ગુરુવાર, 18 જૂન, 2015

જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના વિદ્યાર્થી ભાઈઓએ એ દિવસે પહેલાં આખું શાળાનું મકાન ઝાટકી ઝાટકીને બાવાંજાળાં પાડીને સાફ કરી નાખ્યું, એટલું જ નહીં પણ ટોમ સોયરનની જેમ ડોલમાં ચૂનો લઈ ધોળી પણ નાખ્યું. મને વિદ્યાર્થી ભાઈઓ માટે મન થયું. મને થયું, માત્ર ભીંતો પણ અપશબ્દ લખવાવાળા વિદ્યાર્થીઓ નથી, દીવાલો સાફ કરવાવાળા પણ છે.પાનને ગલ્લે બેસી રહી સમય બગાડતા વિદ્યાર્થીઓ જ માત્ર નથી, સવારમાં વહેલા ઊઠી કસરત કરનારા પણ છે. નદી જ્યારે બે કાંઠે વહેવા માંડે છે, તેમાં પ્રચંડ પૂર આવે છે ત્યારે નબળા કાંઠા ઝીંક ઝીલતા નથી. નદી કાંઠા તોડીને વહેવા માંડે છે. અત્યારે આ જ હાલત છે. યુવાનીના ધસમસતા પૂરને કાબૂમાં રાખવા માટે ક્યારેક ઘરના, શાળાના કે સમાજના કાંઠા નબળા પડે છે અને પ્રચંડ પૂર જેમ વિનાશ વેરે છે તેમ યુવાનીનું પૂર પણ સંયમ, સંસ્કારિતા અને વિવેકના કાંઠા મજબૂત ન હોય તો વિનાશ વેરે છે. 

મને પહેલી જાન્યુઆરી, ઓગણીસ સો એકસઠથી ડાયરી લખવાની ટેવ છે. એમાં હું દર વર્ષે શરૂઆતમાં ખૂબ સારી રીતે વ્યવસ્થિતપણે જીવું છું, પણ પછી ઉત્સાહ ઓસરતો જાય છે પછી અને એ જ જૂની ઘરેડમાં અર્થ વગરનું જીવન- પહાડ પરથી એક જ ધોરિયામાં વહેતું પાણી, ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી ત્યાંથી જ હવે તેમ એ જ રીતે - જીવનમાં પહાડ માથે પડી ગયેલા વૃત્તિઓના ધોરિયામાં જીવનધારા વહેવા માંડે છે. ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી બદલવા મુશ્કેલ છે. 

હું દર વર્ષે ત્રણ યાદીઓ તૈયાર કરું છું. અત્યંત મહત્ત્વનાં કરવાનાં કાર્યો, જેમાં સર્વિસ, પરિવારની જવાબદારી વગેરે આવે છે. બીજી યાદી, સમય મળ્યે કરવાનાં કાર્યો જેમાં હાસ્ય, કાવ્ય, પ્રેરણાદાયી પ્રસંગો, ચિંતનકણિકાઓના વ્યવસ્થિત સંગ્રહ તૈયાર કરવાનાં કામોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદી ન કરવાનાં કાર્યોની બનાવું છું, જેમાં તમાકું ન ખાવી, જિંદગીના ભોગે સંપત્તિ મેળવવા પ્રયાસ ન કરવો. સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય ન કરવું વગેરે આવે છે. ઘણા જેમ ત્રણ જોડી ચશ્માં રાખે છે, એક દૂર જોવામાં એક નજીકથી જોવાનાં અને ત્રીજી જોડી ઉપરનાં બંને ખોવાઈ જાય તો ગોતી કાઢવા માટેનાં. અમુક વળી બાથરૂમમાં ત્રણ નળ રાખે છે. એક ગરમ પાણીનો, એક ઠંડા પાણીનો અને એક પાણી વગરનો - જેને ન ના'વું હોય તેમના માટે. હું ત્રણ યાદી વ્યવસ્થિત બનાવું છું અને ડાયરીમાં નોંધ કરું છું. કોઈ વાર યાદ રાખવા માટે જેમાં નોંધ કરી હોય તે ડાયરી જ ખોવાઈ જાય છે. 

અનેરા ઉત્સાહમાં નવું વર્ષ શરૂ થાય છે, પછી થોડા સમયમાં યાદીઓની ભેળસેળ મંડે છે થાવા. ન કરવાનાં કાર્યો થવા માંડે છે. મહત્ત્વનાં રહી જાય છે. સમય મળ્યે કરવાનાં કાર્યો માટે સમય જ મળતો નથી. ડિસેમ્બર આવતાં આવતાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે અને વળી હું વ્યવસ્થિત થવા પ્રયાસ કરું છું. ડાયરી પરથી એટલી ખબર પડે છે, શું નક્કી કર્યું હતું અને શું શું ન થઇ શક્યું. જેમ હર્બટ સ્પેન્સરે કહ્યું છે, 'માનવી ઇતિહાસથી એટલું જ શીખ્યો છે કે માનવી ઇતિહાસમાં કાંઇ શીખ્યો નથી.' 

આ વખતે પણ અનેરા ઉત્સાહથી મેં ડિસેમ્બરના અંત પહેલાં પ્રથમ તો 'આશિયાના'ની સફાઈ શરૂ કરી. મારી પત્ની સાબિરાએ કહ્યું. "મારે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો છે. મેં મજાક કરી, તો પછી પાછળ રહેશે શું?" 

હું સાબિરા, સાબિદ અને અફઝલ સાફસૂફીમાં લાવી પડ્યાં. મારા રૂમમાં માત્ર જરૂર પૂરતી જ વસ્તૂ રહેવા દઈ બાકી બધું બહાર કાઢી નિકાલ કરી નાખ્યો નકામી પણ આકર્ષક વસ્તુઓ જેને હું રાખી પણ નહોતો શકતો અને બહાર ફેંકવાની હિંમત પણ નહોતો કરી શકતો એ બધું ફેંકી દીધું. ત્યાગમાં આનંદ સમાયેલો છે! સવારના પહોરમાં માત્ર મળત્યાગ માણસ કરે છે તોપણ કેટલી હળવાશ અનુભવે છે! આમ જ જો સંસારના મળનો ત્યાગ થાય તો કેટલી શાંતિ મળે ! બિનજરૂરી પરિગ્રહ આમ તો એક પ્રકારનો મળ જ છે ને ? હું મસ્કત ગયો. નાગરદાસ માનજીની બાતબર જૂની પેઢીના સ્ટોરમાં દાખલ થયો. આ પેઢીના સંચાલકો મને ઓળખી ગયા. મને આદરસત્કાર કરી આવકાર્યો, રોક્યો. ચા-પાણી-નાસ્તા માટે ઘેર લઈ ગયા. મેં સ્ટોરમાંથી કરેલી ખરીદીમાં પણ ડિસ્કાઉન્ટ આપ્યું, ઉપરાંત એક કિમતી લાલ બેગ ભેટ આપી. પહેલાં માત્ર પચાસ રૂપિયાની બેગમાં હું કપડાં મૂકી મારી સીટ નીચે રાખી નિરાંતે ઊંઘી જતો હતો. આ બેગ મળ્યા પછી ફેરફાર એ થયો કે પહેલાં બેગમાં મારા કપડાં સચવાતાં, હવે હું બેગ સાચવું છું. 

બેફામ સાહેબે કહ્યું છે : નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં મોતી ભર્યા છે, છતાંયે સમંદરનાં ખારાં જીવન થઈ ગયાં છે. માનવી પાસે જે છે તે મહત્ત્વનું નથી, જે છે તેનો કેવો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે. 

છરી તો સર્જન પણ ચલાવે છે અને છરી તો ગુંડા પણ ચલાવે છે, પરંતુ એક જિંદગી આપવા માટે છે જ્યારે એક જિંદગી લેવા માટે હોય છે. 'પોટેટો ઈટર્સ' ચિત્રના વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને કોઈએ પૂછ્યું, તમે બીજા ચિત્રકારો કરતાં સારાં ચિત્રો દોરવાની સ્પર્ધા કરવા માટે ચિત્ર દોરો છો? વાન ગોગે કહ્યું, 'મને બીજા ચિત્રકારોનો ખ્યાલ પણ નથી. હું તો મારી જાત સાથે સ્પર્ધા કરું છું. જેવો છું તેનાથી સારો બની શકું?' 

યુદ્ધના મેદાનમાં સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યનું સૈન્ય સજ્જધજ થઈ ગોઠવાયું હતું. મહાઅમાત્ય ચાણક્ય અન્ય અધિકારીઓ સાથે સૈન્યનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા. સમ્રાટ ખુદ મહાઅમાત્યને માહિતી આપતા હતા, પાયદળ, હયદળ, ગજદળ, શસ્ત્રો વગેરેની. આ સાંભળ્યા પછી ચાણક્યે પૂછ્યું, '' આ બધું તો ઠીક, પણ આ યુદ્ધ જીતશું જ એવો આત્મવિશ્વાસ સૈન્યમાં છે?'' સમ્રાટ ચંદ્રગુપ્ત જવાબ ન આપી શક્યા. તેમણે કહ્યું : ''એ તો કેમ કહી શકાય?' ચાણક્યે કહ્યું, 'સફળતા માટે. આત્મવિશ્વાસ જરૂરી છે.' ચાણક્યમાં આત્મવિશ્વાસ હતો, જુલિયસ સીઝર નૌકાસૈન્યને ઇંગ્લેન્ડની ધરતી પર ઉતારી પ્રથમ હુકમ કર્યો, 'તમામ હોડીઓ બાળી નાખો.' હોડીઓ બાળી નાખવામાં આવી. એ બતાવી જુલિયસ સીઝરે કહ્યું, 'હવે આપની પાસે ઇંગ્લેન્ડ જીતવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.' જુલિયસ સીઝરની જીત થઈ. આજે પણ લંડનમાં રોમન વોલ છે, રોમન સ્થાપત્ય છે. રોમનોની અસર ઘણાં ક્ષેત્રમાં જણાઈ આવે છે. 

મધદરિયે ભયંકર તોફાન થયું હોય, વહાણ સપડાયું હોય, ભાંગીને ભુક્કો થઈ ગયું હોય, યાત્રીઓ, નાવિકો, મુસાફરો ભયાનક આપત્તિમાં આવી પડ્યા હોય, લાકડાના એકાદ ટુકડાને પકડી કોઈ પ્રવાસી તરી રહ્યો હોય, તેના ખિસ્સામાં લાખોની કિંમતનાં અણમોલ મોતી હોય, દૂર દૂર કિનારે નાળિયેરીનાં વૃક્ષો નજરે પડતાં હોય, કિનારે પહોંચ્યા પછી તે મોતીના લાખો રૂપિયા ઊપજવાના હોય પણ જો પ્રવાસી આત્મવિશ્વાસ ગુમાવી બેસે તો? કિનારે પહોંચી ન શકે. આત્મવિશ્વાસ વગર બધું વ્યર્થ છે. 

આ સંદર્ભે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય જોઇએ : 'જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?' અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું? નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું શું?

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૧૪/૦૬/૨૦૧૫ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો