શુક્રવાર, 5 એપ્રિલ, 2013

બધા લોકોને મારામાં ખામી જ દેખાય છે



એ હવે રહી રહીને માગે છે પરિવર્તન મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
-મરીઝ

તારામાં બસ એક આ જ પ્રોબ્લેમ છે, એ તું દૂર કરી દે ને તો આખી દુનિયામાં તારા જેવું કોઈ નથી. માણસનો સ્વભાવ છે કે એને ખામી સૌથી પહેલાં દેખાશે. દુનિયામાં સૌથી સહેલું જો કોઈ કામ હોય તો એ માણસની ખામી શોધવાનું છે. કોઈ માણસ ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ નહીં હોવાનો. કોઈ ને કોઈ ખામી તો દરેક માણસમાં હોવાની જ છે.

ખામી, ભૂલ, મર્યાદા, પ્રોબ્લેમ, શોધવાની માણસને સૌથી વધુ મજા આવતી હોય છે. ક્રિટિક બનવું બહુ સહેલું છે. પ્રસંશક બનવું સૌથી અઘરું છે. બધો જ આધાર એના ઉપર છે કે તમે માણસને કઈ દૃષ્ટિથી જુઓ છો. ખામી શોધવી હોય તો બધેથી મળી આવશે. ચાંદમાં પણ ડાઘ છે અને ફૂલ સાથે પણ કાંટા હોય છે. ચાંદમાં ડાઘ જ જોઈએ તો એની રોશનીનું મૂલ્ય ક્યારેય સમજાવાનું જ નથી. સવાલ એ છે કે તમને મતલબ શેનાથી છે, ડાઘથી કે રોશનીથી? ચંદ્રમાં ભલે ડાઘ રહ્યો પણ એનો પ્રકાશ બધે એકસરખો જ પડે છે.

પ્રકૃતિનો કોઈ અંશ એકસરખો નથી. આખી પૃથ્વીને જ જોઈ લ્યોને. ક્યાંય જંગલ છે તો ક્યાંક રણ, ક્યાંક કાળઝાળ ગરમી છે તો ક્યાંક બરફ. ક્યાંક દરિયો છે તો ક્યાંક એક ટીપાંનીય હાજરી નથી. કેવું છે, આને આપણે વૈવિધ્ય કહીએ છીએ. માણસના વૈવિધ્યને આપણે સ્વીકારી શકીએ છીએ? આપણી 'માન્યતા' અને આપણા 'ગમા'માં જે વ્યક્તિ ફિટ નથી બેસતી તેને આપણે નકામી ગણી લઈએ છીએ. કોઈ વ્યક્તિને આપણે સંપૂર્ણ રીતે સ્વીકારી શકતા નથી.

બે ભાઈઓ હતા. બંનેની પોતાની કંપની હતી. બંનેમાં એકસરખો જ મેનપાવર અને એક સરખી જ સાધનસામગ્રી હતી છતાં એક ભાઈની કંપની સરસ ચાલતી હતી અને બીજા ભાઈની કંપની નબળી ચાલતી હતી. પેલા ભાઈને સમજાતું જ ન હતું કે આખરે ખામી ક્યાં છે? એક દિવસ તેને થયું કે મારા ભાઈને જ પૂછી જોઉં કે તારી સફળતાનું કારણ શું છે? તેણે પૂછયું કે આપણા બંને પાસે બધું જ સરખું હોવા છતાં હું કેમ નિષ્ફળ જાઉં છું ? ત્યારે બીજા ભાઈએ સરસ વાત કરી. તેણે કહ્યું કે માત્ર એક જ અને નાનકડો જ તફાવત છે. તારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં તું ખામી જ શોધે છે અને મારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં હું ખૂબી જ શોધું છું. હું માણસની ખામીઓની દરકાર જ નથી કરતો પણ તેનામાં ખૂબી શું છે એ શોધીને એને જ એનકરેજ કરું છે. તું ખામીઓ શોધવાનું બંધ કરી દે અને માણસની ખૂબીઓને શોધી કાઢ, પછી જો, લોકો કેવું પરિણામ આપે છે.

આપણે પણ આપણા લોકોની ભૂલ જ શોધતા હોઈએ છીએ. તું આ બરાબર નથી કરતો, તું ક્યારેય સુધરવાનો જ નથી, તારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં, તું કોઈ દિવસ સફળ જ નથી થવાનો, આવું જ આપણે શોધતા અને કહેતા હોઈએ છીએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણી સાથે જે લોકો જીવે છે કે આપણી સાથે જે લોકો કામ કરે છે તેની ખૂબી શું છે? આપણે ક્યારેય આ ખૂબીને શોધીને તેનાં વખાણ કરીએ છીએ? ના, આપણને કોઈની ભૂલ શોધવામાં જ મજા આવતી હોય છે. રોજ મોડા આવનારને આપણે ખવડાવશું પણ દરરોજ સમયસર આવનાર માટે આપણાં મોઢામાંથી વખાણના બે શબ્દો પણ નહીં નીકળે.

સંબંધોનો આધાર પણ તેના ઉપર જ છે કે તમે તમારી વ્યક્તિમાં શું જુઓ છો. તમારી પ્રિય વ્યક્તિમાંથી કોઈ એક સારી બાબત શોધીને ક્યારેક તેને કહી જોજો કે તારામાં આ એક એવી ખૂબી છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. સારી બાબતોની આપણને દરકાર જ નથી હોતી. માણસને માર્ક્સ આપવા કરતાં માર્ક્સ કાપવાની ફાવટ વધુ હોય છે. ફિલ્મમાં જશે તોપણ એ જ શોધશે કે ફિલ્મ ક્યાં નબળી છે. આ એક ગીત સાવ ભંગાર છે એમ કહેશે પણ ત્રણ ગીત સરસ છે એમ કહી નહીં શકે. ચિત્રમાં પણ ક્યાં ખોટો સ્ટ્રોક લાગી ગયો એ જ શોધશે. સંગીતમાં પણ ક્યાં રિધમ તૂટી એના પર જ ધ્યાન હશે.

એ વ્યક્તિ ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતી જે પોતાની વ્યક્તિમાં ખામી જ શોધે છે. તમારી વ્યક્તિમાં શોધશો તો એવું પણ મળી આવશે જે બીજા કોઈનામાં નહીં હોય. સારાપણું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એક પતિ-પત્ની હતાં. પત્ની દરરોજ પતિ માટે ખૂબ પ્રેમથી અને મહેનત કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે. પતિ કોઈ દિવસ તેની કદર કે વખાણ ન કરે. એક દિવસ પત્નીએ સરસ વાનગી બનાવી, બસ એમાં મીઠું ન નાખ્યું. પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં જ પતિએ કહ્યું કે આજે શાકમાં મીઠું નથી. પત્ની હસવા લાગી અને કહ્યું કે દરરોજ તો હોય છે, ત્યારે કેમ તમે નોંધ નથી લેતા. માર્ક કરજો, ઘણી બધી બાબતોમાં આપણે આવું કરતા હોઈએ છીએ.

બાળક ગણિતમાં નબળું હશે તો આપણે તેને સતત એના માટે જ ટોકતા રહીશું, ઇકોનોમિક્સ સારું હશે તો તેનાં વખાણ નહીં કરીએ. ક્યારેય એવું કહીએ છીએ કે એ નથી ફાવતુંને, ચિંતા ન કર, એમાં સારી રીતે પાસ થવાય એટલી તૈયારી કર, બાકી તારી જેમાં માસ્ટરી છે એના પર વધુ ધ્યાન દે. પર્સન્ટેજ કવર થઈ જશે. પણ આપણે ગણિતની જ એટલી બધી ખામી દેખાડીને એનું ઇકોનોમિક્સ પરનું ધ્યાન હટાવી દેશું. તમને ખબર છે કે તમારા બાળકની ખૂબી શું છે?

જે તમારી ખામીઓ જ શોધીને બતાવતા રહે તેનાથી પણ સાવચેત રહેજો. ઘણી વખત તો આપણી જ વ્યક્તિ આપણામાં એટલી બધી ખામી શોધતી રહે છે કે આપણને જ એવું લાગવા માંડે કે મારામાં કંઈ આવડત છે જ નહીં. એવું ક્યારેય નથી હોતું કે કોઈનામાં કંઈ આવડત ન હોય. દરેક વ્યક્તિ સારી હોય છે. જો તેનામાં રહેલું સારાપણું તમે જોઈ શકતા હો તો. તમારી વ્યક્તિની સારી બાબત શોધીને એનાં વખાણ કરી જોજો, પછી જો જો કે તેનામાં શું પરિવર્તન આવે છે. એક વાર કહી તો જુઓ કે યુ આર બેસ્ટ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. માણસને સારો, ઉમદા અને પ્રેમાળ બનાવવાનો જાદુ તમારી પાસે છે જ, એને ક્યારેય અજમાવી તો જુઓ. બેસ્ટ નહીં હોય એ પણ ધ બેસ્ટ થઈ જશે.

છેલ્લો સીન :
આપણે એકબીજાના જીવનને જો ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ?
-જ્યોર્જ એલિયટ

(‘સંદેશ’, તા. 31મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ  - કૃષ્ણકાંત ઉનડકટ)

બુધવાર, 3 એપ્રિલ, 2013

પ્રેમ સુખની સેજ નહીં, દુ:ખના ડુંગર ખડકે છે


- સાયન્સ ઓફ લવનાં બે પુસ્તકોઃ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે

મહાન ફિલસૂફ પ્લેટો પ્રેમને સિરિયસ મેન્ટલ ડિસીઝ કહેતા. એરિસ્ટોટલ પ્રેમને ઊંચું રૂપ આપી કહેતા કે બે શરીરમાં એક આત્મા હોય તે પ્રેમ, પણ કોઈ લેખક તે ગુજરાતી હોય તે 'પ્રેમ’ શબ્દ વાંચે ત્યાં તેના હોર્મોન લેવલ ઊંચાં ચઢે છે. પ્રેમ વિશે સતત લખાતું જ આવ્યું છે અને હજી લખાતું જ રહેશે. ફેબ્રુઆરી-૨૦૧૩માં જ અમેરિકાના એક પ્રકાશકે 'લવ’ ઉપર ૨૦ પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. હોલિવૂડની ફિલ્મ સ્ટાર ટીના ટર્નરે પ્રેમને 'સેકન્ડ હેન્ડ ઈમોશન’ કહીને તેનું અવમૂલ્યન કરેલું. સંજયલીલા ભણસાળી અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે અનુક્રમે પ્રેમની ફિલ્મોમાંથી અઢળક કમાણી કરેલી, બીજાએ નામના (ભણસાળી) કાઢેલી.

દા.ત દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ, સરસ્વતીચંદ્ર નામની નવલકથા ટી.વી. ઉપર લાં...બા સમય સુધી દેખાવાની છે ત્યારે લેખકોને મસાલો મળી રહે તેવું એક પુસ્તક હાલમાં જ પ્રગટ થયું છે. તેનું નામ છે. ''સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ’’ લેખક બ્રિટિશર છે. તેમણે યુરોપ-અમેરિકાના સંસ્કાર પ્રમાણે પ્રેમની સાથે વિજ્ઞાનને જોડીને થોડોક સ્વાદ બગાડયો છે. ઉપરાંત તેણે પ્રેમમાં બિટ્રેયલ એટલે કે બેવફાઈ, વિશ્વાસઘાત, કપટ દ્રોહ કે ધોખા જેવા શબ્દને જોડયો છે તે પણ પ‌શ્ચિ‌મનો વિરોધભાસી શબ્દ છે. સૌપ્રથમ તો પ્રેમ થયો એટલે ભારતમાં એ જનમો જનમનો પ્રેમ ગણાય છે. તેમાં બિટ્રેયલ આવતું જ નથી. તમને પ્રેમ કરનારી યુવતી કે યુવક પરણવાને બદલે ભારતીય સંસ્કાર અને રૂઢિ પ્રમાણે બીજે પરણે તો તેમાં બિટ્રેયલ શબ્દ તદન ફાલતું અને ભૌતિક તેમજ ભારતીય સંસ્કારોની વિરુદ્ધ છે. પ્રેમ એટલે પ્રેમ અને તે અમર હોય છે.

છતાં ૨૧મી સદી આવી છે. રોબીન ડનબાર જેવા માનવવિકાસના ઈતિહાસના અભ્યાસી અને નૃવંશશાસ્ત્રી (એનથ્રો પોલોજિસ્ટ) અને માનવ વિજ્ઞાની પ્રેમના વિજ્ઞાન વિશે લખે તો તેણે ઊંડો અભ્યાસ કરીને દેશે દેશમાં ફરીને પ્રેમનાં પરિમાણો જોયાં હશે જ એટલે તેના પુસ્તકમાં શું નવીન અને જાણવા યોગ્ય લખ્યું છે તે જાણવું જ જોઈએ. તેની પાકટ એટલે કે ૬૬ વર્ષની વયે તે પ્રેમની વાત કરી છે તો તે જવાબદાર હશે જ. અત્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિ‌ટીમાં પ્રોફેસર ઓફ ઈવોલ્યુશનરી સાયકોલોજીનો હોદ્દો ધરાવે છે. વિજ્ઞાનનું ઘરઘરણું પ્રેમ સાથે કરીને આ પ‌શ્ચિ‌મી પંતુજી બેસી રહ્યાં નથી.

રોબીન ડનબારે મનોવિજ્ઞાનીઓ પાસે યુવક-યુવતીનાં માનસ તપાસરાવીને તેમનામાં પ્રેમ કરવાની કેટલી ક્ષમતા છે, પ્રેમમા વફાદાર રહેવાની કેટલી તમન્ના છે. વગેરે વગેરે આંક (ઈન્ડેક્સ) કાઢીને એક આંકડો નક્કી કર્યો છે. જુદાં જુદાં પ્રમાણો-ધોરણોના આંકડા મૂકી બંને પ્રેમીઓ ૧પ૦ના આંકે પહોંચે તો બંને પરફેક્ટ પાર્ટનર બનશે તેવું નક્કી થાય છે
જો એમ આંકડા મૂકવા જાઓ કે ઝાઝી પંચાત કરવા જઈએ તો પ્રેમ થાય જ નહીં તેવું ઓશો રજનીશ પણ કહી ગયા છે.
રોબીન ડરબારની વાતને તડકે મૂકીને આપણા ગુજરાતીઓને જ્યાં આકર્ષણ થાય ત્યાં મારી સલાહ છે કે પ્રેમમાં ખાબકવું.

વફાદારી, લગ્નમાં બંધાવાની તલબ વગેરેને ઈશ્વર ભરોસે મૂકી પ્રેમ કરતાં રહેવું. પ્રેમને એક ધર્મ માનવો. એ ધર્મ ઓશો રજનીશની થિયરી પ્રમાણે એક બે કે ત્રણ વ્યકિતને પ્રેમ કરવાથી લાંછિત થતો નથી. આ આપણા ગુજરાતીઓની મારી-તમારી વાત થઈ. રોબીન ડનબાર શું કહે છે? રોબીન ડનબાર તો રજનીશને આંટી જાય તેવી વાત પણ કરે છે. આજે ફેસબુક, ઈન્ટરનેટ અને બીજી સોશિયલ બેવસાઈટને કારણે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે ડઝનબંધ સંબંધો બંધાય છે. તેમાં અડધોડઝન તો ''પ્રેમથી’’ બંધાય છે.

''ધ સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ વિશે હું લખત નહીં પણ લંડનના આર્થિ‌ક સાપ્તાહિ‌ક ''ધ ઈકોનોમિસ્ટ’’ અને લંડનના '' ધ ટાઈમ્સ લીટરરી સીલીમેન્ટ’’ જેમાં માત્ર સહિ‌ત્યને લગ કે મનોવિજ્ઞાનને લગતાં ગંભીર પુસ્તકોના જ રિવ્યુ આવે છે. તેમાં સાયન્સ ઓફ લવ...ના રિવ્યુ છપાયો એટલે મારે લખ્યા વગર છૂટકો નથી. પ્રેમમાં પડવામાં જોખમ છે અને જોખમ ઉઠાવવું તે માનવનો સ્વભાવ છે એટલે જો તમે પ્રેમમાં પડો પછી વછૂટી જાઓ તો તેમાં કોઈ બિટ્રેયલ આવતું નથી. આ પુસ્તકની હારોહાર એક બીજું પુસ્તક પણ ફ્રેન્ચ ફિલોસોફર અલેન બાદુએ પણ પ્રગટ કર્યું તે અફલાતૂન છે. પુસ્તકનું નામ છે ''ઈન પ્રેઈઝ ઓફ લવ’’ એમણે કદાચ કોઈ બંગાળી છોકરી સાથે પ્રેમ કર્યો હશે તે પ્રેમનું બહુમાન કરે છે અને મને તમને ચગાવે છે કે ''પ્રેમ કરતા રહો... બાકીનું કીરતાર સંભાળી લેશે.’’ તેમણે સુંદર વાક્ય લખ્યું છે. રિસ્ક ઈઝ સેન્ટ્રલ ટુ લવ’’ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે.

ફ્રેન્ચ ફિલોસોફર ખૂબ વાસ્તવવાદી છે. તમને 'કાદમ્બરી’ સાથે પ્રેમ થયો? 'કાદમ્બરી’ ર૧મી સદીની રોમેન્ટિક યુવતી છે. તે સ્કૂલમાં જ પ્રેમ કરતી થઈ છે, પછી કોલેજમાં વધુ રોમેન્ટિક થઈ છે. પછી ગૂગલ, ફેસબુક વગેરે વગેરેમાં તે મલ્ટિપલ સંબંધોમાં આવે છે. એટલે જો તમારે ૨૧મી સદીના પ્રેમી થવું હોય તો તમારા પ્રેમી કે પ્રેયસીના મલ્ટિપલ સંબંધોને પચાવ્યા વગર છૂટકો નથી. ડો. અલને બાદુ એક સરસ શબ્દ વાપરે છે તમારા બંનેનો શેર્ડ-પરસ્પેક્ટિવ હોવા જોઈએ. જો તમે તમારા પ્રેમીપાત્રના જીવનના પરસ્પેક્ટિવ ને સમજી લો તો વફાઈ કે બેવફાઈ શબ્દ જ રહેતો નથી. પરસ્પેક્ટિવ એટલે જીવનસંદર્ભ તમારા બંનેની વિચારશ્રેણી તમારો દૃષ્ટિકોણ તમે આ સમજી લો તો ભલે તમારી પ્રેમિકા બીજે પરણી જાય. ભલે પ્રેમી બીજી બીજી યુવતીને પ્રેમ કરે પણ તમારાથી તે અલગ થવાના નથી. (મનથી-લાગણીથી વિચારશ્રેણીથી) તેનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. સાચું?

ડો. અલેન બાદુ કહે છે કે જે પ્રેમમાં પડીને ઘવાઈ જવા તૈયાર નથી તે પ્રેમ માટે લાયક નથી... તે પ્રેમને નામે કાઠિયાવાડી ભાષામાં ''હાલી મળેલો’’ છે. ટૂંકમાં પ્રેમમાં પડો એટલે તમામ જોખમો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમિકાનો બાપ કે ભાઈ ગુંડા પાસે માર ખવરાવે તો તે માટે તૈયાર રહો... અહીં ડો. અલેન બાદુની પ્રેમની વાત પૂરી થાય છે. આપણે જેને ખંધોલે ચઢી પ્રેમની આ કથા માંડી તે ''સાયન્સ ઓફ લવ’’ની વાતને હવે સંક્ષેપમાં સારરૂપે પૂરી કરીએ.

… લખી લો કે આજે પરફેકટર - જીવનસાથી એ માત્ર ભ્રમણા છે. ખાસ કરીને આજના ગ્લોબ-લાઈઝેશનના યુગમાં. આપણે આજે આઈડિયલ-દુનિયામાં જીવતા નથી. એ આદર્શવાદનો જમાનો ગયો આપણે માર્કેટની દુનિયામાં આવી પુગ્યા છીએ … લેખક રોબીન ડનબાર કહે છે કે તમારી પસંદગીનાં ધોરણ જ વિરોધાભાસી છે. તમને સ્વરૂપવાન પત્ની જોઈએ અને તે ગુણિયલ પણ જોઈએ. ઘર સંભાળે અને કવચિત કમાય તેવી પણ પત્ની જોઈએ. શકય છે? બોલો. ઈન્ટરનેટ-ડેટિંગ ભારતનાં શહેરોમાં વધ્યું છે તે સાથે પ્રેમ ભંગતા વધી છે. તમારી બી લવેડ ટેઈલર મેઈડ મળે તે માત્ર અને માત્ર નસીબ ઉપર છે.

ગાડાનાં ગાડાં ભરાય તેટલું લખી શકાય પણ જુવાનીમાં કે પ્રેમલગ્ન કર્યાં પછી પણ આજે નવા પ્રેમમાં પડી શકો છો. વિજ્ઞાની કહે છે કે લવ ઈઝ મેની થિંગ સ્પ્લેન્ડર્ડ એન્ડ બ્લડ થસ્ર્ટી થિંગ એક બાજુ પ્રેમમાં પડવું તે ગૌરવવાળી વાત છે. વિશાળ હૃદયની દ્યોતક છે. જીવન ઉજ્જવળ થવાની વાત છે. પણ પણ સાથે તે લોહી ચૂસનારી વસ્તુય છે.

કાંતિ ભટ્ટ -  દિવ્ય ભાસ્કર

સોમવાર, 7 જાન્યુઆરી, 2013

કિતાબી દુનિયા

પુસ્તકો મારા માટે પ્રાણ છે. જિંદગીમાંથી પુસ્તકો છિનવાઈ જાય તો બાકી કશું જ બચે નહીં. પુસ્તકો એવા મિત્રો છે જે તમને તમારી શરતે સાથ આપે છે - તમે કહો ત્યારે, તમે કહો ત્યાં. મિત્રોથી કંટાળો ત્યારે તમે એમને કહી શકતા નથી કે હવે તમે જાઓ. પુસ્તકમાં બુક માર્ક મૂકીને તમે ગમે તે ઘડીએ એને બાજુએ મૂકી દઈ શકો છો.

અને બીજે દિવસે ફરી એ જ પુસ્તકનો સાથ મેળવી શકો છો. મિત્રોને તમે કહી તો જુઓ કે હવે તમે જાઓ અને બીજી સવારે એમને પાછા બોલાવશો તો તેઓ આવશે? પુસ્તકો ક્યારેય માઠું લગાડતાં નથી.

અડધી ચડ્ડી પહેરવાના દિવસોથી પુસ્તકો સાથેની દોસ્તી શરૂ થઈ. પાંચમા ધોરણ વખતની વર્ષગાંઠે એક નિકટના સગાએ મૂળશંકર મો. ભટ્ટે અનુવાદ કરેલું પુસ્તક ભેટ આપ્યું. જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’. બાળપુસ્તકોમાં હોય એવા મોટા મોટા ટાઈપ નહોતા એટલે પુસ્તક રાખી મૂક્યું. છેક સાતમા ધોરણના વકેશનમાં વાંચ્યું. એ પછી આ અદ્ભુત સાહસકથાની અનેક નવી આવૃત્તિઓ ખરીદી અને ભેટ આપી. સાતમા ધોરણમાં સ્કૂલમાં વિમળા સેતલવાડે કરેલો અનુવાદ ‘સાહસિક કિશોર’ની એક-એક નકલ બધા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. પ્રી-ટીનએજ ઉંમરનો હીરો હતો. એય પાછો એની કોઈ કઝિન-બઝિનના પ્રેમમાં હતો. એ પુસ્તક, મોટા થયા પછી શોધવાની ખૂબ કોશિશ કરી, નથી મળ્યું. બજારમાં પણ ક્યાંય નથી.

આઠમા, નવમા કે દસમા ધોરણમાં અઠવાડિયે એક વાર લાઈબ્રેરીનો પીરિયડ આવે. પ્રિન્સિપાલ મધુસૂદન વૈદ્ય એક આદર્શ આચાર્ય એટલે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવા માગતા. છોકરાઓ લાઈબ્રેરીમાં જઈને ધમાલમસ્તી કરે. પ્રિન્સિપાલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત એક પુસ્તક કાર્ડ પર લખાવીને લેવાનું અને બીજાં અઠવાડિયે પાછું આપી જવાનું એવું ફરમાન કાઢ્યું. મોટાભાગના છોકરાઓ વાંચ્યા વિના જ પુસ્તક પાછું લઈ આવે. વૈદ્યસાહેબ હારે એવા નહોતા. એમણે નોટિસ કાઢી કે હવેથી દરેક વિદ્યાર્થીએ પોતે વાંચેલા પુસ્તક વિશે ક્લાસમાં બોલવાનું. આ તો ઉપાધિ થઈ. એનો રસ્તો અમે કાઢી આપ્યો. વાંચવાના ચોર હોય એવા બધા જ ક્લાસમેટ્સને અમે ઓફર કરી કે તમારી ચોપડી મને આપી દેવાની, હું તમને એ વાંચીને કહી દઈશ કે એમાં શું શું છે. તમારે એ બોલી નાખવાનું.

એક વરસમાં આખી લાઈબ્રેરી વાંચી કાઢી. દસમા ધોરણથી સ્વતંત્રપણે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને પુસ્તકો ખરીદતો થયો. વર્ષગાંઠ નિમિત્તે મળેલા, બહારગામથી દાદા કે નાના કે મામા-કાકા આવ્યા હોય અને જતી વખતે પાંચ-દસ રૂપિયા હાથમાં મૂકતા જાય તે રીતે મળેલા. કે સ્કૂલમાં કોઈક ઈનામબિનામરૂપે મળેલા પૈસા પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને વાપરી આવતો.

તે વખતે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ‘નવજીવન’ની દુકાન હતી. ગાંધી સાહિત્ય ત્યાં મળે. કાકાસાહેબ કાલેલકર અને એવા બધાની ચોપડીઓ પણ મળે. બહુ સસ્તી. એટલે મોટાભાગની ખરીદી ત્યાંથી થતી.

કૉમર્સ કૉલેજમાં એડમિશન લીધું પણ કૉલેજની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ગણ્યાંગાંઠ્યા. એટલે પરીક્ષા વખતે ચોપાટીની ભવન્સ લાઈબ્રેરીમાં વાંચવા જવાનું નક્કી કર્યું. વાંચવાનું એટલે? સવારના આઠ વાગ્યે લાયબ્રેરી ખુલે એટલે આપણી જગ્યા બુક કરીને ત્યાં પાઠ્યપુસ્તકો મૂકી દેવાનાં. પછી નીચે ઉતરીને ન્યૂ યોર્કરમાં નાસ્તાપાણી પતાવીને વાંચવા બેસવાનું. આખો દિવસ શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય અને એવું બધું વાંચવાનું. સુરેશ જોષીનાં મેગેઝિનોની ફાઈલો (ઊહાપોહ, મનીષા વગેરે) જ્યોતિષ જાનીના સામયિક ‘સંજ્ઞા’ની ફાઈલો ઉપરાંત ‘ગ્રંથ’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘કવિલોક’ની ફાઈલો ત્યાં હતી. બધું જ વાંચ્યું. કૉમર્સની પરીક્ષાનું પરિણામ જે ધાર્યું હતું તે જ આવ્યું. નાપાસ.

કોઈ પૂછે કે જિંદગીના છેલ્લાં વરસોમાં તમે કેટલાં અને કયાં કયાં પુસ્તકો સાથે રાખો. અત્યારે ખબર નથી કે જિંદગીનાં છેલ્લાં વરસો ક્યારે શરૂ થવાનાં છે. પણ માની લો કે આજથી શરૂ થઈ જવાનાં હોય તો હું ઍયન રેન્ડની નવલકથા ‘ફાઉન્ટનહેડ’ રાખું. આર્કિટેક્ટ બનવા માગતો સિરફિરો હીરો હાવર્ડ રોર્ક કૉલેજમાંથી ડિસમિસ થાય છે. ડીન એણે કરેલી ડિઝાઈનો જોઈને પૂછે છે : આવાં ચિત્રવિચિત્ર મકાનો તને કોણ બનાવવા દેશે? હીરો જવાબ આપે છે: સર, સવાલ એ નથી કે આવાં મકાનો મને કોણ બનાવવા દેશે; સવાલ એ છે કે આવાં મકાનો બનાવતાં મને કોણ રોકશે?

સ્વામી આનંદની ‘કુળકથાઓ’ પણ રાખું. જૂના મુંબઈની ખુશ્બો એમાંથી આવે. ગુજરાતીઓનો આ શહેરમાં કેવો દબદબો હતો. હ્યુ પ્રેથરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ મારું ઑલટાઈમ ફેવરિટ પુસ્તક છે. એક સ્ટ્રગલર લેખક તરીકે આ પુસ્તક એણે લખ્યું. કેટલાક પબ્લિશરોએ છાપવાની ના પાડી. છેવટે છપાયું. અત્યાર સુધીમાં કરોડો નકલ વેચાઈ ચૂકી છે.

જેફ્રી આર્ચરની ‘કેન એન્ડ એબલ’, ફ્રેડરિક ફોર્સીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ અને મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ - આ ત્રણેય નવલકથાઓ મને અશ્ર્વિની ભટ્ટની ‘આશકા માંડલ’, હરકિસન મહેતાની ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ અને વીનેશ અંતાણીની ‘પ્રિયજન’ જેટલી જ ગમે છે.

હરિવંશરાય બચ્ચનની આત્મકથાના ચારેય ભાગ બહુ ગમે છે: કયા ભૂલું, કયા યાદ કરું, બસેરે સે દૂર, દશદ્વાર સે સોપાન તક અને નીડ કા નિર્માણ ફિર.

‘દીવાન-એ-ગાલિબ’ અને રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મને મારી મરણપથારીએ અડખેપડખે જોઈએ. ગુલઝારે કહ્યું છે કે એમણે જે ફિલ્મો બનાવી એમાંથી સૌથી સારું કામ એમણે ‘મિર્ઝા ગાલિબ’ માટે કર્યું. હાલાકિ એ ટીવી સિરિયલ હતી. એ જ સિરિયલ પરથી ગુલઝારે કિતાબ લખી: ‘મિર્ઝા ગાલિબ: એક સ્વાનહી મંઝરનામા’. એ પણ એટલું જ ગમે.

અમદાવાદના પાંચ-છ વરસના વસવાટ પછી કાયમ માટે પાછો મુંબઈ આવતો હતો. મુંબઈના એક મિત્રે મારો સામાન સહીસલામત પહોંચાડવાની ગોઠવણ કરી આપી. પુસ્તકો કેટલાં છે એની ગણતરી કોઈ દહાડો રાખી નથી. પ્રિયપાત્રને કરેલાં ચુંબનોની સંખ્યાનો હિસાબ કોઈ કેવી રીતે રાખે? એક સરખી સાઈઝનાં કાર્ટન ભરાતાં જતાં હતાં. કેટલા ટનની ટ્રક લાવવી તેનો અંદાજ કરવા એક કાર્ટનનું વજન થયું, ગુણાકાર થયો. બે ટન વજનનાં પુસ્તકો થયાં. બે હજાર કિલો. લોકોને ચંદનના લાકડે બળવાનું ખ્વાબ હોય. મને પુસ્તકોની શૈય્યા પર છેલ્લા શ્ર્વાસ લેવાની હોંશ છે. 


 ગુડ મોર્નિંગ - સૌરભ શાહ (મુંબઈ સમાચાર  તા : 26/12/2012)

શનિવાર, 7 જુલાઈ, 2012

wall paper 15




પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

– અનિલ જોષી


રવિવાર, 20 મે, 2012

ઝિંગ થિંગ !

ઝિંગ થિંગ !
કૂટ, ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ
હોત સયાને બાવરે, નવ કોર ચિત્ત લાગ !
 
લોકસાહિત્યનો આ અદ્ભુત દૂહો કરે છે કે નવ બાબતો એવી છે જે આવે ત્યારે ભલભલા ડાહ્યા માણસો પાગલ થઇ જાય. ઝેર, ગુસ્સો, નવજાત બાળક, સૌંદર્ય દેખાડતો અરીસો, પ્રેયસી, વ્હાલું આપ્તજન, રાતનો અંધકાર, દુઃખ અને વાસંતી ફાગણનો ખુમાર !

જય વસાવડા અનાવૃત ૧૧/૩/૨૦૦૯

ગુરુવાર, 3 મે, 2012

ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ




કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

- ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ... નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું? કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારે 'કોમ્પ્રોમાઈઝ' કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું? માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું નેપણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસ 'માય ડે' ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિને 'માય ડે' ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસ 'માય ડે' છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હું 'માય ડે' ને શા માટે બગાડું?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાં 'માય ડે' કયો છે? આપણે દુનિયાભરના 'ડે' ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈ 'ડે' નથી હોતો એટલે એ 'બર્થ ડે'ને 'માય ડે' માની લેતો હોય છે. 'બર્થ ડે' એ આપણા જન્મનો દિવસ છે અને 'માય ડે' એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ... આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજ 'માય ડે' લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું

આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો? કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમે 'માય ડે' ઊજવવાનું શરૂ કરો છો?
 
છેલ્લો સીન
પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
- હેલી બર્ટન
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   29/4/2012

wall paper 14