશ્ચિમના ઘણા સાહિત્યની) અવનવી અસરો છતાં ભારતીય મિથક (માયથોલોજી – પ્રાચીન માન્યતાઓ / સાહિત્ય / પુરાણકથાઓ) ની આવી અમીટ છાપ હોય, તો હું અનુભવી શકું છું કે ખાસ કરીને અશિક્ષિત લોકોના મનમાં આ પ્રાચીન મિથકની કેવી અસર હશે! આ અસર નૈતિક અને સાંસ્કૃતિક (મોરલી એન્ડ કલ્ચરલી) બંને રીતે સારી છે, અને આ કથાઓના સૌંદર્ય કે કલ્પનાશીલ પ્રતીકોનો નાશ કરવાનું કે ફગાવી દેવાનું હું ધિક્કારું છું!’’
(જવાહરલાલ નહેરૂ. સોનિયા ગાંધીના દાદાસસરાના પ્રત્યેક ભારતીયે વાંચવા જેવા પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ના ચોથા પ્રકરણના બારમા ખંડમાં, ૧૯૪૪)
*
‘‘સામાન્ય રીતે કાવ્યના બે વિભાગ પાડી શકાય. કોઈ કાવ્ય એકલા કવિની કથા હોય છે, જયારે કોઈ જનસમૂહની કથા હોય છે…. બીજા પ્રકારના કવિ એવા હોય છે, જેમની રચના દ્વિરા એક સમગ્ર દેશ, એક સમગ્ર યુગ પોતાના હૃદયને, પોતાની અનુભૂતિને વ્યકત કરી તેને મનુષ્યમાત્રની ચિરંતન મિલકત બનાવી દે છે આ બીજા પ્રકારના કવિ મહાકવિ કહેવાય છે. સમગ્ર દેશ વા સમગ્ર જાતિની સરસ્વતી એમના દ્વારા પ્રગટ થાય છે…. રામાયણ – મહાભારત તો જાણે જાહનવી અને હિમાચલની માફક ભારતના જ છે. વ્યાસ અને વાલ્મિકિ તો નિમિત્તમાત્ર છે. વસ્તુતઃ વ્યાસ અને વાલ્મીકિ તો કોઈના નામ નહોતા એ તો નામની ખાતર રાખેલા નામ છે… કવિ પોતાના જ કાવ્યના અંતરાલમાં એટલો બધો લુપ્ત થઈ ગયો છે.

આઘુનિક કોઈ કાવ્યમાં આટલી વ્યાપકતા જણાતી નથી… ભાષાનું ગાંભીર્ય, છંદનું મહાત્મય અને રસની ગંભીરતા ગમે તેટલા હોય, તથાપિ તે દેશનું ધન નથી, પુસ્તકાલયનું ભૂષણ માત્ર છે… ભારતની ધારાએ પણ બે મહાકાવ્યમાં પોતાની કથા અને સંગીતને સંઘર્યા છે… હું એટલું તો નક્કી કહી શકું કે ભારતવર્ષે રામાયણ – મહાભારતમાં પોતાનું કંઈ પ્રગટ કરવું બાકી રાખ્યું નથી. અને તેથી જ સૈકા પર સૈકા વહી ગયા છે. છતાં રામાયણ – મહાભારતનો સ્ત્રોત ભારતવર્ષમાં લેશમાત્ર પણ ક્ષીણ થતો નથી. ગાંધીની દુકાનની માંડીને રાજાના પ્રાસાદ (મહેલ) પર્યંત સર્વત્ર તેમને સરખું સન્માન મળે છે. ધન્ય છે તે કવિ યુગલને (વ્યાસ – વાલ્મીકિ) જેમની વાણી સો સો પ્રાચીન શતાબ્દીનો કાંપ સતત લઈ આવી ભારતવર્ષની ચિત્તભૂમિને આજ પણ ફળદ્રુપ કરે છે.

આ જોતાં, રામાયણ – મહાભારતને કેવળ મહાકાવ્ય કહે ચાલશે નહિ. તેઓ ઈતિહાસ પણ છે. ઘટનાઓનો ઈતિહાસ નહિ. કારણ કે, તેવો ઈતિહાસ તો અમુક સમયને અવલંબીને હોય છે. રામાયણ – મહાભારત તો ભારતવર્ષનો ચિરકાલનો ઈતિહાસ છે. અન્ય ઈતિહાસો કાળે કાળે બદલાયા છે. પણ આ ઈતિહાસ બદલાયો નથી… આ જ કારણથી રામાયણ – મહાભારતની સમીક્ષા અન્ય કાવ્યની સમીક્ષાથી ભિન્ન ધોરણે કરવી જોઈએ.

આદિકાંડના પ્રથમ સર્ગમાં વાલ્મીકિએ પોતાના કાવ્યને યોગ્ય નાયક કેવો હોવો જોઈએ એ નક્કી કરી, અનેક ગુણોનો ઉલ્લેખ કરી નારદને પૂછયું કે ‘કયા એક જ નરમાં સમગ્ર ગુણોની લક્ષ્મી મૂર્તિમંત થઈ છે? ત્યારે નારદે કહ્યું ‘એવો ગુણયુકત પુરૂષ તો દેવતાઓમાં પણ હું દેખતો નથી. પણ જે નરચંદ્રમામાં એ સઘળા ગુણો છે, તેની કથા સાંભળો’ રામાયણ તે નરચંદ્રમાની કથા છે… મનુષ્ય જ પોતાના ગુણે કરીને દેવતા થયો છે. મનુષ્યનો જ અંતિમ આદર્શ સ્થાપવા માટે ભારતના કવિએ મહાકાવ્ય રચ્યું છે… રામાયણની ખાસ ખૂબી એ છે કે તેણે એક ગૃહસ્થીને જ અત્યંત મોટી કરી બતાવી છે… આવા પ્રકારના વ્યકિત – વ્યકિત પરત્વેના અને મુખ્યત્વે કરીને ગૃહસંબંધો કોઈ પણ દેશના મહાકાવ્યમાં વર્ણનને યોગ્ય વિષય મનાયા નથી. આથી કેવળ કવિનો નહિ, પણ ભારતવર્ષનો પરિચય થાય છે. ગૃહ અને ગૃહધર્મ એ ભારતવર્ષને કેવા મહત્વના છે, એ આ વાત પરથી સમજાશે. આપણા દેશમાં ગૃહસ્થાશ્રમને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું.

હું માત્ર આટલી જ વાત જણાવવા માંગુ છું કે વાલ્મીકિના રામચરિત્રની કથાને વાચકવર્ગે કેવળ કવિનું કાવ્ય માનવું નહિ, તેને ભારતવર્ષનું રામાયણ સમજવું… એટલું સ્મરણમાં રાખવાનું છે કે, કોઈ ઐતિહાસિક ગૌરવવાર્તા નહિ, પણ પરિપૂર્ણ મનુષ્યનું આદર્શ ચરિત્ર સૂણવાની ભારતવર્ષે આકાંક્ષા કરી હતી… ભારતવાસીને રામ, લક્ષ્મણ, સીતા જેટલા સત્ય લાગે છે, તેટલા તેના ઘરના માણસો પણ તેને સત્ય લાગતા નથી.’’
(રવિન્દ્રનાથ ટાગોર, ‘રામાયણના પાત્રોની સમાલોચના’ ગ્રંથની પ્રસ્તાવનામાંથી, ૧૯૦૩)
*
‘‘રામઘૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતા રામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ?… રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલા છે. જેટલા ઊંડા જાઓ તેટલા વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરના અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યકિતઓ માને છે વળી તે લોકો માને છે કે દશરથના પુત્રરૂપે ઈશ્વર પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુકિત મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા છે કે તેમને છૂટાં પાડવા અસંભવિત છે. હું તો બધા નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો, છતાં સર્વશકિતમાન ઈશ્વર જ છે…’’
(મહાત્મા ગાંધીજી, હરિજનબંઘુ, ૧૯૪૬)
*
‘‘મને રામકથા ખૂબ જ ગમે છે. તેમાં લડાઇ છે- જેટલી ભયાનક હોઇ શકે એટલી ભયાનક લડાઇ છે. પણ એ દેશ જીતવાની કે કોઇનું રાજય પડાવી લેવા માટેની લડાઇ નથી. રામકથા એ રાજકથા નથી, સમાજકથા છે. આપણું ઘર એ આપણી અયોઘ્યા છે. રામાયણમાં આવતા બધા જ પાત્રો આપણી આ સંસારકથામાં છે- રામથી રાવણ સુધી, જટાયુથી હનુમાન સુધી, મંથરાથી મંદોદરી સુધી… એટલે રામકથા કોઇ એક ધર્મની નથી. કોઇ એક દેશની નથી, કે કોઇ એક કાળની નથી.’’
(રમણલાલ સોની, મૃત્યુ પૂર્વેના અંતિમ ગ્રંથમાં, ૨૦૦૬)
* * *

