રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

સફળતા ન મળે સરળતાથી

નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના કંઈક શીખીને પાછા સજ્જ થાય એના જ સફળતા કદમ ચૂમે

આમિર ખાનની ફિલ્મ ‘ ૩ ઈડિયટ્સ’ પહેલી એવી ફિલ્મ છે જે નિષ્ફળતાને સેલિબ્રેટ કરે છે. ‘ઓલ ઈઝ વેલ’ વાળો રણછોડદાસ ચાંચડ પારંપારિક રીતે નિષ્ફળ છે. એ કોઈ રેસમાં નથી, સ્પર્ધામાં નથી, ગેમમાં નથી. એ બધા છે તેનાથી પાછળ સાવ છેલ્લે છે. હકીકતમાં જગત એને જ્યાં નિષ્ફળ ગણે છે એમાંથી જ એ પોતાની સફળતા સિદ્ધ કરે છે.

અભિનેતા અનુપમ ખેર શિમલાના મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન હતા. એમના પિતા સરકારી મુલાજીમ હતા અને પગાર વધે કે બઢતી મળે ત્યારે ઘરમાં મિજબાની થતી. અનુપમને એક કિસ્સો યાદ છે. એ કહે છે, ‘એક દિવસ પિતાજી મને ફાઈવસ્ટાર હોટેલમાં લઈ ગયા. મને એમ કે પ્રમોશન મળ્યું હશે. અમે ખાધું-પીધું પછી મેં પિતાજીને પાર્ટીનું કારણ પૂછયું. પિતાજીએ જે કહ્યું એ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો પાઠ હતો અને એના આધારે જ હું જિંદગી તરી ગયો. પિતાએ કહ્યું ‘બેટા, હું તારું દસમાનું રિઝલ્ટ જોઈને આવ્યો છું. તું નાપાસ થયો છે પણ તને નિષ્ફળતાની બીક ન લાગે એટલે આપણે આજે એ નિષ્ફળતાનું સેલિબ્રેશન કરીએ છીએ.’ ૧૯૮૨થી ફિલ્મ કારકિર્દી કરનાર આ જ અનુપમના એકપાત્રી નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ના ગયા ડિસેમ્બરમાં ૨૦૦ શો પૂરા થયા છે અને એ નાટકમાં નિષ્ફળતાના સેલિબ્રેશનની વાત છે.

સવાલ એ છે કે આપણને સફળ થવા માટે તો આખી દુનિયા ઉકસાવે છે, પણ નિષ્ફળતા આવે તો શું? આજના આ તેજ રફતારવાળા સમયમાં, ભયાનક સ્પર્ધાવાળા વાતાવરણમાં નિષ્ફળ જવું એટલે જીવન સમાપ્ત, એવું આપણને ઠસાવી દીધું છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થી પંખે લટકી જાય છે, પ્રેમભંગમાં પ્રેમી વાશી બ્રિજ પરથી કૂદી જાય છે, લગ્નમાં કંકાશ વધી ગયો છે? પતિ-બોટલ સાથે દોસ્તી કરી લે છે. નોકરીમાં ટ્રેસ આવે છે અને એક્ઝિક્યુટિવ ડ્રગ્ઝનો ડોઝ લઈ લે છે અથવા કોલગર્લનું પડખું સેવી લે છે. આ બધાને એવું લાગે છે કે દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે અને આપણે નમાલા, નકામા પાછળ રહી ગયા છીએ.

હકીકત જુદી છે. દુનિયા નિષ્ફળ લોકોથી ભરેલી છે. દરેક શહેરમાં, દરેક મહોલ્લામાં કેટલાય અનુપમ ખેર છુપાયેલા છે. નિષ્ફળતા અનિવાર્ય જ નહીં, નિયમ પણ છે. આજે પણ જેની ધજા ફરકે છે તે યશરાજ બેનરના યશ ચોપરા કહે છે કે, ‘મને સફળતા કરતાં નિષ્ફળતામાંથી ખૂબ શીખવા મળ્યું છે. અનુપમ કે ચોપરા નસીબવાળા હતા કે નિષ્ફળતા પચાવી શક્યા અને આગળ વધી ગયા. પણ એવા લાખો લોકો છે જેમને ખબર જ નથી કે નિષ્ફળતા આવે તો શું કરવું? કોઈ પણ ઘોડો (અથવા ગધેડો, એઝ ધ કેસ મે બી) રેસમાં પ્રથમ આવી શકે છે, પણ એક અચ્છો નિષ્ફળ અથવા લૂઝર એ છે જે પડીને ફરી ઊભો થાય છે.

તમે આજના અનિલ અંબાણીથી અમિતાભ બચ્ચન કે સોનિયા ગાંધીથી સાનિયા મિર્ઝાને પૂછશો તો એ કહેશે કે અમને ખરું ગણતર તો નિષ્ફળતામાંથી મળ્યું છે. આજે સફળતાના પાઠ ભણાવનારા તો ઘણા છે, પણ કમી એવા શિક્ષકો કે વાલીઓની છે જે નિષ્ફળતામાંથી કેવી રીતે ઊભા થવું, કેવી રીતે જાતને સમેટવી અને ફરીથી નિશાન કેવી રીતે તાકવું એ શીખવાડે. તમારી આજુબાજુ કેટલાય ચાવાળા, પાનવાળા હશે જે ૩૦-૪૦ વર્ષથી એ જ કામ કરે છે અને એમને હજુય હોંશ છે કે એક દિવસ તેઓ ‘મોટા’ માણસ બનશે! એવા ઘણાય યુવાનો છે જે નસીબ અજમાવવા એક ઓફિસથી બીજી ઓફિસ, એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી આંટાફેરા મારતા રહે છે. પોલીસ એમને તંગ કરે છે. હોટેલવાળો ઉધારી માગે છે. મકાન માલિક રૂમ ખાલી કરવાનું કહે છે, પાડોશીઓ હલકી કક્ષાની ગોસિપ કરે છે અને છતાંય એ લોકો હિંમત હાર્યા વગર પ્રયત્ન નામની જાદુઈ ચક્કી પીસતા રહે છે.

આવા લોકો રોજ રાત્રે નિષ્ફળ બનીને આવે છે અને સવારે ફરીથી નિશાન તાકે છે. બંધાતા મકાનનો મજદૂર હોય, ખેતી કરતો ખેડૂત હોય, કપડાંની ફેક્ટરીનો કારીગર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, બેંક કર્મચારી હોય, શેરબ્રોકર હોય કે પછી કલાકાર હોય, કરોળિયાની જેમ એ રોજ ઝાળું ગૂંથે છે અને રોજ એ હવાના ધક્કાથી તૂટી જાય છે. અશ્વેત બરાક ઓબામા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાં એમનાં ભાષણોમાં લગાતાર કહેતા હતા ‘દુનિયા પર તમારી છાપ છોડી જવી એ અઘરી બાબત છે. એ જો સરળ હોત તો બધાએ એ કર્યું હોત. પણ એવું નથી. એના માટે પ્રતિબદ્ધતા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવાની તાકાત જોઈએ. ખરી પરીક્ષા એ નથી કે તમે નિષ્ફળતાથી કેવી રીતે બચી શકો. ના, એ શક્ય નથી. પરીક્ષા એ છે કે નિષ્ફળતાથી તમે નાસીપાસ થઈ જાઓ છો કે પછી એમાંથી કંઈક શીખીને પાછા સજ્જ થાઓ છો.’

રણછોડદાસ ચાંચડ ઘોડાઓની રેસમાં નથી, કારણ કે એને નંબર-ગેમ અથવા રેસમાં રસ નથી. એ પરિણામની ચિંતા વગર પ્રેમથી, મહોબ્બતથી, ખંતથી મહેનતનો આનંદ લે છે. એટલે જ એ હસી શકે છે જ્યારે પેલો ‘ચતુર’ હંમેશાં સિરિયસ જ હોય છે. રાંચોને ખબર છે કે નંબર આવશે તો પણ રેસનો તો કોઈ અંત જ નથી. જાવેદ અખ્તર લખે છે તેમઃ

હર કિસી કા ખુશી રો ફાસલા બસ એક કદમ હૈ,

હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ! 
 

ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)2/12/2011 મુંબઈ સમાચાર




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો