ગુરુવાર, 3 માર્ચ, 2011

'મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૧

-તમામ ધર્મગુરૂઓ અને ધર્મગ્રંથોને નવી નજરથી જોવાની જરૂર

-મુસ્લિમ સમુદાયે જ નહીં, તમામ નાગરિકોએ પયગંબરસાહેબ પાસેથી શીખવાની જરૂર

ભેટ

જ્યારે કોઈ ખેડૂતનો ફાલ પાકતો ત્યારે તે પહેલા પયગંબર સાહેબને આપવા માટે લાવતો હતો. પયંગબર સાહેબ તેને ગ્રહણ કરતા અને પછી તેને આજુબાજુના લોકોમાં વહેંચી દેતા હતા.

એક વખત એક નાનકડી વાડીનો ગરીબ ખેડૂત માત્ર એક ફળ લઈને આવ્યો અને તેને પયગંબર સાહેબને આપ્યું. પછી તેમણે કહ્યુંકે, તે ફળ પૂરી રીતે પાક્યું ન હતું. જો, મેં તમને ખાવા આપ્યું હોત, તો કદાચ તમારામાંથી કોઈએ ચોક્કસપણે આ વાત કરી હોત. જેનાથી પેલો ખેડૂત નિરાશ થઈ જાત.

પયગંબર સાહેબે તેને ચાખ્યું અને પોતે જ ખાવા લાગ્યા. ત્યારે તેમના અનેક સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાંથી એકે પૂછી લીધું, "પયગબંર સાહેબ, તમે અન્ય કોઈને ભાગ ન આપ્યો."પયગંબર સાહેબે સ્મિત આપ્યું અને પેલો ગરીબ ખેડૂત ગયો નહીં, ત્યાર સુધી રાહ જોઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી: કદી પણ તમારા સાથીની ભાવનાની ઉપેક્ષા ન કરો. જો, કોઈ કર્મચારીની લાગણીના કારણે, તમારે ઉપરી મેનેજમેન્ટના હળવા કડવા ઘૂંટ પીવા પડે તો પી લો. તમારા કર્મચારીનું જાહેરમાં અપમાન ન થાય, તેની ખાસ કાળજી રાખો.

બુધવાર, 2 માર્ચ, 2011

મનઃ સા... થી શરુ કરીને સા... સુધી !

પૃથ્વી પરના દરેક માણસના હાથની રેખાઓ જુદી હોય છે. પૃથ્વી પરના દરેક માણસના અંગૂઠાનું નિશાન જુદું હોય છે. પૃથ્વી પરના દરેક માણસના લખાયેલા અક્ષરો જુદા હોય છે. પૃથ્વી પરના દરેક માણસના મનોભાવ જુદા હોય છે. રેખાઓ, નિશાનો, અક્ષરો આપણે જોઈ શકીએ છીએ, પણ મનની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને આપણી નગ્ન આંખોથી સમજાતું નથી.

મન હજી પણ એક રહસ્યમય પ્રદેશ રહ્યો છે. મન વિશેનાં ઘણા ગૃહિતો પૂર્ણત: વ્યકિતગત હોય છે. મનનું વિજ્ઞાન, સાઇકોલોજી અથવા માનસશાસ્ત્ર હજી વિસ્મયનો પ્રાંત છે, અનુમાન શાસ્ત્ર છે, જેને વારંવાર આંકડાઓનો ટેકો લેવો પડે છે, અચોક્કસ વિદ્યા છે. ઘણાના મતે સાઇકોલોજી હજી વિજ્ઞાન બની નથી.

માનસશાસ્ત્ર પ્રમાણિત વિજ્ઞાન ન હોય તો પણ અત્યંત રોચક વિધા છે અને એનાં સાધનો-ઉપકરણોમાં એક તાજગી છે. કેટલાય એવા વિષયો છે જેમાં માનસશાસ્ત્રએ પ્રથમ વાર પ્રકાશ ફેંક્યો છે અને એમને ફોકસમાં લાવ્યા છે.

નાના હતા ત્યારે સ્કૂલોની બહાર અદ્રશ્ય વોટરમાર્ક ચિત્રો મળતાં હતાં, જે સફેદ કાગળ જેવાં જ લાગતાં હતાં. આને જલછબિ કહેતા હતા, એ વોટરમાર્ક ચિત્ર હતું. કાગળને પાણીમાં ડુબાડો એટલે વોટરમાર્ક કરેલી આકૃતિ કે ચિત્ર ઊભરી આવે, પછી એ જલછબિ બદલી શકાતી ન હતી.
ઢળતી ઉંમરે માણસ વિચારતો હોય છે કે જલછબિ એ જિંદગીનું વોટરમાર્ક ચિત્ર હતું. જીવાઈ ગયેલી જિંદગી, જે હવે બદલી શકાવાની ન હતી. માનસશાસ્ત્રીમાં આ પ્રયોગનું એક મહત્વ છે.

આનાથી વિપરીત ગેસ્ટાલ્ટ છે, જે જર્મન ભાષાનો શબ્દ છે. ગેસ્ટાલ્ટમાં પાછા ફરો તો ચિત્ર બદલાતું જાય છે. ધીરે ધીરે જૂનું ચિત્ર પાછું ખડું થઈ જાય છે. ગેસ્ટાલ્ટમાં એક ચિત્ર હોય છે. તમે આગળ વધતા જાઓ એટલે ઊભી લીટીઓ આવતી જાય, ફેલાતી જાય, જૂનું ચિત્ર ગાયબ થતું જાય અને એને સ્થાને એક તદ્દન નવું જ ચિત્ર ઊભરીને આવી જાય.

પાછા ફરતા જાઓ ત્યારે નવું ચિત્ર ડૂબતું જાય અને પાછળથી જૂનું ચિત્ર ફરીથી ઊભરી આવે. કેટલાકની જિંદગી જલછબિ જેવી છે. કેટલાક ગેસ્ટાલ્ટ જીવતા હોય છે. કેટલાક બીજી જિંદગી જીવીને ફરીથી પહેલી જિંદગીમાં પાછા ફરી શકતા હોય છે.

અને કેટલાક સંગીતની સ્વરલિપિની જેમ ‘સા’થી શરૂ કરીને રે, ગ, મ, પ, ધ, નિ સુધી જીવનને ખેંચીને ફરીથી એ જ ‘સા’ પર આવીને વિરામ લઈ શકે છે. જીવન એક વર્તુળાકાર પ્રવૃત્તિ બની જાય છે. કદાચ આ સ્વરલિપિ એ માત્ર એક રૂપક બની જાય છે. વૃદ્ધત્વને બીજું બાળપણ કહ્યું છે ને?

સ્વરલિપિનો આરંભનો ‘સા’ અને અંતિમ ‘સા’, આ બેમાં કેટલી સમાનતા છે? માનસશાસ્ત્ર જીવનના અંધારખંડો પર પ્રકાશ ફેંકનારું શાસ્ત્ર છે.
સાઇકોલોજીની એક પ્રશાખા છે બિહેવીઅરીઝમ અથવા વર્તણૂકશાસ્ત્ર, જે દર્શાવે છે કે અમુક વ્યકિતઓ શા માટે અમુક રીતે જ પેશ આવે છે. એક સ્થિતિને ડોગ-કાર સિન્ડ્રોમ કહેવાય છે. આમાં મોટરકાર દોડે છે, એની સાથે સાથે કૂતરો પણ દોડે છે. મોટરકાર વધારે ઝડપથી દોડે છે, કૂતરો પણ એ ઝડપથી સાથે રહેવા માટે વધારે ઝડપથી દોડે છે. અંતે મોટરકાર ઊભી રહી જાય છે. કૂતરો પણ ઊભો રહી જાય છે.
કૂતરા માટે બધું જ નિરુદ્દેશ્ય છે, અકારણ છે. પછી શું કરવાનું? જીવનમાં ઘણા માણસો આ ડોગ-કાર સિન્ડ્રોમથી પીડાતા હોય છે અને આવા માણસો આપણા દૈનિક જીવનમાં આપણને અથડાતા રહે છે.

એક પ્લેસીબો ઇફેક્ટ હોય છે.
માત્ર વિશ્વાસથી અને સકારાત્મક અભિગમથી તબિયત સારી થઈ જવાનાં ભરપૂર દ્રષ્ટાંતો મેડિકલ ઇતિહાસમાં છે. ડોકટરો સવારે હોસ્પિટલમાં દર્દીઓને જોવા માટે રાઉન્ડ પર નીકળતા હોય છે.

રાતભરની ઊંઘ થઈ ગઈ હોય, નિત્યકર્મોપતી ગયાં હોય, રૂમમાં સવારનો પ્રથમ પ્રકાશ આવી ગયો હોય અને મોટા ડોકટર નર્સો સાથે રૂમમાં પ્રવેશે, તમારો ચાર્ટ જુએ, પછી તમારો હાથ પકડીને સસ્મિત કહે : આજે તો તમે બહુ ફ્રેશ લાગી રહ્યા છો? કેમ, ઘરે જવાની બહુ ઉતાવળ છે? તમે પ્લેસીબો ઇફેક્ટ નીચે આવી જાઓ છો!

બોલો, કોઈ કમ્પ્લેઇન્ટ? ડોકટરના હાથનો સ્પર્શ, ડોકટરની સહાનુભૂત ભાષા, ડોકટરનું અર્ધ-સ્મિત અને દવારૂપે લેવાયેલી સફેદ ગોળી કે દ્વિરંગી કેપ્સ્યૂલ.. તબિયત સારી છે અથવા સુધરી રહી છે એમ જ ફીલ થાય!

વિશેષમાં, દરેક દર્દીને સવારે વધારે સ્વસ્થતા લાગે અને સાંજે મુલાકાતીઓ ગયા પછી અને ભોજન લઈ લીધા પછી, મનહૂસ એકલતાનો અહેસાસ થાય જ છે. પ્લેસીબો ઇફેક્ટ એક પ્રકારની માનસિકતા છે. ચાકનો ભૂકો પણ પાણી સાથે ગળી જવા માટે જો વિશેષજ્ઞ ડોક્ટર આપી દે તો પણ દર્દીને સારું થઈ ગયું હોય એવાં દ્રષ્ટાંતો મોજૂદ છે.

સંસ્કૃતની પ્રસિદ્ધ ઉકિત, મન: એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો: તદ્દન સાચી છે. મન એ જ કારણ છે, સુખનું અને દુ:ખનું અને એની અસર અદ્રશ્ય હોય છે.

આપણને ઘણી વાર સમજાતું નથી કે આપણે ઘણી વાર તદ્દન પરિચિત નામો અથવા શબ્દોને એકદમ ભૂલી જઇએ છીએ અને દિમાગમાં કામચલાઉ બ્લેકઆઉટ થઈ જાય છે. ગુજરાતીમાં એ માટે કહેવત છે : હૈયે છે, પણ હોઠે નથી. બીજી તરફ એવું પણ થાય છે કે યાદ કરવાની કોઇ જ કોશિશ કર્યા વિના તદ્દન અન્યમનસ્ક હોઇએ તો પણ બધું જ એક પછી એક, ક્રમબદ્ધ યાદ આવતું રહે છે.

આપણે રાષ્ટ્રગીત જનગણમન… ગાતા હોઇએ અથવા આંખો ખુલ્લી રાખીને નવકારમંત્ર બોલતા હોઇએ ત્યારે યાદ રાખીને બોલવું પડતું નથી, મગજમાં કંઇક એવી સૂક્ષ્મ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે કે બધું એક પછી એક, પર્ત પછી પર્ત ખૂલતી હોય એમ આવતું રહે છે. સિગમંડ ફ્રોયડે સાઇકો-એનેલિસિસના સંશોધન પહેલાં આ સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

માનસશાસ્ત્રી મનુષ્યના મનસ્તલ સુધી જવાનો પ્રયાસ કરે છે. રોશાર્શ પ્રયોગ નામની એક વિધિ હોય છે, જેમાં એક કાગળ પર શાહી ઢોળવામાં આવે છે, પછી એ કાગળને વાળીને ચારેક ભાગમાં કરવામાં આવે છે. પછી કાગળ ખોલાય છે અને દબાણને કારણે ફેલાયેલી શાહીના આકારને જોઇને પૂછવામાં આવે છે કે તમને શું દેખાય છે?

આ આકાર સિમેટ્રિકલ અથવા ડિઝાઇનદાર હોય છે. કોઇને એરોપ્લેનનો આકાર દેખાય છે, કોઇને અગ્નિની શિખા દેખાય છે, કોઇને હસતો વાંદરો દેખાય છે. દરેક વ્યકિતના પ્રતિભાવ ઉપરથી એની માનસિકતાનું અનુમાન કરવામાં આવે છે.
એક સ્ટોકહોમ સિન્ડ્રોમ હોય છે. અપહરણ કરનાર જે વ્યકિતનું અપહરણ કરે છે એ વ્યકિત કાલક્રમે પોતાનું અપહરણ કરનારના જ પ્રેમમાં પડી જાય છે અને આને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે.

અકબર ઇલાહાબાદીએ એક જૂની ગઝલમાં આ સિન્ડ્રોમ વધારે સાફ રીતે પ્રસ્તુત કર્યો છે : મેરે સૈયાદ કી તાલિમ કી હૈ ધૂન ગુલશનમેં / યહાં જો આજ ફંસતા હૈ વહ કલ સૈયાદ બનતા હૈ…! માનસશાસ્ત્ર પ્રાચીન સત્યો શોધવાનું અર્વાચીન વિજ્ઞાન છે…

કલોઝ અપ
કાક: કૃષ્ણ: પિક: કૃષ્ણ: કો ભેદ: કાકપિક્યો વસન્ત સમયે પ્રાપ્તે કાક: કાક: પિક: પિક:
- સુભાષિત
(અર્થ : કાગડો કાળો અને કોયલ પણ કાળી, કોઈ ભેદ નથી બંનેમાં. પણ વસંત આવે છે ત્યારે ખબર પડી જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે.)

- ચંદ્રકાંત બક્ષી

October 13, 2009

મંગળવાર, 1 માર્ચ, 2011

સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

પ્રેમઃમાંહ્યલાનીમાવજત

બધાની સાથે હોવા છતાં પોતાનાથી દૂર રહેવું એ દુનિયા છે. બધાની સાથે હોવા છતાં પોતાની સાથે રહેવું એ કલા છે. ઘણોખરો સમય બીજાના ફોન ઉપાડવામાં, ગપ્પા-ગોષ્ઠી, બાંધેલા સંબંધની માવજત કરવામાં વપરાઇ જાય છે. આ બધામાં ગુંગળાઇ જાય છે પ્રેમ! ફુગ્ગાની અંદરની હવાને જે રીતે બાળકની ઊછળકૂદનો ધક્કો વાગે છે એમ આપણા પ્રેમને ગુંગળામણની હવામાં જીવવું પડે છે. પ્રેમ લખવાનો, વાંચવાનો કે કોઇ એક વ્યક્તિના અધિકારનો વિષય નથી. એ તો દરેક સંબંધના ઋણાનુબંધની કુંડળી છે. પ્રેમ હશે તો સંબંધનું કોઇપણ નામ આપોઆપ સચવાઇ જશે. પ્રેમ સંબંધની રૃએ નક્કી થાય છે પણ પ્રેમ રૃએ સંબંધ છતો નથી થતો!

વરસાદી દિવસોની ભીનાશ છે પ્રેમ પાસે. વરસાદ આવે છે ત્યારે યાદ આવે છે પ્રેમ! અને પ્રેમમાં પડીએ છીએ ત્યારે બધા જ દિવસો વરસાદી બની જાય છે. ખાલી ફોટો ફ્રેમમાં લગાડવાનો બાકી રહી ગયેલો ફોટો હસવા માંડે છે. પાણી આપણી ગમતી વ્યક્તિ પીવે અને તરસ આપણી બુઝાય છે. વાત થયા વગર વાત થાય છે. વાત થયા પછી પણ વાતો અધુરી રહી જાય છે. અરીસો ગમતી ક્ષણોને આવકારતું બારણું બની જાય છે. ગમતો ચહેરો જોવા માટે આંખો બંધ નથી કરવી પડતી. બધામાં બધું જ ગમવા માંડે છે. જવાબદારીનું ભાન થવા માંડે છે. ઊંમર કરતા નાના થઇ જવાય છે. કવિતાઓ સાચી લાગવા માંડે છે. મિત્રોને મળતી વખતે એક જ વાતની ચર્ચા થવા માંડે છે. ફેસબુકની ઢગલાબંધ ફ્રેન્ડસ્ રીક્વેસ્ટમાં પોતાની ગમતી રીકવેસ્ટની રાહ જોવાય છે. પ્રેમ ઉંમર પ્રમાણે પોતાનું કામ કરે છે.

સપનામાં દેખાતી પરીઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. પિકચરની દરેક સ્ટોરીમાં પોતાની life દેખાય છે. પ્રેમનો સ્કેચ જીવનની આછી પાતળી આઉટલાઇન વડે આજીવન કંડારાઇ જાય છે એવું ચિત્ર બનાવે છે. આ ચિત્ર દરેકને પોતાની આંખોથી જુદું જુદું દેખાય છે. તમે બીજાને એના વિશે કહી શકો છો. તમારી કહેવાની વાતો રસપ્રદ બની શકે છે પરંતુ નખશિખ વર્ણન અધુરુ રહી જાય છે. S.M.S. ની બદલાયેલી ભાષા પ્રેમને આભારી છે. ચેટીંગની આંગળીઓ હથેળીઓના સ્પર્શનું અનુસંધાન બને છે. પ્રેમ નવી આબોહવાને સર્વપ્રથમ આવકારે છે.

પ્રેમને રૃટીન નથી ગમતું. એટલે જ એને વર્તમાનમાં રસ પડે છે. ચઢતા ક્રમમાં પ્રેમ ગોઠવાય છે ખરો પણ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હોય છે. પ્રેમને કરચલીઓ નથી નડતી! એને તો સુગંધનો છાંયડો ધબકારાના વનમાં ખિલવવો હોય છે. તમે પ્રેમમાં પડો છો પછી તમારું અસ્તીત્વ પ્રેમમય બને છે. કૃષ્ણને એટલે જ ભગવાન પછી પણ પ્રેમી તરીકે સ્વીકારી લેવાય છે. ચાંદની ગુલાબની પાંકડીઓ પર થાક ખાય છે ત્યારે ગમતો ચહેરો આકાશમાં ઊગે છે. એને કરમાઈ કે આથમી જવાનો ભય નથી લાગતો! પ્રેમ ગમે તેટલો વૃધ્ધ થાય આપણા સપનાનો ચહેરો ક્યારેય ઘરડો નહીં થવા દે! આંખોની ચમક આપણા પ્રેમને આભારી છે. ફરિયાદ નથી ગમતી પ્રેમને! એટલે જ સ્મૃતિને વાગોળે છે ત્યારે ખંડિત થયેલા સંબંધોને પણ ડંખ મારવાનું એને નથી ગમતું! પ્રેમ ખોટો હોઇ જ ના શકે. કેવળ પ્રેમને સાબિત કરવા મથતો સંબંધ એની ઉપર 'હાવી' થવા માંગતો હોય છે.

પ્રેમની પરિભાષા બદલાઇ ગઇ છે. 'ચીક' અને 'ડૂડ વાળી પેઢી સમજીને ઊતાવળ નથી કરતી! પ્રેમમાં તરત પડે છે! ગઇકાલ અને આવતીકાલના હિંચકાની વચ્ચે એનો પગ ઠેસ બને એ પહેલાં ઠોકર બને છે. એ પોતાને જાતને સંભાળતા આપોઆપ શિખે છે એટલે જ એને છોલાઇ જવાની મઝા આવે છે. એને પ્રેમ ઉપર ઓછો, મિત્રો ઉપર વધારે વિશ્વાસ મૂકવાનું મન થાય છે.

વિચારીને મૂલ્યાંકન કરીને ટાઇમ ટેબલ પ્રમાણે વર્તીને પ્રેમમાં નથી પડાતું. નવી પેઢીને આ વાતની ખબર છે એટલે 'મઝા' નામના શબ્દનો ઉપયોગ વારંવાર ખોટી રીતે થાય છે.

પ્રેમ કેવો છે? એનો જવાબ કેવી રીતે આપી શકાય? પ્રેમ ખુલ્લા આકાશ નીચે જીવતા બે અલગ અલગ શહેર જેવો છે. ફેસબુક પર બ્લોગ લખનારો દરેક જણ કવિ હોય છે તેમ જ પ્રેમમાં પડનારો દરેક જણ દુનિયા કરતા અલગ હોય છે! પ્રેમ ચશ્માના નંબરને નહીં આરપારની દ્રષ્ટિને જોવે છે. બધી જ દિશાઓ એક તરફી કરી આપે છે. ફોટાને ફ્રેમની જરૃર નથી પડતી. આપણે દુનિયાના 'ખાસ' વ્યક્તિ બની જઇએ છીએ. બીજા બધા જ કામમાં કંટાળો આવે છે. મળવાની મુલાકાતો પહેલાંનો અને પછીનો સમય SMS માં વિતે છે. મળતી વખતે બોલવા જેવું બધું જ બાજુ પર રહી જાય છે. વરસાદ મોસમનો એક ભાગ છે એવું નથી લાગતું! આપણી માલિકીનો બની જાય છે. અક્કડ રહેતો ચહેરો મરમાળું સ્મિત આપે છે. હોઠોને મૌન મળવા આવે છે. ચૂપકીદી ખુલાસાઓનો સામનો કરે છે. સાંજ ગમવા માંડે છે. સંગીતનું સરનામું શોધતા શોધતા કાન લટાર મારે છે અણસારાની આંગળી ઝાલીને... પ્રેમને હારવાનો શોખ હોય છે એટલે મૃત્યુને જીતાડે છે. મૃત્યુ સંબંધનું પણ હોઇ શકે છે. પ્રેમ હારીને મૃત્યુની અદબ જાળવે છે. મૃત્યુ જન્મદિવસથી લઇને અનંત સુધી સપનું ઓઢાડીને આપણને તેડીને ચાલી નીકળે છે... મૃત્યુ નિશ્ચિત છે માટે પ્રેમ શાશ્વત છે... ઈશ્વરની ગેરહાજરીમાં માણસ તરીકે જીવાડવાનું મોટું કામ કરે છે પ્રેમ... અનંતની ચરમસીમા નક્કી નથી કરી શકાતી. શિખર અને ખીણ પાસપાસે જ હોય છે...

ઓનબીટ

''દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે''
મરીઝ

ઓફબીટ - અંકિત ત્રિવેદી


રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

નામ વગરના સંબંધો

કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે.

સંબંધ વિશે અનેક લોકોએ અનેક ગણું લખ્યું છે. એક વિચારકે લખ્યું છે: 'સંબંધોની બાબતમાં સૌથી મોટો પડકાર ત્યારે ઊભો થાય છે, જ્યારે લોકો બીજી વ્યક્તિ પાસેથી કશુંક ને કશુંક મેળવવા માટે સંબંધ બાંધે છે. (એ 'મેળવવું' ભૌતિક પણ હોઇ શકે અને લાગણી વિષયક પણ હોઇ શકે.) ખરેખર કશું મેળવવાનો નહીં, પણ કશુંક 'આપવા'નો હેતુ હોય તે સંબંધો જ દ્રઢ ભૂમિકાએ ઊભા રહી શકે છે.'

જ્યારે લોકો સામેની વ્યક્તિમાં શું ખૂટે છે તેના વિશે જ વિશેષ સભાન બને છે ત્યારે સંબંધોના સંદર્ભમાં સમસ્યા ઊભી થાય છે. સંબંધના પાયામાં વિશ્વાસ મહત્વનો ભાગ ભજવે છે. જો સામેની વ્યક્તિ પર પૂરો વિશ્વાસ મૂકવામાં આવે તો તે વ્યક્તિ આપણને પોતાનું શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કરે છે. માર્ટિન વોલ્સ નામના વિચારકે કહ્યું છે: 'જો તમે બીજાઓની સારી બાજુઓ તરફ ધ્યાન આપશો તો તમારી અંદર રહેલી ઉત્તમ બાજુઓ પણ આપોઆપ પ્રગટ થવા લાગશે.'

માણસ જ્યારે માત્ર પોતાની જાતને જ સર્વશ્રેષ્ઠ માની લે છે ત્યારે એ સંબંધોમાં નિષ્ફળ જાય છે, એ જિંદગીમાં કશું નવું શીખી પણ શકતો નથી. દરેક માણસ બીજા માણસ પાસેથી કશુંક ને કશુંક નવું શીખી શકે છે. તમે બીજી વ્યક્તિ માટે પૂર્વગ્રહ રાખીને જ ચાલશો તો સાચા સંબંધની કોઇ ગુંજાશ રહેશે નહીં. કોઇએ કહ્યું છે: 'દરેક માણસ એક નવો દરવાજો હોય છે. તમે એમાં પ્રવેશ કરીને કોઇ ભિન્ન દુનિયાને જોઇ શકો છો.' એવા જ મતલબનું બીજું એક સુવાક્ય છે: 'તમારી આસપાસનું બધું જ અને તમારી આસપાસ રહેલા બધા જ લોકો તમારા શિક્ષક બની શકે છે.'

મધર ટેરેસા સંબંધને સમસ્તના સંદર્ભમાં જોવાની શીખ આપતા કહ્યું છે: 'તમે જગતના વિશાળ પરિપ્રેક્ષ્યમાં દાખલ થાઓ અને તમને જે માણસો મળે તે બધાને પ્રેમ કરવા લાગો. તમારી હાજરી માત્રથી એવો ઉજાસ ફેલાવો કે બીજા લોકોના હૃદયના દીવા આપોઆપ પ્રકાશિત થઇ ઊઠે.' કેટલાક સંબંધો માત્ર એકાદ નાનીસૂની ઘટનાથી પણ જિંદગીભર આપણી સાથે રહે છે. મારા નાનપણમાં ગાભાભાઇ નામના દેરાસરના પૂજારી હતા. અમે તે વખતે દેરાસરની શેરીમાં રહેતાં હતાં. ગાભાભાઇ સાથે અમારો કૌટુંબિક નાતો જરાસરખો પણ નહોતો, છતાં કોણ જાણે કેમ એ મને ખૂબ વહાલ કરતા.

બોલતા કશું નહીં, એમના ચહેરા પરથી પણ એમનો મારા પ્રત્યેનો વિશેષ ભાવ કળી શકાતો નહીં. એ એમનો વહાલભર્યો સંબંધ દર્શાવવા મારા માટે દરરોજ એક ફળ સાચવી રાખતા. હું શાળાએથી પાછો આવતી વખતે દેરાસર પાસેથી પસાર થતો હોઉં ત્યારે એ તે ફળ મને આપતા. આ એમનો દૈનિક ક્રમ હતો. હું એમને કદી વીસરી શક્યો નથી. બીજો એક પ્રસંગ યાદ આવે છે. એક રજાના બપોરે આપણા ગઝલસમ્રાટ અમૃત ઘાયલ ભુજમાં મારે ઘેર આવી ચઢ્યા. તે વખતે તે ભુજમાં નોકરી કરતા હતા. મને કહે, બહાર ચાલ. અમે ભરબપોરે ભુજના નાકા બહાર ગયા. તડકામાં ચાલતા રહ્યા. એ ખૂબ ઉદાસ હતા.

એક બહારની મોટી સંસ્થાએ મુશાયરાના સંદર્ભમાં એમને રુચે નહીં તેવું વર્તન એમની સાથે કર્યું હતું. એ આડીઅવળી વાતો કરતા રહ્યા. પછી એમને અકળાવનારી ઘટના વિશે વાત કરવા લાગ્યા. મારે માત્ર સાંભળવાનું હતું. મને કહ્યું: 'હું કોઇની પાસે હળવો થવા માગતો હતો.' મને લાગે છે એ ખરેખર હળવા થઇ શક્યા હતા. હળવા થવા માટે મનની વાતો કરવી અને તે વાતોને સમભાવપૂર્વક સાંભળવી એ પણ સંબંધની મોટી સમજ છે. પ્રખ્યાત નગારા(નોબત) વાદક સુલેમાન જુમ્માને મારા પર પ્રેમ હતો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પર રોકોર્ડિંગ માટે આવ્યા હોય ત્યારે ખાસ સમય કાઢીને મારી સાથે વાતો કરવા બેસતા. મારી નાની બહેનના લગ્નપ્રસંગે મેં એમને મુરબ્બી અતિથિ તરીકે નિમંત્રયા હતા. આવ્યા. માંડવામાં બેઠા, પણ તરત નારાજ થઇ ગયા. તે વખતે બીજો એક ઢોલી ઢોલ વગાડતો ત્યાં બેઠો હતો. સુલેમાન બાપાએ મને કહ્યું: 'તેં મને ઢોલ સાથે લાવવાનું કેમ કહ્યું નહીં?' હું કલ્પી જ શક્યો નહીં કે આવો મોટો કળાકાર મારી બહેનના માંડવામાં ઢોલ વગાડવા માગતો હતો.

આવા અને એ પ્રકારના બીજા કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. કશી જ અપેક્ષા વિનાના સંબંધોમાં, લોહીના સંબંધોમાં આવી જતી, લોહીની ખારાશ હોતી નથી. એ સંબંધોમાં સ્વાર્થને સ્થાન હોતું નથી. એ સંબંધો માત્ર હોય છે. એવા કારણ વિનાના સંબંધો હોય છે. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે. વાર્તાકાર ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો 'એ સંબંધો ખરાબની ગંધ આવે એટલા બધા સારા હોય છે.'


ડૂબકી, વીનેશ અંતાણી

શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

લર્ન ફ્રોમ લાઇફ : વિશ્વ એ જ આપણું વિદ્યાલય....

5SPECT1.gif‘થ્રીઇડિયટસ’ની નબળી ગુણવત્તાથી જેટલું આશ્ચર્ય થયું એટલું એની પ્રચંડ સફળતાથી નથી થયું. પાત્ર લેખન કોને કહેવાય, એની પણ ખબર ન હોય એવા સમાજને ગુણવત્તા કરતા ગુણની કદર વઘુ છે, એ તો શાળા- કોલેજો- કોચિંગ કલાસોમાં સદાકાળ ઝૂલતા હાઉસફુલના પાટિયાથી જ નક્કી થઇ જાય છે! ‘થ્રી આઇ’માં જે કંઇ ઉત્તમ, સારૂં, રસપ્રદ અપનાવવા જેવું છે, એ બઘું દેખીતી રીતે ચેતન ભગતની ‘ફાઇવ પોઇન્ટ સમવન’ પરથી પ્રેરિત છે. પણ આ દેશમાં વાચકો કરતાં પ્રેક્ષકોની સંખ્યા અનેકગણી છે. એટલે સ્તો ‘મૂળ વાર્તાનું ૫% પણ અમે નથી લીઘું’ એવું હડહડતું જૂઠાણું બોલનારા સર્જકોની સદાચારના ઉપદેશવાળી ફિલ્મો ચાલી જાય છે. બરાબર છે. ઢોંગી બાબાઓ અને નાલાયક નેતાઓને ચલાવી લેતાં દેશમાં આની નવાઇ જ હોવી જોઇએ.

નવાઇ તો એ પણ ન લાગવી જોઇએ કે પુસ્તકની દુનિયામાં જે-તે સમયે ‘ફાઇવ પોઇન્ટ સમવન’ અને ફિલ્મોની દુનિયામાં ‘થ્રી ઇડિયટસ’ને અસાધારણ સફળતા શી રીતે મળી? કારણ સાફ છે. જે હાઇવે પર એક પણ રેસ્ટોરાં ન હોય, ત્યાં કોઇ કવોલિટી હોટલ ખૂલે તો ધમધોકાર જ ચાલવાની છે. મૂળભૂત રીતે દાયકાઓથી સતત પ્રજાનો રેઢિયાળ, જડ, વાહિયાત અને નકામી શિક્ષણ પદ્ધતિ (ખરેખર તો પરીક્ષા પદ્ધતિ) પ્રત્યેનો હતાશામિશ્રિત રોષ વધતો જ જાય છે. ડિજીટલ યુગમાં મિડિયા એકસપ્લોઝન પછી તો આ એજયુકેશન સીસ્ટમની કથળતી તબિયતનો બ્લડ ટેસ્ટ આસાનીથી થઇ શકે છે. બધા જ શિક્ષણ પદ્ધતિ બદલાવવાની મસમોટી વાતો કર્યા કરે છે, પણ સમખાવા પૂરતી યે એ બદલાવી બતાવતા નથી. પછી ભારત છોડીને ભાગી જનારા નોબલ પ્રાઇઝ વિનર વિજ્ઞાનીનો લીંબડજશ ખાવા હરખપદૂડા થાય છે, અને ખુદ વડાપ્રધાને કબૂલ કરવું પડે છે કે આપણે ત્યાં શિક્ષણમાં મૌલિકતા, સંશોધન, રસ-રૂચિની ખીલવણી, સંદર્ભ સાહિત્યનું વાંચન આવું કશું જ નથી, ફકત વેપારી માનસની તુમારશાહી (રેડ ટેપિઝમ) છે!
એટલે જ વાત એફપીએસની જેમ અસરકારક રીતે કહેવાઇ હોય કે થ્રીઆઇની માફક નફાકારક રીતે કહેવાઇ હોય, કાળી કોટડીમાં બંધ કેદીને તાજી હવાની લ્હેરખી આકર્ષે, તેમ શિક્ષણમાં ક્રાંતિની વાતો લોકોના હૃદયને સ્પર્શી જાય છે. એક સમયે ગુંડાઓ સામે લડતો અમિતાભ ગમી જતો હતો તેમ જ! બધા જ એજયુકેશન સીસ્ટમથી ત્રસ્ત છે, છતાં કોઇ એ છોડતું નથી. કિતાબ કે સિનેમામાં તો કાલ્પનિક વાત છે. પણ આ નાચીઝ બદતમીઝે તો એ દાયકાઓ અગાઉ જીવી બતાવી છે. શાળાએ ગયા વિના (એટલે જ વઘુ સારી રીતે!) ભણવાનું, કોલેજને ચેલેન્જ આપી મસ્તીથી ડિગ્રી મેળવવાની !
* * *
માણસ ભણે છે શા માટે?
હાથીના દાંતની માફક આપણે ત્યાં આ સવાલના બે જવાબો હોય છે. ચાવવાના અને દેખાડવાના. દેખાડવાના જવાબોમાં માતા સરસ્વતીની જ્ઞાનસાધનાથી લઇને ગાંધીજી- વિવેકાનંદ- આઇન્સ્ટાઇન સુધીના કવોટેશન્સ આવી જાય છે. ચાવવાનો જવાબ છેઃ કારકિર્દી બનાવવા. મતલબ પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા.
વેલ, આ વાત સ્વીકારો તો પણ ભણતર એ ઘડતર સાથે જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષણ એટલે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની પ્રક્રિયા. એજયુકેશન મીન્સ નેચર પ્લસ નયેર. પ્રતિભાને પ્રભાવશાળી બનાવવાની પ્રક્રિયા. લાઇફ સ્કિલ્સ યાને જીવનજરૂરી કૌશલ્યો અને ‘સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ’વાળી વેલ્યૂ સીસ્ટમના મૂલ્યો શીખવા, સમજવા, કેળવવાની પ્રક્રિયા. પસંદગીની પુખ્તતા પામવા નવું નવું શીખવાનું સતત રહેતું કુતૂહલ! મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભુ ચાવલા સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં એક સરસ વાત કહી હતી. કોઇ કશું બનવા માંગે તો એ બહુ કરી શકતો નથી. પણ જો એ મન લગાવીને કશુંક કરવા લાગે તો ધીરે ધીરે પરિસ્થિતિ આપોઆપ એને કશુંક બનાવી દે છે!

આવું જ શિક્ષણ- કેળવણીનું છે. જો એ સાચી અને સારી રીતે પાર પડે, અને વ્યકિત સજજ બને તો સફળતા આપોઆપ મળવાની! સકસેસ ઇઝ બાયપ્રોડકટ! પણ આપણે જોઇએ છીએ કે ગોખણપટ્ટીથી મળતા માર્કસના ફુગાવા પછી પણ આપણી પાસે જેટલા ટોપર્સ, ડિગ્રીહોલ્ડર્સ છે, તેટલા સકસેસફુલ પીપલ નથી! કયોં? કેમ બધા જ એમબીએ સફળ મેનેજર નથી હોતા? બધા જ ડોકટર એકસરખા એકસપર્ટ નથી બનતાં? બધા જ એમએપીએચડી સર્જક નથી હોતા? ફોર એકઝામ્પલઃ ગુજરાતી અખબારો- મેગેઝીન્સના કોઇ સફળ માલિકો, સંચાલકો, તંત્રીઓ કે કટારલેખકો ભાગ્યે જ જર્નાલિઝમનો કોર્સ કરીને સફળ થયા છે. અને ટોચના ઉદ્યોગપતિઓની પહેલી પેઢી જવલ્લે જ બિઝનેસ મેનેજમેન્ટ ભણવા ગઇ છે!


મતલબ, કશુંક કયાંક ખૂટે છે. શાળામાં અપાતું શિક્ષણ અને કોલેજમાં અપાતી કેળવણી પૂરતી નથી! આસપાસ નજર કરો તો કેટલાય પરીક્ષાઓમાં સારા માર્કસે પાસ થયેલા ભણેશરી છોકરા - છોકરાઓ કાળની કસોટીમાં વારંવાર ભૂંડે હાલ નાપાસ થતા રહેતા દેખાશે! લાખ્ખો રૂપિયા ખર્ચીને બેસ્ટ કોર્સ કરાવ્યા પછી પણ ભાવિ નાગરિકો પાયાની કેટલીક બાબતો શીખ્યા હોતા નથી! શિખર ચણાઇ જાય છે, પણ ઓટલા વગર મંદિર બને કઇ રીતે! પછી એવું બને કે સૂર્યમાં રહેલા હિલિયમ વાયુની ખબર હોય પણ સૂરજનો તાપ લાગે ત્યારે કેવી છાશ કે લીંબુ પાણી પીવું તેની ગતાગમ ન હોય! (અમસ્તી કંઇ પ્રોફેશનલ જોબ માટે કંપનીઓ માર્કશીટનો ભરોસો કર્યા વિના પર્સનલ ઇન્ટરવ્યૂ રાખે છે?)


અપવાદો જરૂર હશે- પણ આપણા મસમોટાં થોથાંઓ ધરાવતા પ્રખર વિદ્વાનોએ તૈયાર કરેલા સિલેબસ ભણાવતા શાળા- કોલેજોના શિક્ષણમાં જન્મજાત ન આવડી શકે, અને સમાજમાં ટકવા માટે અનિવાર્ય હોય એવી કેટલીય બાબતોને ભણાવવામાં- કેળવવામાં જ આવતી નથી! સાઇન થીટા અને પૂર્ણ આંતરિક પરાવર્તન શીખીએ, ઘટતા જતા સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત અને બહુવ્રીહિ સમાસ શીખીએ.... પણ કેટકેટલું આ બધા કરતાં વહેલું અને પહેલું જરૂરી આપણે શીખતા નથી! (જે શીખો છો, એ સાવ નકામું છે એમ નહિં પણ જે કામનું છે એ તો કયાંય છે જ નહિં!)


જેમ કે, કચરો વાળતા-પોતાં કરતાં શીખવવાનો કોઇ સિલેબસ નથી. કપડાં ધોવા- સૂકવવા (એમાં ય ઊનના હોય તો જુદી રીત હોય ને રેશમી હોય તો અલગ પદ્ધતિ હોય) શીખવાડવાના વર્ગો નથી. દીવો લાંબો સમય ચલાવવો હોય તો વાટ કેવી રાખવી એની તાલીમ મળે છે કયાંય? અનાજ- કરિયાણું- શાકભાજી -ફળો ખરીદતા અને સાચવતા શીખવવામાં આવે છે? ફકત સ્કૂલ- કોલેજના ‘ફોર્મલ એજયુકેશન’થી કંઇ ચોપડી પર પૂંઠુ ચડાવતા, ટોયલેટ- બાથરૂમ સાફ કરતાં, ફૂલોની માળા- તોરણ બનાવતા, ફયુઝ સાંધતા, રસોઇ બનાવતા, વઘાર કરતાં, ઇન્મટેકસ રિટર્ન ફાઇલ કરતાં, રેલવેનું ટાઇમટેબલ જોતાં, એરપોર્ટ પર ચેકઇન કરતા, બેન્કમાંથી ડ્રાફટ કઢાવતા, પંચાંગ જોતાં, કપડાંને ગડી કરતા, ચાદર પાથરતા, બૂટપોલિશ કરતાં, ટપકતો નળો બંધ કરતાં, પંચરવાળુ ટાયર બદલાવતા, નકશો જોતાં, દીવાલો પર રંગ કરતાં, સ્વબચાવ માટે લાઠી- રિવોલ્વર ચલાવતા કે કરાટે જેવી માર્શલ આર્ટસનો પ્રયોગ કરતાં આવડે છે?


જીમ્નેશિયમના સ્ટ્રેચિંગ- કાર્ડિયોવસ્કયુલર જેવી એકસરસાઇઝના પેપર્સ છે? ઘોડેસવારી કે ડ્રાઇવિંગના માર્કસ મળે છે? સોપારી કાતરતા કે દીવાલમાં ખીલી નાખતા ફાવે છે? દોરીમાં ગાંઠ પાડતા કે છોડ ઉછેરતા આવડે? શેવિંગ કે વેકિસંગ કોઇ સ્કૂલ કોલેજના સિલેબસનો હિસ્સો હોઇ શકે? ઇમેઇલ એકાઉન્ટ ખોલતા કે સર્ફંિગ કરતા શીખવાડાય? શેરડીનો સાંઠો છોલતાં કે માંડવીના ઓળા શેકતા કયાં શીખવાનું? શાકભાજીની છાલ ઉતારવાની હોય કે હિસાબોની નોંધ લખવાની હોય, અરજીમાં બાયોડેટા લખવાનો હોય કે ડિજીટલ કેમેરામાં ફોટોગ્રાફી કરવાની હોય, મોબાઇલના એસએમએસ કે કાગળોના ફેકસ- આમાનું કશું શાળા- કોલેજના વર્ગખંડોમાં ભણાવાય છે ખરૂ?


જરા વિચારજો. શું અહીં લખી એ બાબતો આપણે ત્યાં જીંદગી જીવવા માટે જરૂરી નથી? અરે, અનિવાર્ય છે. ડગલે ને પગલે ઉપયોગમાં આવે તેવી છે. ક્ષેત્રફળ કે ઘનફળ, અર્થવિસ્તાર કે સૂર્યમાળા કરતાંય આ ‘લાઇફ સ્કિલ્સ’ની આવશ્યકતા વઘુ હોય છે. પણ ભાગ્યે જ આમાંની કોઇ વાત સ્કૂલ- કોલેજમાં શીખવાડાયા છે, અભ્યાસક્રમમાં સમાવાય છે. જયારે જવાબદાર નાગરિકની વાત તો જવા દો, અસ્તિત્વ ટકાવવા માટે પણ આ બઘુ આવડવું ફરજીયાત જેવું છે.


અને આ બઘુ લોકો શીખી પણ જતાં હોય છે. પણ ઘરમાંથી. દોસ્તો પાસેથી, જોઇ જોઇને. અનુભવે ‘ટ્રાયલ એન્ડ એરર’ મેથડથી ઘડાઇને. જરૂર પડે (કૂકિંગ, ડ્રાઇવિંગ વગેરે) કયારેક પ્રાઇવેટ કોચિંગ લઇને...! મુદ્દો એ છે કે સ્કૂલ- કોલેજમાં ભણાવાતું ન હોય એવું ય ઘણું બઘું છે, જે આપણે શીખતા હોઇએ છીએ. એટલે શાળા- કોલેજના માર્કસ કે ડિગ્રીમાં જ સર્વાંગી વિકાસ કે સંપૂર્ણ જ્ઞાન હોય એમ માની લેવું એ ભયાનક ભ્રમ છે!


માર્ક ટ્વેઇન નિશાળે ગયા નહોતા. અને મજાકમા એમ કહેતાં કે ‘હું શાળાએ ન ગયો. કારણ કે શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પહોંચાડે એમ ઇચ્છતો નહોતો!’ આ લખનારને પણ સદ્દનસીબે આવો જાતઅનુભવ છે. સમગ્ર પ્રાથમિક શિક્ષણ કોઇ અભ્યાસક્રમ વિના માતા-પિતા અને કુદરત પાસેથી ઘેર લેવામાં જે ફાયદાઓ થયા છે, તેની હેસિયતથી તો આ કલમ, આ જબાન, આ દિમાગ ચાલે છે. સ્કૂલ નહોતી. પણ શિક્ષણ હતું. કેળવણી હતી. લાદી પર ચીતરાયેલા આંકડાઓ પર ઠેકડા મારીને અંક શીખવાના રહેતાં. કોમિકસ વાંચીને હિન્દી અને ફિલ્મ સ્ટાર્સના ઇન્ટરવ્યૂઝ વાંચીને અંગ્રેજી આવડયું. જેમ્સ વોટનું વરાળ એન્જીન સ્ટેશને જઇને નિહાળ્યાના આનંદ પછી એના પ્રયોગ વિશે વાંચવાનું રહેતું. પૂંઠા વચ્ચે પેન્સિલ ભરાવી, ફરતે ગોળાકારમાં ચોંટાડેલી ચિત્રપટ્ટીઓથી ‘ઘરગથ્થુ’ બાયોસ્કોપને સીડી-રોમ ગણવાનું હતું. પોપટને પુસ્તકમાં ચીતરાયેલો નહિં, પણ ઘરની પાળીએ મગફળી ખાતો જોઇને લીલા રંગના પીંછા અને લાલ રંગની ચાંચની માહિતી મેળવવાની રહેતી. કવિતાઓ માર્કસ માટે નહિં, મોજ માટે વાંચવાની- લલકારવાની હતી અને ટેકસ્ટ બુકમાં કયાંય ન હોય એવી વિજ્ઞાનની સાહસની કથાઓ વાંચી વાંચીને ‘વિષય પ્રવેશ’ કરવાનો હતો! એટલે અજ્ઞાનીઓના ટોળામાં જ્ઞાની થવાનું દુઃખ લલાટે લખાયું, અને એટલે જ આ ‘દેશની નરી આંખે ન દેખાતી ફોલ્ટલાઇન ફોર્માલિટીના અભાવે ઝટ જડી ગઇ છે!


મોટેભાગે માતા-પિતાઓ માની લે છે કે સંતાનનું સારા કોર્સમાં, સારી સ્કૂલમાં એડમિશન થયું કે ઇતિ સિદ્ધમ્! પાઠય પુસ્તકોના ભણતરની બહાર પણ જે ઘડતર છે, તેનું શું? શિક્ષિત ડિગ્રી હોલ્ડર્સને ટ્રાફિકની તો શું પાર્કંિગની પણ સેન્સ નથી હોતી! કારણ કે એવું કંઇ તો એ યાદ રાખીને ભણ્યા જ નથી! નાગરિક શિસ્તની વાત તો જવા દો, પણ સુશિક્ષિત માનવીનું મૂળભૂત લક્ષણ કહેવાય, એ કમ્યુનિકેશન પણ કયાં બીંબાઢાળ ઔપચારિક શિક્ષણમાં શીખવાડાય છે? શૈક્ષણિક સંસ્થાઓ આપણે ત્યાં વકતૃત્વ સ્પર્ધાઓ કરે છે, પણ વકતૃત્વકળા શીખવાડતા નથી! પબ્લિક સ્પીકિંગ તો જવા દો, ફોન પર કેમ વાત કરવી... કેવી રીતે અજાણ્યા માણસનો એપ્રોચ કરવો... કેમ સારા શ્રોતા બનવું, કેવી રીતે મુદ્દાસર પત્ર લખવો- એ ય કયાં એકઝામ- સિલેબસનો ભાગ છે?! સવાલો પૂછવાની સ્વતંત્રતા અને એ પેદા કરવાની જીજ્ઞાસા જેવી બુનિયાદી બાબત જ ભણતરનો ભાગ નથી, ત્યાં દિવ્યતા તો ઠીક, ભવ્યતાનું ય શું ચણતર થાય?


એક સિમ્પલ એકઝામ્પલ. કોલેજકાળમાં હોર્મોન સીઝનના પ્રતાપે લગભગ દરેક યુવક- યુવતીઓ પ્રેમમાં પડે છે. (હા, પ્રગટ બહુ ઓછા કરે છે!) આકર્ષણના આટાપાટાની અસર ઘણી વખત વૈચારિક પરિપકવતા કે કાયમી કારકિર્દી પર પડે છે. છતાંય, સંબંધોની વાતો કયાંય શિક્ષણમાં શીખવાડાય છે ખરી? એ તો સરવાળા- બાદબાકી જેવું જ ‘બેઝિક નોલેજ’ છે. અને તારૂણ્ય શિક્ષણ કહેવાતું ‘સેકસ એજયુકેશન’ તો એનું પહેલું પગથિયું છે, એકમાત્ર કે છેલ્લું પગથિયું નથી! છતાં ય એ અંગેની સઘળી તાલીમ જીંદગીના અનુભવો જ આપે છે, એકેડેમિક એજયુકેશન નહિ! અરે, બિઝનેસ લેટર્સ આપણે જે ઊંમરે કોલેજોમાં શીખવાડીએ છીએ, ત્યાં ખરી જરૂર તો લવલેટર્સ શીખવાડવાની હોય છે! પ્રેમપત્રો (ઓકે ઓકે ઇમેઇલ, એસએમએસ બસ!) લખતાં કઇ યુનિવર્સિટી શીખવાડે છે?


એક મજાની પંકિત હતીઃ નકશાડાળ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજ લીલા! જો વર્તમાન ગોખણપટ્ટીના થિઅરોટિકલ શિક્ષણને અપ્રાકૃતિક ઇમારત કહો તો યે, એનો તો નકશો જ ઢંગધડા વગરનો, અઘૂરો છે એવું નથી લાગતું?

શેકસપિયરે અંગ્રેજી સાહિત્યની અને ગાલિબે ઉર્દુ સાહિત્યની ડિગ્રી કયાંથી લીધી? અનુભવ. વિસ્મય, જગતના આ બે મહાન શિક્ષકો છે. જે અભ્યાસ ક્રમમાં નથી, એ કિતાબો, ફિલ્મો , ઇન્ટરનેટ, મેગેઝીન્સ, દોસ્તો, માહોલમાંથી મેળવી શકાય છે. આપણે ત્યાં બધા જ ‘ભણે’ છે. ‘શીખે’ છે કેટલા?

ફાસ્ટ ફોરવર્ડ ઃ


‘જે હું ભણ્યો છું, એ ભૂલાઇ ગયું છે, જે હું જાણું છું, એ યાદ રહી જાય છે!’ (ચાર્લ્સ ટેલીરેન્ડ)

- જય વસાવડા

"સ્પેકટ્રોમીટર" 08 જાન્યુઆરી 2010

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

ડેસ્ટિનીને સ્વીકારવી જ પડે છે

નિયતિ
તારી ન હે નિયતિ!
ચાલ કળી શકું હું
-કવિ સુરેશ દલાલ
(‘‘એકાંત’’ : તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૬૬)

કરતાં હો સો કિજીયે ઓર ન કિજીયે કગ, માથું રહે શેવાળમાં ઊચા રહે બે પગ. આ કહેવત કાગડો બીજા જળપક્ષીની નકલ કરવા ગયો અને દુ:ખી થયો તે અંગેની છે. જળપક્ષી ગુલાંટ મારીને સંસ્કાર પ્રમાણે સમુદ્રનાં પાણીમાંથી ગમે તેમ કરી માછલી પકડી લે છે. એક કાગડો તળાવમાં આ પક્ષીની નકલ કરવા ગયો અને પછી કાદવમાં ખૂંપી ગયો. માનવી જયારે રાજકારણમાં આવે કે સામાજિક નેતા બને કે વેપારી બને ત્યારે તેણે ડિગ્નિટી જાળવવી જોઈએ.

અગર તો તેના સ્વભાવ પ્રમાણે જ કુદરતી વર્તન કરવું જોઈએ. વરુણ ગાંધી રાજકારણમાં હજી મોઢામાં દૂધ ગંધાય છે ત્યાં આવ્યો અને નેહરુ જેવો લાંબો ડગલો પહેરીને ભાષણ ભરડવા માંડયો. એમ ડ્રેસ પહેરવાથી ડિગ્નિટી મળતી નથી. સિસેરોએ કહેલું કે વ્હોટ ઈઝ ડિગ્નિટી વિધાઉટ ઓનેસ્ટી? જો તમારામાં પ્રમાણિકતા ન હોય તો ડિગ્નિટીની મહત્તાની, ગરિમાની, પ્રતિષ્ઠા કે ઠાઠમાઠની કોઈ કિંમત નથી. ખાસ તો માણસે પોતાના કુદરતી સ્વભાવ પ્રમાણે જ વર્તવું જોઈએ. બાળાસાહેબ ઠાકરે જેવા જ કડવાં ભાષણ તમારે આપવાં હોય તો તેના જેવું ‘‘પ્રમાણિક’’ બનવું જોઈએ. મનમાં જે હોય તે બોલી નાખવામાં પણ બહાદુરી જોઈએ.

ખરેખર તો મારે તમને આજે બે પુસ્તકોની વાત કરવી છે. એક પુસ્તકનું નામ છે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’- મેન્સ ન્યુ ડાયલોગ વિથ નેચર. તેના લેખક ડો. પ્રિગોજાઈન ઈલ્યા મૂળ રશિયામાં જન્મેલા. પોતે બેલ્જિયન રસાયણ વિજ્ઞાની બન્યા હતા. તેમને ૧૯૭૭માં નોબેલ પ્રાઈઝ મળેલું. તેમાં મોટે ભાગે વિજ્ઞાનીઓને સમજાય તેવું આ પુસ્તક છે પણ તેમાં આપણી જેવા માટે, રાજકારણી માટે અને વેપારી માટે પણ ઉપયોગી વાતો છે.

વૈજ્ઞાનિક રીતે ડો. ઈલ્યા પુરવાર કરવા માગે છે કે જગતમાં કેઓસ- અંધાધૂંધી થયા જ કરે છે. તમને લાગે કે તમે અસ્તવ્યવસ્ત થઈ ગયા ત્યાં જ કુદરતી પરિબળો તમારી સ્થિતિઓને મનોબળ પ્રમાણે બધું ઠીકઠાક કરી નાખે છે. ટૂંકમાં જયારે તમને બધું જ વેરવિખેર લાગે અને સર્વત્ર અંધારું લાગે ત્યારે જ કુદરતી નિયમ પ્રમાણે બધું ઠરીઠામ થાય છે. ઘીને ઘડે ઘી પડી રહે છે. પરંતુ તે દરમિયાન તમારે કુદરતી રીતે વર્તવું જોઈએ અને કેટલીક ઘટના તો અનિવાર્ય છે તે સ્વીકારી લેવું જોઈએ.

આજ પાકિસ્તાનમાં તો કેઓસ છે જ. અસ્તવ્યસ્તતા, વિશૃંખલતા અને દુર્વ્યવસ્થા છે જ. પણ ત્યાં કુદરતી પરિબળો કામ કરશે જ. ઓર્ડર આઉટ ઓફ કેઓસ પુસ્તકમાં જે વાત લખી છે તે પ્લીઝ મૂળ અંગ્રેજીમાં લખવા દો:

This book projects science into todays revolutionary world of instability, disequilibrium and turbulence. In so doing it serves the highest creative function-it helps us create fresh order.

આ આખું વાકય સમજવા જેવું છે. લેખક ડો. ઈલ્યા કહેવા માગે છે કે આ પરિવર્તન- અભિમુખ જગત કે ક્રાંતિકારી જગત આજે અસ્થિર દેખાય છે. ઠેર ઠેર અસમતુલા છે. ટબ્ર્યુલન્સ છે. ઉકળાટ છે. ઉફાંદ છે. પણ તે તમામ ઉકળાટ અને અસ્તવ્યસ્તતામાંથી કંઈક નવું સર્જાશે. તેમાંથી જ કંઈક નવી વ્યવસ્થા થશે. અને... અને... મહાભારત પણ રચાય તો પછી પણ બધું જ નષ્ટ થઈને નવું સર્જાશે.

સ્વતંત્રતા પછી ભારત માટે પણ ઘણા પિશ્ચમના લોકો માનતા હતા કે ભારતનાં દક્ષિણનાં રાજયો છૂટાં પડી જશે. આસામ- બંગાળ છૂટાં પડશે.- આમ થશે, તેમ થશે. આવું જ આપણા અંગત જીવનમાંય બને છે. પણ તે દરમિયાન માણસે તેના કુદરતી સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પહેલાંનો ક્ષત્રિય- ક્ષત્રિય જ થઈને લડવા તૈયાર રહેતો. વણિક વેપાર જ કરતો. ક્ષત્રિય કાંઈ વાણિયાવૃત્તિ કરી શકે નહીં. બ્રાહ્મણે શિક્ષણના ક્ષેત્રમાં રહેવું જોઈએ. આજે તે વેપારી બનવા માંડયા છે. આજે તકલીફ એ છે કે સ્વભાવ પ્રમાણે કોઈ વર્તતું નથી. અને ઘણા મહાત્માના ઉપદેશો સાંભળે છે પણ માનવીની જે ડેસ્ટિની હોય છે, જે નિર્માણ હોય છે તે જ થાય છે. તેમાં મીનમેખ નથી. એટલે ‘‘અર્જુનોએ’’ ભગવાં કપડાં પહેરીને સંન્યાસી થવાનો વિચાર ન કરવો. અર્જુને અર્જુન બનીને લડવું જ પડે છે.

બીજું પુસ્તક મહાન ફ્રેંચ ફિલસૂફ, ચિંતક, રાજકારણી અને સમાજશાસ્ત્રી વોલ્તેયર વિશે છે. ૩૧૫ વર્ષ પહેલાં પેરિસમાં જન્મેલા વોલ્તેયરની વાત હું અગાઉ કરી ગયો છું પણ આજે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ના પુસ્તકમાં વિજ્ઞાની લેખક ડો. ઈલ્યાએ વોલ્તેયરનો ઉલ્લેખ કર્યોછે તે ખૂબ જ પ્રાસંગિક અને ૨૧મી સદીના માણસે સમજવા જેવો છે.

વોલ્તેયરે ફ્રેંચ ભાષામાં ‘‘ડિકશનેયર ફિલોસોફિક’’ નામનું પુસ્તક લખેલું તેનો અનુવાદ ડિકશનરી ઓફ ફિલસૂફીમાં થયેલો અને તેમાં વોલ્તેયરે ઘણી સાફ સાફ વાતો કહેલી. આ પુસ્તકમાં ઘણી જ ઉપયોગી વાતો કરેલી છે. પણ તેમાં ‘‘ડેસ્ટિની’’ વિશેનું પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. કેટલાક લોકો ‘‘ડેસ્ટિની’’માં માનતા નથી. ડેસ્ટિની એટલે જરા ઊંડા અર્થ લઈએ તો માત્ર પ્રારબ્ધ નહીં પણ ડેસ્ટિની એટલે નિયતિ, ભવિતવ્યતા અને હોનહાર. દિવ્ય તત્ત્વે નિર્માણ કર્યું હોય તે.

ખરેખર તમારા હાથમાં આ ડિકશનરી ઓફ ફિલસૂફીનું પુસ્તક આવે તો ડેસ્ટિની વિશેનાં સુવર્ણ વાકયો વોલ્તેયરે લખ્યાં છે તે વાંચવા જેવાં છે. કેટલાક મગજની મથામણ પછી સમજાય તેવાં સૂત્રો છે. દા.ત. ધ પ્રેઝન્ટ ઈઝ પ્રેગ્નન્ટ વિથ ધ ફયુચર... ઈવેન્ટસ આર લિંકડ વન વિથ અનધર બાય એન ઈન્વિન્સિબલ ફેટાલિટી.

અર્થાત્ વર્તમાનના ગર્ભમાં જ ભાવિ છુપાયેલું છે. ભવિષ્યની જે ઘટનાઓ- બનાવો છે તે બધાં જ એકમેક સાથે સંકળાયેલાં છે. તમે જે ધબડકા કે છબરડા કે વાનરવેડા કે છીનાંખવા કે અળવીતરાં કામ કર્યાં હોય તે તત્કાળ ભુલાઈ જાય કે છુપાઈ જાય પણ કદી તેની અસર કે પ્રભાવ નષ્ટ થતાં નથી. ભવિષ્યમાં કોઈ ને કોઈ વાત તમારાં કર્મોતમને જવાબ દઈ જાય છે. તમને મરણતોલ માર પડે છે- અપરાજય કે અદમ્ય ઘાતકતા સાથે (ઈન્વિન્સિબલ ફેટાલિટી) તમને ન્યાય મળે છે. આ જન્મે નહીં- તો પછીના જન્મે.

kanti_bhatt‘‘ડેસ્ટિની’’ અર્થાત્ ભવિતવ્ય હોય તે થવાનું જ છે. તેમાં મીનમેખ નથી તેવી વોલ્તેયરની વાતને કવિ હોમરે ૮મી કે ૯મી સદીમાં તેના મહાકાવ્ય ‘‘ઈલિયડ’’ની કથામાં સમર્થન આપ્યું છે. એક ફેંકાયેલો રાજા રાજયમાં પાછો ફરે છે. આ મહાકાવ્યમાં જુદા જુદા હીરો કે વિલનની બહાદુરી, નબળાઈ, જય- પરાજયની વાતો હોય છે. રાજાની રાણી તેના સરદાર સાથે આડો વ્યવહાર કરે છે એવી તમામ વાતો હોમરના કાવ્યમાં છે. હોમરના મહાકાવ્યમાં કેટલીક વિરોધાભાસી વાતો અને વિચારો હોય છે પણ હોમર એક વાત અફર રીતે કહે છે- આખરે માનવીએ ડેસ્ટિનીને સ્વીકારવી પડે છે.

વોલ્તેયર કહે છે કે ડાહ્યો માણસ હંમેશાં ડેસ્ટિનીને સ્વીકારી લે છે. તમે ઇંગ્લેંડનો ઈતિહાસ જાણો છો. ચાલ્ર્સ પહેલાનું માથું વાઢીને બીજા લોકો સત્તા ઉપર આવેલા. ઘણા ડાહ્યા લોકો કહે છે કે રાજા ચાલ્ર્સે ક્રોમવેલ અને બીજા તેના ડઝનેક સાથીદારને પતાવી દીધા હોત તો રાજા ચાલ્ર્સે જાન ખોવો ન પડત. પરંતુ ડેસ્ટિની કહે છે કે ચાલ્ર્સે મરવાનું જ હતું. શું મિલિટરીના કમાન્ડરો બહુ જ સત્તાવાન હોય છે? તમે જનરલ ઝિયાથી માંડીને મુશર્રફની ડેસ્ટિની જોઈ છે. ડેસ્ટિની સામે મિલિટરી બળ ચાલતું નથી.

વોલ્તેયર આપણને સરસ વાત કરે છે. ઓહ મારા વહાલા જેન્ટલમેનો! આપણને હંમેશાં કોઈ ને કોઈ પેશન થવાનો જ. સત્તાની, ધનની, સુંદરીની લાલસા થવાની જ. તમને કેટલાક લોકો માટે કે તમારી વિચારણામાં પૂર્વગ્રહો બંધાશે જ. એ પૂર્વગ્રહો માટે તમે પસ્તાશો નહીં કે તેવી વાસના-લાલસા-કામનાથી ડરશો નહીં. શું કામ? જેન્ટલમેન! એ તમારી ડેસ્ટિની છે.

આ લેખની પણ ડેસ્ટિની હતી કે આ ટાંકણે જ સ્વામી ધર્મબંધુનો રાજકોટ નજીકના ફ્રાંસલા આશ્રમથી ફોન આવ્યો. મેં તેમને અટકાવીને કહ્યું, મને કોઈ નિયતિનો (ડેસ્ટિની) સચોટ દાખલો આપો. તેમણે કહ્યું નિયતિનાં ઉદાહરણો રામાયણમાં ભરપૂર છે. રામચંદ્રજી વનવાસમાં હતા ત્યારે લક્ષ્મણને કહ્યું ‘‘મારા જેવો આ પૃથ્વી પર પાપ કરવાવાળો બીજો કોઈ હશે તે વાત હું માની શકું નહીં.’’ લક્ષ્મણ તો ગળગળો થઈને ભ્રાતૃભાવ સાથે કહે છે કે ‘‘આવું કેમ કહો છો? હું તમારી સાથે સતત રહ્યો છું. મેં તમને કદી દુષ્કર્મ કરતા જોયા નથી.’’ જવાબમાં રામચંદ્રજી કહે છે કે ‘‘નિશ્ચય હી મૈને પૂર્વ જન્મ મેં બૂરા કામ કિયા હોગા... નહિતર મારે રાજસિંહાસન છોડીને વનવાસ જવું પડે? પિતાનું મૃત્યુ જોવું પડે? સીતાનું અપહરણ થતું જોવું પડે અને લક્ષ્મણ જેવા વીર યોદ્ધાને ઘાયલ થયેલો જોવો પડે...?’’

આવી જ વાત નાગાર્જુનની છે. રસતંત્રસારમાં લખ્યું છે કે એક રાજા નાગાર્જુનને તેમના પ્રધાન બનાવવા ઈરછતા હતા. આ નાગાર્જુન વિશે ૨૧મી સદીની નવી-જૂની પેઢીએ જાણવું જોઈએ. તે વિદર્ભ પ્રદેશના બ્રાહ્મણ હતા. બૌદ્ધ ધર્મને ફિલસૂફીનું રૂપ તેમણે આપેલું. ઉપરાંત તે મોટા ઔષધશાસ્ત્રી હતા. તેણે ભારતમાં ઘણા લોકોને બૌદ્ધધર્મ પાળતા કર્યા. તેમાં રાજાઓ પણ હતા. નાગાર્જુનની વાતો આજે માનવી પડે તેવી છે.

‘‘માત્ર નીતિ પાળવાથી જ તમે પુનર્જન્મમાંથી મુકત થતા નથી. નિર્વાણ મેળવવા આ જન્મમાં ઘણું કરવું પડે છે. દાન, શીલ, શાંતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા એટલા ગુણો વડે આત્માને પૂર્ણતાએ પહોંચાડવો પડે છે.’’ આ વાત તો ઠીક. મને કે તમને ધારો કે પૂર્વજન્મમાંથી મુકત થવાનો કોઈ નાદ જ ન હોય તો બીજી એક નાગાર્જુનની વાત માનવા જેવી છે. તેમણે કહેલું ‘‘વિષ્ણુ, શિવ, કાલી વગેરે દેવદેવીની ઉપાસના સાંસારિક ઉન્નતિ માટે કરવી જોઈએ!’’ આ નાગાર્જુનને જયારે પ્રધાન બનાવવાની વાત થઈ ત્યારે રાજાને સ્પષ્ટ કહ્યું ‘‘હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણની ફરજ તેના જ્ઞાન દ્વારા બીજાને શિક્ષણ આપવું અને મારે તો ખાસ ઔષધ પ્રયોગ અને બૌદ્ધ ધર્મના પ્રચાર અંગેની ફરજ બજાવવી જોઈએ. મારી આવી જ નિયતિ છે. મારા પ્રારબ્ધમાં માત્ર સેવા છે. પ્રધાનપદું નથી!

હવે આપણે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ પુસ્તકમાં ફિલસૂફ વોલ્તેયરે કહેલી વાતને ટાંકી છે તે શું હતી તે જોઈએ. તેમણે કહેલું કે એવરીથિંગ ઈઝ ગવન્ર્ડ બાય ઈમ્મ્યુટેબલ લોઝ, એવરીથિંગ ઈઝ પ્રી-એરેન્જડ... એવરીથિંગ ઈઝ એ નેસેસરી ઈફેકટ. અર્થાત્ દરેક ઘટના કે ચીજ અફર નિયમો થકી જ નિયિંત્રત છે, દરેક વસ્તુ અગાઉથી ગોઠવાયેલી જ હોય છે, જે બનવાનું હોય તે બને છે. દરેક ચીજની તત્કાળ કે ગમે ત્યારે અસર થાય છે. કેટલીક ઘટનાઓ જરૂરી છે અને અનિરછનીય હોય છે પણ તે બન્નેને સ્વીકારવી જ પડે છે.

- કાંતિ ભટ્ટ

"ચેતનાની ક્ષણે" ભાસ્કર તા.૦૫/૦૪/૨૦૦૯