શુક્રવાર, 12 જૂન, 2015

જ્ઞાની સમજીને આચરણ કરે છે, અજ્ઞાની જે આચરણ કરે છે એને સાચું માને છે

આ જગતમાં જ્ઞાની પુરુષો ખૂબ સ્વસ્થતાથી જીવે છે, કારણ કે તેઓ સમજીને, વિચારીને, જે સાચું હોય તેનું આચરણ કરતા હોય છે. જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે, કારણ કે તેઓ જે આચરણ કરે તેને સાચું માનતા હોય છે. 

એક પિતાને ત્રણ પુત્રો હોય તેમાં જે સૌથી વધુ સમજદાર હોય તે સૌથી વધુ દુ:ખી હશે. નાના ભાઈને ભણાવવાની, બહેનને પરણાવવાની, પરિવારના સભ્યોની જીવન જરૂરિયાતની તેને ચિંતા હશે. બાકી તમાકુપાન ગલોફે ચડાવી, બીડીની સટ મારી પોતાનું ખમીસ મિત્રોને સોંપી અંડરવેર વરાણીએ સિનેમાથિયેટર પર સ્ટન્ટ ફિલ્મની ટિકિટ લેવા ભીડમાં જે મર્દાનગી બતાવતો હોય તેને કાંઈ ચિંતા ન હોય. પિતા વૃદ્ધ થયા છે, હવે બધુ ઢસરડો કરી શકે તેમ નથી. સંયુક્ત કુટુંબના ગાડાના આ બેલને હવે આંબલીને છાંયે બેસીને આરામ કરવાની જરૂર છે. નીરણની જરૂર છે. વીતી ગયેલી જિંદગીના અતીતને હવે તો તેને વાગોળવા દ્યો. આવું ભાન મૂર્ખાના પુત્રને નથી હોતું. અમારે મથુરનો દીકરો દામોદર આવો મૂર્ખ હતો : જે આચરણ કરતો તેને સાચું માનતો. 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો પણ દામોદર ભણે તો ને? એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો, ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી ભટકાડીને બારણાં તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો, અલીફ-બે-પે-તે શીખે થે વહી કુરાન પઢને કો, અલીફ-બે-પે-તે તો કુરાને શરીફ પઢવા માટે શીખ્યા હતા, કખગઘનું ભણતર તો સુવાક્યો લખવા માટે ભણ્યા હતા. એબીસીડી શેલી અને કીટ્સનાં કાવ્યો વાંચવા શીખ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યાં નહીં. 

એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો હરિભાઇને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદર નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો હવે મગન પણ વિઠ્ઠલ માથે પછાડો તો ઘોબો ન પડે તેવો. મગન કહે, "હું પહેલો દરવાજામાંથી નીકળું" અને દામોદર કહે, "વાતમાં માલ શું છે?" 

બંને વાદે ચડ્યા પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોભમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું "બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે કે "હું પહેલો નીકળું." તે બાપા, એમ કોઈને મારગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું." મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, "તું ઘરે જા લાવ તપેલી. હું ઊભો રહું છું." મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, "તારો બાપ ભલેને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાધિ લે, પણ ઘી તો ઘરે સળગાવવું'તું." દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે. તેમાં ઘી જરૂરી નથી એટલે તે પાછો દરવાજે આવ્યો અને અને બોલ્યો. "બાપા હવે તમે ઘી લઈ ઘરે જાઓ, હું અહીં ઊભો છું. " ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો. 

આવો ઉદ્દંડ, તોફાની, માર ખાઈખાનૈ કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ ૯-ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો,આંખોમાં કોઈ શરારત - કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, "કેમ મોડો આવ્યો ?" દામોદરે કહ્યું "સાહેબ, રાંધવામાં મોડું થઇ ગયું." મેં કહ્યું, "તારે રાંધવાનું કામ કરવું પડે છે ?" દામોદરે કહ્યું, "હા, સાહેબ." મેં કહ્યું, "હા સાહેબ," મેં કહ્યું, "પણ શા માટે? તારી બા નથી રાંધતાં?" મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. "સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી મા મને મૂકીને ચાલી ગઈ." મેં કહ્યું, "અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું?" દામોદર કહે, "દાઝી જવાથી, અહીં દવાખાને લઇ ગયા. પછી રાજકોટ લઇ ગયા, પણ સાહેબ મારી માતા ન બચી શકી." આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો. પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું, "મરતાં કરતાં તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, "હા મો કહ્યું "બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે." 

દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અને બંને રડ્યા, દામોદર નવમા ધોરણમાં છઠ્ઠે નંબરે પાસ થયો અને એસ.એસ.સીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું, માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલાઈ અને વર્તન બદલાઈ ગયું. પરંતુ વિઠ્ઠલના પુત્ર મગનના જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટી, તેથી તે એમનો એમ રહ્યો, વિઠ્ઠલની જેમ જ. 

અમારા ગામમાં વીર વિક્રમની વાતો એટલી વિઠ્ઠલની વાતો. એ વખતે વિઠ્ઠલ હજી વાંઢો, પીળા હાથ નહીં થયેલા.કન્યાની તલાશમાં વિઠ્ઠલે આજુબાજુની ભોમકા ધમરોળી નાખેલી, પણ ક્યાંય મેળ પડેલો નહીં. વિઠ્ઠલનું રડ્યુંખડ્યું બધું કન્યાપ્રાપ્તિના પ્રયાસમાં ખર્ચ થઈ જતું. વિઠ્ઠલની લગ્નોત્સુક અવસ્થાનો લાભ લઈ કોઈ ચા પી જતું, કોઈ પાન-સિગારેટનો જલસો મારી જતા, કોઈ વળી મોટી લાલચમાં નાસ્તાનો વેત કરતા તો અમુક તો વિઠ્ઠલને આંબા-આંબલી દેખાડી દૂરના ગામના ભાડાના આવવા-જવાના પૈસા મેળવી પોતાનાં કામ કરી આવતા. અમારો પણ આમાં સમાવેશ થતો, પણ એક દિવસ અમે જરાક વધુ પડતી મશ્કરી કરી નાખી. અમે ભેગા થઈ પ્રથમ તો વિઠ્ઠલને સમજાવ્યો. "જો વિઠ્ઠલ, સગપણ થશે કે તરત જ જાડી જાન જોડવી પડશે. કન્યાવાળા ઉતાવળ કરશે, એટલે આપણાથી આનાકાની નહીં થાય, જાનમાં ગામના પ્રતિષ્ઠિત માણસો જોશે જે કાયમ બધાના ફુલેકામાં હોય છે તે બધા.'' વિઠ્ઠલ કાંઈ બોલ્યો નહીં, પણ પોતાના વિશે થતી આવી શુભ મંગલ વાતોથી માત્ર શરમાણો અને "તમે જે કહો તે" આવું બોલી અમને લીલી ઝંડી આપી. અમે કહ્યું, "પ્રથમ તો આપણે જમણવાર યોજી, સૌ મોટા મોટાનાં મોંઢાં ભાંગી નાખીએ, જેથી જાનમાં આવવાના પ્રસંગે કોઈ આનાકાની ન કરી શકે." સ્નાનકવાસીજૈન ભોજનશાળા નક્કી કરવામાં આવી. અમરશી અને રવજી ભગતે ભોજનની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. અમારા ડાયરાએ શું બનાવવું તેની યાદી તૈયાર કરી. ત્રણ મિષ્ટાન્ન, બે શાક અને કઠોળ, દાળ, ભાત, સંભારો, પાપડ અને છેલ્લે છાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પહેલેથી છેલ્લે સુધી બધું બરાબર ગોઠવાઈ ગયું. આમંત્રણો આપવામાં આવ્યાં. જમણવારનો શુભ દિવસ આવ્યો. જમવા આવનાર સાથે સંબંધીઓને પણ વિઠ્ઠલને સારું લાગે એમ સમજી લેતા આવ્યા. મોટા મોટા માણસોને જમવા આવતા જોઈ પ્રથમ તો વિઠ્ઠલ હરખાણો, સૌને આદરસત્કાર આપવા બારણે ઊભો રહ્યો. આવનારસૌએ વિઠ્ઠલની પ્રશંસા કરી. કોઈએ તેનો ઉદાર સ્વભાવ વખાણ્યો, તો કોઈએ તેની સેવાભાવી વૃત્તિ. પરંતુ જમનારા જેમ જેમ વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલનો પ્રશંસાનો નશો ઊતરતો ગયો અને છાતીમાં પાટિયાં ભીંસાતાં હોય એવું મંડ્યાં લાગવા. પંગતો પડી, થાળીઓ મુકાણી, પીરસવાવાળા જુવાનોએ વાનગી પીરસી દીધી. ડો. મેંઢા સાહેબે શ્લોકો બોલાવ્યા. સૌ જમવાનું શરૂ કરેત્યાં વિઠ્ઠલે એવી મરણપોક મૂકી કે સૌના શ્વાસ થંભી ગયા. કોળિયા હાથમાં રહી ગયા. અમે દોડ્યા. વિઠ્ઠલને પૂછ્યું, "શું થયું? વિઠ્ઠલ શું થયું?" વિઠ્ઠલ રોતાં રોતાં કહે, "બધા ભેગા થઈ મારું ખાઇ ગયા." અમે કહ્યું, "બોલ મા મૂંગો રહે..." પરંતુ વિઠ્ઠલના વાણી અને વિલાપને રોકી શકાય તેમ નહોતો. "એ મને ઊંડા કૂવામાં ઉતારી વરત કાપી, મારી મરણમૂડી એક ટંકમાં ઉડાડી ગયા, મને ભોળાને ભરમાવ્યો." " 

વિઠ્ઠલનું હૈયું વાણીમાં ઠલવાયે જતું હતું. વિઠ્ઠલ કરતાં પણ મોટી મૂંઝવણ ભાણે બેઠેલાની થઈ. અમુકને થયું. વિઠ્ઠલની અવળવાણી સાંભળી ભાણા પરથી ઊઠી જવું, તો અમુકનો મત એવો હતો કે અજ્ઞાનીનાં ઓરતાં ન હોય એમ માની વિઠ્ઠલના બોલ્યા સામું ન જોતાં અન્નનો અનાદર કર્યા વગર શાંતિથી જમી લેવું. જ્યારે અમુકે નક્કી કર્યું કે સૌને નોતરી આવી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ. વિઠ્ઠલનો વિલાપ કોઈને જંપવા દે તેમ ન હોવાથી હું, વનેચંદ અને ઠાકરશી વિઠ્ઠલને સમજાવવાં માંડ્યા, "બોલ વિઠ્ઠલ, કેટલું ખર્ચ થયુંછે ?" વિઠ્ઠલ કહે, ત્રણ હજાર તો થઈ ગયા છે. હવે પરણીશ કઈ રીત ? તમારું..." અમે કહ્યું, "શાપ દે મા વિઠ્ઠલ વાત તો ત્રણ હજારની છે ને ? તું ધરપત રાખ, સૌ સારાં વાના થઈ જશે" ચૂંટણીના સમયે ઉમેદવારો આપે છે તેવાં આશ્વાસનો અમે આપ્યાં, પણ તેની વિઠ્ઠલ પરકોઈ અસર ન થઈ. છેવટે ઠાકરશી સાકરિયાએ હિસાબ કરી સૌ પાસેથી અગિયાર રૂપિયા ઉઘરાવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તરત પસાર થયો અને અમલ શરૂ કર્યો. 

મેં પંગત વચ્ચે ઊભા થઈ ભાષણ કર્યું, "ભાઈઓ, મુરબ્બીઓ, મિત્રો ! વિઠ્ઠલનું દુ:ખ એ તેના એકલાનું નથી. કાંઈ પણ પ્રસંગ ન હોવા છતાં તેને આપણને સૌની હાથધરણું કરી પાડવાનો છે." સૌએ પ્રસ્તાવ સ્વીકાર્યો. અમુકે અગિયારને બદલે એકાવન આપ્યા. અમુકે માત્ર પાંચ જ આપ્યા તો અમુકે વળી ડોળા કાઢી માત્ર જમવાનું ચાલુ રાખ્યું. દાળ પીરસાય તે પહેલાં નાણું એકત્રિત કરવામાં આવ્યું. સત્યાવીસસો જેવી રકમ ભેગી થઈ. મોટા મોટા પાસેથી આગ્રહ - વિનવણી કરી રૂપિયા ત્રણ હજાર ભેગા કરી સુપરત કર્યા ત્યારે તે છાનો રહ્યો. રકમ કબજે કર્યા. પછી વિઠ્ઠલ સાચો હરખાણો અને નીકળી પડ્યો પંગતમાં સૌને આગ્રહ કરવા- "જમો મારા વા'લા પ્રેમથી જમો." 

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૦૭/૦૬/૨૦૧૫ )

"જે માર્ગે જવું ત્યાં સહેજ પણ ખચકાટ વિના જવું"

પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કન્ફ્યૂશ્યસ કરતા નહીં
કોઈ પણ ચબરાકીભર્યું તત્ત્વચિંતન ધરાવતું વાક્ય કોણે લખ્યું છે એ શોધવાની તમારે મહેનત ન કરવી હોય ત્યારે એ ક્વોટેશનની નીચે કન્ફ્યૂશ્યસનું નામ લખી દેતા ઘણાને મેં જોયા છે. કન્ફ્યૂશ્યસ, બર્નાર્ડ શો, ર્ચિચલ, માર્ક ટ્વેન કે ગાંધીજીના નામે ચડેલાં અડધોઅડધ સુવાક્યો એમનાં પોતાનાં નહીં હોય. સોર્સ જાણ્યા વિના આડેધડ આ કે અન્ય મહાપુરુષોને ટાંકવા અપરાધ છે.
કન્ફ્યૂશ્યસની અનેક સૂક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું? ચીનના આ વિચારક, તત્ત્વચિંતકની અટક ક્યુ હતી. અઢી હજાર વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે ૫૫૧માં એમનો જન્મ અને ૭૩ વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ૪૭૯માં એમનું અવસાન. ચાણક્યની જેમ કન્ફ્યૂશ્યસ રાજનીતિના પણ અચ્છા જાણકાર હતા. શિક્ષણશાસ્ત્રના જ્ઞાાતા તો હતા જ. ચીનમાં સૌ પ્રથમ વાર એમણે ખાનગી (અર્થાત્ પ્રાઇવેટ, સિક્રેટ નહીં) કે શાસનની મહેરબાની વિના ચાલતી શાળાઓમાં વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા શરૂ કરી.
પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. કન્ફ્યૂશ્યસે પોતે બાળપણમાં કુટુંબમાં ગરીબી હતી એટલે કિશોર અવસ્થામાં જ ખપ પૂરતી એક સરકારી નોકરી લઈ લીધી હતી. વર્ષો સુધી રાજ્યમાં ઊંચાં પદો શોભાવ્યાં પછી પચાસેક વર્ષની ઉંમરે લુ રાજ્યના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડયું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુ રાજ્યના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા.
કન્ફ્યૂશ્યસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું, ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ. આ ગ્રંથો હતાઃ ૧ 'કાવ્યગ્રથ' જેમાં કવિતાઓ, ગીતો તેમજ ચીની ભજનોનું સંકલન છે. ૨. 'ઇતિહાસગ્રંથ' જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. 'કર્મકાંડનો ગ્રંથ' જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૪. 'વસંત અને પાનખરની તવારીખ'ના નાામે પ્રચલિત છે, જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. 'પરિવર્તન વિશેનો ગ્રથ' જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્વ વિશેના કાયમી તેમજ બદલતાં તત્ત્વોની, વિચારોની છણાવટ છે.
આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં કન્ફ્યૂશ્યસના મૌલિક વિચારો દ્વારા થતાં વિશ્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. કન્ફ્યૂશ્યસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારો એકત્રિત કરીને 'કન્ફ્યૂશ્યસનાં બોધવચનો' નામનો ગ્રંથ તૈયાર કર્યો. કન્ફ્યૂશ્યસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બેહજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઇતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.
કન્ફ્યૂશ્યસની અવલોકન શક્તિ અદ્ભુત હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી તેઓ શીખતા રહેતા અને કહેતાં, "જો હું બે માણસની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું અને બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં."
ચિંતકો-વિચારકોમાં સામાન્યતઃ જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો કન્ફ્યૂશ્યસમાં અભાવ છે. એ કહે છેઃ "હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્વરીય વિદ્વત્તા છે કે હું સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાનું હોય તો માત્ર હું એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું, તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!"
કન્ફ્યૂશ્યસના આ વચન વિશે એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણી કરી, "પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો અસમર્થ છીએ."
કેટલાય લોકોની ફરિયાદ હોય છે, "મને કોઈ સમજી શકતું નથી." આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને કન્ફ્યૂશ્યસની આ વાત યાદ રાખવા જેવી છે. "બીજાઓ મને ન ઓળખે તેનું દુઃખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુઃખ થાય."
શિષ્યોનાં ટોળેટોળાં ભેગાં કરવામાં માનનારા મહારાજો-પંડિતો એવો વિવેક દાખવતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં.
કન્ફ્યૂશ્યસ આ બાબતમાં તદ્દન સ્પષ્ટ છે. "જેઓ બોધ ગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી, પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી, અમુક વિષયની એક દિશા હું દેખાડુું એ પછી બાકીની ત્રણ દિશાને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતી નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી."
એક વખત કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ સ્થાનિક માણસે બૂમ પાડીને વ્યંગમાં કહ્યું, "મહાન કન્ફ્યૂશ્યસ આવા તે વળી કેવા ફિલસૂફ! પોતે મહાપંડિત હોવા છતાં ખૂબ બધી આમદની મળે એવી નોકરી દ્વારા કીર્તિ હાંસલ કરી શકે એવી એમનામાં કોઈ લાયકાત નથી!"
આ સાંભળી કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો તરફ વળ્યા અને બોલ્યા, "હું શું કામ નોકરી કરું? કાં તો હું સારથિ બનીને રથ હાંકું, કાં પછી યોદ્ધો બની જાઉં અને ધનુષ્ય લઈને બાણ છોડવા માંડું. હું તો રથ હાંકવાનું જ કામ કરીશ. કન્ફ્યૂશ્યસે શ્રીકૃષ્ણ, મહાભારત અને ભગવદ્ગીતા વિશે સાંભળ્યું હશે?"
લુ રાજ્યના રાજાએ જ્યારે એમને ન્યાયમંત્રીની જવાબદારી સોંપી હતી, ત્યારે કન્ફ્યૂશ્યસે પોતાની ફરજ બજાવતાં એક વખત કહ્યું હતું, "મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચઢિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે."
ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. કન્ફ્યૂશ્યસે કહ્યું, "મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસ કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે."
ડાયો માણસ બોલવામાં ધીમો અને કામ કરવામાં ઉતાવળો હોય છે એવું કન્ફ્યૂશ્યસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યનું નામ ફેન ચિહ. આ શિષ્યે પૂછયું, "ડહાપણ શેમાં રહેલું છે?" કન્ફ્યૂશ્યસે જવાબ આપ્યો, "મનુષ્યો સાથેના વહેવારમાં પ્રામાણિકતાને તમારું ધ્યેય બનાવો અને સઘળાં અલૌકિક તત્ત્વો પ્રત્યે આદર દાખવો, પણ તેમનાથી અળગા રહો ત્યારે તમે ડાયા કહેવાઓ."
રાજ્યના શાસકને કન્ફ્યૂશ્યસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છેઃ "ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયાસ ન કરો, એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો,એને કારણે મોટાં મોટાં કામ વણઉકેલ્યાં રહી જાય છે."
નૈતિક ગુણ વિશે એક શિષ્યે પૂછયું ત્યારે ગુરુ કન્ફયૂશ્યસે જવાબ આપ્યો, "જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે, એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય." લાગે છે કે કન્ફયૂશ્યસે ગીતા ચોક્કસ વાંચી છે.
માનવીના સદ્ગુણો વિશે વધુ ચિંતન કરતાં કન્ફ્યૂશ્યસે કહ્યું, "ઉચ્ચતર માનવી શાંત અને સ્વસ્થ હોય છે, નીચો માનવી જ સતત સંક્ષુબ્ધ અને ચિંતાગ્રસ્ત રહે છે."
ત્ઝુ કુંગ નામના એક અન્ય શિષ્યે ગુરુ કન્ફયૂશ્યસને મિત્રતા વિશે પૂછયું. ગુરુએ કહ્યું, "તમારા મિત્રની સાથે વાતચીત કરવામાં પ્રામાણિકતા રાખો, પણ એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતી વખતે સાવચેતી રાખજો. એ પ્રયાસ નિષ્ફળ જાય તો થોભી જજો,પણ તમારી સલાહનો એ સીધો અસ્વીકાર કરે એટલે સુધી વાત વધવા દેશો નહીં."
દોસ્તોમાં દોસ્તી ટકી રહે એ માટે કન્ફયૂશ્યસની આ સોનેરી સલાહ છેે: "કોઈનેય શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો."
મિત્રો વિશેની ગુરુજીની બીજી એક સૂક્તિઃ ત્રણ પ્રકારના મિત્ર હિતકારક છે. - પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે.-
ડોળઘાલુઓ, ગર્ભિત સૂચનો કરનારાઓ અને વાચાળ.
આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને ગુરુ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક - શિષ્ટ આચાર અને સંગીતની મજા મણવી,બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા
મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે, પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ આવી મજા આપે છે એમ માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એમ માનવું હાનિકારક છે.
રાજ્યશાસન વિશેની વધુ એક વાતઃ "પ્રજા સંતોષમાં રહે એ માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચઢાવવા અને સઘળાં દુષ્કૃત્ય કરનારાઓને રુખસદ આપવી.
શિષ્ય ફેન સિંહના બીજા એક પ્રશ્નના ઉકેલમાં કન્ફયૂશ્યસે કહ્યું હતું, "બીજાઓની સામેના વ્યવહારમાં પ્રામાણિક અને અંતરના અવાજને અનુસરો. જંગલી માણસોની વચ્ચે તમે હો ત્યારે પણ આ નિયમોને વળગી રહો."
આ ઉત્તરનો ઉત્તરાર્ધ વધારે ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે તો ભાઈ, જેવા સાથે તેવા થઈએ એવું સૂત્ર આજકાલ સૌની જીભે સાંભળવા મળે છે. એ જેટલો ખરાબ થશે એટલા ખરાબ થતાં મને પણ આવડે છે એવું માનીને વ્યવહાર કરનારાઓ ભૂલી જતાં હોય છે કે એના ખરાબ વ્યવહારનો આ ઇલાજ નથી. બહુ બહુ તો તમે એની સામેનો સંબંધ અટકાવી દો, પણ મામૂલી વાતોમાં વેર લેવાની ભાવના માણસમાં એટલી પ્રબળ હોય છે કે આજે નહીં તો કાલે, લાગ મળે એને જરૂર બતાવી દઈશ એવો ભાવ મનમાં ઘૂંટાયા કરે છે. આ ભાવને કારણે જીવનની મકસદ ભુલાઈ જાય છે, મંજિલ બદલાઈ જાય છે.
કન્ફ્યૂશ્યસનાં બે અંતિમ વચનઃ૧. શીખવું અને શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવે અમલમાં મૂકવું એ જ શું ખરેખર આનંદની વાત નથી? ૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાાન અને સાચદિલી વિનાની સાદાઈ- આવાં લક્ષણો મારી સમજણમાં ઊતરતાં નથી!
સાયલન્સ પ્લીઝ
કશુંક કૃત્ય કરવા બદલ શરમ આવવી એ નૈતિકતાની નિશાની છે.
કોલિન ટોવેલ
(અમેરકન આર્મીના ભૂતપૂર્વ જનરલ)
લાઉડમાઉથ : સૌરભ શાહ
( સંદેશ - ૧૧/૦૬/૨૦૧૫)

જીવનમાં જેટલી એકાગ્રતા વધુ રાખો એટલી સફળતા વધુ મળે

પશ્ચિમના મહાન ચિંતક ઈમર્સન કહે છે, 'સફળતાનું રહસ્ય તો છે, એકાગ્રતા. યુદ્ધમાં, વેપારમાં, બધા જ પ્રકારની બાબતોમાં.' જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા એકાગ્રતા અનિવાર્ય છે. આ અંગે હવે યુરોપ-અમેરિકામાં પ્રયોગો પણ થઈ રહ્યા છે: હોલેન્ડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ વિશે એક પ્રયોગ કરવામાં આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆ દ્વારા એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ આપવામાં આવ્યું. પછી તેમણે જે સિદ્ધાંતો મેળવી સિદ્ધિઓ મેળવી હતી તેની સરખામણી અન્ય વિદ્યાર્થીઓ સાથે કરતાં એ જણાયું કે એકાગ્રતાનું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ ઇતર, પ્રવૃત્તિઓ, ખેલકૂદ વગેરેમાં પણ આગળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે શાળાઓમાં
અપાઈ રહ્યું છે.

ચીનના સંતા ચાઉંગ ત્ઝુ કહે છે કે જે વ્યક્તિઓ એકાગ્રતાપૂર્વક પોતાનું કાર્ય કરે છે, તેમને સફળતા નિષ્ફળતા મળે છે. એનું દૃષ્ટાંત આપતાં તેઓ જણાવે છે કે એક વૃદ્ધ એંશી વર્ષની ઉંમરે પણ તલવારની ધાર કાઢવામાં આવી, ત્યારે તેણે કહ્યું કે, 'આખી જિંદગી તેણે આ કાર્ય પર જ પોતાનું ધ્યાન
એકાગ્ર કર્યું હતું.'

ચાર્લ્સ કિંગલી કહે છે કે 'જ્યારે હું કોઈ પણ કાર્યને હાથમાં હોઉં છું ત્યારે એવી રીતે કરું છું કે જાણે સંસારમાં બીજું કંઈ છે જ નહીં.' બધા પરિશ્રમી વ્યક્તિઓનું આ જ રહસ્ય છે.
જૈન શાસ્ત્રો પ્રમાણે એકાગ્રતા દ્વારા જ મન સ્થિર થઈ શકે, જેવી રીતે સંગીતના વાજિંત્રને ટ્યૂન કરવું પડે છે, તેવી રીતે મનને પણ એકાગ્રતા દ્વારા ટ્યૂન કરવું પડે છે.
સૂર્યનાં કિરણો જ્યારે લેન્સ પર પડીને કેન્દ્રીભૂત થાય છે, ત્યારે તેની નીચે રાખેલા કાગળને તે બાળી નાખે છે. તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે, ત્યારે તેમાં અદભૂત શક્તિ
પ્રગટ થાય છે.

એકાગ્રતાની શક્તિને કારણે જ અર્જુન મહાન ધનુર્ધર બન્યો. ગુરુ દ્રોણે બધાને નાપાસ કર્યા પણ અર્જુનને પાસ કર્યો, કારણ કે તેણે કહ્યું કે હું ફક્ત પક્ષીની આંખ જ જોઉં છું અને ખરેખર તેણે પછી પક્ષીની આંખ વિંધી. તેવી જ રીતે દ્રૌપદીના સ્વયંવરમાં પાણીમાં પડતો માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વીંધી હતી.
માનવ પશુ કરતાં એની એકાગ્રતાને કારણે જ ચડિયાતો છે.

એક નાનકડો મહાવત મોટા હાથીને અંકુશમાં રાખી શકે છે, એ આ એકાગ્રતાને કારણે જ પશુ-પક્ષીઓમાં મનની એકાગ્રતા બહુ જ અલ્પ હોય છે. એટલે એમને સરકસમાં તાલીમ આપવી અઘરી પડે છે. એક સાધારણ વિદ્યાર્થી અને હોંશિયાર વિદ્યાર્થીમાં અંતર શેનું છે? એકાગ્રતાનું જ. જે વ્યક્તિમાં જેટલી એકાગ્રતા વધે તેટલી તે મહાન બને છે. દરેક મહાન વ્યક્તિની સફળતાનું રહસ્ય છે, એકાગ્રતા. એક મહાન કવિ, મહાન લેખક, મહાન કલાકાર, મહાન સંગીતકાર, મહાન વૈજ્ઞાનિક, મહાન વેપારી, મહાન વિદ્યાર્થી, આ બધા મનની એકાગ્રતા દ્વારા જ મહાનતાના શિખરે પહોંચ્યા છે.

ટેસ્ટમેચોમાં સહુથી વધુ રન કરી વિશ્વ રેકોર્ડ કરનાર સુનીલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં કહ્યું હતું કે તે બચપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો - તેનું એક જ ધ્યેય હતું મહાન ક્રિકેટ પ્લેયર બનવું. સાધનોના અભાવમાં તે શેરીમાં જ સાધારણ બેટથી રમતો. આમ રમતાં તેણે પડોશીઓના ઘરની બારીના કેટલાય કાચ તોડ્યા હતા!

--- સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ આશ્રમ)
(નવ ગુજરાત સમય  - બોધિવૃક્ષ - ૨૧/૦૬/૨૦૧૫ )

શુક્રવાર, 5 એપ્રિલ, 2013

બધા લોકોને મારામાં ખામી જ દેખાય છે



એ હવે રહી રહીને માગે છે પરિવર્તન મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
-મરીઝ

તારામાં બસ એક આ જ પ્રોબ્લેમ છે, એ તું દૂર કરી દે ને તો આખી દુનિયામાં તારા જેવું કોઈ નથી. માણસનો સ્વભાવ છે કે એને ખામી સૌથી પહેલાં દેખાશે. દુનિયામાં સૌથી સહેલું જો કોઈ કામ હોય તો એ માણસની ખામી શોધવાનું છે. કોઈ માણસ ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ નહીં હોવાનો. કોઈ ને કોઈ ખામી તો દરેક માણસમાં હોવાની જ છે.

ખામી, ભૂલ, મર્યાદા, પ્રોબ્લેમ, શોધવાની માણસને સૌથી વધુ મજા આવતી હોય છે. ક્રિટિક બનવું બહુ સહેલું છે. પ્રસંશક બનવું સૌથી અઘરું છે. બધો જ આધાર એના ઉપર છે કે તમે માણસને કઈ દૃષ્ટિથી જુઓ છો. ખામી શોધવી હોય તો બધેથી મળી આવશે. ચાંદમાં પણ ડાઘ છે અને ફૂલ સાથે પણ કાંટા હોય છે. ચાંદમાં ડાઘ જ જોઈએ તો એની રોશનીનું મૂલ્ય ક્યારેય સમજાવાનું જ નથી. સવાલ એ છે કે તમને મતલબ શેનાથી છે, ડાઘથી કે રોશનીથી? ચંદ્રમાં ભલે ડાઘ રહ્યો પણ એનો પ્રકાશ બધે એકસરખો જ પડે છે.

પ્રકૃતિનો કોઈ અંશ એકસરખો નથી. આખી પૃથ્વીને જ જોઈ લ્યોને. ક્યાંય જંગલ છે તો ક્યાંક રણ, ક્યાંક કાળઝાળ ગરમી છે તો ક્યાંક બરફ. ક્યાંક દરિયો છે તો ક્યાંક એક ટીપાંનીય હાજરી નથી. કેવું છે, આને આપણે વૈવિધ્ય કહીએ છીએ. માણસના વૈવિધ્યને આપણે સ્વીકારી શકીએ છીએ? આપણી 'માન્યતા' અને આપણા 'ગમા'માં જે વ્યક્તિ ફિટ નથી બેસતી તેને આપણે નકામી ગણી લઈએ છીએ. કોઈ વ્યક્તિને આપણે સંપૂર્ણ રીતે સ્વીકારી શકતા નથી.

બે ભાઈઓ હતા. બંનેની પોતાની કંપની હતી. બંનેમાં એકસરખો જ મેનપાવર અને એક સરખી જ સાધનસામગ્રી હતી છતાં એક ભાઈની કંપની સરસ ચાલતી હતી અને બીજા ભાઈની કંપની નબળી ચાલતી હતી. પેલા ભાઈને સમજાતું જ ન હતું કે આખરે ખામી ક્યાં છે? એક દિવસ તેને થયું કે મારા ભાઈને જ પૂછી જોઉં કે તારી સફળતાનું કારણ શું છે? તેણે પૂછયું કે આપણા બંને પાસે બધું જ સરખું હોવા છતાં હું કેમ નિષ્ફળ જાઉં છું ? ત્યારે બીજા ભાઈએ સરસ વાત કરી. તેણે કહ્યું કે માત્ર એક જ અને નાનકડો જ તફાવત છે. તારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં તું ખામી જ શોધે છે અને મારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં હું ખૂબી જ શોધું છું. હું માણસની ખામીઓની દરકાર જ નથી કરતો પણ તેનામાં ખૂબી શું છે એ શોધીને એને જ એનકરેજ કરું છે. તું ખામીઓ શોધવાનું બંધ કરી દે અને માણસની ખૂબીઓને શોધી કાઢ, પછી જો, લોકો કેવું પરિણામ આપે છે.

આપણે પણ આપણા લોકોની ભૂલ જ શોધતા હોઈએ છીએ. તું આ બરાબર નથી કરતો, તું ક્યારેય સુધરવાનો જ નથી, તારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં, તું કોઈ દિવસ સફળ જ નથી થવાનો, આવું જ આપણે શોધતા અને કહેતા હોઈએ છીએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણી સાથે જે લોકો જીવે છે કે આપણી સાથે જે લોકો કામ કરે છે તેની ખૂબી શું છે? આપણે ક્યારેય આ ખૂબીને શોધીને તેનાં વખાણ કરીએ છીએ? ના, આપણને કોઈની ભૂલ શોધવામાં જ મજા આવતી હોય છે. રોજ મોડા આવનારને આપણે ખવડાવશું પણ દરરોજ સમયસર આવનાર માટે આપણાં મોઢામાંથી વખાણના બે શબ્દો પણ નહીં નીકળે.

સંબંધોનો આધાર પણ તેના ઉપર જ છે કે તમે તમારી વ્યક્તિમાં શું જુઓ છો. તમારી પ્રિય વ્યક્તિમાંથી કોઈ એક સારી બાબત શોધીને ક્યારેક તેને કહી જોજો કે તારામાં આ એક એવી ખૂબી છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. સારી બાબતોની આપણને દરકાર જ નથી હોતી. માણસને માર્ક્સ આપવા કરતાં માર્ક્સ કાપવાની ફાવટ વધુ હોય છે. ફિલ્મમાં જશે તોપણ એ જ શોધશે કે ફિલ્મ ક્યાં નબળી છે. આ એક ગીત સાવ ભંગાર છે એમ કહેશે પણ ત્રણ ગીત સરસ છે એમ કહી નહીં શકે. ચિત્રમાં પણ ક્યાં ખોટો સ્ટ્રોક લાગી ગયો એ જ શોધશે. સંગીતમાં પણ ક્યાં રિધમ તૂટી એના પર જ ધ્યાન હશે.

એ વ્યક્તિ ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતી જે પોતાની વ્યક્તિમાં ખામી જ શોધે છે. તમારી વ્યક્તિમાં શોધશો તો એવું પણ મળી આવશે જે બીજા કોઈનામાં નહીં હોય. સારાપણું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એક પતિ-પત્ની હતાં. પત્ની દરરોજ પતિ માટે ખૂબ પ્રેમથી અને મહેનત કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે. પતિ કોઈ દિવસ તેની કદર કે વખાણ ન કરે. એક દિવસ પત્નીએ સરસ વાનગી બનાવી, બસ એમાં મીઠું ન નાખ્યું. પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં જ પતિએ કહ્યું કે આજે શાકમાં મીઠું નથી. પત્ની હસવા લાગી અને કહ્યું કે દરરોજ તો હોય છે, ત્યારે કેમ તમે નોંધ નથી લેતા. માર્ક કરજો, ઘણી બધી બાબતોમાં આપણે આવું કરતા હોઈએ છીએ.

બાળક ગણિતમાં નબળું હશે તો આપણે તેને સતત એના માટે જ ટોકતા રહીશું, ઇકોનોમિક્સ સારું હશે તો તેનાં વખાણ નહીં કરીએ. ક્યારેય એવું કહીએ છીએ કે એ નથી ફાવતુંને, ચિંતા ન કર, એમાં સારી રીતે પાસ થવાય એટલી તૈયારી કર, બાકી તારી જેમાં માસ્ટરી છે એના પર વધુ ધ્યાન દે. પર્સન્ટેજ કવર થઈ જશે. પણ આપણે ગણિતની જ એટલી બધી ખામી દેખાડીને એનું ઇકોનોમિક્સ પરનું ધ્યાન હટાવી દેશું. તમને ખબર છે કે તમારા બાળકની ખૂબી શું છે?

જે તમારી ખામીઓ જ શોધીને બતાવતા રહે તેનાથી પણ સાવચેત રહેજો. ઘણી વખત તો આપણી જ વ્યક્તિ આપણામાં એટલી બધી ખામી શોધતી રહે છે કે આપણને જ એવું લાગવા માંડે કે મારામાં કંઈ આવડત છે જ નહીં. એવું ક્યારેય નથી હોતું કે કોઈનામાં કંઈ આવડત ન હોય. દરેક વ્યક્તિ સારી હોય છે. જો તેનામાં રહેલું સારાપણું તમે જોઈ શકતા હો તો. તમારી વ્યક્તિની સારી બાબત શોધીને એનાં વખાણ કરી જોજો, પછી જો જો કે તેનામાં શું પરિવર્તન આવે છે. એક વાર કહી તો જુઓ કે યુ આર બેસ્ટ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. માણસને સારો, ઉમદા અને પ્રેમાળ બનાવવાનો જાદુ તમારી પાસે છે જ, એને ક્યારેય અજમાવી તો જુઓ. બેસ્ટ નહીં હોય એ પણ ધ બેસ્ટ થઈ જશે.

છેલ્લો સીન :
આપણે એકબીજાના જીવનને જો ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ?
-જ્યોર્જ એલિયટ

(‘સંદેશ’, તા. 31મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ  - કૃષ્ણકાંત ઉનડકટ)

બુધવાર, 3 એપ્રિલ, 2013

પ્રેમ સુખની સેજ નહીં, દુ:ખના ડુંગર ખડકે છે


- સાયન્સ ઓફ લવનાં બે પુસ્તકોઃ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે

મહાન ફિલસૂફ પ્લેટો પ્રેમને સિરિયસ મેન્ટલ ડિસીઝ કહેતા. એરિસ્ટોટલ પ્રેમને ઊંચું રૂપ આપી કહેતા કે બે શરીરમાં એક આત્મા હોય તે પ્રેમ, પણ કોઈ લેખક તે ગુજરાતી હોય તે 'પ્રેમ’ શબ્દ વાંચે ત્યાં તેના હોર્મોન લેવલ ઊંચાં ચઢે છે. પ્રેમ વિશે સતત લખાતું જ આવ્યું છે અને હજી લખાતું જ રહેશે. ફેબ્રુઆરી-૨૦૧૩માં જ અમેરિકાના એક પ્રકાશકે 'લવ’ ઉપર ૨૦ પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. હોલિવૂડની ફિલ્મ સ્ટાર ટીના ટર્નરે પ્રેમને 'સેકન્ડ હેન્ડ ઈમોશન’ કહીને તેનું અવમૂલ્યન કરેલું. સંજયલીલા ભણસાળી અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે અનુક્રમે પ્રેમની ફિલ્મોમાંથી અઢળક કમાણી કરેલી, બીજાએ નામના (ભણસાળી) કાઢેલી.

દા.ત દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ, સરસ્વતીચંદ્ર નામની નવલકથા ટી.વી. ઉપર લાં...બા સમય સુધી દેખાવાની છે ત્યારે લેખકોને મસાલો મળી રહે તેવું એક પુસ્તક હાલમાં જ પ્રગટ થયું છે. તેનું નામ છે. ''સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ’’ લેખક બ્રિટિશર છે. તેમણે યુરોપ-અમેરિકાના સંસ્કાર પ્રમાણે પ્રેમની સાથે વિજ્ઞાનને જોડીને થોડોક સ્વાદ બગાડયો છે. ઉપરાંત તેણે પ્રેમમાં બિટ્રેયલ એટલે કે બેવફાઈ, વિશ્વાસઘાત, કપટ દ્રોહ કે ધોખા જેવા શબ્દને જોડયો છે તે પણ પ‌શ્ચિ‌મનો વિરોધભાસી શબ્દ છે. સૌપ્રથમ તો પ્રેમ થયો એટલે ભારતમાં એ જનમો જનમનો પ્રેમ ગણાય છે. તેમાં બિટ્રેયલ આવતું જ નથી. તમને પ્રેમ કરનારી યુવતી કે યુવક પરણવાને બદલે ભારતીય સંસ્કાર અને રૂઢિ પ્રમાણે બીજે પરણે તો તેમાં બિટ્રેયલ શબ્દ તદન ફાલતું અને ભૌતિક તેમજ ભારતીય સંસ્કારોની વિરુદ્ધ છે. પ્રેમ એટલે પ્રેમ અને તે અમર હોય છે.

છતાં ૨૧મી સદી આવી છે. રોબીન ડનબાર જેવા માનવવિકાસના ઈતિહાસના અભ્યાસી અને નૃવંશશાસ્ત્રી (એનથ્રો પોલોજિસ્ટ) અને માનવ વિજ્ઞાની પ્રેમના વિજ્ઞાન વિશે લખે તો તેણે ઊંડો અભ્યાસ કરીને દેશે દેશમાં ફરીને પ્રેમનાં પરિમાણો જોયાં હશે જ એટલે તેના પુસ્તકમાં શું નવીન અને જાણવા યોગ્ય લખ્યું છે તે જાણવું જ જોઈએ. તેની પાકટ એટલે કે ૬૬ વર્ષની વયે તે પ્રેમની વાત કરી છે તો તે જવાબદાર હશે જ. અત્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિ‌ટીમાં પ્રોફેસર ઓફ ઈવોલ્યુશનરી સાયકોલોજીનો હોદ્દો ધરાવે છે. વિજ્ઞાનનું ઘરઘરણું પ્રેમ સાથે કરીને આ પ‌શ્ચિ‌મી પંતુજી બેસી રહ્યાં નથી.

રોબીન ડનબારે મનોવિજ્ઞાનીઓ પાસે યુવક-યુવતીનાં માનસ તપાસરાવીને તેમનામાં પ્રેમ કરવાની કેટલી ક્ષમતા છે, પ્રેમમા વફાદાર રહેવાની કેટલી તમન્ના છે. વગેરે વગેરે આંક (ઈન્ડેક્સ) કાઢીને એક આંકડો નક્કી કર્યો છે. જુદાં જુદાં પ્રમાણો-ધોરણોના આંકડા મૂકી બંને પ્રેમીઓ ૧પ૦ના આંકે પહોંચે તો બંને પરફેક્ટ પાર્ટનર બનશે તેવું નક્કી થાય છે
જો એમ આંકડા મૂકવા જાઓ કે ઝાઝી પંચાત કરવા જઈએ તો પ્રેમ થાય જ નહીં તેવું ઓશો રજનીશ પણ કહી ગયા છે.
રોબીન ડરબારની વાતને તડકે મૂકીને આપણા ગુજરાતીઓને જ્યાં આકર્ષણ થાય ત્યાં મારી સલાહ છે કે પ્રેમમાં ખાબકવું.

વફાદારી, લગ્નમાં બંધાવાની તલબ વગેરેને ઈશ્વર ભરોસે મૂકી પ્રેમ કરતાં રહેવું. પ્રેમને એક ધર્મ માનવો. એ ધર્મ ઓશો રજનીશની થિયરી પ્રમાણે એક બે કે ત્રણ વ્યકિતને પ્રેમ કરવાથી લાંછિત થતો નથી. આ આપણા ગુજરાતીઓની મારી-તમારી વાત થઈ. રોબીન ડનબાર શું કહે છે? રોબીન ડનબાર તો રજનીશને આંટી જાય તેવી વાત પણ કરે છે. આજે ફેસબુક, ઈન્ટરનેટ અને બીજી સોશિયલ બેવસાઈટને કારણે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે ડઝનબંધ સંબંધો બંધાય છે. તેમાં અડધોડઝન તો ''પ્રેમથી’’ બંધાય છે.

''ધ સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ વિશે હું લખત નહીં પણ લંડનના આર્થિ‌ક સાપ્તાહિ‌ક ''ધ ઈકોનોમિસ્ટ’’ અને લંડનના '' ધ ટાઈમ્સ લીટરરી સીલીમેન્ટ’’ જેમાં માત્ર સહિ‌ત્યને લગ કે મનોવિજ્ઞાનને લગતાં ગંભીર પુસ્તકોના જ રિવ્યુ આવે છે. તેમાં સાયન્સ ઓફ લવ...ના રિવ્યુ છપાયો એટલે મારે લખ્યા વગર છૂટકો નથી. પ્રેમમાં પડવામાં જોખમ છે અને જોખમ ઉઠાવવું તે માનવનો સ્વભાવ છે એટલે જો તમે પ્રેમમાં પડો પછી વછૂટી જાઓ તો તેમાં કોઈ બિટ્રેયલ આવતું નથી. આ પુસ્તકની હારોહાર એક બીજું પુસ્તક પણ ફ્રેન્ચ ફિલોસોફર અલેન બાદુએ પણ પ્રગટ કર્યું તે અફલાતૂન છે. પુસ્તકનું નામ છે ''ઈન પ્રેઈઝ ઓફ લવ’’ એમણે કદાચ કોઈ બંગાળી છોકરી સાથે પ્રેમ કર્યો હશે તે પ્રેમનું બહુમાન કરે છે અને મને તમને ચગાવે છે કે ''પ્રેમ કરતા રહો... બાકીનું કીરતાર સંભાળી લેશે.’’ તેમણે સુંદર વાક્ય લખ્યું છે. રિસ્ક ઈઝ સેન્ટ્રલ ટુ લવ’’ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે.

ફ્રેન્ચ ફિલોસોફર ખૂબ વાસ્તવવાદી છે. તમને 'કાદમ્બરી’ સાથે પ્રેમ થયો? 'કાદમ્બરી’ ર૧મી સદીની રોમેન્ટિક યુવતી છે. તે સ્કૂલમાં જ પ્રેમ કરતી થઈ છે, પછી કોલેજમાં વધુ રોમેન્ટિક થઈ છે. પછી ગૂગલ, ફેસબુક વગેરે વગેરેમાં તે મલ્ટિપલ સંબંધોમાં આવે છે. એટલે જો તમારે ૨૧મી સદીના પ્રેમી થવું હોય તો તમારા પ્રેમી કે પ્રેયસીના મલ્ટિપલ સંબંધોને પચાવ્યા વગર છૂટકો નથી. ડો. અલને બાદુ એક સરસ શબ્દ વાપરે છે તમારા બંનેનો શેર્ડ-પરસ્પેક્ટિવ હોવા જોઈએ. જો તમે તમારા પ્રેમીપાત્રના જીવનના પરસ્પેક્ટિવ ને સમજી લો તો વફાઈ કે બેવફાઈ શબ્દ જ રહેતો નથી. પરસ્પેક્ટિવ એટલે જીવનસંદર્ભ તમારા બંનેની વિચારશ્રેણી તમારો દૃષ્ટિકોણ તમે આ સમજી લો તો ભલે તમારી પ્રેમિકા બીજે પરણી જાય. ભલે પ્રેમી બીજી બીજી યુવતીને પ્રેમ કરે પણ તમારાથી તે અલગ થવાના નથી. (મનથી-લાગણીથી વિચારશ્રેણીથી) તેનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. સાચું?

ડો. અલેન બાદુ કહે છે કે જે પ્રેમમાં પડીને ઘવાઈ જવા તૈયાર નથી તે પ્રેમ માટે લાયક નથી... તે પ્રેમને નામે કાઠિયાવાડી ભાષામાં ''હાલી મળેલો’’ છે. ટૂંકમાં પ્રેમમાં પડો એટલે તમામ જોખમો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમિકાનો બાપ કે ભાઈ ગુંડા પાસે માર ખવરાવે તો તે માટે તૈયાર રહો... અહીં ડો. અલેન બાદુની પ્રેમની વાત પૂરી થાય છે. આપણે જેને ખંધોલે ચઢી પ્રેમની આ કથા માંડી તે ''સાયન્સ ઓફ લવ’’ની વાતને હવે સંક્ષેપમાં સારરૂપે પૂરી કરીએ.

… લખી લો કે આજે પરફેકટર - જીવનસાથી એ માત્ર ભ્રમણા છે. ખાસ કરીને આજના ગ્લોબ-લાઈઝેશનના યુગમાં. આપણે આજે આઈડિયલ-દુનિયામાં જીવતા નથી. એ આદર્શવાદનો જમાનો ગયો આપણે માર્કેટની દુનિયામાં આવી પુગ્યા છીએ … લેખક રોબીન ડનબાર કહે છે કે તમારી પસંદગીનાં ધોરણ જ વિરોધાભાસી છે. તમને સ્વરૂપવાન પત્ની જોઈએ અને તે ગુણિયલ પણ જોઈએ. ઘર સંભાળે અને કવચિત કમાય તેવી પણ પત્ની જોઈએ. શકય છે? બોલો. ઈન્ટરનેટ-ડેટિંગ ભારતનાં શહેરોમાં વધ્યું છે તે સાથે પ્રેમ ભંગતા વધી છે. તમારી બી લવેડ ટેઈલર મેઈડ મળે તે માત્ર અને માત્ર નસીબ ઉપર છે.

ગાડાનાં ગાડાં ભરાય તેટલું લખી શકાય પણ જુવાનીમાં કે પ્રેમલગ્ન કર્યાં પછી પણ આજે નવા પ્રેમમાં પડી શકો છો. વિજ્ઞાની કહે છે કે લવ ઈઝ મેની થિંગ સ્પ્લેન્ડર્ડ એન્ડ બ્લડ થસ્ર્ટી થિંગ એક બાજુ પ્રેમમાં પડવું તે ગૌરવવાળી વાત છે. વિશાળ હૃદયની દ્યોતક છે. જીવન ઉજ્જવળ થવાની વાત છે. પણ પણ સાથે તે લોહી ચૂસનારી વસ્તુય છે.

કાંતિ ભટ્ટ -  દિવ્ય ભાસ્કર

સોમવાર, 7 જાન્યુઆરી, 2013

કિતાબી દુનિયા

પુસ્તકો મારા માટે પ્રાણ છે. જિંદગીમાંથી પુસ્તકો છિનવાઈ જાય તો બાકી કશું જ બચે નહીં. પુસ્તકો એવા મિત્રો છે જે તમને તમારી શરતે સાથ આપે છે - તમે કહો ત્યારે, તમે કહો ત્યાં. મિત્રોથી કંટાળો ત્યારે તમે એમને કહી શકતા નથી કે હવે તમે જાઓ. પુસ્તકમાં બુક માર્ક મૂકીને તમે ગમે તે ઘડીએ એને બાજુએ મૂકી દઈ શકો છો.

અને બીજે દિવસે ફરી એ જ પુસ્તકનો સાથ મેળવી શકો છો. મિત્રોને તમે કહી તો જુઓ કે હવે તમે જાઓ અને બીજી સવારે એમને પાછા બોલાવશો તો તેઓ આવશે? પુસ્તકો ક્યારેય માઠું લગાડતાં નથી.

અડધી ચડ્ડી પહેરવાના દિવસોથી પુસ્તકો સાથેની દોસ્તી શરૂ થઈ. પાંચમા ધોરણ વખતની વર્ષગાંઠે એક નિકટના સગાએ મૂળશંકર મો. ભટ્ટે અનુવાદ કરેલું પુસ્તક ભેટ આપ્યું. જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’. બાળપુસ્તકોમાં હોય એવા મોટા મોટા ટાઈપ નહોતા એટલે પુસ્તક રાખી મૂક્યું. છેક સાતમા ધોરણના વકેશનમાં વાંચ્યું. એ પછી આ અદ્ભુત સાહસકથાની અનેક નવી આવૃત્તિઓ ખરીદી અને ભેટ આપી. સાતમા ધોરણમાં સ્કૂલમાં વિમળા સેતલવાડે કરેલો અનુવાદ ‘સાહસિક કિશોર’ની એક-એક નકલ બધા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. પ્રી-ટીનએજ ઉંમરનો હીરો હતો. એય પાછો એની કોઈ કઝિન-બઝિનના પ્રેમમાં હતો. એ પુસ્તક, મોટા થયા પછી શોધવાની ખૂબ કોશિશ કરી, નથી મળ્યું. બજારમાં પણ ક્યાંય નથી.

આઠમા, નવમા કે દસમા ધોરણમાં અઠવાડિયે એક વાર લાઈબ્રેરીનો પીરિયડ આવે. પ્રિન્સિપાલ મધુસૂદન વૈદ્ય એક આદર્શ આચાર્ય એટલે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવા માગતા. છોકરાઓ લાઈબ્રેરીમાં જઈને ધમાલમસ્તી કરે. પ્રિન્સિપાલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત એક પુસ્તક કાર્ડ પર લખાવીને લેવાનું અને બીજાં અઠવાડિયે પાછું આપી જવાનું એવું ફરમાન કાઢ્યું. મોટાભાગના છોકરાઓ વાંચ્યા વિના જ પુસ્તક પાછું લઈ આવે. વૈદ્યસાહેબ હારે એવા નહોતા. એમણે નોટિસ કાઢી કે હવેથી દરેક વિદ્યાર્થીએ પોતે વાંચેલા પુસ્તક વિશે ક્લાસમાં બોલવાનું. આ તો ઉપાધિ થઈ. એનો રસ્તો અમે કાઢી આપ્યો. વાંચવાના ચોર હોય એવા બધા જ ક્લાસમેટ્સને અમે ઓફર કરી કે તમારી ચોપડી મને આપી દેવાની, હું તમને એ વાંચીને કહી દઈશ કે એમાં શું શું છે. તમારે એ બોલી નાખવાનું.

એક વરસમાં આખી લાઈબ્રેરી વાંચી કાઢી. દસમા ધોરણથી સ્વતંત્રપણે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને પુસ્તકો ખરીદતો થયો. વર્ષગાંઠ નિમિત્તે મળેલા, બહારગામથી દાદા કે નાના કે મામા-કાકા આવ્યા હોય અને જતી વખતે પાંચ-દસ રૂપિયા હાથમાં મૂકતા જાય તે રીતે મળેલા. કે સ્કૂલમાં કોઈક ઈનામબિનામરૂપે મળેલા પૈસા પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને વાપરી આવતો.

તે વખતે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ‘નવજીવન’ની દુકાન હતી. ગાંધી સાહિત્ય ત્યાં મળે. કાકાસાહેબ કાલેલકર અને એવા બધાની ચોપડીઓ પણ મળે. બહુ સસ્તી. એટલે મોટાભાગની ખરીદી ત્યાંથી થતી.

કૉમર્સ કૉલેજમાં એડમિશન લીધું પણ કૉલેજની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ગણ્યાંગાંઠ્યા. એટલે પરીક્ષા વખતે ચોપાટીની ભવન્સ લાઈબ્રેરીમાં વાંચવા જવાનું નક્કી કર્યું. વાંચવાનું એટલે? સવારના આઠ વાગ્યે લાયબ્રેરી ખુલે એટલે આપણી જગ્યા બુક કરીને ત્યાં પાઠ્યપુસ્તકો મૂકી દેવાનાં. પછી નીચે ઉતરીને ન્યૂ યોર્કરમાં નાસ્તાપાણી પતાવીને વાંચવા બેસવાનું. આખો દિવસ શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય અને એવું બધું વાંચવાનું. સુરેશ જોષીનાં મેગેઝિનોની ફાઈલો (ઊહાપોહ, મનીષા વગેરે) જ્યોતિષ જાનીના સામયિક ‘સંજ્ઞા’ની ફાઈલો ઉપરાંત ‘ગ્રંથ’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘કવિલોક’ની ફાઈલો ત્યાં હતી. બધું જ વાંચ્યું. કૉમર્સની પરીક્ષાનું પરિણામ જે ધાર્યું હતું તે જ આવ્યું. નાપાસ.

કોઈ પૂછે કે જિંદગીના છેલ્લાં વરસોમાં તમે કેટલાં અને કયાં કયાં પુસ્તકો સાથે રાખો. અત્યારે ખબર નથી કે જિંદગીનાં છેલ્લાં વરસો ક્યારે શરૂ થવાનાં છે. પણ માની લો કે આજથી શરૂ થઈ જવાનાં હોય તો હું ઍયન રેન્ડની નવલકથા ‘ફાઉન્ટનહેડ’ રાખું. આર્કિટેક્ટ બનવા માગતો સિરફિરો હીરો હાવર્ડ રોર્ક કૉલેજમાંથી ડિસમિસ થાય છે. ડીન એણે કરેલી ડિઝાઈનો જોઈને પૂછે છે : આવાં ચિત્રવિચિત્ર મકાનો તને કોણ બનાવવા દેશે? હીરો જવાબ આપે છે: સર, સવાલ એ નથી કે આવાં મકાનો મને કોણ બનાવવા દેશે; સવાલ એ છે કે આવાં મકાનો બનાવતાં મને કોણ રોકશે?

સ્વામી આનંદની ‘કુળકથાઓ’ પણ રાખું. જૂના મુંબઈની ખુશ્બો એમાંથી આવે. ગુજરાતીઓનો આ શહેરમાં કેવો દબદબો હતો. હ્યુ પ્રેથરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ મારું ઑલટાઈમ ફેવરિટ પુસ્તક છે. એક સ્ટ્રગલર લેખક તરીકે આ પુસ્તક એણે લખ્યું. કેટલાક પબ્લિશરોએ છાપવાની ના પાડી. છેવટે છપાયું. અત્યાર સુધીમાં કરોડો નકલ વેચાઈ ચૂકી છે.

જેફ્રી આર્ચરની ‘કેન એન્ડ એબલ’, ફ્રેડરિક ફોર્સીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ અને મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ - આ ત્રણેય નવલકથાઓ મને અશ્ર્વિની ભટ્ટની ‘આશકા માંડલ’, હરકિસન મહેતાની ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ અને વીનેશ અંતાણીની ‘પ્રિયજન’ જેટલી જ ગમે છે.

હરિવંશરાય બચ્ચનની આત્મકથાના ચારેય ભાગ બહુ ગમે છે: કયા ભૂલું, કયા યાદ કરું, બસેરે સે દૂર, દશદ્વાર સે સોપાન તક અને નીડ કા નિર્માણ ફિર.

‘દીવાન-એ-ગાલિબ’ અને રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મને મારી મરણપથારીએ અડખેપડખે જોઈએ. ગુલઝારે કહ્યું છે કે એમણે જે ફિલ્મો બનાવી એમાંથી સૌથી સારું કામ એમણે ‘મિર્ઝા ગાલિબ’ માટે કર્યું. હાલાકિ એ ટીવી સિરિયલ હતી. એ જ સિરિયલ પરથી ગુલઝારે કિતાબ લખી: ‘મિર્ઝા ગાલિબ: એક સ્વાનહી મંઝરનામા’. એ પણ એટલું જ ગમે.

અમદાવાદના પાંચ-છ વરસના વસવાટ પછી કાયમ માટે પાછો મુંબઈ આવતો હતો. મુંબઈના એક મિત્રે મારો સામાન સહીસલામત પહોંચાડવાની ગોઠવણ કરી આપી. પુસ્તકો કેટલાં છે એની ગણતરી કોઈ દહાડો રાખી નથી. પ્રિયપાત્રને કરેલાં ચુંબનોની સંખ્યાનો હિસાબ કોઈ કેવી રીતે રાખે? એક સરખી સાઈઝનાં કાર્ટન ભરાતાં જતાં હતાં. કેટલા ટનની ટ્રક લાવવી તેનો અંદાજ કરવા એક કાર્ટનનું વજન થયું, ગુણાકાર થયો. બે ટન વજનનાં પુસ્તકો થયાં. બે હજાર કિલો. લોકોને ચંદનના લાકડે બળવાનું ખ્વાબ હોય. મને પુસ્તકોની શૈય્યા પર છેલ્લા શ્ર્વાસ લેવાની હોંશ છે. 


 ગુડ મોર્નિંગ - સૌરભ શાહ (મુંબઈ સમાચાર  તા : 26/12/2012)

શનિવાર, 7 જુલાઈ, 2012

wall paper 15




પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

– અનિલ જોષી