બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

ડેસ્ટિનીને સ્વીકારવી જ પડે છે

નિયતિ
તારી ન હે નિયતિ!
ચાલ કળી શકું હું
-કવિ સુરેશ દલાલ
(‘‘એકાંત’’ : તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૬૬)

કરતાં હો સો કિજીયે ઓર ન કિજીયે કગ, માથું રહે શેવાળમાં ઊચા રહે બે પગ. આ કહેવત કાગડો બીજા જળપક્ષીની નકલ કરવા ગયો અને દુ:ખી થયો તે અંગેની છે. જળપક્ષી ગુલાંટ મારીને સંસ્કાર પ્રમાણે સમુદ્રનાં પાણીમાંથી ગમે તેમ કરી માછલી પકડી લે છે. એક કાગડો તળાવમાં આ પક્ષીની નકલ કરવા ગયો અને પછી કાદવમાં ખૂંપી ગયો. માનવી જયારે રાજકારણમાં આવે કે સામાજિક નેતા બને કે વેપારી બને ત્યારે તેણે ડિગ્નિટી જાળવવી જોઈએ.

અગર તો તેના સ્વભાવ પ્રમાણે જ કુદરતી વર્તન કરવું જોઈએ. વરુણ ગાંધી રાજકારણમાં હજી મોઢામાં દૂધ ગંધાય છે ત્યાં આવ્યો અને નેહરુ જેવો લાંબો ડગલો પહેરીને ભાષણ ભરડવા માંડયો. એમ ડ્રેસ પહેરવાથી ડિગ્નિટી મળતી નથી. સિસેરોએ કહેલું કે વ્હોટ ઈઝ ડિગ્નિટી વિધાઉટ ઓનેસ્ટી? જો તમારામાં પ્રમાણિકતા ન હોય તો ડિગ્નિટીની મહત્તાની, ગરિમાની, પ્રતિષ્ઠા કે ઠાઠમાઠની કોઈ કિંમત નથી. ખાસ તો માણસે પોતાના કુદરતી સ્વભાવ પ્રમાણે જ વર્તવું જોઈએ. બાળાસાહેબ ઠાકરે જેવા જ કડવાં ભાષણ તમારે આપવાં હોય તો તેના જેવું ‘‘પ્રમાણિક’’ બનવું જોઈએ. મનમાં જે હોય તે બોલી નાખવામાં પણ બહાદુરી જોઈએ.

ખરેખર તો મારે તમને આજે બે પુસ્તકોની વાત કરવી છે. એક પુસ્તકનું નામ છે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’- મેન્સ ન્યુ ડાયલોગ વિથ નેચર. તેના લેખક ડો. પ્રિગોજાઈન ઈલ્યા મૂળ રશિયામાં જન્મેલા. પોતે બેલ્જિયન રસાયણ વિજ્ઞાની બન્યા હતા. તેમને ૧૯૭૭માં નોબેલ પ્રાઈઝ મળેલું. તેમાં મોટે ભાગે વિજ્ઞાનીઓને સમજાય તેવું આ પુસ્તક છે પણ તેમાં આપણી જેવા માટે, રાજકારણી માટે અને વેપારી માટે પણ ઉપયોગી વાતો છે.

વૈજ્ઞાનિક રીતે ડો. ઈલ્યા પુરવાર કરવા માગે છે કે જગતમાં કેઓસ- અંધાધૂંધી થયા જ કરે છે. તમને લાગે કે તમે અસ્તવ્યવસ્ત થઈ ગયા ત્યાં જ કુદરતી પરિબળો તમારી સ્થિતિઓને મનોબળ પ્રમાણે બધું ઠીકઠાક કરી નાખે છે. ટૂંકમાં જયારે તમને બધું જ વેરવિખેર લાગે અને સર્વત્ર અંધારું લાગે ત્યારે જ કુદરતી નિયમ પ્રમાણે બધું ઠરીઠામ થાય છે. ઘીને ઘડે ઘી પડી રહે છે. પરંતુ તે દરમિયાન તમારે કુદરતી રીતે વર્તવું જોઈએ અને કેટલીક ઘટના તો અનિવાર્ય છે તે સ્વીકારી લેવું જોઈએ.

આજ પાકિસ્તાનમાં તો કેઓસ છે જ. અસ્તવ્યસ્તતા, વિશૃંખલતા અને દુર્વ્યવસ્થા છે જ. પણ ત્યાં કુદરતી પરિબળો કામ કરશે જ. ઓર્ડર આઉટ ઓફ કેઓસ પુસ્તકમાં જે વાત લખી છે તે પ્લીઝ મૂળ અંગ્રેજીમાં લખવા દો:

This book projects science into todays revolutionary world of instability, disequilibrium and turbulence. In so doing it serves the highest creative function-it helps us create fresh order.

આ આખું વાકય સમજવા જેવું છે. લેખક ડો. ઈલ્યા કહેવા માગે છે કે આ પરિવર્તન- અભિમુખ જગત કે ક્રાંતિકારી જગત આજે અસ્થિર દેખાય છે. ઠેર ઠેર અસમતુલા છે. ટબ્ર્યુલન્સ છે. ઉકળાટ છે. ઉફાંદ છે. પણ તે તમામ ઉકળાટ અને અસ્તવ્યસ્તતામાંથી કંઈક નવું સર્જાશે. તેમાંથી જ કંઈક નવી વ્યવસ્થા થશે. અને... અને... મહાભારત પણ રચાય તો પછી પણ બધું જ નષ્ટ થઈને નવું સર્જાશે.

સ્વતંત્રતા પછી ભારત માટે પણ ઘણા પિશ્ચમના લોકો માનતા હતા કે ભારતનાં દક્ષિણનાં રાજયો છૂટાં પડી જશે. આસામ- બંગાળ છૂટાં પડશે.- આમ થશે, તેમ થશે. આવું જ આપણા અંગત જીવનમાંય બને છે. પણ તે દરમિયાન માણસે તેના કુદરતી સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પહેલાંનો ક્ષત્રિય- ક્ષત્રિય જ થઈને લડવા તૈયાર રહેતો. વણિક વેપાર જ કરતો. ક્ષત્રિય કાંઈ વાણિયાવૃત્તિ કરી શકે નહીં. બ્રાહ્મણે શિક્ષણના ક્ષેત્રમાં રહેવું જોઈએ. આજે તે વેપારી બનવા માંડયા છે. આજે તકલીફ એ છે કે સ્વભાવ પ્રમાણે કોઈ વર્તતું નથી. અને ઘણા મહાત્માના ઉપદેશો સાંભળે છે પણ માનવીની જે ડેસ્ટિની હોય છે, જે નિર્માણ હોય છે તે જ થાય છે. તેમાં મીનમેખ નથી. એટલે ‘‘અર્જુનોએ’’ ભગવાં કપડાં પહેરીને સંન્યાસી થવાનો વિચાર ન કરવો. અર્જુને અર્જુન બનીને લડવું જ પડે છે.

બીજું પુસ્તક મહાન ફ્રેંચ ફિલસૂફ, ચિંતક, રાજકારણી અને સમાજશાસ્ત્રી વોલ્તેયર વિશે છે. ૩૧૫ વર્ષ પહેલાં પેરિસમાં જન્મેલા વોલ્તેયરની વાત હું અગાઉ કરી ગયો છું પણ આજે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ના પુસ્તકમાં વિજ્ઞાની લેખક ડો. ઈલ્યાએ વોલ્તેયરનો ઉલ્લેખ કર્યોછે તે ખૂબ જ પ્રાસંગિક અને ૨૧મી સદીના માણસે સમજવા જેવો છે.

વોલ્તેયરે ફ્રેંચ ભાષામાં ‘‘ડિકશનેયર ફિલોસોફિક’’ નામનું પુસ્તક લખેલું તેનો અનુવાદ ડિકશનરી ઓફ ફિલસૂફીમાં થયેલો અને તેમાં વોલ્તેયરે ઘણી સાફ સાફ વાતો કહેલી. આ પુસ્તકમાં ઘણી જ ઉપયોગી વાતો કરેલી છે. પણ તેમાં ‘‘ડેસ્ટિની’’ વિશેનું પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. કેટલાક લોકો ‘‘ડેસ્ટિની’’માં માનતા નથી. ડેસ્ટિની એટલે જરા ઊંડા અર્થ લઈએ તો માત્ર પ્રારબ્ધ નહીં પણ ડેસ્ટિની એટલે નિયતિ, ભવિતવ્યતા અને હોનહાર. દિવ્ય તત્ત્વે નિર્માણ કર્યું હોય તે.

ખરેખર તમારા હાથમાં આ ડિકશનરી ઓફ ફિલસૂફીનું પુસ્તક આવે તો ડેસ્ટિની વિશેનાં સુવર્ણ વાકયો વોલ્તેયરે લખ્યાં છે તે વાંચવા જેવાં છે. કેટલાક મગજની મથામણ પછી સમજાય તેવાં સૂત્રો છે. દા.ત. ધ પ્રેઝન્ટ ઈઝ પ્રેગ્નન્ટ વિથ ધ ફયુચર... ઈવેન્ટસ આર લિંકડ વન વિથ અનધર બાય એન ઈન્વિન્સિબલ ફેટાલિટી.

અર્થાત્ વર્તમાનના ગર્ભમાં જ ભાવિ છુપાયેલું છે. ભવિષ્યની જે ઘટનાઓ- બનાવો છે તે બધાં જ એકમેક સાથે સંકળાયેલાં છે. તમે જે ધબડકા કે છબરડા કે વાનરવેડા કે છીનાંખવા કે અળવીતરાં કામ કર્યાં હોય તે તત્કાળ ભુલાઈ જાય કે છુપાઈ જાય પણ કદી તેની અસર કે પ્રભાવ નષ્ટ થતાં નથી. ભવિષ્યમાં કોઈ ને કોઈ વાત તમારાં કર્મોતમને જવાબ દઈ જાય છે. તમને મરણતોલ માર પડે છે- અપરાજય કે અદમ્ય ઘાતકતા સાથે (ઈન્વિન્સિબલ ફેટાલિટી) તમને ન્યાય મળે છે. આ જન્મે નહીં- તો પછીના જન્મે.

kanti_bhatt‘‘ડેસ્ટિની’’ અર્થાત્ ભવિતવ્ય હોય તે થવાનું જ છે. તેમાં મીનમેખ નથી તેવી વોલ્તેયરની વાતને કવિ હોમરે ૮મી કે ૯મી સદીમાં તેના મહાકાવ્ય ‘‘ઈલિયડ’’ની કથામાં સમર્થન આપ્યું છે. એક ફેંકાયેલો રાજા રાજયમાં પાછો ફરે છે. આ મહાકાવ્યમાં જુદા જુદા હીરો કે વિલનની બહાદુરી, નબળાઈ, જય- પરાજયની વાતો હોય છે. રાજાની રાણી તેના સરદાર સાથે આડો વ્યવહાર કરે છે એવી તમામ વાતો હોમરના કાવ્યમાં છે. હોમરના મહાકાવ્યમાં કેટલીક વિરોધાભાસી વાતો અને વિચારો હોય છે પણ હોમર એક વાત અફર રીતે કહે છે- આખરે માનવીએ ડેસ્ટિનીને સ્વીકારવી પડે છે.

વોલ્તેયર કહે છે કે ડાહ્યો માણસ હંમેશાં ડેસ્ટિનીને સ્વીકારી લે છે. તમે ઇંગ્લેંડનો ઈતિહાસ જાણો છો. ચાલ્ર્સ પહેલાનું માથું વાઢીને બીજા લોકો સત્તા ઉપર આવેલા. ઘણા ડાહ્યા લોકો કહે છે કે રાજા ચાલ્ર્સે ક્રોમવેલ અને બીજા તેના ડઝનેક સાથીદારને પતાવી દીધા હોત તો રાજા ચાલ્ર્સે જાન ખોવો ન પડત. પરંતુ ડેસ્ટિની કહે છે કે ચાલ્ર્સે મરવાનું જ હતું. શું મિલિટરીના કમાન્ડરો બહુ જ સત્તાવાન હોય છે? તમે જનરલ ઝિયાથી માંડીને મુશર્રફની ડેસ્ટિની જોઈ છે. ડેસ્ટિની સામે મિલિટરી બળ ચાલતું નથી.

વોલ્તેયર આપણને સરસ વાત કરે છે. ઓહ મારા વહાલા જેન્ટલમેનો! આપણને હંમેશાં કોઈ ને કોઈ પેશન થવાનો જ. સત્તાની, ધનની, સુંદરીની લાલસા થવાની જ. તમને કેટલાક લોકો માટે કે તમારી વિચારણામાં પૂર્વગ્રહો બંધાશે જ. એ પૂર્વગ્રહો માટે તમે પસ્તાશો નહીં કે તેવી વાસના-લાલસા-કામનાથી ડરશો નહીં. શું કામ? જેન્ટલમેન! એ તમારી ડેસ્ટિની છે.

આ લેખની પણ ડેસ્ટિની હતી કે આ ટાંકણે જ સ્વામી ધર્મબંધુનો રાજકોટ નજીકના ફ્રાંસલા આશ્રમથી ફોન આવ્યો. મેં તેમને અટકાવીને કહ્યું, મને કોઈ નિયતિનો (ડેસ્ટિની) સચોટ દાખલો આપો. તેમણે કહ્યું નિયતિનાં ઉદાહરણો રામાયણમાં ભરપૂર છે. રામચંદ્રજી વનવાસમાં હતા ત્યારે લક્ષ્મણને કહ્યું ‘‘મારા જેવો આ પૃથ્વી પર પાપ કરવાવાળો બીજો કોઈ હશે તે વાત હું માની શકું નહીં.’’ લક્ષ્મણ તો ગળગળો થઈને ભ્રાતૃભાવ સાથે કહે છે કે ‘‘આવું કેમ કહો છો? હું તમારી સાથે સતત રહ્યો છું. મેં તમને કદી દુષ્કર્મ કરતા જોયા નથી.’’ જવાબમાં રામચંદ્રજી કહે છે કે ‘‘નિશ્ચય હી મૈને પૂર્વ જન્મ મેં બૂરા કામ કિયા હોગા... નહિતર મારે રાજસિંહાસન છોડીને વનવાસ જવું પડે? પિતાનું મૃત્યુ જોવું પડે? સીતાનું અપહરણ થતું જોવું પડે અને લક્ષ્મણ જેવા વીર યોદ્ધાને ઘાયલ થયેલો જોવો પડે...?’’

આવી જ વાત નાગાર્જુનની છે. રસતંત્રસારમાં લખ્યું છે કે એક રાજા નાગાર્જુનને તેમના પ્રધાન બનાવવા ઈરછતા હતા. આ નાગાર્જુન વિશે ૨૧મી સદીની નવી-જૂની પેઢીએ જાણવું જોઈએ. તે વિદર્ભ પ્રદેશના બ્રાહ્મણ હતા. બૌદ્ધ ધર્મને ફિલસૂફીનું રૂપ તેમણે આપેલું. ઉપરાંત તે મોટા ઔષધશાસ્ત્રી હતા. તેણે ભારતમાં ઘણા લોકોને બૌદ્ધધર્મ પાળતા કર્યા. તેમાં રાજાઓ પણ હતા. નાગાર્જુનની વાતો આજે માનવી પડે તેવી છે.

‘‘માત્ર નીતિ પાળવાથી જ તમે પુનર્જન્મમાંથી મુકત થતા નથી. નિર્વાણ મેળવવા આ જન્મમાં ઘણું કરવું પડે છે. દાન, શીલ, શાંતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા એટલા ગુણો વડે આત્માને પૂર્ણતાએ પહોંચાડવો પડે છે.’’ આ વાત તો ઠીક. મને કે તમને ધારો કે પૂર્વજન્મમાંથી મુકત થવાનો કોઈ નાદ જ ન હોય તો બીજી એક નાગાર્જુનની વાત માનવા જેવી છે. તેમણે કહેલું ‘‘વિષ્ણુ, શિવ, કાલી વગેરે દેવદેવીની ઉપાસના સાંસારિક ઉન્નતિ માટે કરવી જોઈએ!’’ આ નાગાર્જુનને જયારે પ્રધાન બનાવવાની વાત થઈ ત્યારે રાજાને સ્પષ્ટ કહ્યું ‘‘હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણની ફરજ તેના જ્ઞાન દ્વારા બીજાને શિક્ષણ આપવું અને મારે તો ખાસ ઔષધ પ્રયોગ અને બૌદ્ધ ધર્મના પ્રચાર અંગેની ફરજ બજાવવી જોઈએ. મારી આવી જ નિયતિ છે. મારા પ્રારબ્ધમાં માત્ર સેવા છે. પ્રધાનપદું નથી!

હવે આપણે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ પુસ્તકમાં ફિલસૂફ વોલ્તેયરે કહેલી વાતને ટાંકી છે તે શું હતી તે જોઈએ. તેમણે કહેલું કે એવરીથિંગ ઈઝ ગવન્ર્ડ બાય ઈમ્મ્યુટેબલ લોઝ, એવરીથિંગ ઈઝ પ્રી-એરેન્જડ... એવરીથિંગ ઈઝ એ નેસેસરી ઈફેકટ. અર્થાત્ દરેક ઘટના કે ચીજ અફર નિયમો થકી જ નિયિંત્રત છે, દરેક વસ્તુ અગાઉથી ગોઠવાયેલી જ હોય છે, જે બનવાનું હોય તે બને છે. દરેક ચીજની તત્કાળ કે ગમે ત્યારે અસર થાય છે. કેટલીક ઘટનાઓ જરૂરી છે અને અનિરછનીય હોય છે પણ તે બન્નેને સ્વીકારવી જ પડે છે.

- કાંતિ ભટ્ટ

"ચેતનાની ક્ષણે" ભાસ્કર તા.૦૫/૦૪/૨૦૦૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો