સોમવાર, 12 માર્ચ, 2012

માનવને માનવ સાથે જોડતી સુવર્ણ કડી પુસ્તક વાંચન

યુરોપ-અમેરિકામાં લાઇબ્રેરીઓ તેમજ અમુક પુસ્તક ભંડારો બંધ થવા માંડ્યા છે. અમેરિકામાં વાંચન સતત ઓછું થઇ રહ્યું છે. ‘બોર્ડર’ બુક સ્ટોરના અમેરિકામાં ૧૨૪૯ બુક સ્ટોર હતા. તેણે ૧.૨૯૩ અબજ ડોલરનું દેવાળું કાઢયું છે.

ફૂલ જ્યારે ખીલતું હોય ત્યારે ફૂલના છોડને કોઇ કહે કે તેની પાંદડી આવડી જ લાંબી-પહોળી હોવી જોઇએ? તેનો રંગ આવો જ હોવો જોઇએ? અને એ ફૂલની સુગંધ માત્ર બગીચાના માલિકને જ આવવી જોઇએ? જો આવો હુકમ થાય તો એ ફૂલ બરાબર વિકસી શકે? ખીલી શકે? એ રીતે તમે જ્યારે કોઇ વ્યક્તિને અને ખાસ તો તમારા બાળકોને તમારા જમાના પ્રમાણે વિચારવાનું કહો ત્યારે બાળકોનો વિકાસ રુંધાઇને અટકે છે.

અમેરિકામાં રાલ્ફ મેકસવેલ લૂઇસ નામના એક કર્મગુરુ થઇ ગયા. તેમણે પોતાનું તખલ્લુસ ‘વાલીડીવાર’ રાખેલું કારણ કે તેમાં તે ક્રાંતિકારી વિચારો રજૂ કરતા. ઉપદેશકો, પાદરીઓ, દાઢીવાળાઓ અને ભારતમાં ઘણા પોતાને વિદ્વાન માનતા બાપુઓને આ વિદ્વાને માનવીની સ્વતંત્ર વિચારશક્તિને ગૂંગળાવતા જોયા. તેમણે ‘વ્હીસ્પરિંગ ઓફ સેલ્ફ’ નામનું સુંદર પુસ્તક લખેલું તેની લાખો નકલો વેચાઇ. તે કહેતા કે:

He who interrupts my thoughts and impose theirs, they interrupt my life.

સાદી ભાષામાં વાલીડીવાર કહેતા કે ‘મારા વિચારોને ન રુંધો. એમ કરવા જતાં તમે મારું જીવન રુંધશો. ખાસ કરીને તમે બાળકોની ઉપર તમારા વિચારો ન લાદો.’ તેઓ વાંચનને બહુ મહત્વ આપતા. તેના કેટલાક સૂત્રો લેખને અંતે આપીશ, પણ આપણે દિવાળી અને નવા વર્ષે આજે જે એક મોટો જબ્બર વેડફાટ કરીએ છીએ તેના તરફ ધ્યાન દોરું છું.

મારા ઝાંઝમેર ગામે મારા પિતા શિક્ષક અને ગ્રામપંચાયતના સંચાલક હતા. દર નવા વર્ષે ખેતીની મજૂરી કરીને કમાતી રૂડીબાઇ અમારા ઘરે સુખડી (ગોળપાપડી) બનાવીને લાવતી અને પિતાને તેમ જ અમને ખવડાવતી. ભારતના ગામડામાં અષાઢ-શ્રાવણ મહિનામાં શું થતું? ખેતરોમાં વાવણી થઇ જાય. થોડું ભણેલા ખેડૂતો નવરા થઇ જાય એટલે અમારી ગ્રામ પંચાયતની લાઇબ્રેરીમાં વાર્તાના પુસ્તકો વાંચવા લઇ જાય.

૯ વર્ષની વયે હું પંચાયતની લાઇબ્રેરીનો બાળ લાઇબ્રેરિયન હતો. ખેડૂતોને ટૂંકી વાર્તા કે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો આપતો. પુસ્તકો વાંચવાથી કલ્પનાશક્તિ ખીલે છે અને તમને વાચકને બદલે લેખક થવાનું પણ મન થાય છે. ત્યારે ગામડામાં ઉષ્માભર્યો જનસંપર્ક હતો. દિવાળી કે બેસતા વર્ષે આજે R ૧૦૦૦ થી ૧૦,૦૦૦ના મોંઘાદાટ ફેશનેબલ નૂતનવર્ષભિનંદન કાર્ડ ખરીદીને યંત્રવત્ મોટા લિસ્ટ પ્રમાણે પોસ્ટ કરીએ છીએ.

અગર તો ટેલિફોનથી યંત્રવત્ ‘હેપ્પી ન્યુ યર’ કે હેપ્પી દિવાળીનું ઉષ્માહીન અને કોઇ વ્યક્તિગત સંપર્ક વગરનું અભિવાદન પતાવી દઇએ છીએ. આજે માનવનો માનવ સાથેનો સંસ્પર્શ છૂટી ગયો છે. બાળકો કમ્પ્યૂટરને વળગ્યાં છે. ભાગ્યે જ કોઇ વાંચે છે પણ તેના હાથમાં પુસ્તક પકડાવી દો તો તે જરૂર વાંચે છે. આજે નાના શું થયું છે. ૨૧મી સદીના બાળકોએ, મોટા સૌએ પુસ્તકો વાંચવાનું છોડી દીધું છે. યુરોપ-અમેરિકામાં લાઇબ્રેરીઓ તેમજ અમુક પુસ્તક ભંડારો બંધ થવા માંડ્યા છે.

તમે જો અમેરિકા જતા હો તો ત્યાં ‘બોર્ડર્સ’ ગ્રૂપના ઠેર ઠેર પુસ્તક ભંડારો હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેના પુસ્તકો કોઇ ખરીદતું નહોતું. અમેરિકામાં વાંચન સતત ઓછું થઇ રહ્યું છે. ‘બોર્ડર’ બુક સ્ટોરના અમેરિકામાં ૧૨૪૯ બુક સ્ટોર હતા. બોર્ડર બુક સ્ટોર હું ન્યુયોર્ક જાઉં ત્યારે મારે માટે યાત્રાધામ જેવું હતું. ત્યાંના કોફી શોપમાં બેસો, પુસ્તકો ખરીદો કે ન ખરીદો પણ વાંચવા મળે. આ બોર્ડર બુક સ્ટોરે ૧૬-૦૨-૨૦૧૧ના રોજ દેવાળું કાઢયું છે. તેણે ૧.૨૯૩ અબજ ડોલરનું દેવાળું કાઢયું છે.

એક જમાનામાં જગતભરના ટુરિસ્ટોને પુસ્તકો વેચીને તેમજ બીજા દેશમાં બુક સ્ટોર ખોલીને ‘બોર્ડર્સ’ની આવક ૨.૮ અબજ ડોલર હતી પણ કોઇ પુસ્તક વાંચતું જ નથી તેનું શું?મારા સાત માળના બિલ્ડિંગમાં બાળકોને રમવા માટે મેદાન તો નથી જ. મુંબઇના કોઇ પણ બિલ્ડિંગમાં રમતના મેદાનની વાત જવા દો પણ લાઇબ્રેરી રાખવાનું તો કોઇને સૂઝતું જ નથી.

મોટાભાગના ગુજરાતીઓને પુસ્તકો જરૂર વાંચવા છે પણ કોઇ આપી જાય તો વાંચે છે. ઇંગ્લેન્ડમાં મોહસીન હમીદ નામના પુસ્તકપ્રેમીએ એમના પુસ્તકની હજારો નકલો મફત વાંચવા લોકોને ઘરે ઘરે જઇ આપેલી. લોકો વાંચતા. અમેરિકા તો ૨૧મી સદીમાં ધન અને કીર્તિ પાછળ વંઠી ગયું છે. ‘વન-નેશન અન્ડર થેરપી હાઉ ધ હેલ્પીંગ-કલ્ચર ઇઝ ઇરોડીંગ એન્ડ સેલ્ફ રિલાયન્સ હેઝ ગોન.’

આ પુસ્તક ડૉ. સેલી સેટલ નામની ડોક્ટરે લખ્યું છે. તેણે લખ્યું છે કે અમેરિકનો પાસે ખૂબ ધન છે છતાં લાગણીને દ્રષ્ટિએ દુ:ખી દુ:ખી છે. દરેક અમેરિકન કોઇને કોઇ માનસિક ચિકિત્સક પાસે જાય છે કે કાઉન્સેલિંગ કરાવે છે. અરે નાના બાળકો પણ હવે ૮ થી ૯ વર્ષની વયે પુસ્તકો વાંચવા જોઇએ તેને બદલે બિચારાને માનસિક ચિકિત્સકો પાસે મોકલાય છે. સ્કૂલોમાં લાઇબ્રેરી નથી. તેમને ટીચર્સ મિકેનીકલી હોમવર્ક (ઘર લેસન) કરવા આપે તે હોમવર્ક પણ ત્રણ ગણું થયું છે. વયસ્કોને નોકરી ગુમાવવાનો ભય વધ્યો છે.

ન્યુયોર્કમાં ત્રાસવાદીઓ ૧૧-૯-૨૦૦૧ના રોજ ટાવરો પાડ્યા પછી સૌ આજે હજી ભયભીત છે. ‘ગ્રીફ કાઉન્સેલર્સ’, ‘ટ્રોમેટોલોજિસ્ટો’, ‘ઇમોશનલ ઇન્ટિલજન્સ કોચિંગ’ અને બીજા બનાવટી માનસિક રોગોના થેરપીસ્ટ-ચિકિત્સકો ફૂટી નીકળ્યા છે. ‘થેરપીઝર્સ’ નામનો નવો શબ્દ અમેરિકામાં ૨૧મી સદીમાં પ્રચલિત થયો છે. આ માનસિક ચિકિત્સાવાદમાં સાઇકીએટ્રિસ્ટો અઢળક કમાય છે. સસ્તો, સરળ અને ઘરગથ્થુ ઇલાજ એક જ છે કે બાળકો વાંચે-મોટેરાં વાંચે. પુસ્તક મોટો સાયકીએટ્રિસ્ટ છે.

મને ભય લાગે છે કે ૨૧મી સદીના બાળકે વાંચવાનું છોડી દીધું છે તેમ પછી ચિત્રો દોરવાનું છોડી દેશે. અખબારને પણ કોઇ હાથ અડાડશે નહીં પણ ઇઝરાયલના તેલઅવીવ શહેરમાં એક મ્યુઝિયમ છે ત્યાં કોલ્હાપુરની એક ચિત્રકાર યુવતી સ્વાતિ આર. મહેતાને બોલાવી તેણે દોરેલાં તંત્રવિદ્યાના ચિત્રોનું વન વુમન પ્રદર્શન રાખેલું. તંત્રવિદ્યાના આ ચિત્ર ઘણી રેસ્ટોરાંમાં જોવા મળે છે. ઇઝરાયલ હજી પુસ્તક અને કલાને મહત્વ આપે છે.

આજે આપણા બાળકો ટી.વી. અને કમ્પ્યૂટરમાં ખોવાઇ ગયા છે. જો બાળકો નહીં વાંચે તો તેની કલ્પનાશક્તિને પછી તે વેપાર-ધંધામાં હોય કે કળામાં પ્રવીણ થવું હોય તો તેને વેગ ક્યાંથી મળશે? ગામડામાં બારોટો આવતા, વાર્તાઓ કહેતા અને વાર્તા સાંભળવા સમૂહમાં બેસતા. નવા વર્ષે સૌ ગામડાં કે શહેરમાં ઘેર ઘેર જઇને રૂબરૂમાં વર્ષાભિનંદન કરતા.

આજે કરોડો રૂપિયાના આ ગ્રિટિંગ કાર્ડને જે તુરંત પસ્તીના ઢગલામાં જાય છે તેને બદલે મિત્રોને પુસ્તકો ખરીદીને ભેટ મોકલાય તો કેમ? મારા ગામના ચોરામાં લાઇબ્રેરી હતી. સામુહિક વાંચન થતું. બાવાઓ હિમાલયથી આવતા. અમને ધાર્મિક વાર્તાઓ કહેતા. ‘ફ્રેન્ચ ગોસ્પેલ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ૧૫મી સદીમાં ફ્રાન્સના ગામડામાં બાઇઓ ચરખા કાંતતી. એક બાઇથી કાંતણ થતું નહોતું તે બીજી બાઇઓને તેના ગામની લાઇબ્રેરીમાંથી પુસ્તકો ખોળી ખોળીને તેની વાર્તા સંભળાવતી.

અમેરિકામાં કાળા રંગની સ્ત્રીઓ જ્યારે ભણતી થઇ ત્યારે શેકસપિયરની વાર્તા સમૂહમાં વાંચતી. ઇંગ્લેન્ડમાં જ્યારે જૂના ઢબની કાંતણ મિલો જ હતી ત્યારે કેટલીક પુસ્તકપ્રેમી મિલોમાં મિલનું ભૂંગળું વાગે તે પહેલા મજૂરો આવી જતા. મિલની શાળો શરૂ થાય તે પહેલાં -મિલનું ભૂંગળું વાગે તે પહેલાં એક પુસ્તકપ્રેમી બાઇ કામદારોને પુસ્તકો વાંચી સંભળાવતી. મિલનો માલિક વાર્તા સાંભળનારાને ચા પીવડાવતો. ઠેર ઠેર મિલોમાં આ રીડિંગગ્રૂપ્સ રચાયેલા.

આજે આવી કલ્પના કરવી મુશ્કેલ છે. બાળકોની મમ્મીઓ કીટ્ટી પાર્ટી યોજી જંકફૂડની હાટડીમાંથી હાનિકારક તૈયાર વાનગી મગાવે છે. જો મોડર્ન મમ્મી ન વાંચતી હોય તો બાળક ક્યાંથી વાંચે? બ્રિટનમાં યુદ્ધવિરોધી કવિતા લખનારા વિખ્યાત કવિ જે ૮-૯-૧૮૮૬માં જન્મેલા હતા તે યુદ્ધ વિરોધી કવિતા લખતા. ઇંગ્લિશ કંટ્રી લાઇફ (ગ્રામીણ જીવન) વિશે લખતા તે કવિ સીગ ફ્રાયડ સસુન (SIEG FRIED SASOON) કવિ કેમ થયા? યુદ્ધમાં બે વખત સોલ્જર તરીકે ઘવાયા છતાં જીવતા કેમ રહ્યા? વાંચન થકી. ખાસ વાત તો એ છે કે ઉપર જે રીડિંગ-ગ્રૂપની વાત લખી છે તે વાંચન મંડળીઓમાં કવિ સસુનની માતાને બોલાવાતી. તે રોમેન્ટિક વાર્તાઓ કહેતી. કવિ શેલીના કાવ્યોની ચર્ચા કરતી. સીગ ફ્રાયડ સસુને યુદ્ધમાં ઘવાયેલા તેના મિત્ર સોલ્જરને પુસ્તકો પૂરા પાડીને જીવવાનો મસલાો આપ્યો હતો.

આજે મુંબઇ-અમદાવાદમાં પુસ્તકોનું વાંચન ઓછું છે. જોકે અખબારોનો ફેલાવો પણ જોઇએ તેવો વધતો નથી. ગુજરાતી માસિકો તો લગભગ મરી ગયાં છે. ‘લોકમિલાપ’, ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરે માસિકપત્રોને કોઇ યાદ કરતું નથી. રાજકોટથી એકાદ-બે માસિકો પ્રગટ થાય છે પણ ગ્રાહકોની સંખ્યા કંગાળ છે. આજે ગુજરાતી બાળકો ચાલાક થયાં છે. સ્માર્ટ થયાં છે પણ કમ્પ્યુટર જ તેમનું જ્ઞાનદાતા છે. રૂબરૂ સંપર્કને બદલે બાળકો સેલફોનના બબ્બે ‘રમકડાં’ ખિસ્સામાં રાખે છે. ઊંડી સમજ અને કલ્પનાશક્તિ તો પુસ્તકો જ આપી શકે છે. ઇંગ્લેન્ડ જેવા રીડિંગ ગ્રૂપો આજે અમદાવાદ, વડોદરા, મુંબઇના બિલ્ડિંગોમાં શરૂ થવાં જોઇએ.

આજેઁન્ટિનાના બુએનોસ એરિસ શહેરમાં ૧૭ વર્ષનો જુવાન છોકરો નામે આલ્બર્ટો મેંગુએલ એક પુસ્તક ભંડારામાં માત્ર પુસ્તકોની ધૂળ ઝાપટવાનું કામ કરતો. એ સમયે નોબેલ પ્રાઇઝ વિજેતા લેખક જયોર્જ લૂઇ આ બુક શોપમાં આવ્યા. લેખકને આંખે ઓછું દેખાતું હતું. આ આલ્બર્ટો નામના જુવાનને તેણે નોકરીએ રાખી તેના માટે પુસ્તક સંભળાવવાનું કામ સોંપ્યું. અને પછી આલ્બર્ટો મેંગુઅલ પોતે જ લેખક બની ગયો.

આજે તમને કોઇ કહે કે પુસ્તકો ન વાંચવા તે ગુનો છે તો તમે માનશો? પેબલો નેરૂડા જેવા બીજા એક નોબલ પ્રાઇઝ વિજેતાએ કહેલું કે વિદ્વાન લેખકોના પુસ્તકો ન વાંચવા તે ગુનો છે! આપણો ૧૭ વર્ષનો હીરો આલ્બર્ટો મેંગુએલ મોટો લેખક બનીને મિલીયોનેર થઇ ગયો અને કેનેડામાં વસવા ચાલ્યો ગયો.

સ્વિત્ઝર્લેન્ડના માનસશાસ્ત્રી જિન પિયોગેટે એક બાળવાર્તા લખેલી. તેની હસ્તપ્રત ઘરે મૂકીને લેખક બગીચામાં ફરવા ગયા. ત્યારે તેના બે સંતાનો બાળવાર્તાઓ વાંચી ગયા. આ કોઇ નવી વાત નથી. નવાઇની વાત એ છે કે વાર્તા વાંચીને વાર્તાને અનુરૂપ ચિત્રો બાળકોએ દોરી કાઢેલાં! સ્વિસ માનસશાસ્ત્રીએ લખ્યું છે કે જો બાળકો વાંચે તો તેની કલ્પનાશક્તિ ખીલવીને પોતાની આગવી દુનિયા પેદા કરી શકે છે.તો? લાખ વાતની એક વાત આ દિવાળીએ વર્ષાભિનંદનના મોંઘા કાર્ડને બદલે કોઇ પુસ્તકની ભેટ મિત્રોને મોકલો.

બ્રિટિશ લેખક ‘વાલીડીવાર’ના કેટલાક સુવર્ણ સૂત્રો

(૧) અમેરિકામાં એક અભ્યાસ થયો તો માલુમ પડ્યું કે અમેરિકાના બાળકો બહારથી ખૂબ ‘ભરેલા ભરેલા’ હતા પણ અંદરથી સાવ ખાલીખમ. ઓન્લી રીડિંગ એન્ડ નોલેજ કેન ફીલ ધેટ વેકયુમ. બાળકોનો ખાલીપો પુસ્તક ભરી દે છે.

(૨) વાલીડીવારે કહેલું કે એ માણસ કેટલો બધો અજ્ઞાન છે કે જે પોતાની જાતને જ જાણે છે. ખરેખર તો જે ચારેકોરની દુનિયા જાણે છે તે જ ખરો જ્ઞાની છે.

(૩) પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવો તે હીરા જેવું હોય છે. હીરાને જેટલા પાસા પાડો તેટલો તે હીરો બ્રિલિયન્ટ બને છે. તે બ્રિલિયન્સી (ચળકાટ) માત્ર વાંચનથી આવે છે.

(૪) જગતમાં ઠેર ઠેર છુપાયેલા રત્નો જેવું જ્ઞાન પુસ્તકોમાં પડ્યું છે. પણ તેને ખોદી કાઢવું જોઇએ. એ કંઇ ડસ્કિ કેબલવાળાથી નહીં મળે. લાઇબ્રેરીમાંથી મળશે!

કાન્તિ ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો