સોમવાર, 3 ઑક્ટોબર, 2011

વૈષ્ણવજન તો તેને રે કહીએ

યાદ  કરો, પરાણે કાનમાં પડતું હોઇને જેના શબ્દો પર ધ્યાન ન અપાતું હોય એવા આ પોપ્યુલર ભજનમાં છુપાયેલા નાગરિક ધર્મને!
* * *
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે
પીડ પરાઇ જાણવી એટલે? સાયકોલોજીની ભાષામાં 'એમ્પથી'. કેવળ અરરરની પીડાનું દર્દ થાય, એ સહાનુભૂતિ. પણ બીજાને જે પીડા થાય એ પોતે પણ એટલી જ અનુભવી શકે, એ એમ્પથી, સમાનુભૂતિ. બીમાર સંતાનને થતું દર્દ મા-બાપના પણ કાળજામાં ઉઠે, પ્રેમિકાનું ડિપ્રેશન પ્રેમીને ઉદાસ બનાવી દે તે! જાહેર જવાબદારીના કામ આવો સંવેદનશીલ માણસ જ ઉપાડી શકે, જે 'પીડ પરાઇ'ને પોતીકી કરી શકે. આવો જ માણસ પરિવારમાં પ્યારો થાય. આ વાત તો જૂગજૂની છે, પણ નવી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ ટાળવા બીજી લીટી મહત્વની છે. બીજાનું ભલું કરવા જતાં , કોઇના દર્દને જીરવવા જતાં જો મનમાં 'મેં એનું આમ કર્યું' એવો ઉપકારભાવ આવ્યો, તો ગયા કામથી! કારણ કે એક તો એમાં બીજાને બદલે ખુદ પર ફોકસ વધવાનું. અને પછી એ અભિમાનમાંથી કોઇ બદલામાં સારૃં વર્તન ન કરે તો અપેક્ષાભંગ થતાં ક્રોધ કાં હતાશામાં શેકાવું પડવાનું! બી ગુડ, ડુ ગુડ... એન્ડ ફરગેટ ઇટ. કરેલા કામોની યાદીનો બાયોડેટા જીવાતી જીંદગીની સાહજીક મોજ કરતાં મોટો નથી હોતો!
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
નો પરમેનન્ટ રિવેન્જ વિથ એનીવન. લોર્ડ વોલ્ડેમોર્ટની જેમ નફરતની આગમાં અંતે જાતે ભસ્મ ન થવું. હેરી પોટરની જેમ બધા સાથે ફ્રેન્ડલી રહેવાનો પ્રયત્ન કરવો. કોઇની પીઠ પાછળ ગાળો દેવાનું કે એની ખટપટ કરી ટાંટિયાખેંચ કરવાનું લુચ્ચાઇ ભરેલું કૃત્ય કરવા કરતાં મોંએ સ્પષ્ટ સત્ય ચોપડાવી દેવું. બધા પોતપોતાના સંજોગો - આવડત- લાયકાત મુજબ જીવે છે. સતત એમની નિંદામાં જ ખોવાયેલ રહેશો તે ખુદના સંજોગો સામે ઝઝુમવાનો, પોતાની લાયકાત કે આવડત  બહેતર બનાવવાનો સમય જ નહિં રહે. કોન્ટ્રોવર્સીમાં પડયા રહેવા કરતાં અમિતાભ જેવા મીઠાબોલા થઇ,  સહુને પ્રેમથી બોલાવવાનો પ્રયત્ન કરવો. વાચ યાને ખુદની વાત, વિચાર,  શબ્દો કોઇનાથી દોરવાયા વિના અંદરથી જે આવે એમ રાખવા. કાછનો એક અર્થ  કચ્છ યાને લંગોટ થાય. મતલબ સેકસ્યુઆલિટીના અર્થમાં પણ છે. બીજો  અર્થ કર્મ, કર્તવ્ય પણ કેટલાક વિદ્વાનો કરે છે. મતલબ અહીં એ જ  પકડવાનો છે કે આપણા શબ્દો, કર્તવ્યો, કે જાતીયતા વિશે લોકો શું  કહેશે એ ટીકાઓથી નિશ્ચલ યાને અલિપ્ત, અનટચ્ડ રહેવું. જૂના જમાનામાં  ભલે કેવળ ડાહ્યું ડાહ્યું બોલવું એવા અર્થઘટનો થતાં હોય, વાત પોલાં  પોપટિયાં બનવાની નરસિંહ નથી કરતા. 'તું રામ સુમર જંગ લડવા દે'ના  અર્થમાં આપણે કોઇના ભરમાવ્યા બોલવામાં કે કશું કરવામાં ન પડવું અને  ટીકા-પ્રશંસાથી આપણા શબ્દો કે કર્તવ્યો દૂષિત ન થાય, તેનું ધ્યાન  રાખવું. ગમે તેની ભાટાઇ કરતા કે જયાં ટેમ્પટેશન દેખાય ત્યાં લાળ  ટપકાવતાં (જેમ કે મલ્લિકાનું પોસ્ટર જોઇ ભંગાર ફિલ્મ જોવા થિયેટરમાં  જવું! કે ચળકતું રેપર જોઇ સાબુ લેવો!) ધસી જનારા નાગરિકો ન બની શકે.
સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

પર-સ્ત્રી તો મહેતાજી- ગાંધીજી પુરૃષ એટલે કહે. સ્ત્રીઓ માટે પર-પુરૃષ. હવે આનો ય પ્રાચીન અર્થ કાઢવા જાવ તો રાસલીલાના માદક વર્ણનો લખવાવાળા નરસિંહને જ ત્યારે ભ્રષ્ટ કહેવાયા હતા. એનું સમર્થન કરવું પડે. ગાંધીજીની નિખાલસ કબૂલાત મુજબ એ પણ લંડનમાં પાના રમવાથી લઇ સરલાદેવી સુધી પર-સ્ત્રીના આકર્ષણમાંથી મુક્ત નહોતા જ. સાયકોલોજીની ભાષામાં એમને ગિલ્ટ હતો એનો. એ બંને તો જવા દો. તો-તો પછી રોમેન્ટિક રાસેશ્વર કૃષ્ણ જ વૈષ્ણવજન ન કહેવાય! ન રાધા-કૃષ્ણ, કાન-ગોપી કે એક સિવાયની કોઇ શ્યામતણી રાણીની વાત કરાય! મુદ્દો કમિટમેન્ટ ફોર લવનો છે. પ્રેમ કરો, એને પરણો પછી વગર કારણે ભરોસો તોડવાનો નહિં! જાત સાથેની વફાદારીનો છે.
માટે, પર-સ્ત્રી એટલે બળાત્કાર. સુપ્રિમ કોર્ટ પણ કહે છે, તેમ પરસ્પરની સંમતિ વિના બળજબરીથી, હિંસા- ધાકધમકી, બ્લેકમેઇલિંગથી બંધાયેલો સંબંધ. પરસ્ત્રી એટલે બિપાશાના પોસ્ટરને લીધે ઘરની આશા પર પાણી ફેરવવું. પરસ્પર ભાવ હોય, એકબીજા માટે લાગણીનું બોન્ડિંગ હોય ત્યાં પરસ્ત્રી કે પરપુરૃષ નથી. કન્સેન્ટિંગ એડલ્ટસ છે. પણ વાત સેકસને નહિં, એના વળગણને છોડવાની છે. ચોવીસે કલાક સેકસ એબ્સેસ્ડ, વિકૃત એડિકટ, સાયકો બનવાની છે. માટે જ આગળની લીટી મહત્વની છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી. સહજ ઉમળકાથી પ્રેમ કરવો, પણ સતત એના જ વિચારોમાં ન રહેવું. નિર્ણયો લેતી વખતે આ મારી વ્હાલી ને આ મારો છોકરો જેવા મમત્વને આડે નહિં લઇ આવવાના. તટસ્થભાવે વિચારવું અને કોઇ બાબતની તૃષ્ણા યાને લાલચ પાછળ પાગલ નહિં બનવાનું. શેરબજારના સટ્ટાખોરો નાગરિક ન બની શકે. ચૂંટણી વખતે સમદ્રષ્ટિને બદલે જ્ઞાાતિવાદી- લાભાલાભની તૃષ્ણામાં દોરવાઇ જાય. બાકી, જૂઠાડા દંભ અને પારકા પૈસા પર નજર બગાડી છેતરપિંડી કે કૌભાંડો કરીને બીજાના હકનું ધન ટેસથી જમી જનારા અંગે ૨૧મી સદીમાં વધુ કંઇ સમજાવવાની જરૃર ખરી? ભારતમાં પરધન જમી જનારો મહાત્મા ગણાય છે, ને દુરાત્માની સઘળી ગાળો ફકત પરસ્ત્રીવાળાને જ ખાવી પડે છે! નાણાંકીય ગોબાચારી ચકચારી ગુનો જ નથી.
મોહ માયા વ્યાપે નહિં જેને, દ્દઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે
વણલોભીને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયોં તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.
તીરથ, રામનામ, કુળ તાર્યા અને એબાઉ ઓલ વૈરાગ્ય જેવો શબ્દ આવે, એટલે આપણે સીધા સંસારત્યાગી બાવા બની જવાનું જ વિચારીએ. એ તો કૃષ્ણ, નરસિંહ કે ગાંધી પણ નહોતા. જરાક, સંસારના સ્પિરિચ્યુઅલ નહિં, સોશ્યલ કોન્ટેકસ્ટમાં સમજીએ. દ્દઢ વૈરાગ્ય એટલે પૂજાપાઠ નહિં, એટલે પોતાના 'ગોલ' માટેની સ્ટેબિલિટી. એટલે રાહુલ દ્રવિડની જેમ રમતા હો ત્યારે એના સિવાય બીજા કોઇ પ્રલોભન પર ધ્યાન ન જાય, એવું અડગ ફોકસ. શાહરૃખ એકટિંગ કરતા કરતાં કેટરીનાના કપડા તરફ જુએ તો ડાયલોગ ભૂલાઇ જાય! ગુસ્સામાં આવીને તડ-ફડ કર્યા પછી ગુસ્સો ઉતરે ત્યારે સંતાપ થાય, અને પાંચ મિનિટની વાત માટે પાંચ વરસ, સોરી કહેવું પડે. કોઇ દંડો લઇને ઉભું ન હોય, માટે રસ્તા પર કચરો ફેંકી દેવો એ કપટ છે. ફકત પોતાના જ ફાયદા માટે બીજાઓને પગથિયાં બનાવી કોર્પોરેટ યુઝ કરવો એ લોભ છે. અંગત સ્વાર્થમાં આંધળાભીંત થઇ ચાલાકી કરવી, લોભ છે! કોઇને પૂરા જાણ્યા- સમજ્યા વિના એના પર જજમેન્ટલ બનીને એની જીંદગીમાં દખલગીરી કરવી એ વૈષ્ણવજનનું લક્ષણ નથી. પ્રકૃતિમાં રહેલા પ્રભુની સાથે હાથ મિલાવો પછી, બાકીના દુઃખદર્દ સહન કરવાની તાકાત આવી જશે.
ગાંધીજીના જન્મદિને આ આધુનિક નાગરિક બનવાની દિશામાં એકાદ ડગલું ય ચાલીએ, એથી મોટી ગિફટ કઇ હોય રાષ્ટ્રપિતાને?

ફાસ્ટ ફોરવર્ડ
'દરેક માનવી ચંદ્ર જેવો હોય છે. એની એક કાળી બાજુ હોય છે, જે એ કોઇને બતાવતો નથી!' (માર્ક ટ્વેઇન)

 - જય વસાવડા (સ્પેકટ્રોમીટર 2/10/2011)

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

પસ્તાવો વિપુલ ઝરણું ખરું પણ પછી પુણ્યશાળી બનો છો?

 
રિપેન્ટન્સ (પસ્તાવો)ને જીવનની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો, પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ. જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે.

હા! પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે...
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છુટ્યો તે ને અરર! ફાળ પડી હૈયા મહી તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
-રાજકવિ સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

લાઠીના કવિએ પસ્તાવાને વિપુલ ઝરણું કહ્યું છે. આ વિપુલ ઝરણામાં ૨૧મી સદીમાં જો ખરેખર પાપીઓ ડૂબકી મારવા માંડે તો ઝરણું જ ગંદું થઈ જાય એટલાં પાપ થાય છે. સારું છે કે પણ પાપી કરતાં દુનિયામાં પુણ્યશાળીની બહુમતી છે. ઓશો રજનીશ, ગાંધીજી સ્વિડિશ ફિલસૂફ સ્વિડન બોર્ગ અને સૌથી વધુ ઈસ્લામમાં રિપેન્ટન્સ-પસ્તાવા અને તોબાહુ ઉપર સૌથી વધુ ભાર છે.

આટલાન્ટિક મેગેઝિનમાં એડમન્ડ કેમ્ડલરે (જુલાઈ ૧૯૨૨) લખ્યું છે કે ૨૪-૧૧-૧૯૧૯ના રોજ સ્વામી શ્રદ્ધાનંદ જામા મસ્જિદના વ્યાખાન મંચ ઉપરથી ઊતર્યા અને હિન્દુ-મુસ્લિમોને સંબોધ્યા હતા. તેમણે કહેલું કે ઈસ્લામમાં પસ્તાવો કરી પાપ માટે માફી માગવાનો આદર્શ સૌથી મહત્વનો છે. સ્વામી શ્રદ્ધાનંદે આટલાન્ટિકમાં કહેવા પ્રમાણે અલ્લાહુ અકબર અને ઓમ્ એ સરખા ઉદ્ગારો છે! મહાત્મા ગાંધીજી વિશે પ્યારેલાલે ‘લાસ્ટ ફેઝ’ નામના થોથાં લખ્યાં છે તે નવજીવન પ્રેસમાંથી સાવ સસ્તા મળે છે તે વસાવવા જેવા છે. તેમાં બીજા ભાગમાં ૧૦૧મે પાને મહાત્મા ગાંધીજીએ લખેલું કે મારી અહિંસા તકલાદી નથી.

મારું મૃત્યુ જ એ વાત પુરવાર કરશે. જો કોઈ મારું ખૂન કરશે તો મરતાં મરતાં હું મારા ખૂની માટે તેને માફી બક્ષવા ઈશ્વરને પ્રાર્થના કરીશ. આ બતાવે છે કે ગાંધીજીએ નાથુરામ અને ગોપાલ ગોડસેને તેમના ખૂન પહેલાં જ માફ કરી દીધા પણ તાજેતરમાં ગોપાલ ગોડસે ૮૪ની વયે મર્યા ત્યારે તેણે કડક રીતે કહ્યું કે ‘એ કૃત્ય માટે હું રિપેન્ટન્સ-પસ્તાવો કરવા તૈયાર નથી! આવા ઘણા લોકો છે જે સભાન રીતે અમુક અનિવાર્ય પાપ’ કરે છે.

મહેરબાબાએ એક પસ્તાવા ઉપરનું જ કાવ્ય લખ્યું હતું. નવેમ્બર ૧૯૫૧માં મહેરબાબાએ ‘ઓ પરવર દિગાર-ઓહ બીલવેડ ગોર્ડ’ નામની પ્રાર્થના રચેલી. તેના અંગ્રેજી શબ્દો છે

વી રિપન્ટ ઓહ ગોડ મોસ્ટ મર્સીફુલ
ફોર ઓલ અવરસીન્સ
ફોર એવરી થોટ ધેટ ઈઝ ફોલ્સ ઓર
અનજસ્ટ ઓર અનકલીન
ફોર એવરી વર્ડ સ્પોકન ધેટ ઓટ નોટ
ટુ હેવ બીન સ્પોકન
ફોર એવરી પ્રોમિસ ગિવન બટ નોટ ફુલફીલ્ડ
વી રિપન્ટ ફોર એવરી એકશન
ધેટ હેઝ બ્રોટ રુઈન ટુ અધર્સ
ફોર એવરી વર્ડ એન્ડ ફીડ ધેટ
હેઝ ગિવન અધર્સ પેઈન
ઈન યોર અનબાઉન્ડેડ મર્સી
વી આસ્ક યુ ટુ ફરગિવ ઓ ગોડ!

ખરેખર તમે અલ્લાતાલા-ઈશ્વરની માફી માગતી આવી મહેરબાબા જેવી પ્રાર્થના ભાગ્યે જ સાંભળી હશે. બેનમૂન છે. ઈશ્વર પાસે તો દરેક ખરાબ વિચાર માટે દરેક કટુ વાક્ય માટે અને દરેક ન પાળેલા વચન માટે અને પોતાની વર્તણૂંકથી બીજાને પીડા થઈ હોય તે માટે પણ મને પસ્તાવો થાય છે. હે ઈશ્વર અલ્લા મને માફ કર. કુરાનમાં જે વાક્યો છે તેનું અંગ્રેજી એક વેબસાઈટમાં છે.

ડુ નોટ ડીસ્પેર ઓફ ગોડ્ઝ મર્સી હી વિલ ફરગિવ યુ ઓલ યોર સીન્સ (૩૯.૫૩) તાજેતરમાં લંડનના મારા વાચક મોહમ્મદભાઈનો ફોન મક્કા-મદીનાથી આવ્યો. તેમણે મારી બીમારીની વાત ત્યાં સાંભળેલી. તેમણે કહ્યું કે હું હજ પઢતી વખતે તમે સારા થઈ જાઓ તેની દુવા માગીશ. આજે હું પૂર્ણ સ્વાસ્થતાથી લખતો થયો છું આ બધા મિત્રોની દુવા અને મારી શ્રદ્ધાથી સારો થયો છું. હજ પઢીને જ્યારે પણ મુંબઈના ઈભુભાઈ ઘાંચી આવે છે ત્યારે પ્રસાદીની કાળી ખજૂર લાવે છે.

લંડન જઈને મોહમ્મદભાઈ મક્કાનું પવિત્ર જળ મોકલશે. અહીં વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે એક અતિ રોચક નવી વાત કહેવી છે. પોલ થોરો નામના વિખ્યાત ટ્રાવેલ લેખક જેણે આખી દુનિયા જોઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને હિમાલય સુધી, પણ તેને મક્કા મદીનામાં જવાની છુટ ન મળી તેનું પુસ્તક પ્રગટ થવાનું છે તેમાં તે લખવાના છે તે વાત વાંચો. આવનાર પુસ્તકનું નામ છે ‘પોલ થોરો : ધ તાઓ ઓફ ટ્રાવેલ.’

આ પુસ્તકમાં ‘પર્સનલ નેરેટીવ્ઝ ઓફ પીલગ્રીમેજ ટુ અલ-મદીના એન્ડ મક્કા’ (૧૮૫૫-૫૬)માં સર રિચાર્ડ બર્ટને લખ્યું છે કે તે એક માત્ર યુરોપિયન છે જેણે મક્કા-મદીનાની હજયાત્રા કરી છે. તેણે આખા કુરાનને કંઠસ્થ કરેલું. પોતે અફઘાન બનીને મીરઝા અબ્દુલ્લા નામ રાખેલું. આ વાત તો જાણે સમજ્યા પણ પછી તેણે કાબા પાસે શું જોયું? જગતભરના મુસ્લિમો ત્યાં માથા પછાડી પછાડીને જોર જોરથી આક્રાંત કરીને ખુદા પાસે પોતાનાં કર્મોની માફી માગતા હતા અને જે રિપેન્ટન્સ કરતા હતા તે ર્દશ્ય હૃદયદ્રાવક હતું.

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે. ઓશો રજનીશ આપણે ખોઈ નાખેલા એક કમાલના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. તેણે રિપેન્ટન્સ-પસ્તાવા ઉપર વિસ્તારથી પ્રવચન આપેલું તો તેના જ ઉદાત્ત શબ્દોમાં અહી રજૂ કરું છું.

‘રિપેન્ટન્સ તમારા જીવનની અતિ મહત્વની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો. પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર તમારી આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ.’ જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે.

યોગાનુયોગ રજનીશ ભક્તે ઓશોને સવાલ પૂછેલો ‘બીલવેડ માસ્ટર વોટ ઈઝ ટ´ રિપેન્ટન્સ.’ સાચો પસ્તાવો કોને કહેવો? ઓશો આનો બહુ ચોંકાવનારો બેધડક જવાબ આપે છે. ‘તમામ ધર્મોએ પસ્તાવા વિશે બહુ ઘોંઘાટ અને પિષ્ટપેષણ કર્યું છે. ઈસુ ખ્રિસ્ત વારંવાર આ વાત રટ્યા કરતા. રિપન્ટ, રિપન્ટ બીકોઝ ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ કલોઝ! રિપન્ટ બીકોઝ ડે ઓફ જજમેન્ટ ઈઝ કમિંગ કલોઝ... મારે કહેવું જોઈએ (રજનીશ કહે છે) કે ધર્મો જ તમને અપરાધભાવ આપે છે. રસ્તે ચાલી જતી સુંદર સ્ત્રીને જુઓ છો. તમારું હૃદય થડકવા માંડે છે પણ તમે પરણેલા છો એક ડઝન બાળકના પિતા છો. તમે ખ્રિસ્તી છો. એટલે તમને રૂપાળી સ્ત્રીની અબળખા માટે અપરાધ સાલે છે. શું આ રિપેન્ટન્સ છે? આ કોઈ પાપ પણ નથી. સુંદર ચીજ જોઈને હલબલિ જવા માટે જ છે.

‘પાપ અને પુણ્યની વાત ધર્મગુરુઓ અને ખાસ કરીને પાદરીઓએ વધુ પડતી ચગાવી છે. તેમના શિષ્યોને ગુલામ કે નમ્ર બનાવવા માટે વાપરી છે. હિન્દુઓ માટે બહુ સરળ રસ્તો છે. ઘણા પવિત્ર થવા અને પાપમુક્ત થવા ગંગામાં ડૂબકી મારવા જાય છે. શ્રદ્ધા સાથે કે તેનાં પાપ ધોવાઈ જશે. રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના યાદ આવે છે. એક ભક્ત તેની પાસે ગયો.

તેણે રામકૃષ્ણજીને પૂછ્યું ‘એ સાચું છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે?’ રામકૃષ્ણજીએ કહ્યું ‘હા સાચી વાત છે. તું ડૂબકી માર એટલે પાપ ધોવાઈ જાય છે. ભક્ત ખુશ થયો અને કહ્યું ‘હું જાઉં છું.’ રામકૃષ્ણજીએ કહ્યું ઊભો રહે! મારી વાત પૂરી થઈ નથી. તું જ્યારે ગંગામાં ડૂબકી મારીશ ત્યારે તારાં પાપ કૂદકો મારીને ગંગા નદી નજીક એક ઝાડ છે તેની ઉપર ચડી જશે. એટલે બહાર નીકળીને ધ્યાન રાખજે કે ઝાડ ઉપર ચઢેલાં પાપ પાછા તારા ખંધોલે ન આવી જાય?

કેટલી માર્મિક અને વેધક વાત છે! પસ્તાવો કરો. હૃદયથી કરો અને ફરી કદી પાપ કે ગલતી નહીં જ કરો તેનો દઢ સંકલ્પ રાખો. ખાસ કરીને કલાપીની શિખામણ માની તમે પ્રેમી કે પ્રેમિકાનું મન દુભવ્યું હોય તો દિલથી માફી માગો, હૃદયથી પસ્તાવો કરો. ‘

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ (25/9/2011)

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

વો મેરે નજદીક આતે આતે હયા સે ઇક દિન લિપટ ગયે થે મેરેં ખ્યાલો મેં આજતક વો બદન કી ડાલી લટક રહી હૈ!


ખુદા જાણે તમે કેવી જગા પર જઇને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા!
તમે પાછા કદી વળશો, એ આશામાં જ વર્ષોથી
ઉભો છું ત્યાં જ, જયાંથી આપણા રસ્તાઓ બદલાયા
સમજદારીએ શંકાઓ ઉભી એવી કરી દીધી,
હતા જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા!
જીગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તા કંઇ નથી આ રાહમાં અજવાળા પથરાયા.
કરી જોયા ઘણાં રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઇ રોકાયા!
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી'તી
અમસ્તા કંઇ નથી 'કાયમ' અમે સસ્તામાં વેંચાયા
(કાયમ હઝારી)
 
વિશ્વ વિખ્યાત ફ્રેન્ચ લેખક આલ્બેર કામૂ. ભારેખમ, એબ્સર્ડ, આધુનિક રચનાઓનો સર્જક. એક પત્રકારે એક વખત કામૂને પૂછયું 'તમારે સમાજ ઉપર પુસ્તક લખવાનું હોય, તો તમે લખો ખરા?'
'ચોક્કસ.' કામૂએ કહ્યું. એ કિતાબ સો પાનાની હશે. જેમાં ૯૯ પાના કોરા હશે. કારણ કે બીજું કંઇ કહેવા જેવું નથી. પણ સોમા અંતિમ પાના પર હું છેલ્લે લખીશઃ 'માનવજાતનું એકમાત્ર કર્તવ્ય છેઃ ચાહવું!'
* * *
૨૦૦૪માં અંગ્રેજી ભાષાના બીજી ભાષામાં અનુવાદ કરવામાં અઘરા પડે, એવા ટોપ ટેન શબ્દોનું એક સર્વેક્ષણ થયું હતું. એમાંનો એક શબ્દ છેઃ સેરેન્ડિપિટી. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે એ શબ્દનું કનેકશન ભારત સાથે છે! અંગ્રેજી ભાષામાં એ શબ્દ આવ્યો ઇટાલીમાં મધ્યયુગમાં થયેલા એક સંપાદનમાંથી. એ સંપાદનમાં હતી મૂળ પર્શિયન (ઇરાનિયન) પરીકથા. જેમાં 'સેરન્ડીપ' નામના ટાપુના ત્રણ રાજકુમારોના પરાક્રમોની વાર્તા હતી. આ અરેબિક શબ્દ સેરન્ડીપ શબ્દ કયાંથી આવ્યો? સંસ્કૃતમાંથી! સેરન્ડિપ એટલે સંસ્કૃત 'સિંહલદ્વીપ' યાને આજના શ્રીલંકાનું અપભ્રંશ પામેલું મૂળ નામ!
એની વે, પરીકથાના રાજકુમારો સાથે 'હેપી એકસીડેન્ટસ' યાને સુખદ અકસ્માતો થતાં. અચાનક જ કોઇ એવી અણધારી ઘટના બને કે જેનું કશુંક મીઠું પરિણામ આવે. 'પ્લેઝન્ટ સરપ્રાઇઝ' જેવા આ યોગાનુયોગ એટલે સેરેન્ડિપિટી!
આ નામથી એક સ્વીટ ફિલ્મ બનેલી. જોન કુસૈકની સેરેન્ડિપિટી! હીરો અકસ્માતો હીરોઇનને મળે છે. બંનેને કુછ કુછ થાય છે. પણ હીરોઇન ઇલુ ઇલુ કરતા વધારે ફોરચ્યુન (ભાગ્ય)ની રમતમાં ભરોસો રાખે છે. એ 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' નામનું પુસ્તક લઇ એમાં પોતાનું નામ અને નંબર લખે છે. હીરો ૫ ડોલરની એક નોટમાં પોતાનું નામ અને નંબર લખે છે. અચાનક, અકસ્માતે ભાગ્યમાં હોય તો ખોવાઇ ગયા પછી પણ જડી આવવા વિશે એને અનહદ શ્રદ્ધા છે. એ પછી કહે છે કે જો કિસ્મત કનેકશન હશે, તો એક દિવસ હીરો પાસે હીરોઇનના નામ- નંબરવાળી બુક ફરતી ફરતી આવશે, અને હીરોઇન પાસે ૫ ડોલરની નોટ! (એની નબળી નકલ જેવી હિન્દી ફિલ્મ એટલે શાહીદ- કરીનાની આખરી 'મિલેંગે મિલેંગે!')
ફિલ્મી? મેલોડ્રામામાં ન માનતા હોલીવૂડમાં ય આ થીમ પરથી 'વ્હેન હેરી મેટ શેલી' ('હમ તુમ' જેવી અનેક યશરાજ ફિલ્મોની ગંગોત્રી!) અને અદ્દભૂત રોમેન્ટિક ફિલ્મ એવી પર્સનલ ફેવરિટ 'ડેફિનેટલી, મે બી' બની ચૂકી છે. જેમાં હીરો- હીરોઇન વારંવાર અકસ્માતે ફરી ફરી અલગ અલગ સ્થળે, અવનવા અનુભવો પછી મળતા રહે છે. સેરેન્ડિપિટી, યુ નો.
ફયુચરનો આધાર ફોરચ્યુન પર? હમમમ્. સેરેન્ડિપિટીમાં એક ખૂબસુરત સંવાદ છેઃ ગ્રીક લોકો કયારેય ઓબિચ્યુરિઝ એટલે શ્રધ્ધાંજલિઓ લખતા નહિં. કોઇ ગુજરી જાય, તો બસ આટલું જ પૂછતાં- 'ડિડ હી (ઓર શી) હેવ પેશન?'
મલલબ, શું એ ઝિંદાદિલ ઝનૂનથી, ધોધમાર પ્યારથી જીવ્યા હતા? પ્રેમ એટલે પેશનના રૃંવાડે રૃંવાડે લેવાતા ચલતીના રાસડા.
* * *
અમેરિકામાં ચાર્લ્સ ફ્રેઝરે એક વિખ્યાત નવલકથા લખી, કોલ્ડ માઉન્ટન. ૨૦૦૩માં એના પરથી બનેલી અદ્દભૂત, જીગરને ખળભળાવી નાખે તેવી જયુડ લો, નિકોલ કિડમેન અભિનિત ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચેલી. આજના ફાસ્ટ કિસથી ડિચ થથાં જમાનાને બદલે અમેરિકામાં સિવિલ વોર ચાલતી એ શતાબ્દીમાં એણે કહાની સેટ કરેલી.
ગામમાં બાપ સાથે એક માસૂમ નજાકતથી ભરપૂર યુવતી આવે છે. નામ છેઃ અદા. અને એક જુવાનિયો ઇન્મેન સિટ્ટીનો હીંચકો બનાવી ઝૂલવા લાગે છે. બકૌલ રમેશ પારેખ ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે સાંજે ફુલ લઇને એવો ઉભો રહે છે કે એનું સાનભાન ચરી ગયું ઘોડું રે! હજુ ધીમે ધીમે જરા જરા અદા એની મીઠી વાતો પર યકીન કરે, ત્યાં તો યુદ્ધમાં જોડાવાનું તેડું આવે છે.
બહુ ગાઢ પરિચય નથી, પણ ઇન્મેનના હૃદયની શિરા-ધમનીઓમાં અદા ભળી જાય છે. યુદ્ધની ભીષણ હિંસા અને ક્રૂરતા વચ્ચે એ અદાનો ફોટો જોઇ લે છે, અને એને બસ શાંતિ થઇ જાય! આ બાજુ બાપ ગુજરી જતાં (અને ગામના બધા ભડભાદરો લડવા જતા) અદા મોટા ખેતર વચ્ચેના પહાડી મકાનમાં સાવ નોંધારી થઇ જાય છે. પરદેશ ગયેલા પિયુની વાટ તાકતી આંસુડા પાડે છે. માંડ એને એક ખેતમજૂરણ સ્ત્રીનો સહારો સાંપડે છે. એક દિવસે ઇન્મેન આવશે, એ આશાએ અદા ઠંડા બરફીલા પર્વતો વચ્ચે દિવસો વીતાવે છે.
અને ઇન્મેન પણ યુદ્ધ ખતમ થતાં ઘાયલ અવસ્થામાં અદાનો ફોટો લઇ અથડાતો કૂટાતો રીતસર ચાલતો સેંકડો માઇલોનો પથ કેવળ અદાને ફરી મળવાની આશાના પાતળા તંતુ પર લટકતો લટકતો કાઢે છે. મારગમાં બીજી સ્ત્રીઓ મળે છે, પણ એને અદા ખપે છે. મરણતોલ બીમાર થાય છે, પણ જરાક સાજો થતાં ફરી ડગુમગુ ચાલતો નીકળે છે.
કોચવાતી અદાને પેલી મજૂરણ મેડી કહે છે. લૂક, આ કુદરતની ડિઝાઇનમાં બધાને માટે કશોક પ્લાન છૂપાયેલો છે. પંખી પાંખો ફફડાવી કયાંક ઉડે છે. બિયું ચણે છે. હગારમાં બિયું નીકળે છે, નવો છોડ ઉગે છે. જનમ-મરણની માફક. બર્ડ હેઝ ગોટ એ જોબ. સીડ હેઝ ગોટ અ જોબ. ઇવન શીટ (હગાર) હેઝ ગોટ અ જોબ. યુ હેવ ગોટ અ જોબ.
બધાને કશુંક કર્મ કર્યા જવાનું છે. ઘટમાળમાં કશુંય નકામું ચાલતું નથી. ગ્રીક લોકો સમગ્ર બ્રહ્માંડ સાથે સંવાદિતા (હાર્મની વિથ યુનિવર્સ) સાધવા 'ફેટમ' શબ્દનો પ્રયોગ કરતાં. એમાંથી આવ્યું ફેટ. યાને ડેસ્ટિની. નિયતિ.
અંતે રઝળપાટથી થાકેલો ઇન્મેન અદાને મળવા પહોંચે છે, અને ઇન્તેઝારમાં કંતાઇ ગયેલી અદા પણ.... બંને મળે છે. કેવળ ચંદ પત્રો અને થોડી ક્ષણોના ટેકે ટકાવી રાખેલી પ્રતીક્ષાની જયોત ઝળહળે છે. ઇન્મેન કહે છે 'કેટલીયે અંધારી જગ્યાઓમાં બસ તારી મનમાં રહેલી તસ્વીરના અજવાળે   ચાલ્યો છું.'  અદા કહે છે - આપણે તો પહેલા બહું ઓછું મળેલા. અને ઈન્માન કહે છે ઃ પણ એમાં ય હજારો ક્ષણો હતી. જાણે કાળા મખમલમાં ઝગમગતા હીરા જેવી એ ક્ષણો. મનમાં તને ચૂમતો હું યુધ્ધમાંથી આ પહાડો સુધી ચાલ્યો છું રોજેરોજ... અને અદા કહે છે - અને હું બળી છું રોજેરોજ તારી રાહ તાકવામાં!
ખેતરમાં પ્રવેશેલા લૂંટારાઓનો સામનો કરતા આ મિલન પછી અદાની ગોદમાં ઈન્મેન મરે છે, અને એની યાદોના સહારે પહાડોના બરફને તાકતી અદા જીંદગી જીવે છે... યુધ્ધના જખ્મોથી દૂર રમણીય ઘાટીમાં...
કોલ્ડ માઉન્ટન, ધેટ ઈઝ.
* * *
વિલિયમ શેક્સપીઅરનું વિશ્વવિખ્યાત સોનેટ નંબર-૧૧૬ છે. શેક્સપીઅર એમાં છાતી ઠોકીને કહે છે કે, ખરેખર પેશનથી એકબીજાને ચાહતા બે મન એકબીજામાં પરોવાય નહિ, તો એમણે લગ્ન કરવા જ ન જોઈએ. બર્નિંગ ફીલિંગ વિનાના મેરેજ બોજ બની જાય છે. સાચો પ્રેમ જો મળે, તો પછી બીજા કોઈ વિકલ્પોની તલાશ હોતી નથી. એ હોય છે અડીખમ ઉભેલી દીવાદાંડી જેવો. જે પોતાના કાંઠે દરિયાના અનેક તોફાનો જોવા છતાં સ્થિર ઉભી રહે છે. દરેક ખોવાયેલી નૌકાને અંધારામાં રસ્તો બતાવતા અવિચળ ધુ્રવના તારા જેવો હોય છે એ પ્રેમ. જેની ઉંચાઈઓ જોઈ શકાય છે, પણ મૂલ્ય માપી શકાતું નથી. એ ગુલાબી ગાલો અને લાલચટ્ટક હોંઠોથી શરૃ થઈને અઠવાડિયાઓ જ નહિ, મહિનાઓ જ નહિ, પ્રલય સુધી વિસ્તરે છે. છેલ્લે આ કલમનો જાદૂગર, માણસજાતનો મરમી પડકાર ફેંકે છે ઃ ઈફ ધિસ બી એરર એન્ડ અપોન મી પ્રૂવ્ડ, આ નેવર રિટ, નોર નો મેન એવર લવ્ડ! જો કોઈ મને ખોટો પાડે કે દુનિયામાં આવા સાચા પ્રેમનું અસ્તિત્વ જ નથી, તો કાં જગતમાં કોઈ ખરો પ્રેમ કર્યો નથી, ને કાં મેં કશું જ લખ્યું નથી! (મતલબ, પ્રેમની બાબતે હું ખોટો હોઉં તો લખવાનું છોડી દઉં, ને આગલું લખ્યું તે બધું ફોક!)
આઈ લવયુ કહેવામાં બે - ચાર સેકન્ડ લાગે, પણ પુરવાર કરવામાં આખી જીંદગી! લોકો શું કહેવાયું છે એ કાળક્રમે ભૂલી જતા હોય છે, પણ કેવું કોની સાથે ફીલ થયું એ યાદ રાખતા હોય છે. ઘણા લોકોને આ ફેસબૂક અને ફેક એકાઉન્ટસથી ઉભરાતી, સ્કેન્ડલ્સ અને સ્કેમ્સથી છલકાતી, એટેન્શન સીકીંગ અને પ્રિન્ટેન્ડિંગમાં ગૂંચવાતી દુનિયામાં રિયલ લવ કોઈ એલિયન જેવો લાગે છે. પણ એમણે કોરી આંખો જોઈ છે  દિવસની. મધરાતના પલળેલા ઓશિકાં કદી જોયા છે? મહોબ્બતમાં કાળજું ચીરી નાખે એવું સૌથી કરપીણ રૃદન કયું હોય છે ખબર છે?
મૌન. ખામોશી. સાયલન્સ.
* * *
દરેક સર્જનાત્મક અને સંવેદનશીલ ઈન્સાન થોડોઘણો સનકી હોય છે. કારણ કે, એ પોતાની કળાને પેશનેટલી ચાહે છે. જયાં ઈશ્ક છે, ત્યાં ઈલ્મનું બાષ્પીભવન થઈ જાય છે. હજુ યે સાચો પ્રેમ તો હોય છે. વ્યક્તિ માટેનો પણ, અભિવ્યક્તિ માટેનો પણ.
કમનસીબે, દિવસે દિવસે આપણે આ બંને ગુમાવતા જઇએ છીએ. ફોનના જવાબો અને નફાના હિસાબોમાં! ઇન્ટરનેટ પર એટ્રેકશન, અંતરનેટમાં કેલ્કયુલેશન! આનંદ અને આવેગની ક્ષણે મુક્તવિહારી થઇને કોઇની સાથે સૂઇ જવું પાપ નથી. પણ સ્પર્શ પણ કર્યા વિના ચાહતા ન હો તો ય 'આઇ લવ યુ' એવું કમિટમેન્ટ આપી દેવું જરૃર પાપ છે. સેકસ મસ્તી છે, અને પ્રેમ ભકિત.  બંને ભળે તો શક્તિ! અને પ્રેમ કેવળ છોકરા- છોકરીનો જ નહિં. પ્રેમ જીંદગીને જાણવાનો, એના રહસ્યોને માણવાનો, મહોબ્બત સંગીત સાથેની, કવિતા સાથેની, રોમાંચક અનુભવો સાથેની, લવ ફોર એકસપ્લોરિંગ ધ ટ્રાવેલ, લવ ફોર લિટરેચર.... એટેચમેન્ટ ઓફ આર્ટ!
બિઝનેસ માઇન્ડેડ લોકો ટૂચકા સાંભળી હીંચકા ખાતા રહે છે. શ્રુડ પીપલ સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ ગણતા રહે છે. છે કોઇ પેશન? કેમ કદી કોઇ ઉમદા નજાકતવાળા મ્યુઝિકમાં, મદહોશ કરી તે તેવી આર્ટમાં, નશો ચડાવી દે તેવા લિટરેચરમાં ઇન્ટરેસ્ટ નથી પડતો? જાણે મોબાઇલના સ્મૂધ સ્ક્રીનને ટચ કરતાં જીંદગીના ઠહરાવની, શાંત સૌંદર્યના વૈભવની આપણને શરીરે લાલ ચાંઠા પાડી દેતી એલર્જી થઇ ગઇ છે! આપણું દિલ બે દિવસ ભેજમાં પડી રહેલી બળેલી રોટલી જેવું ચવ્વડ થઇ ગયું છે.
શરીર પર ઓપરેશન પછી રહી ગયેલા ઘાવ પર આવેલી ચામડી જોઇ છે. ઘણી વખત એટલો હિસ્સો હંમેશ માટે સુન્ન પડી ગયો હોય. જડ, સંવેદનહીન થઇ ગયો હોય, ત્યાં ન વાળ હોય, ન કોષ. પણ ત્યાં મરેલી ચામડી સૌથી વધુ લિસ્સી અને ચમકતી લાગે દૂરથી. પણ સ્પર્શો તો કશી ખબર જ ન પડે! બસ આવી કમ્ફર્ટેબલ ગ્લેમરસ લાઇફ જીવવી છે, જીંદગીમાં સેટલ થઇને, સલામત થઇને, પારિવારિક ખીચડીની ચમચીઓ ચાટીને! બાહરથી ચળકતી, અંદરથી બુઠ્ઠી!
અને એમાં ઉમદા અભિનેતા પંકજ કપૂર એક ફિલ્મ બનાવે છેઃ મૌસમ. દિલ સે અને સાંવરિયાની માફક માસ તો શું, કહેવાતા કલાસ ઓડિયન્સને ય બાઉન્સર જાય તેવી! ઇટ્સ રિસ્કી. ડિજીટલ ઘોંઘાટમાં વળી તે ટહૂકો કોણ સાંભળે? પબ્લિકને રીપેટેટિવ લાગે છે. બોરિંગ લાગે છે. કારણ કે, આપણે કદી લાઇફની મોમેન્ટસ માણતા શીખ્યા જ નથી. આપણે બારમાના, ડિગ્રીના, ઘરના, મેરેજના, એવોર્ડના સકસેસના સ્ટેશન ટુ સ્ટેશન ઠેકડા જ લગાવીએ છીએ. કવોલિટી લિટરેચર, સિનેમા, મ્યુઝિક કશાનો 'સત્સંગ' આપણા માળાફેરઉ મનને થયો જ નથી.
મૌસમ ઇઝ ઓલ એબાઉટ પોએટિક મોમેન્ટસ. નામ જ કેવું છે સોનમનું એમાં- આયત! (સોનમ- અઠંગ સાહિત્યરસિક છે. વાંચી વાંચીને વજન નેવું કિલો થયેલું એનું! પહેલી ફિલ્મ દોસ્તોવ્યસ્કીની કૃતિ પરથી સાંવરિયા, પછી જેન ઓસ્ટીનની કૃતિ પરથી આયેશા અને દિલ્હી સિકસ પણ પ્રયોગશીલ નાટક જેવી!) ફિલ્મની કેટકેટલી કયુટ મોમેન્ટસ છતના નેવાં પરથી મધરાતે ટપકતાં પાણીના ટીપાંની જેમ હૃદયમાં રીસતી રહે છે. દૂરબીનથી ગમતી છોકરીને તાકતા રહેવું, મેંદી અને શાહીથી લખીને થતો શાયરીના મુકાબલા જેવો સંવાદ અને પાણીમાં ઓગળતી ચિઠ્ઠીઓમાંથી લહેરાતા રંગો! ઇન્તેજારમાં બળતી મીણબત્તી સાથે ઓગળતી અને ઝાંખી થતી નાયિકાની એ રાત. વરસાદ વચ્ચે ભૂંગળામાં થતું ભીનું ચુંબન.
ભૂખરી સ્કોટિશ દીવાલો પર લાલ થાપા. નાયિકાએ જેનાથી હોંઠ લૂછયા છે, એ રૃમાલ હળવેકથી સેરવીને સુવેનિઅર બનાવી લેતો નાયક, પંજાબના ખેતરથી સ્કોટલેન્ડની ગોથિક ઇમારતો બધું જાણે બિનોદ પ્રધાનના કેમેરાના સ્પર્શે સજીવન થઇ જાય છે. પાંદડા વચ્ચે પડતાં બંધ પરબીડિયામાં અને આગ વચ્ચે ખુલતી વર્ષોની ચુપ્પી... અંબોડામાં ગૂંથાયેલું પીળું ગુલાબ અને લાલ સ્કર્ટ.... પાનખર ઓઢીને ઉભેલા વૃક્ષો અને ઇન્સાનો... આ સિનેકાવ્ય છે! જેમાં દાનવ બનતાં માનવોના ઓપરેશન બ્લુસ્ટાર, કાશ્મીરી પંડિતોની કત્લેઆમ, બાબરી ધ્વંસ પછીના બોમ્બવિસ્ફોટ, કારગીલ યુદ્ધ, નાઇન ઇલેવન, ગુજરાતના ગોધરાકાંડના રમખાણ એ બધુ જ પ્રેડિકટેબલ, રીપિટેટિવ બેકડ્રોપમાં છે.
જે યાદ દેવડાવે છે કે આપણે કેવા ભયાનક સમય વચ્ચે શ્વાસ લઇએ છીએ, આવા આ સમયમાં જયારે તમામ આસુરી અજગરો માણસને ગળી રહ્યા છે, ત્યારે શુદ્ધ પવિત્ર પ્રેમ શકય છે ખરો?
છે. નહિં તો આવી સાહિત્યકૃતિ જેવી ફિલ્મ આટલું ખર્ચીને કોણ બનાવે. ચાહત. પેશન. એમાં નબળા કલાઇમેકસ અને એડિટિંગથી લઇ કેટલીક હોરિબલ ખામીઓ છે. માફ ન થઇ શકે એવી!
પણ ખામીઓ સ્વીકારીને જ તો કોઇને સંપૂર્ણ ચાહી શકાય છેને! તેરા મેરા હોના તો ભી એક મૌસમ હૈ... પૂરે સે જરા સા કમ હૈ!
(શીર્ષક ઃ તસ્લીમ ફઝલી)
ઝિંગ થિંગ
હો રે રંગ ઝીલો લોચનિયામાં, રંગ ઝીલો રે
હો સૂર ઝીલો જોબનિયામાં, સૂર ઝીલો રે!
(વેણીભાઇ પુરોહિતની પંકિતઓ સંગ, વિશ યુ હેપ્પી ક્રેઝી વાઇલ્ડ નવરાત્રિ ધમાલ!)

 - જય વસાવડા  (અનાવૃત , 28/9/2011)

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

શેર

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

- ભગવતીકુમાર શર્મા

વરસાદ એટલે

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

– ગુણવંત શાહ

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો) ભાગ ૨


‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’
(ગતાંકથી)
હવે શ્રીઅરવંિદ માટે જેલ એ જેલ ન રહી. પણ એ જેલ તેમના માટે યોગાશ્રમ બની ગઈ. આ વિષે તેમણે લખ્યું છે; ‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
હવે ભગવાને પણ અંગ્રેજોની એ જેલમાં આવીને ચમત્કાર સર્જ્યો. શ્રીઅરવંિદને પોતાના ઘરેથી કપડાં અને પુસ્તકો મંગાવવાની મંજૂરી મળી. એમને પીવાના પાણી માટેનું માટલું મળ્યું. પણ આ બઘું મળ્યું ત્યારે તો તેમણે પોતાની જાત સાથે ઘોર યુદ્ધ કરીને તરસને જીતી લીધી હતી, એકાંતને પણ જીતી લીઘું હતું. જેલના ડૉક્ટર ડાલી અને સુપ્રીન્ટેન્ડન એમર્સનને પણ વગર ગુનાએ જેલનાં આકરાં કષ્ટોને ચૂપચાપ સહન કરતા અને એકાંત ઘ્યાનમાં મગ્ન રહેતા શ્રી અરવંિદ પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેઓ દરરોજ શ્રીઅરવંિદ પાસે આવતા અને વાતો કરતા. ડૉક્ટર ડાલીએ શ્રીઅરવંિદને કોટડીની બહાર ખુલ્લા ચોગાનમાં ફરવાની પરવાનગી મેળવી આપી. તેથી પછી તેઓ અર્ધા કલાકથી બે કલાક સુધી ખુલ્લામાં ફરવા લાગ્યા. ઘરેથી મંગાવેલા બે પુસ્તકો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા અને ઉપનિષદ આવી જતાં તેમનો પણ ગહન અભ્યાસ તેઓ કરવા લાગ્યા. તેઓ જ્યારે ખુલ્લામાં ચાલતા ત્યારે ગીતા અને ઉપનિષદોના મંત્રોનું સતત રટણ કરતા રહેતા. માત્ર રટણ જ નહીં, પણ એ મંત્રોના સત્યનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. અને પછી તો એમને સર્વત્ર પરમાત્માના જ દર્શન થવા લાગ્યા.
ઉત્તરપાડામાં આપેલા વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જોયું કે મારી ચોતરફ ઊભેલી જેલની ઊંચી ઊંચી દિવાલો એ કંઈ દિવાલો ન હતી. એ તો વાસુદેવ પોતે મને ઘેરીને ઊભા હતા. ચોકમાં હું જે વૃક્ષ નીચે ચાલતો હતો, તે કંઈ વૃક્ષ નહોતું, મેં જોયું કે આ વૃક્ષ વાસુદેવ પોતે જ છે અને મારા ઉપર છાયા ઢાળી રહ્યા છે. મેં કોટડીના સળિયા અને બારણાની જાળી તરફ નજર નાંખી અને ત્યાં પણ મેં વાસુદેવને જોયા. નારાયણ પોતે જ મારી રક્ષા કરતા, મારા ઉપર પહેરો ભરતા ત્યાં ઊભા હતા. હવે મને સૂવા માટે આપેલા ખરબચડા ધાબળા ઉપર હું સૂતો ત્યારેપણ હું અનુભવવા લાગ્યો કે શ્રીકૃષ્ણના બાહુઓ, મારા સુહૃદ અને પ્રિયતમના બાહુઓ મને વીંટળાઈ વળ્યા છે. પ્રભુએ મને જે ગહન દ્રષ્ટિ આપી તેનો પહેલો ઉપયોગ આ જોવાનો હતો. હું જેલના કેદીઓને, ચોરોને, ખૂનીઓને, ઉઠાઉગીરોને જોવા લાગ્યો અને મને ત્યાં સર્વત્ર વાસુદેવ દેખાવા લાગ્યા.’ હવે શ્રીઅરવંિદનું સમગ્ર જગત બદલાઈ ગયું. હવે તેમને માટે જેલ એ જેલ ન રહી. એકાંત સજા પ્રભુની સમીપ લાવનાર બની રહી. તેમને ખાતરી થઈ ગઈ કે ભગવાન એમને સાક્ષાત્કાર કરાવવા માટે જ જેલમાં લઈ આવ્યા છે.
હવે ભગવાને એમની સમક્ષ જેલજીવનના એકાંતનું રહસ્ય ખોલ્યું કે, ‘જે બંધનો તોડવાનું બળ તારામાં નહોતું, તે બંધનો તારે ખાતર અને તારે બદલે મેં તોડી આપ્યાં છે. મારી એવી ઇચ્છા નહોતી અને આશય પણ નહોતો કે તું એ બંધનમાં પડ્યો રહે. મારે તારી પાસે એક બીજું કાર્ય કરાવવાનું છે, એ માટે હું તને અહીં લાવ્યો છું. એ કાર્ય તું જાતે શીખી શકે તેમ નથી, એ હું તને શીખવીશ. મારે મારા કાર્ય માટે તને તૈયાર કરવાનો છે.’ આમ પ્રભુએ પોતે જ શ્રીઅરવંિદ સમક્ષ એમની ધરપકડ પાછળના કારણને પ્રગટ કર્યું. બધી જ બાહ્ય જંજાળોથી મુક્ત, જનસમાજથી અલિપ્ત અને બીજી કોઈપણ પ્રવૃત્તિ ન હોય એવી સંપૂર્ણ નિવૃત્તિની સ્થિતિમાં ભગવાનને શ્રી અરવંિદ જેલની એકાંત કોટડી સિવાય બીજે ક્યાં મળવાના હતા ? એ એકાંત કોટડીમાં ભગવાન હવે શ્રીઅરવંિદ સમક્ષ હંિદુ ધર્મના ગહન રહસ્યો દિનપ્રતિદિન પ્રગટ કરવા લાગ્યા. આ વિષે પણ તેમણે ઉત્તરપાડાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, ‘હવે દરરોજ મારા ચિત્તમાં, મારા હૃદયમાં, મારા દેહમાં હંિદુધર્મના સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને એ સત્યો મારા માટે જીવતા જાગતા અનુભવો બની રહ્યા. મારી સામે એવી વસ્તુઓ પ્રગટ થઇ જેના ખુલાસા ભૌતિક વિદ્યા આપી શકે નહીં.’’
શ્રીઅરવંિદ ગહન સાધનામાં ડૂબી ગયા. કોર્ટમાં મુકદમો ચાલી રહ્યો હોય, ત્યારે પણ તેઓ ઘ્યાનમાં જ ડૂબેલા રહેતા. બ્રિટિશ સરકારે તેમની વિરૂઘ્ધ ચારસો જેટલા પુરાવાઓ અને બસ્સો છ જેટલા ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હતા. શ્રીઅરવંિદનો બચાવ કરવા માટે કોઇ બાહોશ વકીલ ન હોવાથી કેસનો ચુકાદો તેમની વિરૂઘ્ધમાં જાય તેવી પૂરી શક્યતા હતી. પણ તેમના બચાવ માટે દેશબંઘુ ચિત્તરંજનદાસ આવી પહોંચ્યા. તેમણે પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રાત-દિવસ એક કરીને શ્રીઅરવંિદના કેસના કાગળિયાં તૈયાર કર્યા. શ્રીઅરવંિદને થયું કે તેઓ તેમને માહિતી આપી વાકેફ કરે તો દેશબંઘુને સરળતા રહેશે. આથી તેઓ મુદ્દાઓ લખાવવા બેઠા, ત્યારે ફરી ભગવાને એમના અંતરમાં કહ્યું ઃ ‘‘આ બધાં કાગળિયાં બાજુએ મૂકી દે. તારા વકીલને સલાહ આપવાનું કામ તારું નથી. એ હું કરીશ. આ માણસ તારી આસપાસ બિછાવાયેલી જાળમાંથી તને મુક્ત કરશે. નિર્ભય રહેજે. જે કાર્ય માટે હું તને જેલમાં લાવ્યો છું. એના તરફ જ ઘ્યાન આપ.’’ એ પછી શ્રી અરવંિદે કેસ અંગે વિચાર પણ કર્યો નહીં. અને ગહન સાધનામાં ડૂબી ગયા. એકાંત કોટડીમાં હોય કે ચોકમાં ટહેલતા હોય કે કોર્ટના કોલાહલોની વચ્ચે હોય કે પછી શક્તિથી ઉછળતા ક્રાન્તિકારી યુવાન કેદીઓની વચ્ચે હોય, પણ તેમના ઘ્યાન અને સાધના અવિરત ચાલતાં રહ્યાં.
ઘ્યાનમાં એમને અનેક સૂક્ષ્મદર્શનો થવા લાગ્યાં. ઘ્યાનમાં એમને પંદર દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો અવાજ માર્ગદર્શન આપતો રહ્યો. સ્વામી વિવેકાનંદે એમને બુઘ્ધિજન્ય વિચાર અને પ્રજ્ઞા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. જેલમાં તેમણે અગિયાર દિવસના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસથી તેમની શક્તિમાં ઘટાડો થયો ન હતો, પણ દસ પાઉન્ડ વજન ઘટી ગયુ હતું. બીજીવાર તેમણે પોંડિચેરીમાં ત્રેવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસના આ અનુભવો દ્વારા એમણે જાણી લીઘું હતું કે આઘ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસની ઉપયોગીતા ઘણી જ મર્યાદિત છે. જેલના નોકરે તેમને કોટડીમાં જમીનથી અઘ્ધર રહેલા જોયા હતા અને તેણે બધાંને વાત કરી હતી. તેથી દેશભરમાં એ વાત પ્રસરી ગઇ હતી કે ‘અરવંિદબાબુ જમીનથી અઘ્ધર રહે છે.’ પાછળથી આ વિષે પ્રશ્ન પૂછાતાં શ્રી અરવંિદે પોતે જ જણાવ્યું હતું કે, ‘‘તે વખતે મારી સાધના ખૂબ સઘનપણે પ્રાણની ભૂમિકા પર ચાલતી હતી. હું ઘ્યાનમાં બેઠો હતો. મને પ્રશ્ન થયો કે ઉત્થાપન જેવી શારીરિક સિદ્ધિઓ શક્ય છે ખરી? થોડીવારમાં મેં મારું શરીર એવી રીતે ઊંચકાયેલું જોયું કે હું મારા પોતાના સ્નાયુઓના પ્રયત્નથી એ પ્રમાણે ઊંચકી શકું નહીં. શરીરનો એક ભાગ (ધૂંટણ) જમીનને જરાક અડકેલો હતો અને બાકીનું શરીર ભીંતની સામે ઊંચકાયેલું હતું. જેલમાં એવા અસાધારણ અનુભવો મને થયા હતા.’’
શ્રીઅરવંિદને જેલમાં માનવમન અને પ્રાણમાં ઊઠતા શંકા, વિરોધ અને ઈન્કારના સઘળા પરિબળો ઉપર વિજય મેળવવો પડ્યો. તે માટે તેમને ઘણા પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર પણ થવું પડ્યું. જ્યારે તેમણે પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપી દીધી ત્યારે પ્રભુએ એમને માનવમનની સાંકડી સીમાઓમાંથી ઉપર ઉઠાવીને વૈશ્વિક ચેતનામાં તદ્રુપ કરી દીધા ને પોતાના ભાવિ કાર્ય માટે સજ્જ કરી દીધા. શ્રીઅરવંિદને જેલમાં લાવવાનો ભગવાનનો હેતુ પૂર્ણ થયો અને પછી તેમના કેસમાં બઘું જ આશ્ચર્યકારક રીતે બદલાવા લાગ્યું. ચિત્તરંજનદાસને ક્યાંય ક્યાંયથી એવી એવી માહિતીઓ મળવા લાગી કે જે શ્રીઅરવંિદની તરફેણમાં હોય. તેમનો કેસ નીચલી સેશન્સ કોર્ટમાંથી ઉપલી સેશન્સ કોર્ટમાં ગયો. અને ત્યાં ન્યાયાધીશ બ્રીચ ક્રોફ્‌ટ હતા, જેઓ કેમ્બ્રિજમાં શ્રીઅરવંિદના સહાઘ્યાયી હતા અને શ્રીઅરવંિદની બુઘ્ધિ પ્રતિભાને સારી રીતે ઓળખતા હતા. શ્રી અરવંિદનો કેસ ચાલ્યો. ચિત્તરંજનદાસ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા કેમકે તેમના મુખમાં એક પછી એક એવા શબ્દો આવતા હતા કે જેમનો તેમણે ક્યારેય વિચાર સુઘ્ધાં કર્યો ન હતો. તેઓએ ભરચક કોર્ટમાં રણકતા અવાજે, હૃદયંગમ વાણીમાં શ્રી અરવંિદ વિષે જે વાણી ઉચ્ચારેલી તેમાં શ્રીઅરવંિદના વિરાટ વ્યક્તિત્વનું સ્પષ્ટ ચિત્ર પ્રગટી રહ્યું હતું. તેમણે કહ્યું, ‘‘આથી મારે આપની સમક્ષ એ કહેવાનું છે, કે એમના જેવો પુરુષ, જેમના ઉપર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે કેવળ આ અદાલતની સમક્ષ જ નહીં, પરંતુ માનવ ઈતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. જ્યારે આ વાદવિવાદના પડઘા શમી ગયા હશે, આ ઉત્પાત અને આંદોલનો પૂરાં થઇ ગયાં હશે, તેઓ સ્વયં પણ મૃત્યુ પામીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હશે, ત્યાર પછી પણ ઘણા લાંબા સમય બાદ એમને દેશપ્રેમના કવિ તરીકે, રાષ્ટ્રવાદના પયગંબર તરીકે, અને માનવતાના ચાહક તરીકે બિરદાવવામાં આવશે. તેઓ જ્યારે આપણી વચ્ચે નહીં હોય, ત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ દૂરસુદૂરના સાગરપારના પ્રદેશોમાં પણ એમની વાણીના પડઘા પડતા હશે અને તે ફરી ફરીને સંભળાતી હશે.’’ ખીચોખીચ ભરેલી કોર્ટમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી શાંતિમાં જ્યારે આ વાણી વિરમી ગઇ ત્યારે કોર્ટમાં એક સન્નાટો છવાઇ ગયો. ન્યાયાધીશ બ્રીચક્રોફટ પણ સ્તબ્ધ બની ગયા. આ કેસમાં શ્રીઅરવંિદની વિરૂઘ્ધમાં હતું, તે બઘું તરફેણમાં પલ્ટાઇ ગયું. ન્યાયાધીશે એમના ઐતિહાસિક ચુકાદામાં શ્રીઅરવંિદને નિર્દોષ જાહેર કર્યા. ૫મી મે ૧૯૦૮ના રોજ જેલમાં ગયેલા શ્રીઅરવંિદ ૬ઠ્ઠી મે ૧૯૦૯ના રોજ પૂરા એક વરસ બાદ જેલમાંથી બહાર નીકળ્યા. જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’

- જ્યોતિબેન થાનકી
ગુજરાત સમાચાર તા.૧૪/૦૮/૨૦૧૧