સોમવાર, 7 જાન્યુઆરી, 2013

કિતાબી દુનિયા

પુસ્તકો મારા માટે પ્રાણ છે. જિંદગીમાંથી પુસ્તકો છિનવાઈ જાય તો બાકી કશું જ બચે નહીં. પુસ્તકો એવા મિત્રો છે જે તમને તમારી શરતે સાથ આપે છે - તમે કહો ત્યારે, તમે કહો ત્યાં. મિત્રોથી કંટાળો ત્યારે તમે એમને કહી શકતા નથી કે હવે તમે જાઓ. પુસ્તકમાં બુક માર્ક મૂકીને તમે ગમે તે ઘડીએ એને બાજુએ મૂકી દઈ શકો છો.

અને બીજે દિવસે ફરી એ જ પુસ્તકનો સાથ મેળવી શકો છો. મિત્રોને તમે કહી તો જુઓ કે હવે તમે જાઓ અને બીજી સવારે એમને પાછા બોલાવશો તો તેઓ આવશે? પુસ્તકો ક્યારેય માઠું લગાડતાં નથી.

અડધી ચડ્ડી પહેરવાના દિવસોથી પુસ્તકો સાથેની દોસ્તી શરૂ થઈ. પાંચમા ધોરણ વખતની વર્ષગાંઠે એક નિકટના સગાએ મૂળશંકર મો. ભટ્ટે અનુવાદ કરેલું પુસ્તક ભેટ આપ્યું. જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’. બાળપુસ્તકોમાં હોય એવા મોટા મોટા ટાઈપ નહોતા એટલે પુસ્તક રાખી મૂક્યું. છેક સાતમા ધોરણના વકેશનમાં વાંચ્યું. એ પછી આ અદ્ભુત સાહસકથાની અનેક નવી આવૃત્તિઓ ખરીદી અને ભેટ આપી. સાતમા ધોરણમાં સ્કૂલમાં વિમળા સેતલવાડે કરેલો અનુવાદ ‘સાહસિક કિશોર’ની એક-એક નકલ બધા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. પ્રી-ટીનએજ ઉંમરનો હીરો હતો. એય પાછો એની કોઈ કઝિન-બઝિનના પ્રેમમાં હતો. એ પુસ્તક, મોટા થયા પછી શોધવાની ખૂબ કોશિશ કરી, નથી મળ્યું. બજારમાં પણ ક્યાંય નથી.

આઠમા, નવમા કે દસમા ધોરણમાં અઠવાડિયે એક વાર લાઈબ્રેરીનો પીરિયડ આવે. પ્રિન્સિપાલ મધુસૂદન વૈદ્ય એક આદર્શ આચાર્ય એટલે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવા માગતા. છોકરાઓ લાઈબ્રેરીમાં જઈને ધમાલમસ્તી કરે. પ્રિન્સિપાલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત એક પુસ્તક કાર્ડ પર લખાવીને લેવાનું અને બીજાં અઠવાડિયે પાછું આપી જવાનું એવું ફરમાન કાઢ્યું. મોટાભાગના છોકરાઓ વાંચ્યા વિના જ પુસ્તક પાછું લઈ આવે. વૈદ્યસાહેબ હારે એવા નહોતા. એમણે નોટિસ કાઢી કે હવેથી દરેક વિદ્યાર્થીએ પોતે વાંચેલા પુસ્તક વિશે ક્લાસમાં બોલવાનું. આ તો ઉપાધિ થઈ. એનો રસ્તો અમે કાઢી આપ્યો. વાંચવાના ચોર હોય એવા બધા જ ક્લાસમેટ્સને અમે ઓફર કરી કે તમારી ચોપડી મને આપી દેવાની, હું તમને એ વાંચીને કહી દઈશ કે એમાં શું શું છે. તમારે એ બોલી નાખવાનું.

એક વરસમાં આખી લાઈબ્રેરી વાંચી કાઢી. દસમા ધોરણથી સ્વતંત્રપણે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને પુસ્તકો ખરીદતો થયો. વર્ષગાંઠ નિમિત્તે મળેલા, બહારગામથી દાદા કે નાના કે મામા-કાકા આવ્યા હોય અને જતી વખતે પાંચ-દસ રૂપિયા હાથમાં મૂકતા જાય તે રીતે મળેલા. કે સ્કૂલમાં કોઈક ઈનામબિનામરૂપે મળેલા પૈસા પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને વાપરી આવતો.

તે વખતે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ‘નવજીવન’ની દુકાન હતી. ગાંધી સાહિત્ય ત્યાં મળે. કાકાસાહેબ કાલેલકર અને એવા બધાની ચોપડીઓ પણ મળે. બહુ સસ્તી. એટલે મોટાભાગની ખરીદી ત્યાંથી થતી.

કૉમર્સ કૉલેજમાં એડમિશન લીધું પણ કૉલેજની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ગણ્યાંગાંઠ્યા. એટલે પરીક્ષા વખતે ચોપાટીની ભવન્સ લાઈબ્રેરીમાં વાંચવા જવાનું નક્કી કર્યું. વાંચવાનું એટલે? સવારના આઠ વાગ્યે લાયબ્રેરી ખુલે એટલે આપણી જગ્યા બુક કરીને ત્યાં પાઠ્યપુસ્તકો મૂકી દેવાનાં. પછી નીચે ઉતરીને ન્યૂ યોર્કરમાં નાસ્તાપાણી પતાવીને વાંચવા બેસવાનું. આખો દિવસ શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય અને એવું બધું વાંચવાનું. સુરેશ જોષીનાં મેગેઝિનોની ફાઈલો (ઊહાપોહ, મનીષા વગેરે) જ્યોતિષ જાનીના સામયિક ‘સંજ્ઞા’ની ફાઈલો ઉપરાંત ‘ગ્રંથ’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘કવિલોક’ની ફાઈલો ત્યાં હતી. બધું જ વાંચ્યું. કૉમર્સની પરીક્ષાનું પરિણામ જે ધાર્યું હતું તે જ આવ્યું. નાપાસ.

કોઈ પૂછે કે જિંદગીના છેલ્લાં વરસોમાં તમે કેટલાં અને કયાં કયાં પુસ્તકો સાથે રાખો. અત્યારે ખબર નથી કે જિંદગીનાં છેલ્લાં વરસો ક્યારે શરૂ થવાનાં છે. પણ માની લો કે આજથી શરૂ થઈ જવાનાં હોય તો હું ઍયન રેન્ડની નવલકથા ‘ફાઉન્ટનહેડ’ રાખું. આર્કિટેક્ટ બનવા માગતો સિરફિરો હીરો હાવર્ડ રોર્ક કૉલેજમાંથી ડિસમિસ થાય છે. ડીન એણે કરેલી ડિઝાઈનો જોઈને પૂછે છે : આવાં ચિત્રવિચિત્ર મકાનો તને કોણ બનાવવા દેશે? હીરો જવાબ આપે છે: સર, સવાલ એ નથી કે આવાં મકાનો મને કોણ બનાવવા દેશે; સવાલ એ છે કે આવાં મકાનો બનાવતાં મને કોણ રોકશે?

સ્વામી આનંદની ‘કુળકથાઓ’ પણ રાખું. જૂના મુંબઈની ખુશ્બો એમાંથી આવે. ગુજરાતીઓનો આ શહેરમાં કેવો દબદબો હતો. હ્યુ પ્રેથરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ મારું ઑલટાઈમ ફેવરિટ પુસ્તક છે. એક સ્ટ્રગલર લેખક તરીકે આ પુસ્તક એણે લખ્યું. કેટલાક પબ્લિશરોએ છાપવાની ના પાડી. છેવટે છપાયું. અત્યાર સુધીમાં કરોડો નકલ વેચાઈ ચૂકી છે.

જેફ્રી આર્ચરની ‘કેન એન્ડ એબલ’, ફ્રેડરિક ફોર્સીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ અને મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ - આ ત્રણેય નવલકથાઓ મને અશ્ર્વિની ભટ્ટની ‘આશકા માંડલ’, હરકિસન મહેતાની ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ અને વીનેશ અંતાણીની ‘પ્રિયજન’ જેટલી જ ગમે છે.

હરિવંશરાય બચ્ચનની આત્મકથાના ચારેય ભાગ બહુ ગમે છે: કયા ભૂલું, કયા યાદ કરું, બસેરે સે દૂર, દશદ્વાર સે સોપાન તક અને નીડ કા નિર્માણ ફિર.

‘દીવાન-એ-ગાલિબ’ અને રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મને મારી મરણપથારીએ અડખેપડખે જોઈએ. ગુલઝારે કહ્યું છે કે એમણે જે ફિલ્મો બનાવી એમાંથી સૌથી સારું કામ એમણે ‘મિર્ઝા ગાલિબ’ માટે કર્યું. હાલાકિ એ ટીવી સિરિયલ હતી. એ જ સિરિયલ પરથી ગુલઝારે કિતાબ લખી: ‘મિર્ઝા ગાલિબ: એક સ્વાનહી મંઝરનામા’. એ પણ એટલું જ ગમે.

અમદાવાદના પાંચ-છ વરસના વસવાટ પછી કાયમ માટે પાછો મુંબઈ આવતો હતો. મુંબઈના એક મિત્રે મારો સામાન સહીસલામત પહોંચાડવાની ગોઠવણ કરી આપી. પુસ્તકો કેટલાં છે એની ગણતરી કોઈ દહાડો રાખી નથી. પ્રિયપાત્રને કરેલાં ચુંબનોની સંખ્યાનો હિસાબ કોઈ કેવી રીતે રાખે? એક સરખી સાઈઝનાં કાર્ટન ભરાતાં જતાં હતાં. કેટલા ટનની ટ્રક લાવવી તેનો અંદાજ કરવા એક કાર્ટનનું વજન થયું, ગુણાકાર થયો. બે ટન વજનનાં પુસ્તકો થયાં. બે હજાર કિલો. લોકોને ચંદનના લાકડે બળવાનું ખ્વાબ હોય. મને પુસ્તકોની શૈય્યા પર છેલ્લા શ્ર્વાસ લેવાની હોંશ છે. 


 ગુડ મોર્નિંગ - સૌરભ શાહ (મુંબઈ સમાચાર  તા : 26/12/2012)

શનિવાર, 7 જુલાઈ, 2012

wall paper 15




પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

– અનિલ જોષી


રવિવાર, 20 મે, 2012

ઝિંગ થિંગ !

ઝિંગ થિંગ !
કૂટ, ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ
હોત સયાને બાવરે, નવ કોર ચિત્ત લાગ !
 
લોકસાહિત્યનો આ અદ્ભુત દૂહો કરે છે કે નવ બાબતો એવી છે જે આવે ત્યારે ભલભલા ડાહ્યા માણસો પાગલ થઇ જાય. ઝેર, ગુસ્સો, નવજાત બાળક, સૌંદર્ય દેખાડતો અરીસો, પ્રેયસી, વ્હાલું આપ્તજન, રાતનો અંધકાર, દુઃખ અને વાસંતી ફાગણનો ખુમાર !

જય વસાવડા અનાવૃત ૧૧/૩/૨૦૦૯

ગુરુવાર, 3 મે, 2012

ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ




કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

- ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ... નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું? કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારે 'કોમ્પ્રોમાઈઝ' કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું? માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું નેપણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસ 'માય ડે' ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિને 'માય ડે' ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસ 'માય ડે' છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હું 'માય ડે' ને શા માટે બગાડું?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાં 'માય ડે' કયો છે? આપણે દુનિયાભરના 'ડે' ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈ 'ડે' નથી હોતો એટલે એ 'બર્થ ડે'ને 'માય ડે' માની લેતો હોય છે. 'બર્થ ડે' એ આપણા જન્મનો દિવસ છે અને 'માય ડે' એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ... આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજ 'માય ડે' લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું

આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો? કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમે 'માય ડે' ઊજવવાનું શરૂ કરો છો?
 
છેલ્લો સીન
પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
- હેલી બર્ટન
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   29/4/2012

wall paper 14


શુક્રવાર, 20 એપ્રિલ, 2012

ગુરુવાર, 12 એપ્રિલ, 2012

ડિવાઇડર પરનો છોડ

 ડિવાઇડર પરનો છોડ

વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?
હું રોડ વચાળે ઊભેલા ડિવાઇડર પરનો છોડ.

મનેય થાતું, પંખી આવે,
ખૂબ ટહુકે, માળો બાંધે,
જરા ગોઠવી તણખલાઓ
મારી અંદર કશુક સાંધે;
(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

ચરણ ચાલવા, જીભ બોલવા,
ક્યા છે કોઈ દિલાસો?
કંટાળું તોય માણસ માફક
ખાઈ શકું ના ફાંસો;
તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

- અનિલ ચાવડા

આપણા બધા ના જીવન ની મનોહસ્થિતિ  ડિવાઈડર પરના છોડ જેવીજ હોય છે. ડિવાઈડર એટલે એક એવી રેખા જે બે ભાગ પાડે છે કે જેના વડે બે ભાગ માં રસ્તો વિભાજીત થાય છે.આપણે પણ એવીજ રેખા પર ઉભેલા વિકાસ પામવાની મહત્વાકાંક્ષા સેવતા એક છોડ જ છીએ.

કવિશ્રી અનીલ ચાવડા એ  જીવન ના મેનજમેન્ટ ને પૂરે પૂરું પોતાની રચના માં સમાવાનો સફર પ્રયાસ કરેલ છે.દરેક માનવી ને અમુક કોડ હોયજ છે,કોડ ઈચ્છા એ જ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું પીઠબળ પૂરું પડે છે. મારા મતે તો જરૂરિયાત પણ ઈચ્છાનું જ એક સંતાન છે, તેથી ઈચ્છા કોડ એજ આવિષ્કાર ની જનની છે.

આપણા દરેકને પણ છોડની જેમ વૃક્ષ બની ને ખીલવાનું,વૃદ્ધિ પામવાની, પ્રગતી કરવાની, ઉચા આકાશે આંબવાની એક છુપી ઈચ્છા હર હંમેશ ધબકતી રહેતી હોય છે.

હા, ઈચ્છા છે વૃદ્ધિ કરવાની, પ્રગતી કરવાની, પરંતુ પોતાના એક માટે નહિ. કવિ કેવા સરસ શબ્દો દ્વારા એ ઈચ્છા રજુ કરે છે. " મનેય થાતું, પંખી આવે, ખૂબ ટહુકે, માળો બાંધે, "  મારી વૃદ્ધિ, પ્રગતી, જોયને કોય આવે, મારામાં માળો બાંધે રહે ખુબ ટહુકે આંનદ કરે કિલ્લોર કરે પોતે પણ પ્રગતી કરે.આગળ કવિ બહુજ સરસ વાત મુકે છે."જરા ગોઠવી તણખલાઓ  મારી અંદર કશુક સાંધે;"  તેમના જીવન માંથી પણ હું કંઈક શીખી મારા જીવન માં કઈ ખામી હોય, તો તેને ભરવા પ્રયત્ન કરું, સાંધુ તેની પાસેથી મેળવું(પણ).

ભગવદ્ગોમંડળ માં "પણ" નો એક અર્થ ઇંદ્રનો એ નામનો એક શત્રુ. આપણા જીવનમાં "પણ" વિષે એવુજ છે. શત્રુ ને જેમ ક્યારે આવીને ઉભો રહી જાય તેથીજ કવિ તેની ખાસ કૌશમાં મુક્યો છે."(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,"  ગીતામાં જેમ આર્જુનો રથ ભગવાને બને સેનાની વચ્ચે રાખેલ તેમ આપણે પણ  એક વિભાજન રેખા પર ઉભા છીએ, માનીલીધેલા સત્ય અસત્યની ,માનીલીધેલા ધર્મ અધર્મની ,પણ કવિ તો કહે છે કે પહેરેદાર બની ઉભો છે બંને બાજુ નો રોડ આજ કાલ જેટલું અસત્ય અને અધર્મ ધાતક છે તેટલું જ માની લીધેલ સત્ય અને ધર્મ ધાતક છે. બંને બાજુ થી પહેરેદારો ઉભા કરી દેવામાં આવે છે.

રચના માં આગળ કવિ માણસની વ્યથા વર્ણવે છે."ચરણ ચાલવા, જીભ બોલવા, ક્યા છે કોઈ દિલાસો ?" માણસ પાસે ચાલવા ચરણ છે, બોલવા જીભ છે. પરંતુ પોતાની સ્વતંત્રતા ક્યાં છે. આપણે પણ છોડ ની જેમ લાચાર છીએ. આગળ કવિ એ માણસ ઉપર જોરદાર વ્યંગ કર્યો છે. "કંટાળું તોય માણસ માફક  ખાઈ શકું ના ફાંસો;"  આત્મા હત્યા એ સોથી શરમ જનક બાબત છે. દુ;ખ અને કંટાળો તો દરેક જીવને આવતો હોય છે. પરંતુ માણસ  એકજ એવો જીવ છે. કે જે આત્મહત્યા કરે છે કે તેના વિશે વિચારે છે. કોય પણ સમસ્યાનું આત્મહત્યા કોઈ ઉપાય ના હોય શકે.આત્મહત્યાતો કાયર માણસનું કામ છે. કવિ આ બાબત માં જોરદાર ચાબખા મારે છે.આથી જ કવિ આગળ કહે છે. "તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;"  આ જીવન તૂટક તૂટક છે ક્યાંક દુ;ખ નો ખારોધુધ દરિયો વહે છે તો ક્યાંક સુખ ની સરવાણી વહે છે.

બહુ સુંદર રચના કવિશ્રી અનીલ ચાવડા ને લાખ લાખ અભિનંદન .

 કવિશ્રી અનીલ ચાવડા ની કવિતા નો આસ્વાદ 
પ્રથમ પ્રયત્ન