રીડર બિરાદર, નેચરલી અહીં જે કંઇ પીરસવામાં આવ્યું છે, એ સિલેકટેડ એડિટેડ વર્ઝન છે! (નહિં તો આપણી આ વાતચીતની જગ્યા જ કયાંથી રહે?) પણ આ એવા શબ્દો છે, જે ઘ્યાનથી વાંચવા- સમજવાથી તાજેતરમાં ચાલતા ઘણાં કન્ફયુઝનનું વાસ્તવિક અને વ્યવહારિક સોલ્યુશન મળી શકે. આ કોઇ તિલકધારી, ખેસધારીની રામ-હનુમાનના નામે થયેલી નારાબાજી નથી. આ વૈચારિક ‘ચક્કાજામ’ છે. મોરારિબાપુ જેવા કોઈ મરમીને મજા પડે તેવો. નગીનદાસ સંઘવી સરીખા કોઇ સંશોધક પંડિત માટેનો !

એકસાથે એટલા બધા મુદ્દાઓ ફૂટી નીકળ્યા છે કે બધાની અંદરોઅંદર ભેળસેળ થઇ ગઇ છે. રામનું ઐતિહાસિક અસ્તિત્વ કે તેનો અભાવ કંઇ ભારતમાં પહેલીવાર ચર્ચામાં આવ્યા છે, એવું નથી. અત્યાર સુધી એ સંશોધકોનો વિષય હતો, અચાનક એ રાજકારણને લીધે કોમનમેનના ખોળામાં આવી પડયો છે. અને આપણે લોકો પોતે મૂળ પ્રાચીન ટેકસ્ટનો નિષ્પક્ષ અભ્યાસ કરવાની ફુરસદ કે દાનત કશું જ ધરાવતાં નથી. માટે રામાયણ / મહાભારત કે વેદ-પુરાણ અંગેની આપણી સમજ પોપ્યુલર બની ગયેલી કહાનીઓ અને એના લેખકો-વકતાઓએ પોતપોતાની રીતે કરેલા સગવડિયા (અને મોટેભાગે સંતુલિત નહીં એવા અહોભાવમંડિત આદર્શવાદી) અર્થઘટનોમાંથી જ આવે છે. એમાં પાસ્ટ વઘુ, પ્રેઝન્ટ ઓછું અને ફયુચર નહિવત હોય છે.

જગતની કોઇપણ સરકાર અદાલતમાં ઇશ્વરના અસ્તિત્વના કેસ ચલાવી શકવાની નથી. જીસસ સન ઓફ ગોડ હોવાના કે મોહમ્મદસાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાના કાનુની પુરાવા કયાં છે? આઘુનિક અમેરિકન ચલણમાં રાષ્ટ્રીય મુદ્રાલેખ છાપવામાં આવે છે : ઇન ગોડ વી ટ્રસ્ટ! (સરખામણીએ ભારતનો મુદ્રાલેખ વઘુ વૈજ્ઞાનિક છેઃ સત્યમેવ જયતે!) ઇંગ્લેન્ડના બ્લુ બેકગ્રાઉન્ડના રાષ્ટ્ર ઘ્વજમાં દેખાતા ત્રણ લાલ ક્રોસ સેન્ટ એન્ડ્રુ, સેન્ટ પેટ્રિક, સેન્ટ જયોર્જના છે! ઇસ્લામિક દેશોમાં તો ‘ફેઇથ’ (શ્રદ્ધા) એ જ ફેકટ (સત્ય) છે!
ગુંચવાડો એ છે કે અસ્તિત્વના સિદ્ધ પ્રમાણો શોધવા હોય તો પણ ખ્રિસ્તી- ઇસ્લામ ધર્મના હજુ પણ મળે છે, કારણ કે એ પ્રમાણમાં નવા છે. હજાર-બે હજાર વર્ષ પહેલાંના ઘણાં અવશેષો પૃથ્વી પર બચ્યા છે. ડિટ્ટો જૈન, બૌદ્ધ ધર્મ. પણ સનાતન (હિન્દુ) ધર્મ આ બધાથી વઘુ જૂનો છે. કાળના પ્રવાહમાં એના ખાસ પુરાવા બચ્યા નથી. વળી, એની મૂળભૂત આદત જ ડોકયુમેન્ટેશન પ્રત્યે ઉદાસીનતાની છે. સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે.

માટે રામ કે કૃષ્ણ, ભારતમાં સાબિતી નહિ, પણ સ્વીકૃતિનો જ વિષય રહ્યો છે. કાકાસાહેબ કાલેલકર કહેતા એમ ભારત માટે આ બે જ ‘રાજા’ છે. બાકીના રાજાઓ પણ એમના સેવક છે! સરદાર પટેલે ભારતના રજવાડાંઓનુ એકીકરણ શરૂ કર્યું ત્યારે ત્રાવણકોરના મહારાજાએ ‘મારૂં રાજય તો ભગવાન પદ્મનાભનું છે, અને હું તો ભરતની જેમ એનો કેરટેકર રખેવાળ છું, એટલે મારાથી જોડાણના દસ્તાવેજ પર સહી કેવી રીતે થાય?’ એવું ગતકડું ચલાવ્યું હતું!

એક ફિલ્મની સ્ટોરી પણ બીજા દિવસે દોસ્તોને સંભળાવો. એમાં બે ચાર વાકયો / પ્રસંગોમાં ફેરફાર થઇ જાય છે. તો હજારો વર્ષો પહેલાં રચાયેલી કોઇ કૃતિમાં કેટલા પરિવર્તનો આવતા જાય! પ્રાચીન ભારતમાં મનગમતા પાત્રોને લઇ પોતપોતાના દ્રષ્ટિકોણથી વાત મૂકવાનો / ટીકા કરવાનો / જાતીયતાનો છોછ નહોતો. (ધાર્મિક લાગણી દુભાવાના પ્રતિબંધો તો અર્વાચીન ભારતની ખાસિયત છે!) માટે કેટલાય પુરાણોમાં એકબીજાથી વિરોધાભાસી લાગે એવી રીતે રામકથા કહેવાઇ છે. (સેમ્પલઃ શિવપુરાણ મુજબ હનુમાન શિવપુત્ર છે). વળી રામકથાના રસને લીધે ભાસથી ભવભૂતિ, કાલિદાસથી ભોજ સુધીના અનેક સમર્થ સંસ્કૃત શબ્દશિલ્પીઓએ એમાં પોતપોતાના રંગો ભેળવીને એની જુદી જુદી ‘રિમેક’ કરી છે. એ ઉપરાંત વળી સમયાંતરે મૂળ રામાયણ કરતા વધુ લોકપ્રિય એવા ‘રામચરિતમાનસ’ની ‘રિ-મેક’ની માફક જેમ જે-તે સ્થળકાળના આગવા (અને એકબીજાથી અલગ) રામાયણો બનતાં ગયા છે.

ભુશંડી રામાયણ, અનંદ રામાયણ, અદ્દભૂત રામાયણ, ચંપૂ રામાયણ, અઘ્યાત્મ રામાયણ જેવા અટપટા રામાયણો રચાયા છે. કોઇમાં હનુમાન રામના ભાઇ છે, કોઇમાં સીતા મંદોદરીની દીકરી છે! જૈન રામાયણોમાં જૂના વાસુદેવ હિન્ડી મુજબ લક્ષ્મણ રાવણને મારે છે. સંખ્યાબંધ જૈન રામાયણોની જેમ અઢળક બૌદ્ધ રામાયણો રચાયા છે. બૌદ્ધ ભિખ્ખુઓના ફેલાવા સાથે એ બધા અગ્નિ એશિયાના ઇન્ડોનેશિયાથી ચીન- જાપાન સુધી પહોંચ્યા. લોકવાર્તાની જેમ એમાં કેટલુંય ફરી ગયું. કોઇમાં રામ-સીતા, ભાઇ-બહેન થઇ ગયા! થાઇલેન્ડ- મ્યાનમારમાં તો રાજાઓના નામ રામ હતાં! થાઈલેન્ડની પૂર્વ રાજધાની જ અયુથયા હતી ને એરપોર્ટ પર જ રામ-રાવણના શિલ્પો કોઈ આસ્તિક ગણાઇ જવાના સ્વદેશી છોછ વિના છે ! ઉપરાંત ભારતના રાજયેરાજયના બેસુમાર રામાયણો છે!

ગુજરાતીઓને કદાચ ખબર પણ નથી કે આવા અડાબીડ જંગલ વચ્ચે શકય એટલું ગાળીચાળી મુળ શુદ્ધ રામાયણ પ્રગટ કરવાનું કામ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીએ ૧૯૫૪માં શરૂ કર્યું, અને દેશ-વિદેશના વિદ્વાનોના વિચારવિમર્શ પછી ૨૪ વર્ષે સંશોધિત આવૃત્તિના ૭ તોસ્તાન ગ્રંથો પ્રગટ થયા હતાં. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ ઓફ બરોડાએ પાંચ હજાર પાનાના સાત કાંડો ફકત અઢીસો રૂપિયામાં વેંચ્યા હોવા છતાં, કોઇ વાંચતુ નથી! હવે એ મળતા ય નથી. (રામપારાયણોમાં કે મંદિરોમાં કરોડો ખર્ચનારા ગુજરાતી ધનકુબેરોએ આવા જ્ઞાનયજ્ઞમાં કાણી કોડીનું ય દાન આપ્યું નહોતું!) બે હજાર જેટલી રામાયણની હસ્તલિખિત પોથીઓમાં ચકાસી ૮૬ અધિકૃત, જૂની પોથીઓ વડોદરા એકઠી કરવામાં આવી હતી. ૪૫ પોથી દેવનાગરીમાં હતી. દુનિયાની સૌથી જૂની હસ્તલિખિત પોથી ઇ.સ. ૧૦૨૦ની કાઠમંડુ (નેપાળ)ની હતી.
એમાંથી જે એકસમાન નીકળે એ જુદુ તારવ્યું, બાકીનાની શૈલી-વ્યાકરણ સાહિત્યિક, સાંયોગિક અને ઐતિહાસિક સંદર્ભમાં ચકાસણી થઇ. અક્ષરેઅક્ષર પર ઝીણવટપૂર્વક કામ કરીને વાલ્મીકી રામાયણનો મુળ પાઠ અને એમાં થયેલા ફેરફારોની નોંધો સહિત આ લગભગ સત્તાવાર રામાયણ પ્રકાશિત થયું છે. એનું મહાત્મ્ય કેવળ ધાર્મિક નથી એ સંસ્કૃત ભાષા, નામ, ક્રિયાપદ, વિશેષણ અને જે તે કાળની અસરોનો પણ દસ્તાવેજ છે. ૨૩૦૦-૨૪૦૦ વર્ષ પહેલાં પાણિનીના ‘અષ્ટાઘ્યાયી’ વ્યાકરણ ગ્રંથમાં વર્ણવાયેલા નિયમો બહારના ‘આર્ષપ્રયોગો’ વાલ્મીકી રામાયણમાં હોઇને એ ઓફિશ્યલી અઢી હજાર વર્ષ કરતાં જૂનું છે. (આ વાત ગ્રંથની છે, રામ જો થયા હોય તો એથી પણ જૂના હોઇ શકે છે!)

પણ આવી શાસ્ત્રીયતાની પિંજણમાં દિમાગ દોડે છે. ભારતીય પ્રજાના દિલમાં તો રામ એટલે વસેલા છે કે એની સૃષ્ટિ માત્ર કાલ્પનિક લાગતી નથી. એમાં એને પોતાના પારિવારિક જીવન, આદર્શ સંસ્કારોની ઝંખના તથા અશુભ પર શુભના વિજયનું ‘આઇડેન્ટીફિકેશન’ થાય છે. આ પ્રક્રિયા કાયદાપોથી કે પ્રયોગશાળાથી સમજાવી શકાય તેમ નથી.

