શનિવાર, 13 ઑગસ્ટ, 2011

ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો

પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે સઘન અહંકારને લઈને પ્રેમના જગતમાં પ્રવેશ કરે છે તો સ્વાભાવિક છે કે નિષ્ફળ થઈ જાય છે.

રહિમન મૈન તુરંગ ચઢિ, ચલિબો પાવક માહિં| પ્રેમપંથ ઐસો કઠિન, સબ કોઈ નિબહત નાહિં||

પ્રસિદ્ધ કવિ રહિમ કહે છે કે જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ ઘોડા પર બેસી એમાંથી પસાર થાય એવો જ કઠિન પ્રેમપંથ છે, એટલે એને બધા નથી નિભાવી શકતા. રહિમની સાથે આપણે સૌ સંમત થઈશું, કેમકે આપણો અનુભવ પણ એ જ છે. પ્રેમ એ તત્વ છે જેના વિશે વિશ્વમાં સૌથી વધુ રચના થઈ છે. કવિતા, વાર્તા, નવલકથા, ફિલ્મ, ચિત્ર - બધાં પ્રકારનાં સર્જન પ્રેમ ફરતે થયાં છે અને થાય છે. પ્રેમ તમામ સર્જકોને હંમેશાં પ્રેરણા આપતો રહ્યો છે, પરંતુ તમે કદી વિચાર કર્યો છે કે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે જેના માટે દરેક માણસ તરસે છે, પણ બધા એ કરી કે મેળવી શકતા નથી.

એટલે એક યા બીજાં સ્વરૂપે પ્રેમનાં સપનાં જોઈ-બતાવી સંતોષ મેળવી લે છે. પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે અહંકાર સાથે પ્રેમજગતમાં પ્રવેશ કરે છે ત્યારે સ્વાભાવિકપણે જ નિષ્ફળ જાય છે.

પ્રેમને માટે શબ્દપ્રયોગ છે : પ્રેમમાં પડવું - ફોલિંગ ઈન લવ. પ્રેમમાં પડવાનું શા માટે હોય છે? આ સુંદર ઘટનાને પડવાનું લેબલ શા માટે લગાડાય છે? આ અને આવા શબ્દો બુદ્ધિના દ્રષ્ટિકોણથી ઊપસી આવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેમ થાય છે હૃદયમાં અને માણસ જીવે છે મગજથી. શરીરમાં મગજ હોય છે ઉપર અને હૃદય હોય છે નીચે, એટલે કહે છે ‘પડવું’. વળી માનસિક રીતે પણ પ્રેમનો અનુભવ પડવા જેવો જ હોય છે.

કોઈના પર દિલ આવી ગયું હોય તો એવું લાગે છે જાણે કેળાંની છાલ પર પગ લપસીને પડી ગયા. તમારી બુદ્ધિ કહે છે કે તમે તો સમજદાર માણસ હતા, આવી નાદાની ક્યાં કરી બેઠા? પ્રેમની નાદાનીથી બુદ્ધિજીવી માણસ બચીને રહે છે, કેમકે પ્રેમમાં એની સ્વાયત્તતા ખોવાઈ જાય છે, પોતાપણું ખોવાઈ જાય છે. એને લાગે પોતે બીજાનો ગુલામ બની ગયો છે. હવે તમે એ પુરુષ કે સ્ત્રી વગર રહી શકતાં નથી. એ વ્યક્તિ તમારી હવે અનિવાર્યતા બની ગઈ. એના વગર તમને ખૂબ મુશ્કેલી લાગશે, જીવવું વ્યર્થ લાગશે, એકલતા લાગશે, ખાલીપણું અનુભવાશે.

એક અર્થમાં તમને જેને માટે પ્રેમ થયો એ વ્યક્તિ તમારી માલિક બની ગઈ અને કોઈ તમારું માલિક બની જાય એ ‘ઇચ્છનીય’ લાગણી તો નથી જ. આમ, પ્રેમના બધા જ સંબંધો દુ:ખમાં, કલેશમાં લઈ જાય છે. અલબત્ત, આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. એના માટે ‘પ્રેમમાં પડવું’ શબ્દપ્રયોગ વપરાતો નથી. એને આપણે કહીશું, પ્રેમમાં હોવું - બીઈંગ ઈન લવ. એનો સ્વભાવ મૈત્રીનો છે. આ પ્રેમનું વર્ણન કરતાં ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાચો પ્રેમી મંદિરના બે સ્તંભ જેવો હોય છે.

બહુ જ પાસે પણ નહીં, કેમ કે એ બહુ નજીક હોય તો મંદિર પડી જાય. તે જ પ્રમાણે, બહુ દૂર પણ નહીં, કેમકે એ અંતર બહુ વધે તોય મંદિર પડી જાય. સાચા પ્રેમી એકબીજાંથી ન તો બહુ નજીક હોય છે, ન બહુ દૂર. થોડું અંતર વચ્ચે જરૂર રાખે છે, જેથી બન્નેની સ્વતંત્રતા જીવિત રહે અને એકમેકની સીમામાં અકારણ હસ્તક્ષેપ ન થાય.

ઓશોએ પ્રેમનાં ત્રણ સ્તર કહ્યા છે –

પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે.

ઘ્યાન , અમૃત સાધના

બુધવાર, 6 એપ્રિલ, 2011

રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે!

દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા!

શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે. સેમ્યુઅલ બેકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’માં સાંભળવા મળતું એક વિધાન છે, ‘દુનિયામાં આંસુ કદી ખૂટતાં નથી. એ નિરંતર વહે છે. ક્યાંક કોઇ રડવાનું બંધ કરે, ત્યાં તો બીજે કશેક રડવાનું શરૂ થઇ જાય છે.’ મૂર્ખતા સુખદાયિની છે!

જીવન તળાવ જેવું અપ્રવાહી કે ‘સ્થાનકવાસી’ નથી હોતું. એ તો પ્રતિક્ષણ ગતિશીલ હોય છે. ગતિ એ જ તો પરિવર્તનનું ચારિત્ર્ય છે! વહેવું અને સતત વહેવું એ નદીનું શીલ છે. ગીતામાં સાગરને ‘અચલપ્રતિષ્ઠ’ કહ્યો છે. જે ધ્યેય હોય તે સ્થિર હોય તો જ ત્યાં સુધી પહોંચીને પામી શકાય. આપણા ઘણાખરા ઉપદ્રવો કાયમીપણાની ભ્રમણાનાં ફરજંદો છે.

સાગર ‘અચલપ્રતિષ્ઠ’ છે તેથી તો નદી સાગર ભણી વહી શકે છે. સાગર એ જ નદીનું ગંતવ્ય છે. જીવનને અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે જોવામાં બધા આધ્યાત્મનો સાર આવી જાય છે. એક જ બાબત કાયમી છે અને તે છે કાયમીપણાનો અભાવ! આવી સમજણ આપણને હળવા બનવાની છુટ આપે છે. જે હળવો નથી તે સાધુ નથી. જેનું સ્મિત કરમાઇ જાય તેની સાધુતા કરમાઇ જાય છે. વર્ષો પહેલાં વિનોબાએ કોઇ સ્વાર્થી માણસને સંભળાવેલું, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ જે મનુષ્ય ભારેખમ જણાય તેને ચિંતક કહેવાની ભૂલ ન કરશો. અધ્યાત્મને ઘુવડગંભીરતા સાથે કોઇ લેવાદેવા નથી.

સતત યાદ રાખવાનું છે કે આપણને ગીતાનો ઉપદેશ એક એવા યોગેશ્વરે આપ્યો છે, જેમણે રાસલીલા પણ કરી હતી અને માખણચોરી પણ કરી હતી. કૃષ્ણના સ્મિતનો જાદુ આજે પણ ઓસર્યો નથી. આજની નવી પેઢીનો ભગવાન પણ નૃત્યપ્રિય, સ્મિતપ્રિય અને આનંદપ્રિય હોવાનો. જેનું મોં ગંભીરતાને કારણે બેડોળ બની ગયું હોય એવા ચિંતકથી દસ કિલોમીટર છેટા રહેવામાં જ લાભ છે.

આપણો સમાજ બહુમતી નામના બુલડોઝરનો ગુલામ છે. ઘણાખરા લોકો જે માને તે સાચું માનવામાં સલામતી રહેલી છે. આવી ગુલામીને કારણે જ સદીઓ સુધી સતીપ્રથા ચાલુ રહી શકી. આટલી ક્રૂર પરંપરાને ધર્મની ઓથ સાંપડી તેથી ‘ધર્મ’ શબ્દ ઝંખવાણો પડ્યો. એ જ પ્રમાણે અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને પણ ધર્મની ઓથ સાંપડી. સાને ગુરુજી જેવા સાધુપુરુષે પ્રશ્ન કર્યો, ‘અદ્વૈત અને અસ્પૃશ્યતા વચ્ચે મેળ બેસે ખરો?’ સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવનાર રાજા રામમોહનરાયની ભાભીને બળજબરીથી સતી થવાની ફરજ પડી ત્યારે રાજા રામમોહનરાયની ચેતના જાગી ઊઠી.

બહુમતી એટલે શું? જવાબ છે: હિંમતવાળો એક માણસ એટલે બહુમતી. નોઆખલીમાં ગાંધીજી એકલા ગયા તોય બહુમતીમાં જ હતા. માણસ ભલે એકલો હોય, પરંતુ સત્ય જ્યારે બાજુમાં ઊભેલું હોય ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે. એકલા જણાતા માણસ પાસે ઊભેલું સત્ય સ્થૂળ આંખે દેખાતું નથી. કોઇ પણ જાતના સ્વાર્થ વિના પોતાને જડેલા સત્યનો ઉપાડો લેતી વખતે માણસ એકલો હોય છે એવો ભ્રમ ખંખેરી કાઢવા જેવો છે. એ માણસની પાસે ઊભેલા સત્યદેવતા અન્યની નજરે ન પડે તેથી શું? ઐતરેય ઉપનિષદમાં દેવોને ‘પરોક્ષપ્રિયા:’ કહ્યા છે. સત્યના દેવને પણ અપ્રત્યક્ષ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું ગમે છે.

રોજ આપણા હાથમાંથી જીવન નામની જણસ છટકી જાય છે. દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌૈન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આપણે આપણી મુત્સદ્દીગીરીને અકબંધ રાખી અને ગોટાળામય વાક્યો બોલીને અસત્યને વહેતું મેલ્યું! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! તમે આવા રૂપાળા માણસને મળ્યા છો? એ માણસ અંદરથી મરી ચૂકયો હોય છે.

એ માણસ ક્યારેક તમારી પ્રશંસા કરે, તોય હરખાશો નહીં. જો તમે એની જુઠી પ્રશંસાથી હરખાઇ જશો, તો તમારે એની જુઠી નિંદાથી દુ:ખી થવું જ પડશે. આવો કોઇ બનાવટી બદમાશ તમારી નજીક આવી પહોંચે, તો મોં પર રૂમાલ દબાવીને દૂર ચાલી જજો. તુલસીદાસની શિખામણ સતત યાદ રાખવા જેવી છે. ‘અસંતથી દૂર ભાગો.’ કોઇ ‘અસંત’ ઘરે મળવા આવે ત્યારે શું કરવું? એ જેટલો વખત બેસે તેટલો વખત પૂરી જાગૃતિ સાથે એની વાતો સાંભળી લેવી અને એ જાય કે તરત બાથરૂમમાં ચાલી જવું. બાથરૂમ સ્વચ્છતાદેવીનું મંદિર છે.

એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો, તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો. સમાજના ઘણાખરા લોકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અભાવ હોય છે. સરેરાશપણું (એવરેજનેસ) તેમનું રક્ષાકવચ બની જાય છે. સરેરાશ સામાન્યતા એમને નિંદાકૂથલી અને ઇષ્ર્યાનાં આક્રમણોથી બચાવી લે છે. એવી સરેરાશમૂલક સલામતી એમને જબરી નિરાંત આપે છે. નિરાંતનો પણ એક નશો હોય છે. નશાની શોધના મૂળમાં પણ નિરાંત પામવાની ઝંખના રહેલી છે.

આપણા સમાજમાં જે ઘણાખરા લોકોને માન્ય હોય, તેવી જીવનશૈલી રાખવામાં નિરાંત રહે છે. અમારા ગામના ફળિયામાં અડધી સદી પહેલાં એક સુંદર સ્ત્રી રહેતી હતી જે ઘરમાં બેસીને હાર્મોનિયમ વગાડતી. એ બિચારી હાર્મોનિયમ વગાડતી ત્યારે ફળિયાની સ્ત્રીઓ નિંદાકૂથલીનાં ઢોલકાં વગાડતી! (એ સ્ત્રી ગૌરવભેર આજે પણ રાંદેરમાં જીવે છે.) જરાક જુદી રીતે જીવનાર મનુષ્યને શત્રુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો.

જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે. લોકો એની મશ્કરી ઉડાવે છે. કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે, જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે. માનશો? સ્વરાજ મળ્યું પછીના દાયકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકારના મુખ્યપ્રધાન (કેરાલાના) ઇ.એમ.એસ. નમ્બૂદ્રિપાદ તોતડા હતા.

તેમને કોઇએ પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં એ નેતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ જીવનના એક તબક્કે અભિનેતા હૃતિક રોશન તોતડો હતો. ક્રિકેટર વેંગસરકર પણ નાનપણમાં તોતડું બોલનારા હતા. એવું જ પોતાના સુંદર અવાજ માટે વખણાતાં અભિનેતા રઝા મુરાદ માટે પણ કહી શકાય.

આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે. આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય, તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે, જે ગાંધીજી પાસે હતી. પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?

પાઘડીનો વળ છેડે

તમે ગંભીર હોવાનો
ડોળ કરી શકો છો,
પરંતુ
તમે હસમુખા હોવાનો
ડોળ કરી શકતા નથી- સાચા ગુત્રી

શનિવાર, 2 એપ્રિલ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી? ભાગ - ૩

 યાદી ભરી ત્યાં આપની
ગુજરાતીઓના લોકપ્રિય કવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ નિમિત્તે આગોતરો 
લેખ ઃ ૩
કલાપીના મૃત્યુનું રહસ્ય ૧૧૦ વર્ષ પછી પણ વણઉકેલાયુંનું વણુઉકેલાયું જ રહ્યું છે

હવે ત્રણે રાણીઓના નિવાસે અઠવાડિયાના નિયત દિવસોએ રહેવાનું ગોઠવ્યું હતું. રમાનો આગ્રહ હતો કે રસોડું તો તેમના નિવાસે જ હોવું જોઈએ. જો કે અંતે કલાપી પોતાનું રસોડું જુદું કરાવે છે. ઈ.સ. ૧૯૦૦ના જૂનની આઠમી તારીખે કલાપી શોભનાને ત્યાંથી રમાના આવાસે આવે છે. સાંજ પડી ગઈ છે. રમા તેમને પોતાના હાથના બનાવેલા પેંડા આપે છે, બરફ આપે છે. આ બંને વસ્તુઓ કલાપીને ખૂબ જ પ્રિય છે.

તે આરોગતાં થોડી વારે કલાપીને પેટમાં દુઃખાવો, ઝાડા, અસુખ વગેરે શરૂ થઈ જાય છે. મોડેથી વૈદ્ય પ્રભુલાલ શાસ્ત્રીને બોલાવાય છે. તેઓ વિષૂચિકાનું નિદાન કરે છે. કોલેરા હોય અને શરીરમાં ઝેર પણ ગયું હોય. તેઓ ઘણું ઘી પાઈ શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળે તેવો ઉપચાર શરૂ કરવા માગે છે. રમા તેમને પૂછે છે, ‘જવાબદારી લ્યો છો?’ કોઈ પણ ઉપચારના પરિણામની જવાબદારી કોઈ ડોક્ટર કે વૈદ્ય લે નહિ. પણ રમાનો આ પ્રશ્ન નહોતો. વૈદ્યને અટકાવવાની રીત હતી તેમ મનાયું છે.


ક્રમે ક્રમે કામદાર, તાત્યા સાહેબ, નગરશેઠ, મહાજનો, પરિવારનાં સૌ આવી જાય છે. કલાપીને તબિયતની ગંભીરતાનો ખ્યાલ આવતાં કામદાર પાસે શોભનાની જીવાઈનો ઠરાવ કરાવે છે, તેમાં સહી કરે છે. સાંજ થતાં ડોક્ટર આવે છે. તેમને તાર મળ્યો ત્યારે સવારની ટ્રેઈન નીકળી ગઈ હતી. જેતપુરથી પહોંચતા મોડું થયું. ૯ જૂનના રાત્રે ૧૦-૧૦ કલાકે લાઠીના રાજવી સુરસિંહજીનો આત્મા અનંતની વાટે ચાલી નીકળ્યો. તેમણે પોતાનાં સંતાનો, રાણીઓ વગેરેની ભલામણ પોતાના ઓરમાન નાના ભાઈ વિજયસિંહજીને કરી હતી.

બંને કુંવરો છએક વર્ષની ઉંમરના હતા. તેમનાથી નાનાં કુંવરી રમણિકકુંવરબાનાં લગ્ન પછીથી રાજકોટના ઠાકોર લાખાજીરાજ જોડે થયા હતાં. શોભના ૧૯૪૨ સુધી હયાત હતાં. સુરસિંહજીને ઝેર અપાયું હોય એવી શંકા ઊભી થઈ હતી. રાજકોટ એજન્સીએ તેમને નિર્દોષ ગણ્યા હતાં. કલાપીના ચાહકોએ તેમને ક્યારેય માફ કર્યા નહોતાં. કલાપીના પિતાનું અવસાન પણ ઝેર આપવાથી થયું હતું.


કલાપી જતાં તેમનો બહોળો મિત્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરે ‘કલાપીવિરહ’ નામનું દીર્ઘ સ્મૃતિકાવ્ય લખ્યું. મૂળ પહેરવેશ છોડી પગની પાની સુધી પહોંચતી સફેદ કફની જીવનભર પહેરી. કવિ સંચિતે પછી જીવનભર રંગીન પાઘડી અને રંગીન ખેસ પહેર્યા નહિ. એટલે સુધી કે ગઝલકાર કવિ જગન્નાથ દામોદર ત્રિપાઠી ‘સાગર’ મહારાજે તો કલાપીનાં સદેહે દર્શન પણ કરેલાં નહિ. પરંતુ કલાપીની કવિતાના, પછીનાં વર્ષોમાં, એટલા આશક બન્યા કે અમદાવાદની પોળે પોળે ફરી કલાપીની કવિતાનું ગાન કરતા રહ્યા. તેમને કલાપીની કવિતામાં અભેદમાર્ગનું દર્શન થયું.

જીવનભર સૂફી અલફી ધારણ કરી અને વતન છોડી ચિત્રાલમાં આશ્રમ કરી રહ્યા. ‘કલાપીનો કેકારવ’ની કવિ કાન્ત સંપાદિત આવૃત્તિમાં જે કાવ્યોનો સમાવેશ નહોતો થયો તે સર્વ ઉમેરીને ‘સાગર’ મહારાજે નવી આવૃત્તિનું સંપાદન કર્યું. તે પછી તેનું સંપાદન ડૉ. ઇન્દ્રવદન દવેએ અને છેલ્લે ઝીણવટભર્યા સંશોધન સાથે ડૉ. રમેશ શુક્લે કર્યું. તેમણે કલાપી વિશે આઠ ગ્રંથો આપ્યા અને પત્રોનું પણ સર્વાંગી સંપાદન કર્યું.


કલાપી જેટલા વખણાયા તેટલા વગોવાયા. તેમને વગોવવામાં છેક બ.ક. ઠાકોર જેવા વિદ્વાનો પણ બાકી નહિ. તેમ છતાં કલાપીની લોકપ્રિયતા વધતી જ રહી. કલાપીના અવસાન પછી તેમના વિશે ન લખાયું હોય તેવું કોઈ વર્ષ ખાલી નહિ ગયું હોય. તેમનાં કાવ્યોનાં અનેક સંપાદનો-સંકલનો થયાં, સામયિકોના ખાસ અંકો પ્રગટ થયા. લેખ સંગ્રહો થયા, તેમના સ્મરણમાં સમારંભો થયા. ૧૯૭૪માં તેમનો શતાબ્દી સમારોહ સાહિત્યકારોએ લાઠી આવીને ઉજવ્યો.

અન્યત્ર પણ કાર્યક્રમો થયા. મુંબઈની સિડનહામ કૉલેજમાં કાર્યક્રમ ઉપરાંત ડૉ. ધનવંત શાહે ‘કલાપી દર્શન’ નામનો અભ્યાસલેખોનો ગ્રંથ સંપાદિત કરી પ્રગટ કર્યો. કાન્ત, સાગર, મસ્તકવિ, મૂળચંદ આશારામ શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, નવલરામ ત્રિવેદી, ડૉ. ઇન્દ્રવદન દવે (પીએચ.ડી. મહાનિબંધ), દરબારશ્રી વાજસુરવાળા, ડૉ. રમેશ શુક્લ (પીએચ.ડી. મહાનિબંધ અને અન્ય ગ્રંથો), ડૉ. હેમંત દેસાઈ, ડી.ડી. ધામેલિયા, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેએ તેમના વિશે સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે.


રાજ્યોના વિલીનીકરણ પછી બદલાયેલી પરિસ્થિતિમાં કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્ય રીતે સચવાયાં નહિ. કેટલીક મિલકતો વેચાઈ ગઈ, સામગ્રી રફેદફે થઈ ગઈ, જાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લા કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે સારો એવો પુરુષાર્થ થયો. અમરેલીના જાણીતા કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાનો તેમને પૂરો સાથ મળ્યો.


લાઠીની કાયાપલટ કરવામાં અગ્રેસર મનજીભાઈ આર. ધોળકિયા અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર, અનંતરાય ભાયાણી, ધીરુભાઈ પટેલ, કલાપીના વારસો ઠાકોર કીર્તિકુમારસિંહજી (હાલ રાજકોટ) અને મહેન્દ્રસિંહજી ગોહિલ (હાલ અમરેલી) વગેરેના સહયોગથી ‘કવિ કલાપી તીર્થ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી જેના અઘ્યક્ષ તરીકે ઘનશ્યામસિંહજી રાણા છે. તે સૌએ પંદરેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી કલાપી તીર્થ સંગ્રહાલયની રચના કલાપીના સ્મરણ સાથે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને જાળવવા માટે કરી. તેના ભોંયતળિયામાં કવિ કલાપી, ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીને પ્રદર્શિત કરાયેલ છે.

વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં કલાપી વિશેનાં ચિત્રો-શિલ્પો-ફોટો, કલાપીના હસ્તાક્ષરમાં પત્રો, કાવ્યો, હસ્તપ્રતો, કલાપી વિશેનાં પુસ્તકો, ઓડિયો કેસેટ્સ, સી.ડી. તેમજ કલાપીનાં પ્રાપ્ત થયાં તે તમામ સ્મૃતિચિહ્નો રજૂ કરવામાં આવ્યાં છે. કલાપીતીર્થ ભવનના ઉપરના માળે એક નાનકડું સભાગૃહ પણ બાંધવામાં આવેલ છે. બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી થઈ શકે છે. ભવિષ્યમાં કવિ કલાપી વિશે પ્રકાશ અને ઘ્વનિ શૉ કરવાનું આયોજન છે. સંગ્રહાલયનું લોકાર્પણ ૨૦૦૫માં થયું, ત્યારે કલાપીને કવિઓએ આપેલી અંજલિઓનાં કાવ્યોનું પુસ્તક ‘...ને સાંભરે કલાપી!’ કલાપીનાં સ્મરણો, ફોટો-ચિત્રોનું પુસ્તક, મનસુખ મકવાણાના સંપાદન હેઠળ, ‘કલાપીનગર લાઠી’ અને સંગ્રહાલયની પરિચયપત્રિકા પ્રકાશિત કરાયેલ છે.


આ પહેલાં ૨૦૦૪માં કવિ કલાપીના જીવન-કવનની સર્વાંગ છબી આપતું ડૉ. ધનવંત શાહનું નાટક ‘રાજવી કવિ કલાપી’ પ્રગટ કર્યું. કોઈ કવિતા જીવનપ્રસંગોનું નાટક નહિ પરંતુ જેને ખરેખર જીવનચરિત્રાત્મક નાટક કહી શકાય તેવું આ નાટક છે. લેખકે તે માટે જાતે સંશોધન કરીને અને ડૉ. રમેશ શુક્લ વગેરેના પ્રાપ્ય સંશોધનોનો આશ્રય લઈને કલાપીના જીવન-કવનને સુગ્રથિતતા અને અધિકૃતતા આપવા પ્રયાસ કર્યો છે. આથી નાટકમાં માત્ર પ્રસંગો જ નથી, તેની સાથે સર્જનના અંશોને ગૂંથી લીધા છે. તે એટલે સુધી કે દરેક દ્રશ્યના અંતે કાવ્યો, ગદ્ય રચનાઓ અને પત્રોના સંદર્ભો ઝીણવટપૂર્વક રજૂ કર્યાં છે.

જેને લેખક પ્રેમ, પ્રથા અને વ્યથાની નાટ્યકથા કહે છે તેવી આ રચના ૩ અંકો અને ૩૪ દ્રશ્યોમાં વહેચાયેલી છે. પરિશિષ્ટોમાં લેખકે દસ્તાવેજી સાધનો તરીકે કેટલાક ઠરાવો, પત્રો, સંદર્ભગ્રંથો, વંશવૃક્ષ વગેરે રજૂ કરેલ છે. તેમાં પણ ‘થેન્ક યુ, મિસ્ટર કલાપી’ તેમના સંશોધન અને કલાપી પ્રત્યેના લગાવની કેફિયત રજૂ કરે છે. લેખકે કલાપીના જીવનના મર્મને સ્પર્શીને કહ્યું છે કે તેમના હૃદયનો સંઘર્ષ રાગ અને ત્યાગ વચ્ચેનો નહિ પણ પ્રેમ અને ફરજ વચ્ચેનો હતો. આ નાટક રંગભૂમિ પર પણ સફળ રજૂઆત પામી ચૂક્યું છે. શીલા અને રાજેન્દ્ર બુટાલા દ્વારા મુંબઈ, સુરત, લાઠી, અમદાવાદ, ગાંધીનગર વગેરે સ્થળે તેના વીસેક પ્રયોગો થયેલા છે. જો કે આ પહેલાં ૧૯૯૯માં મિહિર ભુતા લિખિત અને નૌશિલ મહેતા નિર્મિત-દિગ્દર્શિત ‘હૃદય ત્રિપુટી’ નાટક રજૂ થયેલું.


નાટક દ્વારા કલાપીના જીવન-કવનને મળેલ ઉઠાવ તથા તેની આસપાસ ગૂંચવાયેલા પ્રશ્નોના તેમાં આપેલ જણાતા ઉકેલથી આકર્ષાઈને કલાપી આલ્બમનું નિર્માણ થયું છે. નાટ્યલેખક ડૉ. ધનવંત શાહ નાટકના આધારે ફરી લખી આપેલ સ્ક્રિપ્ટને ઘ્યાનમાં રાખીને રાજેશ પટેલે દર્શન ‘વેવ્ઝ એન્ડ વિજન’ના માઘ્યમથી ૪ ઓડિયો સી.ડી.નું આલ્બમ ‘યાદી ભરી ત્યાં આપની’ ૨૦૦૯માં બહાર પાડેલ છે. મેહુલ બુચના દિગ્દર્શન અને સુરેશ જોષીના સંગીત દ્વારા આકાર પામેલ આ ૫૦૦ રૂ.ના સંપુટના માઘ્યમથી કલાપીની નાટ્યઘટના અને કાવ્ય રચનાઓ હવે ઘેર ઘેર ગુંજતાં થયાં છે. કલાપીના પાત્રને પ્રભાવક અવાજ આપનાર ધર્મેન્દ્ર ગોહિલ, ચિત્રા વ્યાસ, નિયતિ દવે, કમલેશ દરૂ વગેરે કલાકારો છે. શુભા જોષી, રેખા ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સંજય ઓમકાર, શ્રદ્ધા શ્રીધરાણી, નેહા મહેતા, સુરેષ જોષી, ઉદય મઝમુદાર, મનહર ઉધાસ વગેરેએ કલાપીની કવિતાની નજાકત મઘુર કંઠે રજૂ કરી છે. જતે દિવસે કલાપી આલ્બમ ગુજરાતી સાહિત્યનું આભુષણ બની રહેશે. 


પ્રજ્ઞા પિક્ચર્સ દ્વારા પ્રબોધ જોશીના લેખન અને મનહર રસ કપુરના દિગ્દર્શન હેઠળ ૧૯૬૬માં રજૂ થયેલ ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ અહીં યાદ કરવું જોઈએ. કલાપીના પાત્રમાં પીઢ અભિનેતા સંજીવકુમાર હતા અને સાથે પદમારાણી, અરુણા ઇરાની વગેરે હતાં. ૪ કલાપીનાં કાવ્યો ગીતો રૂપે રજૂ થયેલાં. બેત્રણ અન્ય હતાં. ગાયક કલાકારો મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, ક્રિષ્ના કલ્લે વગેરેએ કંઠ આપેલો. આ પણ ગુજરાતી ફિલ્મનું નજરાણું ગણાય.


જેમનું જીવિત માત્ર જ એક કાવ્ય ગણાવું, જેમણે ગાઢ પ્રણયમાં પણ ન્યાય અને ફરજ છોડ્યાં નહિ, પ્રજા વત્સલતાથી રાજવહીવટ કર્યો, વેદનામાં ગળાડૂબ છતાં નિષ્ઠા છોડી નહિ, છવ્વીસ વર્ષના મર્યાદિત આયુષ્યમાં ગુજરાતી અંગ્રેજી, સંસ્કૃત ભાષામાં ૫૦૦ જેટલાં પુસ્તકો વાંચીને અભ્યાસનિષ્ઠા બતાવી, ગુજરાતી કવિતા અને ગદ્યને સમૃદ્ધ કર્યાં એવા સજ્જન રાજવી કવિને ગુણવંતી ગુજરાત ક્યારેય ભૂલશે નહિ.

- ગુણવંત છો. શાહ

રે પંખીડાં!

રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,
ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે,

રે રે ત્હોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા!
પા’ણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!

દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
- કલાપી
 
એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,

છૂટ્યો તે ને ચરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં,

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારાજથી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના,

ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા!  મઘુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મઘુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે,

આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને,

રે રે! શ્રદ્ધા ગત જઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
- કલાપી 

રવિવાર, 27 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી? ભાગ - ૨

યાદી ભરી ત્યાં આપની....લેખાંકઃ૨
રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને પણ પદ્યથી નવરાવેલું છે !
એમના પ્રકૃતિ વર્ણનો એટલે કોઈ ચિત્રકારે પીંછીથી દોરેલું ચિત્ર !
ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, જન્મશંકર બુચ ‘‘લલિત’’ જેવા ગુજરાતી સાહિત્યના કલગીરૂપ મુગટો લાઠીમાં કલાપીના મહેમાન તરીકે મહિને બે મહિને જઈને રહેતા
કલાપીના જીવનના ૧૮૯૪ થી ૧૮૯૮ સુધીના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષના હતા અને વ્યથાના દરિયામાં વીતેલા


network.gif ગુજરાતની પ્રજાએ જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી કવિઓને વહાલા ગણીને કંઠે કર્યા છે એમાં નર્મદ, કલાપી અને મેઘાણી મુખ્ય છે. એ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મી તારીખે આવે છે. (જન્મ ૨૬-૧-૧૮૭૪ અને અવસાન ૧૦-૬-૧૯૦૦)એ નિમિત્તે લખાયેલા ત્રણ લેખોમાંનો આ બીજો લેખ છે.

કલાપીએ ગદ્યસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપ્યું છે. કવિત્વમય પ્રકૃતિવર્ણનો, ચિંતન અને સરળ ગદ્યપ્રવાહવાળો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય અને ધાર્મિક દંતકથાઓના આધારે તેમણે લખેલા ચાર સંવાદનો જેમાં જેસલતોરલ, જાલોધંરનાથ, મેનાવતી, ગોપીચંદ વગેરે પાત્રરૂપે આવે છે તે આજે પણ વાંચવા ગમે તેવા છે. ‘નારીહૃદય’ સહિતની તેમની બે અનુવાદિત નવલકથાઓ છે.

‘સ્વીડનબોર્ગના ધર્મવિચારો’ તે તેમનો ચિંતનગ્રંથ છે. આ બધામાં શિરમોરરૂપ તેમના આઠસો જેટલા પત્રો છે જે ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. તેમને પત્રરૂપે લખવાનું એટલું બઘું ગમતું કે સંવાદો સિવાયના તેમના કેટલાક ગદ્યગ્રંથો પત્રરૂપે લખાયા છે. પત્રોમાં તેઓ સાહિત્ય કે અન્ય વિષયની ચર્ચાઓ ધારદારરૂપે કરે છે અથવા પ્રકૃતિનાં દ્રશ્યો ચિત્રકારની પીંછીની જેવી સુરેખતાથી આલેખે છે. અંગત પત્રોમાં તેઓ હળવા વિનોદો કરે છે, લાગણીઓ વહાવે છે અને ક્યારેક તો એક બે લીટીમાં ગદ્યાત્મક ઊર્મિકાવ્ય રચી દે છે.

જેમકે ઃ ‘વ્હાલા ભાઈ, વર્ષાદ થયો - હવે આપ પણ વર્ષો - પધારો. આપનો સુરસિંહ.’ વળી લખે છે ઃ ‘‘આજે કલમ આનંદમાં ઊછળે છે. ઓહોહો ! હવે તો અમારા સદુભા ખચારીિ થયા. વધામણી તો મ્હેં આપી છે. શું આપશો ? હું માગું તે-તેમાં ‘હા’ ના ચાલે નહિ. શું માગીશ ? બસ. રજામાં અહીં આવો. બીજું કાંઈ જ નહિ એ જ હાલ તો. (સદુભા એટલે સહાઘ્યાયી, મિત્ર, અને સંબંધી એવા મહાન ક્રાંતિકાર એટલે લિંબડીના રાજવી સરદારસિંહજી રાણા).


બ્રિટિશ વહીવટના શિરસ્તા પ્રમાણે સુરસિંહજીને એકવીસ વર્ષની વયે રાજ્ય સોંપાયું (૨૧-૧-૧૮૯૫). નાના રાજ્ય લાઠીનાં ગામ ૧૨ પણ તે ઉપરાંતનાં ઘોઘા તાલુકામાં અત્યારે છે તે વાળુકડ, ભીકડા, લાખણકા વગેરે ગામોની જાગીર પણ હતી જે રાજ્ય કરતાં ય વઘુ આવક આપતી. કલાપીએ રાજ્યવહીવટ પણ સક્ષમતાથી અને પ્રજાવત્સલતાથી કર્યો. પોતાના આદર્શ ચિંતનશીલ રાજવીની છબી કલાપીના ‘ગ્રામ્યમાતા’’’ કાવ્યમાં જોઈ શકાશે. વહીવટ માટે ઉપયોગી કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ લાઠીના ન્યાયાધીશ કેશવરામ ફકીરભાઈ પાસે કરતા અને બધા વિભાગોની મુલાકાત લઈ રાજકામ અને ન્યાયમાં ઘણા બધા સુધારા કરેલા. ઓફિસોમાં ઓચિંતા પહોંચી જાય, દવાખાનાં, નિશાળો અને છેક ખેતરોમાં પટેલો પાસે પહોંચી જઈ સૌનાં દુઃખો, અગવડો, અપેક્ષાઓની વાતો સાંભળતા, સૌને સંતોષવા પ્રયાસો કરતાં.


કલાપીના મિત્રો અને સાહિત્યકારોનો દરબાર ઘણો વિશાળ હતો. ‘જટિલ’ ઉપરાંત રૂપશંકર ઓઝા ‘સંચિત’ મિત્ર હતા અને નાયબ કારભારી તરીકે સેવા આપતા. મિત્ર કવિ ત્રિભુુવન પ્રેમશંકર મસ્તકવિ તરીકે ઓળખાતા અને કલાપી સાથે રહેતા. જનમશંકર બુચ ‘લિલત’ પણ લાઠીમાં લાંબો સમય નિવાસ કરતાં. મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને મહિનો બે મહિના લાઠી રાજ્યના મહેમાન તરીકે નિમંત્રતા. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનાં કેટલાંક પ્રકરણો લાઠીમાં લખેલાં. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંતે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે મોટા ભાગના સંબંધીઓ-મિત્રો મોઢું ફેરવી ગયા હતા.

અત્યંત કોમળ હૃદયના લાગણીશીલ કાંત વિષાદમાં હતાં. ત્યારે માત્ર કલાપી તેમની સાથે ઊભા રહ્યા હતા. તાર કરી કાન્તને લાઠી બોલાવી લીધા અને મહિનો રોકયા હતા. મસ્તકવિ કોઈ કારણે નારાજ થઈ લાઠી છોડી ગયા ્યારે મહારાજા ભાવસિંહજીને ભાવનગર કાગળ લખી કવિ માટે ભલામણ કરી હતી જે માન્ય કરી ભાવસિંહજીએ અંત સુધી મસ્તકવિને સેવામાં રાખીને તથા અન્ય ઘણી રીતે સાચવ્યા હતા. હડાળા દરબાર વાજસુરવાળા, બાવાવાળા સરદારસિંહ વગેરે તો કલાપીના અભ્યાસ સમયના સહાઘ્યાયીઓ અને અંતરંગ મિત્રો હતાં.


આ બધાને મળવાનું ન થાય ત્યારે વિગતે પત્રવ્યવહાર ચાલતો અને પોતાનાં કાવ્યોની નકલો સૌને મોકલાતી. અભિપ્રાયો મળતાં કાવ્યોમાં ફેરફાર પણ થતા. મળતી વિગતો પ્રમાણે જટિલે ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય માટે માળખું રચી આપ્યું હતું અને મસ્તકવિએ વઘુ મદદ કરી હતી. રૂપશંકર ઓઝા ‘સંચિતે’ ઘણાં કાવ્યોમાં સુધારાવધારા કરી આપેલા . ડૉ. રમેશભાઈ શુકલે ‘કલાપી અને સંચિત’ નામનો મહાનિબંધ લખી આપી ઘણી વિગતો રજૂ કરી છે. જેમાં તેઓ સંચિત તરફ વઘુ ઢળ્યા હોવાનું પણ કહેવાયું છે. જો કે કલાપી વઘુ જીવ્યા હોત તો સૌમિત્રોનો ઋણસ્વીકાર ખુલ્લા દિલથી કરત. મિત્રો કાવ્યરચનાઓ મઠારી આપે, ઉમેરા કરી આપે તે બિના સાહિત્યજગતમાં નવી નથી.

પરંતુ એ બધી વિગતોને ઘ્યાનમાં લેતાં પણ કલાપીની પ્રતિભા મૂઠી ઊંચેરી હતી તે સૌ સ્વીકારશે. જે સક્ષમ હોય તેની ઉપર જ વઘુ પ્રહારો થતા હોય છે અને તે પ્રહારો સહન કરીને પણ પોતાનું ખમીર અવિચળ દર્શાવી આપે છે. કલાપીએ તો ગુજરાતી સાહિત્ય જગતના ૧૦૦ જેટલાં સાક્ષરોની યાદી કરી હતી અને તેનું સંમેલન લાઠીમાં બોલાવવાની યોજના વિચારી હતી. તેમના અકાળ અવસાનથી તે યોજના પાર ન પડી. પણ તેમના જવા પછીથી પાંચ જ વર્ષમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ગો.મા. ત્રિપાઠીના પ્રમુખસ્થાને આરંભ થયો. જેનું ૧મું સંમેલન ૧૯૩૩-૩૪માં લાઠી, મુકામે યોજાયું હતું.


જેના પ્રત્યે બાળક કે શિષ્યા તરીકેનો વત્સલ ભાવ હતો તે દાસી મોંઘી-શોભના પ્રત્યે કલાપીને પોતાની વીસ વર્ષની ઉંમરે પ્રણયભાવ જન્મ્યો (૧૮૯૪). શોભનાની ઉંમર ત્યારે ૧૨-૧૩ વર્ષ. પટરાણી આનંદીબાને પોતાનાં વસ્ત્રો અલંકારો અને કુટુંબ વ્યવાહરોમાં વઘુ રસ હતો જેમાં સુરસિંહજીનો સહકાર મળી રહેતો. રમાબાને રાજખટપટ, કાવાદાવા અને પોતાનું જ વર્ચસ જળવાઈ રહે તેવી મહત્ત્વાકાંક્ષામાં જ વઘુ ઘ્યાન પડતું. જે અધિકારી કે નોકર પર તેમને વિશ્વાસ ન હોય તેને દૂર કરાવવા કે અંતે પરેશાન કરવા અથવા પોતાના મેળમાં લાવવા તેઓ પ્રયત્ન કરતાં. સુરસિંહજીને રાજસત્તામાં જ રસ ન હતો. એટલે આવી ખટપટો ગમતી નહિ. રાજ્ય છોડી વાચન-લેખન માટે નિવૃત્ત થઈ જવા ઘણીવાર વિચારણા કરેલી. રમાને આ વિચાર પસંદ નહોતો. શોભનાને સુરસિંહજીની સેવામાં રમા જ વઘુ મોકલતાં જેવી તેના નિમિત્તે પતિ પર પોતાનું પ્રભુત્વ વધે.


દેશી રાજાઓ અન્ય જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન વગર સંબંધો રાખે તેવું બહુ ચાલતું. પરંતુ સુરસિંહજીનો શોભના પ્રત્યે વધતો રહેલો પ્રણયભાવ એ ચીલાચાલુ બાબત ન રહ્યો. પોતે કેન્દ્રમાં ન હોય અને અન્ય સ્ત્રી તરફ ભાવ વધે તે રમાને મંજૂર ન હતું. સુરસિંહજીએ તો ‘ચાહું છું’ તો તો ચાહીશ બેયને હું એવો મક્કમ નિર્ધાર કરી શોભના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. પણ તેમનો તો નિશ્ચય હતો કે પોતાના પ્રેમને મોભો આપવા તેઓ શોભના સાથે લગ્ન કરશે. રમા પોતાની જ દાસીને શોક્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. અતિ આગ્રહે સંબંધ રાખવા દેવા પૂરતી સંમતિ આપી જે વાત સુરસિંહજીને માન્ય ન હતી. તેઓ ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય લખવા મહાબળેશ્વર ગયા હતા. એ દિવસોમાં રમાએ શોભનાનાં લગ્ન તેના જ્ઞાતિના એક યુવક ગાંભા સાથે કરાવી દીધાં. કલાપીને તારથી તેની જાણ કરી. તેઓ ક્ષુબ્ધ તો થયા, પણ પ્રેમપાત્ર અન્યત્ર સુખી થાય તો મન વાળી લેવા પ્રયત્નશીલ હતા. પણ શોભનાનો પત્ર આવ્યો કે તેનો પતિ અત્યંત ત્રાસ આપે છે, તે આપઘાત કરે તેમ છે, બચાવવા આજીજી કરે છે.


કલાપીના જીવનનાં ૧૮૯૪ થી ૧૮૯૮ના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષનાં હતાં. કલાપીને પ્રણયમાં બંધન સ્વીકાર્ય ન હતાં. તેમ પ્રેમપાત્ર દુઃખી થાય તે મંજૂર ન હતું. વાજ સુરવાળા, સંચિત વગેરે મિત્રોએ મણિલાલ નભુભાઈ સાથે ચર્ચા કરો. પણ કલાપીએ અન્ન ત્યાગ કર્યો, લાઠી-રાજગાદી છોડી દેવા વિચારણા કરી, હૃદયથી ખૂબ વ્યથિત હતાં. અંતે પતિની હૃદયદ્રાવક સ્થિતિ જોઈ રમાએ કચવાતે મને લગ્ન માટે હા કહી. કલાપીએ શોભનાને બોલાવી લઈ અલગ બંગલામાં રાખી તે પોતાની સાથે લગ્ન માટે ખરેખર સંમત છે કે નહિ તે જાણી લીઘું. અંતે ૧૮૯૮ના સપ્ટેમ્બરમાં પુસ્તકની સાક્ષીએ લગ્ન થયાં. શોભનાને ત્રાસ આપનાર પૂર્વ પતિ ગાંભાના નિભાવખર્ચ માટે કલાપીએ ઉદારદિલે વ્યવસ્થા કરી આપી હતી.


દરમ્યાન કલાપીની એક શંકા મજબૂત બની કે રમાથી થયેલા તેમના કુમાર પ્રતાપસિંહજીના જન્મ સમયે બ્રિટિશ પ્રથા અનુસાર અંગ્રેજ નર્સને હાજર રાખવા રમા સંમત થયાં ન હતાં. આથી તેમને જણાયું કે કુમાર ભલે રાજબીજ હતા પણ પોતાના પુત્ર નહોતાં. આથી તેમને લાગ્યું કે રાજગાદીના ખરા વારસ આનંદીબાના પુત્ર જોરાવરસિંહજી ગણાય. એટલે પોતે પ્રતાપસિંહજીને યુવરાજ ઠરાવી જોરાવરસિંહજીને અન્યાય કર્યો છે. કોઈને પણ અન્યાય થાય તે કલાપીને માન્ય ન હતું. આથી અંગ્રેજ એજંસીને લખીને તથા પોલિટિકલ એજંટને રૂબરૂ મળીને તેઓ જણાવવા માગતા હતા કે તેઓ લાઠી રાજ્ય સંભાળી લે અથવા સાચા વારસ જોરાવરસિંહજીને યુવરાજ જાહેર કરે.


શોભના સાથે લગ્ન થતાં કલાપી સંતોષ અને આનંદ સાથે રહેતા હતા. આગળના વિરહના સમયમાં વેદનાભર્યા કાવ્યો લખાયાં. હવે સંતોષ સાથે પ્રભુપરાયણતાનો ભાવ ઉપસ્યો. ઃ ‘‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’’ એ વિચાર ધૂંટાતો રહ્યો. રમાની ખટપટથી કંટાળીે સંચિત લાઠી છોડી ગયા, કારમા દુષ્કાળનું વરસ હતું, મનમાં શંકાઓ ઘોળાતી હતી. તેમ છતાં સ્વસ્થ રહીને રાજકાજમાં ઘ્યાન આપતા હતા, કવિતાઓ લખાતી હતી. તે સાથે ગાદીત્યાગનું આયોજન અંતિમ સ્તરે પહોંચી ચૂક્યું હતું.

ગુરુવાર, 24 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી?

મારા પ્રિય લેખક ગુણવંત છો. શાહ નો કલાપી વિષે ૩ ભાગમાં બહુ સરસ લેખ તબક્કા વાર મુકું છું.

ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

network-27.JPG કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે.

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘...ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.


ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.


સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.


લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.


તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)


આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.


આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.


પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય.

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.


સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.

સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.


સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.

તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.


છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.
 
જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
- ગુણવંત છો. શાહ

આપની યાદી

જ્યાં જ્યાં નઝર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને!

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્શાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બઘું.

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

- કલાપી

શનિવાર, 19 માર્ચ, 2011

રાજેન્દ્ર શુક્લ

પરિચય:રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.

તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. 

 

પોત અલગ છે!

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

- રાજેન્દ્ર શુક્લ

 
તું ય છે સાવ સમીપે,
મંજુ મંજુ પદરવ છલકે છે

મસ્ત મળ્યાં તો મસ્તી જ મસ્તી,
રોમ રોમ આસવ છલકે છે

તારું ય એશ્વર્ય અનેરું,
મારો ય વૈભવ છલકે છે.

લંબાયેલો હાથ ગ્રહી લે,
ચાલ  બતાવું,  ભવ છલકે છે. 
 
 - રાજેન્દ્ર શુક્લ

મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.