સોમવાર, 3 ઑક્ટોબર, 2011

વૈષ્ણવજન તો તેને રે કહીએ

યાદ  કરો, પરાણે કાનમાં પડતું હોઇને જેના શબ્દો પર ધ્યાન ન અપાતું હોય એવા આ પોપ્યુલર ભજનમાં છુપાયેલા નાગરિક ધર્મને!
* * *
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે
પીડ પરાઇ જાણવી એટલે? સાયકોલોજીની ભાષામાં 'એમ્પથી'. કેવળ અરરરની પીડાનું દર્દ થાય, એ સહાનુભૂતિ. પણ બીજાને જે પીડા થાય એ પોતે પણ એટલી જ અનુભવી શકે, એ એમ્પથી, સમાનુભૂતિ. બીમાર સંતાનને થતું દર્દ મા-બાપના પણ કાળજામાં ઉઠે, પ્રેમિકાનું ડિપ્રેશન પ્રેમીને ઉદાસ બનાવી દે તે! જાહેર જવાબદારીના કામ આવો સંવેદનશીલ માણસ જ ઉપાડી શકે, જે 'પીડ પરાઇ'ને પોતીકી કરી શકે. આવો જ માણસ પરિવારમાં પ્યારો થાય. આ વાત તો જૂગજૂની છે, પણ નવી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ ટાળવા બીજી લીટી મહત્વની છે. બીજાનું ભલું કરવા જતાં , કોઇના દર્દને જીરવવા જતાં જો મનમાં 'મેં એનું આમ કર્યું' એવો ઉપકારભાવ આવ્યો, તો ગયા કામથી! કારણ કે એક તો એમાં બીજાને બદલે ખુદ પર ફોકસ વધવાનું. અને પછી એ અભિમાનમાંથી કોઇ બદલામાં સારૃં વર્તન ન કરે તો અપેક્ષાભંગ થતાં ક્રોધ કાં હતાશામાં શેકાવું પડવાનું! બી ગુડ, ડુ ગુડ... એન્ડ ફરગેટ ઇટ. કરેલા કામોની યાદીનો બાયોડેટા જીવાતી જીંદગીની સાહજીક મોજ કરતાં મોટો નથી હોતો!
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
નો પરમેનન્ટ રિવેન્જ વિથ એનીવન. લોર્ડ વોલ્ડેમોર્ટની જેમ નફરતની આગમાં અંતે જાતે ભસ્મ ન થવું. હેરી પોટરની જેમ બધા સાથે ફ્રેન્ડલી રહેવાનો પ્રયત્ન કરવો. કોઇની પીઠ પાછળ ગાળો દેવાનું કે એની ખટપટ કરી ટાંટિયાખેંચ કરવાનું લુચ્ચાઇ ભરેલું કૃત્ય કરવા કરતાં મોંએ સ્પષ્ટ સત્ય ચોપડાવી દેવું. બધા પોતપોતાના સંજોગો - આવડત- લાયકાત મુજબ જીવે છે. સતત એમની નિંદામાં જ ખોવાયેલ રહેશો તે ખુદના સંજોગો સામે ઝઝુમવાનો, પોતાની લાયકાત કે આવડત  બહેતર બનાવવાનો સમય જ નહિં રહે. કોન્ટ્રોવર્સીમાં પડયા રહેવા કરતાં અમિતાભ જેવા મીઠાબોલા થઇ,  સહુને પ્રેમથી બોલાવવાનો પ્રયત્ન કરવો. વાચ યાને ખુદની વાત, વિચાર,  શબ્દો કોઇનાથી દોરવાયા વિના અંદરથી જે આવે એમ રાખવા. કાછનો એક અર્થ  કચ્છ યાને લંગોટ થાય. મતલબ સેકસ્યુઆલિટીના અર્થમાં પણ છે. બીજો  અર્થ કર્મ, કર્તવ્ય પણ કેટલાક વિદ્વાનો કરે છે. મતલબ અહીં એ જ  પકડવાનો છે કે આપણા શબ્દો, કર્તવ્યો, કે જાતીયતા વિશે લોકો શું  કહેશે એ ટીકાઓથી નિશ્ચલ યાને અલિપ્ત, અનટચ્ડ રહેવું. જૂના જમાનામાં  ભલે કેવળ ડાહ્યું ડાહ્યું બોલવું એવા અર્થઘટનો થતાં હોય, વાત પોલાં  પોપટિયાં બનવાની નરસિંહ નથી કરતા. 'તું રામ સુમર જંગ લડવા દે'ના  અર્થમાં આપણે કોઇના ભરમાવ્યા બોલવામાં કે કશું કરવામાં ન પડવું અને  ટીકા-પ્રશંસાથી આપણા શબ્દો કે કર્તવ્યો દૂષિત ન થાય, તેનું ધ્યાન  રાખવું. ગમે તેની ભાટાઇ કરતા કે જયાં ટેમ્પટેશન દેખાય ત્યાં લાળ  ટપકાવતાં (જેમ કે મલ્લિકાનું પોસ્ટર જોઇ ભંગાર ફિલ્મ જોવા થિયેટરમાં  જવું! કે ચળકતું રેપર જોઇ સાબુ લેવો!) ધસી જનારા નાગરિકો ન બની શકે.
સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

પર-સ્ત્રી તો મહેતાજી- ગાંધીજી પુરૃષ એટલે કહે. સ્ત્રીઓ માટે પર-પુરૃષ. હવે આનો ય પ્રાચીન અર્થ કાઢવા જાવ તો રાસલીલાના માદક વર્ણનો લખવાવાળા નરસિંહને જ ત્યારે ભ્રષ્ટ કહેવાયા હતા. એનું સમર્થન કરવું પડે. ગાંધીજીની નિખાલસ કબૂલાત મુજબ એ પણ લંડનમાં પાના રમવાથી લઇ સરલાદેવી સુધી પર-સ્ત્રીના આકર્ષણમાંથી મુક્ત નહોતા જ. સાયકોલોજીની ભાષામાં એમને ગિલ્ટ હતો એનો. એ બંને તો જવા દો. તો-તો પછી રોમેન્ટિક રાસેશ્વર કૃષ્ણ જ વૈષ્ણવજન ન કહેવાય! ન રાધા-કૃષ્ણ, કાન-ગોપી કે એક સિવાયની કોઇ શ્યામતણી રાણીની વાત કરાય! મુદ્દો કમિટમેન્ટ ફોર લવનો છે. પ્રેમ કરો, એને પરણો પછી વગર કારણે ભરોસો તોડવાનો નહિં! જાત સાથેની વફાદારીનો છે.
માટે, પર-સ્ત્રી એટલે બળાત્કાર. સુપ્રિમ કોર્ટ પણ કહે છે, તેમ પરસ્પરની સંમતિ વિના બળજબરીથી, હિંસા- ધાકધમકી, બ્લેકમેઇલિંગથી બંધાયેલો સંબંધ. પરસ્ત્રી એટલે બિપાશાના પોસ્ટરને લીધે ઘરની આશા પર પાણી ફેરવવું. પરસ્પર ભાવ હોય, એકબીજા માટે લાગણીનું બોન્ડિંગ હોય ત્યાં પરસ્ત્રી કે પરપુરૃષ નથી. કન્સેન્ટિંગ એડલ્ટસ છે. પણ વાત સેકસને નહિં, એના વળગણને છોડવાની છે. ચોવીસે કલાક સેકસ એબ્સેસ્ડ, વિકૃત એડિકટ, સાયકો બનવાની છે. માટે જ આગળની લીટી મહત્વની છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી. સહજ ઉમળકાથી પ્રેમ કરવો, પણ સતત એના જ વિચારોમાં ન રહેવું. નિર્ણયો લેતી વખતે આ મારી વ્હાલી ને આ મારો છોકરો જેવા મમત્વને આડે નહિં લઇ આવવાના. તટસ્થભાવે વિચારવું અને કોઇ બાબતની તૃષ્ણા યાને લાલચ પાછળ પાગલ નહિં બનવાનું. શેરબજારના સટ્ટાખોરો નાગરિક ન બની શકે. ચૂંટણી વખતે સમદ્રષ્ટિને બદલે જ્ઞાાતિવાદી- લાભાલાભની તૃષ્ણામાં દોરવાઇ જાય. બાકી, જૂઠાડા દંભ અને પારકા પૈસા પર નજર બગાડી છેતરપિંડી કે કૌભાંડો કરીને બીજાના હકનું ધન ટેસથી જમી જનારા અંગે ૨૧મી સદીમાં વધુ કંઇ સમજાવવાની જરૃર ખરી? ભારતમાં પરધન જમી જનારો મહાત્મા ગણાય છે, ને દુરાત્માની સઘળી ગાળો ફકત પરસ્ત્રીવાળાને જ ખાવી પડે છે! નાણાંકીય ગોબાચારી ચકચારી ગુનો જ નથી.
મોહ માયા વ્યાપે નહિં જેને, દ્દઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે
વણલોભીને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયોં તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.
તીરથ, રામનામ, કુળ તાર્યા અને એબાઉ ઓલ વૈરાગ્ય જેવો શબ્દ આવે, એટલે આપણે સીધા સંસારત્યાગી બાવા બની જવાનું જ વિચારીએ. એ તો કૃષ્ણ, નરસિંહ કે ગાંધી પણ નહોતા. જરાક, સંસારના સ્પિરિચ્યુઅલ નહિં, સોશ્યલ કોન્ટેકસ્ટમાં સમજીએ. દ્દઢ વૈરાગ્ય એટલે પૂજાપાઠ નહિં, એટલે પોતાના 'ગોલ' માટેની સ્ટેબિલિટી. એટલે રાહુલ દ્રવિડની જેમ રમતા હો ત્યારે એના સિવાય બીજા કોઇ પ્રલોભન પર ધ્યાન ન જાય, એવું અડગ ફોકસ. શાહરૃખ એકટિંગ કરતા કરતાં કેટરીનાના કપડા તરફ જુએ તો ડાયલોગ ભૂલાઇ જાય! ગુસ્સામાં આવીને તડ-ફડ કર્યા પછી ગુસ્સો ઉતરે ત્યારે સંતાપ થાય, અને પાંચ મિનિટની વાત માટે પાંચ વરસ, સોરી કહેવું પડે. કોઇ દંડો લઇને ઉભું ન હોય, માટે રસ્તા પર કચરો ફેંકી દેવો એ કપટ છે. ફકત પોતાના જ ફાયદા માટે બીજાઓને પગથિયાં બનાવી કોર્પોરેટ યુઝ કરવો એ લોભ છે. અંગત સ્વાર્થમાં આંધળાભીંત થઇ ચાલાકી કરવી, લોભ છે! કોઇને પૂરા જાણ્યા- સમજ્યા વિના એના પર જજમેન્ટલ બનીને એની જીંદગીમાં દખલગીરી કરવી એ વૈષ્ણવજનનું લક્ષણ નથી. પ્રકૃતિમાં રહેલા પ્રભુની સાથે હાથ મિલાવો પછી, બાકીના દુઃખદર્દ સહન કરવાની તાકાત આવી જશે.
ગાંધીજીના જન્મદિને આ આધુનિક નાગરિક બનવાની દિશામાં એકાદ ડગલું ય ચાલીએ, એથી મોટી ગિફટ કઇ હોય રાષ્ટ્રપિતાને?

ફાસ્ટ ફોરવર્ડ
'દરેક માનવી ચંદ્ર જેવો હોય છે. એની એક કાળી બાજુ હોય છે, જે એ કોઇને બતાવતો નથી!' (માર્ક ટ્વેઇન)

 - જય વસાવડા (સ્પેકટ્રોમીટર 2/10/2011)

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

પસ્તાવો વિપુલ ઝરણું ખરું પણ પછી પુણ્યશાળી બનો છો?

 
રિપેન્ટન્સ (પસ્તાવો)ને જીવનની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો, પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ. જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે.

હા! પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે...
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છુટ્યો તે ને અરર! ફાળ પડી હૈયા મહી તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
-રાજકવિ સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

લાઠીના કવિએ પસ્તાવાને વિપુલ ઝરણું કહ્યું છે. આ વિપુલ ઝરણામાં ૨૧મી સદીમાં જો ખરેખર પાપીઓ ડૂબકી મારવા માંડે તો ઝરણું જ ગંદું થઈ જાય એટલાં પાપ થાય છે. સારું છે કે પણ પાપી કરતાં દુનિયામાં પુણ્યશાળીની બહુમતી છે. ઓશો રજનીશ, ગાંધીજી સ્વિડિશ ફિલસૂફ સ્વિડન બોર્ગ અને સૌથી વધુ ઈસ્લામમાં રિપેન્ટન્સ-પસ્તાવા અને તોબાહુ ઉપર સૌથી વધુ ભાર છે.

આટલાન્ટિક મેગેઝિનમાં એડમન્ડ કેમ્ડલરે (જુલાઈ ૧૯૨૨) લખ્યું છે કે ૨૪-૧૧-૧૯૧૯ના રોજ સ્વામી શ્રદ્ધાનંદ જામા મસ્જિદના વ્યાખાન મંચ ઉપરથી ઊતર્યા અને હિન્દુ-મુસ્લિમોને સંબોધ્યા હતા. તેમણે કહેલું કે ઈસ્લામમાં પસ્તાવો કરી પાપ માટે માફી માગવાનો આદર્શ સૌથી મહત્વનો છે. સ્વામી શ્રદ્ધાનંદે આટલાન્ટિકમાં કહેવા પ્રમાણે અલ્લાહુ અકબર અને ઓમ્ એ સરખા ઉદ્ગારો છે! મહાત્મા ગાંધીજી વિશે પ્યારેલાલે ‘લાસ્ટ ફેઝ’ નામના થોથાં લખ્યાં છે તે નવજીવન પ્રેસમાંથી સાવ સસ્તા મળે છે તે વસાવવા જેવા છે. તેમાં બીજા ભાગમાં ૧૦૧મે પાને મહાત્મા ગાંધીજીએ લખેલું કે મારી અહિંસા તકલાદી નથી.

મારું મૃત્યુ જ એ વાત પુરવાર કરશે. જો કોઈ મારું ખૂન કરશે તો મરતાં મરતાં હું મારા ખૂની માટે તેને માફી બક્ષવા ઈશ્વરને પ્રાર્થના કરીશ. આ બતાવે છે કે ગાંધીજીએ નાથુરામ અને ગોપાલ ગોડસેને તેમના ખૂન પહેલાં જ માફ કરી દીધા પણ તાજેતરમાં ગોપાલ ગોડસે ૮૪ની વયે મર્યા ત્યારે તેણે કડક રીતે કહ્યું કે ‘એ કૃત્ય માટે હું રિપેન્ટન્સ-પસ્તાવો કરવા તૈયાર નથી! આવા ઘણા લોકો છે જે સભાન રીતે અમુક અનિવાર્ય પાપ’ કરે છે.

મહેરબાબાએ એક પસ્તાવા ઉપરનું જ કાવ્ય લખ્યું હતું. નવેમ્બર ૧૯૫૧માં મહેરબાબાએ ‘ઓ પરવર દિગાર-ઓહ બીલવેડ ગોર્ડ’ નામની પ્રાર્થના રચેલી. તેના અંગ્રેજી શબ્દો છે

વી રિપન્ટ ઓહ ગોડ મોસ્ટ મર્સીફુલ
ફોર ઓલ અવરસીન્સ
ફોર એવરી થોટ ધેટ ઈઝ ફોલ્સ ઓર
અનજસ્ટ ઓર અનકલીન
ફોર એવરી વર્ડ સ્પોકન ધેટ ઓટ નોટ
ટુ હેવ બીન સ્પોકન
ફોર એવરી પ્રોમિસ ગિવન બટ નોટ ફુલફીલ્ડ
વી રિપન્ટ ફોર એવરી એકશન
ધેટ હેઝ બ્રોટ રુઈન ટુ અધર્સ
ફોર એવરી વર્ડ એન્ડ ફીડ ધેટ
હેઝ ગિવન અધર્સ પેઈન
ઈન યોર અનબાઉન્ડેડ મર્સી
વી આસ્ક યુ ટુ ફરગિવ ઓ ગોડ!

ખરેખર તમે અલ્લાતાલા-ઈશ્વરની માફી માગતી આવી મહેરબાબા જેવી પ્રાર્થના ભાગ્યે જ સાંભળી હશે. બેનમૂન છે. ઈશ્વર પાસે તો દરેક ખરાબ વિચાર માટે દરેક કટુ વાક્ય માટે અને દરેક ન પાળેલા વચન માટે અને પોતાની વર્તણૂંકથી બીજાને પીડા થઈ હોય તે માટે પણ મને પસ્તાવો થાય છે. હે ઈશ્વર અલ્લા મને માફ કર. કુરાનમાં જે વાક્યો છે તેનું અંગ્રેજી એક વેબસાઈટમાં છે.

ડુ નોટ ડીસ્પેર ઓફ ગોડ્ઝ મર્સી હી વિલ ફરગિવ યુ ઓલ યોર સીન્સ (૩૯.૫૩) તાજેતરમાં લંડનના મારા વાચક મોહમ્મદભાઈનો ફોન મક્કા-મદીનાથી આવ્યો. તેમણે મારી બીમારીની વાત ત્યાં સાંભળેલી. તેમણે કહ્યું કે હું હજ પઢતી વખતે તમે સારા થઈ જાઓ તેની દુવા માગીશ. આજે હું પૂર્ણ સ્વાસ્થતાથી લખતો થયો છું આ બધા મિત્રોની દુવા અને મારી શ્રદ્ધાથી સારો થયો છું. હજ પઢીને જ્યારે પણ મુંબઈના ઈભુભાઈ ઘાંચી આવે છે ત્યારે પ્રસાદીની કાળી ખજૂર લાવે છે.

લંડન જઈને મોહમ્મદભાઈ મક્કાનું પવિત્ર જળ મોકલશે. અહીં વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે એક અતિ રોચક નવી વાત કહેવી છે. પોલ થોરો નામના વિખ્યાત ટ્રાવેલ લેખક જેણે આખી દુનિયા જોઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને હિમાલય સુધી, પણ તેને મક્કા મદીનામાં જવાની છુટ ન મળી તેનું પુસ્તક પ્રગટ થવાનું છે તેમાં તે લખવાના છે તે વાત વાંચો. આવનાર પુસ્તકનું નામ છે ‘પોલ થોરો : ધ તાઓ ઓફ ટ્રાવેલ.’

આ પુસ્તકમાં ‘પર્સનલ નેરેટીવ્ઝ ઓફ પીલગ્રીમેજ ટુ અલ-મદીના એન્ડ મક્કા’ (૧૮૫૫-૫૬)માં સર રિચાર્ડ બર્ટને લખ્યું છે કે તે એક માત્ર યુરોપિયન છે જેણે મક્કા-મદીનાની હજયાત્રા કરી છે. તેણે આખા કુરાનને કંઠસ્થ કરેલું. પોતે અફઘાન બનીને મીરઝા અબ્દુલ્લા નામ રાખેલું. આ વાત તો જાણે સમજ્યા પણ પછી તેણે કાબા પાસે શું જોયું? જગતભરના મુસ્લિમો ત્યાં માથા પછાડી પછાડીને જોર જોરથી આક્રાંત કરીને ખુદા પાસે પોતાનાં કર્મોની માફી માગતા હતા અને જે રિપેન્ટન્સ કરતા હતા તે ર્દશ્ય હૃદયદ્રાવક હતું.

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે. ઓશો રજનીશ આપણે ખોઈ નાખેલા એક કમાલના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. તેણે રિપેન્ટન્સ-પસ્તાવા ઉપર વિસ્તારથી પ્રવચન આપેલું તો તેના જ ઉદાત્ત શબ્દોમાં અહી રજૂ કરું છું.

‘રિપેન્ટન્સ તમારા જીવનની અતિ મહત્વની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો. પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર તમારી આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ.’ જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે.

યોગાનુયોગ રજનીશ ભક્તે ઓશોને સવાલ પૂછેલો ‘બીલવેડ માસ્ટર વોટ ઈઝ ટ´ રિપેન્ટન્સ.’ સાચો પસ્તાવો કોને કહેવો? ઓશો આનો બહુ ચોંકાવનારો બેધડક જવાબ આપે છે. ‘તમામ ધર્મોએ પસ્તાવા વિશે બહુ ઘોંઘાટ અને પિષ્ટપેષણ કર્યું છે. ઈસુ ખ્રિસ્ત વારંવાર આ વાત રટ્યા કરતા. રિપન્ટ, રિપન્ટ બીકોઝ ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ કલોઝ! રિપન્ટ બીકોઝ ડે ઓફ જજમેન્ટ ઈઝ કમિંગ કલોઝ... મારે કહેવું જોઈએ (રજનીશ કહે છે) કે ધર્મો જ તમને અપરાધભાવ આપે છે. રસ્તે ચાલી જતી સુંદર સ્ત્રીને જુઓ છો. તમારું હૃદય થડકવા માંડે છે પણ તમે પરણેલા છો એક ડઝન બાળકના પિતા છો. તમે ખ્રિસ્તી છો. એટલે તમને રૂપાળી સ્ત્રીની અબળખા માટે અપરાધ સાલે છે. શું આ રિપેન્ટન્સ છે? આ કોઈ પાપ પણ નથી. સુંદર ચીજ જોઈને હલબલિ જવા માટે જ છે.

‘પાપ અને પુણ્યની વાત ધર્મગુરુઓ અને ખાસ કરીને પાદરીઓએ વધુ પડતી ચગાવી છે. તેમના શિષ્યોને ગુલામ કે નમ્ર બનાવવા માટે વાપરી છે. હિન્દુઓ માટે બહુ સરળ રસ્તો છે. ઘણા પવિત્ર થવા અને પાપમુક્ત થવા ગંગામાં ડૂબકી મારવા જાય છે. શ્રદ્ધા સાથે કે તેનાં પાપ ધોવાઈ જશે. રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના યાદ આવે છે. એક ભક્ત તેની પાસે ગયો.

તેણે રામકૃષ્ણજીને પૂછ્યું ‘એ સાચું છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે?’ રામકૃષ્ણજીએ કહ્યું ‘હા સાચી વાત છે. તું ડૂબકી માર એટલે પાપ ધોવાઈ જાય છે. ભક્ત ખુશ થયો અને કહ્યું ‘હું જાઉં છું.’ રામકૃષ્ણજીએ કહ્યું ઊભો રહે! મારી વાત પૂરી થઈ નથી. તું જ્યારે ગંગામાં ડૂબકી મારીશ ત્યારે તારાં પાપ કૂદકો મારીને ગંગા નદી નજીક એક ઝાડ છે તેની ઉપર ચડી જશે. એટલે બહાર નીકળીને ધ્યાન રાખજે કે ઝાડ ઉપર ચઢેલાં પાપ પાછા તારા ખંધોલે ન આવી જાય?

કેટલી માર્મિક અને વેધક વાત છે! પસ્તાવો કરો. હૃદયથી કરો અને ફરી કદી પાપ કે ગલતી નહીં જ કરો તેનો દઢ સંકલ્પ રાખો. ખાસ કરીને કલાપીની શિખામણ માની તમે પ્રેમી કે પ્રેમિકાનું મન દુભવ્યું હોય તો દિલથી માફી માગો, હૃદયથી પસ્તાવો કરો. ‘

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ (25/9/2011)