સોમવાર, 2 જાન્યુઆરી, 2012

‘સાથીયા’નો સંદેશોઃ લવસ્ટોરીમાં લગ્નનું પ્રકરણ છેલ્લું કે પહેલું?




                                                                                                                                                                           પ્રેમકથાઓ લખાય છે. ખૂબ વંચાય છે. રોમેન્ટિક ફિલ્મો બને છે. એ પણ ખૂબ જોવાય છે. પ્રેમની કહાણીઓ પરીકથા જેવી હોય છે. લવસ્ટોરી કિતાબમાં હોય કે કેમેરામાં- એ જો સુખાંત હોય તો એનો અંત બે પ્રેમી પંખીડાઓના લગ્ન સાથે આવે છે. શરણાઈઓ ટહૂકે છે, ઢોલ ઢબૂકે છે. મિયાં-બીબી જગતકાજીઓને રાજી કરી હાથમાં હાથ નાખીને ફેમિલી ફોટોમાં મહેકે છે. જો એન્ડ સેડ હોય તો વિરહની વેદનામાં કે મિલનના મૃગજળ પાછળ બે પ્રેમીજનો જીવવા-મરવાના ઝાઝેરા જુહાર કરી, લગ્નને ભૂલી મોતમાં મગ્ન થઈ જાય છે.
            ઈન એની કેસ, મોટા ભાગના પ્રેમસંબંધનું અંતિમ લક્ષ્ય છેઃ લગ્ન! જો પ્રેમમાં પડયા પછી લગ્ન થઈ ગયા તો સારુ. ન થયા તો ખરાબ. જો લગ્ન થઈ જાય તો મિલ્સ એન્ડ બૂનની પ્રેમકથાઓની સ્ટાઈલમાં ‘એન્ડ ધે લિવ હેપીલી એવર આફટર…’ લખાઈ જાય છે. પછી સમાજને એ પ્રેમી યુગલમાંથી રસ ઓછો થઈ જાય છે. લગ્ન ન થાય તો ‘અફસાના’ને મંઝિલ ન મળી એવું માની કોઈ નિરાશ પ્રેમી હાર્ટના થાઉઝન્ડ થાઉઝન્ડ પીસીઝ કલેકટ કરતો કરૂણ ગીતો ગાય છે. કોઈ વળી દિલ તૂટયાના બદલામાં રૌદ્રરસમાં આવી, હાથમાં છરી લઈ બેવફા કે મજબૂર પ્રિયજનનું સાચ્ચેસાચું દિલ જ કસાઈની ક્રૂરતાથી ચીરી કાઢે છે.
પ્રેમમાં સાથે મરી જવું કે મારી નાખવું બહુ સહેલું છે. અઘરું છે સાથે જીવવાનું.
       કદી વિચાર્યું છે કે ‘ખાઘું, પીઘું અને રાજ કર્યું’ વાળા વાસ્તવિક કે કાલ્પનિક કિસ્સાઓમાં ખાધા, પીધા અને રાજ (કે તારાજ!) કર્યા પછી શું થતું હશે? હીર-રાંઝાએ જીવતા રહીને લગ્ન કર્યા હોત, તો હીર દળણું લઈને ચક્કીએ જતી હોત? રાંઝા ત્રણ દિવસે આવતા નળમાંથી પાણીની ડોલ ભરતો હોત? રોમિયો- જુલિયેટની આડે વડિલો ન આવ્યા હોત, તો જુલિયેટ ટયુશન કરતી હશે? રોમિયો કાળા ચામડાની બેગ લઈને સેલ્સમેનશિપ કરવા નગરી નગરી દ્વારે દ્વારે બસયાત્રા કરતો હશે? શીરીં- ફરહાદનો સંસાર વસ્યો હોત, તો શીરીં ઈડલીનો આથો નાખતી હશે? ફરહાદ ટેલિફોનનું બિલ ભરવા લાઈનમાં ઉભો હશે? લૈલા-મજનૂ જન્નતને બદલે આ જહાનમાં જ સાથે જીવ્યા હોત તો લૈલાએ કછાટો વાળીને સાવરણીથી કરોળિયાના જાળા પાડયા હોત? મજનૂ શિક્ષકની નોકરી કરવા માટે ટ્રસ્ટીઓને લાંચ આપવા લાગવગની ચિઠ્ઠી લઈને ફરતો હોત?
             આવા વિચારો કદાચ ભારતભરના સર્વશ્રેષ્ઠ ફિલ્મસર્જક મણિરત્નમને આવ્યા, અને એમણે ટેલેન્ટડ એકટર માધવનને લઈને એક તામિલ ફિલ્મ બનાવી કાઢી. નામઃ ‘અલાઈ પાયુથે.’ આ સુપરહિટ ફિલ્મને હિન્દીમાં ઉતારવા માટે મણિભાઈએ પોતાના પટ્ટશિષ્ય એવા નવજુવાન શાદ અલીને છૂટ્ટો દોર આપ્યો. આ લખનાર કરતાંય નાના એવા ૨૬ વર્ષના દૂધમલિયા જવાન શાદ અલીએ પ્રેમકથાઓના પિતામહ યશ ચોપરા પાસે ફાઈનાન્સ માંગ્યું. અને સ્કૂલટાઈમ ફ્રેન્ડસ વિવેક ઓબેરોય તથા રાણી મુખરજીને લઈને શરૂ કરી ફિલ્મ સાથિયા.
              ખુદ મણિરત્નમની જ ઓરિજીનલ કથા અને નવોદિત લેખક માટે ટેકસ્ટબૂક ગણાય એવી અફલાતૂન પટકથા તૈયાર હતી. એને નવા રંગરોગાન પણ વળી ગુલઝાર જેવા જીનિયસે કર્યા છે! એમાં રહેમાનનું સંગીત ભળ્યું છે. સડકછાપ ‘કાંટે’ કરતા એ એટલે જ સારી છે. ‘દિલસે’માં મણિભાઈના ચીફ આસિસ્ટન્ટ રહી ચૂકેલા શાદકુમારે ગુરૂજીની ક્રાફ્‌ટ ફ્રેમ ટુ ફ્રેમ અપનાવી જાણી છે.
કમ બેક ટુ સાથીયા ટ્રેક. તો વાત એ , ચાલતી હતી કે લગ્ન યુવક-યુવતીની પ્રેમકહાણીનું અંતિમ પગથિયું છે? ટોચનું શિખર છે? કે પછી લગ્નથી આખી વાતના અંતને બદલે નવી કથાની શરૂઆત થાય છે? એક નવી પર્વતમાળાનું આરોહણ થાય છે? અગાઉ બાસુ ચેટરજી કે જે ઓમપ્રકાશ જેવા નિર્દેશકોએ આ સવાલો ઉઠાવતી ફિલ્મો બનાવી છે. આ સાથીયાની વાત જ ઓર છે.
              કારણ કે, સાથીયાની રજૂઆત ઘરેડ બહારની છે. તરોતાજા છે. એમાં આજના મઘ્યમવર્ગીય કપલની જીંદગી પર ફોકસ છે. બોલકા સંવાદોને બદલે એમાં દરેક દ્રશ્ય બોલે છે! કશી ભાષણબાજી વિના હળવેથી કશું કહ્યા વગર જ બઘું કહી દેવાયું છે. માટે જ સીધા ઉપદેશથી ટેવાયેલા ઓડિયન્સને આ ધીમી ગતિનું ઝીણવટભર્યુ નકશીકામ હજમ થતું નથી!
એવી શું વાત છે ફિલ્મમાં? કશું નવું નથી. એ જ કે જે રોજ આજુબાજુ બને છે. અપર મિડલ ક્લાસનો યુવક લોઅર મિડલ ક્લાસની કોલેજીયન યુવતીને મળે છે. સાહજીક આકર્ષણ પ્રેમમાં પલટાય છે. જાતભાતના આકાશી વાયદાઓ અને કસમોનો દૌર ચાલે છે. અંતે યુવતીને પણ પોતાનું ખેંચાણ સમજાતા પ્રેમની કબૂલાત થાય છે. વઘુ પડતા તર્કથી એ પ્રેમને મૂલવવા બેસે ત્યારે મોટી બહેન સિમ્પલ સોલ્યુશન આપે છેઃ ‘પસંદ છે? જો હા, તો ઝાઝું વિચાર નહિ. પરણી જા. પ્રેમ હશે તો પ્રોબ્લેમ્સ આવશે, ત્યારે ઉકલશે. પ્રેમ નહિ હોય તો નહિ હોય ત્યાંથી પ્રોબ્લેમ્સ ઉભા થશે!’
              મા-બાપનો વિરોધ છે. ભાગીને- છૂપાઈને લગ્ન થાય છે. હવે જવાબદારીમાંથી છટકવાનું શક્ય નથી. આ કંઈ એકતા કપૂરની ટી.વી. સિરિયલ્સ નથી કે લગ્ન થાય એટલે બાવીસ વારની રેશમી સાડી અને બે કિલોના ઘરેણા ઠઠારી મહેલોમાં મહાલવાનું હોય! આ તો જીંદગી છે. એમાં નાનકડું ભાડાનું મકાન અને તાણીતૂસીને વસાવેલી ઘરવખરી છે. જીવવા માટે રૂપિયા કમાવા પડે છે. રૂપિયા કમાવા માટે કામ કરવું પડે છે. એકબીજાની દરકાર લેતા લેતા પોતાનો સંઘર્ષ કરવો પડે છે.
લાઈફ ઈઝ નોટ ઈઝી. જીવન જરાય સરળ નથી. જીવનમાં કશું કાયમી નથી. પ્રેમ પણ નહિ. જે અનુભવો મળે, એ કુદરતી લાગણીઓનું ઘડતર કરે છે. આ લાગણીઓની આધારે દોરવાઇને એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે કે, જેનાથી જીંદગીની દિશા બદલાઇ જતી હોય!
              આજકાલ સેલિબ્રિટી કપલ્સના છૂટાછેડાની વાતો વાંચીને જાત જાતના તારણો નીકળવા લાગ્યા છે. કોણ જાણે કેમ – ઉપરથી પવિત્ર દેખાવાનો દાવો કરનાર ભારતીય સમાજ અંદરથી એટલો વાસનામય છે કે કોઇ કહે કે ન કહે એ પહેલા જ દરેક છૂટાછેડા પાછળ જવાબદાર સ્ત્રી કે પુરૂષના ‘આડા સંબંધો’ને અપરાધીના પાંજરામાં ઉભી કરી દેવાય છે. ડાઇવોર્સ લેવાય ત્યારે (ગેર) જવાબદાર એવી સ્ત્રી કે પુરૂષનું લફરૂં હોય જ, અને એ જ કારણભૂત હોય – એમ સ્વીકારીને જ ડાઈવોર્સ પર ટીકા ટિપ્પણ થાય છે! કોઇ આ સિવાયના પાસા પર વિચારવા કે એ સ્વીકારવા તૈયાર નથી થતું. રમૂજમાં કહેવાય છેઃ ‘છૂટાછેડા પાછળનું સૌથી મહત્વનું કારણ છે લગ્ન!’ અહીં સચ્ચાઇ પણ છે. આડા ઉભા સીધાત્રાંસા સંબંધો સિવાય પણ સહજીવન ખુદ જયારે કાયમી બને ત્યારે અવનવી સમસ્યા ઉભી કરે છે.
           આવું એરેન્જડ મેરેજમાં પણ થાય છે. પણ લવ મેરેજમાં એની તીવ્રતા વઘુ હોય છે. મા – બાપે ગોઠવેલા લગ્નોમાં સમાજની સાક્ષી અને મંજૂરીનો છૂપો ભાર દંપતીને પરાણે પણ સમાધાન તરફ ખેંચે છે. પ્રેમલગ્નો તો સમાજ – કુટુંબ સામે ક્રાંતિ કરીને થયા હોઇ, બન્ને પાત્રો રંગમંચ પર મોટેભાગે એકલા રહી જાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે પોતપોતાને ઘેરથી સજીધજીને પાર્કમાં કે થિયેટરમાં મળવાનું હોય છે. ખોળામાં માથું અને વાળમાં આંગળીઓ પરોવી સપના જોવાના હોય છે.
લગ્ન પછી ‘પેકેજીંગ’ નીકળી જાય ! હવે ન્હાયા, તૈયાર થયા વિનાનું પ્રિયજનનું બદન પણ સામે આવે છે. પહેલા પણ ગુસ્સો આવતો, પીડા થતી. એ ખાનગીમાં થતી. એકલા થતી. ઘરની વાતો ઘેર દાટીને પલાયન કરવા પ્રિયજનો સાથે પ્રેમાલાપ કે ‘ફોનાલાપ’ કે ‘ચેટાલાપ’ હતો. જાણે બધા દુઃખોનું સોલ્યુશન પ્રેમી સાથે જીવવામાં હોય એમ ‘ચલો ઇસ દુનિયા સે દૂર આપના ઘર બસાયે’નું ખ્વાબ આવતું.
              મૃત્યુ સિવાય આ દુનિયાથી દૂર કોઇ સ્વર્ગીય ટાપુ નથી. જે છે એ આ જીંદગી છે. લગ્ન પછી તમારી અંગત નબળાઇઓ પણ તમારા લાઇફ પાર્ટનર સાથે શેર કરવી પડે છે. એન્ડ વાઇસે વર્સા. અત્યાર સુધી કેવળ પ્લસ પેઇન્ટસ જ હાઇલાઇટ થયા હતા. હવે માઇનસ પોઇન્ટસ ઉજાગર થવા લાગે છે. એ અણધાર્યુ છે. અપેક્ષાભંગ કરનારૂં છે. ઐશ્વર્યા રાયની બ્યુટી પત્ની તરીકે મળી હોય, તો ઐશ્ચર્યા પણ ઉલિયું કરવાની છે. સવારે એના મોઢામાં પણ થૂંક ઉભરાઇ શકે છે. હ્રીતિક રોશનની પર્સનાલિટી પતિ તરીકે મળી હોય, તો હ્રીતિકને પણ ગંધાતી ઉલટી થઇ જાય છે. એને પણ પેટમાં ગેસ થતાં વાછૂટ થાય છે. ધેટસ રિયાલિટી!
બ્યુટી અને પર્સનાલિટી ખૂબ ખૂબ ગમતી વાત છે. અને એને ઘણું ઘણું મહત્વ અપાવું જ જોઇએ. પણ ૨૪ કલાકો અને ૩૬૫ દિવસો કાઢવા માટે આટલું જ પૂરતું નથી. સતત સહવાસ અને સારા – નરસા પાસાના પરિચય પછી પતિ – પત્ની હંમેશા મિત્રો – સંબંધીઓ – ઓફિસથી ભાગી શકે છે, પણ એકબીજાથી નહિ! સેકસલાઇફ પણ રૂટિન બને છે. બન્નેને એકબીજાની આદત પડતી જાય છે બંને એકબીજાને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેતા જાય છે.
             ભારે નજાકતથી સાથીયામાં આ પાસું ઉઘાડાયું છે. અગાઉ પ્રેયસીનો ચહેરો જોઈને એનો મૂડ પારખનાર પતિ હવે ઘેર આવીને પત્નીનો દિવસ કેવો ગયો હશે, એનો અંદાજ પણ લગાવી શકતો નથી! કલાકો સુધી પ્રેમીની રાહ જોનારી અભિસારિકા પત્ની થયા બાદ દસ મિનિટ મોડું થતા અકળાઈ ઉઠે છે.
આકાશના તારાઓ તોડવાની વાયદાઓથી રસ્તામાં કાંટાઓ પણ વીણાતા નથી! ખબર પણ ન પડે એમ અંતર વધતું જાય છે. એમાંય આર્થિક – કૌટુંબિક ટેન્શન હોય તો પછી નિદાફાઝલી કહે છે તેમ :

કચ્ચે બખિયે કી તરહ રિશ્તે ઉઘડ જાતે હૈ
લોગ મિલતે હૈ મગર મિલ કે બિછડ જાતે હૈ
યૂં હુઆ, દૂરિયાં કમ કરને ગે થે દોનોં
મગર રોજ ચલને સે ભી તો રસ્તે ઉખડ જાતે હૈ
છાંવ મેં રખ કે હી પૂજા કરો યહ મોમ કે બૂત
ઘૂપમેં અચ્છે ભલે નકશે બિગડ જાતે હૈ!

           સંજોગોની ગરમીમાં રૂપાળી રંગીન મીણબત્તીઓ ઓગળવા લાગે છે. પછી હળવી મજાકમાંથી હળવી નફરત આવે છે. ઈર્ષા અને સંદેહનો દૌર ચાલુ થાય છે. એકબીજાને સમજવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાની જીદ આવે છે. અને પોતાના જીવનની દરેક બાબત માટે અંતે જીવનસાથી એકબીજાને દોષ દેવા લાગે છે. વાંક કાઢે છે.
            સાથીયાના યુવાસાથીઓ સાથે આમ જ બને છે. પણ હજુ સાવ ભંગાણના મુદો આવે એ પહેલા એક ઘટના બને છે. એક સાથી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાય, ત્યારે બીજા તડપે એ કલાઈમેકસ ઘણાને ચવાયેલો લાગશે. કેટલાક પિત્તળભેજાઓને એમાં શાહરૂખ – તબૂની હાજરીનું રહસ્ય પણ નહિ સમજાય! પણ લેખક – દિગ્દર્શક ભારે અસરકારકતાથી સામાન્ય દ્રશ્યોમાં અસામાન્ય સલાહ આપી દે છે.
નાયિકા રાણીને તબૂથી એકિસડન્ટ થાય છે, ત્યારે તબૂનો પતિ શાહરૂખ ગભરાયેલ પત્નીને આશ્વાસન આપે છે. એની પડખે ઉભો રહે છે. એણે કરેલા એકિસડેન્ટનું આળ પોતાના માથે લઈને રાણીની સારવારની તજવીજ કરે છે. ત્રસ્ત પતિ વિવેકને રાણી ગુમાવ્યા બાદ મૂઈ ભેંસના મોટા ડોળાની જેમ એનો ખાલીપો વર્તાય છે. બંનેને પોતાનો હરખ વહેંચવા માટે એક સાથીની અઘૂરપ હતી, માટે તો રાણી – વિવેક એકબીજાને મળવા ખુશ થઈ ભાન ભૂલી દોડયા હતાં.
          આપણું સ્વજન મરણપથારીએ પડે પછી જ અચાનક આપણને આંચકો લાગે કે, ‘આહાહા, આ વ્યકિતને તો હું કદી ગણકારતો જ નહિ, પણ આ વ્યકિતએ તો મારા માટે કેવું અણમોલ કામ કરેલું!’ અને ઉપેક્ષાની રાખ નીચે, કારકિર્દીની ભૂખ નીચે, આકાંક્ષાઓની પાંખ નીચે ઢબૂરાયેલો પ્રેમનો તણખો પ્રજ્જવલિત થઈ તમને ખુદને ઓળખવા માટેની રોશની આપે છે.
‘સાથીયા’માં કોઈ સંવાદો માત્ર શાહરૂખને ઉકળાટ વિના પત્નીની કાળજીભરી સંભાળ લેતો જોઈને વિવેકને ‘લગ્નપ્રેમ’નું ઝળહળતું સત્ય સાંપડે છે : ‘‘એકબીજાને દોષ દેવા નહિ, પણ એકબીજાની ભૂલો કે દોષ પણ પોતાના માથે ઓઢી લેવા એનું નામ સહજીવન છે! – સામાનો દોષ દલીલોથી સાચો સાબિત કરવાને બદલે, સહજતાથી એને સ્વીકારવા – માફ કરવા અને જરૂર પડે વિના પ્રયત્ને એ પોતાના પર લઈ લેવાની જે તીવ્ર સંવેદના છે – એનું નામ પ્રેમ છે.’’
             માટે જ પ્રિય વાચકો, ‘સાથીયા’ એક યાત્રા છે. આકર્ષણથી પરિપકવતા સુધીની કુદરતી વિકાસની માનવયાત્રા ! જેમા યુગલ વિચારે છે કે આપણે પ્રેમમાં છીએ’ વાળા પ્રારંભિક તબક્કાથી શરૂ કરી, ‘યુગલ શોધી કાઢે છે કે પ્રેમનો સાચો મતલબ શું છે’ વાળુ ગિરિશિખર આવે છે. જીવન ‘અનપ્રેડિકટેબલ’ છે, અને લગ્ન પણ એમાં છાપરે ચડીને કશાની ઘોષણા ન થાય છાતી ઠોકીને કશી આગાહી ન થાય.
આવો લેખ લખ્યા કે ફિલ્મ બનાવ્યા પછી પણ લગ્ન અને જીવનના એકસપર્ટ થઈ ગયા છીએ, એવા ભ્રમમાં ન રહેવાય….! પણ એટલુ જરૂર યાદ રખાય કે નર – નારીના યુગ્મને કોણ એકબીજા સાથે જોડી રાખે છે? ઘેરથી ભાગવાનો રોમાંચ ? કાયદો ? ધાર્મિક રીતરિવાજ ? સંસ્કાર ? લગ્નનો દસ્તાવેજ ? કાર્ડસ ? ગિફટસ ? ફૂલોના બૂકે?
જવાબ છે : પ્રેમ!

ફાસ્ટ ફોરવર્ડ
લગ્ન કરવાના ઉદેશ માટે સુંદર શરીર જોઈએ, અને ટકાવવાના આદેશ માટે સુંદર મન!

  - જય વસાવડા (સ્પેકટ્રોમીટર  5/1/2003)

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

જીવન એ ઈશ્વરનું ઉપનામ છે..

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક,
રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર.

દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માંય છે ઈશ્વર.

કે’છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર.

થોડા જગતનાં આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર ?

એનામાં હુંય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

- સૌમ્ય જોશી

          દુઃખમાં જ ઈશ્વરને યાદ કરવાની આપણે ત્યાં પરંપરા છે. દુઃખની ઠોકર વાગે ત્યારે અકસ્માતથી યાદ આવે છે ઈશ્વર. ઈશ્વરને કારણ વગર યાદ કરવાનું ક્યારેય બન્યું છે ખરું ? એવું બનશે ત્યારે ઈશ્વર અકસ્માતે યાદ નહીં આવે અને જીવન અસ્કયામત બની જશે.
જ્યાં મન થાકી જાય, હાથ હેઠા મૂકાઈ જાય અને છેલ્લા શ્વાસે નવું જીવન મળી જાય ત્યારે ઈશ્વર કોશિશ પછીની સાજીશમાં જીવતો હોય છે. બધી જ બારીઓ બંધ થયા પછી એક બારણું ખૂલે છે. માત્ર ધીરજ એના પગથિયાનો શણગાર છે.
          મંદિર ઘરની નજીક હોય એવું બને ! અને મંદિરમાં ઈશ્વર હોય જ એવું ન પણ બને ! આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે બાધા-આખડીની ધરપત આપીને ફોસલાવીએ છીએ. ક્યારેક મંદિર તરફ જતી વખતે અમથું અમથું વહાલ કરવાનું મન થાય એવી વનસ્પતિથી લઇને વ્યક્તિઓ સુધીમાં મળી જાય છે ઈશ્વર. પછી મંદિરે જવું એ વિધી થઇ જાય છે અને મંદિર જેવી અવસ્થાને મળ્યાનો આનંદ ઈશ્વર સુધિ પહોંચતો હોય છે.
           ઈશ્વર એનું ધાર્યું કરે છે અને આપણી પીડા એને વધારે પડતી છાવરે છે. દૂરની વસ્તીમાં ભૂખ્યા ભુલકાંને જોઈને એને કશું જ નથી થતું ? ઈશ્વરને દૂરના ચશ્માં હોય એવું લાગે છે. નજીક છે એ કેટલાં દૂર છે એની એને ખબર છે. પણ જેને ઈશ્વરે જ વ્યસ્ત રાખ્યાં છે એ એનાથી દૂર કઇ રીતે હોઇ શકે ?
હાજરાહજૂર માણસોને ભૂલી જઈને ચકાંચૌધ કરી નાંખનારાં મંદિરોને આપણે પૂજીએ છીએ. મંદિરોમાં પણ ભગવાનના પ્રચારના બોર્ડ હોય છે. ભગવાનને પણ આપણે આપણી શ્રઘ્ધા સાથે ચેડાં કરીને દુકાનનો ભાગ બનાવી દીધાં છે. ઈશ્વર એનાથી અંજાઈ જાય એવું કેવી રીતે બને ?
જગતના આંસુઓ લૂછવાની ત્રેવડ જેમની પાસે છે એ બધાનાં ટેરવાંઓ ઈશ્વરનાં જ છે. થોડાંક મરીઝના શેર. ‘મરીઝ’ ગુજરાતી ભાષાના ગાલિબ તરીકે ઓળખાતા કવિ છે. જીવનની પ્રત્યેક ક્ષણને એમણે ગઝલમાં મઠારીને સ્વીકારી છે. ક્યારેક આવા મુઠ્ઠી ઊંચેરા કવિની કવિતાઓ વાંચીને ઈશ્વરની સામે બોલીએ તો એ પ્રાર્થના ન બની જાય ? રાજેન્દ્ર શુકલ કહે છે કે હું ગાંધીજીને મળ્યો હોત તો એમની પ્રાર્થના પોથીમાં ગઝલોનો ઉમેરો કરાવત !
           ઈશ્વરને આપણા ઉપર વિશ્વાસ મૂકવાની આદત છે. એટલે તો આપણને જનમ આપે છે. ઈશ્વર આપણા પ્રેમમાં છે એટલે તો આપણા બધા જ ગુના માફ કરે છે. આપણે પણ એનામાં એટલી જ સહજતાથી ગૂંથાઇ જવાનું છે જેટલી સહજતાથી એ આપણામાં ધૂંટાઈ ગયો છે.
           આપણી ભૂલોને માફ કરવાવાળો ઉપરવાળો છે. એની સાથે સૌમ્ય જોશીએ ગઝલમાં કરી છે એવી વાતો નિખાલસતાથી કરવાનો દરેકને અધિકાર છે. ઈશ્વર તરફ આંગળી કરીને માણસમાં રહેલા ઈશ્વરને જીવવાનો- જીવાડવાનો અને ઉપસાવવાનો કવિ પ્રયત્ન કરે છે. બઘું જ ઈશ્વર પર છોડી દઈએ છીએ ત્યારે ઈશ્વરને પણ નસીબ પર છોડીને આપણી આવડતમાં આત્મવિશ્વાસ મૂકવો જોઈએ. જીવનના હકારની આ કવિતા એવા સંવાદમાંથી પ્રગટે છે જ્યાં નિરાધાર અને નિરાકાર એક થઇને એકબીજાને પ્રશ્નો પૂછતાં પૂછતાં પ્રતિ પ્રશ્નોમાંથી જવાબો શોધી કાઢે છે. જીવન એ ઈશ્વરનું ઉપનામ છે.

 -  અંકિત ત્રિવેદી

શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

'વાંચો' એટલે?

             ચારેબાજુ હમણાં 'વાંચો', 'વાંચો' અને 'વાંચો'નો નારો ચાલી રહ્યો છે. સૂત્રપ્રિયોને એ સૂત્ર ગમી ગયું છે. એ નિમિત્તે નગરે નગરે ભાષણ કરવા ઉત્સુકોને મોકો મળી ગયો છે અને કેટલાક પોતે જ વાંચનવીર છે અને બીજા વાંચતા જ નથી એ ગુરુગ્રંથિ સાથે ગોષ્ઠીઓમાં પડી ગયા છે. પ્રશ્ન એ છે કે 'વાંચો' એટલે શું? કયા પ્રકારનાં પુસ્તકો વાંચવાં જોઇએ? 


         પુસ્તક વાંચી નાખ્યા પછી શું? કોરું વાંચન પરિણામગામી બની શકે? 'ના' જો ઉત્તર હોય તો પરિણામ માટે શું કરવું પડે? અંદરના બદલાવ માટે કેવા પ્રકારનું વાંચવું જોઇએ? કોઇકે નિર્ધારિત કરી આપેલાં પુસ્તકો? અન્યની રુચિને અનુકૂળ પુસ્તકો? કે પછી પોતાનાં રસ-રુચિ પ્રમાણેનાં, અંદરની અનિવાર્યતા પ્રમાણેનાં પુસ્તકો વાંચવાં જોઇએ? વળી આવાં અભિયાનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતાં હોય? જેલો પૂરતાં હોય? કે કોઇક સંસ્થાના નેજા હેઠળ થોડાક માણસો એકઠા થતાં હોય તો તેમનાં પૂરતાં હોય?

           પ્રશ્નો તો હજી આગળ પણ છે. જે ખરેખર પોતાની જાતને 'વાંચતો'માં લેખે છે એ શું વાંચે છે? કટારો લખવા? દલીલબાજી કરવા? અન્યોને થોડીક ચબરાકીભરી વાતો કરી આંજી નાખવા? શું 'વાંચવું' એવાઓને માટે સિધ્ધિ - પ્રસિધ્ધિ માટે છે? ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમવર્ગમાં પોતાની જાતને સ્થાપવા માટે? સાથે એ પણ પ્રશ્ન છે કે સાવ ઓછું વાંચનાર, નહિવત્ વાંચનાર કેટલાક ઉત્તમ પુરુષો જોવા મળે છે એ વિશે કયો ખુલાસો? વાંચે તે જ શ્રેષ્ઠ? કે વિચારે તે શ્રેષ્ઠ? બીજી તરફ ઘણું ઘણું વાંચીને બેઠેલાં હોય છતાં તેમની બદમાશીનો આંક કાઢવા બેસીએ તો ઘણો ઊંચો જાય એવાઓ માટે વાંચન વિફળ કેમ રહ્યું? આ અને આવા સંખ્યાતીત પ્રશ્નો વાંચવા વિશે કરી શકાય. આ સર્વ પ્રશ્નોના ઉત્તરો પણ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોવાના. વાંચનનું અભિયાન ચલાવનારાઓ આ બધા પ્રશ્નો નથી જાણતા તેમ નહિ પણ આપણે કહેવું જોઇએ કે આવી ચેતનાગત બાબતોને ગણિત સાથે જોડવા જેવી નથી.

      અને અભિયાન ચલાવવું જ હોય તો જેલોની સાથે મહેલોમાં પણ ચલાવો. અર્થાત્ શ્રેષ્ઠી વર્ગમાં, ઉદ્યોગપતિઓમાં, રાજકારણીઓમાં. જીવન વિશેની નાની સમજની જરૃરિયાત તો ત્યાં છે. જેલની સજા ભોગવનારાઓમાંથી કેટલાક નિર્દોષ હોય છે, કેટલાક પશ્ચાત્તાપના પાવન ઝરણામાં ઝબકોળાતા રહ્યા હોય છે પણ પેલો રાજકારણી, ઉદ્યોગપતિ કે મહેલમાં રહેનાર તો ખોટું કૃત્ય કર્યા પછી લજ્જા અનુભવતો નથી, પ્રજાની આંખે સદા પાટા જ બાંધતો રહે છે. વાચન જો માનવીમાં પરિવર્તન લાવી શકતું હોય એ માનતી હોઇએ તો 'વાંચન કે વાંચો'નું અભિયાન ત્યાંથી શરૃ કરવા જેવું છે. વાચન માણસને વિનયી, વિવેકી, શાણો અને સત્યપ્રિય બનાવે એ નેમ હોવી જોઇએ. અન્યથા ગમે તેવું વાંચન માણસને વધુ દુષ્ટ બનાવી રહે એનાં દ્રષ્ટાંતો આજના સમાજમાં બહુ દૂર ખોળવા જવું પડે તેમ નથી. વાક્વીરોની કમી નથી. સત્યને અસત્યમાં અને અસત્યને સત્યમાં ખપાવી દેનારા આપણી આસપાસ નિરંતર કસરતો કરતા હોય છે. પ્રજાના એક વર્ગનો તેવાઓને ટેકો પણ સમયે સમયે મળી રહેતો હોય છે.


           હકીકત તો એ બનવી જોઇએ કે વાંચવું એ માત્ર વાંચવું ન બનવું જોઇએ. એ નિમિત્તે આપણે ચારે તરફનું સાફસૂથરું જોતા થવું જોઇએ. વસ્તુના મર્મ સુધી પહોંચવું જોઇએ. નીતિ, ધર્મ કે સત્ય આખરે શું છે? સંસ્કાર- વિનય- સંસ્કૃતિ- પ્રેમ વગેરે શું છે? એ સર્વ વાંચનમાંથી પામતા જવાનું છે અને પામીને તે પ્રમાણે આપણા ભીતરને પણ પરિવર્તિત કરતા રહેવાનું છે. વાંચવું એટલે વિશ્વને અને એની ઘટનાઓને અંદર પ્રવેશ કરાવવો, તેના સારાસાર વિશે વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી. અને ત્રીજે તબક્કે એવી સમજ જ પછી આપણું વ્યક્તિત્વ કે અસ્તિત્વ બની રહે. કહો કે એક દીક્ષિત-શિક્ષિત વ્યક્તિ. જે પોતાને અને અન્યને પણ સમજવા સતત પ્રયત્નશીલ રહે. એવું નિરામયી વ્યક્તિત્વ અન્યોથી જુદું પડી જાય. વાંચનશીલતા એ છેવટે સંસ્કારશીલતાનો ને એમ માનવતાનો પર્યાય બની રહે એ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઇએ.


           ઉપર ઉપર વરખ લગાડવાથી કશું દળદળ ફીટાતું નથી. ઘણું વાંચીને ગમાર રહેનારા છે. સાચી વાત તો એ છે કે આપણી ચોમેર વાતાવરણ જ એવું વિધાયકરૃપે રચાતું આવે કે માણસને વાંચવાનું મન થાય, વાંચીને વિચારવાનું મન થાય, વિચારીને તેનો અમલ કરવા સંકલ્પબધ્ધ બને. આપણે ત્યાં તો પરિસ્થિતિ જ સાવ અવળી છે. મૂલ્યોનાં બધાં જ પ્રકારનાં ધોવાણોની જ્યાં હોડ બકાતી હોય ત્યાં આવો સૂત્રપ્રેમ કેટલો કારગત નીવડે? અને સૂત્ર પણ કઇ વ્યક્તિના હૈયામાંથી જન્મ્યું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે ને?
- પ્રવીણ દરજી ( ક્ષણ-ક્ષણાર્ધ, ગુજરાત સમાચાર ,૧૭/૮/૨૦૧૦ )

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન, 
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન. 
-  નિદા ફાઝલી
એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!
બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.
સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું - ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.
સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.
જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.
સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું ઈન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.
એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.
સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.
માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.
સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.
સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી ચિંતનની પળે પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે. એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને? તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.
દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા, ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે. ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
છેલ્લો સીન
મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

લિંકનના સુવિચારો


- જીવનભર કાંટા દૂર કરીને, જ્યાં પણ ફૂલ ઊગી શકે તેમ હોય ત્યાં તે છોડ વાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.
- હું કોઈનો ગુલામ થવાનું પસંદ ન કરતો હોઉં તો મારે કોઈના માલિક થવાનું પસંદ ન કરવું જોઈએ.

- જો શાંતિ ચાહતા હો તો લોકપ્રિયતાથી દૂર રહો.

- પગ મૂકતી વખતે યોગ્ય જગ્યાએ મૂકો છો કે નહીં તેની ખાતરી કરો. પછી મક્કમ થઈને ઊભા રહો.

- કોર્ટ કજિયા નિવારવાનો પ્રયત્ન કરો. પાડોશીઓ વચ્ચે સુલેહ કરાવવાનું પસંદ કરો. વકીલોએ સુલેહ કરાવીને શાંતિ સ્થાપવાનું કામ કરવું જોઈએ. તોપણ એમની વકીલાત સારી રીતે ચાલશે.

- ચારિત્ર્ય વૃક્ષ જેવું છે. પ્રતિષ્ઠા એનો પડછાયો છે. છતાં આપણે પડછાયાનો જ વિચાર કરીએ છીએ.

- પોલિટિશિયનો (રાજકારણીઓ) ધારે છે એ કરતાં લોકો સત્યની વધુ નજીક હોય છે.

- જ્યારે કોઈને હું મારો મિત્ર બનાવું ત્યારે હું શું એક શત્રુનો નાશ નથી કરતો?

- એવા નિશ્ચય સાથે આપણે ખડા છીએ કે લોકોની, લોકો દ્વારા ચાલતી, લોકો માટેની આ સરકારનું આ રાષ્ટ્ર ધરતી ઉપરથી નાશ ન પામે. (વિશ્વવિખ્યાત ગેટિસબર્ગના પ્રવચનમાંથી)

- અમેરિકા જો પોતે પોતાનો વિનાશ નહીં કરે તો બહારની કોઈ શક્તિ તેનો નાશ નહીં કરી શકે.



ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

વોરન બફેટની કીમતી સલાહ




હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
          વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

          આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

          વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

          વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

          ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે.


- દેવેન્દ્ર પટેલ (રેડ રોઝ) 11/12/2011