બુધવાર, 9 માર્ચ, 2011

સ્ત્રીઓની મુક્તિ... વિજ્ઞાનની શક્તિ !

સ્ત્રી ડરે છે, એકલી રહેવાથી
એ ડરે છે - અંધકારથી,
ને દિવસના અજવાળાથી.

પરિચિત - અપરિચિત પડોશીથી
ભરબપોરે વાગતી ડોરબેલથી
અડધી રાત્રે રણકી ઉઠતા ટેલિફોનથી
ને ટેલિગ્રામના નામમાત્રથી...
સ્ત્રી ડરે છે, તેના સુંદર દેખાવથી

રસ્તા પર પસાર થતા પુરૃષથી
સાસુ, પતિ, પુત્રથી

વાંદા, ઉંદર, ને ઘરમાં ફરતી ગરોળીથી
સ્ત્રીને જોઈએ છે, સુરક્ષિતતા
ટેકો - ભલે તે કોઈનો પણ હોય,
કુમકુમથી માંડીને કૂખ-

એવી તો લાખ વસ્તુઓથી
તે સજાવી લે છે પોતાના સ્ત્રીત્વને
પોતાની શક્તિને બાંધી લેતી

એ તમામ વસ્તુઓનું તે જીવથીયે વધુ જતન કરે છે.
આકરા અવાજથી
તે શિથિલ બની જાય છે.

બારી બારણા બંધ કરી લઈને
પવન, વરસાદ કે સૂર્યપ્રકાશ
ઇન્દ્રિયોના દરેક ઉઘાડને તે રોકી લે છે.
સ્ત્રી ડરે છે,
તેના પોતાના મનથી, વિચારથી,
માગણી કરતાં શરીરથી.
સ્ત્રી ડરે છે,
તેના પોતાથી

અંત સુધી !

કવિતા મહાજનની એક મર્મવેધક રચનાનો આ ગુજરાતી અનુવાદ મનીષા જોશીએ કર્યો છે. વાત અહીં કેવળ સાહિત્યિક નથી, વાસ્તવિક છે. સ્ત્રીનું સદીઓથી એક ચિત્રણ જ 'ગભરું અબળા' એવું થયું છે. મનુ મહારાજ 'ન સ્ત્રી સ્વાતંત્રમર્હતિ' એવું ફરમાન બહાર પાડે કે, મોહમ્મદ સાહેબના અનુયાયીઓ 'બે નારીની સાક્ષી બરાબર એક નરની સાક્ષી'નો ફતવો ચલાવે, ને મસીહા (જીસસ)ના કેટલાંક શિષ્યો વળી સ્ત્રી સાથેના સંબંધને જ 'ઓરિજીનલ સીન' (પાયાનું પાપ) ગણે - ત્યાં સ્ત્રી પુરુષની કેદમાં અને સમાજની નાગચૂડમાં નખશિખ પકડાયેલી અને દબાયેલી રહેતી. ધીરે ધીરે યુરોપમાં રેનેસાં (નવજાગરણ)ની લ્હેરખીઓ આવી, આધુનિક શિક્ષણે સ્ત્રીઓને સ્વતંત્ર પહેચાન માટે પ્રવૃત્તિ કરી. પછી બે પ્રકારનાં આંદોલનો ચાલ્યા. એક સ્ત્રીઓ તરફ થતા અન્યાય અને અત્યાચારને રોકી સામાજિક-ધાર્મિક કુરિવાજો કે કાયદો હટાવવાની ઝુંબેશ ચાલી. જેમકે, ભારતમાં વિધવાવિવાહ, પશ્ચિમમાં છૂટાછેડા પછી ભરણપોષણ વગેરે. બીજી નારીવાદી ચળવળ ચાલી. મજાકમાં જેને 'બ્રા-બર્નિંગ' કહેવામાં આવે છે, એવી આ ક્રાંતિમાં ખાસ્સો કોલાહલ થયો અને થાય છે. આ મથામણનાં હેતુઓ ઉમદા હતા. નારીને પોતાનું આગવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય એ વાતનો સ્વીકાર કરી, એને ખુદની મરજી મુજબ જીવવા દેવાની વાત હતી. ઘરકામના ઢસરડા કે જરીપુરાણી માનસિકતા કે પુરુષના ત્રાસના બોજમાંથી આઝાદ કરવાની વાત હતી. સ્ત્રીને પોતાની રીતે પગભર બની પોતાની મરજીથી સુખી કે આનંદિત થવાની વાત હતી.
પણ ધીરે ધીરે રાજકીય ચળવળોની જેમ નારીવાદ માત્ર નિવેદનોમાં સીમિત થઈ ગયો. છતાંય, ઘણા ફેમિનિસ્ટસ આજે સંતોષની નીંદર લે છે કે પહેલાના પ્રમાણમાં સ્ત્રીઓ ખાસ્સી મુક્ત થઈ છે. નોકરી કરે છે, બહાર નીકળે છે. પોતાના સંબંધોના નિર્ણય જાતે લે છે. લગ્ન પછી પણ કઠપૂતળી બનતી નથી. સ્વતંત્ર આવક મેળવે છે. સ્વતંત્ર રીતે 'એન્ટરટેઈન' થવાની એની પાસે ચોઈસ છે. એના કપડાં અને કોસ્મેટિક્સની રેન્જ પણ વધુ વેરાયટીવાળી થઈ છે. ટીવીનું રિમોટ એના હાથમાં છે. યુનિવર્સિટીઝની ડિગ્રીઝ પણ!
સરસ, પણ આમાં ફેમિનિસ્ટસના ફાળા કરતાં સાયન્ટિસ્ટસનો ફાળો વધુ છે. તેનું શું ? સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક અભિગમ સ્ત્રીસંસ્થાઓને લીધે થોડોક (રિપિટ, થોડોક) બદલાયો હશે - પણ સ્ત્રીની સ્વતંત્રતાની જ વાત કરતા હોઈએ તો એ વિજ્ઞાાને અપાવી છે !
બાત હજમ નહીં હુઈ ? ચાલો, પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. નારીમુક્તિની ચળવળ શરૃ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે - સ્ત્રીને શ્રમવિભાજનના અન્યાયી ભાગરૃપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડયું છે. ઘરની 'લક્ષ્મી'ના નામે એની શબ્દોથી પૂજા થાય છે, પણ વાસ્તવમાં એ ઘરની 'દાસી' બની જાય છે. માત્ર માનસિક અકળામણ જ નહિ. શારીરિક થાક અપાવે એટલું 'ઘરકામ' રોજેરોજ નિરંતર, આજીવન (કે બહુ સાસ ન બને તબ તક!) એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઊઠીને કૂવેથી પાણી ભરવા જતી પનિહારીઓના ગીતો રચાતા.
કવિઓ તો 'પાણી ભરવા ગ્યા'તા', કરીને પનિહારીના રસિક ગીતો લખે... પણ ક્યારેય વિચાર કર્યો છે કે સવારના પહોરમાં સૂરજ ઊગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કૂવે જવું, જાડું રાંઢવું (દોરડું) લઈ એને કૂવામાં નાંખી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ 'હાશ' કરીને નિરાંતે આરામ ન કરવાનો હોય - ગામડું હોય તો છાણ-વાસીદું કે દૂધ દોહવાનું ચાલું થાય... શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય... અને આ બધા વચ્ચે ચૂલો તો સળગી જ જાય!
કલાકારો કે મહિલા મોરચાઓએ આ રોજીંદી જાત નિચોવી દેતી ઘટમાળ સામે બૂમરાણો તો ખૂબ કરી... પણ ઉકેલ શું આપ્યો ? કેવળ ચિત્કાર, સહાનુભૂતિ કે બહુ બહુ તો બળવાખોરી ? ચાલો, બળવો કરીને સ્ત્રી (પુખ્ત હોય તો) એકલી રહેવા જતી રહી. પછી? પછી કપડાં-રસોઈ-પાણીની કડાકૂટ એના માથે નહિં આવે ? જસ્ટ ઈમેજીન, ફલશ - ટોઈલેટને બદલે જૂના જાજરૃ રહ્યા હોત તો કોની માથે સમાજ એનો ભાર નાખત?
આ ઉકેલ વિજ્ઞાાને આપ્યો. નળની પાઈપલાઈન્સ આવી! પાણીની મોટર કે ડીપવેલ આવી! ઘેર બેઠાં ફટાફટ પાણી ભરાઈ જાય! (ગેરવહીવટને લીધે પાણી આવે જ નહિં - એ અલગ મુદ્દો થયો!) ચૂલા સામે બેસીને રાખ ઉડતી હોય ત્યારે ધમણની જેમ છાતીઓ ફૂલાવી ફૂંક મારી આગ પેટાવવી પડે - એ વખતે આંખમાંથી પાણી નીકળ્યા વિના રહે જ નહિ ! એ આંસુ ટેકનોલોજીની શોધથી હવે ઘેર ઘેર પહોંચેલા ગેસના સ્ટવ કે કૂકિંગ રેન્જ જેવા ગેસના ચૂલાએ આપ્યો. દિવાસળીનું સ્થાન લાઈટરે લીધું. કિચનમાં જઈને જરા મોડર્ન હોમ એપ્લાયન્સીસ તો નિહાળો! એકે એકમાં તમને સ્ત્રીની નિરાંતનો અહેસાસ થશે. તપેલામાં ઉકળતા પાણીમાં શાક બાફવું પડતું અને ગરમ પાણીમાં હાથ નાખીને ચકાસવું પડતું. ત્યાં પ્રેશર કૂકરની સિટીઓ નારીનિરાંતની સાઈરનની જેમ વાગવા લાગી!
નોકરી કરતી સ્ત્રીએ ઘેર આવીને ફટાફટ ખાવાનું ગરમ કરવાનું છે ? કુછ ફિકર નહિ. બસ, દો મિનટ ! માઈક્રોવેવ ઓવનમાં રાખી દો! ચા બનાવવાની છે? ઈન્સ્ટંટ ટીમેકર કે ટીબોક્સ હાજર ! ઢોકળાં-ગુલાબજાંબુ બનાવવા છે? ઈન્સ્ટંટ મિક્સ ઈઝ રેડી, મેડમ ! આ કશું જ નથી કરવું ? બહારથી પિઝાની હોમ ડિલિવરી મંગાવી લો. એ કેવી રીતે ઘેર બેઠા મંગાવશો ? નેચરલી, ટેલિફોનથી ! એ દેવા માટે ડિલિવરીબોય ચાલીને આવશે ? ના, વાન કે સ્કૂટર કે બાઈક પર આવશે ! સાયન્સે કોમ્યુનિકેશન કે ટ્રાન્સપોર્ટેશનની ક્રાંતિ ન કરી હોત તો ?
કપડાંને ચોકડીમાં ધોકે ધોકે ધોઈને બાવડાં દુઃખાડવાને બદલે વોશિંગ મશીન આવી ગયા. રોજેરોજ દૂધ કે શાકભાજી લેવાની દોડધામમાંથી 'વેલકમ બ્રેક' અપાવતા રેફ્રિજરેટર્સ આવી ગયા. ગળણે ગાળીને પાણી ભરવા કે ચોખ્ખાં પીવાના પાણી માટે બે શેરી દૂર પદયાત્રા કરવાની જગ્યાએ વોટર પ્યુરિફાયર્સ આવી ગયા. વાંકા વળીને કચરો સાફ કરવાને બદલે વેક્યુમ કિલનર્સ આવી ગયા. 'રેડી ટુ સર્વ' ડ્રિન્કસ કે આઈસ્ક્રીમ પેક આવી ગયા. શરબત બનાવવાની મહેનતને સ્થાને સોફ્ટ ડ્રિન્કસ આવ્યા. ચટણી પીસવાના પથ્થરો કે ખાંડણી-દસ્તાની ઉપર મૂઠ્ઠીઓ ભીંસવાને બદલે સ્વિચ દાબીને મિક્સર ચાલુ કરવાનું રહ્યું. આંગળા દાબીને જ્યુસ કાઢવાને સ્થાને જ્યુસર આવ્યું. સ્ત્રીને લાડમાં બધાં 'રસોડાની રાણી' ભલે કહે. ખરા અર્થમાં એ 'કિચન ક્વીન' વૈજ્ઞાાનિક આવિષ્કારોથી જ બની છે. આ બધી નાની-નાની લાગતી ક્રિયાઓમાં સાથી પુરુષ (પતિ, પિતા કે પુત્ર) મદદ કરે પણ ખરો, અને ન પણ કરે... પણ સાયન્સે તો અનકન્ડિશનલ 'હેલ્પિંગ હેન્ડ' લંબાવી જ દીધો છે ! હવે વાંદા-મચ્છર મારવા હાથ નહીં, સ્પ્રે કે મોસ્કિટો મેટ ચલાવવી પડે છે!
છોડો રસોડાને... નારીને તો એમાંથી બહાર લઈ આવવી છે ને ? ચાલો, સ્ત્રીને આર્થિક રીતે પગભર કરીએ. માત્ર રાહતકાર્યોમાં મળતી મજૂરીની જેમ દયાભાવથી નહિ - ખરા અર્થમાં એને પોતાની - પસંદગી મુજબ જીવવા મળે એવી સારી કમાણી સાથે... તો, એમાં એક જમાનો એવો હતો કે ખાસ પ્રકારના ટેકનિકલ કામો કે મહેનતના, યુદ્ધના કામોની બોલબાલા હતી. આજે વિજ્ઞાાનની પ્રગતિને લીધે સ્ત્રી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીના સોફટવેર ડેવલપ કરી શકે છે ! સાયન્સને લીધે ઉદ્યોગ અને શિક્ષણના કેટકેટલા ક્ષેત્રોના દરવાજા ખુલ્યા જ્યાં સ્ત્રીઓની કર્મચારીઓ તરીકે જરૃર પડી ! અને એવા રોજિંદા કામકાજમાં પણ સ્ત્રીને સુરક્ષા અને સગવડતા આપવા વિજ્ઞાાન વ્હારે આવ્યું જ! અગાઉની નર્સે કપડું ફાડીને પાટો બાંધવો પડતો, આજે બેન્ડ એઈડ લઈને ચોંટાડવાની રહે છે - એવું જ કંઈક ! સ્ત્રીઓની સાથેના વર્તન-વ્યવહારમાં વધુ પારદર્શકતા રાખવી જ પડે એવી 'સ્ટિંગ ઓપરેશન' ટાઈપની કેમેરા કે વોઈસ રેકોર્ડરની ભેટ પણ વિજ્ઞાાને જ આપી છે ને ! જાતીય સતામણીને ઓફિસમાં થતી રોકી, રંગે હાથ 'ઇન્ડિસન્ટ પ્રપોઝલ મેકર'ને પકડવો હોય, તો એ માટેનું ફોરેન્સિક સાયન્સ પણ 'સાયન્સ' જ છે !
બળાત્કાર કે જાતીય શોષણના ગુનાઓની ફરિયાદી સ્ત્રી સિમેન ટેસ્ટ કે ડી.એન.એ. ટેસ્ટ વિના કેટલી પાંગળી થઈ જતી હોત ? સ્ત્રીને આવા અપરાધો છતાં પણ પ્રાકૃતિક રીતે સ્વરૃપવાન દેખાવું ગમે છે. પહેલાં આમાં પણ એણે પુરુષની રહેમનજર નીચે રહેવું પડતું. વિજ્ઞાાને સ્ત્રીને બ્રા આપી છે, ફેશને નહિ ! પછી અન્ડરગાર્મેન્ટસનું માર્કેટિંગ ફેશન ઈન્ડસ્ટ્રીએ કર્યું, એ ખરું ! લેટેસ્ટ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટસથી નારીને ત્વચા, આંખ, હોઠ, શરીર, વાળનું સૌંદર્ય વધારવા અને જાળવવામાં (અને એના જોરે જગતને ઝૂકાવવામાં) વૈજ્ઞાાનિક સહાય મળતી રહી છે. ચામડીના દાગને લીધે અગાઉ વગર વાંકે છોકરીનું ભવિષ્ય અમાસના ચંદ્ર જેવું થઈ જતું. આજે સિમ્પલ કોસ્મેટિક સર્જરીમાં એનો ઉકેલ છે. બોટોક્સના કરચલી હટાવતા ઈન્જેકશનથી લઇને સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટસ સુધી નારીની નમણી નજાકતને નિખાર વિજ્ઞાાન આપતું રહ્યું છે. કુદરતે અધૂરા મૂકેલા વળાંકો મઠારતું રહ્યું છે.
મુદ્દો એકદમ ડિબેટેબલ છે. પણ નિર્ણય પુરુષને બદલે સ્ત્રીને સોંપો તો ક્યારેક બળાત્કાર જેવી મજબૂરીમાં ગર્ભપાત પણ સ્ત્રી માટે જ આશીર્વાદરૃપ બની શકે - કારણ કે, બાળઉછેરની સઘળી જવાબદારી આપણે ત્યાં મા પર જ ઢોળી દેવાય છે. એ સળગતા અંગારાને ન પકડો તો પણ કોન્ડોમ કે બર્થ કંટ્રોલ પિલ્સને લીધે સ્ત્રી કેટલી સુખી થઈ છે! માતૃત્વ અણધાર્યું કે અનિચ્છિનીય આવે ત્યારે બંધન અને પીડા બને છે. હવે સ્ત્રી સેક્સ માણી શકે છે, પણ મુમતાઝની જેમ પ્રેમની પાછળ આવતી પ્રસૂતિપીંડામાં શહીદ થઈ મકબરાના પાત્ર બનવાનો ભય એને સતાવતો નથી. મુશ્કેલ સ્થિતિમાં વિજ્ઞાાન પ્રસૂતિ પણ સિઝેરિયનથી કરીને એનો જીવ બચાવે છે. માસિક સ્ત્રાવને લીધે કામ કર્યા વિના પિંજરે પૂરાયેલા પંખીની જેમ 'ખૂણો પાળતી' સ્ત્રીને સેનેટરી નેપકિને કે બચ્ચાના બાળોતિયાં બદલાવતી થાકેલી માતાને ડાઈપર્સે કેટલી મોકળાશ અપાવી છે - એ તો સ્ત્રીના ખોળિયામાં પ્રવેશ કરો તો જ પૂરું સમજી શકો ! વિમેન ફિગરને શેપમાં રાખતા જીમ્નેશ્યિમ ડાયેટ પ્લાન્સ પણ સાયન્ટિફિક ગિફ્ટ છે !
... અને સ્ત્રીમુક્તિ એટલે સ્ત્રીના સ્વતંત્ર નિર્ણયના અધિકાર અને અંગત જિંદગીના એકાંતનો આદર એવું માનો, તો યાદ રાખજો કે સેલફોન અને ઈન્ટરનેટના જોરે સાયન્સે એ શસ્ત્રો સ્ત્રીને આપ્યા છે, જેની સામે રિવોલ્વર કે તલવાર પણ કંઈ વિસાતમાં નથી. સ્ત્રીને કોઈ કાળે (અને આજે પણ) મિલકત ગણવામાં કોઈને શરમ નથી આવતી! માટે બુરખા કે લાજની નીચે સ્ત્રીને ચાર દીવારીમાં ચૂપ કરી રખાતી. હવે સ્ત્રી કોઈ પણ ખૂણેથી જગતના કોઈ પણ ખૂણે પળવારમાં ફોન, મેઈલ, ચેટ કે એસએમએસ કરી શકે છે. પોતાના બિઝનેસનો વિસ્તાર કરી શકે છે. મુંઝાય તો મદદ માટે પોકાર કરી શકે છે... અને કોઈનીયે ચોકીદારી છતાં ય મનગમતા સંબંધો બાંધી શકે છે. અત્યાર સુધી બહાર નીકળવાની મોકળાશને લીધે આ એકાધિકાર પુરુષોનો હતો. સાયન્સે સ્ત્રીને જ્ઞાાન જ નથી આપ્યું, પ્રાઈવસી પણ આપી છે ! ખરા અર્થમાં આઝાદ એ જ કહેવાય જેની પાસે પોતાનો ટાઈમ અને સ્પેસ હોય ! ખુદની મરજીથી ચાલતી ચોઈસ હોય. ઈન્ટરનેટ પર ફેસબુક જેવા નેટવર્ક નારીને સ્વધીન કરે છે.
કોમ્યુનિકેશન ક્રાંતિએ એકલી પડતી સ્ત્રીઓને કંપની આપી છે. ટેલિવિઝન, મોબાઈલ કે ઈન્ટરનેટ/કોમ્પ્યુટર માત્ર મનોરંજન નથી એક સથવારો છે. સામી માંગણીઓ મૂક્યા વિના મળતો આનંદ અને તાજગીભર્યો સહારો છે. ગોગલ્સથી શૂઝ અને પર્સથી લિપસ્ટિક સુધીની તો વાત આપણે છેડી જ નથી. પણ હજુ યે વિજ્ઞાાને નારી મુક્તિની પાંખોમાં પૂરેલા પવન અંગે મનડું ડામાડોળ હોય તો જરાક વિચારજો - સિલાઈ મશીન ન શોધાયું હોત તો ? આજના ડ્રેસિંગ કેવી રીતે બનત ? અને વાહનો ન શોધાયા હોત તો ? જેને કામિની નહિ પણ માનુની બનવું છે એવી બાળાઓ શાળા-કોલેજ કેવી રીતે જાત ? ઝાંસીની રાણી ભલે તલવાર ને અશ્વ લઈને ક્રાંતિની ચિંગારી લઈને ચાલી, ૨૧મી સદીની લક્ષ્મીઓ સ્કૂટી પર સવાર થઈ સેલફોન કમરે ઝૂલાવીને જગતને પડકારવાની છે ! ૮ માર્ચનો મહિલા દિન પસાર થઈ જાય પછી પણ સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે !
ઝિંગ થિંગ
''જીંદગી ઔરતો માટે કેટલી હસીન હોત... જો મચ્છર લોહીને બદલે ચરબી ચૂસી લેતા હોત !''
(સેજલ શાહ)

અનાવૃત - જય વસાવડા 9/3/2011

સોમવાર, 7 માર્ચ, 2011

‘બાવન ફૂલડાંનો બાગ’

ભારત સરકારે કવિ તરીકે એમને વધામણા આપતો પદ્મશ્રીનો ઈલ્કાબ સને ૧૯૬૨માં એનાયત કર્યો. સને ૧૯૯૮માં કવિના ગામ મજાદરને પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્તે ‘કાગધામ’ નામાભિધાન કરાયું. શ્રી બળવંત જાની લખે છે કે ‘કવિના નામથી કોઈ ગામનું નામ સ્થપાયું હોય અને કોઈ યોગી સંસ્કારપુરુષના હસ્તે તે થાય એ ઘટના દુનિયામાં કદાચ વિરલ હશે. કાગવાણી જેટલા કોઈ ગુજરાતી કવિના સંગ્રહો નહીં વેચાયા હોય.’ મારે અહીં કાગવાણીની નહીં પણ કાગવાણીના ચાર મણકા પછી ભગતબાપુએ પાંચમો મણકો ‘બાવન ફૂલડાંનો બાગ’ આપ્યો છે એની વાત અહીં કરવી છે. એમાં કાવ્યો નથી પણ લોકો વ્યવહારમાં અને આચરણમાં મૂકી શકે એવાં ૨૬૦૦ જેટલાં સૂત્રાત્મક વાક્યોનો ફૂલ બગીચો આપ્યો છે. જેની ત્રીજી આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ હતી. ત્રણેય આવૃત્તિઓની ૭ હજાર નકલો પ્રગટ થયા પછી આજે એ અપ્રાપ્ય છે. કવિતા લખનારા કવિએ સુવાક્યોની સફરે અકસ્માત ચડી ગયા. વાત એમ હતી કે કાગબાપુ ભણેલા ઓછું છતાં પત્રવ્યવહાર નિયમિત કરતા. સ્વજનોને પત્રો લખતાં એમાં સુવાક્યો ટાંકવાની એમને ટેવ. આમ તેઓ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠિ નાનજીભાઈ કાલિદાસ મહેતાને પત્રો લખતાં એમાં આવા પ્રેરક સુવાક્યો ટાંકતા. શ્રી નાનજીભાઈને આ સુવાક્યો કંિમતી કણ જેવા લાગ્યાં. એમણે કાગબાપુને આનો સંગ્રહ પ્રગટ કરવા વિનંતિ કરી. એના સુફળરૂપે ‘બાવન ફૂલડાંનો બાગ’ સંગ્રહ પ્રગટ થયો.
એની પ્રસ્તાવનામાં પંિગળશીભાઈ લખે છે કે ‘આ પુસ્તકમાં જીવનને સ્પર્શતા સૂત્રોનો એમણે સંગ્રહ કર્યો છે. એમાં સનાતન સત્યથી ભરપુર મહાવાક્યો છે. વ્યવહાર નીતિની અનેક શિખામણો છે. ઐતિહાસિક સત્યોની વિવિધ તારવણી છે. રાજનીતિના બોધપાઠો છે. માનવ સ્વભાવના વિવિધ પાસાંઓનું વિશ્વ્લેષણ છે. એમાં ધર્મોપદેશ છે, સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. અહીં ગ્રંથકાર વિદ્વત્તાનો ઝભ્ભો પહેરી પોતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આંજી નાખતાં નથી. એમની કહેવાની શૈલી એવી સીધી અને સરળ છે કે આપણા મનને વાંચનનો થાક લાગતો નથી, પણ પ્રસન્નતા મળે છે. સત્યવક્તા ચારણ તરીકે દુલા ભગતે ગોળમાં વીંટીને કેટલાક કડવાં સત્યો પણ આપણને સંભળાવ્યાં છે. આપણી નબળાઈઓ તરફ મિત્રભાવે આંગળી ચીંધી છે. આપણા મિથ્યાભિમાનને ચીમકી આપી છે, પરંતુ આ બઘું પ્રાસાદિક રીતે મુલાયમ સ્પર્શથી કર્યું છે.’ આવો આપણે આ બાવન ફૂલડાંના બાગમાં એક લટાર મારીએ.
૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.
૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.
૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.
૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.
૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.
૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.
૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.
૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.
૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.
૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.
૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.
૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.
૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.
૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.
૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.
૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.
૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.
૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.
૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.
૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.
૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.
૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.
૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.
૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.
૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.
૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.
૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.
૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.
૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.
૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.
૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.
૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.
૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.
૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.
૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.
સ્વાતિબંિદુએ છીપમાંથી પ્રગટેલાં સાચાં મોતીડાં જેવા ૨૬૦૦ જેટલાં વિચારમૌક્તિકોથી ‘બાવન ફૂલડાંનો બાગ’ મહેંકી રહ્યો છે. સમાજ એની સુવાસને પારખે એ જ કાગબાપુને સાચી શ્રઘ્ધાંજલિ છે.

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

શનિવાર, 5 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૨

બકરાની બલી

એક સમયે પયગંબર સાહેબ અને તેમના સાથીઓએ મુસાફરી પછી એક જગ્યાએ પડાવ નાખવાની તૈયારી કરી. ભોજન માટે બકરાની બલિ આપવાનું નક્કી થયું. તેમના એક સાથીએ કહ્યું કે, "હું બકરાને હલાલ કરીશ," બીજાએ કહ્યું, "હું તેની ખાલ દૂર કરીશ." ત્રીજાએ કહ્યું, "હું તેને પકાવીશ"....પયગંબર સાહેબ બોલ્યા, "હું રણપ્રદેશમાંથી લાકડાં લાવીશ."


ત્યારે સમૂહે ઉદ્દાગાર કર્યો, "પયગંબર સાહેબ, તમે તમારી જાતને કષ્ટ ન આપો. તમારું કામ અમે કરીશું." પયંગબર સાહેબે જવાબ વાળ્યો, "મને ખબર છેકે, તમે લોકો મારું કામ કરવા માટે આતુર છો. પરંતુ, જે વ્યક્તિ પોતાની અને સાથીઓની વચ્ચે ભેદ કરે અથવા તો પોતાને બીજાથી અલગ સમજે, તેનાથી અલ્લાહ ખુશ નથી થતા."પયગંબર સાહેબે રણમાંથી લાકડાં એકઠાં કર્યા અને સમુહ માટે ભોજન બન્યું.

મોરલ ઓફ ધ સ્ટોરી: તમારા નાના-મોટા બધા કામો કર્મચારી પર નાખી દેવાના બદલે ખુદ તમારું કામ કરો. તેમની સમક્ષ એક આદર્શ ઉદાહરણ બનીને રજૂ થાવ. "આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ સાધન છે." તમે જે ન કરતા હો, કે કરી ન શકતા હો તે કામ કર્મચારી પાસે કરાવવું યોગ્ય નથી.પાણીની શોધ

શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રેમમાં તો એવું યે થાય છે

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

પ્રાર્થના


સવારના પહોરમા એલાર્મ ઘડીયાળના અવાજથી હુ સખત ચિડાઈ જાઉ છુ.
સવારના પહોરમા મને આ અવાજ સહુ થી કર્કશ અને ખરાબ લાગે છે.
- " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ સાંભળી તો શકુ છુ!
દુનિયામા એવા હજારો લોકો જે સાંભળી પણ નથી શકતા... "

સવારમા ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશ મા કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે !
એ વેળા હુ એ જોવાની પરવા કર્યા વગર ઉંઘતો હોવ છુ.-
" છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જોઈ તો શકુ છુ!
જગતમા એવા હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા... "

સવારમા ઉઠી ગયા પછી પથારી છોડતા મને ખૂબ જ આળસ આવે છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ ઉભો તો થઈ શકુ છુ !
ચાલી તો શકુ છુ ...જગતમા હજારો માણસો એવા છે જે વર્ષોથી પથારીવશ છે.
જે પોતાના પગ પર ઉભા પણ થઈ શકતા નથી ..."

ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે.
બાથરુમ મા ઘુસેલુ બાળક જલદીથી બહાર ના નિકળે,
નાસ્તો તૈયાર ના હોય,
પત્નીની બૂમાબૂમ,
ઘરડા મા-બાપના આરોગ્યની ફરિયાદો વગેરે ...વગેરે ... -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને એક કુટુંબ તો આપ્યુ છે!
કંઈ કેટ્લાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જીવવુ પડતુ હોય છે. "

મારુ ઘર આમ તો સાવ સામાન્ય ઘર છે,
ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે મારે મારુ પોતાનુ ઘર તો છે
હજારો માણસો ને ઓઢવા માટે આભ ને પાથરવા માટે પ્રુથ્વી સિવાય કંઈ પણ મળતુ નથી.
એ લોકો કરતા તો હુ કેટ્લો ભાગ્યશાળી છુ! "

મારા ઘરે બનતુ ભોજન પણ સાવ સાદુ જ હોય છે,
મિષ્ટાન્ન પણ ભાગ્યેજ બને છે પણ છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તુ મને ભોજન તો આપે છે!
અસંખ્ય માણસો તો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. "

મારુ કામ પણ રોજ એનુ એ જ - મોનોટોનસ - અકળાવનારુ હોય છે. છતાં-
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને બેકાર તો નથી બનાવ્યો !! "

અને અંતમા
હે પ્રભુ !
મારુ જીવન મારા સપનાના જીવન જેવુ તો નથી જ.
મેં જેવુ કલ્પ્યુ હતુ તેવુ મારુ જીવન જરાક પણ નથી. છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જીવુ તો છું .... !!!
મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ ...! "

" તારો આભાર હું માનુ એટ્લો ઓછો છે પ્રભુ !
તેં મને કેટલુ બધુ આપ્યુ છે ! જોવા ને ગણવા બેસુ છુ તો તેં મને બધુ જ આપ્યુ છે.
તારો ખૂબ ખૂબ આભાર! "
- ડો.આઈ.કે. વીજળીવાળા

સ્ત્રી,પુરુષની વ્યાખ્યા

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.

- ગુણવંત શાહ

ગુરુવાર, 3 માર્ચ, 2011

નેતૃત્વ કેળવી શકાય?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી.

આજથી ૨૩૫૦ વર્ષ પહેલાંની વાત છે. મગધ સામ્રાજ્યના એક નાનકડા ગામડાની સીમમાં કેટલાંક બાળકો ઢોર ચરાવી રહ્યાં હતાં અને રમત રમી રહ્યાં હતાં.

વગડાઉ માર્ગ પરથી પસાર થઇ રહેલો એક બ્રાહ્મણ બાળકોની રમત જોઇને થંભી ગયો. આઠ વર્ષનો એક બાળક રમતમાં રાજા બન્યો હતો. અન્ય ભરવાડ બાળકોને તેણે પોતાના દરબારીઓ અને અરજદારોની ભૂમિકા સોંપી હતી અને પોતે એક પથ્થર પર, જાણે સિંહાસન પર બેઠો હોય તે રીતે બેસીને રાજવીની અદાથી ન્યાય તોળી રહ્યો હતો. આઠ વર્ષના બાળકની પ્રતિભા જોઇને બ્રાહ્મણ દિગ્મુઢ બની ગયો.

બાળકમાં રહેલી નેતૃત્વશક્તિને બ્રાહ્મણ સારી રીતે ઓળખી ગયો. પોતાના ઘ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય માણસ મળી ગયો છે તેની બ્રાહ્મણને જાણે ખાતરી થઇ. ખડતલ દેહ અને લાંબી શિખા ધરાવતો આ તેજસ્વી બ્રાહ્મણ સીધો પેલા બાળકના પિતા પાસે પહોંરયો. બાળકને પોતે લઇ જવા માગે છે એવી દરખાસ્ત મૂકી ત્યારે જાણ થઇ કે બાળક તો અનાથ હતો આ ભરવાડ તેનો પાલક પિતા હતો. ભરવાડે એક હજાર સોનામહોર આપીને બાળક ખરીદી લીધો. આ બ્રાહ્મણ તે ચાણક્ય! પેલું બાળક આગળ જતાં ચંદ્રગુપ્ત મોર્ય બન્યો, જેણે આખાં મગધ સામ્રાજ્યને આખાં હિન્દુસ્તાનનાં સામ્રાજ્ય તરીકે વિસ્તાર્યું...

સુપરસોનિક ઝડપે સફળતા મેળવનાર ઉધોગ-લીડર્સની સકસેસ સ્ટોરીની શ્રેણી વાચકો માટે પ્રેરણારૂપ બની રહી છે. સાથે જ, દરેક હપ્તે વાચકો દ્વારા એક પ્રશ્ન તો ચોક્કસ પુછાય છે: શું હું પણ આ રીતે સફળ બની શકું? જવાબ ‘હા’ જ હોય એ સ્વાભાવિક છે. જયંતીભાઇ ચાંદ્રા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શૈલેશ માકડિયા, કેતન મારવાડી કે ખોડીદાસ પટેલ સહિતના જેટલા સાહસિકોની મુલાકાતો લેવાઇ છે અને આધુનિક મેનેજમેન્ટ થિયરીના આધારે તેમનાં કાર્યોમાંથી મેનેજમેન્ટ ફંડા તારવવામાં આવ્યા છે તેમાં સાવ સામાન્યથી પણ નીચેની આર્થિક સ્થિતિમાંથી આગળ આવવા બદલ બે બાબતો મુખ્ય છે: દિર્ઘદ્રષ્ટિ અને લીડરશિપ કવોલિટી.

દિર્ઘદ્રષ્ટિ કદાચ ઇનસાઇટ છે, પણ લીડરશિપનો ગુણ તો કેળવી શકાય તેવો છે. હવે વિશ્વ એવું નથી કહેતું કે લીડર જન્મે છે, બનતા નથી. લીડર બની શકાય છે, જો જુસ્સાથી મહેનત કરવામાં આવે તો. એ હકીકત છે કે કેટલાક લોકોમાં લીડરશિપનાં ગુણો જન્મજાત અથવા સ્વભાવગત હોય છે. જરા ઝીણી નજરે જોશો તો બધા જ માણસો, જીવનમાં ક્યાંક ને ક્યાંક તો લીડર તરીકે કામ કરે જ છે. શરૂઆતમાં આપણે ચંદ્રગુપ્ત મોર્યની જે દંતકથા જોઇ તેમાં ચાણક્યને બાળકમાં જન્મજાત લીડરશિપનાં ગુણો દેખાયા હતા.

ધનનંદની સામે વેર વાળવા માટે જેને રાજા તરીકે પ્રસ્થાપિત કરી શકાય એવા માણસની ચાણક્યને જરૂર હતી. આ જરૂરિયાત ચંદ્રગુપ્તમાં પૂરી થઇ હતી. ધારી લો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય મળ્યા ન હોત તો? ચંદ્રગુપ્ત કદાચ આટલો મહાન ન બન્યો હોત, પણ તે નિષ્ફળ ભરવાડ પણ ન જ રહ્યો હોત. તેનામાં જે હીર હતું તે તેને આગળ લઇ જ ગયું હોત. આપણે સકસેસ સ્ટોરીમાં જે ઉદાહરણો જોયાં તેમાંના કોઇને ચાણક્ય જેવો પારખુ મળ્યો નહોતો, જેણે હાથ ઝાલીને સફળતા અપાવી હોય. દરેક માણસમાં નેતૃત્વની શક્તિ હોય જ છે, કેટલાક તેનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકે છે.

અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.

સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.

આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.

અહીં ફરી આપણી આસપાસ નજર કરીએ તો સામાન્ય માણસમાંથી જ ઉદાહરણો મળી આવશે. ચાની લારી પર સવારના પહોરમાં ચુસકી મારતા હોઇએ ત્યારે એ નાકકડા ટોળામાં પણ એકાદ માણસ એવો હોય છે જેની વાતો અન્ય ચા-રસિયા ઘ્યાનથી સાંભળતા હોય. તે માણસ પાસે કોઇ પોઝિશનલ પાવર હોતો નથી. પણ, તે પોતાની જાણકારી, ઇન્ફર્મેશન ઇફેકિટવલી પ્રેઝન્ટ કરી રહ્યો હોય છે. આપણામાંના ઘણા પોતાના નાનકડા વર્તુળમાં, ઘરમાં અને મિત્રોની વચ્ચે બહુ જ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકતા હોય છે પણ, બહાર એ જ બાબત એટલી અસરકારકર રીતે રજૂ કરી શકતા નથી.

દરેક પુરુષ પોતાના ઘરમાં લીડર છે, નિણાર્યક છે અને તેની વાતને, બાય ડિફોલ્ટ, ઘ્યાનથી સાંભળવામાં આવે છે. એ લીડરશિપ નથી? ઝૂંપડીમાં રહેતા મજૂરથી માંડીને ઉધોગપતિ સુધીના બધા જ પોતાના ઘરમાં તો લીડર છે જ. તો પછી આ લીડરશિપ બહાર કેમ દેખાતી નથી? કઇ રીતે તેને બહાર લાવી શકાય? આ જાણવા માટે સફળ લીડરના ગુણ કયા હોઇ શકે તેને જાણવા પડે.

કોઇપણ સફળ લીડરનો સૌથી મોટો ગુણ વિઝન છે. વિઝન જેટલું સ્પષ્ટ અને લાંબા ગાળાનું હોય એટલો લીડર વધુ ઇફેકિટવ. આવનારા સમયમાં શું થઇ શકે, કેવી તક આવી શકે અને કેવી સમસ્યાઓ ઊભી થઇ શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપતું વિઝન હોય તો માણસ વધુ સારી રીતે નેતૃત્વ કરી શકે. જે લોકોની પ્રોફાઇલ આપણે સકસેસ સ્ટોરીમાં જોઇ તેમાંના તમામનું વિઝન ક્લીયર હતું. દુનિયા જે તક જોઇ શકતી નહોતી તે તેમણે જોઇ લીધી હતી. અને, એટલે તેઓ સફળ થયા.

સામાન્ય માણસ વિઝનનો ઉપયોગ નથી કરતો. મારા કે તમારામાં વિઝન નથી? તમે ના નહીં પાડી શકો. વિઝન તો છે જ, તેના તરફ ઘ્યાન નથી અપાતું. તેને સ્પષ્ટ નથી કરાતું. તેના માટે મહેનત નથી થતી. ચશ્માં પહેર્યા પછી પણ જો ઝાંખું દેખાતું હોય તો બની શકે કે તમારાં ચશ્માંનાં ગ્લાસ પર ડાઘ લાગી ગયા હોય. નવા ચશ્માં લાવવાને બદલે કાચ સાફ કરી નાખો તો વિઝન કલીયર થઇ જાય. પણ, ડાઘ સાફ કરવાનું જ્ઞાન જરૂરી થવું જરૂરી છે. ડાઘ છે એની જાણ જરૂરી છે અને એ ડાઘ સાફ કરવાની રીત જાણવી જરૂરી છે.

તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.

નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.

ડિયર રિડર, તમે કદાચ પૂછશો કે અમે પણ નિષ્ઠાથી જ કામ કરીએ છીએ છતાં ઇરિછત પરિણામ મળતાં નથી. વેલ, તમારાં કામથી લોકોને સ્પષ્ટ થવું જોઇએ કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે. એટલું જ નહીં, તેમાં તમે તમારો જીવ રેડી રહ્યા છો. જ્યારે બીજાઓને એવી ખાતરી થાય કે તમે સાચા છો, સાચું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. તે તમને પોતાના લીડર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. વિશ્વાસ વગર લીડર ન બની શકાય. અને, આ વિશ્વાસમાં અન્ય લોકો સાથેના તમારા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે.

સંબંધો બાંધવાની કળા લીડરને સફળતા અપાવે છે. નિષ્ઠા, વિશ્વાસ અને સંબંધ જ્યારે એક તાંતણે જોડાય છે ત્યારે અન્યોને અનુસરણ કરવાની ફરજ પડે છે. અને જેને અન્ય અનુસરે છે તે લીડર છે. તમે ફરી ઘરમાં જ જુઓ. જ્યારે તમે વ્યાવહારિક વાતને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવો છો ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને અનુસરે જ છે. કારણ કે તેમને તમારામાં અને તમારી નિષ્ઠામાં શ્રદ્ધા છે અને તમારો તેમની સાથેનો વ્યવહાર એવો છે જેનાથી તેમને ખાતરી હોય છે કે તમે તેમને નુકસાન પહોંચાડશો નહીં.

જો તમે આ કામ પરિવારમાં હંમેશાં કરતા જ હો, તો તે બહાર કેમ ન થઇ શકે! પ્રયત્ન કરો, થોડી મહેનત પડશે પણ થઇ જશે તે ચોક્કસ. વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પણ, થાય છે ખરો. કોઇને જાહેરમાં અપમાનિત કરવાથી તેની પાસેથી વધુ સારું કામ લઇ શકાય? આવું કરનાર વધુ અસરકારક લીડર ગણાય? દુનિયાના ઘણા ભાગમાં ન જ ગણાય પણ, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે.

આરબ રાષ્ટ્રોમાં માગ્યા વગર જો નમ્રતા બતાવવામાં આવે તો તેને નબળાઇ ગણવામાં આવે છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? કરો જ છો. તો એ માનવીય વ્યવહારને વધુ વિસ્તારી ન શકાય? પરિવારમાં તે જે માયાળુપણે વર્તોતે રીતે બહાર પણ વર્તી શકાય. કદાચ, આપણે નબળા ગણાઇ જવાના ડરે, છેતરાઇ જવાના ડરે એ રીતે વર્તતા નથી. પણ, માનવીય અભિગમના મુદ્દે તમારામાં અને સફળ ઉધોગપતિમાં કોઇ બેઝિક ફરક નથી હોતો એટલું તો સ્વીકારવું પડે કે નહીં?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી. કોઇપણ સફળ માણસનું ઉદારણ લો, તેનામાં પેશન ભરપૂર જોવા મળશે. તમારામાં પણ પેશન તો હોય જ છે. દરેક માણસમાં હોય છે. પણ, તેનો ઉપયોગ યોગ્ય દિશામાં થતો નથી. નિષ્ઠા (ઇન્ટેગ્રિટી) અને જુસ્સો (પેશન)ને અહીં સમજી લેવાની જરૂર છે. જુસ્સો પોઝિટિવ અને નેગેટિવ બન્ને હોઇ શકે છે. વાલિયો નેગેટિવ જુસ્સાથી કામ કરતો તો ત્યારે લૂંટારો હતો અને એ જ જુસ્સાથી પોઝિટિવલી રામનામનો જપ કરવા માંડયો ત્યારે તે વાલ્મીકિ બની ગયો. જરૂર માત્ર દિશા બદલવાની જ હતી. પણ, પ્રવાહ પલાટવવો, દિશા બદલવી સહેલાં નથી. બહુ જ ચોકસાઇપૂર્વક પ્રયત્ન કરવો પડે.

પ્રયત્ન કરી જોજો રિડર રાજા, દુનિયા બદલાઇ જશે. તમે પોતાનામાં પરિવર્તન લાવશો તો દુનિયામાં પરિવર્તન આવશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ રૂઢિપ્રયોગ ખોટો નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરની વાર્તા તમને યાદ હશે. કૃષ્ણએ દુર્યોધનને આખા રાજયમાંથી એક સારો માણસ શોધી લાવવાનું કહ્યું, દુર્યોધનને કોઇ સારો માણસ ન મળ્યો. તેની દ્રષ્ટિ જ નેગેટિવ હતી. યુધિષ્ઠિરને એક ખરાબ માણસ શોધવા મોકલ્યા, તેને કોઇ ખરાબ માણસ ન મળ્યો. તમારી નજર કેવી છે તેના પર આધાર છે, દુનિયા કેવી છે તેનો.

અગાઉ આપણે ચર્ચી લીધું કે જેના પર વિશ્વાસ બેસે તેને લોકો અનુસરે છે. આ વિશ્વાસ માટે જરૂરી એક અન્ય બાબત છે, પ્રેરક વ્યક્તિત્વ દ્વારા ઉદારણ પૂરું પાડવું. આપણે બધા આ બાબતે બહુ જ બેઘ્યાન હોઇએ છીએ. આપણું વ્યક્તિત્વ બીજાને માટે પ્રેરક બને તે માટે પ્રયત્નો કરતા નથી. કારણ કે આપણી માનસિકતા ટોળામાં ખોવાઇ જવાની છે, ટોળાંથી અલગ તરી આવવાની નહીં. સભાનતાપૂર્વક પ્રયત્ન કરીએ તો નાની નાની બાબતોમાં પ્રેરક ઉદારણ પૂરાં પાડી શકીએ.

તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઇ કલાર્ક, કોઇ પટાવાળો પણ સમયપાલન, કાર્યનિષ્ઠા વગેરેમાં પ્રેરણારૂપ કામ કરતો જોઇ શકાશે. જો તે પોતાની આ કવોલિટીનું વિસ્તરણ કરે તો તે પણ સફળ વ્યક્તિ બની શકે. અને સાવ નાના માણસમાંથી અગ્રણી બની ગયા હોય એવા માણસના અનેક દાખલા આપણે જોયા છે. જો એ સામાન્ય માણસ આટલી ઊચાઇ પર પહોંચી શકતો હોય તો તમે તો તેનાથી ઘણા આગળ છો. પેશનેટલી ઘ્યેય માટે મંડી પડો, દુનિયા ઝૂકી જશે.

સફળ લીડરશિપની આ કવોલિટીઓ છે. તેમાં ઉમેરા કે ઘટાડા કરી શકાય તેમ છે. પણ, મૂળ પ્રશ્ન એ હતો કે અમે આટલા સફળ થઇ શકીએ? તેનો જવાબ આમાં આવી જાય છે. એટલું તો સાબિત થઇ ગયું છે કે તમારામાં પણ આ બધી કવોલિટી છે અને તમે તેનો ઘરમાં કે નાના વર્તુળમાં ઉપયોગ પણ કરો છો. હવે જરૂર છે માત્ર તેને વિસ્તારવાની. પાંખો ફેલાવી દો, આકાશ તમારું જ છે. અને, આકાશને કોઇ સીમા નથી. ગરૂડ જેવું શક્તિમાન પક્ષી પણ પોતાની પાંખો બીડેલી રાખીને ઊડી શકતું નથી. તેણે પણ ઊડવા માટે પાંખો વિસ્તારવી પડે છે. તમે પણ ઉઘાડો પાંખો. ઊડવાનું બહુ સહેલું છે.

મેનેજમેન્ટ ફંડા, કાના બાંટવા