ત્રણ દાયકા પહેલાં આવેલી ‘શોલે’ ફિલ્મનો ગબ્બર જો હયાત હોય એવું ઘરઘરાઉ ચરિત્ર બની જતો હોય, તો રાવણદહન કમસેકમ ત્રીસ દાયકાઓથી દશેરાએ થતું આવે છે! વીસમી સદીમાં સર્જાયેલા મીકી માઉસ કે ડોનાલ્ડ ડકના પાત્રોના ઘર બતાવતા ડિઝનીલેન્ડમાં ટોળા ઉમટતાં હોય તો રામાયણની વાનરસેનાનું બે-ચાર મિલેનિયમથી ‘બ્રાન્ડિંગ’ થતું આવે છે. શેરલોક હોમ્સ કે કેપ્ટન જેક સ્પેરો કે અનારકલી કે અલાઉદ્દીન કે હેરી પોટર કે ટારઝન જેવા પાત્રો ઇતિહાસમાં કયાંય દેખાતા નથી. પણ એવી સરસ રીતે લખાયા કે દર્શાવાયા છે કે એ ખરેખર હયાત હોય એવું માનવા મન લલચાય છે. ક્રિસમસમાં છવાઇ જતાં સાન્તાકલોઝનું કોઇ ઐતિહાસિક તો શું, ધાર્મિક અસ્તિત્વ પણ નથી, છતાં કોર્ટમાં એને પડકારવામાં આવે ત્યારે બાળમાનસની આશા અને શ્રદ્ધાની જીત દર્શાવતી ‘મિરેકલ ઓન થર્ટી ફોર્થ સ્ટ્રીટ’ની ફિલ્મની બબ્બે આવૃત્તિઓ અમેરિકામાં સુપરહિટ થઇ છે!

રામ-કૃષ્ણ નામના ‘લાર્જર ધેન લાઇફ’ વ્યકિતત્વોના જીવનના પ્રસંગોમાં કલ્પનાની રંગોળી પુરીને ગ્રંથો રચાયા હશે? ‘દા વિંચી કોડ’ જેવી નવલકથાની માફક ભાષા-ભૂગોળની વિગતો સાચી અને વાસ્તવિક લાગતા મૂળ પાત્રો અને પ્લોટ કાલ્પનિક એવી રીતે આ મહાકાવ્યો બન્યા હશે? વી ડોન્ટ નો. આ બધી જ કેવળ ભગવાનની વાણી – કહાણી છે અને પરમ સત્ય છે, એવી બેવકૂફીમાં મૂળ વાતના તલસ્પર્શી અભ્યાસ પછી મન માનતું નથી. આ બધી નરી વાહિયાત કવિતા છે, એવું એની અસર અને જે તે કાળની સાપેક્ષે સાહિત્યની અજોડ ગુણવત્તા જોતાં કહી શકાતું નથી!

જર્મનીમાં દેવની જેમ પૂજાતા કવિ ગૂથે (ગટે)ને વિવેચકોએ કહ્યું કે વાંચવામાં બહુ પ્રેરક, મનોરંજક, સુંદર લાગે એવી રોમન કથાઓ (ટાઈટન,વીનસ, હરકયુલીસ વગેરે) ખરેખર શંકાસ્પદ રીતે જૂઠી છે – ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’
કોઇ શક?

જય રામજી કી! રામ રામ ત્યારે…


ફાસ્ટ ફોરવર્ડ
 યાવત્‌ સ્થાસ્યંતિ ગીરયઃ સરિતઃ ચ મહિતલે
તાવત્‌ રામાયણકથા લોકેષુ પ્રચરિષ્યતિ
(વાલ્મીકિ રામાયણ, બાલકાંડઃ સર્ગ-૨, શ્વ્લોક ૩૬-૩૭)

ભાવાર્થ: ધરતી પર પહાડો અને નદીઓ રહેશે ત્યાં સુધી લોકોમાં રામાયણની કથા ફેલાતી જ રહેશે.

  - જય વસાવડા (સ્પેકટ્રોમીટર)