શુક્રવાર, 12 જૂન, 2015

જ્ઞાની સમજીને આચરણ કરે છે, અજ્ઞાની જે આચરણ કરે છે એને સાચું માને છે

આ જગતમાં જ્ઞાની પુરુષો ખૂબ સ્વસ્થતાથી જીવે છે, કારણ કે તેઓ સમજીને, વિચારીને, જે સાચું હોય તેનું આચરણ કરતા હોય છે. જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે, કારણ કે તેઓ જે આચરણ કરે તેને સાચું માનતા હોય છે. 

એક પિતાને ત્રણ પુત્રો હોય તેમાં જે સૌથી વધુ સમજદાર હોય તે સૌથી વધુ દુ:ખી હશે. નાના ભાઈને ભણાવવાની, બહેનને પરણાવવાની, પરિવારના સભ્યોની જીવન જરૂરિયાતની તેને ચિંતા હશે. બાકી તમાકુપાન ગલોફે ચડાવી, બીડીની સટ મારી પોતાનું ખમીસ મિત્રોને સોંપી અંડરવેર વરાણીએ સિનેમાથિયેટર પર સ્ટન્ટ ફિલ્મની ટિકિટ લેવા ભીડમાં જે મર્દાનગી બતાવતો હોય તેને કાંઈ ચિંતા ન હોય. પિતા વૃદ્ધ થયા છે, હવે બધુ ઢસરડો કરી શકે તેમ નથી. સંયુક્ત કુટુંબના ગાડાના આ બેલને હવે આંબલીને છાંયે બેસીને આરામ કરવાની જરૂર છે. નીરણની જરૂર છે. વીતી ગયેલી જિંદગીના અતીતને હવે તો તેને વાગોળવા દ્યો. આવું ભાન મૂર્ખાના પુત્રને નથી હોતું. અમારે મથુરનો દીકરો દામોદર આવો મૂર્ખ હતો : જે આચરણ કરતો તેને સાચું માનતો. 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો પણ દામોદર ભણે તો ને? એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો, ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી ભટકાડીને બારણાં તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો, અલીફ-બે-પે-તે શીખે થે વહી કુરાન પઢને કો, અલીફ-બે-પે-તે તો કુરાને શરીફ પઢવા માટે શીખ્યા હતા, કખગઘનું ભણતર તો સુવાક્યો લખવા માટે ભણ્યા હતા. એબીસીડી શેલી અને કીટ્સનાં કાવ્યો વાંચવા શીખ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યાં નહીં. 

એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો હરિભાઇને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદર નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો હવે મગન પણ વિઠ્ઠલ માથે પછાડો તો ઘોબો ન પડે તેવો. મગન કહે, "હું પહેલો દરવાજામાંથી નીકળું" અને દામોદર કહે, "વાતમાં માલ શું છે?" 

બંને વાદે ચડ્યા પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોભમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું "બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે કે "હું પહેલો નીકળું." તે બાપા, એમ કોઈને મારગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું." મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, "તું ઘરે જા લાવ તપેલી. હું ઊભો રહું છું." મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, "તારો બાપ ભલેને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાધિ લે, પણ ઘી તો ઘરે સળગાવવું'તું." દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે. તેમાં ઘી જરૂરી નથી એટલે તે પાછો દરવાજે આવ્યો અને અને બોલ્યો. "બાપા હવે તમે ઘી લઈ ઘરે જાઓ, હું અહીં ઊભો છું. " ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો. 

આવો ઉદ્દંડ, તોફાની, માર ખાઈખાનૈ કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ ૯-ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો,આંખોમાં કોઈ શરારત - કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, "કેમ મોડો આવ્યો ?" દામોદરે કહ્યું "સાહેબ, રાંધવામાં મોડું થઇ ગયું." મેં કહ્યું, "તારે રાંધવાનું કામ કરવું પડે છે ?" દામોદરે કહ્યું, "હા, સાહેબ." મેં કહ્યું, "હા સાહેબ," મેં કહ્યું, "પણ શા માટે? તારી બા નથી રાંધતાં?" મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. "સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી મા મને મૂકીને ચાલી ગઈ." મેં કહ્યું, "અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું?" દામોદર કહે, "દાઝી જવાથી, અહીં દવાખાને લઇ ગયા. પછી રાજકોટ લઇ ગયા, પણ સાહેબ મારી માતા ન બચી શકી." આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો. પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું, "મરતાં કરતાં તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, "હા મો કહ્યું "બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે." 

દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અને બંને રડ્યા, દામોદર નવમા ધોરણમાં છઠ્ઠે નંબરે પાસ થયો અને એસ.એસ.સીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું, માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલાઈ અને વર્તન બદલાઈ ગયું. પરંતુ વિઠ્ઠલના પુત્ર મગનના જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટી, તેથી તે એમનો એમ રહ્યો, વિઠ્ઠલની જેમ જ. 

અમારા ગામમાં વીર વિક્રમની વાતો એટલી વિઠ્ઠલની વાતો. એ વખતે વિઠ્ઠલ હજી વાંઢો, પીળા હાથ નહીં થયેલા.કન્યાની તલાશમાં વિઠ્ઠલે આજુબાજુની ભોમકા ધમરોળી નાખેલી, પણ ક્યાંય મેળ પડેલો નહીં. વિઠ્ઠલનું રડ્યુંખડ્યું બધું કન્યાપ્રાપ્તિના પ્રયાસમાં ખર્ચ થઈ જતું. વિઠ્ઠલની લગ્નોત્સુક અવસ્થાનો લાભ લઈ કોઈ ચા પી જતું, કોઈ પાન-સિગારેટનો જલસો મારી જતા, કોઈ વળી મોટી લાલચમાં નાસ્તાનો વેત કરતા તો અમુક તો વિઠ્ઠલને આંબા-આંબલી દેખાડી દૂરના ગામના ભાડાના આવવા-જવાના પૈસા મેળવી પોતાનાં કામ કરી આવતા. અમારો પણ આમાં સમાવેશ થતો, પણ એક દિવસ અમે જરાક વધુ પડતી મશ્કરી કરી નાખી. અમે ભેગા થઈ પ્રથમ તો વિઠ્ઠલને સમજાવ્યો. "જો વિઠ્ઠલ, સગપણ થશે કે તરત જ જાડી જાન જોડવી પડશે. કન્યાવાળા ઉતાવળ કરશે, એટલે આપણાથી આનાકાની નહીં થાય, જાનમાં ગામના પ્રતિષ્ઠિત માણસો જોશે જે કાયમ બધાના ફુલેકામાં હોય છે તે બધા.'' વિઠ્ઠલ કાંઈ બોલ્યો નહીં, પણ પોતાના વિશે થતી આવી શુભ મંગલ વાતોથી માત્ર શરમાણો અને "તમે જે કહો તે" આવું બોલી અમને લીલી ઝંડી આપી. અમે કહ્યું, "પ્રથમ તો આપણે જમણવાર યોજી, સૌ મોટા મોટાનાં મોંઢાં ભાંગી નાખીએ, જેથી જાનમાં આવવાના પ્રસંગે કોઈ આનાકાની ન કરી શકે." સ્નાનકવાસીજૈન ભોજનશાળા નક્કી કરવામાં આવી. અમરશી અને રવજી ભગતે ભોજનની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. અમારા ડાયરાએ શું બનાવવું તેની યાદી તૈયાર કરી. ત્રણ મિષ્ટાન્ન, બે શાક અને કઠોળ, દાળ, ભાત, સંભારો, પાપડ અને છેલ્લે છાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પહેલેથી છેલ્લે સુધી બધું બરાબર ગોઠવાઈ ગયું. આમંત્રણો આપવામાં આવ્યાં. જમણવારનો શુભ દિવસ આવ્યો. જમવા આવનાર સાથે સંબંધીઓને પણ વિઠ્ઠલને સારું લાગે એમ સમજી લેતા આવ્યા. મોટા મોટા માણસોને જમવા આવતા જોઈ પ્રથમ તો વિઠ્ઠલ હરખાણો, સૌને આદરસત્કાર આપવા બારણે ઊભો રહ્યો. આવનારસૌએ વિઠ્ઠલની પ્રશંસા કરી. કોઈએ તેનો ઉદાર સ્વભાવ વખાણ્યો, તો કોઈએ તેની સેવાભાવી વૃત્તિ. પરંતુ જમનારા જેમ જેમ વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલનો પ્રશંસાનો નશો ઊતરતો ગયો અને છાતીમાં પાટિયાં ભીંસાતાં હોય એવું મંડ્યાં લાગવા. પંગતો પડી, થાળીઓ મુકાણી, પીરસવાવાળા જુવાનોએ વાનગી પીરસી દીધી. ડો. મેંઢા સાહેબે શ્લોકો બોલાવ્યા. સૌ જમવાનું શરૂ કરેત્યાં વિઠ્ઠલે એવી મરણપોક મૂકી કે સૌના શ્વાસ થંભી ગયા. કોળિયા હાથમાં રહી ગયા. અમે દોડ્યા. વિઠ્ઠલને પૂછ્યું, "શું થયું? વિઠ્ઠલ શું થયું?" વિઠ્ઠલ રોતાં રોતાં કહે, "બધા ભેગા થઈ મારું ખાઇ ગયા." અમે કહ્યું, "બોલ મા મૂંગો રહે..." પરંતુ વિઠ્ઠલના વાણી અને વિલાપને રોકી શકાય તેમ નહોતો. "એ મને ઊંડા કૂવામાં ઉતારી વરત કાપી, મારી મરણમૂડી એક ટંકમાં ઉડાડી ગયા, મને ભોળાને ભરમાવ્યો." " 

વિઠ્ઠલનું હૈયું વાણીમાં ઠલવાયે જતું હતું. વિઠ્ઠલ કરતાં પણ મોટી મૂંઝવણ ભાણે બેઠેલાની થઈ. અમુકને થયું. વિઠ્ઠલની અવળવાણી સાંભળી ભાણા પરથી ઊઠી જવું, તો અમુકનો મત એવો હતો કે અજ્ઞાનીનાં ઓરતાં ન હોય એમ માની વિઠ્ઠલના બોલ્યા સામું ન જોતાં અન્નનો અનાદર કર્યા વગર શાંતિથી જમી લેવું. જ્યારે અમુકે નક્કી કર્યું કે સૌને નોતરી આવી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ. વિઠ્ઠલનો વિલાપ કોઈને જંપવા દે તેમ ન હોવાથી હું, વનેચંદ અને ઠાકરશી વિઠ્ઠલને સમજાવવાં માંડ્યા, "બોલ વિઠ્ઠલ, કેટલું ખર્ચ થયુંછે ?" વિઠ્ઠલ કહે, ત્રણ હજાર તો થઈ ગયા છે. હવે પરણીશ કઈ રીત ? તમારું..." અમે કહ્યું, "શાપ દે મા વિઠ્ઠલ વાત તો ત્રણ હજારની છે ને ? તું ધરપત રાખ, સૌ સારાં વાના થઈ જશે" ચૂંટણીના સમયે ઉમેદવારો આપે છે તેવાં આશ્વાસનો અમે આપ્યાં, પણ તેની વિઠ્ઠલ પરકોઈ અસર ન થઈ. છેવટે ઠાકરશી સાકરિયાએ હિસાબ કરી સૌ પાસેથી અગિયાર રૂપિયા ઉઘરાવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તરત પસાર થયો અને અમલ શરૂ કર્યો. 

મેં પંગત વચ્ચે ઊભા થઈ ભાષણ કર્યું, "ભાઈઓ, મુરબ્બીઓ, મિત્રો ! વિઠ્ઠલનું દુ:ખ એ તેના એકલાનું નથી. કાંઈ પણ પ્રસંગ ન હોવા છતાં તેને આપણને સૌની હાથધરણું કરી પાડવાનો છે." સૌએ પ્રસ્તાવ સ્વીકાર્યો. અમુકે અગિયારને બદલે એકાવન આપ્યા. અમુકે માત્ર પાંચ જ આપ્યા તો અમુકે વળી ડોળા કાઢી માત્ર જમવાનું ચાલુ રાખ્યું. દાળ પીરસાય તે પહેલાં નાણું એકત્રિત કરવામાં આવ્યું. સત્યાવીસસો જેવી રકમ ભેગી થઈ. મોટા મોટા પાસેથી આગ્રહ - વિનવણી કરી રૂપિયા ત્રણ હજાર ભેગા કરી સુપરત કર્યા ત્યારે તે છાનો રહ્યો. રકમ કબજે કર્યા. પછી વિઠ્ઠલ સાચો હરખાણો અને નીકળી પડ્યો પંગતમાં સૌને આગ્રહ કરવા- "જમો મારા વા'લા પ્રેમથી જમો." 

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૦૭/૦૬/૨૦૧૫ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો