બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

પેરિસથી પોંડિચરીઃ શ્રીમાતાજીની યોગયાત્રા

- ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે!
- ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી.

હીં કોઈ હિંદુ યોગી રહે છે ?'
'ના રે, અહીં તો કોઈ યોગી સાધના કરતો હોય એવું અમારા ધ્યાનમાં નથી.'
'તો તો પછી આ ચૂંટણીનું કામ પતી જાય પછી મારે બીજે તપાસ કરવી પડશે.'
'કેમ ?'
'મારી ઈચ્છા સાચા યોગીને મળવાની છે. હિંદ એ તો સાધનાની ભૂમિ છે. આધ્યાત્મિક દેશ છે. અહીં તો ઘણા પ્રખર યોગીઓ સાધના કરી રહ્યા હશે.'
'હા, એ ખરી વાત છે. પણ એ માટે તો તમારે હિમાલયમાં શોધ કરવી પડશે.'
પોંડિચેરીમાં ચૂંટણી લડવા માટે આવેલા પોલ રિશારે સાચા યોગીને મળવા માટે ઘણાની સાથે પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી આશાસ્પદ જવાબ મળ્યો નહીં. તે સમયે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ ઇંડિયા તરફથી ચૂંટણીઓ યોજાતી અને તેમાં ચૂંટાઈને આવનારને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં સ્થાન મળતું. પોલ રિશારની ઈચ્છા પોંડિચેરીમાંથી ચૂંટણી જીતીને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં મેમ્બર થવાની હતી. એટલે તેઓ ઈ.સ. ૧૯૧૦ની મધ્યમાં ફ્રેન્ચ ઇંડિયા-પોંડિચેરીમાં આવ્યા હતા. તેમને યોગવિદ્યા અને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ હતો. તેમનાં પત્ની મીરાં રિશાર લલિતકલાઓ, યોગવિદ્યા અને ગુહ્યવિદ્યામાં પારંગત હતાં. હિંદમાં જો કોઈ સાચા યોગીનો મેળાપ થઈ જાય તો પત્નીને સાધનામાં ઘણી સહાય મળી શકે અને પોતાને પણ અનેક બાબતોમાં સાચું માર્ગદર્શન મળી શકે એ હેતુથી તેઓ યોગવિદ્યામાં પારંગત પુરુષને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
એક દિવસ ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય ઝીર નાયડુએ તેમને કહ્યું ઃ 'આપ કહો છો તેવા યોગીની તો મને ખબર નથી, પણ ઉત્તરમાંથી એક રાજદ્વારી પુરુષ અહીં આવેલા છે. તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી. તેઓ યોગસાધના કરી રહ્યા છે. આપ એમને મળશો તો આપને જરૃર આનંદ થશે.'
'શું તેઓ મને મુલાકાત આપશે ખરા ?'
'હું પ્રયત્ન કરી જોઉં.'
અને ઝીર નાયડુએ પોલ રિશારની એ યોગી સાથે મુલાકાત ગોઠવી આપી. એ યોગી હતા અંતરના અવાજને અનુસરીને રાજકારણના ક્ષેત્રનું સર્વોચ્ચ સ્થાન છોડી દઈને એકાંતસાધના માટે પોંડિચેરીમાં આવેલા શ્રીઅરવિંદ ઘોષ. તે સમયે તેઓ બેચાર શિષ્યો સાથે શંકરચેટ્ટીના મકાનમાં રહેતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. શ્રીઅરવિંદની મુલાકાતથી રિશાર અત્યંત પ્રભાવિત થઈ ગયા, અને તેમણે એક વાર નહીં પણ શ્રી અરવિંદની બે વાર મુલાકાત લીધી. તેમણે પોતાના પુસ્તક 'લાઈટ ઓવર એશિયા'માં શ્રીઅરવિંદને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે, 'એમને લઈને પૂર્વની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતા થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.'
ચૂંટણીનું કામ પૂરું થયું અને તેઓ હિંદમાં પોતાને મળેલા આ મહાન યોગીની સિદ્ધિઓની વાત પત્નીને કહેવા પેરિસ પહોંચી ગયા. જોકે જે હેતુ અનુસાર તેમને હિંદમાં આવવાનું થયું હતું, એ હેતુ સિદ્ધ થયો ન હતો. તેઓ કાઉન્સિલની ચૂંટણી તો હારી ગયા, પણ અંતરની ચૂંટણીમાં સાચા નેતાની વરણી કરવામાં તેઓ સફળ નીવડયા હતા.
એમનાં પત્ની મીરાં કંઈ સામાન્ય સ્ત્રી નહોતાં. તેઓ અનેક પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિઓનાં સ્વામિની હતાં. ધનાઢ્ય બેંકરને ત્યાં જન્મેલાં મીરાં નાનપણથી જ અનોખાં હતાં. તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ધ્યાન તેમને સહજ હતું. ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી. તેને જાતજાતના રંગો અને આકૃતિઓ દેખાતાં અને એ વિષે બધાંને પૂછતાં કોઈ સાચો જવાબ મળતો નહીં. એ તો બાળમાનસના તરંગો છે એમ કહીને સહુ વાત ઉડાવી દેતાં. સાત-આઠ વર્ષની વયે તો મીરાંને ફોન્તેબ્લનાં જંગલોમાં ફરતી વખતે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ થવા લાગ્યો. જંગલનાં વૃક્ષો, પશુપક્ષીઓ સાથે ચેતનાની તદ્રૂપતાની અનુભૂતિ એવી તો સઘન હતી કે જાણે મીરાં પોતે જ એ વૃક્ષ હોય એવું તેને લાગતું. અને તે એટલે સુધી કે વૃક્ષ પર ફરતી ખિસકોલીઓ અને પક્ષીઓ મીરાંના શરીર પર ફરવા લાગતાં ! વયના વધવાની સાથે એની આંતરિક અનુભૂતિઓનો વ્યાપ વિસ્તરતો ગયો. સૂક્ષ્મ દર્શનો વધુ ને વધુ ગહન થતાં ગયાં. બાર વર્ષની વયે તો તેણે ગુહ્ય વિદ્યાનો અભ્યાસ પણ શરૃ કર્યો હતો. આ બાર અને તેર વર્ષના ગાળામાં તેને પ્રત્યેક રાત્રિએ એવો અનુભવ થતો કે જાણે તેની ચેતનાનો એક સુવર્ણરંગી ઝભ્ભો આખાય વિશ્વ પર લંબાતો જાય છે. અને એના આશ્રય તળે આવનારાઓ દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદિત બનીને પાછા જાય છે. આ અનુભવ સતત એક વર્ષ સુધી થતો રહ્યો. અને તેને એવું લાગતું કે જાણે રાત્રિમાં થતું આ કાર્ય જ એનું સાચું કાર્ય છે. દિવસની સઘળી પ્રવૃત્તિઓ રાત્રિના આ કાર્યની સરખામણીમાં નીરસ લાગતી.
મીરાંને રોજરોજ થતી આધ્યાત્મિક અનુભૂતિઓ, સહજ ધ્યાનાવસ્થા અને જગતમાં તેણે કંઈક મહાન કાર્ય કરવાનું છે તેની અંતરમાં થતી રહેતી સતત પ્રતીતિ, આ બધાંને પરિણામે તેની પ્રકૃતિ અત્યંત ગંભીર બની રહેતી. તે તેના સમવયસ્ક સહાધ્યાયીઓની જેમ ટોળપ્પાં અને હસીમજાકમાં આનંદ લેનારી નહોતી. તેને દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જતી જોઈને તેનાં માતાને સતત ચિંતા થયા કરતી. આ વિષે એમણે તેને એકવાર કહ્યું પણ ખરું, 'તું આમ આવી ગંભીર કેમ રહે છે, જાણે કે આખાય જગતના દુઃખનો ભાર તારે ઉઠાવવાનો ન હોય!'
'હા મા, સાચી વાત છે તમારી.' અત્યંત ગંભીર બનીને ત્યારે મીરાંએ કહેલું ઃ 'મારે જ એ ભાર ઉઠાવવાનો છે.'
'તું તે કેવી પાગલ જેવી વાત કરે છે.'
પણ ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે! સોળ વર્ષની વય સુધીમાં તો મીરાંએ અભ્યાસની સાથે સાથે સંગીત, નૃત્ય અને ચિત્રકલા જેવી લલિત કલાઓનો અભ્યાસ કરી લીધો. પણ તેના અંતરની ભૂખ શમાવે તેવી વિદ્યાની પ્રાપ્તિ હજુ તેને થઈ નહોતી. આ માટે તેણે બૌદ્ધધર્મનો અભ્યાસ પણ કર્યો. છતાં તેનાથી પણ તેના અંતરની શોધ પૂરી ન થઈ. એ દરમિયાનમાં કોઈએ એના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફ્રેન્ચ અનુવાદ મૂક્યો અને કહ્યું, 'આમાં જે શ્રીકૃષ્ણ છે, તેને અંતર્યામીના પ્રતીક તરીકે માનજો અને આનો અભ્યાસ કરજો. તમને એમાંથી ઘણી સહાય મળશે.'' અંતરની પૂર્ણતા માટે આતુર એવી મીરાંએ ગીતામાં નિરૃપેલી તમામ સાધના માત્ર એક જ મહિનામાં સિદ્ધ કરી લીધી. પોતાની સાધના વિષે વાત કરતાં તેમણે પાછળથી આશ્રમનાં બાળકોને જણાવ્યું હતું કે, 'અઢાર અને વીસ વર્ષની વચ્ચે મેં ભાગવત ચેતના સાથે જાગૃત અને સ્થિર ઐક્ય પ્રાપ્ત કરી લીધું હતું. અને એ બધું પણ મેં જાતે જ. કોઈની પણ મદદ લીધા વગર, એટલે સુધી કે કોઈ પણ પુસ્તકની મદદ લીધા વગર કર્યું હતું.'
મીરાંને ગહન ધ્યાનાવસ્થામાં નીરવતા અને શાંતિની અનુભૂતિ થતી રહેતી, અનેક પ્રકારનાં સૂક્ષ્મ દર્શનો થતાં, કેટલાંય તેજોમય રૃપો અને આકૃતિઓ દેખાતાં. અસંખ્ય ગુરુઓનાં દર્શન થતાં. કેટલાય ગુરુઓ તેમને નિદ્રાવસ્થામાં જ્ઞાાન પણ આપતાં. આ વિષે તેમણે પાછળથી જણાવેલું, 'મારી નિદ્રાવસ્થા દરમિયાન કેટલાક ગુરુઓ તરફથી મને જ્ઞાાન આપવામાં આવ્યું હતું. તેમાંના કેટલાકને પછી હું સ્થૂળ ભૂમિકા ઉપર પણ મળી હતી.' પરંતુ સૂક્ષ્મ દર્શનોમાં આવતાં આ બધા ગુરુઓમાં એક આકાર વધુ ને વધુ સ્પષ્ટ બનતો જતો હતો. તે સમયે મીરાં હિંદ વિષે કે એના તત્ત્વજ્ઞાાન વિષે વિશેષ જાણતાં ન હતાં. છતાં ધ્યાનમાં આવતાં અને સતત માર્ગદર્શન આપતાં રહેતાં એ ગુરુને શ્રીકૃષ્ણ કહેવાની એમને પ્રેરણા થઈ. તેઓ ચિત્રકાર હતાં. એમણે એ શ્રીકૃષ્ણનું એક ચિત્ર પણ દોરી લીધું. ત્યારથી તેઓ પ્રત્યક્ષ રૃપે એ ગુરુનાં દર્શન માટે પ્રતીક્ષા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હતાં.
ધ્યાનાવસ્થા દરમિયાન મીરાંને અનેક પ્રકારનાં પ્રતીકો દેખાતાં. તેમાં એક કમળનું પ્રતીક વધુ ને વધુ સ્પષ્ટ થતું દેખાતું. ઉપર અને નીચે આવેલા બે ત્રિકોણની વચ્ચે બનતા ચતુષ્કોણમાં પાણીની વચ્ચે એક ખીલેલું કમળ દેખાતું. આ કમળનું પ્રતીક કોઈ ગુહ્ય સંકેત પ્રગટ કરી રહ્યું હતું. પરંતુ એ પ્રતીક કયું રહસ્ય પ્રગટ કરે છે, તે તેને સમજાતું ન હતું. પરંતુ તેણે એ ચિત્ર પણ દોરી લીધું હતું. અને તેને અંતરમાં એવું પ્રતીત થયા કરતું કે આ ચિત્રનું રહસ્ય પ્રગટ કરનાર કોઈક તો આ પૃથ્વી ઉપર ક્યાંક જરૃર હશે. અને જે કોઈ એ ગૂઢ લિપિ ઉકેલી આપશે એ જ એના યોગમાર્ગના ગુરુ હશે. પણ હજુ સુધી એ ચિત્રની પ્રતીકાત્મક ભાષા ઉકેલનાર કોઈ મળ્યો ન હતો.
આધ્યાત્મિક જગતમાં કામ કરવા માટે સૂક્ષ્મ જગતનાં પરિબળો ઉપર પણ અંકુશ હોવો જોઈએ. ચેતનાની સૂક્ષ્મ ક્રિયાઓ અને આંદોલનો પ્રત્યેની સભાનતા પણ હોવી જોઈએ. એ માટે ગુહ્યવિદ્યાનો અભ્યાસ કરી તેમાં પારંગતતા મેળવવી જરૃરી છે એમ જણાતાં મીરાંએ અલ્જિરિયામાં રહેતા પ્રખર ગુહ્યવિદ થેઓ અને તેમનાં પત્ની પાસે બે વરસ રહીને અભ્યાસ કર્યો. શ્રીમતી થેંઓ પણ મહાન ગુહ્યવિદ હતાં. થેંઓ દંપતી પાસે રહીને મીરાંએ સૂક્ષ્મ જગતમાં કામ કરવાની તાલીમ મેળવી ગુહ્ય જગતનાં સત્ત્વો પર અંકુશ મેળવવાની વિદ્યા પ્રાપ્ત કરી. આવી અદ્ભુત સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી લીધી હોવા છતાં પણ થેંઓએ તેમને કહ્યું, 'આ કંઈ તારી સાધનાની અંતિમ સિદ્ધિ નથી, તારી સાધનાની આ કંઈ પૂર્ણાહુતિ નથી. તારી સર્વોચ્ચ સિદ્ધિ હજુ બાકી છે, અને તે મારા દ્વારા નહીં પણ તારા ગુરુ દ્વારા થશે.'
પરંતુ આવડી વિશાળ પૃથ્વીના પટ પર એ ગુરુને શોધવા ક્યાં ? ક્યારે મળશે એ શ્રીકૃષ્ણ? મીરાંનું અંતર એ મહાન ગુરુનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્કંઠ થઈ જતું. પરંતુ ભૌતિક રૃપે ગુરુની શોધ હજુ પૂર્ણ થઈ શકી નહોતી. એ ગાળામાં મીરાંની પ્રભુ સાથેના તાદાત્મ્યની ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તે ઊંડા ધ્યાનમાં લીન થઈ જતી. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેને અનેક આંતરિક અનુભૂતિઓ થતી રહેતી. ધ્યાન સમાપ્ત થયા પછી આ અનુભૂતિઓને તે પ્રાર્થનારૃપે ડાયરીમાં લખી રહેતી, જે પાછળથી 'પ્રાર્થના અને ધ્યાન'ના પુસ્તક રૃપે પ્રગટ કરવામાં આવી છે.
ચૂંટણી હારીને હિંદમાંથી આવેલા પોલ રિશારે પત્નીને કહ્યું ઃ
'આ કમળનું ગુહ્ય પ્રતીક હું મારી સાથે હિંદમાં લઈ ગયો હતો અને એનો ઉકેલ મળી ગયો.'
'હેં ! ઉકેલ મળી ગયો ! કોણ છે એ મહાયોગી ?' મીરાંની આંખો આનંદથી ચમકી ઊઠી.
'એ તો છે માત્ર આ યુગના જ નહીં, પણ ભવિષ્યનાય યુગપુરુષ. કેવી શાંત, સૌમ્ય અને નિર્મળ મુખમુદ્રા છે એમની! અને આંખો તો જાણે આ જગતનું કંઈ જોતી જ નથી. પેલે પારના જગતનાં દ્રશ્યો જોવામાં જ ખોવાયેલી ન હોય! અને વાણી તો એવી અમૃતમય કે જાણે સાંભળ્યા જ કરીએ. હું તો એ માટે એમને બે વખત મળ્યો. અને અનેક પ્રકારના વાર્તાલાપો એમની સાથે કર્યા. દરેક બાબતમાં શું એમનું અગાધ જ્ઞાાન છે! એમની તોલે જગતનો કોઈ માણસ ન આવી શકે. અને આધ્યાત્મિક જગતના તો એ પૂર્ણજ્ઞાાતા છે. સાધનાની સર્વોચ્ચ ભૂમિકાઓ એમણે પાર કરી લીધી છે. જોજો ને એક દિવસ એવો આવશે કે જ્યારે સમગ્ર વિશ્વ એનાં ચરણોમાં ઝૂકશે.' કહેતાં કહેતાં જ જાણે એ યુગપુરુષની મૂર્તિ એમની સામે જ ખડી થઈ ગઈ હોય એમ રિશાર સ્થિર થઈ ગયા.
પતિને આટલા ઉત્સાહથી વાત કરતા જોઈને મીરાંને યાદ આવી ગયા ધ્યાનમાંના એ શ્રીકૃષ્ણ. કેમ કે એ જાણતી હતી કે ફ્રાન્સના મહાન ચિંતક અને મનીષી ગણાતા રિશાર કંઈ સામાન્ય વ્યક્તિથી પ્રભાવિત થાય તેમ નહોતા. અને એટલે જ એ મહાપુરુષ કોણ હશે અને એમણે આ પ્રતીકનો શો ઉકેલ આપ્યો તે જાણવા એ ઉત્સુક બની.
'એ મહાયોગીનું નામ છે શ્રીઅરવિંદ ઘોષ. એમણે આ ચિત્ર હાથમાં લીધું, ધ્યાનથી જોયું અને પછી તુરત જ કહ્યું. આ કમળનું પ્રતીક એ તો પ્રભુના સ્પર્શ વડે ખુલ્લી થતી ચેતનાનું દ્યોતક છે.' આ ચિત્રના પ્રત્યેક અંગ વિષે એમણે કહ્યું ઃ 'આ નીચે ઊતરતો ત્રિકોણ એ સત્, ચિત્ અને આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ એ જડ તત્ત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૃપે પ્રગટતી અભીપ્સાના પ્રત્યુત્તરનું પ્રતીક છે. બંને ત્રિકોણનું મિલન અ વચલો ચતુષ્કોણ; એ પૂર્ણ આવિર્ભાવ છે. તેના કેન્દ્રમાં રહેલું કમળ એ પરમાત્માનો અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૃપતાનું, સૃષ્ટિનું પ્રતીક છે.'
'ગુહ્ય પ્રતીકનો આટલો સચોટ અર્થ ! તો તો એ જ હોઈ શકે મારા સાધનાપથના ગુરુ ! એ જ હોઈ શકે ચિત્રમાં અંક્તિ કરેલા શ્રીકૃષ્ણ !' મીરાંનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું અને એની નજર સામે તરવરી રહી એ ભવ્ય આકૃતિ, જેનું એણે ધ્યાનાવસ્થામાં અનેકવાર દર્શન કર્યું હતું. ત્યારથી એ ભારત આવવા ઉત્સુક બની પણ એ અવસર મળ્યો એને ચાર વર્ષ બાદ.
ઇ.સ. ૧૯૧૪માં પોલ રિશારને ફરી પોંડિચેરીમાં આવવાનું થયું. આ વખતે તેઓ એકલા ન હતા; મીરાં રિશાર પણ તેમની સાથે હતાં તેઓ માર્ચ મહિનામાં દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળ્યા. હજુ તો પોંડિચેરી દસ દરિયાઈ કિલોમીટર દૂર હતું ત્યાં તો મીરાંને એક તેજોમય વાતાવરણનો સ્પર્શ થયો. જાણે એ વાતાવરણ એને ઉંચકી લેતું ન હોય ! સૂક્ષ્મ જગતની જ્ઞાાતા મીરાંને એ સમજતાં વાર ન લાગી કે એ તો શ્રી અરવિંદની પ્રખર સાધનાના પરિણામે દૂર દૂર સુધી ફેલાયેલું એમનું આભાચક્ર હતું. એ આભાચક્રનો એમને સતત અનુભવ થતો હતો.
મીરાં અને પોલ ૨૯મી માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે શ્રી અરવિંદને મળવા ગયા, 'અરે, આ જ તો છે એ શ્રીકૃષ્ણ, જે ધ્યાનમાં આવીને સહાય કરતા હતાં, જે સાધનામાં માર્ગદર્શન આપતા હતા એ જ આકૃતિ, એ જ રૃપ !' મીરાંએ જેવા શ્રી અરવિંદને જોયા કે એક જ ક્ષણમાં ઓળખી લીધા અને તેના અંતરે પ્રતીતિ કરાવી આપી કે હવે પછી એમની સાધનાના સુકાની આ જ મહાગુરુ છે. તેનું હૃદય અસીમ આનંદની અનુભૂતિ કરવા લાયું પણ એમણે મુખથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં. બસ તેઓ તો ગુપચુપ શ્રી અરવિંદના ચરણ આગળ બેસી ગયા, અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને મન શ્રીઅરવિંદ સમક્ષ ખુલ્લું મૂકી દઈને પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પોતાની સઘળી આધ્યાત્મિક સિદ્ધિઓ, પોતાનું સઘળું જ્ઞાાન, નવા જગતના નિર્માણ માટેની પોતાની સર્વ યોજનાઓ માટે, અરે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. જાણે પોતે કશું છે જ નહિ એવા નવજાત શિશુ જેવા બની રહ્યા. શ્રીઅરવિંદનું પ્રથમ દર્શન જ એમના હૃદયમાં સંપૂર્ણ પ્રતીતિ કરાવી ગયું કે, હવે પ્રભુનું સામ્રાજ્ય જરૃર સ્થપાશે.
શ્રીઅરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી મળી ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાાનને વિખેરી નાંખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે. તેમનું ભારત આવવાનું સાર્થક થઈ ગયું. હવે એમને બીજે કયાંય જવાની જરૃર જ ન રહી. આમ ભૌતિક રીતે એમની યાત્રા સમાપ્તિ થઈ ગઈ પણ આંતરિક રીતે શ્રીઅરવિંદ સાથે આધ્યાત્મિક જગતમાં યાત્રાની નવેસરથી શરૃઆત થઈ.
આમ પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં અર્પણ કરીને તેઓ કોરા પૃષ્ઠ જેવા બની રહ્યાં તેમના અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહેલું કે, આવું આધ્યાત્મિક સમર્પણ એમણે કોઈનામાં ય જોયું ન હતું. આવું સમર્પણ તો કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. શ્રીઅરવિંદે પણ એમને પોતાની યોગશક્તિ તરીકે સ્વીકાર્યા, તે સમયે તો તેઓ પોંડિચેરીમાં ફક્ત અગિયાર મહિના જ રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે તેમને પેરિસ પાછા જવું પડયું. ત્યાર બાદ છ વર્ષ પછી ૧૯૨૦ના એપ્રિલમાં તેઓ ફરી પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. તે પછી તેઓ ક્યારેય પોંડિચેરી છોડીને ગયા ન હતા. શ્રી અરવિંદની સેવા કરવી, એમના આદેશનું પાલન કરવું અને એમના પૂર્ણયોગને વ્યવહારુ ભૂમિકા ઉપર ઉતારવો એ જ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ વિષે એમણે જણાવેલું ઃ 'હું શ્રીઅરવિંદને મળવા હિંદમાં આવેલી. શ્રીઅરવિંદ સાથે રહેવા માટે હું હિંદમાં રહી ગઈ. એમણે જ્યારે દેહ છોડયો ત્યારે એમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું અને એ કાર્ય છે સત્યની સેવા કરીને, અને માનવજાતિને પ્રકાશ આપીને પ્રભુના પ્રેમનું શાસન ઝડપથી સ્થપાય તેમ કરવું.'
૯૬ વર્ષ સુધી તેઓ દેહમાં રહ્યા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે થોડા શિષ્યો સાથે શ્રી અરવિંદ રહેતા હતા. વ્યવસ્થિત આશ્રમ જેવું કશું ન હતું. પૃથ્વી ઉપર જો પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત સાધનાની પણ જરૃર છે. પ્રભુના શાસનની અભિપ્સા સેવતો બળવાન સમૂહ પણ હોવો જરૃરી છે, યોગના સત્યોનો મનુષ્યના રોજિંદા જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે જીવનનો ત્યાગ નહીં પણ જીવનનો સ્વીકાર કરવો જરૃરી છે, એમ જણાવતા અભિપ્સુ માણસોને સાધના કરવા માટે ત્યાં રહેવાની મંજૂરી મળવા લાગી અને એમ શ્રી અરવિંદ આશ્રમ વિસ્તરતો ગયો અને ત્યાં પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ.
શરુઆતમાં શ્રી અરવિંદ 'મ' આગળ અટકીને પછી મીરાંનું ઉચ્ચારણ કરતા, અને એથી શિષ્યોને આશ્ચર્ય થતું પણ ત્યારે શ્રી અરવિંદ મીરાં નહીં પણ મધરનું ઉચ્ચારણ કરવા તત્પર હતા. પણ કદાચ શિષ્યોની ચેતના એ સ્વીકારવા તૈયાર નહીં હોય એથી અટકી જતા અને પછી મીરાં બોલતા. આ વિષે તેમના શિષ્ય નલીનકાંત ગુપ્ત લખે છે કે 'શ્રી અરવિંદે આ મધર શબ્દ ક્યારે ઉચ્ચાર્યો, કયા ખાસ દિવસે, કઈ શુભ ઘડીએ, તેની કોઈનેય ખબર નથી... પણ એ પરમ ક્ષણે જ આ સ્થૂળ પૃથ્વી ઉપર માનવની બાહ્ય ચેતનામાં શ્રી માતાજીની સ્થાપના થઈ હતી. આમ શ્રી માતાજીમાં પોતાની સઘળી શક્તિનું નિરૃપણ કરીને આશ્રમની સઘળી વ્યવસ્થા અને શિષ્યોની સાધના સર્વ પ્રકારની જવાબદારી એમને સોંપીને શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકારી લીધો અને અતિમનસના અવતરણની ગહન સાધનામાં ડૂબી ગયા. ચોવીસ વર્ષ સુધી કરેલી એ ભગીરથ તપશ્ચર્યાના પરિણામે શરીરની સ્થૂળ ભૂમિકા ઉપર અતિમનસ શક્તિનું અવતરણ શક્ય બન્યું. એ માટે શ્રી અરવિંદે પોતાના દેહનો આધાર આપ્યો અને ઇ.સ. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે એમણે દેહત્યાગ કરી દીધો. પરંતુ શરીરના કોષોમાં અતિમનસ શક્તિના પ્રકાશને સક્રિય કરવાની સાધના શ્રી માતાજીએ ચાલુ રાખી અને તેના પરિણામે મનથી ઉપરની એ અતિમનસ શક્તિ શરીરના કોષોમાં સક્રિય બને એ શક્યતા સિદ્ધ થઈ શકી, એટલું જ નહીં પણ એ રસ્તે જનાર માટે શ્રી માતાજીએ સૂર્યપ્રકાશિત પથ પણ કંડારી આપ્યો.
આમ શ્રી માતાજી પેરિસથી પોંડિચેરી આવ્યા અને જગતને શ્રીઅરવિંદનો પૂર્ણયોગ મળ્યો. શ્રીઅરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાાન સર્વને માટ સુલભ બન્યું. અને એ માટે માનવજાત યુગો સુધી શ્રીમાતાજીની ઋણી રહેશે.

- જ્યોતિબહેન થાનકી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો